તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

એ કહેવું ન જ ગમે  પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ  અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!! 

આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે  ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે. 

કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી.  કારણ કે આપણને  જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા  નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે.  બહુ સ્પષ્ટ  માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા,  આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે. 

કોઈ કહે કે,  મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે  અઘરો દાખલો તમને સોંપ્યો છે.  શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને  એમણે ખાસ પસંદ કર્યા છે.  કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે.   કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ  મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે. 

વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે  જે એમકહે છે કે,  પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’  એનો અર્થ એવો છે કે, માતા પિતાને  ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે,  તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના  પેરેન્ટિંગના  પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ  તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ  થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં  આવે છે?’,  ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને  મજા આવી ખરી ? શાણો  મહેમાન હોય તો એને  ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા  ઘરનું. 

હવે  જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે,  બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે  બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું  એટલે શું?  જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’. 

એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે  પૂર્વ જન્મ, હવે  આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે  પૂર્વજન્મમાં  નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો  ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે  કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)