બારમા અધ્યાયને અંતે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

આપણે શ્રીમદ ભગવદ ગીતાના છાસઠ ટકા ભાગની સમજ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આવો, આપણે વિનોબાજીની દ્રષ્ટિએ અધ્યાય સાતથી અધ્યાય બાર સુધીનું વિહંગાવલોકન કરી લઈએ

અધ્યાય સાત : 

   આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે જ એક જ છે. આમ હોવા છતાં

માણસ મોહમાં પડે છે. વાનગીઓ જોઈ આપણે વિવિધ પ્રકારના વિરોધી તેમ

જ સારા નરસા ભાવ અનુભવીએ છીએ. એ ભાવોની પાર જઈ સાચી શાંતિ

અનુભવવી હોય તો વાનગીઓના બનાવનારને પકડવો જોઈએ, તેને

ઓળખવો જોઈએ. તે ઓળખાણ થાય તો જ ભેદજનક, આસક્તિજનક મોહ

ટાળવાનું બની શકે.

ભક્તિ સાર્વભૌમ ઉપાય છે. દિલની ઊંડી લાગણી વગર કરેલા કર્મની તુષ્ટિપુષ્ટિ

થતી નથી. સાચા આનંદનો પત્તો લાગ્યો નથી તેથી માણસ પડછાયાથી ભૂલીને

તેની પાછળ પડ્યો છે. સાચું સ્વરૂપ તમે જો સમજશો, તેનો આનંદ એકવાર

ચાખશો એટલે પછી બીજું બધું ફિકું લાગશે. એ ખરા આનંદને શોધી કાઢવાનો

ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતાં જતાં પરમેશ્વરી કુશળતા સમજાશે.

ભગવાને ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનારો (૨) નિષ્કામ

પણ એકાંગી ભક્તિ કરનારો (૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો.

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારમાં ત્રણ પ્રકાર છે. (૧) આર્ત (૨) જિજ્ઞાસુ (૩) અર્થાર્થી..કંઈક ઈચ્છા મનમાં રાખીને પરમેશ્વર પાસે જનાર સકામ ભક્ત છે. આર્ત (નિષ્કામ) ભક્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, વિહવળ થનારો. તે કર્મ મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. જિજ્ઞાસુ (નિષ્કામ) ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય, હરેક વસ્તુના ગુણધર્મની ખોજ હોય. તે હૃદય મારફતે ઈશ્વર પાસે પહોંચે છે. અર્થાર્થી (નિષ્કામ) ભક્ત હરેકેહરેક વાતમાં હિત અને કલ્યાણ જ શોધ્યા કરે છે. તે બુદ્ધિ મારફતે ઈશ્વર પાસે પહોંચશે. જ્ઞાની ભક્ત એ જ પૂર્ણ ભક્ત. એ ભક્તને જે દેખાશે તે બધુંયે ઈશ્વરનું સ્વરૂપ જ હશે. કુરૂપ-સુરૂપ, રાય-રંક, સ્ત્રી-પુરુષ, પશુ-પક્ષી બધામાં તેને પરમાત્માનું પાવન દર્શન થાય છે. એક પરમાત્મા જે સર્વત્ર રમી રહ્યો છે તેનો જ અભ્યાસ કરતાં કરતાં જ્ઞાની ભક્ત એ પરમાત્મામાં ભળી જાય છે.

 અધ્યાય આઠ 

જીવન એટલે સંસ્કારસંચય ! સંસ્કાર સારા-નરસા હોય છે અને બંનેની       માણસના જીવન પર અસર થયેલી હોય છે. જે વિચાર મરણ વખતે સ્પષ્ટ તેમજ ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરદાર ઠરે છે.

મરણનું સ્મરણ માણસ ટાળતો ફરે છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે ?? મૃત્યુને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. જે વાતનું રટણ રાતદિવસ ચાલતું હોય તે અંતઘડીએ સાથે રહે. 

હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ, એવી હંમેશ મેહનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમ જ મરણના સ્વામી થઈશું. 

સંસ્કાર આવે ને જાય તેનો શો ઉપયોગ ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહાઆનંદનો ભંડાર છે તેવો અનુભવ થશે.

 નિરાશ થવું એટલે નાસ્તિક થવું. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહેલ છે. ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિનાં વાદળ ન હોવાં. નામસ્મરણ તત્ત્વનું સ્મરણ ફરી ફરીને કરતા રહેવું જોઈએ.

અધ્યાય : નવ

હરિનામ નો અપૂર્વ મહિમા નવમાં અધ્યાયમાં કહેલો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે. જે ધર્મનો ગીતા સાર છે તેને વૈદિક ધર્મ કહે છે. 

વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો ધર્મ. જેનું જે સાદું જીવન, જે સ્વધર્મકર્મ, તેને જ યજ્ઞમય કરીએ તો ?  આપણું રોજનું સાદું જે સેવાકર્મ છે તેને જ યજ્ઞરૂપ કરીએ. “તું એટલું જ કર કે જે કાંઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી હરેક કૃતિનો સંબંધ તેની સાથે જોડી દે…” નવમો અધ્યાય એવું કહે છે. ટૂંકમાં, બધાંય કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધભાવના થી કરેલું અને સેવા નું હોય તો તે યજ્ઞરૂપ જ છે.

નવમાં અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ. રાજયોગ એટલે કર્મયોગ અને ભક્તિયોગનું મધુરું મિશ્રણ. કર્મ કરવાનું ખરું પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો. 

ઈન્દ્રિયો પણ સાધન છે, તેમને ઈશ્વરને અર્પણ કરો. ઈન્દ્રિયોમાં ઘણું સામર્થ્ય છે તેથી હરેક ઈન્દ્રિય ઇશ્વરાર્પણ બુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભુત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે.

શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી. ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં ઉમેરો એટલે બધું યે રુચિકર અને સુંદર બનશે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. છોકરાં પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. ગુરુની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓ ની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ?? 

સર્વે કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે, એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જઈશું એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું તે વવાયું જાણવું.

અધ્યાય :દસ 

દસમા અધ્યાયમાં ઇશ્વરાર્પણયોગ કેમ સાધવો, તેને કેવી રીતે સહેલો બનાવવો તેનું દર્શન છે અને તે નીચેના મુદ્દામાં સ્પષ્ટ દર્શાવેલ છે:

અ) બાલબોધ રીત: પહેલાં મોટા મોટા અક્ષર કાઢો અને પછી તે જ નાના કાઢીને શીખવું. ‘ક’ તેનો તે જ, પણ પહેલાં તે મોટો ને પછી તે જ નાનો. પહેલાં ગૂંચવણ વગરના સાદા અક્ષરો શીખવા ને પછી ગૂંચવણભર્યા જોડાક્ષરો. 

બ) માણસમાં રહેલો પરમેશ્વર જુઓ. પહેલાં તો મા, પછી બાપ, પછી ગુરુ અને પછી સંતો..આ ક્રમમાં સ્વીકાર કરતાં જઈએ એટલે પરમેશ્વર તરત દર્શનીય.

વિનોબાજીએ આપણને  સૃષ્ટિમાં રહેલ પરમેશ્વરના દર્શન કરાવ્યાં :ü  પેલી ઉષા, સૂર્યોદયની આગળ પ્રગટ થનારી દિવ્ય પ્રભા છે. ü  સૂર્ય સ્થાવર જંગમનો આત્મા છે, ચરાચરનો આધાર છે. ü  પાવની ગંગા પરમેશ્વરની સાક્ષાત વહેતી કરુણા છે. ü  વાયરા એટલે પવનો ભગવાનના દૂત છે. ü  અગ્નિ એ નારાયણ છે. કેવો હૂંફાળો ! કેવો તેજસ્વી !

વિનોબાજી આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન  કરાવે છે : ü  વત્સલ ગાયને રૂપે ભગવાન આંગણામાં જ ઉભા છે. ü  ઘોડો, કેટલો ઉમદા, કેટલો પ્રામાણિક અને ધણીને કેટલો વફાદાર છે ! ü  સિંહ તો ભગવાનની દિવ્ય વિભૂતિ છે. ü  વાઘમાં ઈશ્વરી તેજ પ્રગટ્યું છે. આમ, આપણે સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

વિશ્વમાંની અનંત વસ્તુઓમાં રહેલા પરમાત્માને કેવી રીતે ઓળખવો.

આ જે વિરાટ પ્રદર્શન આંખે દેખાય છે તેને કેમ પચાવી પોતાનું કરવું. પહેલાં સહેજે વરતાઈ આવે એવો મોટો ને પછી નાનો, પહેલાં સાદો ને પછી ભેગવાળો, એમ સર્વ વસ્તુઓમાં રહેલાં પરમાત્માને જોવો, તેનો સાક્ષાત્કાર કરવો, રાત ને દિવસ અભ્યાસ જારી રાખી આખાય વિશ્વને આત્મરૂપ જોતાં શીખવું. વિનોબાજીએ આપણને પ્રાણીઓમાં રહેલા પરમેશ્વરનાં પણ દર્શન કરાવ્યાં :: સર્પમાં,,વાનરમાં,, મોરમાં,, કોકિલમાં,, કાગડામાં,, અને છેવટે દુષ્મનમાં પણ,,,!!

આમ, આપણે તો સર્વે જીવોમાં ઈશ્વર જ નિહાળવાનો છે.

અધ્યાય :અગિયાર 

આ અધ્યાયમાં ભગવાને પ્રત્યક્ષ પોતાનું રૂપ બતાવી અર્જુન પર પરમ કૃપા પ્રગટ કરી છે. 

આ જે અનંત સૃષ્ટિ ઉપર, નીચે, સર્વત્ર ફેલાયેલી છે તેનો નાનો સરખો ટુકડો તે આ જગત છે. આ વિશાળ સૃષ્ટિ એ પરમેશ્વરી સ્વરૂપની એક બાજુ થઈ. બીજી બાજુ તે છે કાળની બાજુ. મહાકાળ નદી એકધારી વહ્યા કરે છે. તેના ઉગમની ખબર પડતી નથી, અંતની ખબર પડતી નથી. વચગાળાનો થોડો સરખો પ્રવાહ માત્ર નજરે પડે છે. 

ત્રણ કાળમાં અને ત્રણ ય સ્થળમાં સર્વત્ર ભરેલો વિરાટ પરમેશ્વર એકદમ એકી વખતે જોવાનો મળે ને પરમેશ્વરનું તે રૂપમાં દર્શન થાય એવી અર્જુનને ઈચ્છા થઈ છે. એ ઇચ્છામાંથી આ અગિયારમો અધ્યાય પ્રગટ થયો છે. 

જગત જેવું છે તેવું જ મંગળ છે. કાળસ્થલાત્મક જગત આખુંય એક ઠેકાણે લાવવાની જરૂર નથી. સારાંશ, ત્રણેય કાળ આપણી સામે ઊભા નથી તે સારું છે. આપણે તો ઈશ્વરના હાથમાંનું હથિયાર બનવાનું છે એ જ વિચારમાં ધ્યાન પરોવવાનું છે.

અધ્યાય : બાર 

અધ્યાય છ થી અધ્યાય અગિયાર એ એકાગ્રતાથી સમગ્રતા સુધીની યાત્રા છે.

સગુણ ઉપાસક અને નિર્ગુણ ઉપાસક એ એક જ માના બે દીકરા છે. સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્ત બંને અક્ષરશઃ એકરૂપ છે. બંનેની યોગ્યતા સરખી છે. તેમની સરખામણી કરવી એ મર્યાદાનું ઉલ્લંઘન કરવા જેવું છે. 

સગુણ ભક્ત ઇન્દ્રિય દ્વારા પરમેશ્વરની સેવા કરે છે તો નિર્ગુણ ભક્ત મનથી વિશ્વનું હિત ચિંતવે છે. સગુણ ઉપાસકને સારુ ઇન્દ્રિયો સાધનરૂપ છે, પણ નિર્ગુણોપાસકને ઇન્દ્રિયો વિઘ્નરૂપ લાગે છે. ટૂંકમાં, બન્ને રીત ઇન્દ્રિયનિગ્રહની છે. ધ્યેય એક જ છે કે ઇન્દ્રિયને તાબામાં રાખો. 

સગુણ પૂજા સહેલી છે. નિર્ગુણ પૂજા અઘરી છે. બાકી બન્નેનો અર્થ એક જ છે. નિર્ગુણ જ્ઞાનમય છે ને સગુણ પ્રેમમય-ભાવનામય છે. સગુણ ભક્તિ સુલભ છે. એમાં પરમેશ્વરાવલંબન છે.  નિર્ગુણમાં સ્વાવલંબન છે. 

ભક્તિની અંદરથી જ્ઞાન પેદા થવું જોઈએ. ભક્તિની વેલને જ્ઞાનનાં ફૂલ બેસવા જોઈએ. ભગવાન બુદ્ધે ત્રણ પ્રકારની નિષ્ઠા કહી: (૧) વ્યક્તિનિષ્ઠા (૨) તત્ત્વનિષ્ઠા (૩) સંઘનિષ્ઠા. 

નિર્ગુણ ભક્તિ કરનાર ભરતે પણ પાદુકાનો આશરો લીધો !!  ઈશ્વરનું કામ કરતાં કરતાં સંયમી જીવન ગાળવું એ બહુ દુર્લભ વસ્તુ છે. ભરતની આ વૃત્તિ નિર્ગુણ કાર્ય કરતા રહેવાની હતી. છતાં સગુણનો આધાર ત્યાં તૂટી ગયો નથી. સગુણ અને નિર્ગુણ, કર્મ અને પ્રીતિ, જ્ઞાન અને ભક્તિ, એ બધી વસ્તુઓ એકરૂપ છે. બન્નેનો અંતિમ અનુભવ એક જ છે. ટૂંકમાં, સગુણને નિર્ગુણમાં જવું પડે છે, નિર્ગુણને સગુણમાં આવવું પડે છે. એકબીજાથી એકબીજામાં પરિપૂર્ણતા આવે છે. પથ્થરમાં ઈશ્વરને જોવો એ એક રીતે જોઈએ તો નિર્ગુણની પરાકાષ્ઠા છે. સંત, માબાપ, પડોશી એ બધામાં ઈશ્વરને માનવાનું સહેલું છે. છેવટે ભગવાન કહે છે: હે અર્જુન, તું સગુણ થા કે નિર્ગુણ થા પણ ભક્ત થા એટલે થયું. કોરો પથ્થર જેવો રહીશ માં .