બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.

ભદ્રાયુ વછરાજાની                                                        bhadrayu2@gmail.com

બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક  શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા  વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને  બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.

આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે.જો બાળક…. જીવશે તો બાળકશીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!

મહાત્મા ગાંધીએ  પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)