વતન એમ જીવનથી છૂટે ખરું ?

જનકલ્યાણ – જાન્યુઆરી ૨૦૨૪

લેખક – ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

શ્રી રાહુલ શુક્લ  હળવાફૂલ પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર.

“..હું અમેરિકા ભણવા ગયો તો ૧૪૦૦ ડોલર ની લોન લઈને ગયો હતો. મારા ફાધર બહુ જ ઇન્ટરએકચ્યુઅલ વ્યક્તિ પણ પૈસા કમાવાનું  એમને ક્યારેય સારું આવડ્યું નહીં. તો પૈસા તો હતા નહીં પણ એમની ખુબ ઈચ્છા કે હું પરદેશ જઈને ભણું. ભણવા કરતા એ કહે કે તું દુનિયાને જો અને દુનિયાને સમજ. કારમી ગરીબી કારણ કે કોલેજની ફી ને  બધું ભરો પછી ૧૪૦૦ ડોલર માંથી કશું વધતું નહીં, એટલે મેં જાતજાતની નોકરીઓ કરી. સિક્યુરિટી ગાર્ડ એટલે કે પગી અને વેઈટર અને ડ્રાઇવર અને એવું બધું… પરંતુ આ નાની નોકરીઓના ફળસ્વરૂપે આજે મને પણ દરેક વ્યક્તિ અને દરેક પ્રોફેશન  માટે માન છે.  હું ફિલ્મ જોવા જાઉં  અને પેલો ગેટકીપર ટિકિટ ફાડતો હોય  તો હું એને કહું,  તેં  બહુ સરસ રીતે ટિકિટ ફાડી . કારણ કે એને મન તો એમાં જ એને ગૌરવ લેવાનું છે ને. મને છે ને તમે કોઈપણ કામ આપો, મને એ ગમતું હોય કે ન ગમતું હોય હું આનંદથી કરું. તમે મને કહો કે અહીંયા સંજવારી કાઢી નાખ, તો હું કિશોરકુમારના ગીત ગાતા ગાતા તાલબદ્ધ રીતે સંજવારી કાઢું…!!!  મારા મધર એમ કહેતા કે, રોતા જાય એ મૂઆના સમાચાર લઈને આવે. એટલે હું હંમેશા આનંદથી રહ્યો ને આવી કેટલીય નોકરી કરી. 

એક વાર મેં સમર જોબ લીધો હતો, અમેરિકામાં ભણતો હતો ત્યારે. મારા ગામથી બે સ્ટેશન દૂર ટ્રેન માં  જવાનું.. સવારે ૬.૨૦ ની ટ્રેન હતી એટલે ટિકિટબારી બંધ હોય પણ પેલો ટ્રેનનો અંદરનો જે કંડકટર હોય એ જ તમને ટિકિટ વેચે. એટલે ૨૫ સેન્ટ જવાના અને પાછો આવું સાંજે ત્યારે ૨૫ સેન્ટ આવવાના. હું ખિસ્સામાં ૨૫-૨૫ સેન્ટના બે સિક્કા લઈને જાઉં. અને પેલો આવે એટલે હું કહું કે મેટાચંદ ગામની ટિકિટ આપો. એક દિવસ મારે ૧૦ મિનિટ મોડું થઇ ગયું  તો પણ હું તો દોડતો ગયો. તો હજી તો ટ્રેન ઉભી હતી. હું નસીબદાર એટલે બેસી ગયો ટ્રેનમાં અને પછી પેલો કંડકટર આવ્યો એટલે મેં કીધું મેટાચંદ. એ કહે, આ તો ફાસ્ટ ટ્રેન છે.. મેટાચંદની તો ગઈ દસ મિનિટ પહેલા. અને આ તો છેક નૂર્વક  જાય છે એટલે તારે નૂર્વક ની ટિકિટ લેવી પડશે,  ૭૫ પૈસા આપ મને. મારી પાસે ૨૫-૨૫ ના બે સિક્કા હતા. હું તો અવાચક.. હવે મારે શું કરવું ?  આવી  કોઈ પૈસાની  તકલીફ મેં  કોઈ દિવસ જોઈ નહોતી.  મારી સામે એક ઘરડા કાકા બેઠા હતા. મોટી હેટ પહેરી હતી અને મારી સામે જોયું. મુંજાયેલું મોઢું જોયું અને  મને કહે What  is the matter, son ? એટલે મેં કીધું, આ હું ખોટી ટ્રેનમાં બેસી ગયો છું અને આ નૂર્વક નું કહે છે. મારી પાસે પૂરતા પૈસા નથી. ૭૫ સેન્ટ કહે છે અને મારી પાસે ૫૦ જ છે. એટલે એણે ખીસામાંથી ૨૫ સેન્ટ કાઢીને મને આપ્યા… તો પણ મારા મોઢા ઉપર મૂંઝવણ કે પાછો કેવી રીતે  આવીશ હું નૂર્વક થી ? મને એમ થયું કે સાલું પાછું કોઈક પાસેથી માંગવા પડશે, હું શું કરીશ ? એણે જોયું still you look in trouble, what is the matter, son ? મેં કીધું how would I come back ? એટલે એણે પાકીટ ખોલ્યું અને એણે મને એક  ડોલરની નોટ આપી. હું એટલો આભારવશ થઇ ગયો અને એટલો જ મુંજાઈ પણ ગયો.  આંખમાં આંસુ દડ દડ થતા હતા, પણ હું કઈ બોલી ન શક્યો. પછી તે દિવસે સાંજે આવીને મારા પાર્ટનર, યસુદાસ બહુ જ હોશિયાર સજ્જન વ્યક્તિ,  એને કીધું કે,  મેં પેલા કાકાનું એડ્રેસ પણ ન લીધું, નહિતર એક કવરમાં ૧ ડોલર અને ૨૫ સેન્ટ મૂકીને મોકલી દેત. એટલે એણે મને કીધું કે,  કોઈક આપણા તરફ kindness દેખાડે ને તો kindness ને પરત નથી કરવાની હોતી. એને આગળ વધારવાની હોય છે. એ કહે don’t return, but pass it on.. 

અત્યારે મેં વઢવાણમાં બે એમ્બ્યુલન્સ મારી કંપનીની રાખી છે. કોઈપણ વ્યક્તિને હોસ્પિટલ થી  હોસ્પિટલ જવું હોય તો,, ઘણા લોકોનું રસ્તામાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પહોંચતા જ અવસાન થઇ જતું હતું તો,, અમે ICU ની ફેસેલીટીવાળી બે એમ્બ્યુલન્સ અને કોઈ જાતના પૈસા વગર .. અમે દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ લોકોને અહીંયા લાવીને પાછા મૂકી આવીએ છીએ. અમે કોરોના વખતે ગામમાં બધાને માસ્ક બનાવીને આપ્યા હતા. પછી અત્યારે પણ બીજી કેટલી આવી ફેસેલીટીસ કરી છે. સુરેન્દ્રનગરની કેટલીયે સંસ્થાઓને ખુબ દાન કરીએ છીએ. તો મને કોઈકે પૂછ્યું કે,  તમે કેમ આટલું બધું દાન કરો છો? તો મેં કીધું, મારાથી  પેલા કાકાના  ડોલર ને ૨૫ સેન્ટ ચૂકવાયા નથી હજુ, એટલે   ચૂકવવા મારાથી બનતી કોશિશ કરું છું” 

ક્યારેક નોખાં અનોખાં વ્યક્તિને મળવાનું થાય ને ત્યારે  આપણને  સર્જનહાર ઉપર વારી જવાનું મન થાય. શ્રી રાહુલ શુક્લ મૂળ વઢવાણ સુરેન્દ્રનગરના અને હાલ અમેરિકામાં ખાસ્સું મોટું સામ્રાજ્ય ધરાવે છે. રાહુલભાઈ હળવાફૂલ, પણ તેની વાતોમાં માર્મિકતા અને વતનપ્રેમ ભારોભાર. વતન એમ જીવનથી છૂટે ખરું ? શ્રી રાહુલ શુક્લ જેવી એક વ્યક્તિ પોતાના વતન માટે-માતૃભૂમિ માટે હૃદયથી કેટલી  ભાવુક હોય છે ?!?