તા. બાવીસ, જાન્યુઆરી, ૨૦૨૪ રાષ્ટ્ર માટે અને સર્વે શ્રી રામ ભક્તો માટે સ્મરણીય બની રહી..અને અમારાં પ્રેમમંદિર માટે તો ચમત્કારિક પણ…

સૌ દેશવાસીઓ અયોધ્યા પર દૃષ્ટિ સ્થિર કરીને એકાગ્ર હતા ત્યારે પ્રેમમંદિર ની દ્વારઘંટડી રણકી..અત્યારે કોણ ?? એવાં પ્રશ્નાર્થ સાથે અતિથિઓને આવકાર્યા તો સાનંદ આશ્ચર્ય થયું… શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માં અમ દંપતી પાસે ભણી ગયેલ શ્રી પરેશ ડાહ્યાભાઈ ખૂંટ, તેમનો પુત્ર અને તેમનો જમાઈ મલકતા પ્રવેશ્યા ને ઈલા ટીચર ની તસવીરે આંખ ઝુકાવી.

હા, ૨૧ મીએ પરેશ ત્રણ ભાઈઓ જેનું સંચાલન કરે છે તે રણછોડનગરમાં ચાલતી બે સ્કૂલ ના વાર્ષિક સમારોહમાં મારે જવાનું હતું પણ શરદી તાવે જવા ન દીધો..

આ પરેશ ભાઈઓ એટલે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ૬૦ વર્ષ પહેલાં અમારી સાથે જ ભણીને સેવક બન્યા પછી શિક્ષણ પ્રાપ્ત કરી એ જ સ્કૂલમાં ક્લાર્ક બનેલ શ્રી ડાહ્યાભાઈ વશરામભાઇ ખૂંટ ના ત્રણ દીકરાઓ..!! આજે રણછોડનગરમાં બે સ્કૂલ અને પ્લે હાઉસ નું સંચાલન કરે છે. અને ખાસ તો,,,,અમારી જેમ જ પ્રિય મોરારિબાપુ ના અનન્ય flowers છે.

થોડીવાર ગપસપ કરીને બરાબર બાર વાગ્યા એટલે તેઓએ એક ગિફ્ટ પેક ખોલ્યું ને મને ભેટ ધર્યું.. જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન સૌને થઈ રહ્યાં હતાં ત્યારે જ તે ઘડીએ જ પ્રેમમંદિરે અમારા પ્રિય પરિશ્રમી વિદ્યાર્થી પરેશ અને પરિજનોએ મારા હાથમાં શ્રી રામ મંદિર, અયોધ્યાની ધાતુની વજનદાર પ્રતિકૃતિ મૂકી…અમે ઉપસ્થિત સૌ ગદગદિત હતાં અને અવાચક પણ!!

શ્રી રામ આમ પ્રેમમંદિરે પધારશે તેવી તો કલ્પના ય ક્યાંથી હોય ?? હું તો શ્રી મોદીજી જેટલો જ ઉત્સાહિત હતો..અને છું પણ…

આજની શિક્ષા વ્યવસ્થામાં પણ આવા વિદ્યાર્થીઓ દીવાદાંડી સમાન છે કે જે પૂરા આદરથી સતત શિક્ષક દંપતિની સાથે ને સાથે જ છે.

એક વાત ખાસ નોંધું: શ્રી પરેશ પરિવાર પોતાની સાથે મારા માટે શરદી અને તાવના ઉપચાર સમ ટેબ્લેટ પણ લાવેલા અને ટેબ્લેટ લીધા પછી પીવા માટે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ…!!!

પ્રેમમંદિરે થી જ્યારે તેઓએ મગજની પ્રસાદી લઈને વિદાય લીધી ત્યારે અમને અયોધ્યા જઈ આવ્યા જેટલો સંતોષ હતો.
ભદ્રાયુ (પ્રેમમંદિરેથી)