બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.