“જોવાવાળો જોશે, તું કામ કરે જા…”

“જોવાવાળો જોશે, તું કામ કરે જા…”

મૂંગે મોઢે, શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com

સરદારસાહેબે બાંધેલાં સ્વરાજ આશ્રમમાં એક ખૂણામાં કેળવણીની ચેતના પ્રગટેલી છે. છેલ્લાં સાઠ વર્ષોથી ચાલતી સરદાર કન્યા વિદ્યાલયના મા એટલે બા એટલે નિરંજનાબેન ની આદિવાસી દીકરીઓ એક ધૂન ખુબ સરસ  ગાય છે. કામ કરે જા, કામ કરે જ, જોવાવાળો જોશે તું કામ કરે જા .શબ્દો મઝાના બોલાય પણ એ શબ્દોને મેં જીવાતા પણ અનુભવ્યા તેની વાત માંડું.

આમ તો હું જ્યારે જ્યારે બારડોલી જાઉ ને  એ મળે  ત્યારે એ મને ‘જય શ્રીકૃષ્ણ, જય સીયારામ’ એમ કહે અને હું એ બંને ભગવાનોને એમના વતી યાદ કરીને સામે પ્રતિઘોષ પાડતો. પણ આ વખતે ગયો ત્યારે એણે આંખ ઉપર મોટા-મોટા ચશ્મા પહેર્યાં  હતા એટલે મેં પૂછયું, ‘મનુભાઈ, કેમ આંખોને મોટી કરી નાંખી છે ?’ તો એમણે હસતા-હસતા કહ્યું, ‘બંને આંખનો મોતિયો ઉતરાવ્યો…’ ‘વાહ, બહુ સરસ કામ થયું… !’ કયાં કરાવ્યો ? કોણે ઓપરેશન કર્યું ? મારા આવા પ્રશ્નોના જવાબને એક પછી એક આપવાને બદલે એણે એક જ જવાબ આપ્યો કે, ‘પ્રજ્ઞાબહેને કરાવ્યું !!’

આ જેમની હું વાત કરી રહ્યો છું એ ફાઉન્ટન પ્લાઝા, બારડોલીમાં એક એપાર્ટમેન્ટ છે, એના ભોંયતળિયા ઉપર એક રૂમમાં રહેતું દંપતી છે. મનુભાઈ અને એમના ધર્મપત્ની. મેં એમને વારંવાર જોયા છે, મળ્યો છું, ગેઈટમાં ગાડી આવે કે કોઈપણ આવે તો મનુભાઈ સતર્ક હોય. મેં મનુભાઈને પહેલીવાર જોયા ત્યારે પ્રજ્ઞાને એના ફ્લેટમાંથી ‘મનુભાઈ…ઓ મનુભાઈ…’ એવો સાદ દેતાં તેને મેં આવતા ભાળ્યા ત્યારે મારો મનુભાઈ સાથે પહેલો પરિચય થયો. મનુભાઈના હાથમાં એક મોટો ગ્લાસ હતો. હું પ્રજ્ઞાના ફ્લેટના હિંડોળે  બેઠો હતો ત્યાં મને ‘નમસ્તે’ કરીને એ સીધા રસોડામાં પહોંચ્યા.

મેં જોયું કે એણે પોતાનો મોટો ગ્લાસ પ્રજ્ઞાના રસોડામાં સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ ઉપર ઈન્ડક્ષન સિસ્ટમની બાજુમાં મુક્યો અને પ્રજ્ઞાએ ઈન્ડકશન ઉપર ગરમાગરમ ચા હતી એ ગાળીને એના ગ્લાસને ભરી દીધો. હું આ બધું નિહાળી રહ્યો હતો. મનુભાઈએ ખિસ્સામાંથી એક કોથળી  કાઢી અને કોથળી કાઢી ને બરાબર એમાં જગ્યા કરી. એ જગ્યા કરી એટલે પ્રજ્ઞાએ એમાં એને બ્રેકફાસ્ટ આપ્યો. ખારી, નાનખટાઈ, સેવ, મમરા એવું વારંવાર બદલાતું નાસ્તાનું સ્વરૂપ મેં અનુભવ્યું. બસ, રોજ આટલું થાય પછી મનુભાઈ જતા રહે. આના ઉપરથી મેં અનુમાન કર્યું કે,  મનુભાઈ રોજ સવારના યા અને બ્રેકફાસ્ટ પ્રજ્ઞાના ૨૦૨ નંબરના ફ્લેટમાંથી મેળવે છે. મેં પ્રજ્ઞાને આના વિશે કહેતા ક્યારેય પણ સાંભળેલ નથી, પણ મને આ નાનકડું કૃત્ય બહુ સ્પર્શી ગયું. સવાર પડે અને પ્રજ્ઞા મોટી બધી કીટલીમાં ઘણા બધા લોકોની ચા બનાવે, કારણ કે મુલાકાતીઓ બહુ હોય, ઘરે આવીને વસનારા ઘણા હોય, બ્રેકફાસ્ટ કરવા માટે ડાયરો જામતો હોય. પણ એમાં મનુભાઈ માટેની ચા  રોજ થાય અને મનુભાઈ અચૂક આવે. રોજજ, મનુભાઈ ચા અને નાસ્તો લઈ, બારણું બંધ કરીને નીચે ઊતરી જાય અને સવાર પૂરી થાય.

પ્રજ્ઞા એ ગાયનેકોલોજિસ્ટ છે. ‘ડો પ્રજ્ઞા’ છે. અને બારડોલીમાં એનું પ્રસૂતિઓ માટેનું દવાખાનાનું એક સમયે  એક ચક્રીશાસન કરતું હતું. એમણે બારેક વર્ષ ધમધમતી પ્રેક્ટિસ કરી અને ખૂબ કમાણી કરી પછી એને એમ  થયું કે, ‘હવે ઘણું કર્યું, હવે બધું  મૂકી દઈએ.’ એટલે એણે પોતાની પ્રેક્ટિસ પોતાના જુનિયરને સોંપી દીધી અને એ આ તબીબી વ્યવસાયને અલવિદા કરી લોકકલ્યાણના કામમાં લાગી ગઈ.બારડોલીમાં જે સ્વરાજ આશ્રમ છે, જે સરદાર પટેલે બનાવ્યો અને જેને ૫૦ વર્ષ સુધી ઉત્તમચંદ શાહ નામના એક સ્વતંત્રતાના સત્યાગ્રહીએ સાચવ્યો, એ ઉત્તમચંદ દાદાના દીકરી તે નિરંજનાબેન ક્લાર્થીની દીકરીનું નામ પ્રજ્ઞા છે. આખો પરિવાર વંશ વારસાગત લોકોની વચ્ચે રહેનારો, લોકોના દુ:ખ પોતે સંગોપી આપનારો અને કરુણાભાવથી સૌ સાથે જોડાયેલો રહે છે. પ્રજ્ઞા અનેક સેવાકાર્યો કરે છે અને છેવાડે પહોંચીને વંચિતોને વ્હાલ કરે છે. પણ એમનું એક નાનકડું કૃત્ય એટલે પેલા મનુભાઈ. મનુભાઈની ચા, મનુભાઈનો નાસ્તો અને મનુભાઈનો મોતિયો.

પૂણ્ય કમાવા માટે જે કરીએ એને કરુણાકાર્ય ન કહેવાય, પણ માત્ર પ્રભુ પ્રિતી અર્થે જે કાંઈ થાય એ હકીકતમાં કરુણા તરફ, લાગણી તરફ, સમભાવ તરફ, શાંતિ તરફ આપણને દોરીજાય છે. અને હા, આ જે કરીએ તેના ઢોલ નહિ પીટવાના, તેની તકતીઓ નહિ મુકાવવાની… “જોવાવાળો જોશે તું કામ કરે જા”… મૂંગે મોઢે શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…

સદ્દવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી…

સદ્દવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી…

દાદા હાથ ઊંચો કરીને એક વાક્ય  બોલે :દો દિનકા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.

જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતે પોતાની મિલકતમાંથી સ્વરાજ આશ્રમ બનાવ્યો છે એ સ્વરાજ આશ્રમની બરાબર બાજુમાં એ સમયે તો નાનું મંદિર હતું. હવે તે પરિસરને ગોવિંદ આશ્રમ કહેવામાં આવે છે. એ પરિસરની સામે એક સિંધી કુટુંબ બહારથી આવેલું અને ત્યાં વસેલું. શક્યતા છે કે તેઓ માઈગ્રેશન કરીને અહીંયા આવ્યા હોય. નાની-મોટી ચીજવસ્તુઓ વેચે  અને તેમનું કુટુંબ સાદગીથી જીવે. આ કુટુંબમાં એક વડીલ દાદા હતા. દાદા બીજું કંઈ ન કરે. ગોવિંદ આશ્રમના રસ્તા ઉપર પડતી જગ્યામાં સવારના પહોરથી પોતે પલાંઠીવાળીને બેસે અને જે કોઈ રસ્તે ચાલ્યા જનાર સાથે આંખ મળે તેને દાદા હાથ ઊંચો કરીને એક વાક્ય  બોલે : “દો દિનકા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.” સામેનો માણસ  પણ જરા ડઘાઈ જાય કે આવું યાદ કરાવવાની શી  જરૂર ? પણ ધીમે ધીમે કરતા એ સૌ પણ સામે “દો દિનકા મેલા હૈ ભાઈ” એવું કહેવા લાગ્યા. જીવ્યા ત્યાં સુધી એ દાદાએ આ સિલસિલો ચાલુ રાખ્યો. કોઈ જ સમય ચૂકયા વગર, કોઈ દિવસ પાડયા વગર, કોઈ આવે કે ન આવે. જે રસ્તા ઉપરથી નીકળે એને હાથ ઊંચો કરી કહેવાનું “દો દિન કા મેલા હૈ ભાઈ દો દિન કા મેલા.”.

એક પરમ સત્યને યાદ અપાવતું આ વાક્ય છે. એવું લાગે છે કે આપણને ઊગતા પ્રભાતે કોઈ યાદ આપે કે કદાચ આજે તારો છેલ્લો દિવસ પણ હોય !! આવું યાદ કરાવવું એ પણ સત્કર્મ છે. આ સત્કર્મ  પેલા દાદા સાવ અજાણ્યા કરી રહ્યા હતા. ત્યાં જ સ્વરાજઆશ્રમ અને સ્વરાજઆશ્રમને સાચવવાનું કામ પ્રખર સરદારભક્ત અને ગાંધીપ્રેમી ઉત્તમચંદ શાહ કરતા હતા અને એ ગાંધી રંગે રંગાયેલા હતા. સવારના પહોરમાં ઊભો સાવરણો લઈને સ્વરાજ આશ્રમનું આંગણું સાફ કરે તે છેક રસ્તા સુધી સફાઈ અભિયાન આગળ ઘપે. ઉત્તમચંદ દાદા નીકળે અને પેલા ભાઈની નજર પડે એટલે દૂર બેઠા બેઠા બોલી નાખે “દો દિન કા મેલા હૈ, ભાઈ દો દિન કા મેલા”. સામે ઉત્તમચંદ દાદા પણ હાથ ઊંચો કરે અને પોતાની હાજરી પુરાવે.

આપણને જાણીને આશ્ચર્ય થાય કે આવું કરનાર વ્યકિત કંઈક પામી ગયેલી હશે કે ? એમને કંઈ દેખાઈ ગયું હશે ? શું હશે ? જે હોય તે, એને એની ચિંતા નથી, એ તો પોતાના મનમાં જે ઊગે છે તે કરે છે. પણ એ સતત સ્મરણ કરાવે છે કે અહીંયા કશું તારું નથી. જે બધું તે ઘરમાં ભર્યું છે, એ બધું અહીંયા ને અહીંયા છોડીને જવાનું છે કારણ કે આ મેળો છે. મેળો સમયાવધિ પ્રમાણે હોય. એ અવધિ પૂરી એટલે મેળો વિખેરાઈ જાય.

આપણું જીવન પણ આવું જ છે, બે દિવસનો મેળો છે. અને એ પૂરો થશે એટલે સૌએ સ્વસ્થાને જવાનું થશે. મેળો વિખેરાઈ જશે. પણ પેલા સિંધી દાદા જે લહેકાથી ‘દો દિન કા મેલા હૈ ભાઈ’ એવું બોલતા તે આખો દિવસ  કેટલાય લોકોને વિચાર કરવાની તક આપતા.આપણો લોભ,આપણો મોહ, આપણા રાગ,આપણા દ્વેષ આપણને વિચારવા દેતા નથી કે શાના માટે આપણે એ વસ્તુઓને મારી ગણીને વળગી રહ્યા છીએ. આપણે જઈએ ત્યારે એ બધું શું સાથે આવે છે ? પેલી દો દિન કા મેલા વાળી વાત સાંભળીએ ત્યારે આ વાત મનમાં ફરક્યા વગર રહેતી નથી.વર્ષો સુધી એમણે પોતાની જગ્યામાં બેસીને કેટલાય લોકોને કહેવાનું ચાલુ રાખ્યું અને ફળ એ આવ્યું કે આજે પણ એ સમયની પેઢી યુવાનોને એ દાદાની યાદ કરાવે છે. મેં આ વાત જાણી ત્યારથી મને પણ ગોવિંદ આશ્રમ પાસે નીકળું ને મારાથી એ શબ્દો બોલાઈ જાય છે : ‘દો દિન કા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.”  સદવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી.

સંતોષ છે એટલે સર્વસ્વ છે!!

સંતોષ છે એટલે સર્વસ્વ છે!!

જેની પાસે છે એને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસેથી છીનવી લઈ અને એમને રિકત  કરી નાખવામાં આવશે.

મારી પાસે જે છે તે મારી પાત્રતા કરતાં વધુ છે. મારી યોગ્યતા કરતાં  પણ ઘણુ વધુ છે. આટલું  જેને સમજાઈ ગયું છે તેને સંતોષી માણસ કહી શકાય. 

મારી યોગ્યતા પણ નથી, મારી પાત્રતા પણ નથી, અને છતાં પણ પરમાત્મા સતત-સતત મારી ઉપર બધી જ વસ્તુઓનો વરસાદ કર્યા કરે છે, એવી જેને પ્રતીતિ થાય છે એ પ્રતીતિનું નામ સંતોષ છે. જેની પાસે સંતોષ છે એની પાસે સર્વસ્વ છે. જબ આયે સંતોષ ધન સબ ધન ધુરી  સમાનસુભાષિત એમ કહે છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું, ગમે તેટલું, ઢગલાબંધ ધન હોય, પણ જ્યારે સંતોષ નામનું ધન પ્રાપ્ત થાય ત્યારે એની પાસે બીજા બધા ધન ધૂળ બરાબર છે. 

જીસસનું બહુ સરસ મજાનું ઉચ્ચારણ છે. અદ્વિતીય છે, અનોખું છે, અને તર્કાતીત છે. જીસસ કહે છે, ‘જેની પાસે છે એને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસેથી છીનવી લઈ અને એમને રિકત  કરી નાખવામાં આવશે.’ ઝડપથી મનમાં ન બેસે એવી આ વાત છે. વિચાર થાય કે આવું તે  કશું હોય? આ તે કંઈ  ન્યાય કહેવાય? કે છે એને વધુ આપો અને નથી એની પાસેથી ઝુંટવી લો. આ તો ભારોભાર અન્યાય કહેવાય. પરંતુ જરા  ઊંડાણથી વિચારીએ તો જીવનનો આ બહુ મોટો નિયમ છે. જેની પાસે છે એનાથી જેની ક્ષમતા વધે છે, અને એ વધુ પ્રાપ્ત કરે છે. એને બીજા દ્વાર ખુલે છે. તે આતુર બને છે. તે ઉત્સુક બને છે. તેનામાં અભિપ્સા  ઉમેરાય છે. અને જેની પાસે કંઈ નથી, એ ધીમે ધીમે સંકોચાઈ જાય છે. અને સંકોચાતા શરમમાં એટલો બધો સંકોચાય જાય છે કે જે છે એ પણ એના અંદરથી નીકળી જાય છે, અથવા તો નીકળી જવા માટે આતુર બની જાય છે. 

મારી પાસે સંતોષ છે તો મને રોજ નવા-નવા વરદાન મળવા લાગશે. રોજ-રોજ, ક્ષણે-ક્ષણે નવું નવું મળશે. પણ મારામાં સંતોષ નથી, કેવળ રોવું અને દુઃખની કથા બોલ્યા કરવી, એને પરિણામે હું ધીમે ને ધીમે સાંકડો થતો જઈશ, સંકુચિત બનતો જઈશ. મારી અંદર જે હશે તે પણ હું ગુમાવી બેસીશ. સ્વાભાવિક છે, એવું જ મનુષ્યનું છે. એવું જ એના મનનું છે કે જે દરેક ચીજ ઉપર અસંતુષ્ટ રહે છે. એ વિચારતો નથી કે, મને જે મળ્યું છે એનો આદર, એનો ધન્યવાદ તો એ આપનાર સુધી હજી મેં પહોંચાડ્યો નથી. તમે જેટલા વધુ દિવસ અસંતુષ્ટ રહેશો એનાથી તમને થોડો કશો લાભ મળવાનો છે? અસંતોષ વધશે. મોત આવી જશે એક દિવસ અને અસંતુષ્ટિ સાથે જ મૃત્યુને વરી જવાશે. 

હવે કોઈ બીજી કલા શીખીએ. અને એ કલાને નામ આપીએ ‘સંતોષ’. હકીકતમાં સંતોષ નો અર્થ થાય છે ‘સંન્યાસ’. આ બન્ને શબ્દો પર્યાયવાચી છે. સંન્યાસનો અર્થ છે સંતોષ. જે છે એટલું ઘણું છે. આટલું પણ કેમ છે  એનું મને આશ્ચર્ય છે. જે બધું મને મળ્યું છે તે મળ્યું કેવી રીતે? મેં તો અર્જીત કર્યું નથી. મારી યોગ્યતા કે પાત્રતા નથી. હે પરમ, તેં  આપ્યું છે, તારી આપેલી એ ભેટ છે. હું તારો ધન્યવાદ વ્યક્ત કરું છું, હું કૃતજ્ઞ છું. ખરેખર તો આપણી પાસે જે છે અને જે મળ્યું છે અને મળતું રહ્યું છે તેનો પ્રતિક્ષણ આનંદ માણતા આપણે નાચવું જોઈએ. 

કવિતામાં કહે છે, 

”धरती का बिछौना नीलांबर का  ओढ़ना और चाहिए ओ वैरागी मन, 

सूर्यशिष पर सोना छत्रसा लगे चंद्रमा, 

पिन्हा जाए चांदी के हार उषा, ज्योति, 

कलश धरे अगवानी में संध्या भर जाए तारो से श्रृंगार, 

सूर्य चंद्र का गहना, तारोका अंगना और चाहिए क्या ओ बढ़भागि मन” 

વધુ તારે શું જોઈએ ??  

મધુઋતુમાં કોયલ છે એ એના સુર, ટહુકાઓ સંભળાવી રહી છે. ગ્રીષ્મની બપોરે અભિસાર વરસી રહ્યો છે. બાજુમાં ક્યાંક બેઠાં બેઠાં મોરલાઓ બોલી રહ્યાં છે. શરદઋતુ પ્યાર વરસાવી રહી છે. ઋતુઓ ઝૂલે છે અને સમય હિંડોળાઈ રહ્યો છે, ત્યારે હે મન, તારે વધુ શું જોઈએ? જે છે એનો સંતોષ એટલે સંન્યાસ. અને એટલે આપણા વિશ્વના ક્રાંતિવીર ચિંતક ઓશો તો હંમેશા કહે છે, સંતોષ જો હૈ ઉસકા ઉત્સવ મનાનેમેં હૈ જે છે એનો ઉત્સવ ઉજવો. આપણા પ્રખર ભાગવતકાર શ્રી ડોંગરેજી મહારાજ પણ કહેતા કે ‘ પળે પળ ઉત્સવ ઉજવો, લાલો પડખું ભર્યું ઉત્સવ ઉજવો.’  કંઈ કારણ નથી તો બસ મારો લાલો પડખું ફર્યો છે આજે એટલે હું ઉત્સવ ઉજવી નાખું છું. આમ, ઉત્સવ ઉજવવાથી આપણને સંતોષનો ઓડકાર આવશે. આપણે ઈશ્વરના ધન્યવાદ વ્યક્ત કરી શકીશું. 

બે આંખો આપી છે. જાણે બે સરસ મજાના પ્રગટેલા દીવાઓ છે. આ આંખોથી હું કેટલું બધું સૌંદર્ય જોઈ શકું છું.!! સવારે સુરજ તો રાત્રે તારાઓ દેખાય છે. પણ ક્યારેય મેં પરમાત્માને આ બાબત માટે પ્રણામ કર્યા છે કે, મને અદભુત આંખો આપી છે એ કેવો મોટો ચમત્કાર છે. કાનોથી હું સંગીત સાંભળી શકું છું. સંવેદનશીલ હૃદય આપ્યું છે એનાથી હું અનેકની લાગણીઓ અને સંવેદનાઓ જીલી શકું છું. આ બધી બાબતો માટે પરમતત્વને ક્યારેય કૃતજ્ઞતાથી માથું નમાવ્યું છે?, એની પ્રાર્થના કરી છે?, એની પૂજા કરી છે? વિચારવું પડે એવો આ પ્રશ્ન છે. 

રંગબેરંગી પાંખો વાળી નાની-નાની ચકલીઓ આપણા કાનોમાં જાણે એમ કહી જાય છે કે, કશું ભેદભર્યું છે હો.  પ્રિય કબીરજી એક સુંદર વાત કહે છે કે,  જે મળ્યું છે તે અહંકારને લઈને દેખી શકાતું નથી. અહંકાર જતો રહે તો જે મળ્યું છે તેનો આપણને અહેસાસ થાય. શું કરવું આપણે? એક જ જવાબ, આપણામાં ભરેલા અહંકારને મરી જવા દો. કબીરની બે પંક્તિઓ, मरो हे जोगी मरो, मरो मरण हे मीठा, किस मरनी मरो जिस मरनी गोरख दिठा‘. ગોરખનાથ કહે છે, હે જોગી મરો, મરણથી જ તમારી મીઠાશ આવવાની છે. કેવી રીતે મરો?  किस मरनी मरो जिस मरनी मरी गोरख दिठा. ગુરુ ગોરખનાથના  આદેશ પ્રમાણે જે નથી મળ્યું તેની સામું જોવાને બદલે જે મળ્યું છે તેનો સત્કાર કરો, તેની સામે ઝુમી ઉઠો અને એવી રીતે જ મૃત્યુ પાસે જાઓ.

 

 

 

અમારા ભગવાનનું દિવ્ય મૃત્યુ !!!

અમારા ભગવાનનું દિવ્ય મૃત્યુ !!!

પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળબ્રાહ્મણને આપવાની દક્ષિણાનું કવર પણ બનાવીને મૂકી ગયા હતા !!!

તમને પ્રશ્ન થશે કે ભગવાનનું તે વળી મૃત્યુ થાય ?? હા, હા, થાય જ ને !! જે જન્મે તે મરે જ, એ ક્રમ તો અવતાર ધારણ કરનાર ભગવાનોએ પણ જાળવ્યો છે ને !! સમર્થ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને પણ એક જરા પારધી એક નજીવા બાણથી શિકાર સમજીને અલવિદા કહી શક્યો. જે મનુષ્ય અવતાર ધારણ કરે તે અવશ્ય મૃત્યુને વરે જ.

બસ, એમ જ, સદેહે અમારી વચ્ચે જીવેલા અમારા ભગવાને પણ વિદાય લીધી, પણ એમની વિદાય પણ અદ્દલ પેલા  મૂળ ભગવાન જેવી જ. દિવ્ય અને સહજ. એકદમ પવિત્ર અને મંગલ. એ શિક્ષક હતા અને ગણિત ભણાવતા હતા. તે દરમિયાન ભગવાનને હૃદયની કશીક તકલીફ થઈ. પણ આ તો ભગવાન એટલે ખાસ ગણકારે નહીં !! “હશે કંઈક, શરીર શરીરનું કામ કરે, દર્દ તો મહેમાન કહેવાય. થોડા દિવસ રોકાશે ને પછી એની મેળે જતું રહેશે.” આવું ભગવાન કહ્યા કરે. પોતાની મેળે ડોક્ટરને બતાવી આવે અને ડોક્ટરે કહ્યું કે, અમદાવાદમાં એક હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હૃદયના વાલ્વની સર્જરી કરાવવી પડશે, એટલે ભગવાને અમદાવાદ જવાનું પેકિંગ કર્યું શરૂ. અમે ગ્રુપના સભ્યોએ ભગવાન માટે એક ઉત્સવ-સંધ્યાનું આયોજન કર્યું અને ભગવાનને અમે ફેરવેલ પાર્ટીના માહોલમાં અમદાવાદ મોકલ્યા. એ ઉત્સવ સંધ્યામાં ઓશોને સાંભળ્યા, ભગવાન પાસેથી પોતાના હૃદય અંગેની વાતો સાંભળી અને ખાણી-પીણી કરી. ભગવાનને અમે કહ્યું કે, ‘તમારા હૃદયનો વાલ બરાબર ટાઈટ કરાવતા આવજો, કારણ હવે આપણે પાછા અમદાવાદ કે ક્યાંય જવું નથી.’ અરે ભગવાને અમને જવાબ આપ્યો કે, “હું મારા પક્કડ-પાનાં લેતો જાઉં છું ને, જુઓ, હૃદયને એકદમ ઠીકઠાક કરાવી લાઉ.”

અમે ભગવાનની તબિયત વિશે ચિંતિત ન હતા પણ અમે સતત તબિયતના અપડેટ્સ મેળવતા હતા. સર્જરી થઈ ગઈ પછી અમે ફોનથી વાતો પણ કરતા અને અમને આનંદ હતો કે, ભગવાન બહુ મઝામાં છે અને તેમના નિરાળા સ્વભાવ મુજબ હસતા-રમતાં થઈ રહ્યા છે. નવરાત્રી નજીક આવતી હતી એટલે એક રાત્રે ભગવાને મને ફોન ઉપર કહ્યું કે, ‘મારે માસીને કે જે પ્રજ્ઞાચક્ષુ હતાં, નવરાત્રીમાં માઈ મંદિર લઈ જવાના હોયને એટલે હું બે-ત્રણ દિવસમાં રાજકોટ આવી જાઉં છું. મને હવે કોઈ તકલીફ નથી, અહીં ખાઈ-પીને જલસા કરું છું.’ અમે સૌ મિત્રોને આ સમાચાર આપ્યા અને અમારા ગ્રુપમાં ઉત્સાહનું મોજું ફરીવળ્યું. પણ પણ પણ…ભગવાન રામને થયું હતું એમ જ ‘સવારે શું થવાનું છે ?’ વાળી પંક્તિ સાચી પડી. બીજે દિવસે સવારે અચાનક સમાચાર આવ્યા કે ‘ભગવાને વિદાય લીધી છે’ !!! અમારી ઉપર તો જાણે હિમાલય પડયો, અમે સૌ નિઃશબ્દ,અવાચક અને દુઃખથી છલોછલ !!!

પણ જેમ જેમ ભગવાનની લીલા સાંભળતા ગયા તેમ તેમ અમે ભગવાન પર અહોભાવથી વરસતા ગયા. તેમના કુટુંબમાંથી જાણવા મળ્યું કે, ભગવાન બધી જ તૈયારી કરીને જ અમદાવાદ ગયા હતા. તૈયારીઓ જાણીને ભગવાનને મળેલા દિવ્ય સંકેતો અમારા મનમાં સુસ્પષ્ટ થતાં ગયા અને અમે કેવળ ‘જય ભગવાન, જય ભગવાન’ની ધૂન રટતા રહ્યા. ભગવાને પોતાનો સેલરી બેન્ક એકાઉન્ટ જાતે બંધ કરાવી દીધો હતો. પોતાના રૂમના એક ગોદરેજ કબાટમાં ભગવાન પોતાને છેલ્લે પહેરાવવાના વસ્ત્રોને ઘડી કરીને મૂકી ગયા હતા, પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ-બ્રાહણને આપવાની દક્ષિણાનું કવર બનાવીને પેલા વસ્ત્રો ઉપર ગોઠવીને મૂકી ગયા હતા.!!! આર્ષ વિદ્યા મંદિર, કે જેના પરિસરના વૃક્ષને ભગવાન પાણી પાવા જતાં તે મંદિરના પરિસરમાં અમદાવાદ જવાની આગલી સાંજે ભગવાન ગયેલા અને વૃક્ષ નીચે એકાદ કલાક આંખ બંધ કરીને બેસેલા, તેવું એક મંદિરભકતે પછીથી અમને કહ્યું !! જે માઈ મંદિર પોતાના પ્રજ્ઞાચક્ષુ માસીને દર્શન કરવા ભગવાન લઈ જતાં તે માઈમંદિરમાં રહેલી સમાધિઓ પાસે ભગવાન આંખ બંધ કરીને બેસેલા અને તેમની આંખમાંથી આંસુઓ વહી જતાં હતા તેવું એકથી વધુ સાક્ષીઓએ અમને કહ્યું !! અને હા,અમારા ગ્રુપના મિત્રોએ સાથે મળી એક ફાર્મ હાઉસની સ્કીમમાં પ્લોટસ લેવાનું નક્કી કરેલું ત્યારે અમે ઘણું કહ્યું, છતાં ભગવાને પોતાના નામે પ્લોટ ન જ લીઘો અને તેઓ જે નાના ભાઈ સાથે રહેતા હતા તેમના નામ પર જ દસ્તાવેજ કરાવેલો. ભગવાનના આ નિર્ણયનું રહસ્ય પણ અમને ભગવાનની વિદાય પછી સમજાયું.

અમારા ભગવાન આજે પણ અમારી સામે જ ઉભા છે, અમે દૃઢપણે માનીએ છીએ કે આપણને તો ભગવાન પોતે સામેથી આવીને મળ્યા છે અને આપણી સાથે જીવ્યા છે. આજે પણ ‘જય ભગવાન’ બોલીએ કે સ્મરીએ કે તરત ભગવાન અમારી આંખોમાં હાજરાહજૂર થઈ જાય છે. અમારે તો ઉપર જઈએ કે તરત અમારા ભગવાનની સાથે પાછી ગોષ્ઠિઓ માંડવી છે.

ભગવાન ધ્યાનમાં મગ્ન અને થયો  ધરતીકંપ !!

ભગવાન ધ્યાનમાં મગ્ન અને થયો ધરતીકંપ !!

મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ  અમને ભગવાન આપતા હતા

એક અતિ વિરલ વ્યક્તિત્વ કે જેને અમે ‘જય ભગવાન’ કહીને બોલાવતા હતા તેની વાત આપણે માંડી  છે. અમારા જય ભગવાન જાણે સમાજની સેવા કરવા અથવા તો દરેક વ્યક્તિ સાથે કરુણાનો સંબંધ બાંધવા પ્રગટ્યા હોય એવું અમને લાગતું. કોઈપણ નું  દુઃખ હોય તો એ દુઃખ ના સમયે જય ભગવાન ખમ્ભે થેલો લટકાડીને હાજર હોય. એક બાબત બરાબર અમે નોંધી કે ઉત્સવના પ્રસંગે અને દુઃખના પ્રસંગે સમાન રીતે જય ભગવાન હસતો ચહેરો રાખીને હાજર હોય. 

અમે એવું પણ નોંધેલું કે ઓશોના પ્રિય શિષ્ય હોવાથી તેઓના મનને  દુઃખ બહુ ઓછી અસર કરી શકતું હતું. એનું ઉદાહરણ અમે તેમના પિતાશ્રીના દેહાવસાન વખતે અનુભવ્યું. એમણે જોયું કે પિતાશ્રી હવે થોડો સમય છે, ત્યારથી એમણે પિતાશ્રીની  બાજુમાં બેસીને ધ્યાનસ્થ થવાનો પ્રયાસ કર્યો. અને જ્યારે બે-ત્રણ કલાકો પછી તબીબે આવીને કહ્યું કે, તેઓએ પ્રાણ છોડી દીધા છે ત્યારે વજ્રાસનમાં બેસીને અમારા જય ભગવાન ખડખડાટ  હસવા માંડ્યા. એટલું બધું હસવા મંડ્યા કે  આજુબાજુના લોકોને થોડું વિચિત્ર પણ લાગ્યું !! . પણ અમારા જેવા જે નજીક હતા એમણે  જોયું કે એ ખડખડાટ હસતા હતા પરંતુ એમની  આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ  અમને ભગવાન આપતા હતા. 

અરે, તમારે માત્ર એક નામનો પરિચય હોય તો પણ ભગવાન ત્યાં પહોંચી જાય અને એમના દુઃખમાં મદદ કરે. કેટલાય કુટુંબોના લગ્ન પ્રસંગો કે જેમાં દીકરીઓને પરણાવવાની હોય તો એમાં પૂરેપૂરું રસોડું સંભાળવાનું કામ જય ભગવાન કરે. એ સમય હતો કે જ્યારે કંદોઈ આવતો અને મીઠાઈ બનાવતો, બહેનો આવતા અને ફરસાણ બનાવતા, અને પછી એક-એક ડીશનો ભાવ નક્કી કરીને બહેનો રસોઈ કરવા  આવતા ત્યારે આપણા ઘરના ઘણા લોકોએ સાથે રસોડામાં રહેવું પડતું. માનો કે કંદોઈ મોહનથાળ બનાવે તો એને ચોકીની અંદર પાથરીને પછી એના ચોસલા બનાવવા, ચોસલા ઉખેડવા, સરસ મજાના ગોઠવવા, આ બધું કામ કરવું એ ભગવાનનો બહુ જ શોખનો વિષય.  આખું લગ્ન પૂરું થઈ જાય, કન્યાદાન દેવાઈ જાય, અથવા તો વર પરણી ઉતરે, તો પણ  મુખ્ય મંડપમાં કોઈ દિવસ ભગવાન જોવા ન મળે. ભગવાન ક્યાં છે? તો કે મંડપમાં રહેલા રસોડામાં છે, અને એમણે સાદો લેંઘો જેને ગોઠણ સુધી ચડાવી દીધો હોય, અને એક સાદો સદરો પહેરીને દાળના કમંડળો ભરતા કે શાકના તપેલાઓ ઉંચકતા તમે એમને બહુ સહજતાથી જોઈ શકો. આપણે એને જમવા બોલાવવા જઈએ કે ભગવાન ચાલો જમી લઈએ ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હોય, એ કહે, ‘મારે જમવાની જરૂર નથી, કારણ કે, હું રસોઈ બનતી હતી ત્યારે બધું થોડું-થોડું ચાખતો જતો હતો. હવે એટલી ભૂખ રહી નથી.!!’ 

આપણને આશ્ચર્ય થાય કે, સંબંધની વાત ક્યાંય આવતી નથી, રિલેશનશિપ જેવો શબ્દ ક્યાંય આવતો નથી, છતાં પણ આપણે ત્યાં પ્રસંગ ત્રણ દિવસનો, ચાર દિવસનો, અઠવાડિયાનો હોય તો પણ ભગવાન પુરા દિવસ રસોડાની બધી વ્યવસ્થા સંભાળતા હોય. મારા માતુશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અને એ સમય હતો ગોધરાકાંડનો. એ સમયમાં બહુ મુશ્કેલી હતી પણ અમારે હૈયે ધરપત હતી કે, ભગવાન છે એ હોસ્પિટલ સાચવી લેશે. જેવી ખબર પડે એટલે ભગવાન થેલાની અંદર એક જોડી કપડાં લઈ અને હોસ્પિટલે પહોંચી જ ગયા હોય. કોઈનું પણ કંઈ હોય, ભગવાન હાજર હોય. અને આવતા વેંત પોતાનો થેલો લટકાડીને કહે , “તમે તારે ફ્રી, હવે હું અહીંયા છું કોઈ ચિંતા ન કરતાં.”  એક દિવસ, બે દિવસ, વચ્ચે એમને કોઈ રિલીવ  કરે, ન કરે, જમવાનું ટિફિન એનું આવે ન આવે, ભગવાનને કશી ચિંતા ના હોય. આપણને આશ્ચર્ય એ વાતનું થાય તેવી  સહજતાથી બીમારની સાથે પોતે સમય પસાર કરે, એને કશુંક વાંચી સંભળાવે, એની સાથે સતત વાતો કરતા રહે અને હસી-મજાક કરતા રહે, હોસ્પિટલનું વાતાવરણ પણ હળવું રાખે, એવા એ ભગવાન હતા. 

કોઈને ભેંટ આપવાની એમની પદ્ધતિ પણ બહુ જ વિશિષ્ટ હતી. પોતે વારંવાર ઘરે આવે અથવા કોઈને ઘરે જાય તો પોતે સીધા રસોડામાં પાણી પીવા માટે દોડી જાય, અને એવે ટાણે  પોતાના થેલામાંથી એક નાનકડી કોથળી કાઢે ને રસોડામાં રહેલા ફ્રીજને ખોલી  અંદર રાખી દે. કોઈને કશું કહે નહીં. ઘણો વખત પછી તમને સાંજે ખબર પડે કે, આ ફ્રિઝની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લા કોણ મૂકી ગયું હશે?, ત્યારે સૌને યાદ આવે કે, ભગવાન આજે આપણે ત્યાં જમવા આવ્યા હતા એટલે એ પોતાનો ભાવ આ રીતે પ્રગટ કરી ગયા છે. લગ્ન પ્રસંગ હોય તો એ વખતે જે કેસેટ આવતી ઓડિયો કેસેટ, એ કેસેટ બધાને ભેંટ કરે. ઓશોના પ્રવચનો પોતે  સાંભળે, અને પછી આપણને આપે. પણ એ આપવાની રીત પણ કોઈ મંચ ઉપર જઈને, ફોટા પડાવીને કે એવી નહિ, રીત પણ બહુ સીધી અને સાદી. જેના લગ્ન હોય અથવા જેને ઘરે પ્રસંગ હોય, એની પાસે જાય, કશું જ ઊંચા  સ્વાદે બોલ્યા વગર હળવેથી કહે , ‘તમારા લગ્ન થાય છે ને, સમય મળે તો આ સાંભળજો, મજા આવશે.’  

સાચું પૂછો તો ભગવાન એવું વ્યક્તિત્વ હતા કે એમની હાજરી હોય તો  સૌને એમ લાગે વાહ ! આપણે ભર્યા-ભર્યા બની ગયા. કોઈપણ કામ કરવું એ ભગવાન માટે કોઈ નાની મોટી વાત નોહતી. ભગવાન શ્રીકૃષ્ણ માટે આપણે સાંભળેલું એણે પાતર  પણ ઉપાડેલા, એમણે  મહાભારતના યુદ્ધમાં ઘોડાઓનો ખરેરો પણ કરેલો, ઘોડાના ઘાવ પણ લૂંછેલા, બસ એવી જ રીતે અમારા  ભગવાન કોઈ પણનું કોઈ પણ કામ કરી શકે. સમારંભ પૂરો થાય અને મંડપમાંથી ખુરશીઓ ભેગા કરતા કોઈને જુઓ તો એ ભગવાન હોઈ શકે. બધી વસ્તુ આડી-અવળી હોય એને ભેગી કરવા માંડે તો એ ભગવાન કોઈ શકે. અને એટલા બધા અલગારી, મજાના, કે જાણે શું બને છે એની એને ચિંતા ના હોય. 

અમારા મત પ્રમાણે તો  ઓશો પછી ઓશોની જેમ જીવનારા અમારા  ભગવાન ધ્યાનમાં બેઠા હોય તો સહજતાથી ધ્યાનમાં હસતા જાય, રડતા જાય અને વિચિત્ર રીતે આપણને જોવા મળે એવા ભગવાનની દશા હોય. રાજકોટમાં એક માઈ  મંદિર છે, જ્યાં તેના પ્રજ્ઞાચક્ષુ માસીને નિયમિત લઈ જવાના, હાથ પકડીને લઈ આવવાનું કામ ભગવાન પ્રેમથી કરતા. આ માઈ મંદિર ની અંદર તમે જાઓ તો માસી એક બાજુ બેઠા હોય અને કોઈ એક પિલરને ટેકો દઈને, આંખ બંધ કરીને, ભગવાન ધ્યાનમાં ઉતર્યા હોય. અમારે ઘરે આવે ત્યારે અમારો દીકરો  હસી મજાક કરે કે ભગવાન, તમે તો માઈ  મંદિર માં ધ્યાન કરતા હતા પણ આમ તો તમે ઝોંકા  ખાતા હતા, હો!!  આ સાંભળીને એ  ખડખડાટ હસે અને પછી એમ કહે કે, ઝોકાં  ખાવા કે નીંદર કરવી એ પણ એક ધ્યાન જ છે. 

2001માં રાજકોટ ઉપર ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે માસી સાથે ભગવાન માઈ મંદિરના એક પિલર પાસે બેઠા હતા. અને આશ્ચર્ય થશે  કે મંદિરમાંથી સૌ લોકો બહાર દોડી આવ્યા કે  ધરતીકંપ થયો, પણ અંદર પલાઠી મારીને, આંખ બંધ કરીને બેઠા હતા, અમારા ભગવાન. કેટલીએ વાર પછી કોઈએ જઈને ઉઠાડયા  કે,  ચાલો બહાર, ત્યારે એ એકદમ હસતાં હળવે પગલે આવ્યા અને કહ્યું, શું થયું, કેમ બહાર બોલાવ્યો? બધાએ કહ્યું કે તમને કાંઈ અસર ન થઈ? ધરતીકંપ થયો. તો કહે ના, મારી તો આંખ બંધ હતી એટલે ખબર ન હોય. એટલી બધી સહજતાથી બધાના ભયને ઓછો કરી નાખ્યો આ વાત કરીને કે અમને એમ થયું કે, ભૂકંપ વખતે આપણી  બાજુમાં  ભગવાન ઊભા છે અને એણે આપણને શાંત્વના આપવા માટે આ વાતાવરણ સર્જ્યું  છે. 

અમારા આ ભગવાને આ પૃથ્વી ઉપર થી વિદાય લીધી એ પણ બહુ દિવ્ય રીતે વિદાય લીધી,  તે વાત કરીને આપણે ભગવાન શ્રેણી પૂર્ણ કરીશું.(ક્રમશ:)

જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય

આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્યકથા છે અને તે વાંચીને આપણને થાય કે જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ધણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવીવાતો બેઠીહતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો.કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હરાનારા અને ખડખડાટ હસતા-હસતા પોતાનીટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે કયારેય દુ:ખદર્દવાળા જોવા મળ્યા નથી.

અમે બધા શિક્ષકો.શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપરજોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય. દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે. અમારું શિક્ષકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે !! થોડીથોડીવારે ભગવાન એવું યાદ અપાવે કે, આપણે પેપર જોવાના છે હો… અને એવું કહીને પાછા કહે કે, જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે, ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ… એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાનપોતે મિક્સ ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરીવાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંનિષ્ઠ હોય તો બે-ચાર પેપર જોવા લાગે.

ભગવાન ઓશોપ્રેમી એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું કોઈ સુંદર વકતવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપરજોઈએ. !! ઓશોવચન શરૂ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી ઉપર ટીંગાડી દીધી હોય. એ હજી ખીંટી ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનું વકતવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા-હસતા એમ કહે કે, સુંઠ નાખેલો ગરમા ગરમશિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી વાગે એટલે પછી ભગવાન એવું કહે, હવે અત્યારે પેપર ન જોવાય.વિધાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ દિવસ આવા જાય પછી ખીંટી ઉપરથી થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાયથાય.

આ ભગવાન આમ તો ‘મિસ્ટિક’ હતા,અજબનું રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય.ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગરૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂ નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે ભાલકાતીર્થ પાસે ભગવાનશ્રીકૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે અને થોડી વારમાં એને ઊંઘ પણ આવીજાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા-પાણી પીએ ત્યાં તો રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એકવાર પોતાના ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે, ‘ભગવાન, તમે કેમ સવારના પહોરમાં ભાગી ગયા હતા ?’ તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને ! અમારા સવારના સાડાપાંચ વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે !!!

ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી પરણ્યા નહોતા એટલે લહેરી હતા ??

 

‘જય ભગવાન’ તો  સહજતમ !!

‘જય ભગવાન’ તો સહજતમ !!

આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો  છે, પ્રવાસ કર્યા  છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે. 

 

એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ  બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું,  એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો  હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી  શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે,  ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે. 

 

એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા  ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ  એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી  ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે,  કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા,  એને  વંદન કરી  અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી. 

 

ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!

એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’  ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ  કલાક છે.’  અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ  જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને  પી ને અમારી સાથે જ અંદર  ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા,  અમને પણ જરા જેવો ય  ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી. 

આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)

વાંચવું તો છે યુવાનોને…

વાંચવું તો છે યુવાનોને…

નાની ભટલાવમાં યુવા સરપંચ અંકિતના પ્રયાસોથી  નિર્માણ પામ્યું  શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

“મારું નામ અંકિત છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે. 

અમારા ગામમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ વ્યારા સુધી એક પુસ્તકાલય અથવા તો વાંચનાલય  માટે થઈને રોજ સવારે દોડીને બસ પકડે અને વ્યારા ઉતરીને દોડમદોડ પુસ્તકાલય સુધી ભાગે કારણ કે ત્યાંના   નાનકડા ખંડમાં સોએક વિદ્યાર્થીઓ સવારથી આવી ગયા હોય અને મોડી રાત સુધી ત્યાં વાંચતા હોય ! જો વહેલા દોડીને પહોંચે તો બેસવા માટે ખુરશી મળે, ટેબલ મળે નહિતર નીચે બેસીને વાંચવું પડે. મને વિચાર આવ્યો કે  મારા ગામમાં મારે આવું કૈંક કરવું જોઈએ કે જેથી કરીને મારા યુવાનો ત્યાં સુધી દોડે નહીં અને આજુબાજુમાં બીજા જે ગામ છે એના યુવાનો અહીંયા નાની ભટલાવમાં વાંચવા આવી શકે. 

કલાર્કની પરીક્ષામાં કે આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ આ ગામમાંથી ઘણા યુવાનો ગયા છે. આ બધાની એવી માંગણી હતી કે આપણા ગામમાં એક સારું પુસ્તકાલય થાય તો બહુ સારું. અમારા ગામમાં પ્રાથમિક શાળાનું એક નાનકડું સંકુલ જેવું છે કે જ્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ છે અને આંગણવાડી પણ ચાલે છે , વિદ્યાર્થીઓને નાસ્તો મળે છે. નાનું  પણ સારું એવું મેદાન છે. એટલે મને વિચાર આવ્યો કે એ મેદાન છે એમાં પુસ્તકાલય બાંધીએ. એ દરમિયાન મારો સંપર્ક બારડોલીના સ્વરાજ આશ્રમના એક ખૂણામાં રહીને સુંદર મજાની સરદાર પટેલ કન્યા વિદ્યાલય ચલાવતા નિરંજનાબેન કલાર્થી અને એમના દિકરી ડો. પ્રજ્ઞાબેન કલાર્થી સાથે થયો. મેં એની સામે વાત રજૂ કરી કે, ગામમાં એક પુસ્તકાલય થાય તો બહુ સારું કહેવાય. અને ફળ એ આવ્યું કે એમણે વ્યવસ્થા ગોઠવી. 

મને ખબર હતી કે સરકારની વતનપ્રેમી યોજના છે, જેમાં વતન છોડી ગયેલા લોકો જે વિદેશ ગયા છે એને પોતાના વતન માટે કાંઈ કરવું હોય તો એ ૬૦ % રકમ તેઓ આપે અને ૪૦ % રકમ સરકાર આપે, તો તમે વિકાસનું કોઈ કામ કરી શકો. જોગાનુજોગ પ્રજ્ઞાબેનની મદદથી મનીષાબેન પ્રતાપભાઈ પંડયા (પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની હયાતીમાં કેટલીય  બધી લાયબ્રેરીમાં પુસ્તકો અને કબાટ વગેરે  ડોનેટ કરેલા) એમના દીકરી પોતાના  પિતાશ્રીની સ્મૃતિમાં આવું કામ હજી પણ કરી રહ્યા છે, એમનો સંપર્ક થયો અને એમણે પોતે અમને કહ્યું કે, હું ૬૦% આપું,  ૪૦% તમે સરકાર પાસેથી મેળવો અને તમે સરસ પુસ્તકાલયનો એક ખંડ બનાવી  તેમાં કોમ્પિટિટિવ એક્ઝામના જેટલા પુસ્તકો જોઈએ એની લાયબ્રેરી બનાવો, એના કબાટ મુકો, વાંચવા માટેની ખુરશીઓ, ટેબલ, નક્શાઓ, ચિત્રો જે કાંઈ જોઈએ તે તમે વસાવો અને વિદ્યાર્થીઓ વાંચે એવું કરો. અહી સારા ટોયલેટ નહોતા. અમારે ત્યાં યુવાનોની સાથે યુવતીઓ પણ નિયમિતપણે વાંચવા વ્યારા જતી હતી અને હવે અહીંયા પણ આવે છે. એટલે એ યુવતીઓ માટે પણ વોશરૂમ વગેરે સારું હોય એ પણ જરૂરી હતું એટલે પ્રજ્ઞાબેનના મુકુલ ટ્રસ્ટ દ્વારા આ આખો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો. આપણને ખ્યાલ છે કે સરકારની યોજનાના નાણાં તો ઘણા વખત પછી આવતા હોય છે. પહેલાં તો તમારે કામ કરી નાખવું પડતું હોય છે એટલે એ બધી જવાબદારી મુકુલ ટ્રસ્ટે લીધી.  બહુ થોડા સમયમાં સુંદર મજાનો હોલ બન્યો, જેને પ્રતાપભાઈની સ્મૃતિમાં ‘શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું. મોટી બારી, હવા ઉજાશ અને પ્રકાશ સાથે મળી રહે, પાણી પીવાની સુંદર વ્યવસ્થા, ટોયલેટસ વગેરે વિદ્યાર્થીઓ રિલેક્સ થઈને પોતાનું વાચન  કરી શકે એવી ફેસેલિટી અહીં બનાવવામાં આવી.

હું પોતે હજી પણ ગામ માટે જે કોઈ સગવડતાની જરૂર હોય તે કરવા માટે પુરી ધગશ ધરાવું છું. હવે તો એવું બનશે કે, આજુબાજુના નાનાં ગામમાંથી યુવાનો અહીંયા આવશે આ સગવડ થઈ જવાથી કદાચ સવાસો જેટલા વિદ્યાર્થીઓ આવી શકશે અને સવારના વહેલા  છ  વાગ્યાથી આ ખુલી જશે. વિદ્યાર્થીઓ એની સફાઈ કરશે અને છેક રાતના ૧૧ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાંચતા રહે એવું ગોઠવાયું છે. મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન કલાર્થી ઉચી એસ્થેટિક સેન્સ ધરાવે છે એટલે એમણે અમારા આ પરિસરની દીવાલોને વર્લી પેન્ટિંગ થી સૌન્દર્ય બક્ષ્યું છે. એક દિવ્યાંગ યુવાને મળેલી સુચના પ્રમાણે ચોતરફ ચિત્રો કરીને સ્થાનને રમણીય બનાવ્યું છે કે જેથી અહીં આવવું ગમે તેવો માહોલ સર્જાયો છે. 

હું સમાજના દરેકે દરેક એવા ધનવાન લોકોને વિનંતી કરું કે, આ વતનપ્રેમી યોજનામાં આપ જોડાઓ અને આપણા વતનમાં, આપણા નજીકના ગામમાં ૬૦% જેટલી રકમ દાનમાં આપીને તમે પણ આવી વ્યવસ્થા કરો તો તમારા વતનમાંથી લોકો બહુ સારી રીતે આગળ વધશે અને એને નામે વતનનું નામ ઉજળું થશે.”

 

કામ કરે તે જીતે

કામ કરે તે જીતે

બધાને સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દીવાળી નોકરીમાં જ જવું છે, તો શું કે આપણો વટ પડે !!

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com 

ચૂંટણીનો માહોલ હોય અને કોણ ચૂંટાયું કે કોણ હાર્યું ની ચર્ચાઓ હોય ત્યારે કોઈ સાત્વિક કે રાજસિક રાજકીય વ્યક્તિ મળી જાય ત્યારે બત્રીસે કોઠે દિવા થાય

“મારું નામ અંકિત છે. હું હકીકતમાં તો ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં દસ વર્ષ સુધી રહ્યો. મારું ગામ નાની ભટલાવ છે. અહીંયા જન્મ્યો છું, અહીંયા મોટો થયો છું, મા બાપ ખેતી વગેરેનું કામ કરે છે અને અમારું સામાન્ય કુટુંબ છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.

હું મારા માતાની સાથે રહું છું. મારા કૌટુંબિક કારણોને લઈને મારા પિતાશ્રી મારી સાથે રહેતા નથી. મેં દસેક વર્ષ સુધી ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો અને ટ્રાન્સપોર્ટના ધંધામાં બધું હું જ કરું છું. કોઈનો માલ ટ્રકમાં ભરવો, ટ્રક ચલાવવો, જ્યાં જઈએ ત્યાં એ માલને ઉતારીને જે તે જગ્યાએ ગોઠવી આપવો. બધું જ કામ પોતે જ કરવું,  પ્રામાણિકતાથી ને  ધીરજથી કરવું એ મારું મુખ્ય જીવન હતું. મારા કસ્ટમરમાં પણ મારા નામે વાત ફેલાયેલી હતી કે હું વ્યવસ્થિત કામ કરું છું, પુરી મહેનત કરું છું અને યોગ્ય રીતે વળતર માંગુ છું. એટલે મારો વ્યવસાય સારો ચાલ્યો.  આજે પણ એ કામ હું સાઈડમાં કરી જ રહ્યો છું.

મને એવું લાગ્યું કે હું તો ગ્રેજ્યુએટ સુધી ભણ્યો ત્યારે ખબર નહોતી કે શું ભણવું જોઈએ, છતાં બધા ભણતા હતા એવું મેં ભણી નાખ્યું. આ વખતની જે ચૂંટણી થઇ એમાં ગામે મને સરપંચ તરીકે ચૂંટી બતાવ્યો. મારું  નાનું ગામ છે,  ૧૨૦૦ ની વસ્તી છે. નાની ભટલાવ એ  બારડોલી તાલુકાનું ગામ છે. અહીંથી લગભગ ૧૮ – ૨૦ કિમિ વ્યારા છે, એ મોટું સેન્ટર છે. આ બાજુ બારડોલી  મોટું સેન્ટર છે એની વચ્ચે અમે અંદરના ભાગમાં આવેલા છીએ. અમારે ત્યાં ૧૨૦૦ ની વસ્તીમાં બધા બહુ સામાન્ય લોકો છે. જે યુવાનો છે એનામાં આગળ વધવાની પુરી ધગશ છે.

એક વાત હું સાહેબ આપને કહું કે, અમારે ત્યાં યુવાનોને એક જ વાતમાં રસ છે કે, અમને  વર્દીવાળી સરકારી નોકરી મળે. એટલે બધાને પોલીસ થવું છે, PSI થવું છે અથવા તો સિક્યુરિટીનું કોઈ હોય તો એમાં જવું છે પણ  સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દી એટલે કે ગણવેશવાળી નોકરીમાં જ જવું છે તો શું કે આપણો વટ પડે અને તો જ આપણે આગળ વધી શકીએ એવું બધાના મનની અંદર બરાબર ઘુસી ગયેલું છે. મને વિચાર આવ્યો કે આને તો હું બદલી નહીં શકું તો મારે મારા ગામના યુવાનો માટે કશું કરવું હોય તો શું કરવું ?

મને એવું પણ જાણવા મળ્યું કે મારે ત્યાંથી જે વિદ્યાર્થીઓ PSI કે PI ની પરીક્ષામાં જાય છે એ લોકો થિયરી પાસ કરી દે છે પણ પ્રેક્ટિકલમાં ઝળકી શકતા નથી. કારણ કે અહીંયા એને  ફિઝિકલ ટ્રેનિંગ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે મેં ગામની અંદર પંચાયતનું એક ખુલ્લું મોટું મેદાન હતું એને સારી રીતે  ડેવપલ કર્યું, દોડવા માટેના ટ્રેક બનાવ્યા, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ આ બધું જ એની અંદર ઉમેર્યું જેથી કરીને અહીંના યુવાનો અહીંયા જ પ્રેક્ટિસ કરી શકે. સવારના પહોરમાં ને ઢળતી સાંજે વિદ્યાર્થીઓ દોડીને પરસેવો પાડે ને ફિઝીકલી ફિટ થાય. આ મેદાન બનાવ્યા પછી અમને એવું ફળ મળ્યું કે અમારે ત્યાંથી ૧૦ – ૧૧ લોકો PSI માં પસંદ થયા. આ વખતે સરકારે પહેલાં પ્રેક્ટિકલ પરીક્ષા લીધી અને પછી થિયરી લીધી, એને પરિણામે અમને ખુબ સારું પરિણામ મળ્યું. આમ મને કહેવાનું નહીં ગમે પણ તમે પૂછ્યું એટલે હું કહું કે મને જયારે પેલું સ્પોર્ટ્સ ને ફિઝિકલ એક્સરસાઇઝ માટેનું મેદાન બનાવવું હતું ત્યારે મારી પાસે પૈસા નહોતા અને હું કઈ કરી શકું એમ નહોતો અને એવી કોઈ સહાય થાય એમ નહોતી એટલે હું જે બાઈક ફેરવતો હતો એ બાઈકને મેં લોનમાં  ગીરવે મૂક્યું અને એના ઉપર બેન્કની લોન લીધી અને બેન્કની લોનમાંથી એ મેદાન ડેવલપ કર્યું. મારી એક જ ઈચ્છા કે મારા નાનકડા ગામના યુવાનો પણ ખુબ મહેનત કરીને જિંદગીમાં આગળ વધે.”

 

વો ચાહે સો હોઈ !

વો ચાહે સો હોઈ !

અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કેઆજે તમે જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’ 

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !

દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને  એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો  ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી  નિહાળે  તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!

હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા  છ  સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય. 

          સંજય સ્વામી ને કમુ મા આગોતરા  પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ  માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના  ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો !  એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો  પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું ! 

          ‘હશે, જેવી  ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ  મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા  થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો  હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો  ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !!  ધ્યાનખંડે ભૂમિ પર  આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત  ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે  મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો  !! 

                   વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત  અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને  જાણે  કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’  

માટીમાંથી માનવ બન્યો ?

માટીમાંથી માનવ બન્યો ?

જેમણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે.

ભદ્રાયુ  વછરાજાની                                      bhadrayu2@gmail.com 

કહે છે કે આપણો દેહ એ પંચમહાભૂત નો બનેલો છે. એટલે કે તેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી એમ  બધા પાંચે-પાંચ તત્વો આવેલા છે. પણ એક કથા યાદ કરવા જેવી છે. 

પરમાત્માએ જ્યારે પ્રકૃતિ સર્જન કરવાની શરૂઆત કરી ત્યારે એમણે  બધું જ બનાવી લીધું અને કહેવાય છે કે, સૌથી છેલ્લે એમણે માણસને બનાવ્યો. માણસને એમણે માટી માંથી બનાવ્યો. પૂર્ણ પરિશ્રમથી માણસનો દેહ બની ગયો ત્યારે પરમાત્માએ બધા દેવતાઓને ભેગા કરીને કહ્યું કે, જુઓ મારી શ્રેષ્ઠતમ કૃતિ એ આ મનુષ્ય છે. મેં આનાથી વધુ સારું કશું બનાવ્યું નથી. મારા પ્રકૃતિના વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગરીમાશાળી આ કૃતિ છે. પરંતુ દેવતાઓમાં પણ શંકા કરનારા તો હોય જ. એક શંકાપ્રિય દેવતાએ કહ્યું કે, એટલી બધી પ્રિય કૃતિ છે તો પછી એને માટીમાંથી કેમ બનાવી ? નિમ્નતમ ચીજમાંથી તમે શ્રેષ્ઠતમ ચીજ બનાવી છે, એવું કહેવા માગો છો? આ વાત અમને સમજાતી નથી. તરત જ કેટલાક ટેકો દેનારા રાજકારણી દેવતાઓ બાજુમાં આવ્યા અને દેવતાઓએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાત તો સાચી છે, જો શ્રેષ્ઠતમ સર્જન કરવું હતું તો સોનામાંથી કરવું હતું અને સોનુ નહીં તો ચાંદી અને ચાંદી નહીં તો લોહ તત્ત્વમાંથી બનાવી શકાય ને. નિકૃષ્ઠમાંથી શ્રેષ્ઠ ??  આ વાત અમારા ગળે ઉતરતી નથી. 

પરમાત્મા જેનું નામ, જેના મુખ ઉપર કાયમ સ્મિત હોય, તે જરા વધુ હસી પડ્યા. તેમણે કહ્યું કે, જેણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની  વ્યાખ્યાથી  શરૂઆત કરવી પડે છે. જેમને સ્વર્ગમાં જવું હોય એમણે  નર્કમાં પહેલું પગલું મૂકવું પડે છે. જેને ઉપર ઉઠવું હોય, તેણે નિમ્નતમને સ્પર્શવું પડે છે. અને પછી પરમાત્માએ કહ્યું, તમે ક્યારેય સોનામાંથી કોઈ ચીજ ને ઉગતી જોઈ છે? ચાંદીમાંથી કોઈ નાનકડો છોડ ઉગતો ભાળ્યો છે? જાઓ, પ્રયોગ તો કરો. સોનામાં બીજ વાવી દ્યો, રાહ જુઓ કે કાંઈ ઉગે છે, નહીં  ઉગે. પરંતુ માટીમાં કશુંક ઉગે છે. મનુષ્ય એક સંભાવના છે, એક આશ્વાસન છે. હજી મનુષ્ય થવાનું છે, મનુષ્ય થયા નથી, થઈ શકે છે. મનુષ્ય એટલે કે માનવ થવાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, પરંતુ માનવ તો મારે અને તમારે થવું પડશે. એટલા માટે તો આપણને માટીમાંથી બનાવ્યા છે. કારણ કે, માટીમાં જ બીજ વાવી શકાય છે, માટીમાંથી જ અંકુર નીકળે છે, અંકુરમાંથી જ વૃક્ષ બને  છે, ફુલ આવે છે ને સુગંધ પ્રસરે છે, અરે, તેને ફળ પણ આવે છે. 

માટી એ માનવ થવાનો એક મહોત્સવ છે. માટીમાં સંભાવના છે, સોનામાં કોઈ સંભાવના નથી. સોનુ તો મડદું છે, ચાંદી નિર્જીવ છે, જીવતા લોકો માટીને પૂજે  છે, માણસ જેટલો વધુ મરેલો એટલો તે વધુ સોનાનો પૂજક. અને માણસ જેટલો વધુ જીવંત એટલો તેનો  માટી સાથે મોહ, માટી સાથે લગાવ, માટી સાથે પ્રેમ અને માટી સાથે જીવન જોડી રાખે છે. ઈશ્વરે કહ્યું કે, બીજ માટીમાં ફેંકી દ્યો  તો પણ ખીલે છે, ફળે છે, અને મોટું થાય છે. બસ, એમ જ મનુષ્ય એક સંભાવના છે. ઈશ્વરે મૂકેલી અપાર ક્ષમતાની સંભાવના છે. એમણે  સોના અને ચાંદીની પાછળ ઘેલા થઈને એ સંભાવનાને કોઈપણ સંજોગોમાં મારી નથી નાખવાની. 

ઓશો સરસ વાત કરે છે કે, ગીત તો તમે લઈને આવ્યા છો, પણ ગીત હજુ  ગાવાનું બાકી છે. વીણા તમને હાથમાં આપી છે, હજી તમારી આંગળીઓ એ વીણાના તારને સ્પર્શી નથી. તમને જ્યારે નામ મળ્યું છે, દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે તમને એક સંભાવના આપી છે. ઈશ્વરે આપણને માટીમાંથી  બનાવ્યા છે અને માટીમાં ભળી જવા માટે બનાવ્યા છે. આ વાતનો જ આનંદ છે, પ્રસન્નતા છે, ઉત્સવ છે, આપણે બેસવાનું નથી, આપણે ચાલવાનું નથી, આપણે દોડવાનું નથી, આપણે તો સતત નૃત્ય કરતા રહેવાનું  છે.

માર્ગ અનેક, ટોચ એક !!!

માર્ગ અનેક, ટોચ એક !!!

શ્રી રામકૃષ્ણદેવે  અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જતા હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

 શ્રી રામકૃષ્ણ મિશન અને શ્રી રામકૃષ્ણ મઠ, ભારતમાં સ્થપાયેલી આ સંસ્થાઓ વિશ્વની એવી એક માત્ર સંસ્થા છે કે જ્યાં સર્વ ધર્મોનો, જાહેરમાં, સમાન ભાવે, સ્વીકાર કરવામાં આવ્યો છે. આજની તારીખે દેશ અને વિશ્વ જ્યારે વિપથગામી પરિબળોના હાથમાં જકડાઈ રહ્યાં  છે, ત્યારે મિશન અને મઠ દ્વારા જે પ્રવૃત્તિઓ સ્થાપના કાળે થતી હતી તેના તર્કમાં કે તેના આયોજનમાં કશો જ ફેરફાર કર્યા વગર, જીવ માત્ર માટે થઈ રહી છે. 

‘મેન મેકિંગ એજ્યુકેશન’ ની વાત કરનાર સ્વામી શ્રી વિવેકાનંદ દ્વારા બહુ જ ચાયતથી સ્થાપવામાં આવેલી આ સંસ્થા વિશ્વની એવી સંસ્થા છે કે જેમાં વર્ષો પછી નાનકડા અક્ષરનો કે ઉદ્દેશનો કાગળ ઉપર કે વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદને એવા ગુરુ મળ્યા હતા કે, જે ગુરુએ ક્યારેય પોતે અનુભવ કર્યા સિવાયની વાત કરી ન હતી. શ્રી રામકૃષ્ણ ‘પરમહંસ’ એટલે કહેવાયા કે, તેઓ પોતાનું જીવન અનેક ધર્મોમાં ગાળીને પરત ‘રામકૃષ્ણ’ બન્યા હતા. 

રામકૃષ્ણદેવે બહુ નોખો પ્રયોગ કર્યો આ પૃથ્વી ઉપર. બધા જ ધર્મોનો એમણે ખુદે અનુભવ કર્યો. હિન્દુઓની જેમ સાધના કરી, મુસલમાન બનીને મુસ્લિમ ધર્મની સાધના કરી, બુદ્ધની જેમ બૌદ્ધ ધર્મની  સાધના કરી. આવું ક્યારેય કોઈએ કર્યું નોહ્તું. કારણ કે, જેઓ એક માર્ગથી જ ટોચે પહોંચી ગયા તેઓ સંતુષ્ટ થઇ ગયા એટલે તેઓ હવે બીજા માર્ગ વિશે કેમ કોઈ આગળ વાત કરી શકે? પરંતુ રામકૃષ્ણદેવ બહુ મોટી અનુકંપાના દેવ હતા. એક સ્થાને પહોંચ્યા પછી ફરી પાછા એ તળેટીમાં આવી જતા અને કોઈ બીજો માર્ગ પકડીને ત્યાંથી ઉપર ચડતા હતા. આવું એમણે અનેકવાર કર્યું હતું. કારણ કે દુનિયાને તેઓ કહી શકે કે, મારા અનુભવના આધાર ઉપરથી  હું સ્પષ્ટ કહું છું કે, બધા રસ્તાઓ એક શિખર ઉપર પહોંચાડે છે. 

રામકૃષ્ણદેવ અધિકારી પરમહંસ હતા. અહીંયા કોઈ બૌદ્ધિક સમન્વયની વાત નહોતી કે  વાંચેલી, વિચારેલી વાત નહોતી. પણ પોતે પોતાના જીવનમાં અમલમાં મૂકેલી હતી. અને તેમના આધારે એમણે કહ્યું હતું, બધા જ ધર્મમાં સત્ય છે, ઉદારતા છે, સહિષ્ણુતા છે. શ્રી રામકૃષ્ણદેવના નિજી અનુભવના આધારે તેઓએ પ્રસ્થાપિત કર્યું કે, બધા ધર્મો તો એક ટોચ પર પહોંચે છે. તેઓએ  પહોંચીને પ્રયોગ કર્યો અથવા પ્રયોગ કરીને પહોંચતા રહ્યા. 

આશ્ચર્યની વાત એ છે કે, બંગાળમાં એક પ્રચલિત સખી સંપ્રદાય છે, કે જ્યાં તેઓ સૌ પોતાની જાતને સખી માને છે, અને એના પરમાત્મા કૃષ્ણ છે તેવું સ્વીકારે છે. હદ તો ત્યાં થાય છે કે આ સંપ્રદાય રાત્રે જ્યારે સુવે ત્યારે સ્ત્રીઓના કપડા પહેરે છે, અને પોતાની નજીકમાં કૃષ્ણની મૂર્તિ રાખીને સુવે છે, જાણે કોઈ પત્ની પોતાના પતિને છાતી ઉપર ચાંપીને સૂઈ ગઈ હોય!! . રામકૃષ્ણદેવે આ પંથની પણ સાધના કરી. પણ આ સાધના દરમિયાન એક બહુ જ અનોખી ઘટના બની, અકલ્પનિય ઘટના બની. સખી  સંપ્રદાયના લોકો તો રાત પૂરતા પોતાની જાતને સ્ત્રી ગણાવતા હતા અને સ્ત્રીઓના કપડા પહેરતા હતા. પરંતુ કોઈ જોવે નહીં એની કાળજી લેતા હતા, અને ધર્મની ક્રિયા પૂરી કરતા હતા. પરંતુ રામકૃષ્ણદેવે તો જે કર્યું તે સમગ્ર જાતે કર્યું. તેઓ તો દિવસ દરમિયાન પણ સ્ત્રીઓના જ કપડાં પહેરવા લાગ્યા, પછી રાત શું અને દિવસ શું, એમાં ફર્ક શા માટે રાખવો ?? . દિવસના પણ કૃષ્ણની મૂર્તિ છાતી સાથે લગાવીને ફરતા રહ્યા. અને એક અનોખો ચમત્કાર થયો. જેનો સમર્થ લોકોએ અભ્યાસ પણ કર્યો. અંગ્રેજી ચિકિત્સકે પણ આવીને આ વાતનું અધ્યયન કર્યું. રામકૃષ્ણદેવની આ અવસ્થા દરમિયાન તેના સ્તન વધીને સ્ત્રીઓ જેવા થવા લાગ્યા. તેઓ સ્ત્રીની ભાવ દશામાં જ જીવવા લાગ્યા. કોઈ તો કહે છે કે, રામકૃષ્ણ દેવને માસિક ધર્મ પણ શરૂ થયો, એ બહુ જ અપૂર્વક ઘટના હતી. રામકૃષ્ણદેવ ચાલે તો પણ સ્ત્રીની  ચાલથી ચાલે. આ આસાન નથી, બહુ અભ્યાસ કરીએ તો પણ આપણને મુશ્કેલી પડે છે. પણ રામકૃષ્ણદેવે આ કરવું નહોતું પડતું, પરંતુ તેઓએ તો સાધના માર્ગ પકડ્યો હતો તેથી તેઓ સર્વાંગ સ્ત્રી બનીને પૂરો સમય જીવવા લાગ્યા. એની ચાલને ઓળખવી મુશ્કેલ પડી ગઈ. તેમનો અવાજ બદલવા લાગ્યો, પુરુષના અવાજમાંથી ભેદ થયો, સ્ત્રી જેવો અવાજ થવા લાગ્યો. તે નાજુક અને એકદમ ઝીણો અવાજ થયો. છ મહિના સુધી એમની  સાધના ચાલી અને છ મહિના પછી તેઓએ ઘોષણા કરી કે, માર્ગ પણ સત્ય છે. માર્ગ છોડી દીધો એના છ મહિના સુધી એના સ્તન વધેલા રહ્યા, ધીરે-ધીરે -ધીરે નાના થવા લાગ્યા, ધીરે-ધીરે એમની ચાલ બદલી, ધીમે-ધીમે એમનો અવાજ પાછો આવ્યો અને ધીમે-ધીમે તેમનો માસિક ધર્મ બંધ થયો. 

અનુભવ હું અને તમે કરી શકીએ, અનુભવ સખી સંપ્રદાય કરી શકે, અનુભવ સાદા ધર્મના લોકો કરી શકે, પણ એવો અનુભવ કે જેના આધારે તમારા દેહની રચનામાં ફેરફાર થવા લાગે તેને અનુભૂતિ કહેવાય છે. શ્રી રામકૃષ્ણદેવ પરમહંસનું સ્થાન એટલે પ્રાપ્ત કરી શક્યા કે તેમણે અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જતાં હોય છે.

 

 

 

 

 

નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઉભી થઈ છે.

વિચારોના ઓટલેથી…….(01) for  www.gstv.in

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

What is there in a Name ? 

આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે. શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે, નામમાં તે વળી શું રાખ્યું છે? વાત સાચી છે, કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી. નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી, પણ આપણે તેવા બનવાનું છે, એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે. 

એક જૂની કથા છે. કોઈ બાળકના મા-બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું. નામ પાડ્યું ‘પાપક’. આ ‘પાપક’ એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે, એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય? હવે વિચારવાનો મુદ્દો એ હતો કે, જેનું નામ ‘પાપક’ રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે, આ પાપી છે. આ નામથી તે મુશ્કેલીમાં મુકાવા લાગ્યો. મોટો થતો ગયો તેમ આ નામ તેને પજવવા લાગ્યું. 

એમના એક ગુરુ હતા. એ ગુરૂને જઈને એમણે કહ્યું કે, “મારું નામ બદલી આપો. તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે, તમે મારું આ અપ્રિય, અશુભ, અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો.” ગુરુ એ ઘણું સમજાવ્યું કે, “નામમાં કઈ નથી. નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે. નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું.” પરંતુ એમણે કહ્યું, “ગુરુજી મહેરબાની કરો, હું આપને પગે પડું. થોડું કઠિન કામ છે, પણ મારું નામ બદલી આપો.” ગુરુને વિચાર આવ્યો કે, ના તો નહીં પડાય. એટલે એમણે કહ્યું કે, “તું જા, આખા ગામમાં જઈ આવ, ફરી આવ, લોકોને પૂછીને આવ કે તમારું નામ શું છે. અને તું મને એવું બતાવી દે કે જેનું નામ છે એવા એના ગુણ છે,તો તું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ.” 

પાપક તો હોંશ ભેર ઉપડ્યો. બધે જ જઈ આવ્યો, ખોજ કરવા માટે… ભાઈશ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળ્યો. પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો, એને પૂછ્યું તારું નામ શું? તો જવાબ મળ્યો ‘નયનસુખ’. ચોકીગયો, હદ થઇ ગઈ, નામ ‘નયનસુખ’ અને આંખમાં…!!! એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા-દેવા? આગળ ગયો ત્યાં એક સ્મ્શાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું કે, ‘ભાઈ, આ કોણ મરી ગયું છે? તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે?’ જવાબ સાંભળીને વધુ ચોંક્યો: ‘જીવક’ મરી ગયો છે. અરે ‘જીવક’ મરી ગયો છે! જીવક એટલે તો ‘જે જીવે તે’, આ તો બહુ ખરાબ નામ છે. જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો? 

ગુજરાતી બાળસાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે. બે લીટીની લઘુ વાર્તા છેએ. કોઈ એ કહ્યું, ‘સાંભળો છોજીવણલાલ મરી ગયા‘. આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: ‘શું કહો છો જીવન લાલ જીવતાં હતા !?!’  આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા અને એને જાણવા મળ્યું કે, નામ ‘ધનપાલ’ હોય તો એ માણસ તો ભિખારી હોય ને પૈસા-પૈસા માટે તે હેરાન થતો હોય છે. નામ ‘પથિક’ છે તો એ બીજાને પથ પૂછતો હોય છે!એ થાક્યો, હાર્યો ને પાછો આવ્યો. એણે આવીને ગુરુને વર્ણન કર્યું કે, ‘ગુરુજી, આપ કહો છો તે સાચું છે, નામ તેવા કોઈના ગુણ નથી.’ ગુરુએ સમજાવ્યું કે, ‘તારું નામ સુંદર છે, અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર. તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું, એટલે તું પાપી છો?? તું યાદ રાખને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાનું. બસ, એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે.’

નામ એ પડકાર છે. એનાથી સમજી લેવાની જરૂર નથી કે, જે નામ છે એ તમે છો. ખરેખર જે નામ છે તે તમારે થવાનું છે. નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે નથવાની સંભાવના ઉભી થઈ છે. તમને જ્યારે દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે. જેનું નામ સચ્ચિદાનંદ હોય તે કાંઇ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો. પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઉભી થઇ છે. સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે?, સચ્ચિદાનંદ ઉદાસ રહી શકે? કે મડદાલની જેમ બેસી શકે? તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળખાતું નથી. નામ એ સંભાવનાનો એક પડાવ છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ મળ્યું એટલે સાર્થક નથી થયુંપણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઉભી થઈ છે.

What is there in a Name ? 

આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે. શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે, નામમાં તે વળી શું રાખ્યું છે? વાત સાચી છે, કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી. નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી, પણ આપણે તેવા બનવાનું છે, એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે. 

એક જૂની કથા છે. કોઈ બાળકના મા-બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું. નામ પાડ્યું ‘પાપક’. આ ‘પાપક’ એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે, એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય? હવે વિચારવાનો મુદ્દો એ હતો કે, જેનું નામ ‘પાપક’ રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે, આ પાપી છે. આ નામથી તે મુશ્કેલીમાં મુકાવા લાગ્યો. મોટો થતો ગયો તેમ આ નામ તેને પજવવા લાગ્યું. 

એમના એક ગુરુ હતા. એ ગુરૂને જઈને એમણે કહ્યું કે, “મારું નામ બદલી આપો. તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે, તમે મારું આ અપ્રિય, અશુભ, અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો.” ગુરુ એ ઘણું સમજાવ્યું કે, “નામમાં કઈ નથી. નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે. નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું.” પરંતુ એમણે કહ્યું, “ગુરુજી મહેરબાની કરો, હું આપને પગે પડું. થોડું કઠિન કામ છે, પણ મારું નામ બદલી આપો.” ગુરુને વિચાર આવ્યો કે, ના તો નહીં પડાય. એટલે એમણે કહ્યું કે, “તું જા, આખા ગામમાં જઈ આવ, ફરી આવ, લોકોને પૂછીને આવ કે તમારું નામ શું છે. અને તું મને એવું બતાવી દે કે જેનું નામ છે એવા એના ગુણ છે,તો તું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ.” 

પાપક તો હોંશ ભેર ઉપડ્યો. બધે જ જઈ આવ્યો, ખોજ કરવા માટે… ભાઈશ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળ્યો. પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો, એને પૂછ્યું તારું નામ શું? તો જવાબ મળ્યો ‘નયનસુખ’. ચોકીગયો, હદ થઇ ગઈ, નામ ‘નયનસુખ’ અને આંખમાં…!!! એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા-દેવા? આગળ ગયો ત્યાં એક સ્મ્શાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું કે, ‘ભાઈ, આ કોણ મરી ગયું છે? તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે?’ જવાબ સાંભળીને વધુ ચોંક્યો: ‘જીવક’ મરી ગયો છે. અરે ‘જીવક’ મરી ગયો છે! જીવક એટલે તો ‘જે જીવે તે’, આ તો બહુ ખરાબ નામ છે. જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો? 

ગુજરાતી બાળસાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે. બે લીટીની લઘુ વાર્તા છેએ. કોઈ એ કહ્યું, ‘સાંભળો છોજીવણલાલ મરી ગયા‘. આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: ‘શું કહો છો જીવન લાલ જીવતાં હતા !?!’  આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા અને એને જાણવા મળ્યું કે, નામ ‘ધનપાલ’ હોય તો એ માણસ તો ભિખારી હોય ને પૈસા-પૈસા માટે તે હેરાન થતો હોય છે. નામ ‘પથિક’ છે તો એ બીજાને પથ પૂછતો હોય છે!એ થાક્યો, હાર્યો ને પાછો આવ્યો. એણે આવીને ગુરુને વર્ણન કર્યું કે, ‘ગુરુજી, આપ કહો છો તે સાચું છે, નામ તેવા કોઈના ગુણ નથી.’ ગુરુએ સમજાવ્યું કે, ‘તારું નામ સુંદર છે, અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર. તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું, એટલે તું પાપી છો?? તું યાદ રાખને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાનું. બસ, એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે.’

નામ એ પડકાર છે. એનાથી સમજી લેવાની જરૂર નથી કે, જે નામ છે એ તમે છો. ખરેખર જે નામ છે તે તમારે થવાનું છે. નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે નથવાની સંભાવના ઉભી થઈ છે. તમને જ્યારે દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે. જેનું નામ સચ્ચિદાનંદ હોય તે કાંઇ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો. પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઉભી થઇ છે. સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે?, સચ્ચિદાનંદ ઉદાસ રહી શકે? કે મડદાલની જેમ બેસી શકે? તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળખાતું નથી. નામ એ સંભાવનાનો એક પડાવ છે.

– ડૉ. ભદ્રાયુ વછરાજાની

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/BQ71OAenshxBequlEb5wwu