‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

‘સૈરન્ધ્રી’ની સર્જનયાત્રા કવિ મુખેથી…

'સૈરન્ધ્રી'ની સર્જનયાત્રા કવિ મુખેથી

કવિતા : માર્ચ -એપ્રિલ 2024 : વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

SaiRandhri.3
SaiRandhri.5
SaiRandhri.7

કવિશ્રી વિનોદ જોશી સાથે ભદ્રાયુ વછરાજાનીએ કરેલો દીર્ઘ-અંતરંગ-સંવાદ

ભદ્રાયુ : સૈરન્ધ્રીનું સર્જન થઈ ચૂકયું છે, ત્યારે વિનોદભાઈ, એક પ્રશ્ન એ થાય છે કે સૈરન્ધ્રી નામ શાસ્ત્રોમાં હતું, પણ જનસામાન્યમાં એટલું પરિચિત ન હતું, જે હવે તમારાં પ્રબંધ કાવ્ય પછી સૌનાં કાનમાં ગૂંજવા લાગ્યું છે ને દિલમાં વસવા લાગ્યું છે, ત્યારે તમને પહેલાં તો એ પૂછવાનું કે આ વિચાર કયાંથી આવ્યો કે આ બીજ તમારા મનમાં કયાંથી રોપાયું? કયારથી આવ્યું? અને કેમ તે વિકસ્યું?

વિનોદ જોશીઃ ભદ્રાયુભાઈ, સૈરન્ધ્રી કાવ્ય તો હજુ રચાયું હમણાં, એટલે કે ફેબ્રુઆરી-૨૦૧૮માં એ

સંપન્ન થયું પણ છેલ્લા દોઢ દાયકાથી એનું અનુસંધાન મારાં ચિત્તમાં સધાયું હતું. સૈરન્ધ્રી તો એક વળાંક છે, વાસ્તવમાં તો મેં લખવા ધારેલું ‘બૃહન્નલા’…મારાં નવાં કોઈ પુસ્તકમાં પણ ‘હવે પ્રકાશિત થનારાં મારાં પુસ્તકો’ની યાદીમાં પણ મેં ક્યાંક ‘બૃહન્નલા’નો ઉલ્લેખ કર્યો છે. એટલે મારું લક્ષ્ય ‘સૈરન્ધ્રી’ નહીં પણ ‘બૃહન્નલા’ હતું, તેમ તમે કહી શકો. મને એમ થયું કે મેં ‘શિખંડી’ લખ્યું છે તો વળી બીજા એક પાત્ર વિષે લખું કે જે મેઈનસ્ટ્રીમ કેરેકટર નથી. શિખંડી એ જેમ દ્વૈતમાં રાચે છે, એ સ્ત્રી-પુરુષ બંનેના વ્યક્તિત્વનો અનુભવ કરે છે, એના પૂર્વકાળમાં અને પછીના કાળમાં; એ રીતે બૃહન્નલાનું કોઈ સૂચન મને અંદરથી મળ્યું હશે ને મેં વિચાર કરેલો કે હું ‘બૃહન્નલા’ પર લખીશ. મેં લખવાનો પ્રયત્ન કર્યોને એ કાવ્ય પણ સર્ગબદ્ધ કરવું એવી મારી ઈચ્છા હતી. મેં એનો પહેલો સર્ગ શરૂ કર્યો ત્યારે વિચાર્યું કે જો હું આ પ્રકારનાં પાત્રોને લઈને જ લખવાનો છું તો પછી બધાં કાવ્યો એક સરખી ઢબનાં જ લખવાં જોઈએ કે જે ઢાંચામાં શિખંડી લખાયું –ચાર ચાર શ્લોકોમાં જે લખાયું-તો હું એવી રીતે જ આ પણ લખું..એમાં આરંભે મારે એવું પ્રસ્થાપિત કરવું હતું કે અર્જુન મૃદંગ વગાડે છે, ‘બૃહન્નલા’ બનીને અને એને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ જાય છે. હવે આનો ખ્યાલ અર્જુનને આવી ગયો કે પોતાને મૃદંગ વગાડતો સૈરન્ધ્રી જોઈ ગઈ છે, તો એ જાણ્યા પછી અર્જુન પોતાનાં વિષે શું વિચારતો હશે તે મારે આલેખવું હતું! મેં એ રીતે શરૂ કર્યું, અને એમ માનો ને કે ચાર-ચાર પંકિતના ત્રીસ-ચાલીસ શ્લોકો તો મેં લખ્યા. પણ જેમ જેમ હું લખતો ગયો તેમ તેમ હું અનુભવતો ગયો કે આ ખરી કટોકટી તો અર્જુનની નથી, પણ એ તો સૈરન્ધ્રીની છે. એટલે મેં લખવાનું પડતું મુક્યું! હું જેને વિષય બનાવવા માંગતો હતો તે તો ગૌણ બની ગયોને જે ગૌણ લાગતું હતુંતે મુખ્ય થઈ ગયું! અને એક વાત એ પણ હતી કે ‘બૃહન્નલા’ બનતા અર્જુનની સમાંતરે જ કંક બનતા યુધિષ્ઠિર કે બલ્લવ બનતા ભીમની પણ એકસરખી વેદના પણ હોય શકે ને! તો આ બધા પુરુષો છે જે યુદ્ધવીરો છે ને બાણાવળીઓ છે ને કોઈ વળી ગદાધારી છે તો કોઈ બુદ્ધિનિષ્ઠ છે એટલે એમની પાસે એમના રસ્તાઓ છે, પણ સૈરન્ધ્રી એવું પાત્ર છે કે જે નથી કોઈને કંઈ કહી શકે તેમ કે નથી એમની પાસે એવું વ્યકિતગત સામથ્ર્ય કે જે અર્જુન પાસે છે કે ભીમ પાસે છે! તો આ એક એવું પાત્ર છે કે જે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તો Why not to move upon them? મને સમજાયું કે ખરેખર તો સૈરન્ધ્રી મારું લક્ષ્ય છે. હું જે કહેવા માગું છું તેની વિગત તો મારે સૈરન્ધ્રીનાં સંદર્ભમાં કહેવી વધુ ઉચિત છે એટલે હું જે લખતો હતો તે મેં પડતું મુક્યું, જેની સ્ક્રીપ્ટ મારી પાસે છે, પણ હું એમાં આગળ ન વધ્યો.

સૈરન્ધ્રી તો હવે દાસી છે સુદેષણાની, એટલે મારી વાતમાં જો એક દાસી અને એક રાણીના વિરોધાભાસી સંકેતોથી શરૂ થાય તો તરત અપીલ કરે, એટલે મારે મારી વાતની શરૂઆત સુદેષણાથી કરવી જોઈએ… તો એવું કરવું કેવી રીતે? મેં નક્કી કર્યું કે હવે મારે સૈરન્ધ્રી પર કાવ્ય નથી લખવું પણ મારે તો સૈરન્ધ્રી પર નાટક લખવું છે, એટલે નાટક લખવાનો મેં પ્રારંભ કર્યો ને મેં કલ્પિત પાત્રો પણ એમાં ઉમેર્યા. સૈરન્ધ્રી અને સુદેષણા વચ્ચે થતા સંવાદો મેં લખ્યા. લગભગ ત્રણ ચાર દશ્યો મેં લખ્યાં, પણ પછી મને થયું કે જે વાત મારાં મનમાં રમી રહી છે એ તો ‘અજ્ઞાત હોવાની ને પોતાનું જે જ્ઞાત વ્યક્તિત્વ છે તેને છૂપાવવાની’ વાત હું નાટકમાં બરાબર મુકી નથી શકતો, કારણ સંવાદમાં મારે જે કહેવું છે તે વાત આવતી નથી એટલે પોત જે બંધાયું છે એ તો કવિતાનું જ છે, નાટકનું નથી. મેં નાટક પણ છોડી દીધું. એની સ્ક્રીપ્ટ પણ મારી પાસે હજુ પડી છે. તો બૃહન્નલામાંથી સૈરન્ધ્રી બની, વૃત્તબદ્ધ કાવ્ય છૂટી ગયું ને નાટક જે અંકબદ્ધ લખાતું ગયું હતું એ પણ મુકાય ગયું! પછી મને થયું કે આ વાત બંધાતી નથી. મારે જે કહેવું છે તેનો પિંડ બંધાતો નથી. તો મારે શું કરવું?

ભદ્રાયુ: ઓહો, આ ક્ષણ તો કપરી ગણાય. સર્જક ખળભળી ઊઠે તેવી !

વિનોદ જોશીઃ હા, ખરું મનમાં જે ઉથલપાથલ થતી હતી તે એ હતી કે મને બધું આવડે છે ને તે છતાં હું તે કરી શકતો નથી. કવિતા લખી શકું તેમ છું છતાં કવિતા લખી શકતો નથી, તો મારી જે ઉર્જા છે એને રોકે છે કોણ? કોઈક નિયંત્રિત પરિબળ એવું છે કે જે મારા શબ્દોને પ્રગટવા દેતું નથી તો એ છે શું? મારી સર્જકતાને દાબ આપતું હોય એવું કંઈક મારી આસપાસ મને અનુભવાયું. પછી મેં એની શોધ કરી કે એવું છે શું? તો મને લાગ્યું કે મારી મૂંઝવણ કંઈક અલગ છે. મારું મનોમંથન ચાલ્યું. આપણી આસપાસ રચાતા વ્યવહાર જીવનના રોજબરોજના બનતા બનાવો-ઘટનાઓ કે દૈનંદિની એ બધામાં આપણે જેમ ઈચ્છીએ છીએ એમ તો આપણે કંઈ કરી જ નથી શકતા. બીજા જેમ ઈચ્છે છે એમ જ આપણે તો બધું કરવું પડે છે! તમે યુનિવર્સિટીમાં હો તો પણ તમારે બીજાની ઈચ્છા પ્રમાણે કરવાનું કે તમે ઘરમાં હો તો પણ અન્યને શું ગમશે તે યાદ રાખીને વર્તવાનું કે તમે બહાર રસ્તા ઉપર કોઈને મળો તો પણ તમારે તમારું વર્તનવિજ્ઞાન અંદરથી અલગ વિકસાવવાનું અને એ રીતે વ્યવહારના આટાપાટા રચી લેવાના ! જો હું બીજાને ગમે તેમ આ બધું કરી લેતો હોઉં તો પછી હું બીજાના વતી જીવું છું, તો મારું જીવન કયારે જીવીશ? એને ગમે છે કે મારે આ રીતે જીવવું જોઈએ ને હું એમ જ જીવી રહ્યો છું તો તો હું બીજા વતી જીવી રહ્યો છું! તો મારે એ ખોજ કરવી જોઈએ કે ‘મારું જે છે તે’ કે ‘મારું નિજત્વ છે’ તે શું છે? આ કોયડો કાંઈ એટલો મોટો નહોતો એવું મને ત્યારે લાગ્યું. મન કહેતું હતું કે, ‘આતો ઠીક છે, વ્યવહાર જીવનમાં તો એકબીજાને અનુકૂળ થઈને જ જીવવાનું હોય ને આવું જ બધું હોય ને કાળયાત્રા તો આમ જ ચાલે ને ?’ એટલે કયારેક આ વાત સાવ ફુગ્ગા જેવી થઈ જાય – સાવ ચપટ થઈ જાય તો વળી કયારેક એવો ધક્કકો વાગે કે ના-ના, આ તો યોગ્ય ન કહેવાય! વિચાર આવે કે આયુષ્યનાં આટલાં વર્ષો ગયાં તે આપણે ઈન્વેસ્ટ કયાં કર્યાં? ધારો કે હું મારો એક કલાક કોઈ જગ્યાએ આપું છું તો તે મારું ઈન્વેસ્ટમેન્ટ છે, એટલે કે મેં મારા આયુષ્યમાંથી એક કલાક ઓછો કર્યો ને કોઈક જગ્યાએ રોકયો તો એ મારાં માટે વળતરરૂપ છે ખરો કે એનાથી મને કંઈ ફાયદો થયો કે મારી કોઈ ઉત્ક્રાંતિ થઈ ખરી? જ હું આવું ન કરી શકતો હોઉં તો મારો જે સમય વપરાયો તે તો એની ઈચ્છા પ્રમાણે ખર્ચાયો. એનો અર્થ એ થયો કે જીવન મને મળ્યું છે ને હું એને મારા માટે તો વાપરતો નથી! જીવનની જે ખરી ખુબી છે મારું ન્યુકિલયસ જાણવાની, તે તો હું કદિ જાણવાનો જ નથી. કારણ હું બીજાનાં ન્યુકિલયસને જાણ્યા વગર તેનાં માટે બધું કર્યા કરું છું! હું મને બધાની વચ્ચે, મને જ ઈત્તરજન કે આઉટ સાઈડર લાગવા માંડયો! મનમાં દાંતાવાળા બે ફરતાં ચક્રોનું રૂપક પણ આવ્યું કે જે એકબીજામાં ભેરવાયેલાં અને એકબીજાની ગતિને લઈને હારોહાર ગતિ કરતાં એ બન્ને ચક્રો જેવું મારું જીવન છે. બન્ને ચક્રો સ્વતંત્ર છે અને નથી પણ…આવી મારી સ્થિતિ છે એટલે હું ઓગળી નથી શકતો; મારે તો ઓગળવું હતું. હું જે સમષ્ટિનો અંશ હોઉં, હું જે વ્યકિતમત્તાનો ધબકાર હોઉં અથવા હું જે વાતાવરણમાં વિસ્તરવા માંગતો હોઉં તેને બદલે હું આમ દાંતામાં દાંતા ભરાવી માત્ર ફર્યા કરું તો એ અર્થહીન છે! મને થયું કે મારે ભળવું છે અને જો મારે ભળવું હોય તો મારે ઘણામાં ઉતરવું પડે, ઘણાને જાણવા પડે! આસપાસ જે હોય તેને જાણવામાં તો મને રસ હતો નહીં. બસ આ પળે આ બધાં પાત્રો મને વળી પાછા અંદરથી મજબુર કરવા લાગ્યાં! એમણે કહ્યું જાણે કે, ‘જુઓ અમે જુદા છીએ. અમે વ્યવહારજીવન કરતાં અલગ છીએ.’ એટલે મને સમજાયું કે આ પાત્રો મારાં કામનાં છે. મારા માટે તો કામનો હું પણ હતો, કૃષ્ણ પણ હતા, કિચક પણ હતો, દ્રૌપદી પણ હતી! ઘણાં બધાં પાત્રો મને એવાં મળ્યાં કે જે વ્યવહાર જીવનમાં જુદી રીતે જીવનારા ને છતાં પોતાનું નિજી વ્યક્તિત્વ બનાવી રાખનારાં હતાં.. તેમાં સૈરન્ધ્રીએ મને બરાબર પકડયો. મને થયું કે સૈરન્ધ્રી સ્ત્રી તો છે જ, પણ સાથોસાથ એ મહારાણી છે, એ દાસી પણ છે, એ વળી પાંચ પતિની પત્ની પણ છે અને એવી એ સ્ત્રી કે જેને પાંચ પતિ હોવા છતાં અજ્ઞાતવાસમાં એમણે પાંચેયથી દૂર રહેવું પડે તેવી નિયતિને વશ થયેલી છે. આ વ્યવહાર જીવનમાં શકય નથી. નારીત્વનો જો સૌથી તીવ્ર અનુભવ કોઈ કરે તો તે સૈરન્ધ્રી જ કરે અને આ બિંદુ મારી અંદર ચોંટી ગયું… પણ આ લખવું કેવી રીતે ? મારા આ વિચારને સુદ્રઢકો સાંપડે એટલે બધાને કહેતો રહ્યો કે, ‘હું આવું કંઈક લખી રહ્યો છું’, ‘હું સૈરન્ધ્રીને કેન્દ્રમાં રાખીને કશુંક લખવા માંગું છું’ કે ‘હું પ્રબંધ કાવ્ય રચી રહ્યો છું!’ એટલે તમારાથી માંડીને મેં મોરારિબાપુ સુધીના બધાને કહ્યું કે ‘હું આવું એક મોટું કામ કરી રહ્યો છું, હકીકતે મેં એક શબ્દ પાડયો ન હોય ! તો બધાંને એમ હતું કે હું બીજું કાંઈ લખતો નથી. હું ઘણા વર્ષોથી જે ગીતો-સોનેટ-કાવ્યો લખતો હતો તેમાં કશું ઉમેર્યું નથી. છેલ્લા દસ વર્ષોમાં કંઈ ઉમેર્યું નહીં, માત્ર બે-ચાર રચનાઓ થઈ હશે ત્યારે! બધાને એમ હતું કે હું બહુ મોટું કામ કરી રહ્યો છું એટલે બીજું લખતો નથી. પણ એ સૌની ભ્રમણા હતી. કારણ હું કાંઈ લખતો જ ન હતો! લખવાનું મન કરું-બેસું-કોરા કાગળનો સામનો કરું ને મને બહુજ નિરાશા થઈ જાય ને લખી જ ન શકું..! એમાં એક ઘટના બની. અમે દક્ષિણ ભારતનાં એક સ્થળે ફરવા ગયેલા ને એક મંદિરમાં મેં સરસ્વતીની એક મૂર્તિ જોઈ. એટલી પ્રભાવક મૂર્તિ હતી કે તેને જોઈને મને એમ થયું કે આ મારી સગી મા છે, હું એનાં ખોળામાં મારું માથું મૂકી દઉં ને મારી આંખોમાંથી વગર કહ્યું આંસુ દદડવા લાગ્યાં, એટલી તીવ્ર અનુભૂતિ થઈ મને સરસ્વતીની એ પ્રતિમા પાસે! મેં આશીર્વાદ માંગ્યા કે, ‘હું અહીંથી જતો રહેવાનો છું પણ મા,તું મારી પાસે એવું કંઈક લખાવ કે જે હું ઝંખી રહ્યો છું, આવું મેં ત્યાં અનુભવ્યું, તીવ્રતાથી અનુભવ્યું અને ‘સૈરન્ધ્રી પ્રબંધ-કાવ્ય’નાં પ્રારંભે જે મેં સરસ્વતીને પ્રાર્થના લખી છે તે એ માતાને માટે લખી…! કાવ્યશાસ્ત્રવિદ્યાથી સાવ અલગ થઈ જઈને કે ભાષાનાં ઓજારો કે ભાષાની શકિતઓથી સાવ તટસ્થ થઈ જઈને કે કવિતાની કોઈ પળોજણને વચ્ચે લાવ્યા વગર એક અબુધ બાળકની જેમ સરસ્વતીને પ્રાર્થી લીધાં ને કહ્યું કે: ‘માતા, મારી પ્રથમ પૂજાની તું લાજ રાખ’… આ એવી ભાવાત્મક સ્થિતિ હતી કે એની તીવ્રતા મારાં મન પર બહુ રહીને સાતત્યપૂર્વક રહી.

ભદ્રાયુ: હા, કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના.…

વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા,

કાગળનો ખાલી ખૂણો આપજો…

પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા,

વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંયાં સરસવતી માતા,

અમરતમાં બોળી અંજળ ચાખજો….

પડતર ઓછાયે અમને લૂંટયા સરસવતી માતા,

પરથમ પૂજયાની લાજું રાખજો…

વિનોદ જોશી : હા પણ એ પછી લખવા બેસું તો કાવ્ય લખાય નહીં… એમાં બન્યું એવું કે અસ્મિતાપર્વના અંતે છેલ્લો દિવસ હોય તે હનુમાન જયંતિએ સવારે એક કલાક ચિત્રકુટધામમાં સુંદરકાંડનો પાઠ થાય. વાલ્મીકિનો સુંદરકાંડ તો મેં વાંચેલો પણ તુલસીદાસજીના સુંદરકાંડથી હું પરિચિત ન હતો. હું જોઉં કે બધા તાલબદ્ધ ગાય છે ને એનાં આંદોલનો હવામાં પ્રસરે છે. મન થયું કે હું પણ સાથે ગાઉં. મને મોઢે ન આવડે પણ બધાની સાથે વાંચીને હું ગાવા લાગ્યો. ચોપાઈ અને એમાં આવતા દોહરાનું અનુરણન એ વખતે થાય. આવું એક વર્ષ નહીં પણ વારંવાર વર્ષોવર્ષ હનુમાન જયંતિએ હું સૌ સાથે આ સમુહ પાઠ કરું. એ સમુહ ગાન કરતાં કરતાં મને અંદર કંઈક ગૂંજનનો અનુભવ થાય, शुंड युगींग अंध्र थतुं होय से जागे. Not the perfect music, but musing, ગુંજારવ, કંઈક અનુરણન! મને એનાથી મઝા આવતી. વારેવારે પ્રયત્ન કરું કે હું આવી મોટી રેન્જનું કે મોટા સ્કેલનું કાવ્ય કરું પણ થાય નહીં. એક વખત એવું બન્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં મધ્યકાલિન કૃતિઓને કેન્દ્રમાં રાખીને મધ્યકાલિન કૃતિઓ વિષે વાત કરવા માટે જુદા જુદા વકતાઓને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં મને પણ નિમંત્રણ મળ્યું. ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ કે જે ચૌદમી સદીમાં ગણપતિ નામના કવિએ લખેલું તેનાં વિષે વાત કરવાનું મને સોંપાયું મારી પાસે તો કૃતિ હતી નહીં, પણ ઝેરોક્ષ કરાવીને મને મોકલવામાં આવી. મેં એ ઊંડાણથી વાંચી ને હું એટલો બધો પ્રભાવિત થયો કે મને ઝબકારો થયો કે આ કૃતિ જેમ સરળતાથી માત્રામેળ પદછંદમાં લખાયેલ છે ને જે મોટા સ્કેલ પર લખાયેલ છે તેવું મારે પણ લખવું છે. જે મોડેલ હું શોધતો હતો તેનો સૌથી પહેલો અણસાર મને ‘માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્ય’ માં મળ્યો. માધવ અને કામકંડલા એવાં બે પાત્રો છે. માધવ બહુ સુંદર પુરુષ છે અને કામકંડલા નર્તકી છે. આમ તો ઉદયન કથાઓ કે જે વિક્રમ રાજા સાથે જોડાયેલી છે, તેની આખી વાત એમાં છે. આ કાવ્યએ મને ધક્કો માર્યો અને મારા મનમાં આવ્યું કે મારે આવું કંઈક લખવું… જો કે, આ તો બહુ લાંબું કાવ્ય હતું અને એટલું બધું લાંબું હું લખી શકું એવું મારું ગજું છે એવો આત્મવિશ્વાસ મારો હતો નહીં, પણ મને થયું કે શરૂ તો કરું. એટલે મેં એક ખંડ લખ્યો. એ લખતી વખતે હિન્દીના મોટા કવિ જયશંકર પ્રસાદનું ‘કામાયની’ મારાં વાંચવામાં આવ્યું. એનો પ્રારંભ એમ થતો હતો કે ‘હિમગિરિ કી ઉત્તુંગ શિલા પર બૈઠ…’ હિમગિરિની ઉચ્ચ શિલા પર બેઠેલો એક પુરુષ તેની ભીની આંખોથી આખા જગતને અવલોકી રહ્યો છે ! તો એક દ્રશ્ય આવ્યું મારાં મગજમાં અને એકાએક મારાથી લખાય ગયું :

વિવશ સાંજ નભ નિરાલંબ, નિસ્પંદ સમીર નિગૂઢ, એક યૌવના નતમુખ ઊભી, વ્યગ્રચિત્ત સંમૂઢ!

એમાં એક પુરુષની કલ્પના હતી તે અહીં સ્ત્રી થઈને અવતરી. જયશંકર પ્રસાદ તો બહુ મોટા કવિ ને ‘કામાયની’ તો મહાકાવ્ય કહેવાય..! બસ, તો શરૂઆત થઈ ગઈ આ રીતે ને સળંગ ચાલ્યું ને લગભગ છ શ્લોક થયા પણ પછી અટકી જવાયું. મને થયું કે મારે માધવાનલ કામકંડલા જેવું લખવું હોય ને હું અહીં જ અટકી જઉં તો કેમ સર્જન થશે? વચ્ચે વચ્ચે થોડું લખાય પણ પછી હું કાગળ બદલું-પેન બદલું-મને બધા મિત્રો-સ્નેહીઓ જન્મદિવસે આઠ-દસ પેન ભેટ આપે ને ડાયરી ભેટ આપે ને કહે કે આમાં તમે લખજો. પણ લખાય જ નહીં તેનું શું કરવું? આમ કરતાં કરતાં આખો દાયકો પસાર થઈ ગયો. અંદર બધું ઉપરતળે થયા કરે પણ કશું નક્કર નિપજે નહીં. એટલી બધી વિવશતા થયા કરે! એક તબક્કો તો એવો આવ્યો કે મને થયું કે મારી સર્જકતા ક્ષીણ થઈ ગઈ. હવે હું લખી શકું, એવી સ્થિતિમાં જ નથી. અંદર-અંદર પેલી નિજતાની શોધ અને તેનાં પર બાહ્ય આવરણોના સકંજાની ભીંસ વધવા લાગી. કોઈવાર તો એવું થાય કે હું લખી ન શકું, તો મને રડવું આવે! (આ વાતની તો કદાચ વિમલને પણ ખબર નથી) હું એકાંતમાં એકાદ ખૂણે બેસી આંસુ સારી લઉં ને કંઈ નથી લખાતું તેનો મને અત્યંત વસવસો થવા લાગે અને મને એમ થાય કે મારાં આટલાં ગીતો ગવાતાં હોય, મારી આટલી પ્રશંસા થતી હોય ને બધા મારા ફેન મારી પાસે ઓટોગ્રાફ માંગે ત્યારે મને અંદર પડઘાય કે ‘શું તું કાંઈ લખી તો શકતો નથી ને અત્યારે આ ઓટોગ્રાફ આપી રહ્યો છે?’ – આવી મારી અંદર વિડંબણાની પળ વીતવા લાગી. મને એ ભાર અસહ્ય થાય તેવી હદે અનુભવવા લાગ્યો! પછી મને થયું કે હું જો ભાષાથી સાવ છૂટી જ જઈશ તો હું કંઈ લખી જ નહીં શકું એટલે હું પછી વિવેચનો લખવા મંડયો, કાવ્યોના આસ્વાદો લખવા મંડયો ને કોલમ શરૂ કરી દીધી કે જેથી સળંગ લખવાનું ચાલુ રહે! પણ એ એકેયથી મને સંતોષ ના મળ્યો. મારી અંદર જે ક્રિએટીવીટી હતી અને એને જે કાટ ચડયો હતો તેને ઉતારવા માટે મારે કોઈ કાનસની જરૂર હતી. અને એમાં આ સુંદરકાંડનો પાઠ મારી મદદે આવ્યો હોય એવું હું માનું છું. સીધી તો મદદ મળી છે એમ નહીં કહી શકાય કારણ આ બધું સંચિત હોય છે પણ નહીં તો હું ચોપાઈમાં કશું લખત જ નહીં! પણ એ ચોપાઈમાં આવ્યું તે નક્કી..વળી થયું કે પહેલો ખંડ મેં લખ્યો હતો તેને જો હું ચોપાઈમાં બદલી નાખીશ તો મેં બાંધેલો આધાર વીંખાશે એટલે હું એને એમને એમ રહેવા દઉં ને પછીનું ચોપાઈમાં આગળ ધપાવું. એટલે આ સાત સર્ગનું કાવ્ય છે, સાતેય સર્ગમાં સાત ખંડ છે પણ પહેલા સર્ગના પહેલા ખંડને મેં જે રીતે લખાયો હતો એમ જ રહેવા દીધો! કારણ એમાંથી જો દુહો નીકળી જાય તો હું લટકી જઉં! એ પંક્તિઓ પૂરેપૂરી ચોપાઈની નથી કારણ તેમાં પાંચ માત્રાઓ ઓછી છે. છેલ્લી પાંચ માત્રા ‘લગાગા’ ઓછી છે, પણ એને મેં એમ જ રહેવા દીધી પણ પછીનો જે ખંડ આવ્યો તે ચોપાઈ સ્વરૂપે લખાવા લાગ્યો!

ભદ્રાયુ : વિનોદભાઈ, આ સમગ્ર સર્જન અહીં ગુજરાતમાં કે ભારતમાં જ થયું?

વિનોદ જોશી: નવાઈની વાત એ છે કે અટકી ગયા પછીનું કાવ્ય અહીં ભારતમાં નહીં પણ ઓસ્ટ્રેલિયામાં આગળ ચાલ્યું.

ભદ્રાયુ : વિનોદભાઈ, એનો અર્થ એ થયો કે આ પ્રબંધ કાવ્યનો વિચાર બૃહન્નલામાંથી ઉતર્યો, એનો ધ્વનિ વળી સુંદરકાંડમાંથી મળ્યો, એનું બંધારણ માધવાનલ કામકંડલા પ્રબંધ કાવ્યમાંથી પકડાયું, એનો પ્રારંભ ‘કામાયની’ માંથી સૂઝી આવ્યો ને બધાંનું સંમિલન થયું ને તમારી પેલી આઈડેન્ટીટીની ખોજ કે નિજતાની શોધ માટેની મથામણ તો વળી ખુદ સૈરન્ધ્રીમાંથી મળી આવ્યાં એવું બન્યું ને? અને એટલે જ તમારું મન કદાચ ‘સૈરન્ધ્રી’ માં ઠર્યું હોય એવું કહેવાય?

વિનોદ જોશી : હા, એ ખરું, એવું કહેવાય પણ એવું તો તમે અર્જુનમાં પણ રોપી શકો, યુધિષ્ઠિરમાં પણ રોપી શકો પણ સૈરન્ધ્રીની વ્યક્તિમત્તા પેલાઓ કરતાં જુદી છે. દ્રૌપદીનું પોતાનું અર્જુન કે ભીમ પ્રકારનું વ્યક્તિત્વ નથી. દ્રૌપદી તમને હંમેશા લાચાર સ્થિતિમાં જોવા મળશે. એને કૃષ્ણ મદદ કરવા આવે ને એને ભીમ મદદ કરવા આવે કે બીજા કોઈ મદદ કરવા આવે, એટલે કે દ્રૌપદીને મદદ કરનારો એક આખો વર્ગ છે. જયારે પેલા મદદ લેનારા નથી, મદદ કરનારા છે, તો એ રીતે સૈરન્ધ્રી વધુ ધારદાર પાત્ર છે. અને એથી સૈરન્ધ્રી પર સર્જન થયું એમ માની શકાય.

ભદ્રાયુ : એટલે વિનોદભાઈ, આપણો જે એક અજ્ઞાત ખૂણો જે સતત યાદ અપાવ્યા કરે છે કે હું અજ્ઞાત છું ને આપણે જે એક શોધ કરી રહ્યા હતા તે દ્રૌપદીનો અજ્ઞાતવાસ એ સૈરન્ધી છે, એટલે એ આપણને પોતીકો લાગ્યો હોય ને આપણું મન તેમાં ઠર્યું હોય. કદાચ એટલે જ અહીં ભારતમાં સર્જકના મનમાં જે ઠર્યું તે ઓસ્ટ્રેલિયા જઈને અવતર્યું…!

વિનોદ જોશી : મને એમાં એક યોગાનુયોગ પણ લાગે છે કે ભારતીય પરિવેશમાં દ્રૌપદીએ સૈરન્ધ્રી બનીને જ રહેવું પડે તેવી સ્થિતિ હતી, જયારે ઓસ્ટ્રેલિયામાં દ્રૌપદી ‘દ્રોપદી’ બની શકી. પોતાને સૈરન્ધ્રી રૂપે જોનારી દ્રૌપદી ત્યાં પોતાને દ્રૌપદી રૂપે પામી શકી. એટલે એ સ્થાનવિશેષનાં જે લક્ષણો છે એ હું આ સર્જનમાં જોઈ શકું. અહીં ખંડમાં હતું તે ત્યાં અખંડ થયું. નવાઈની વાત એમ છે કે માર્ચ-એપ્રિલ ૨૦૧૭માં હું ત્યાં ગયો ત્યારે મેં ત્યાં ત્રણેક સર્ગ લખ્યા પછી ભારત આવવાનું થયું. મને હતું કે હવે સારી રીતે શરૂ થયું જ છે તો ભારત જઈ સરસ રીતે આગળ ચાલશે પણ આશ્ચર્ય વચ્ચે ભારત આવ્યા પછી કશું જ આગળ ન વધ્યું અને ફરી પાછો મૂંઝારો વધ્યો. કારણ શરૂઆત થઈને ફરી પાછું અટકયું! પણ ફરી પાછું સમયપત્રકમાં ન્હોતું તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા જવાનું થયું ને ત્યાં અધુરું કાર્ય પૂરું થયું! એટલે, આ ચમત્કાર તો શું કહીએ પણ દોઢ દાયકાની અહીંની મથામણ કુલ ત્રણેક મહિનામાં ‘સૈરન્ધ્રી’ થઈને ઓસ્ટ્રેલિયામાં અવતરી!

ભદ્રાયુ : વિનોદભાઈ, સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય પૂર્ણ થયા પછી પૂછું કે તમારી આ સર્જનયાત્રા વિશિષ્ટ પડાવો સાથે આગળ ધપી. શરૂઆતમાં અટકયા, પછી શરૂ થયું. નહોતું આવતું તો મૂંઝારો થયો, ફરી અટકયા ને ફરી આગળ ધપી પૂર્ણ થયું. જયારે ન્હોતું લખાતું ત્યારનો મૂંઝારો તમે વર્ણવ્યો પણ જયારે સર્જન થવા લાગ્યું ત્યારની તમારી મન:સ્થિતિ કેવી રહી?

વિનોદ જોશી: બહુજ સુંદર પ્રશ્ન છે. મને થયું કે હવે આ અટકશે નહીં. મને ખાત્રી થઈ ગઈ કે હવે આ પ્રવાહ ચાલશે એટલે જો હું એને નિયંત્રિત નહીં કરું તો એ મને એની રીતે ફંગોળ્યા કરશે અને બનશે એવું કે હું એને વશ થઈ જઈશ. કદાચ રચના પોતે જ ઈચ્છશે તેવું મારી પાસે લખાવડાવશે, એવું મને સમજાવા લાગ્યું. એટલે મેં પછી મારો સકંજો એના પર લગાવ્યો કે મારે આ કાવ્ય એની રીતે ચાલ્યા જ કરે એટલું લાંબું નથી કરવું. મારે એટલું ટૂંકું પણ નથી કરવું કે જેથી કરીને મારે જે કહેવું છે એ અધુરું રહી જાય. એટલે મેં એનું ગણિત માંડી દીધું મારે સાત સર્ગથી વધારે આગળ નથી વધવું.

            સાત સર્ગ તો ખરા પણ દરેક સર્ગ નાના-મોટા તો હોય શકે ને? પહેલો સર્ગ નાનો હોય ને બીજો સર્ગ તેનાથી ચાર ગણો થાય તો ? તો એવું અનિયમિત પણ નથી થવું એની એક સરસ ડિઝાઈન હોવી જોઈએ. અહીં આર્ટીસ્ટની સાથે એક ક્રાફટમેન આવે છે એ આ નક્કી કરે છે કે સાત સર્ગ, સાતેય સર્ગમાં સાત ખંડ, અને સાતેય ખંડમાં નવ શ્લોક…. હવે, મારી પાસે ફ્રેમ તૈયાર થઈ ગઈ. હવે જે નવ શ્લોક છે તેમાંના પહેલા આઠ ચોપાઈના ને નવમો શ્લોક આવે તેમાં બે દોહરા…! ચાર પંકિત એટલે બે દોહરા. આવું એક મોડેલ મેં મારા મનમાં નક્કી કરી લીધું. એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હતું ને આખું કાવ્ય તો મારી અંદર આવી જ ગયું હતું.. એટલે મારે એ જ નક્કી કરવાનું રહ્યું કે કયા પ્રસંગને કેટલા ખંડમાં – કેટલી ચોપાઈમાં સમાવવો, તેનું નિબંધન મેં બરાબર વિચારી લીધું. આમ એની ડિઝાઈન તૈયાર થઈ જેને મેં લખતી વખતે એક શિસ્ત તરીકે સ્વીકારી લીધી.

તમે જોશો કે આ કાવ્યમાં મત્સ્યવેધનો જે પ્રસંગ છે એમાં કર્ણ જે મત્સ્યવેધ કરે છે એ વાતને મેં એન્લાર્જ કરી છે, જયારે અર્જુન મત્સ્યવેધ કરે છે એ વાત મેં બે પંકિતમાં પૂરી કરી દીધી છે. મેં નક્કી રાખ્યું હતું કે અર્જુન નહીં, મારું લક્ષ્ય કર્ણ છે. એટલે અર્જુનની વાત મારે સંક્ષિપ્તમાં કરી દેવી છે કે તેણે મત્સયવેધ કર્યો, પણ કર્ણ મત્સ્યવેધ કરવાનો છે, એ શક્તિશાળી છે, એ માત્ર રમત હોય એવી રીતે એ કરી શકવાનો છે અને કોઈ પરાક્રમ કરવાનું બહાનું લઈને એ આવ્યો છે એવું નથી, એ સ્વયંવર માટે આવ્યો છે એવું પણ નથી એમ બતાવવા માટે મેં કર્ણને ઉપસાવ્યો. અહીં આમ કરવાનું કારણ સ્પષ્ટ છે કે મારા મનમાં અર્જુન હતો જ નહીં, પણ કર્ણ હતો. અર્જુન હોત તો તો હું ‘બૃહનલ્લા’માં જ આગળ વધી શકયો હોત. દ્રૌપદીને પોતાની શક્તિનો પરિચય આપવાનો કોઈ અવકાશ મળ્યો ન હતો કારણ આ પાંચમાંથી કોઈ બાજુમાં દોડી જ આવે ને મારે તો દ્રૌપદીની નિજતાને બહાર લાવવી હતી. હા, દ્રૌપદીને અવકાશ મળેલો પણ એ તો કોઈની ઉપેક્ષા કરવાનો, કોઈની વિડંબના કરવાનો પણ ના, એ માત્ર એમાં જ સીમિત ન હતી, એ તો અગ્નિ જન્ય સ્ત્રી છે ને યૌવનારૂપે જન્મી છે, દૌપદીને શૈશવ છે જ નહીં, તો પછી એ વખતે એમની જે અંગાંગ તરંગિત મુદ્રા હોય એ સામાન્ય સ્ત્રી જેવી ન હોય. અગ્નિકન્યાની પોતાની ઓજસભરી આભા છે. તો મને એવી દ્વૌપદી પસંદ ન હતી. મને ખબર હતી કે સૈરન્ધ્રી તરીકે રહેલી દાસી એ દ્વૌપદી પણ એ ‘દ્રૌપદી’ જ છે, એ દાસી નથી! નામ સૈરન્ધ્રી છે, પણ છે તો એ દ્વૌપદી જ. ક્ષણે ક્ષણે અનુભવે છે કે હું કોણ છું? હું દ્રુપદદુલારી છું, હું યાજ્ઞસૈની છું, હું અવતારી છું, આવું બધું જે એનાં મનમાં આવ્યા કરે ત્યારે એ મૂંઝાય છે કે અહીંયા બધા મને દાસી-દાસી કહ્યા કરે છે એ દાસત્વ શું છે ? જો દાસત્વ એક વર્ષ પુરતું જ હોય તો પછી પણ હું તો દાસ જ છું ! અને આ આખી વાત સમગ્ર માનવજાતને લાગુ પડે છે. આ રીલેવન્ટ છે આજના મનુષ્યના વીતક સાથે! આ એવું છે જે શાશ્વત છે. કવિતામાં જે સનાતન નહીં હોય એ નહીં ટકે. મારે, આજના કવિને, મહાભારતમાંથી શું કામ આ લાવવું પડે છે? હું સ્પષ્ટ છું કે મહાભારતના કવિની કટોકટી પણ આજના જેવી જ હતી એટલે એ પાત્ર અહીં મદદ કરે છે.

ભદ્રાયુ : વિનોદભાઈ, તમે સાત સર્ગ ને સાત ખંડ એવી એક ફ્રેમ બાંધી તો મને કહેશો કે તમે પ્રસંગોને પણ બાંધ્યા કે ના, એ સહજ રીતે આવ્યા?

વિનોદ જોશી: તમે સરસ વાત પૂછી. એમાં મને થોડું કહેવું ગમશે. આપણી જે અવઢવ છે This OR That અથવા Here OR There આવું જે આપણી અંદર ચાલતું હોય છે, આપણું કોઈ પ્લેસમેન્ટ નથી. આપણે એ જ વિચારીએ છીએ કે આમ જવું કે તેમ જવું? તમે કયાં છો એ તો તમે વિચારતા જ નથી! મનુષ્યની આ બહુ મોટી વિડંબના છે. તમે ક્યાં છો એ વિચાર્યા વગર કયાંથી આવ્યા ને કયાં જવાના એ જ અવઢવમાં આપણે જીવીએ છીએ. એટલે મેં ઉંબરને મારું પ્રતીક બનાવ્યું છે ત્યાંથી અંદર પણ આવી શકાય છે ને ત્યાંથી બહાર પણ જઈ શકાય છે. સવાલ એ છે કે તમારી પીઠ કઈ દિશાએ છે?……. સૈરન્ધ્રી ઘડીક અંદર જતી હોય તો ઘડીક બહાર જતી હોય!

ભદ્રાયુ: વિનોદભાઈ, તમે એક સ્થળે ટાંકયું છે તે સૂચક છે કેઃ ‘દ્વાર અંદરથી ખુલ્યાં!

વિનોદ જોશી: હા, તમે સારી રીતે નોંધ્યું છે. એ સિમ્બોલ છે ઉંબર..…. જો કે, મેં બહુ બધું એનાલિસીસ કરીને નથી લખ્યું. પ્રસંગો – ઘટનાઓ – બનાવો તો એની મેળે આવતા ગયા. પણ હા, કોઈ સર્ગ પૂરો થવામાં હોય તો હું સજાગ થઈ જઉં કે એ સર્ગમાં અંતે મારી કોઈ વાત કહી દેવી છે કે કોઈ સ્થિતિનું સર્જન કરી દેવું છે. તો હું તે મુજબ સર્ગને સમાપન માટે રચું એ જુદી વાત છે. અને એવી રીતે એને એક છેડો બહાર કાઢું ને પેલો છેડો હોય તેને વાઈન્ડ અપ કરી લઉં… રચનાકળાનો આ કીમિયો છે કે તમારો સર્ગ કે તમારો ખંડ પૂરો થતો હોય ત્યારે કોઈક એવો પંચ આપવો જોઈએ કે એમાં આગલા ખંડનો કોઈ સંકેત હોય કે હવે પછી જે થવાનું હોય તેની પણ તેમાં કોઈ વાત હોય. આપણે ત્યાં આખ્યાનોમાં જે વલણો આવે છે એ રીતે જ મેં કાળજી લીધી છે. બીજું કે દોહરા છે તે અહીં કડી રૂપે છે. દોહરાથી મોનોટોની તૂટે, કારણ એક જ છંદમાં વાત ચાલતી હોય તો જે મોનોટોની આવતી જાય તેને દોહરાથી હું બદલતો રહ્યો, આવી મેં ચીવટ રાખી.

ભદ્રાયુ: વિનોદભાઈ, સૈરન્ધ્રી કાવ્ય એ પ્રબંધ કાવ્ય શા માટે ગણાય ?

વિનોદ જોશીઃ મધ્યકાળમાં પ્રબંધ કાવ્યો રચાયાં છે, ખાસ કરીને જૈન સર્જકો દ્વારા ઘણાં પ્રબંધો આપણને મળ્યા છે. પદ્યનાભ નામનો જે કવિ થયો એમણે ‘કાન્હડદે પ્રબંધ’ નામની કૃતિ લખી છે. પ્રબંધમાં કથાનક હોય અને વિસ્તૃત રીતે તેનું આલેખન થયું હોય, વ્યાપક પટ પર એની વાત મૂકાઈ હોય એને પ્રબંધ કાવ્ય કહે છે એવી એક સમજ છે. પ્રબંધ મૂળભૂત તો કથાઓમાં રહેલા છે. આખ્યાન પ્રકાર છે એમાં જે કહેવાયું હોય એ સામગ્રી હોય જયારે કથા હોય એ કલ્પનાથી પ્રબંધાયેલી હોય એટલે કે એમાં રચવાનો ભાવ હોય..… આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધઃ કલ્પના કથા R એટલે કે તમારે કંઈક નવું રચવું છે જે ઉપલબ્ધ થયેલું નથી પણ તમે કંઈક રચી રહ્યા છો તે કરો તેનું નામ પ્રબંધ…. મેનેજડ કે ફ્રેમ્ડ… મેં પહેલેથી આને પ્રબંધ કાવ્ય તરીકે જ રચવા ધારેલું અને મેં એમ જ તેમાં આગળ વધવાનું આયોજન કરેલું.

ભદ્રાયુ : આ અગાઉ કોઈ પ્રબંધ કાવ્યો રચાયાં છે ? નજીકનાં ભૂતકાળનાં પ્રબંધ કાવ્યો કયાં?

વિનોદ જોશી : જૈન સર્જકો દ્વારા જરૂર રચાયાં છે. બારમી-તેરમી-ચૌદમી સદીમાં જે જૈનગ્રંથો આપણને મળ્યા એમાં કામ થયું છે. અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ જયાંથી થયો, દલપતરામ નર્મદથી થયો એમ ગણીએ તો એમાં આટલી સફાઈદાર સંરચનાવાળી કોઈ કૃતિ લખાય નથી, પણ ન્હાનાલાલે મહાકાવ્ય લખવાનો પ્રયાસ કરેલો, ‘હરિસંહિતા’ નામનું મહાકાવ્ય ન્હાનાલાલે લખ્યું, જે તેમનાં અવસાનથી અધૂરું રહ્યું. પણ એ સૈરથી માં જે એક આયોજિત રચના છે, સ્કીલ છે, મેનેજડ આઉટલાઈન છે તે નથી. અહીં સર્જક તરી રહેલ છે પણ એક સ્વીમીંગ પુલમાં એ તરી રહેલ છે, જે પોતે બનાવેલો છે, જે કયાંક ઊંડો, કયાંક છીછરો, કયાંક એનું પાણી બદલ્યા કરે છે પણ એ મેનેજડ છે, કારણ એનાં માપમાં ફેરફાર નથી થતો, પણ તમારું તરણ જાતભાતનું હોઈ શકે. એમાં તમે આ છેડેથી કે પેલે છેડેથી કે વચ્ચેથી કે ઉપરથી કે તળથી તમે તરો છો, પણ એની આજુબાજુ બંધન તો છે જ, નિશ્ચિત બંધન છે.

ભદ્રાયુ: વિનોદભાઈ, આ કાર્ય ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું પછી તમે તેને રીવાઈવ કરવાનો કે રીવિઝિટ કરવાનો પ્રયાસ કર્યો? તેમાં કંઈ ફળ મળ્યાં?

વિનોદ જોશી : હા, જરૂર કર્યો, અને તેનાં ઘણાં સારા ફળ મળ્યાં. જુઓ, મેં મારું ધૈર્ય તો જાળવી રાખ્યું હતું. મારો બહુ ઉમળકો છલકયો કે ‘ચાલો એક કામ પાર પાડયું’ એવો કંઈ ભાવ ન હતો. કાવ્ય તો આવી ગયું હતું ને મારે તો ક્રાફટમેનશિપની અદાથી બાકીનું કામ કરવાનું હતું. કારણ નિંભાડો તો અંદર પાકી જ ગયો હતો, એ ખુલે એની જ રાહ હતી. અને એ ઓસ્ટ્રેલિયામાં ખુલ્યો, અહીં ખુલવાના બદલે..! એટલે હું ભાવવિભોર ન હતો. પરંતુ મને થયું કે જે ચોપાઈ અને દોહરામાં હું લખી રહ્યો છું, જે ગુજરાતીમાં હું લખી રહ્યો છું એ સંસ્કૃતથી પુરસ્કૃત છે અને ગુજરાતી ભાષામાં ચોપાઈ કે દોહરા તો છે જ નહીં; તો મારે ટેસ્ટ કરવો જોઈએ કે જે લખાયું છે તે યોગ્ય થયું છે કે કેમ અથવા મારી વાત બરાબર પહોંચે છે કે કેમ ? એવો ટેસ્ટ હું ત્યાં ઓસ્ટ્રેલિયા બેઠાં તો કેમ કરી શકું? એટલે એવું વિચાર્યુ કે જે કોઈ સામયિકમાં આ કાવ્ય છપાય અને તેના પ્રતિભાવો મને મળે તો મને ખાતરી થાય કે મેં જે લખ્યું તે બરાબર છે કે નહીં. એટલે ઓસ્ટ્રેલિયાથી મેં સંપર્ક કર્યો ‘નવનીત-સમર્પણ’ના સંપાદક દીપક દોશીનો. ઈમેઈલ કર્યો ને મોકલ્યું આખું કાવ્ય. લખ્યું કે ઘણાં વખતથી મારી અભિલાષા હતી તે કાવ્ય થયું છે તે જો યોગ્ય લાગે તો ‘નવનીત-સમર્પણ’ છાપે તેવી મારી વિનંતી છે. એનો તરત જ બીજે જ દિવસે ઈમેઈલ આવ્યો કે: હું કાવ્ય વાંચી ગયો છું ને અમારે એ છાપવું જ છે, પણ ‘નવનીત-સમર્પણ’ની પૃષ્ઠ મર્યાદા નડે છે. આટલું લાંબું કાવ્ય હું એક અંકમાં તો છાપી શકું તેમ નથી, એટલે તમે જો એનો વ્યવહારૂ રસ્તો સૂચવતા હો તો આપણે એમાં આગળ વધીએ. હું નહીં છાપું તો બીજા કોઈ તો છાપવાના જ છે, પણ મારે મારા હાથમાંથી એ જવા નથી દેવું…. એવું એમણે લખ્યું! મેં વિચાર્યું કે જો મારે આ કાવ્ય પરની પ્રતિક્રયાઓ જ જોઈએ છે તો પછી મારે આ કાવ્ય કોઈ એવાં સામયિકને નહીં આપવું જોઈએ કે જે આ કાવ્યનો વિશેષાંક કરી એક સાથે છાપે, અને તેના બસો જ વાચકો હોય. મારે એ સામયિકને જ આ કાવ્ય સોંપવું જોઈએ કે જેના સર્વસામાન્ય વાચકો હોય અને જેમાંથી મને પ્રતિક્રિયા પણ મળી શકે. તો એવું તો ‘નવનીત-સમર્પણ’ જ છે, જે પૂરેપુરું આ ઉદ્દેશ માટે બિફીટીંગ છે. પછી મેં એવો વ્યવહારુ રસ્તો કાઢ્યો કે ‘નવતીત-સમર્પણ’ની સાઈઝને અનુકૂળ લે-આઉટ કર્યો ને સર્ગ બધા છૂટા કરી દીધા, મેં એટલું કોમ્પ્રોમાઈઝ કર્યું જેથી કરીને ધારાવાહિક રીતે સાત સર્ગ સાત મહીના સુધી દરેક અંકમાં છપાય! એવું આયોજન કર્યું કે જે દીપક દોશીને અનુકૂળ આવ્યું. મેં એમ પણ કહ્યું કે જો માર્ચ-૨૦૧૮ના અંકથી તમે શરૂ કરી શકો તેમ હો તો છાપો અને એમણે એ પણ સ્વીકાર્યું. માર્ચ થી શરૂ થયું પછીતો હું બંધાય ગયો કારણ માર્ચમાં પહેલો સર્ગ છપાય એટલે મારે બીજા સર્ગ ફાઈનલ કરીને એમને મોકલવાના જ થયા..! પહેલા સર્ગના પ્રકાશિત થયા પછી મને જે પ્રતિભાવો મળવા લાગ્યા એ પરથી મને થયું કે કાવ્ય પહોંચ્યું તો છે. પછી જેમના જેમના અભિપ્રાયો મળ્યા એમાં કોઈ વિદગ્ધ હોય કે કોઈ સરેરાશ ભાવક હોય કે વયભેદવાળી વ્યકિત પણ હોય એ બધા જે કહેતા રહ્યા એ બધાં જ સૂચનો હું બહુ વિનમ્રતાથી સ્વીકારતો ગયો અને એ રીતે મને લાગ્યું કે મારે હજુ આમાં કેટલાક ફેરફારો કરવાની જરૂરત લાગે છે. કવિતાની કમનશીબી ગણો તો એ છે કે પહેલો સર્ગ પ્રસિદ્ધ થયો માર્ચ મહીનામાં એ મેં જે મૂળ લખેલો તે જ છપાયો પણ બીજો સર્ગ છપાય તે પહેલાં મને ઘણાં સૂચનો મળી ગયાં હતાં એટલે મેં શરૂઆતથી આખું કાવ્ય મોકલ્યું હોવા છતાં, મેં દીપક દોશીને કહ્યું કે હું તમને ફરી એક-એક સર્ગ આખરી સ્વરૂપ આપી મોકલતો જઉં તે તમે છાપતા જજો, મેં શરૂઆતમાં મોકલેલું આખું કાવ્ય નહીં! ભાવકના પ્રતિભાવોના આધારે ફેરફાર કરી હું પુનર્વાચન કરતો ગયો ને ચકાસતો ગયો કે આ યોગ્ય લાગે છે? કેટલીકવાર એવું લાગ્યું કે આનું પુનરાવર્તન ટાળવું જોઈએ તો ક્યારેક એવું ય લાગ્યું કે ના, આવું પુનરાવર્તન થવું જોઈએ, તો મેં એ મુજબ કર્યું, અને બીજા સર્ગથી મેં ફેરફારો કરતા રહેવાનું કાર્ય હાથ ધર્યું. ત્રીજા સર્ગનાં પ્રકાશન પછી તો મને ઘણા બધા પ્રોત્સાહક પ્રતિભાવો મળવા લાગ્યા. ‘આ તો ઘણું નવું કામ થયું છે’, ‘ચોપાઈ ને દોહરામાં તો પ્રથમવાર આમ કાવ્ય લખાયું છે’, ‘ચોપાઈ અને દોહરાનું નવું રૂપ તમે લાવ્યા છો’, ‘આવું તો અગાઉ કયારેય જોયું નથી’, વગેરે વગેરે પ્રતિક્રિયા મળવા લાગી. પરંતુ હું અહીં મૂંઝાયો. મને થયું કે આ બધા વખાણે તો છે પણ મારે આ કાવ્ય કોઈ એવી વ્યકિતને પણ મોકલવું જોઈએ કે જે મને મોઢામોઢ એમ કહે કે ના, આ બરાબર નથી. તો એવા જે દુરારાધ્ય ગણાતા હોય તેવાને હું મોકલું. એટલે મેં લાભશંકર પુરોહિત, ચંદ્રકાંત ટોપીવાળા, સુમન શાહને મોકલ્યું ને કહ્યું કે તમે આ વાંચો અને તમારો ક્રિટીકલ રીવ્યુ મને આપો.

પછી તો હું ભારત આવી ગયો એટલે હું બધાનો રૂબરૂ સંપર્ક કરી શકું એમ હતો. સુમન શાહના ઘરે થોડા મિત્રો વચ્ચે વાચન કર્યું, તો મને જ કેટલાક ફેરફારો સૂઝયા ! એક મહત્વનું સૂચન આવ્યું કે આમાં ફારસી ભાષાના શબ્દો આવે છે! ‘સૂર્યોદયની નોબત વાગી’ એવી એક પંકિત આવે છે. ‘નોબત’ તો મોગલકાલિન વાદ્ય છે અને એ મહાભારતકાલિન પૌરાણિક સંદર્ભમાં કેવી રીતે મેચ થાય ? તો આ ક્રોનોલોજિકલ કોયડો હતો કે જે ટકી ન શકે. મેં પછી ‘સૂર્યોદયની ઝાલર વાગી’ એવો ફેરફાર કર્યો. આવા મેં ઘણા શબ્દો બદલ્યા. મને સમજાયું કે મેં લખતી વખતે તો વિચાર્યું જ ન હતું કે આટલા બધા ફારસી શબ્દો આમાં આવી ગયા છે! પછી મેં ફારસી શબ્દો શોધી આપવાનું કામ કેટલાક મિત્રોને સોંપ્યું, ને વોટસએપથી એ મેળવ્યા. અને પછી તેના વૈકલ્પિક શબ્દો શોધ્યા ને પાછા એ છંદમાં બેસે એવી રીતે તેને ગોઠવ્યા.. ક્યાંક પંકિતઓ પણ બદલી, કેટલાકે મને એમ કહ્યું કે આમાં ‘મુજ-તુજ-કેરું આવું બધું જે આવે છે તે આપણી જૂની ઘરેડને લગતું લાગે છે અને એ સારું નથી લાગતું. મને લખતી વખતે આ વિચાર તો આવેલો પણ ત્યારે મેં વિચારેલું કે હું જે કવિતાનાં ટેકે આજે ઊભો છું એને પણ હું આદર આપું એટલે મેં ‘કેરું-તણું-મુજ-તુજ’ લખેલું, પણ પછી એક નહીં આવા બે-ચાર સૂચનો આવ્યાં એટલે મેં તેને નિવારવાનું નક્કી કર્યું ને તે મુજબ થઈ ગયું. આ રીતે મેં મારો બધો મેદ ઓગાળી નાખ્યો. પછી મેં છાનબિન શરૂ કરી શબ્દોની. ઉદા. તરીકે ‘મઝધાર’ શબ્દ છે એ ફારસી છે એમ કોઈએ કહ્યું તો હું એના ગોત્ર શોધવા લાગ્યો, તો મને જાણવા મળ્યું કે ‘મધ્યધારા’ પરથી ‘મઝધાર’ શબ્દ આવ્યો છે એટલે એનું મૂળ તો સંસ્કૃત છે. આવું શબ્દ સાથેનું કન્ફ્રાન્ટેશન હજુ ચાલે છે, આજે પંદર ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ આ વાત કરીએ છીએ તો હજુ ત્રણ દિવસ પહેલાં મને હરિશ્વન્દ્રભાઈએ કહ્યું કે આમાં ‘અંદર’ શબ્દ કેટલી બધી વાર આવે છે અને એ તો ફારસી શબ્દ છે. મેં કીધું : ‘અરે, અંદર ક્યાં ફારસી છે?’ તો એ કહેઃ ‘આપણે ‘અંદરની’ એમ નથી બોલતા?’ તો ત્યાં ને ત્યાં સાથે જોડણીકોષ જોયો ને એ શબ્દ ફારસી નીકળ્યો! આતો બદલવો પડે, જો આપણે એક શિસ્ત સ્વીકારતા હોઈએ તો એ બધે જ લાગું કરવી રહે. હવે જુઓ, આ આખું કાવ્ય મેં કોમ્પ્યુટર પર લખ્યું છે, કાગળ પર નથી લખ્યું લેપટોપમાં ‘ફાઈન્ડ-રિપ્લેસ’ની જે સગવડ છે તેના આધારે જાણ્યું કે ‘અંદર’ શબ્દ કુલ અગિયાર જગ્યાએ મેં વાપર્યો છે. આ દરેક જગ્યા મેં ચકાસી લીધી ને ત્યાં ‘ભીતર’ શબ્દ બેસે છે કે નહીં તે તપાસીને મેં ‘ભીતર’ શબ્દ મૂકયો ને ‘અંદર’ શબ્દ દૂર કર્યો. કેટલીક જગ્યાએ તો ‘ભીતરમાં ભેદી ભણકારા’ આવી સરસ પંકિત પણ થઈ ગઈ! આમ એનું અનુરણન જળવાયું! આ આખાં કાવ્યની મજા જે છે એ એનું આંતરસંગીત છે, એના વિષે તો બહુ નિરાંતે વિગતે વાત થઈ શકે કારણ કે એના વર્ણનું જે સૌંદર્ય છે તે આમાંની એંશી ટકા પંકિતઓમાં છે, એ સમૃદ્ધ છે ને સહજ પણ છે, કયાંય કશાં દબાણ વગરનું છે. હા, એક-બે જગ્યાએ મેં તોડ-મરોડ કરેલ છે એ મને ખબર છે અને એટલી સ્વતંત્રતા તો સર્જકને હોય જ પણ એનું વર્ણન-સૌંદર્ય સચવાય એની મથામણ તો મેં બહુ કરી છે. આમ પોઝીટીવ પોસ્ટમોર્ટમનો તબક્કો પણ ઘણો કાળજીપૂર્વક આગળ ધપ્યો છે.

ભદ્રાયુ : એટલે સૈરન્ધ્રીમાં જે ફલેશબેક આવે છે ને સસ્મૃતિસંદૂક ખુલે છે તે આ પ્રબંધ કાવ્યની રચનામાં પણ થયું છે.

વિનોદ જોશીઃ  બહુ સાચું. એનું જાહેર પઠન પ્રથમવાર વિશ્વકોષ, અમદાવદમાં મેં કર્યું અને બધાએ બહુ જ પ્રભાવથી તેને આવકાર્યું. તેને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું ને જયારે એ પૂર્ણ થઈને સૌ વિખેરાયા ત્યારે જાણે એક પ્રકારનો સન્નાટો છવાયો! કોઈ બોલે તો પણ એક પ્રકારના ભાર નીચે હોય એવું લાગ્યા કરતું હતું. એટલી કવિતા પહોંચી ગઈ હતી, પણ એ વખતે મને એમ થયું કે સૈરન્ધ્રીનો મેં જે અંત કર્યો છે તેમાં મેં મારી કવિ તરીકેની સત્તા વાપરી છે. આવી રીતે મારા ભાવકને મારે વશ કરવાનો મને કોઈ હક્ક નથી, ભાવક સ્વયં જો મારી સાથે આવતો હોય તો વાત જુદી છે પણ હું એમ કહી દઉં કે ‘સૈરન્ધ્રીનું પછી આમ થયું’ તો એ બરાબર ન કહેવાય. એટલે મને વિચાર આવ્યો કે ઓપન એન્ડેડ અંત થઈ શકે કે નહીં ? આ વાત મારે કરવી તો કોની સાથે કરવી? ચંદ્રકાંત ટોપીવાળાને મેં અગાઉ સ્ક્રીપ્ટ મોકલેલી. એટલે એમને વિનંતી કરી એમનાં ઘરે જઈ એમની સાથે બેસી લગભગ અઢી કલાક ચર્ચા-સંવાદ ઊમળકાથી કર્યા. એમણે પોતે કરેલા સુધારા વાંચ્યા ને કહ્યું કે, ‘આ સુધારા તમને યોગ્ય લાગે તો કરો, નહીં તો તમારી મરજી પણ મને તો આમ લાગ્યું છે !’ ટોપીવાળા સાહેબ જે સુધારો વાંચે તે પછી હું કહું: ઉભા રહો, એ પંકિત મેં કેમ સુધારી છે તે સાંભળો અને બનતું હતું એવું કે અમારી બન્નેની નવી પંક્તિ લગભગ લગભગ સરખી હોય! એક-બે જગ્યાએ મેં વધારે સારું કર્યું હોય ત્યાં તેમણે કહ્યું કે, ના તમે જે સુધાર્યું છે તે જ બરાબર છે. આવી રીતે ફ્રેન્ક ઈન્ટરેકશન પણ થયું. ટોપીવાળા જેવા આમ દુરારાજય કહેવાય એમના વિવેચનમાં તો કોઈ શંકા હોય જ શકે નહીં. એમની સાથે મેં કાવ્યના અંત વિષે ચર્ચા કરી. એમનું તો સ્પષ્ટ માનવું હતું કે સમાપન તો ઓપન એન્ડેડ જ હોવું જોઈએ. જગતની કોઈપણ મહાન કૃતિઓ જોશો તો તેનો અંત ઓપન એન્ડેડ જ હશે! એટલે મને ખ્યાલ આવ્યો કે હા, એવું જ છે. મહાભારત પોતે જ એમ છે. પાંડવો જીત્યા ને હિમાલયગમન કરે છે ને પાછળ જે રહ્યું તેનું શું થયું? હસ્તિનાપુરનું શું થયું? બધા પ્રશ્નો તો આપણે જ ઉકેલવાના, ઓપન એન્ડેડ જ રહે છે. એટલે મેં પણ સૈરન્ધ્રીના અંતમાં ફેરફાર કર્યો. પહેલાં અંત એવો હતો કે વિરાટ રાજા  દ્રૌપદીને ચિતા પર ચડાવી, સળગાવી દેવાની સજા કરે અને ચિતાને અગ્નિ આપવામાં આવે પણ અગ્નિ કાષ્ટને સ્પર્શે નહીં, પણ પછી સૈરન્ધ્રી પોતે જ એમ વિચારે કે હું પોતે જ અગ્નિપુત્રી છું અને આ બધા હત્યારી ગણે છે. હકિકતમાં તો હું સ્ત્રીનું વ્યક્તિત્વ પામી છું એટલે પોતે જ અગ્નિ ચાંપીને બળી જાય છે ને જે રાખ થઈ તેને બધા લોકો ભસ્મ ગણી તિલક ગણી માથે ચડાવી વિખેરાય જાય છે! આવું મેં કરેલું, પણ પછી મને જ એ એટલું બધું વિચિત્ર લાગ્યું કે આવું શા માટે કરવાનું? આ બધું ગોઠવાયેલું હોય એવું મને પછી લાગ્યું. દ્વૌપદીનું વ્યકિતત્વ જો ખરેખર આટલું પ્રભાવી હોય તો એનું મૃત્યુ જ ન થાય, એ બળી પણ ન મરે, કારણ એમાં એની શરણાગતિ છે. મેં નક્કી કર્યું કે ના, મારે તો કાવ્યને ઓપન એન્ડેડ જ છોડી દેવું છે. ચિતા સળગે નહીં ત્યાં સુધીની વાત બરાબર છે, પણ પછીની વાત ભાવક પોતે જ વિચારે કે પછી શું થયું હશે? શું કોઈ બીજો અગ્નિ લાવીને તેને સળગાવી હશે કે સૈરન્દ્રી પોતે જ ચિતા પરથી ઊતરી ગઈ હશે કે પછી રાજાને જ ખુદને પસ્તાવો થયો હશે કે પાંડવોએ ઉગ્ર બની કંઈક કર્યું હશે કે પછી કિચકનું મૃત્યુ થયાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હોય અને એ બધા સૈરન્ધ્રી પર તૂટી પડયા હોય, એમ કેટલું બધું ભાવક વિચારી શકે! એટલે મેં કાવ્ય ત્યાં છોડી દીધું ને લખ્યું: ‘દિશા વિસ્તરી એટલી, સૂર્ય ન પામે અસ્ત’. અહીં સૂર્ય એટલે કર્ણ પણ છે એટલે કે સૈરન્ધ્રીનાં મનમાંથી સૂર્ય/કર્ણ ગયો નથી અને તેણે પોતાનાં ચિત્તનું ફલક એટલું વિસ્તારી દીધું કે હવે એ આથમી ન શકે કારણ એ સૂર્ય જ હવે એનો છે! એની અપીલ પણ બહુ જોવા મળી.

ભદ્રાયુ : વાહ, વિનોદભાઈ, એમ લાગે છે કે તમે સર્જન પહેલાં જે મૂંઝારો અનુભવ્યો તે સર્જન પછી તમને મોકળાશ આપી ગયો. કાવ્ય રચાય ગયું પછી તમે તેને ત્રીજા પુરુષ એકવચન તરીકે એ સર્જનને ફરી નિહાળ્યું ! લખ્યું ત્યારે તમે ‘કવિ વિનોદ જોશી’ ને સર્જન પછી તમે એક ‘ભાવક વિનોદ જોશી’ તરીકે સૈરન્ધ્રીનું આકલન કર્યું. અત્યારે અમે જે અનુભવી રહ્યા છીએ એ તબક્કામાંથી પણ તમે પસાર થઈ ગયા છો, ખરું ને ?

વિનોદ જોશીઃ હા, એ સાચું. પછી હું ઓબબ્ઝર્વર બની ગયો ને મેં સાક્ષી ભાવે મારાં જ કાવ્યને અવલોકયું. ભદ્રાયુભાઈ, મને હજુ એવી મૂંઝવણ છે કે એક વખત આ પ્રબંધ કાવ્ય બુક ફોર્મમાં પ્રકાશિત થઈ જશે પછી મને કશું સૂઝશે તો હું શું કરીશ ? કારણ એકવાર બુક બની ગઈ પછી તો તમે બંધાય જાઓ છો અને તમારી નૈતિક જવાબદારી એને વળગી રહેવાની બને છે. હા, એ બંધાયેલી કૃતિ પણ કદાચ મને કોઈ ઉર્જા આપે કે આમાં જે રહી ગયેલું તને લાગે છે તે હવે તું લખ, એમ પણ બને ! ૧૮૦૦ પંક્તિઓમાં અર્ધાથી થોડા ઓછા પ્રાસની સમૃદ્ધિ આખા કાવ્યમાં છે એ રીતે સંરચનાની દ્રષ્ટિએ મારી ક્રાફટસમેનશીપનો લાભ આ કાવ્યને મળ્યો છે તેનો મને સંતોષ છે.

ભદ્રાયુ :એક ભાવક રીતે કહું તો સૈરન્ધ્રી ભલે એક નાટક છે, ને સૈરન્ધ્રી એનું મુખ્ય પાત્ર છે એ વાત ઉપરાંત એક સ્ત્રી વિશેની ફીલોસોફીકલ વાત કેટલી બધી જગ્યાએ મળે છે, આપણે જો મોટીવેશનલ પોઈન્ટની વાત કરીએ તો આમાં કેટકેટલી પંક્તિઓ મોટીવેશન પૂરું પાડતી લખાઈ છે. ત્રીજો મુદ્દો એ પણ છે કે સૈરન્ધ્રીમાં એકદમ રીચ વોકેબ્યુલરી ભરકક્ક છે. છતાં એવો કોઈ ગંભીર શબ્દ નથી કે જેની અર્થછાયા સ્પષ્ટ કરવા માટે માથું ખંજળાવવું પડે કે શબ્દકોષ ખોલવો પડે. ભલે તમારાથી તો એ સહજતાથી આવતું ગયું હશે.

વિનોદ જોશી :જો કે આ બધું સાવ સહજ રીતે થયું છે એવું નહીં કહું, મેં શિખંડી લખ્યું સંસ્કૃત વૃત્તોમાં. લગભગ સત્તર જેટલાં સંસ્કૃત વૃત્તો છે એમાં મંદાક્રાંતા, શાર્દૂલ વિક્રીડીત, શિખરિણી, અનુષ્ટુપ, ચૈતાલી, શાલિની, માલિની, સ્ત્રગ્ધરા છંદો અને કેટલાય શબ્દો કે જે વાચકને વિચારમાં મુકે તેવા છે, એટલે મારી એક એવી સમજ હતી કે મારે એટલું અઘરું સૈરન્ધ્રી નથી કરવું, કે જે ભાવકોને દૂર રાખે એટલે મેં એમાં એક શ્લોક એવો કર્યો છે જેમાં સમ્યકભાવ ધરીને સૈરન્ધ્રી ઊભી હોય એ ખરેખર સમ્યક્ભાવ મેં અમલમાં મૂક્યો છે. એટલું અઘરું નહીં કે જે સમજાય નહીં ને એટલું સહેલું નહીં કે જે કાવ્યની ગરિમાને જોખમમાં મુકી દે. આમાં તમને તળપદા શબ્દ પણ મળશે તો અત્યંત દુરાકૃષ્ટ શબ્દ પણ મળશે અને છતાં તમને ખીચડી નહીં લાગે. પણ તમે કહો છો તે મોહિની તો એ ભાષાની પણ છે, મૂળ કથાનકમાંથી થોડો બદલાવ કરીને રજૂ થયેલ છે એની પણ છે, આ બધાં પાત્રો આપણાંમાંથી પસાર થઈ રહ્યાં છે તેની પણ છે, આપણું જીવન પણ આમ જ જીવાય રહ્યું છે એ પ્રકારની સમાંતર પ્રતીતિ પણ છે અને એ બધું કાવ્ય સાથે ભાવકને જોડી રાખે છે.      

ભદ્રાયુ :વિનોદભાઈ, છેલ્લો પ્રશ્ન. ‘સૈરન્ધ્રી પ્રબંધ કાવ્ય’ની બુનિયાદી ફિલસૂફી તમારી દ્રષ્ટિએ..? એ જાણવી બહુ આવશ્યક છે, કારણ સર્જકનાં ચિત્તમાં કયું દર્શન પડયું છે કે જેણે આ સર્જન આપણને આપ્યું છે?

વિનોદ જોશી : ભદ્રાયુભાઈ, એકદમ પાયાની વાત તમે છેલ્લે સ્પર્શી કે જે મારા દષ્ટિકોણને ભાવકના મન સુધી પહોંચાડશે. આપણે આપણાં અસ્તિત્વના ત્રણ લોક ટૂંકમાં સમજી લઈએ. આ ત્રણ લોકની બહાર હું-તમે કે આપણે ક્યારેય નથી. ૧) સ્મૃતિલોક ૨) સ્વપ્નલોક ૩) કલ્પનાલોક… જે વીતી ગયું તે સ્મૃતિલોકમાં પહોંચ્યું. જે વીતે તેવી શકયતા છે અથવા નથી પણ તે સ્વપ્નલોકમાં સંચરે અને જે વીતે તેવી ઈચ્છા છે કે કલ્પના છે કે અપેક્ષા છે તે કલ્પનાલોક સર્જે! સ્મૃતિલોક અને સ્વપ્નલોક વ્યકિતના હાથમાં ન હતા, ન છે કે ન હશે. એક માત્ર કલ્પનાલોકના આધારે વ્યકિત જીવે છે. બન્યું કે બનશે નહીં, પણ ‘બનવું જોઈએ’ની કલ્પના જ આપણા જીવનને જીવંત રાખવાનો બહુ મોટો સધિયારો છે. કહો ને, એ આપણી નોળવેલ છે. સૈરન્ધી પાસે કે દ્રૌપદી પાસે તેનો કલ્પનાલોક હાથવગો છે એટલે એ કલ્પનાલોકના સહારે પોતાનો વર્તમાન જીવવાની જે મથામણ કરે છે તે મારી સૈરન્ધ્રીની ફિલસૂફી છે.. જે આ ક્ષણે છે તે પછીની ક્ષણે નહીં હોય એવું જો સ્વીકારી શકાય તો, જે આ ક્ષણે નથી તે પછીની ક્ષણે હશે એવું કેમ ન સ્વીકારી શકાય? આ મારો પાયાનો પ્રશ્ન છે. મારી નિજતાને કલ્પનાલોકમાં ચેતનવંતી રાખી શકું તો જ મારો વાસ્તવલોક સાર્થક નીવડી શકે ! વાત અઘરી છે પણ સમજાય પછી જીવનમાર્ગ બની શકે તેવી છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….

દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ….

દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ…

પ્રબુદ્ધ જીવન, મુંબઈ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે કેવળ વિદ્યાર્થી ભવન એટલે કે છાત્રાલય હતું..!!

નાનાભાઈ ભટ્ટની ઉંમર અઠ્યાવીસ વર્ષની, દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે…!!! આદર્શોના અનલથી ધગધગતો યુવાન, ધાર્મિક સંસ્કારથી ઓતપ્રોત અને  ઊગતી પેઢીને સંસ્કારી બનાવી દેવાની ધગશવાળો તેજીલો તોખાર. દક્ષિણામૂર્તિ શરૂ કરી તેની આગલી રાત સુધી,  ‘હું આમ કરી નાખીશ અને હું તેમ કરી નાખીશ’ ના ભાવનાપૂરમાં તણાતા રહેલા, તેને પરિણામે વિદ્યાર્થીઓની સાથે રહી તેમને તાબડતોબ સંસ્કારી બનાવી દેવાની મહેચ્છાથી તેમનું હૈયું ઊછળતું રહેલું. નાનાભાઈની આ ભાવના અને કર્તવ્યપરાયણતાથી પ્રેરાઈને જ તેમના કામમાં સરળતા કરી આપવાના હેતુસર એમના ગુરુબંધુઓએ પોતાના સંતાનોને પહેલે જ દિવસ બોર્ડિંગ હાઉસમાં દાખલ કરી દીધેલા ! દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે એ શાળા ન હતી, કેવળ વિદ્યાર્થી ભવન હતું એટલે કે છાત્રાલય જ હતું..!! 

સંસ્થા ખોલવી અને ચલાવવી એ ખરેખર બહુ કપરું કાર્ય હોય છે,  પરંતુ જ્યારે સંસ્થાના ખોલનાર અને ચલાવનાર તદ્દન બિનઅનુભવી અને નવા નિશાળિયા જેવા હોય ત્યારે તે સંસ્થા ખોલવી, ચલાવવી ને વિકસાવવી એ ભગીરથ ઉપક્રમ બની જતો હોય છે. પરંતુ એ તથ્યની પ્રતીતિ ખુદ નાનાભાઈને પણ હતી જ, તેમનું  મનોમંથન હતું કે, “મને તે દિવસે કલ્પના પણ ન હતી કે સંસ્થામાં એકલા વિદ્યાર્થીઓ જ નથી હોતા. મને કલ્પના પણ ન હતી કે સંસ્થામાં મારા પ્રયત્નોને ધૂળ મેળવનારા એવા કોઠારી પણ હોઈ શકે. એવા રસોઈયા  પણ હોઈ શકે. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના ભાવિક પિતાઓથી સ્વતંત્ર એવું પોતાનું મન લઈને આવવાના છે… મારા જેવા નવાસવા ગૃહપતિને મનમાં ગમે તેટલી ઉત્કટ ભાવનાઓ હોય પણ એ ભાવનાઓને મૂર્તિમંત કરવાને માટે જે વ્યવહારદક્ષતા અને હથોટીની જરૂર હોય છે તે મારામાં ક્યાં હતાં ? મને ખબર ન હતી કે વિદ્યાર્થીઓને જ  બરાબર ઘડવાના નથી પણ  રસોઈયાને ઘડવો પડશે, કોઠારીને અને કામ કરનારી બાઈઓને ઘડવી પડશે. અને   એ પહેલાં તો  મારે મારી જાતને ઘડવી પડશે..!”…બસ આ વાત નાનાભાઈ કળી  ગયેલા તેથી જ સોક્રેટિસની જેમ સ્વને ઘડવા તત્પર હતા. 

સંસ્થા હજુ તો ચાર-છ દિવસની જ થઈ હશે. એક વિદ્યાર્થીએ રાત્રે ઓરડાની  ચોકડીમાં ઝાડો-પેશાબ કર્યાં. નાનાભાઈ સવારે આવ્યા ત્યારે દુર્ગંધ તથા માખીઓના બણબણાટે તેમનું ધ્યાન ખેંચી જાણે પડકાર ફેંક્યો. “ચોકડી મારે સાફ કરી નાખવી કે તે બગાડનારને શોધી તેની પાસે સાફ કરાવવી?”  નાનાભાઈના મનમાં પ્રશ્નો ઘુમરાયા. ‘હું સાફ કરીશ તો કૉલેજમાં બોર્ડ પર છોકરાઓ તે લખવાના;’ મન અચકાયું. ‘હું ગૃહપતિ ! તેમની માતા સમાન. શું મેં મારાં સંતાનોનું મેલું નથી ઉપાડ્યું ?? હું પણ આ જ ચાલ્યો.’ તત્કાળ તેમણે ચોકડી સાફ કરી નાખી. સાથે જ મન સાફ થયું ને દૃષ્ટિ પણ. મન-દષ્ટિની શુદ્ધિનો આ પડકાર- પ્રસંગ નાનાભાઈનાં ‘ત્રિતીર્થ’ના વાત્સલ્ય તથા કુટુંબભાવરૂપી મહાનંદની ગંગોત્રી સમો બની રહ્યો.

નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાની તાલાવેલી અને ઊછરતી પેઢીને ધાર્મિકતાને રંગે રંગી નાખવાની અદમ્ય ઝંખનાને પરિણામે દક્ષિણામૂર્તિની શરૂઆતના દિવસોમાં જે દિનચર્યા હતી તે કંઈક આવી હતી ::

સવારે પાંચ વાગે ઉત્થાન – ઊઠવાનું, ત્યાર પછી હાથ મોઢું ધોઈ, કોગળા કરી દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરતા કરતા પ્રાર્થના કરવાનો નિયમ હતો. પ્રાર્થનાના અંતે વિદ્યાર્થીઓએ મોટાભાઈ તથા નાનાભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના રહેતા. શરૂઆતનાં વર્ષોમાં દક્ષિણામૂર્તિના સંચાલનમાં બીલખાના આનંદાશ્રમની ઘણી જબરી અસર હતી. સંસ્થાના સંચાલકો બિનઅનુભવી તેથી દિનચર્યાની ગોઠવણી વિદ્યાર્થીઓની દૃષ્ટિથી નહોતી ગોઠવાઈ, બલકે સંચાલકોના દૃષ્ટિકોણથી ગોઠવાઈ હતી. એ તો સદ્દનસીબ કે સંચાલકોનું આત્મનિરીક્ષણ, આત્મમંથન તથા પરિસ્થિતિનું  વિવેચનાત્મક કરતા રહેવાની દ્રષ્ટિ ,, તેથી તેમને તરત જ ખ્યાલ આવી ગયેલો કે જે માર્ગે આપણે વિદ્યાર્થીઓને સંસ્કારી કે ધાર્મિક વૃત્તિવાળા બનાવવા ચાહીએ છીએ તે માર્ગે સફળતા મૃગજળ સમાન છે. નાનાભાઈએ પોતે નોંધ્યું છે કે,  ‘દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યાર્થીઓમાં ભક્તિભાવનાં મોજાં ઊછળશે ને તેમને સારા સંસ્કારો મળશે એમ હું માનતો હતો, પણ ખરેખરી રીતે બનતું એવું હતું કે વિદ્યાર્થીઓને સવારના પહોરમાં જેટલી ઊંઘની પડી હતી તેટલી નહોતી પડી દક્ષિણામૂર્તિદેવની કે નહોતી પડી મોટાભાઈની કે નહોતી પડી મારી… પરંતુ આ નિયમની નિરર્થકતા મને જતે દિવસે સમજાયા વિના ન રહી.’ નાનાભાઈની આ પોતાની ભૂલ સ્વીકારવાની તત્પરતાએ તેમને અને સંસ્થાને ઘડ્યા. 

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં જવા સિવાયનો જે વખત રહેતો તેમાં નાનાભાઈ તેમને પાઠો તૈયાર કરવામાં મદદ કરતા. રાત્રે વિદ્યાર્થીઓની તકરારો પતાવતા અને પછી જે સમય બચતો તેમાં તેમને વાર્તાઓ કહેતા. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં શરૂ થયેલી આ રાત્રિ પ્રવૃત્તિ ધીરે ધીરે વિકસીને રાત્રિ સમ્મેલન રૂપમાં ઢળી ગઈ છે. ગૃહપતિ નાનાભાઈની આ વાર્તાકથન પ્રવૃત્તિથી તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થઈ શકેલા. પરિણામે સમૂહકાર્યો માટે તેઓ વિદ્યાર્થીઓને સરળતાથી એકઠા કરી શકતા હતા.

દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ હાઉસમાં અમુક અમુક કાર્યો જાતે જ કરવાનાં રહેતાં તેની અસર થતાં  જતે દિવસે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીમંડળના સ્વરાજની આખી કલ્પના ઊભી થઈ !!  જેનાં બીજ અહીં હતાં તે સંસ્થા  છાત્રાલય સ્વાવલંબનના પાઠ ભણાવતી  શાળા બની શકેલ.

દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓ માટેની રસોઈ સાદી પણ સ્વાદિષ્ટ થવી જોઈએ, ખીચડી, ભાત વગેરે માત્ર ચડેલાં જ નહીં પણ સીઝેલાં થવાં જોઈએ; રોટલી માત્ર ફૂલકા જ નહીં પણ બરાબર ચૂંદડી પડેલી હોવી જોઈએ, શાક બહુ તેલવાળું ન હોવા છતાં મસાલાના પ્રમાણસરના ઉપયોગથી સ્વાદિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત રાંધવાનું વાસણ—પાણી સ્વચ્છ, ખાદ્ય પદાર્થો લોટ વગેરે સ્વચ્છ, રસોઈયાના કપડાંની સ્વચ્છતા, ખુદ રસોઈયાના સાહારીરની  અને હાથપગની સ્વચ્છતા વગેરેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત રસોઇયાના આચારમાં પણ સ્વચ્છતાનો આગ્રહ, તમાકું ન ખાવું, ચોખ્ખા હાથથી જ પીરસવું, નાકની લીટ જ્યાં ત્યાં ન કાઢવી, થૂંકવું હોય તો ચૂલામાં જ ન થૂકતા ખાળે જઈને થૂંકવું, રસોઈના પદાર્થો બરાબર ઢાંકીને રાખવા વગેરે વગેરે. એક તરફ આવા ઉદાત્ત આગ્રહો હતા તો બીજી તરફ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં કેટલાક પરંપરાગત વ્યવહારો પણ થતા. જેમકે ઈ. સ. ૧૯૧૦-૧૨ના એ દિવસોમાં શાળામાં અને છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો રિવાજ હતો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન પણ આ રિવાજમાંથી બાકાત ન હતું. નાનાભાઈ આ અંગે કબૂલે છે, ‘ઈ. સ. ૧૯૧૦- ૧૧ની સાલમાં તો હું દક્ષિણામૂર્તિમાં સજાનો ઉપયોગ કરતો અને તે પણ સજાના ભારે કઢંગા સ્વરૂપમાં. શરૂઆતના આઠ-પંદર દિવસો તો હું વિદ્યાર્થીઓને તેમના અપરાધ બદલ દૂધ અને શાકનો દંડ કરવા માંડયો તો ક્યારેક દક્ષિણામૂર્તિ દેવને પચીશ પચાસ નમસ્કાર કરવાનો દંડ.’

આ બધાં વર્ણનોથી એટલું તારણ અવશ્ય નીકળે છે કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો વ્યવહાર નાનાભાઈની સમજણ, નાનાભાઈના આગ્રહો મુજબ ચાલતો હતો. અલબત્ત નાનાભાઈ સ્વીકારે છે કે, ‘એ કાળે મારી સમજણ ઘણી કાચી હતી, અનુભવ બહુ પાતળો હતો તેથી જ છેક ૧૯૨૦માં તેમને સમજાયું કે સજા કે ઇનામો, હરિફાઈ, લાલચ, ભય એ બધાંય કેળવણીની દૃષ્ટિથી તાજ્ય છે એમ નહિ પણ જીવનની સર્વતોમુખી દૃષ્ટિથી તાજ્ય છે. અલબત્ત ગૃહપતિ નાનાભાઈની એક વિશેષતા એ હતી કે તેઓ વારંવાર આત્મનિરીક્ષણ, આત્મ વિવેચના અને આત્મવિશ્લેષણ કર્યા કરતા. તેમાંથી ઊભરી આવતા નિષ્કર્ષોને તે સંકલ્પના રૂપમાં ફેરવી લેતા. આવી લાક્ષણિકતાઓને પરિણામે તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કામગીરીનું મૂલ્યાંકન કરાવવા એક વાર્ષિક સંમેલન ભર્યું. સર પ્રભાશંકર પટ્ટણી તેના પ્રમુખ થયા. સમ્મેલનમાં સર પટ્ટણીસાહેબે પોતાની દૃષ્ટિની વિશાળતા અને દક્ષિણામૂર્તિ તરફ સદ્ભાવના વ્યક્ત કરી.

શામળદાસ કોલેજનું પ્રોફેસર પદ છોડ્યા પછી નાનાભાઈ દક્ષિણામૂર્તિના કર્મચારી બન્યા. ને તેમના વિઝનને, મિશનને એકશનની પાંખો ફૂટી. દક્ષિણામૂર્તિ એક સાધારણ બૉર્ડિંગહાઉસ બની રહે તે એમને મંજૂર ન હતું. તેમનું સ્વપ્ન તો એક મોટી આશ્રમ શાળા કાઢવાનું હતું.  તેના સંદર્ભે બીજા જ વર્ષે પ્રયોગાત્મક વર્ગ શરૂ કર્યા. સંસ્થામાં રહેતા અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગામની શાળામા મોકલવાનુ બંધ કર્યું ને આ વિદ્યાર્થીઓ પ્રયોગાત્મક વર્ગમાં  ભણે એવી ગોઠવણ કરી ત્યારે સરકારી શાળાના આ ધોરણમા જે જે ભણાવાતું  હતું તેમાં નાનાભાઈ વગેરે સંસ્થાના કાર્યકરોને યોગ્ય જણાયું તે મુજબના ફેરફારો કર્યા. તેમણે ઈતિહાસ શિક્ષણમાં સમાજશાસ્ત્રને સ્થાન આપ્યું (આજના યુગમાં ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું સંમિશ્રણ કરીને સામાજિક વિજ્ઞાન, સમાજવિદ્યા નામાભિધાન થયું છે. પરંતુ તેની શરૂઆત ઈ. સ.૧૯૪૩-૧૪માં દક્ષિણામૂર્તિમાં થયેલી) તથા સંસ્કૃત શિક્ષણ જે વ્યાકરણ અનુવાદ પદ્ધતિએ શીખવાતું હતું તેને સ્થાને પરિચય પદ્ધતિનો વિનિયોગ શરૂ કર્યો. આ રીતે ઈ. સ. ૧૯૧૨માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન કેવળ છાત્રાલય ન રહેતા શિક્ષણ સંસ્થા બની. હવે સંસ્થામાં તરવરાટ આવી ગયો. નિયમિત વર્ગો લેવાવા લાગ્યા. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓનો સંપર્ક વધ્યો તેમના મનમાં વધારે ઉલ્લાસ પૂરાવા લાગ્યો. એ દિવસોમાં સંસ્થા નાની હતી, તંત્ર પણ છેક સાદું હતું એટલે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં પારિવારિકતા વધુ હતી. એની જીવંત રનિંગ કોમેન્ટ્રી નાનાભાઈ આ રીતે આપે છે, ‘અમારું આખુંય કુટુંબ સાવ ઠાવકું કુટુંબ હતું એમ માનવાની પણ કોઈએ ભૂલ કરવાની જરૂર નથી. કોઈ વાર રસોઈમાં દૂધપાક કર્યો હોય તો એકાદ મુખ્ય વિદ્યાર્થી કળશામાં દૂધપાક તફડંચી કરીને પેટીમાં સંતાડે અને બીજો જ વિદ્યાર્થી પેટીમાંથી દૂધપાક બઠાવી જઈને ઘટઘટાવી જાય. કોઈ વિદ્યાર્થી સૂવાની ઓરડીની ખાળમાં જ દિશાએ જાય ને પાછા પોતે જ ગુનેગારની શોધમાં નીકળે, એકાદ વિદ્યાર્થી માત્ર બે ડઝન પુરણ પોળી ખાય અને પછી બીજે જ દિવસે પોતાને વિદ્યાર્થીઓએ અન્યાય કર્યો છે એ કારણ બતાવીને ઉપવાસ પર ઊતરે… રસોઇયો બાઈઓ સાથે મળીને ભોજનમાં ગોટાળા કરે… આવા આવા કેટલાય અનુભવો થયા……. આ બધાય નાનાંમોટાં છમકલાં પાછળ અમારો કુટુંબભાવ જેવો ને તેવો જ રહ્યો. મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે કોઈ પણ જાતના સંકોચ વિના સદગત મોટાભાઈ અને હું વિદ્યાર્થીઓનું મેલું ઉઠાવતા, તેમની પથારી પાસે ઉજાગરા કરતા, તેમના પર ગુસ્સે થતા, તેમની પાસે ઘોડિયાની દોરી ખેંચાવતા, તેમની પાસે  પગ ચંપાવતા ને તેમને ગોદમાં લેતા. તેમના ઘડતરમાં જ અમારું જીવનકાર્ય છે એમ અમે માન્યું હતું.?’

દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયા દ્વિમુખી હતી. અર્થાત્ તેમાં વિદ્યાર્થીઓનું જીવન કેળવાતું હતું તો સાથોસાથ તેના કર્મચારીગણને પણ કેળવણી મળતી હતી. દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયાને આનું સ્વરૂપ પ્રદાન કરવામાં સિંહફાળો નાનાભાઈનો હતો. 

એક પ્રસંગ કે જેનું આલેખન મનુભાઈ પંચોળીએ આ રીતે કર્યું છે :

“ધરમશી ક્યાં છે?” છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી એક ગૃહપતિ બૂમ મારે છે. એની જગ્યાએ,’ જવાબ મળે છે. “કહો કે મહાદેવ બોલાવે છે.”

ગૃહપતિ છાત્રાલયમાં હમણાં જોડાયેલ છે. એ ધરમશીને ધમકાવતા હોય छे. “ક્યાં હતા અત્યાર સુધી? તમારો વાળવાનો વારો હતો. હજુ કેમ વાળ્યું નથી ? હું એ બિલકુલ નહિ ચલાવું.”

વિદ્યાર્થી બબડતો ફફડતો ચાલ્યો જાય છે. ઉપરની મેડી પરથી એક સ્થિર અને શાંત અવાજ આવે છે, “મહાદેવ…”

ગૃહપતિ ઉપર જુએ છે. ઓફિસની બારીમાં નાનાભાઈ ઊભા છે. “આવ્યો, નાનાભાઈ.”

ઉપર પહોંચતા જ સંભળાયછે—’તમે ગૃહપતિ છો, હવાલદાર નથી. હાકોટા

તો હવાલદાર નાખે, તમે હવાલદાર નથી.”

“પણ નાનાભાઈ, એણે છાત્રાલય વાળ્યું નથી.” ‘એ બરાબર છે. મેં તમને છાત્રાલય વાળવા નથી રાખ્યા. એ તો પંદર રૂપિયાનો હવાલદાર પણ કરી શકે. તો હવાલદારને ગૃહપતિ વચ્ચે ફેર શો ? તમે વ્યવસ્થા, સ્વચ્છતા બધું  રખાવો પણ હવાલદાર થઈને નહિ.’

ગૃહપતિને તે દિવસે એક પાઠ મળી ગયો.

ગિજુભાઈ એ સમયે તે વઢવાણમાં વકીલાત કરે. સગપણે તે મોટાભાઈના ભાણેજ થાય. મોટાભાઈએ તેમને દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ માટે બંધારણ ઘડવાની કામગીરી તો અગાઉ સોંપેલી જ. એટલે તેઓ દક્ષિણામૂર્તિ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા. આમેય તે વકીલાતના ધંધાથી કંટાળેલા. નાનાભાઈ લખે છે, “એક સવારે ગિજુભાઈનો લખેલો કાગળ મારા હાથમાં આવી પડ્યો. આ કાગળમાં એમણે દક્ષિણામૂર્તિમાં જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારે મન તો આ કાગળ બગાસામાં સાકરના પતાસા જેવો થઈ પડ્યો. તેથી દક્ષિણામૂર્તિનો સાદ પડ્યો, આવી જાવ…” એટલે તરત જ વધાવી ૧૩-૧૧-૧૯૧૬ના દિવસે હાજર થઈ ગયા. ગિજુભાઈ ૧૯૧૬થી ૧૯૩૬ સુધી આમ ૨૦ વર્ષ દક્ષિણામૂર્તિમાં રહ્યા. આ ગાળો જ એમના જીવનનો સુવર્ણકાળ હતો.

નાનાભાઈ શિક્ષણની જવાબદારી ધીરે ધીરે ગિજુભાઈના હાથમાં મૂકતા ગયા ને છાત્રાલય તથા સંસ્થાનો બહારનો કારભાર તેમણે પોતાને હસ્તક રાખ્યો. ગિજુભાઈને સંસ્થાએ સ્વીકાર્યા. ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિકાસ ઝડપી બન્યો. સ્વયં નાનાભાઈ લખે છે,” ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિસ્તાર આટલો વધશે એની કલ્પના તે દિવસે ન હતી મને કે ન હતી ગિજુભાઈને. ગિજુભાઈ આવ્યા તે પહેલું પગથિયું હતું. ગિજુભાઈ પાછળ હરભાઈ આવ્યા. હરભાઈની પાછળ ગિરીશભાઈ આવ્યા, ગિરીશભાઈની પાછળ ગોપાળરાવ આવ્યા અને ત્યાર પછી અમારો વડલો વધતો ગયો, વધતો ગયો.’

તા. ૧-૬-૧૯૧૮ના રોજ અંગ્રેજી ત્રણ ચોપડી સુધીની શાળા શરૂ કરી. વિનય મંદિરના આચાર્ય તરીકે ગિજુભાઈ રહ્યા ને નાનાભાઈ ગૃહપતિ. આ રીતે બન્નેએ મળીને વિદ્યાર્થીઓની સમગ્ર કેળવણીનો ભાર ઉઠાવ્યો. ત્યાં અધિકારીઓ ન હતા પણ સેવકો હતા, કામદારો ન હતા પણ કર્મવીરો હતા.

ગિજુભાઈના નેતૃત્વમાં અને નાનાભાઈના માર્ગદર્શન હેઠળ વિનય મંદિર ધમધોકાર માંડ્યું ચાલવા. વરસ દહાડે એક ચોપડી વધે. એમ કરતા કરતા  વિનયમંદિર વિકસવા લાગ્યું. ને વિનીતના વર્ગ સુધી વિકસ્યું. છાત્રાલય અને વિનયમંદિર એક સ્થળે તથા ભણનારા અને ભણાવનારાનો ચોવીસે કલાકનો સહવાસ ધાર્યા પરિણામ દેખાડવા માંડ્યો. ગિજુભાઈએ શિક્ષણશાસ્ત્રનો વધારે ઊડો અભ્યાસ શરૂ કર્યો ને બીજી તરફ પોતાની શિક્ષકની જન્મસિદ્ધ કુનેહથી શાળા તંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. શાળા વ્યવસ્થાની બાબતમાં ગિજુભાઈ આકરા આગ્રહી. શિક્ષકોએ કેમ શીખવવું, શાળામાં કેવી રીતે બેસવું વગેરે અંગે ગિજુભાઈના ચોક્કસ ખ્યાલો.

 નાનાભાઈએ અને દક્ષિણામૂર્તિના સંચાલકોએ નર્યા પુસ્તકિયા શિક્ષણ માટે આ શાળા કાઢી જ ન હતી. આ શાળા કાઢવા પાછળ નાનાભાઈનું ચોક્કસ દર્શન હતું. તે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવા માંગતા હતા. જ્ઞાન સાથે ભાવના, સમજણ સાથે વિવેક અને શ્રમ સાથે સ્વાવલંબન, શિક્ષણ સાથે સહકાર, સંપ, સહિષ્ણુતા, સંસ્કાર વગેરેનું સામંજસ્ય કરી વિદ્યાર્થીનું ચારિત્ર ઘડતર કરવા માંગતા હતા તેથી જ તેમણે વિનય મંદિર શરૂ કર્યું પણ ચાલુ શિક્ષણ પ્રથાને માટે નો એડમિશન જાહેર કર્યું. તેમણે પોતાની આગવી રીતે શિક્ષણ પ્રણાલી વિકસાવી. રાજ્યાશ્રય લેવાથી દક્ષિણામૂર્તિના સ્વાતંત્ર્ય પર કે પ્રયોગધર્મિતાને આંચ આવે તે એક સંચાલક તરીકે તેમને હરગિજ પોસાયું નહીં તેથી વિનય મંદિરને કેળવણીના તંત્ર સાથે જોડયું નહિ. એક સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસાવી તેમણે દક્ષિણામૂર્તિના ધ્યેયો, સાદર્શો અને અભિપ્સાઓ અનુસાર અભ્યાસક્રમો રચ્યા, તદ્દઅનુસાર દક્ષિણામૂર્તિ નામ ગુંજવા લાગ્યું હતું ત્યારે પણ દક્ષિણામૂર્તિના સંચાલકો એટલા નિખાલસ અને ઇમાનદાર હતા કે તેમણે દક્ષિણામૂર્તિ સંસ્થાની સર્વતોમુખી તપાસ માટે એક કમિશન (તપાસપંચ) નીમ્યું. નાનાભાઈ તો દૃઢપણે માનતા હતા કે, દર પાંચ વર્ષે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ. તો જ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ પ્રાણવાન અને વધારે નિર્મળ રહી શકે. આવું તપાસપંચ નીમીને દક્ષિણામૂર્તિ સંસ્થાએ છેક સન ૧૯૧૮માં વ્યવસ્થાપનનો એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો. એ પંચના અધ્યક્ષ હતા ગુલાબરાય ગોવિંદરાય દેસાઈ, બી. એ. એલએલ.બી. ગુલાબભાઈ ભાવનગરના અગ્રગણ્ય નાગરિક અને અનેક નાનીમોટી જાહેર પ્રવૃત્તિઓના સુકાની. તપાસપંચનો અહેવાલ રજૂ થયો, પછી સંસ્થાએ તે છપાવીને જાહેર કર્યો. નાનાભાઈ લખે છે, ‘આ અહેવાલથી અમને એક તરફ પ્રતિષ્ઠા મળી ત્યારે બીજી બાજુથી અમારી ઊણપોનું પણ સ્પષ્ટ ભાન થયું. કમિશને ગિજુભાઈના શિક્ષક તરીકે ભારોભાર વખાણ કર્યા. સંસ્થા ઉપર અમારા શ્રીમાન નથ્થુરામ શર્માની છાયાને લીધે જૂના ક્રિયાકાંડને જે વધારે પડતું સ્થાન મળે છે તે તરફ પણ વિવેકભર્યો અંગુલિનિર્દેશ કર્યો અને કમિશનના અહેવાલ ઉપરાંત મારા તેમજ ગિજુભાઈના અંગત વાચન માટેની એક નોંધમાં હરિજનોને સંસ્થામાં નથી દાખલ કર્યા તે સંબંધમાં મિત્રભાવે પણ સખ્ત ટીકા કરી.” જોકે આ તપાસ પંચને પરિણામ એક લાભ એ થયો કે દક્ષિણામૂર્તિ સંસ્થા અને આશ્રમની રાષ્ટ્રીય શાળાનો સંબંધ ગાઢ બન્યો તથા નાનાભાઈ અને કાકાસાહેબનો પરિચય પ્રગાઢ મૈત્રીમાં પરિણમ્યો. જો કે દક્ષિણામૂર્તિ સંસ્થા પછીનાં વર્ષોમાં આવું તપાસપંચ નીમી શકી ન હતી. નાનાભાઈને તેનો ભારોભાર વસવસો હતો. એ વસવસો તેમણે કિંચિત વ્યંગ્યવાણીમાં આ રીતે વ્યક્ત કર્યો છે, “પહેલું કમિશન નીમ્યું ત્યારે અમે સૌ નાના હતા, અમને કોઈએ મોટા ગણ્યા ન હતા. પણ બીજું કમિશન નીમવાનો વખત આવ્યો ત્યારે અમે શિક્ષણના ક્ષેત્રમાં મોટા થઈ ગયા હતા. અમારા મિત્રો અમને એ ક્ષેત્રના ધુરંધર માનતા હતા, એટલું જ નહિ પણ અમે પોતે પણ અમને ધુરંધર માનતા હતા એટલે કમિશન નીમવા માટે કોઈ સભ્ય જ અમારા ધ્યાનમાં આવી ન શક્યા..નિષ્ણાતોના કામને પણ સાધારણ સમજની સરાણ પર ચડાવવું જરૂરી છે,  એ વાત અમને ગળે ન ઊતરી તે ઠેઠ સુધી ન ઊતરી. આ અમારી  મોટી ભૂલ હતી એમ કહેતા મને જરાયે સંકોચ નથી થતો. હું તો તે દિવસે માનતો  ય  હતો અને આજે પણ માનું છું કે આમ કેળવણીની સંસ્થાઓની તટસ્થ, પ્રાણવાન અને નવી દૃષ્ટિવાળા માણસો દ્વારા ચોક્કસ સમયે સર્વતોમુખી તપાસ થવી જ.”

 શિક્ષકગણનો સંકલ્પ કે કોઈપણ સંજોગોમાં શારીરિક સજા ન કરવી, વિદ્યાર્થીને કે આપણને ન શોભે એવા શબ્દો સંભળાવવા નહિ, કોઈને ઠોઠ કે મૂર્ખ કહેવો નહિ. કોઈને નંબર ઉતારવો નહિ, ઊભો રાખવો નહિ. આ રીતે ભયનું વાતાવરણ દૂર કરેલું. આમ વિદ્યાર્થીના વ્યક્તિત્વને આદર આપ્યો એ એક જ વસ્તુથી વિદ્યાર્થીઓમાં નવો પ્રાણ ચમકવા લાગેલો. તેમનામાં આત્મભાન જાગૃત થયું. ચિત્રકામ અને સંગીત માટે ખાસ શિક્ષકો રોક્યા. પરિણામે સંસ્થાના વિવિધ પ્રસંગોએ સંગીત અને ચિત્રકલાએ નવી ભાત પાડી. કાંતણ અને પીંજણને પણ વિષય તરીકે લીધા. એ માટે પણ એક ખાસ શિક્ષક રોક્યા. રૂપિયા સાડા સાત હજારના ખર્ચે ખાદીશાળાનું મકાન ચણ્યું. રેંટિયા ઉત્સવો ઊજવ્યા. વિનય મંદિરમાં સહશિક્ષણ દાખલ કર્યું. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની હવા વહેતી હતી ત્યારે દક્ષિણામૂર્તિએ નવીન સિદ્ધાંતોને લક્ષમાં રાખીને પોતાના જ બળે કેળવણીની રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરી.

છાત્રાલયની માફક જ વિનયમંદિરમાં પણ વિદ્યાર્થીમંડળ ચાલતું. આમ વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના ખીલવવાનો પ્રયત્ન થતો.

  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ફિલ્મ જોવા પર પાબન્દી જ્યારે દક્ષિણામૂર્તિમાં ફિલ્મ જોવાની છૂટ હતી. દક્ષિણામૂર્તિએ નવી વસ્તુ, વિચાર કે ચેતનાને આવકારવા હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખેલા.
  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વાળ વધારી ન શકતા. ફરજિયાતપણે તેમણે વાળ કપરાવવા જ પડતા. દક્ષિણામૂર્તિમાં આવી કોઈ પાબન્દી ન હતી તેથી લાંબા વાળવાળા વિદ્યાર્થીઓ પણ હતા.
  • દક્ષિણામૂર્તિમાં પ્રાર્થનામાં વિદ્યાર્થીએ જવું જ એવું ફરજિયાત ન હતું. તો પણ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પ્રાર્થનામાં જતા જ. પ્રાર્થનામાં તાલવાદ્યો સાથે ભજન-ધૂન થતાં ને પ્રાર્થનાને અંતે મજેદાર વાર્તા સાંભળવા મળતી.
  • વિનયમંદિરમાં સંગીતથી પિરીયડ બદલાય. ઘંટ વગાડવામાં ન આવતો. રવિવારને બદલે દર સોમવારે રજા રહે. દર રવિવારે સોંપાયેલા સ્વાધ્યાયો શિક્ષકને પરત કરવાના રહેતા. દરરોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી રમતગમત.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને ચિત્રકળા ગુજરાતના જ નહિ ભારતના ખ્યાતનામ ચિત્રકાર સોમાલાલ શાહ શીખવતા. ઈ. સ. ૧૯૩૫માં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને નૃત્ય શીખવવા વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકરજી પણ પધારેલા.

નાનાભાઈની પૂર્વ સંમતિથી હરભાઈએ વિનયમંદિરમાં જાતીય શિક્ષણનો પ્રયોગ કરેલો. આ માટે તેમણે કુમારી મંડળની રચના કરેલી એટલે કે ધો.૧૧ની મોટી બહેનો ધો.૮ની બહેનાના જાતીય જીવનને લગતા પ્રશ્નોની સમજણ આપતા. કેટલીક વખત માતાઓ પણ જાતીય શિક્ષણ આપવા આવતી. ને ક્યારેક ડૉક્ટરોની પણ હરભાઈ આ બાબતે મદદ લેતા. જાતીય શિક્ષણ આપવા માટેનો ‘કુમારી મંડળ’નો પ્રયોગ ખૂબ સફળ રહેલો. આ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓએ પણ હરભાઈ સમક્ષ કુમારમંડળ રચવાની દરખાસ્ત કરેલી. હરભાઈ સ્વયં જરૂર પડ્યે જાતીય શિક્ષણ આપતા, તેથી વિદ્યાર્થીઓ તેમને “મુંડાળી મા” કહેતા.

નાનાભાઈ નોંધે છે, “દક્ષિણામૂર્તિએ જ્યારે બાલમંદિરની શરૂઆત કરી ત્યારે અમે કેમ જાણે કેળવણીના ક્ષેત્રમાં હનુમાન કૂદકો માર્યો. આજ સુધી અમે અંગ્રેજી પહેલા ધોરણના અને તેથી ઉપરનાં ધોરણના વિદ્યાર્થીઓને તાલીમ આપતા હતા, પણ આ તાલીમ કાચા પાયા ઉપર ચણેલા ચણતર જેવી અમને લાગી એટલે ઠેઠ અઢી વરસની ઉંમરના બાળકથી કેળવણી શરૂ થવી જોઈએ એમ અમે વિચાર્યું અને બાળમંદિરની શરૂઆત કરી. આ જોઈને આદિવાસીઓના શિક્ષણ માટે ભેખધારી કવિહૃદયી શ્રી જુગતરામ દવેનું હૈયું ગાઈ ઉઠ્યું : 

બાલમંદિરિયું, બાલમંદિરિયું, અમારું સુંદર સોહાય

                                  વહાલું મારું બાલમંદિરિયું

ટેકરીને શિખરે મંદિર અમારું, દેરાની જાણે ધજાય

                                 વહાલું મારું બાલમંદિરિયું

સવારે સૂરજ સોનલાં રે વેરતા; સાંજે ગુલાલ ઢોળી જાય

                                   વહાલું મારું બાલમંદિરિયું

આ રીતે દક્ષિણામૂર્તિએ તબેલા જેવી ધૂળી નિશાળોમાં સબડતાં લાખો બાળકોની આહ સાંભળી અને ટેકરીના શિખરે બાલમંદિરની આલીશાન ઇમારત બાંધી સમસ્ત ગુજરાત માટે ભાવી બાલમંદિરોનાં મકાનનો આદર્શ પૂરો પાડ્યો.

દક્ષિણામૂર્તિએ આદર્શ પૂરો પાડયો. આ બધાના કેન્દ્રમાં હતા દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય શ્રી ગિજભાઈ અને સહકાર તથા તેમને હંફ હતી નાનાભાઈની એમના ગુજરાત વ્યાપી કામ ને કીર્તિનાં જ્યારે કોઈ વખાણ કરતું ત્યારે એ કહેતા: .”આ બધું દક્ષિણામૂર્તિ દેવની પ્રેરણાનું જ ફળ છે. હું તો નિમિત્તરૂપે મને સૂઝ છે તેમ કર્યો જાઉં છું. બાકી જશ આપવો હોય તો નાનાભાઈને જઈને આપો: એ જો સંસ્થાનાં દોરડાં ન ખેંચે તો આ મારો બાદશાહી ઠાઠ ક્યાંથી ચાલે.??” 

તો ગિજુભાઈના આ મૌલિક પ્રદાનને બિરદાવતા ગુજરાત નયી તાલીમ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા કેળવણીકાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પોતાના એક પ્રવચનમાં કહે છે, “ગિજુભાઈના આ પ્રદાનનું મૂલ્ય નાનું સરખું કે જેવું તેવું નથી. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના બાલમંદિરમાં વર્ષો સુધી કામ કરીને પ્રયોગો કરીને ગિજુભાઈએ આ સ્પષ્ટ, વિગતપૂર્ણ પદ્ધતિ ઊભી કરી હતી. ગુજરાતનાં સેંકડો બાલમંદિરો આજે એ પદ્ધતિને સહારે પોતાના ગજા પ્રમાણે બાલશિક્ષણ કરી રહ્યાં છે.”

(सन् 1922) દક્ષિણામૂર્તિ વિધાર્થીભવનનો મેગ્નાકાર્ટા (ખરડો)

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને કેળવણી વિષયક સિદ્ધાંતો બહાર પાડેલા અને :

નવા ટ્રસ્ટીમંડળે સ્વીકાર કરેલા તે અત્રે રજૂ કરેલ છે

1) સ્વાતંત્ર્ય, સ્વયંસ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીઓની જવાબદારી.

(2) વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ.

(3) માતૃભાષા દ્વારા જ શિક્ષણ.

(4) કેળવણીમાં ઔદ્યોગિક તાલીમને સ્થાન.

(5) શિક્ષા, ઈનામ, વગેરેનો સદંતર અભાવ.

(6) પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ.

(7) કલાના શિક્ષણને મહત્ત્વનું સ્થાન આપવું

(8) રમતો, પ્રવાસો, ચર્ચાસંઘો, નાટકો અને ઈતર વાચનને અભ્યાસ જેટલું જ મહત્ત્વ.

(9) હિન્દીનું શિક્ષણ ફરજિયાત.

(10) સંસ્થાને રાષ્ટ્રીય રાખવી એટલે કે સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી.

(11) સહશિક્ષણપ્રથા સ્વીકારવી.

(12) શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા દ્વારા શિક્ષણ આપવું.

(13) શિક્ષકો અને ગૃહપતિઓ વિદ્યાર્થીઓના નિકટ પરિચયમાં રહે તેવી યોજના કરવી.

(14) સંસ્થાએ પોતે રચેલાં પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો.

(15) માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર શિક્ષણની યોજના કરવી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya  Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ...

મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.

ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.

એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.

આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’

જય સીયારામ…

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો….

ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો....

ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો.
 
ધરમપુર તાલુકા નું અંતરિયાળ ગામ છે ખાંડા. અને આ આદિવાસી લોકોનો વિસ્તાર. આ લોકોને આદિતીર્થવાસી લોકો એવું નામાભિધાન કરવાનું પુણ્ય પૂજ્ય શ્રી મોરારીબાપુને મળ્યું છે. પોતાની નવ દિવસની રામકથા લઈને તેઓ આદિ તીર્થ વાસીઓની વચ્ચે બેઠા છે.
કથાના આયોજનમાં પણ પહેલે દિવસે જબાપુએ ટકોર કરી કે, “જે લોકો મને કાયમ સાંભળવા આવે છે, દૂર-દૂરથી આવે છે, પરદેશથી આવ્યા છે, એને મારી વિનંતી છે કે તેઓ પાછળના ભાગમાં બેસે અને અહીંના જે આદિવાસી વિસ્તારના લોકો છે એને મારી ખૂબ નજીક આવવા દે અને એને બેસવા દે. કારણ કે હું એમને મળવા આવ્યો છું. હું એમની વચ્ચે જઈને વાતો કરવા આવ્યો છું, હું એમના ખોયડે-ખોયડે જવાનો છું અને ત્યાં જઈને હું એમની વચ્ચે એમની વાત સાંભળવાનો છું, એમના ઘડેલા રોટલા ખાવાનો છું. મારે એ લોકોની સાથે ભળી જવું છે, જેથી કરીને એ લોકોને એવું લાગે નહીં કે કોઈ સનાતન ધર્મનો એક ભૂખ્યો એનાથી દૂર રહ્યો છે. હું આ મારા સૌ કુટુંબીજનોને, મારા પરિવારને ફરી એકવાર જોડવા માટે અહીં આવ્યો છું.” અને આનંદની વાત એ હતી કે બીજા જ દિવસથી આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી અને બાપુની સન્મુખ આ આદિ તીર્થવાસીઓ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે, દૂરનો વિસ્તાર છે, સખત ગરમીની આગાહી છે, હીટવેવ ની પણ આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે કદાચ કથામાં એટલા શ્રોતાઓ ઉપસ્થિત નહીં થાય, પણ બીજા જ દિવસથી કથાનો મંડપ છલો-છલ છલકે છે. બાપુએ કથા ન સાંભળો તો પણ ભોજનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે ખુલ્લું ઈજન આપ્યું છે. માત્ર ખાંડા નહિ, આજુબાજુનાં ગામના લોકોને કહ્યું છે કે, નવ દિવસ સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળુ તમારે અહીંયા કરવાનું છે. કોઈ ગામની અંદર ચૂલો પેટાવાની મનાઈ છે. બાપુએ પોતાના મનોરથ પ્રમાણે ખાલી ઈશારો કર્યો અને એના મનોરથી યજમાને સવાર-સાંજ શેરડીનો રસ પાઈને ઠંડક કરવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે જમતા પહેલા અને જમ્યા પછી તમે ભાવે તેટલો શેરડીનો રસ અહીં પી શકો છો. બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેના એક માત્ર ઇશારાથી એમના યજમાનો બાપુ શું કહેવા માંગે છે તે પારખી જાય છે, અને બાપુની ઈચ્છાથી સવાયું કરીને એ પાછું આપે છે.
ખાસ કરીને બાપુએ આયોજન એવું કર્યું છે કે, રોજ સાંજે તેઓ એક-એક ફળિયામાં જાય, અને એમ કરીને નવ દિવસમાં નવ ફળિયા આ ગામના જે મુખ્ય છે, ત્યાં જઈને રાત્રે રોટલો ખાય, જેથી કરીને એ લોકોને એમ લાગે કે બાપુ અમારા ઘર સુધી આવ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે બાપુએ અનેક વખત કથામાં કહ્યું છે કે, ‘તમારા ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી’, અને પાંચ વસ્તુઓ ગણાવતા તેઓ કહે છે કે, તમે બે- બે ની જોડમાં પાંચ વસ્તુઓ રાખજો, બે પાદુકા રાખજો, બે દીવા કરજો, બે માળા રાખજો, બે ગ્રંથ રાખજો, અને બે અક્ષરનું નામ ‘રામ’ તમારા ઘરમાં રાખજો.’ બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો. બાપુની આ વાત પહેલેથી પારખી ગયેલા આ કથાના વ્યવસ્થાપકો, ડો. પ્રજ્ઞાબેન કલાર્થી, અને પરેશભાઈ ફાફડાવાળા વગેરેએ નક્કી કર્યું કે, આ ગામના ઘરે-ઘરમાં આપણે ‘ભગવદગીતા’ અને ‘શ્રીરામચરિત માનસ’ પહોંચાડીએ. બાપુના આવતા પહેલા આ કામ પૂર્ણ થયું. આ વિસ્તારના લોકોની સજગતા જોવા જેવી છે, એમણે બાપુના આવ્યા પછી એ રામચરિત માનસમાં બાપુના હસ્તાક્ષર લેવા માટે લાઇન લગાડી. બાપુની પાસે રોજ લગભગ પચાસેક લોકો આવે અને ‘રામચરિત માનસ’ આપે કે “બાપુ આમાં આપના હસ્તાક્ષર કરી આપો”.
ગમે તેટલા મોટા ઉધામા કરીએ તો જે ન થઈ શકે એવું કામ બાપુ અત્યારના ખાંડામાં કરી રહ્યા છે. કથા જેમ જેમ આગળ વધતી ગઈ એમ બાપુને અહેસાસ થતો ગયો કે આદિવાસી વિસ્તારોમાં પહોંચવું હોય તો એક કથાથી કામ પાર નહીં પડે. બીજે જ દિવસે બાપુએ પોતાની કથામાં જાહેરમાં એવું કહ્યું કે, “અમે તમારા સુધી નથી પહોંચી શક્યા, અમે તમારી વાત નથી સમજી શક્યા એ બદલ ક્ષમા યાચના કરવાનું મને મન થાય છે. હું તો રવેચીની કથાથી ક્ષમા હું યાત્રાએ નીકળ્યો હોઉં એવું મને લાગે છે, એટલે રવેચી પછી આ મારું ક્ષમાયાચનાનું બીજું સોપાન છે. અને મારા મનમાં આવા સાત સોપાન કરવાનો મનોરથ છે. બાપુએ એમ કહ્યું કે નેવું ટકા ઈશ્વરનો સાથ રહેશે તો હું પ્રતિવર્ષ એક વખત કોઈ આદિતીર્થવાસી વિસ્તારની અંદર રામકથા લઈને આવીશ. બાપુએ એવું પણ કહ્યું કે, તમે મને સૂચન કરજો કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી?, એ વિસ્તારમાં ઊંડે જઈને પણ રામકથા કરવાનો મારો મનોરથ છે. ત્રણ દિવસમાં બાપુએ આ વાતને માત્ર કહી એટલું નહીં, એ વાતને ચાલતી કરી દીધી, એના ચક્રો ગતિમાન કરી દીધા, અને કથાના ત્રીજા દિવસે તો બાપુએ ઘોષણા કરી દીધી કે, “એક વર્ષની અંદર, આવતા ડિસેમ્બર સુધીમાં હું સોનગઢના આદિતીર્થવાસીઓની વચ્ચે કથા કરવા આવવાનો છું. “
આ આખી કથાનો રણકો એવો ઉભો થયો છે કે સનાતન ધર્મના જે મુખ્ય ધુરંધરો છે, એના સામે એક નવા સૂર્યના ઉદયનો પ્રસંગ જાણે આવ્યો છે. હવે ધર્મ પરિવર્તન કરવું એટલું સહેલું નહીં બને, કારણ કે ઘર-ઘરની અંદર વ્યાસપીઠ પહોંચી છે. ઘર-ઘરની અંદર કથા પહોંચી છે, અને આ આપણને બહારથી અબુધ લાગતા લોકો ખૂબ સમજવાળા છે, ઓછામાં ઓછું બોલે છે, તમે બોલો ત્યારે એની આંખોથી એ સાંભળે છે, તો એ આંખોથી સાંભળતા લોકો સુધી બાપુ બરાબર પહોંચ્યા છે. અને પ્રતિવર્ષ આદિતીર્થક્ષેત્રમાં જઈને તેઓ કથા કરવાના છે, એ બાપુનો વૈશ્વિક સ્પૃશ્યતા માટેનો યજ્ઞ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

નવા વર્ષે પ્રિય બાપુનું સામીપ્ય

@ખાંડા, ધરમપુર. તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
 
ચૈત્ર નવરાત્રીની આજે શરૂઆત થઈ. આજે ગુડી પડવો પણ અને સનાતન ધર્મનું આજે નવું વર્ષ હતું. સવારથી એવી ઈચ્છા હતી કે આજની સવાર દિવ્ય હોય એવું કશુંક વિચારું. ત્યાં તો જાણવા મળ્યું કે, ધરમપુરથી ૧૫ કિમી દૂર ખાંડા ગામે ગઈકાલથી પ્રિય મોરારીબાપુ પધારી ચૂક્યા છે. તાત્કાલિક આપણા ચરણ ધરમપુર થી ખાંડા તરફ દોડ્યા. જ્યારે ખાંડા ગામમાં વનરાજીઓની વચ્ચે બાપુની એક કુટીયામાં પહોંચ્યો ત્યારે બાપુ એ ય ને નીજી આનંદથી હિંડોળે હિચકતા હતા, બાજુમાં યજ્ઞ કુંડ હતો, સુંદર મજાની ગાદી બિછાવેલી હતી અને ઉપર હનુમાનજીની હાજરી પૂરતી તસવીર હતી.
શ્રી ગુણવંત શાહ વારંવાર એમ કહે છે કે, ‘આભિજાત્ય ની બાબતમાં તો મોરારીબાપુને કોઈ ન પહોંચે’ ,, એ વાત મેં અનેક વખત અનુભવી છે અને આજે પણ અનુભવી. આપણને દરવાજામાં પ્રવેશતા જોઈને દૂરથી બાપુ એમ કહે કે, ખુરશી લઈ લ્યો અને ખુરશી પોતાની બાજુમાં મૂકી, આપણે હજી દાખલ થઈને પ્રણામ કરીએ એ પહેલાં તો, ‘બેસો બેસો’ એવો આવકારો આપે અને પૂછે, ‘બધું બરાબર છે ને દીકરો મજામાં છે ને ??’ આવા ખબર આજકાલ કોઈ પૂછતું નથી. કુટુંબમાં પણ નહીં ને ! (જો કે, કુટુંબમાં તો કોઈ એકબીજાને મળતું જ નથી તો પૂછે ક્યાંથી ??) બાપુની આ સુંદર મજાની પૃચ્છાથી ચૈત્ર નવરાત્રીનો પહેલા દિવસનો આરંભ ભર્યો ભર્યો થઈ ગયો.
શાંત ચિત્તે બાપુ પાસે બેસવાની ખૂબ મજા આવે છે. ઘણા લોકો બાપુને મળવા આવે ત્યારે ખૂબ વાતો કરતા હોય છે. પોતાની કેટલીક વાત બાપુની જાણમાં મૂકે અને એ બહાને બાપુને થોડું બોલતા કરે,, પણ કોણ જાણે કેમ, મને તો બાપુ પાસે જઉં ત્યારે મૌન રહેવું બહુ પસંદ પડે છે. મને તો એવો ભાવ થાય કે, આવડું મોટું રામચરિત માનસ આપણી સમક્ષ બેઠું હોય ત્યારે આપણે શું બોલીએ એની માત્ર કલ્પનાથી આપણે મૌન થઈ જઈએ. ખરેખર આજે ય એવું જ બન્યું.
એક પછી એક આદિવાસી બહેનો, ભાઈઓ, નાના બાળકો આવી રહ્યા હતા અને બાપુને પ્રણામ કરતા હતા. બાપુની બાજુમાં હંમેશા કોઈ એક સેવક હોય છે. (નોંધવા જેવું એ છે કે, બાપુ ની બાજુમાં કોઈ દિવસ એકનો એક સેવક હોતો નથી, સેવક બદલતા રહે છે છતાં બધાનો સેવ્ય ભાવ એક સરખો હોય છે…) એ સેવક રામનામી બાપુને આપતા જાય અને બાપુ બહેનોના હાથમાં રામનામી મુકતા જાય અને બાળક આવે એટલે ₹500 ની નોટ આપે. અને બાપુ બાળકના હાથમાં નોટ પકડાવીને તેનું નામ પૂછે ને કહે, આને ભણાવજો હો.. કોઈ વળી આવીને કહે કે, બાપુ મારું નામ અહીંયા લખવું છે’, તો બાપુ તાત્કાલિક એનો હાથ પકડી લીલી પેન લઈને નામ લખી આપે.
આજે વળી એક આશ્ચર્ય થાય તેવું બન્યું. એક આદિવાસી બહેન બાપુને માથું ટેકવી પગે લાગ્યા ને બાપુએ રામનામી આપી. ત્યાં તો એ આદિવાસી બહેને બાપુના હાથમાં ભૂંગળી વાળેલી બે નોટ મૂકી. નિલેશભાઈ એ બહેનને રોકે ત્યાં બાપુએ આંખથી કહી દીધું કે, એને ના ન પાડજો. નિલેશ ભાઈ તો બાપુનો ઈશારો તરત સમજી ગયા. બાપુએ સ્મિત સાથે બે નોટ લઈ લીધી અને નોટને સરખી કરીને પોતાની ગાદી નીચે દબાવી દીધી. એક છેવાડાના માણસની લાગણીને માન આપવા પોતાના નિયમને એક બાજુ રાખી દીધો. હું મનોમન બોલ્યો, ‘વાહ, બાપુ, તમે તો તમે જ છો હો..’
અને હા, બાપુએ વચ્ચે એક સેવક ચોકીદારને બોલાવીને કહ્યું કે, ‘જે આવે ને એને આવવા દેજો, એને કહેજો ચાલો મેળવી દઉં, બસ પછી તમે કશું નહીં કેજો. હું એમને મળી લઈશ પણ કોઈને ના નહીં પાડતા. હું આજથી અહીંયા સૌને મળવા આવ્યો છું. મારે એ લોકો સાથે વાતચીત કરવી છે….’ આ વાત જ્યારે સાંભળી ત્યારે બાજુમાં મૌન રીતે બેઠેલા મારા મનને એમ લાગ્યું કે આભિજાત્ય તો ક્યાં, બાપુની કરુણાની તોલે પણ કોઈ ન આવી શકે !!
બાપુ એટલા બધા સહજ છે કે ક્યારેય કોઈને આશીર્વાદ દેતા જોયા નથી, બાપુ ક્યારેય કોઈને ધબ્બો મારતા જોયા નથી, બસ, કોઈ આવે એટલે દૂરથી બાપુ હાથ જોડી નીચા ઝૂકી પોતે પ્રણામ કરે. મેં તો આજે એવું પણ અનુભવ્યું કે આદિવાસી બહેનો માથું ટેકવીને જ્યારે પગે લાગે ત્યારે બાપુ પોતાના પગ અંદર ખેંચી લે. કોઈ ચરણસ્પર્શ કરે તો એને ગમતું નથી. બાપુની બેઠક જ એવી રીતે હોય કે કોઈ એના ચરણસ્પર્શ ન કરી શકે.
આજના વિપથગામી સમયમાં જ્યારે કેટલાય લોકો પોતાના ચરણસ્પર્શ કરાવવા માટે તલ પાપડ હોય છે, ત્યારે એક વિશ્વખ્યાત વ્યક્તિત્વ પોતાના ચરણોને દૂર કરી લે છે એ જાણીને આપણા મનમાં સાનંદાશ્ચર્ય થાય , પણ બાપુની આ જ તો સહજતા છે અને તે બેનમૂન.
અર્ધો કલાક થયો ત્યાં બાપુની ચા આવી. બાપુની ચા બહુ અલગ છે. તમે બાપુની ચા જ્યારે પીવો ત્યારે કોઈ પણ ઋતુ હોય પણ એની અંદર અદ્રક કે સૂંઠ બરાબર નાખેલ હોય.. એ ભલે બે ઘૂંટડી પીએ, પણ એ બે ઘૂંટડીમાં તો આખા શરીરની અંદર ઉઘાડ ઉઘાડ થઈ જાય. સંતરામભાઈ ચા લઈને આવ્યા કે બાપુનો વિવેક બોલ્યો, ‘ સૌને આપો.’ #સનાતન_ધર્મનું કોઈ પીણું ઘોષિત કરવું હોય તો બાપુની સંતરામભાઈએ બનાવેલી ચા ઘોષિત કરવી જોઈએ, (એવો મારો મનોરથ છે.) બાપુ કાયમ ચાની સલ્લા કરે જ અને તેની મને પ્રતિક્ષા પણ હોય.
પ્રિય મોરારીબાપુનાં સાનિધ્યમાં ગુડી પડવાનો પ્રભાતનો આમ સહજતાથી આરંભ થયોને હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
ભદ્રાયુ વછરાજાની
@ખાંડા, ધરમપુર
તા. ૦૯-૦૪-૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

હલચલ – મુંબઈ આવૃત્તિ – માર્ચ ૨૦૨૪

લેખક: ભદ્રાયુ વછરાજાની,  પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, ભાવનગર 

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

વિશ્વ વંદીય નરસિંહ મહેતા એ ગાયું છે : નામરૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોય !

અહીં હેમનો અર્થ સોનુ એવો થાય છે. અને એવો અર્થ અભિપ્રેત છે કે તમે સોનામાંથી જાતજાતના અને ભાતભાતના દાગીનાઓ બનાવો અને એ પ્રત્યેકને જુદું જુદું અલંકૃત નામ આપો પણ અંતે તો એ સોનુ છે. તમે એમ કહો કે મને સોનુ કાઢીને દાગીના આપો તો કશું મળે નહીં. 

આ પંક્તિઓ અત્યારે એટલે યાદ આવી છે કે મારે વિશ્વના એક એવાં વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેના નામમાં જ નહીં પણ જીવનમાં પણ  ‘હેમ’ શબ્દ મુખ્ય છે. એ વ્યક્તિ ખુબ નસીબદાર છે. ઈશ્વરના ચોતરફના આશિર્વાદોથી તરબતર થઈ જાય એટલી સભર છે અને એટલા માટે એમ કહેવાય કે ‘હેમ’ ઉપર  ‘રાજ’ કરી શકે, સુવર્ણ ઉપરથી  પણ ઉઠીને જે માણસ પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ સાથે ભેળવી દઈ શકે એનું નામ હેમરાજ શાહ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ભારત એવાં રાજ્ય કે દેશો નહીં પરંતુ સમગ્ર વિશ્વ જેમને હેમરાજ શાહના નામે ઓળખે છે એમને મળવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે. પણ કેટલાક માયાળુ માનવી એવાં હોય છે કે જેને ખુબ ઓછાં મળ્યા હોઈએ  છતાં એ તમારા દિલમાં જગ્યા બનાવી લે. હેમરાજભાઈના કિસ્સામાં મારા માટે આવું થયું છે, મને બરાબર યાદ છે કે મુંબઈનું  કોઈ થિયેટર હોય અને એમાં  ગુજરાતી જલસો કાર્યક્રમ હોય, કે વિદેશની ધરતી ઉપર ગુજરાતીઓનો કોઈ સુંદર મજાનો સમારંભ થયો હોય પણ બધાની સામે જે હોઠથી અને આંખથી સ્મિત સાથે હળતા મળતા હોય એવાં માણસ શોધો તો તે હેમરાજ શાહ નીકળે. આપણને એમ લાગે કે આ માણસને તો સુગંધી ગુલાબ, ચમેલી એવાં અનેક પુષ્પોનું વાવેતર કરવાની ટેવ છે. જ્યાં જાય છે, જયારે જાય છે, જેટલું જાય છે એ પોતાનું નામ વાવીને આવે છે. એવું પણ બન્યું છે કે હેમરાજ શાહને ઘણા લોકોએ સંકટ સમયની સાંકળ તરીકે પણ મદદ કરવા ટહેલ નાખી હોય અને હેમરાજભાઈએ એમાં પાછી પાની ન કરી હોય. મારે કોઈ યાદી નથી આપવી. આ બધી સ્ટેટિક બાબતો કહેવાય કે જે આપણને ગુગલ દેવતા પાસેથી મળી રહે. પણ મારે તો વાત કરવી છે એક સ્વચ્છ હૃદયના એક કરુણાસભર આંખવાળા અને જેમનો સમગ્ર ચહેરો ચોવીસેય કલાક સ્મિતમય હોય છે એવા હેમરાજભાઈ શાહ વિશેની. 

કચ્છને લઈને અમારું મળવાનું થયું પણ પછી એ કચ્છમાંથી ક્યારે સમગ્ર ગુજરાત સુધી અમે પહોંચ્યા અને ક્યારે વિશ્વના અનેક દેશો સુધી અમે મળતા રહ્યા એની યાદી  અત્યારે મારે યાદ કરવી પણ નથી. એક સરસ વાત છે : કોઈ પનિહારીએ પૂછ્યું કે તું તારા વાલમનું નામ કેટલી વાર લે છે ? દિવસમાં પાંચ વાર, દસ વાર, પંદર વાર ? તો પેલી પનિહારીએ સરસ જવાબ આપ્યો કે,  વાલમનું નામ લેવાનું હોય તો ગણવાની શું જરૂર ? વાલમનું નામ લેવાય એ જ ઘણું છે એની કાંઈ ગણતરી ન કરાય..એમ જ હેમરાજભાઈ શાહના સિદ્ધિદાયક કાર્યોની યાદી કરવાની શું જરૂર ? એ તો સ્થૂળ પરિચયમાં ખપી જાય. આપણે તો વાત કરવી છે સૂક્ષ્મજીવ માટે પણ સદા ચિંતા સેવનારા હેમરાજ શાહની. 

મારી સાથે એના બે ત્રણ કિસ્સાઓ છે એમાંથી એક સુંદર મજાનો કિસ્સો હું વર્ણવું. કચ્છની ધરતી માટે જેમણે કોઈ ખાસ પ્રદાન કર્યું છે, એમને એ પોતે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપે. કોણ જાણે શું થયું હશે ? કે ૨૦૧૭ ની સાલમાં એમણે મારું નામ એ એવોર્ડ માટે નક્કી કર્યું. મને ખબર હતી કે આ બધું નક્કી કરવાનું હેમરાજભાઈ શાહના હાથમાં છે. એટલે જયારે મને ઇમેઇલ આવ્યો કારણકે એ વખતે હું ઓટ્રેલિયા હતો અને ઈમેલ ઉપર એમ કહેવામાં આવ્યું કે કે તમને આ એવોર્ડ મળે છે અને એ એવોર્ડ લેવા માટે મુંબઈ આવવાનું છે. એ વખતના શિવસેનાના મોભીઓ દ્વારા એ એવોર્ડ અપાવાનો હતો. કચ્છ શક્તિ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. હેમરાજભાઈ એટલા બધા કુણા દિલના કે એમને ફોન કરીને મારે જે કહેવું હતું તે કહી શકાય કે નહીં એવું મેં ત્રણ ચાર દિવસ સુધી વિચાર્યું અને અંતે થોડી ઘણી હિંમત એકઠી  કરીને મેં હેમરાજભાઈને ઇમેઇલ લખ્યો. પરદેશથી ફોન કરવો મને થોડો મોંઘો પડે એટલે મેં નિઃશુલ્ક સેવા ઈમેઈલની વાટ પકડી. મેં વર્ણન કર્યું કે હું ખુબ આનંદ અનુભવું છું કે તમે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે, પણ સાચું કહો તો કચ્છ માટે મારું એવું કોઈ પ્રદાન નથી. હું અદાણી ફાઉન્ડેશનમાં એડવાઈઝર હતો એ નાતે મેં કચ્છમાં ઘણું બધું પ્રદાન કર્યું છે પણ એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે એટલે ખરેખર આ કચ્છ શક્તિ એવોર્ડનો હું હકદાર નથી અને બીજું હેમરાજભાઈ, મેં જીવનમાં એક વખત સન્માન પ્રાપ્ત કર્યું છે એ પણ બેસ્ટ રિસર્ચ પેપર માટે મને ‘પૂજ્ય શ્રી મોટા’ના નામથી સન્માન મળ્યું તે. પૂજ્ય શ્રી મોટાના નામથી મળેલા એ સન્માન પછી હું એટલો બધો ધરાઈ ગયો કે મને એમ થયું કે આમાં નોબલ પારિતોષિક પણ સમાઈ ગયું છે. એટલે ત્યાર પછી કોઈ પણ પ્રકારના સન્માન કે એવોર્ડ ન સ્વીકારવાનો મેં નાનકડો સંકલ્પ કર્યો છે. આમાં મારી કોઈ મોટાઈ નથી પણ અંગત રીતે હું એમ માનુ છું કે મારા જેવા માણસે જે કંઈ કર્યું છે એ ફરજના ભાગરૂપે કર્યું છે અને બદલામાં એને સરકાર દ્વારા પગાર મળ્યો છે. પગાર મળે એણે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરવું પડે, કરવું જ જોઈએ. પગાર એનો તો મળે છે એટલે આપણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવો ક્યારેય અહમ ન રાખવો. હું તો ત્યાં સુધી માનુ છું કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે હોમવર્ક આપીને મોકલ્યા છે કે આ હોમવર્ક તારે નીચે જઈને પૂરું કરવાનું છે. એ હોમવર્કમાં કંઈ કાચું રહી જાય ત્યાં સુધી ઈશ્વર આપણને ઉપર ન લઈ જાય. અને જો કાચું રાખીને લઈ જાય તો મારો વ્હાલો ઈશ્વર નારાજ થઈ જાય,  એટલે હું આપની લાગણીને માથા ઉપર ચડાવીને આપે નક્કી કરેલા એવોર્ડને ન સ્વીકારનો નિર્ણય આપને જાણ કરું છું. હું ઓસ્ટ્રેલિયા હતો પણ થોડા જ સમયમાં મારો ફોન નંબર મેળવીને હેમરાજભાઈનો મીઠો ફોન આવ્યો. અને એમણે કહ્યું કે હું તમારો ઇમેઇલ વાંચીને બહુ જ પ્રસન્ન થયો પણ મારી તમને વિનંતી છે કે તમે આ એવોર્ડ સ્વીકારો પછી કોઈ ન લ્યો તો ચાલશે. પણ મેં કીધું કે હું માનુ છું કે હેમરાજભાઈ એટલા મોટા દિલના છે કે મારા સંકલ્પને પણ ઠેસ પહોંચાડવાનું પસંદ નહીં કરે. એમણે અંતે કહ્યું કે હું તમારા સંકલ્પનો આદર કરું છું અને તમને એક નાનકડી વિનંતી કરું છું કે અમારી આ એવોર્ડ વખતે પ્રસિદ્ધ થનારી એક સુંદર મજાની પુસ્તકમાં તમે જે મને ઇમેઇલમાં લખ્યું છે તે મને લખી મોકલો. મારા આશ્ચર્ય વચ્ચે એ પુસ્તક મારી પાસે આવ્યું ત્યારે તેના છેલ્લા પૃષ્ઠ ઉપર મારા ફોટોગ્રાફ સાથે નીચે એવું લખેલું હતું કે, હું આદર સાથે કચ્છ શક્તિ એવોર્ડ ન સ્વીકારવાનું નક્કી કરું છું,  કારણકે હું માનુ છું કે મેં જે કંઈ કર્યું છે એ તો ઈશ્વરે સોંપેલા હોમવર્ક પુરા કરવાનું કામ કર્યું છે. 

આ એક જ પ્રસંગ એવો હતો કે જયારે હું અને હેમરાજભાઈ એકબીજા સાથે  આવી રીતે ઈન્ટરેક્શનમાં આવ્યા અને એકબીજા સાથે સંવાદ કર્યો. અનેક વખત અનેક સેવાના કાર્યોમાં હેમરાજભાઈની સાથે એમના હાથ નીચે કામ કરવાની નાની મોટી  તક મળી ત્યારે એમનો મૃદ સ્વભાવ, એમનું કરુણામય જીવન અને  સૌને પોતાનાં કરી લે તેવો  દિવ્ય પ્રભાવનો અનુભવ મેં હંમેશ કર્યો છે.

હેમરાજભાઈ ૮૨ વર્ષ પુરા કરે છે અને ૮૩ માં પ્રવેશ કરે છે. ત્યારે  બહુ સુંદર વિચાર  છે કે ૮૨ વ્યક્તિઓ પાસે હેમરાજભાઈ વિશે નાનામોટા લેખ લખાવવા  અને તેના ગ્રંથનું વિમોચન થશે. હું આ ગ્રંથમાં મારા થોડા શબ્દોનું અર્ધ્ય તેઓના જીવન વિશે અર્પણ કરી શક્યો છું એ મારા માટે ભાગ્યની વાત  છે. 

છેલ્લી વાત એ કહું કે પૃથ્વી ઉપર વિપથગામી પરિબળો ધીમે ધીમે કબ્જો કરતાં જાય છે. મને અને તમને ખ્યાલ છે કે શાંતિ, અહિંસા, ભાઈચારો, સૌહાર્દ આ બધા શબ્દો હવે પાતાળ તરફ ધકેલાતા જાય છે. એને લઈને પૃથ્વી વધુને વધુ જોખમમાં આવી રહી છે. આમ પણ ભૂગોળ એમ કહે છે કે પૃથ્વી તો ત્રાસી ઊભી છે પણ એને સીધી કરવાનું કામ એક ધરી કરે છે. હું તો હેમરાજ શાહને પૃથ્વીને ટેકો કરનાર પેલી સીધી ધરીના રૂપથી નવાજું છું અને પ્રાર્થના કરું છું કે હેમરાજભાઈ ઘણું જીવો..હેમરાજભાઈને ઈશ્વર અપાર શક્તિ, બળ અને લક્ષ્મી આપે કે જે તેઓ અન્યના લાભાર્થે અનેક ક્ષેત્રોમાં તેનો સુંદર મજાનો દિવ્ય ઉપર્યોગ થાય તેવી ઈશ્વર તેમણે ક્ષમતા બક્ષે એવી મારી પ્રાર્થના. હેમરાજભાઈએ ૮૨ વર્ષ પુરા કર્યા છે ત્યારે નજદીક હોય તો તેઓને ૮૨ પ્રણામ કરવાની ઈચ્છા મને છે. દૂર હશે તો પણ હું માનસી સેવાની જેમ માનસ પૂજાની જેમ હું તેમને ૮૨ સ્મરણ વંદન કરું છું. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું…

દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું...

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજે માની દસમાં ધોરણની દીકરીઓને ગણિતની પરીક્ષા હતી. ગુજરાત આખામાં ગણિત આજે પણ વિદ્યાર્થીઓમાં ભયનો વિષય છે, એટલે દીકરીઓના ચહેરા પર ચિંતાના વાદળો દેખાતા હોવાં જોઈએ, પરંતુ બારડોલીની આ સરદાર પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓના ચહેરા હસતા દેખાતા હતા, કારણ આગલી રાત્રે બહારથી ભણાવવા આવતા જયેશભાઈ અને પ્રિયંકાબેને જબરદસ્ત પ્રેક્ટિસ ગણિતની કરાવી હતી, તેથી વિદ્યાર્થિનીઓનો વિશ્વાસ બમણો થઈ ગયો હતો.

એક વાત એ નોંધવા જેવી છે કે ગઈકાલે દીકરીઓની બોર્ડની રસીદો જે મેં માના મંદિરમાં મૂકેલી જોઈ હતી અને તેના ચિત્રો આપને દર્શાવ્યા હતા તે રસીદો આજે જુદી જ રીતે ગોઠવાયેલી હતી. માના રૂમમાં એક શેટી ઉપર સૌના ક્રમબદ્ધ ફોટા દેખાય તેવી રીતે આ હોલ ટિકિટ પાથરેલી હતી. (આ સાથેની તસવીરમાં તે જોઈ શકાશે) અને બીજી એક શેટી ઉપર વિદ્યાર્થીઓના ક્રમ પ્રમાણે એમની ઘડિયાળો ગોઠવેલી હતી.!!! આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કારણ આ કંઈ દીકરીઓનું ઘર નથી, પણ ઘરથી પણ વિશેષ જેની કાળજી નિરંજના મા લે છે, તે છાત્રાલય છે અને એવું છાત્રાલય કે જ્યાં માની નિશ્રા ચોવીસે ય કલાક મળતી રહે છે.

મા પોતાના શયન પછી આ શેટીઓ ઉપર દીકરીઓની રસીદ અને તેની ઘડિયાળ ગોઠવીને રાખી દે છે. પરીક્ષામાં જતા પહેલા થોડી વારે વિદ્યાલયમાંથી દીકરીઓ ક્રમબદ્ધ લાઈનમાં ગોઠવાઈને ધીમે ધીમે માના મંદિર પાસે આવે છે, ત્યાં માના અન્નપૂર્ણા ઈલાબેન સૌને શુકનનું ચંદન કપાળે કરે છે અને દીકરીઓ ભગવાનને પ્રણામ કરી પોતાની રસીદ લઈ લે ને પછી અંદરથી પોતાની ઘડિયાળ લઈ બહાર બેઠેલા માને ‘જય સિયારામ’ બોલતા બોલતા પ્રણામ કરે છે અને ત્યાં ગૃહમાતા ઉર્વશીબેન ઊભા છે, જે સૌને શુકન માટે દહીંની ચમચી મોંમાં આપે છે !!

આ આખી એક વૈદિક સંસ્કાર પ્રક્રિયા આ ગ્રાન્ટેડ સ્કૂલમાં થાય છે, કારણ કે ત્યાં મા દીકરીઓ માટે ખડે પગે 86 વર્ષની ઉંમરે પણ સતત હાજર રહે છે.

અને પછી મા દીકરીઓને ખુલ્લા મોટા આઇસરમાં ટેબલ રાખીને ચડાવે છે અને પછી એ આઇસર ની પાછળ પોતે ગાડીમાં જઈને બે કેન્દ્રો ઉપર આ દીકરીઓને પરીક્ષા સ્થળે પહોંચાડી હાશકારો અનુભવે છે. કહો જોઈએ, આવી કાળજી કોણ લેતું હશે ?? અહીં તો એવી દીકરીઓ છે કે જેને કાં તો મા નથી, કાં તો બાપ નથી, કાં તો બંને નથી, કાં તો પોતે નવી મા પાસે મોટી થઈ રહી છે અને એ પણ દૂર સુદૂર ક્યાંક મહેનત મજૂરી કરતી હોય છે કે જેને ખબર પણ નથી કે આજે આ દીકરીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર છે,, પણ એ દૂર રહેલી મા કે બાપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમણે પોતાની દીકરીને માની આંગળીએ સોંપી દીધી છે.

અહીં 18 થી 20 મહિના જ આ દીકરીઓ રહે છે, કારણ તેઓ નવ માં આવે છે અને 10 મું પૂરું કરીને જતા રહે છે, પરંતુ આ 20 મહિનામાં મા એમને એવા તૈયાર કરે છે કે ન પૂછો વાત.. વધુ વિગત ત્યારે જ સમજાય જ્યારે આ સંસ્કાર સિંચન કરતી વિદ્યાલયની આપણે મુલાકાત લઈએ.

આટલા વર્ષો પછી મને આજે પરીક્ષા ટાણે અહીં હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેથી તેની વાત મેં આપ સમક્ષ મૂકી છે. ચિત્રો વિડીયો વગેરે આપ નિહાળશો તો આપની સમક્ષ પાવન દ્રશ્ય ચરિતાર્થ થશે
સૌને જય સિયારામ…. ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી જન્મશતાબ્દિ 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

હું ત્યારે જુવાન હતો અને જુવાનીમાં એક નાગર કુટુંબના દીકરા તરીકે જીવનના બધા રસક્ષેત્રોમાં હું થોડો થોડો રસ લઈને ઊંડો ઉતરી રહ્યો હતો. ત્યારે રાજકારણ ઘણું બધું રાજનીતિનું કામ કરતું અને બહુ થોડું રાજકારણ થતું,, એ વખતે જેમને જોઈને અને વિધાનસભામાં બોલ્યા છે એના અંગે વાંચીને અથવા કોઈ નાની મોટી સભાઓમાં કે સંમેલનોમાં તેઓને સાંભળીને રાજકારણમાં જવું હોય  તો રોલમોડેલ કોણ  હોઈ શકે એવો જયારે મેં વિચાર કર્યો ત્યારે એક જ નામ હતું અને એ હતું શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી. 

એક વાત એવી પણ મનમાં એ વખતે બેઠી કે હું જેના પ્રભાવક વ્યક્તિત્વની  પુરેપુરી પ્રછાયામાં હતો એવા શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી પણ ફૂલ ટાઈમ રાજકારણમાં નહોતા. એ ધારાસભ્ય  કરતા ધારાશાસ્ત્રી તરીકે વધુ ખ્યાતનામ હતા. હું એ વખતે આ વાત દૂર દૂરથી દિવ્યકાંતભાઈને જોઈને સાંભળીને તારવતો થયો હતો એનો અર્થ એટલો કે મારી યુવાનીથી મારા ઉપર જે કેટલાક ત્રણ ચાર  વ્યક્તિત્વની ગહેરી અસર પડી તેમાં અવલ્લ નંબરે શ્રી દિવ્યકાંત નાણાવટી હતા. ઘણી વખત જ્ઞાતિના સંમેલનમાં મળવાનું થાય, ઘણી વખત હું શિક્ષક થયો હોવાથી કોઈ શિક્ષણ અંગેના કાર્યક્રમમાં તેઓના પ્રમુખ પદે કોઈ વાત ચર્ચાતી હોય તેમાં ભાગ લેવાનું થાય અને એમ હું એમની નજીકમાં પહોંચતો  ગયો. 

કાળવા ચોકથી એક બાજુ રસ્તા ઉપર હું ભૂલતો ન હોઉં તો ‘ત્ર્યંમ્બકમ’  બહુ મોટું હવેલી જેવું મકાન હતું, એમાં પણ હું ઘણીવાર જઈ આવ્યો અને દિવ્યકાંતભાઈ અને સૌદામિનીબેનના પ્રસન્ન દામ્પત્યને  નીરખવાનો મને ખુબ સારો લાભ પણ મળ્યો. 

એક એવા ધારાશાસ્ત્રી કે જે ધારાસભામાં કોઈ વાત રજૂ કરવા ઉઠે ત્યારે  સભાગૃહની  દરેકે દરેક દિવાલના કણે કણ પણ તેને  કાન મૂકીને સાંભળે એવી વિનમ્ર છતાં મક્કમ, ચુસ્ત છતાં સ્પષ્ટ રજુઆત મેં કોઈની માણી હોય તો દિવ્યકાંતભાઈની હતી. એમનું પ્રેસકવરેજ જયારે આવતું ત્યારે પણ મુખ્યમંત્રી કરતા કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટીએ ગૃહને કઈ માહિતીથી અવગત કરાવ્યા તેનું કવરેજ મેં વધુ છપાતું જોયું હતું. આમ, શિક્ષણ અને સાહિત્ય સાથેનો મારો નાતો આજીવન રહ્યો પરિણામે શિક્ષણની તેઓની સહાયક પ્રવૃતિઓમાં મારે ઘણી જગ્યાએ સાથે રહેવાનું બન્યું. પણ હું આજે એટલું ચોક્કસ જાહેરમાં સ્વીકારું કે હું હંમેશા તેઓના પ્રભાવ હેઠળ રહ્યો. એકેય ક્ષણ એવી ગઈ નથી કે જયારે મેં દિવ્યકાંતભાઈને એક સામર્થ્યવાળા વ્યક્તિત્વથી નીચે ક્યારેય જોયા હોય અથવા જાણ્યા હોય. ત્રણેક અવસરે કોર્ટમાં જઈને વકીલો માટેના કોર્ટરૂમમાં પણ એમને મળવાનું બન્યું, એ સમયે પણ એના સાથી ધારાશાસ્ત્રીઓ જે રીતે દિવ્યકાંતભાઈની વાતને કાન ધરીને સાંભળતા હોય કે તેઓને જે ગૌરવ અને માન આપતા હોય તેની  પણ મારા મન પર ઊંડી છાપ પડી  છે. એ ઊંડી છાપે  મને દિવ્યકાંતભાઈનો ચાહક બનાવી દીધો હતો. 

બન્યું એવું કે મેં  ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કર્યો જૂનાગઢથી. જૂનાગઢની બીએડ કોલેજના અધ્યાપક તરીકેના ઈન્ટરવ્યૂમાં મારે જવાનું થયું અને ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે મેં ઇન્ટરવ્યૂ લેનાર પેનલમાં  શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીને  બેઠેલા જોયા અને મને અંદરથી આનંદ થયો. એક કોઈ વ્યક્તિ એવી પણ ત્યાં હતી કે જે જ્ઞાતિ વડીલ એ કોલેજનું સંચાલન કરતી હતી તે જ્ઞાતિના હતા અને બહાર એવું બોલાતું હતું કે, એ ભાઈ આ ઈન્ટરવ્યૂમાં પસંદ થવાના છે, બાકીના લોકો નિરાશ થવાના છે. પણ ઇન્ટરવ્યૂ માટેના રૂમમાં દિવ્યકાંતભાઈની પડછંદ કાયા મેં પ્રવેશતી જોઈ ત્યારે મને ઊંડે ઊંડે એવું લાગ્યું કે, ના, પસંદગી તો યોગ્ય ઉમેદવારની જ થશે. આપણે સમજી શકીએ કે આ ભરોસો એમ ને એમ તો ન બંધાણો હોય. અગાઉની કેટલીક મુલાકાતો અથવા તો પારદર્શીતાભર્યા નિર્ણયોના આપણે સાક્ષી બન્યા હોઈએ  એટલે આવો ભરોસો બંધાયો હોય !!. ઇન્ટરવ્યૂ લાંબા ચાલ્યા. જે વ્યક્તિ લેવાશે એવી વાત હતી એનો ઇન્ટરવ્યૂ પણ ખાસ્સો લાંબો ચાલ્યો અને મારી સાથે પ્રશ્નોત્તરી કરવામાં મુખ્ય દિવ્યકાંતભાઈ હતા .એણે વ્યાપક્તાથી મને  પ્રશ્નો પૂછ્યા અને એકદમ હકારાત્મક રીતે સામે બેઠેલા ઉમેદવારને જરા પણ એમ ન લાગે કે, મારું કોઈ મૂલ્યાંકન કરી રહ્યું છે એટલી સાલસતાથી તેઓ બધાના ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યૂના રૂમની અંદર દૂર એક આરામ ખુરશીમાં એક પ્રચંડ મોભાદાર  વ્યક્તિત્વ આરમ ફરમાવી રહ્યું હતું અને તેઓ બધાને શાંતિથી સાંભળી રહ્યા હતા. પછીની પ્રક્રિયા મને સીધી ખબર નથી, પણ પછીથી મને જે જાણવા મળ્યું તે એવું છે કે, ઈન્ટવ્યુ પૂરો થયો ત્યારે એ આરામ ખુરશીમાં આરામ ફરમાવનાર  વ્યક્તિત્વ એ દિવ્યકાંતભાઈને પૂછ્યું કે, ‘નાણાવટી, તમે શું કહો છો ? કોને પસંદ કરીએ ?’ અને ત્યારે દિવ્યકાંતભાઈએ જવાબ આપ્યો, ‘તમે જેનું નામ લેતા હતા એ ભાઈ તો પસંદ થાય એમ નથી.’ એટલે તરત જ સામેથી જવાબ મળ્યો કે, ‘ના એ ભૂલી જાઓ ને તમારો મત શું છે એ મને કહો.’ એટલે એમણે  મારું નામ આપ્યું એટલે પેલા સંચાલક વ્યક્તિત્વ (જે પણ એક ધુરંધર વ્યક્તિ હતા) એમણે કહ્યું કે,  ‘પેલો એક જાડિયો ગુલાબી ગાલવાળો છોકરો આવ્યો હતો, નાગર હતો ને એને લઈએ, એવું મને લાગે છે તમે શું કહો છો ?’ એટલે દિવ્યકાંતભાઈએ કહ્યું કે, ‘આપે કહ્યું ન હોત તો હું એનું જ નામ આપવાનો જ હતો.’ આ વાત જયારે ઈન્ટરવ્યૂમાં કમિટીમાં સામેલ થયેલા બે મેમ્બરોએ મને કહી ત્યારે પણ એમાંથી મને એક પાસું જાણવા મળ્યું કે, તમે કમિટીમાં બેસીને તમારો  ધારેલો નિર્ણય સીધો જાહેર કરો એને બદલે મુખ્ય સંચાલકને વિશ્વાસમાં લઈને એના મુખેથી બોલાવો અને એ નામ જો તમારું જ નીકળતું હોય તો એ સમિતિ દ્વારા લેવાયેલો સર્વાંગ સંપૂર્ણ નિર્ણય બની રહે. નાગરોની મુત્સદીગીરી નો આ સાદર નમૂનો છે. 

મારી પસંદગી થઇ અને હું એ સંચાલક વ્યક્તિત્વને રૂબરૂ મળવા ગયો, એમના આશીર્વાદ લીધા અને પછી હું દિવ્યકાંતભાઈને મળવા પણ ગયો અને એમને મેં વિનંતી કરી કે, ‘મારું મૂળ તો રાજકોટ છે, પણ હું કોલેજમાં આવી જાઉં તો મને યુનિવર્સીટીમાં જવામાં રસ્તો સીધો પડે એટલે હું અહીંયા આવ્યો છું. મારું ફેમેલી રાજકોટ છે. મારે ભવિષ્યમાં જૂનાગઢ શિફ્ટ થવું નથી. તો મને અપડાઉન કરવાની મંજૂરી મળે એવું આપ કરી શકશો ?’ એમણે સામે પ્રશ્ન પૂછ્યા વગર બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કરીને  સામે એક વ્યક્તિને સ્પષ્ટ નિખાલસ છતાં સૌમ્યતા ભરી જબાને પોતાની વાત કરી અને એવું કહ્યું કે, ‘આ ઉમેદવારને આપણે જતો કરવા માંગતા નથી અને એ પોતાનું આપેલું વચન પાળે એવો છે. એટલે આપણે નિયમ ભલે ન હોય પણ આમને અપ ડાઉન કરવાની છૂટ આપીશું.’  સામેથી એવું કદાચ કહેવાયું હશે એવું મને લાગ્યું કે, આપણો નિયમ છે કે, કોઈ અપ ડાઉન કરતું નથી, ત્યારે દિવ્યકાંતભાઈએ થોડા મક્કમ ઘેરા અવાજે કહ્યું, ‘માણસ માટે નિયમ છે, નિયમો માટે માણસ નથી. આપણને એક ઉત્તમ માણસ મળતો હોય તો એ નિયમમાં આપણે બાંધછોડ કરીએ છીએ અને એ પ્રમાણે તમે એનો અમલ કરશો..’  આટલું કહીને એમણે ફોન મૂકી દીધો. પ્રાસંગિક જે વાત કરવાની હતી તે કહી મેં મારા તરફથી સ્પષ્ટ  બાંહેધરી આપી કે, ‘ હું સમયથી રોજ વહેલો પહોંચીશ અને સમય પૂરો થયા પછી જ નીકળીશ, કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે એ મારી ખાતરી છે.’ અને હું આભાર માનીને નીકળ્યો. મારી કોલેજમાં પહોંચ્યો ત્યારે મારા આચાર્યે મને બોલાવ્યો અને પોતાના ચહેરા ઉપરની નારાજગીને છુપાવતા છુપાવતા એમણે મને અપ ડાઉન કરવાની હા પાડી. એમને એ કદાચ નહીં ગમ્યું હોય કારણ  આ આદેશ એમને કોઈએ ઉપરથી આપ્યો હતો !!. જો કે ત્રણેક વર્ષના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે એ આચાર્ય માટે આવો આદેશ ન મળ્યો હોત તો તેઓ મારા એ ઉચ્ચ શિક્ષણના પ્રવેશને એટલો  મીઠો  ન રહેવા  દેત.!!!!

કોલેજના અનેક કાર્યક્રમોના સંચાલનમાં મારે અગ્રેસર રહેવાનું બન્યું ત્યારે દિવ્યકાંતભાઈના ઘરે જવાનું થાય, કોઈ કાર્યક્રમોની ચર્ચા સંદર્ભે, કોઈ સ્પીચ લખવાના સંદર્ભે એમને મળવાનું થાય અને ત્યારે હું એ ચુસ્ત નાગરી નિવાસમાં એકદમ ધીર ગંભીર દંપતીને દૂરથી માણતો રહેતો. એક નાનકડી વાત નોંધું. મને બરાબર યાદ છે કે કોર્ટે જવાનો સમય હતો, એ પહેલા અડધી કલાકે મને બોલાવ્યો હોય અને દિવ્યકાંતભાઈ  તૈયાર થઇ ગયા હોય  અને ઊંચી  ખુરશી ઉપર બેઠા હોય  અને મારી સાથે વાત કરી રહ્યા હોય  એ દરમિયાન સૌ. સૌદામિનીબેન આવ્યા અને એમના હાથમાં એક નાનકડી ડબ્બી હતી, એમાં રહેલું કાજળ  એમણે પોતાની જમણા હાથની ત્રીજી આંગળીથી બરાબર ઘસ્યું  અને એને કાજળ  ઘસતા જોઈને દિવ્યકાંતભાઈ પોતાનું મુખ જરા અધ્ધર કરીને શાંતિથી બેસી ગયા. મારી વાત અટકાવી દીધી અને તેઓની બંને આંખમાં કાજળ  આંજવાનું કામ ત્યારે સૌદામિનીબહેને કર્યું. નાગરોના અનેક લક્ષણો વિષે લોકો વાત કરતા હોય છે પણ આટલી ઉંચાઈ પર પહોંચ્યા પછી અને એક શીર્ષસ્થ સ્થાને પહોંચ્યા પછી પણ નાગર ગૃહિણી પોતાના પતિને વ્યવસાય ઉપર જાય તે પહેલા આંખમાં કાજળ આંજી દેવાની વિનમ્રતા ચૂકતી નથી. એ કદાચ આપણા દેશમાં  એકમાત્ર નાગરોમાં શક્ય હશે એવું ગૌરવ ત્યારે મને થયેલું. હું એ સમયે બહુ ખુશ થયેલો અને મનોમન એવું વિચારતો હતો કે દરેક કુટુંબની અંદર પતિ અને પત્નીની વચ્ચે આવા મીઠા સબંધો હોવા જોઈએ. 

ત્રણ વર્ષ પછી મને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક ભવનમાં નિમણુંક થવાની તક મળી અને મારે તરત જ હાજર થવું પડે એમ હતું, જે મારા આચાર્યશ્રી માની શકે એમ નહોતા એટલે મેં ફરી એકવાર દિવ્યકાંતભાઈને ફોન કર્યો અને એને મળવા જવાનું નક્કી કર્યું, એમણે મને કોર્ટ ઉપર બોલાવ્યો/ જૂનાગઢમાં વકીલો માટેની ચેમ્બરમાં તેઓ હતા ત્યાં મારે મળવાનું થયું. એ સમયે એક ખૂણામાં બેસીને મેં એમને કહ્યું કે, ‘મને આ તક મળી રહી છે, હું યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કરીશ એ આનંદનો વિષય છે અને હું આપનો ઋણી રહીશ, પણ મારે રિલિવ થવું પડે એમ છે.’  જ્યારે  આ લખું છું ત્યારે મને એમની દૂરંદેશી ઉપર, એમની દીર્ઘદ્રષ્ટિ ઉપર ભારોભાર માન થાય છે. એમણે કહ્યું કે, ‘ભદ્રાયુ, તમને સુંદર સ્થાન મળે છે એ બહુ સારી વાત છે, પણ યુનિવર્સીટી એ રાજકારણનો અખાડો છે. એટલે હું એવું માનું છું કે, તમે આ પરમેનન્ટ જગ્યા ઉપર છો ત્યારે તમે સરકારમાંથી લિયન મેળવો અને તમે અહીંયા લિયન રાખીને યુનિવર્સીટીમાં જાઓ, જેથી કરીને શરૂઆતના  એકાદ વર્ષમાં તમને એવું લાગે કે, આમાં તો  બધી ગડબડ છે, તો તમે અહીંયા પાછા આવી જઈ શકો.’  એ દૂરંદેશીએ મને એટલો બધો મદદગાર થવાનો રસ્તો ચીંધ્યો કે જેનો અહેસાસ મને ઘણા સમય પછી થયો.  એમનું કહ્યું માનીને હું મારા આચાર્ય પાસે ફોર્માલિટી પુરી કરીને ગાંધીનગર દોડ્યો અને ગાંધીનગર દોડીને મેં એક વર્ષ માટેનું લિયન લીધું, જે લિયન માટેનો કાગળ મારી કોલેજમાં સબમિટ કરી અને હું જયારે કોલેજમાંથી મુક્ત થઈ યુનિવર્સીટી પહોંચ્યો ત્યારે ખરેખર યુનિવર્સીટીના રાજકારણી અધિકારીઓએ  મને એક પત્ર પકડાવ્યો અને તેમાં એવા શબ્દો લખ્યા હતા કે, અમારી ટેક્નિકલ ભૂલને કારણે તમારી નિમણૂંક  થઇ છે તેથી આ નિમણૂંકને રદ કરવામાં આવે છે. મને હુકમ મળ્યો અને રદ થયો એની વચ્ચે અઠવાડિયા દસ દિવસનો ગાળો ગયો અને એ દરમિયાનમાં હું લિયન લઈને ગાંધીનગરથી આવી ગયો હતો એટલે મેં આ યુનિવર્સીટીના નિર્ણય સામે કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો. એમાં પણ મને દિવ્યકાંતભાઈએ બહુ મદદ કરી. અને ચાર મહિના પછી કોર્ટે મારી બધી જ રજાઓને ફરજ પર ગણીને પુરા  પગાર સાથે યુનિવર્સીટીમાં નિયુક્ત જગ્યા પર હાજર કરવાનો યુનિવર્સીટીને આદેશ આપ્યો. અત્યારે હું વિચાર છું કે, મેં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં  ચોવીસેક વર્ષ શાનદાર કામ કર્યું અને પછી તો યુનિવર્સીટીમાં હું એક આવશ્યક પરિબળ બની ગયો એ  ત્યારે જ શક્ય બન્યું હતું કે, જયારે મને દિવ્યકાંતભાઈના એક નાનકડા વાક્યએ પ્રેરિત કર્યો હતો કે. ‘તમે લિયન લઇ અને પછી જોડાજો.’ 

આજે દિવ્યકાંતભાઈનું સ્મરણ કરતા જયારે મારે મારા શબ્દોને કાગળ ઉપર મુકવાના છે ત્યારે મારું  હૃદય આ વાતથી ભરાઈ આવે છે અને મને એમ લાગે છે કે મારે એમની સાથે કોઈ પૂર્વ જન્મનો નાતો હશે એટલે એમણે મને મારા જીવનની ઘણી  કપરી પળે બચાવી લીધો હતો. આમ પણ દિવ્યકાંતભાઈના પુત્ર કે જે દિવ્યકાંતભાઈની નાની આવૃત્તિ જેવા લાગે એ જ ભરાવદાર શરીર, એ જ ઘેઘુર અવાજ, એ જ શોખ અને એ જ ઠાવકાઈથી પોતાનું જીવનારા હેમંતને મારી સાથે લોકો સરખાવે છે, ત્યારે અમને એકબીજાના ભાઈ ગણે છે. અસ્મિતા પર્વમાં પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં એક સોફા ઉપર અમે બે જણા બેઠા હતા ત્યારે એક ખ્યાતનામ ફોટોગ્રાફરે અમારો ફોટો લઈને એને પબ્લિશ કર્યો સોશિયલ મીડિયા ઉપર અને લખ્યું: બે ભાઈઓ એક સોફા ઉપર !!. અમને ખબર છે કે અમે સગાભાઈઓ નથી. દિવ્યકાંતભાઈનો મારા પ્રત્યેનો સહજ  પ્રેમ કે જે તેઓ  દરેક વ્યક્તિ માટે વરસાવતા હતા પણ મારા પર્ફોમન્સને તેઓએ ઈન્ટવ્યુ દરમિયાન માણ્યું હતું અને પછીથી મારા વ્યવહારમાં, મારા લેખનમાં, મારા વક્તૃત્વમાં તેઓ જે એક પ્રકારની પ્રબળતા જોતા હતા તેના આધારે હું તેનો માનસ પુત્ર હોઉં એવી રીતે મને એમણે જોડ્યો હતો. પછીના વર્ષોમાં પણ ઘણી વખત દિવ્યકાંતભાઈને મળવાનું થયું અને બધા જ સ્મરણનો એક સાથે એમના પડછંદ શરીરની જેમ જ આપણી સામે એક પછી એક ઉપરથી નીચે સુધી પસાર થાય એવું મેં અનેક વખત અનુભવ્યું છે. 

દિવ્યકાંત નાણાવટી જેવી વ્યક્તિ આપણા ગુજરાતને ભાગ્યે જ મળે. દિવ્યકાંત નાણાવટી જેટલી મુત્સદી અને ગુણવત્તાને વળગી રહેનરી વ્યક્તિ રાજકારણને પણ ભાગ્યે જ મળે છે. આપણે નસીબદાર છીએ કે, દિવ્યકાંતભાઈ નાણાવટી આપણા જૂનાગઢના  નાગર કુટુંબના અને પોતાની પાછળ નિરૂપમભાઈ, હેમંતભાઈ જેવી એક લેગસી મૂકી જનાર વ્યક્તિત્વ તરીકે આપણને મળ્યા છે. હા મને મોટો થયો પછીથી સતત એવું લાગ્યા કરે છે કે, ગુજરાતમાં દિવ્યકાંત નાણાવટીને જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકતું હતું તે આપણો સમાજ એમને આપી શકેલ નથી. ઘણા બધા રાજ્યોમાં, બહુ જ વામણા રાજ્યપાલોને જોઉં છું ત્યારે એમ લાગે છે કે, રાજ્યપાલ તો દિવ્યકાંત નાણાવટી જેવા શોભે. 

હું તેઓની દિવ્ય  ચેતનાને વંદન કરું છું અને તેઓના આશીર્વાદ આપણને તેઓના માર્ગે ચાલવા સામર્થ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ખાદી કમિશનના વિરલ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈની વિદાય પર કલમ-અંજલિ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દેવેન્દ્રભાઈ જસદણ તાલુકાના દડવા (મોટા) મતવિસ્તારમાં જનતાદળના ઉમેદવાર હતા. સામેના ઉમેદવાર કોંગ્રેસના તાલુકા પ્રમુખ. લેઉવા પટેલ. દેવેન્દ્રભાઈ નાગર જ્ઞાતિના. આ મતવિસ્તારમાં એક પણ નાગર કુટુંબ નહીં. લેઉવા પટેલ બહુ મોટી સંખ્યામાં. જિલ્લા પંચાયતની આ બેઠકમાં તાલુકા પંચાયતના મોટા દડવા વિસ્તારમાં આ ચૂંટણી પૂરી થઈ ત્યારે દેવેન્દ્રભાઈ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. બીજી વખત ચૂંટણી લડ્યા વિંછિયા મતવિસ્તારમાંથી. એંશી ટકાથી વધુ મતદારો કોળી પટેલ અને માલધારી. નાગર મતદારે શૂન્ય! બહુમતીથી જીત્યા દેવેન્દ્રભાઈ! રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ ચૂંટણી એમના સમયમાં થઈ. ત્રણમાં બિનહરીફ તો બેમાં સામાં પૂરે જંગી મતોથી વિજયી થયા. દેવેન્દ્રભાઈ દેસાઈએ પેલી બે ચૂંટણીમાં કુલ રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦નું જ ખર્ચ કરેલું! એ ખર્ચ પણ મતદાર સ્લીપ અને ટેક્સીનું. બાકીનું બધું ખર્ચ સ્થાનિક લોકોએ ઉઠાવ્યું. હવે દેવેન્દ્રભાઈ સક્રિય રાજકારણમાં નથી, તેનું કારણ એ છે કે તે સમયે લડ્યા તેવી રીતે આજે ચૂંટણી લડવી એ પરિકથા જેવું લાગે છે!

દેવેન્દ્રભાઈ દેસાઈ ઢેબરભાઈ અને વજુભાઈ શાહના હાથ નીચે ઘડાયા છે. કોંગ્રેસમાં એમણે ઘણા હોદા ભોગવ્યા અને કોંગ્રેસના ભાગલા થયા તો ય એમણે કદી પક્ષ છોડ્યો નહોતો. પંચાયતી રાજ આવ્યું અને એમાં એ ચૂંટાયા. રાજકોટ જિલ્લા પંચાયતમાં અણનમ પચ્ચીસ વર્ષ ચૂંટાયા અને લગભગ દરેક હોદ્દા પર રહ્યા. દેવેન્દ્રભાઈને ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવાની પણ ઓફર થઈ હતી. દેવેન્દ્રભાઈ કહે છે : ધારાકીય કે સંસદીય રાજકારણમાં હું ન ગયો. હું જોતો હતો કે રાજકીય સ્તર નીચું ને નીચું જતું હતું. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે છે. જ્ઞાતિવાદ અને નાણાંની બોલબાલા છે. આમાં હું ક્યાંય ફિટ થતો નહોતો એટલે મેં દૂર રહેવાનું પસંદ કર્યું.

જેતપુરના પોલિટિકલ એજન્ટ કેવળરામ છબીલરામ ઓઝા તે દેવેન્દ્રભાઈના મામા. મોસાળે ૧૯૩૫માં જન્મ. વતનનું ગામ ગોંડલ તાલુકાનું વાસાવડ. પિતાશ્રી રમણિકશંકર લાભશંકર દેસાઈ સિનિયર મોસ્ટ તાલુકદાર. આખા દેશમાં કોઈ નાગર ગૃહસ્થ રાજકર્તા હોય તેવું એકમાત્ર સંસ્થાન વાસાવડ હતું. ઉચ્ચ સંસ્કારો અને તાલુકદારના રિયાસતનો વૈભવ. નોકરચાકર, વાહનોની સગવડમાં ઉછેર, પિતાશ્રીને લેખન-વાચનનો જબરો શોખ. પોતાની અંગત બધી જ ભાષામાં પુસ્તકોની લાઇબ્રેરી. તે વખતે તેમાં પાંચ હજારથી વધુ પુસ્તકો. પિતાશ્રીએ તુલસીદાસ કૃત રામાયણનું સમશ્લોકી અને બીજાં હસ્તલિખિત પુસ્તકો પ્રગટ કરેલાં. મુંબઈથી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ટપાલમાં ત્રીજા-ચોથા દિવસે આવતું. દેવેન્દ્રભાઈએ બાળપણમાં રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ના ચાર ભાગ વાંચ્યા. ગાંધી વિચારથી રંગાયેલ તેના પાત્ર અશ્વિન જેવી ગ્રામસેવાની ધૂન લાગી ત્યારથી. બ્રિટિશ સરકારની નીતિ મુજબ એમનો તાલુકો જામનગર રાજ્ય સાથે જોડાયેલો. તેથી ધોરણ ૬-૭ ની અંગ્રેજી પાઠમાળામાં એક પાઠ આવે. તેમાં એક વાક્ય હતું: ‘જામ ઇઝ રામ ઍન્ડ રામ ઇઝ જામ.’ દેવેન્દ્રભાઈના મનમાં સુષુપ્ત બંડ ઊભું થયેલું આ વાક્ય વાંચીને! વાચનનો જબરો શોખ એટલો કે રોજ ચાલીને લાખાજીરાજ લાઇબ્રેરી જાય. ‘હરિજન બંધુ’ નિયમિત વાંચે. તેમાં ગાંધી વિચાર મુજબનાં કામોમાં જોડાવાની ઉત્કંઠા જાગી. ૧૯૫૧-૫૨ની સાલ હતી. સત્તર વર્ષના દેવેન્દ્રભાઈને પિતાએ કોઈ કાગળ આપવા રાજકોટમાં ઢેબરભાઈ પાસે મોકલ્યા. સૌરાષ્ટ્ર રાજ્ય અને ગાંધી વિચારધારાને વરેલા પ્રજાનિષ્ઠ લોકસેવકો. ઢેબરભાઈ પાસે છગનભાઈ જોશી બેઠેલા. બન્નેને આ યુવાનમાં રસ પડ્યો. છગનભાઈએ હરિજન સેવકસંઘ અને ખાદી કામમાં જોડાવા યુવાન દેવેન્દ્રભાઈને સૂચન કર્યું. ત્યારે કોને કલ્પના હશે કે સમય જતાં આ. દેવેન્દ્ર દેસાઈ ભારતભરના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ બનશે? છગનભાઈનું સૂચન સ્વીકારી દેવેન્દ્ર દેસાઈ વીસ રૂપિયા શિષ્યવૃત્તિથી રેંટિયો કાંતવા લાગ્યા. થોડો સમય કનુભાઈ ગાંધી પાસે રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં રહી તાલીમવર્ગમાં જોડાયને કતાઈ- વણાટ શીખ્યા. બસ, ત્યારથી ખાદીનું ધોતિયું અને ઝભ્ભો, ઉપર બંડી સાથે ‘સાદા- સાલીન દેવેન્દ્ર દેસાઈ’ આજ સુધીની ઓળખ બની રહી.

વાસાવડમાં સાત ધોરણ, પછી મુંબઈની ગોકળીબાઈમાં એક વર્ષ. ત્યાંના આચાર્ય ત્રિકમભાઈ મરચન્ટ, શિસ્તના – વ્યાયામના-ખાનપાનની બાબતોના ચુસ્ત આગ્રહી. તેઓ કહેતા : ‘આપણું પેટ એ પૉસ્ટઑફિસનો ટપાલ ડબ્બો નથી કે આવતા જતા તેમાં ટપાલ નાખવામાં આવે. નિયમિત નક્કી સમયે જ મીતાહાર લેવો જોઈએ. ત્યારથી દેવેન્દ્રભાઈને આદત પડી ગઈ, ફરવાની-વ્યાયામની-મીતાહારની! ‘મેટ્રિક બીજી ટ્રાયલે ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટથી ત્યાંની નાગર બોર્ડિંગમાં રહીને કર્યું. બી.એ. ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજ્યનીતિશાસ્ત્ર સાથે કર્યું. હાઈસ્કૂલમાં ધૂરંધર શિક્ષકો મળ્યા. પ્રવીણ અને અધ્યાપન રુચિવાળા, એમ. જે. ભટ્ટ, આઈ. ટી. વસાવડા, હર્ષવંતભાઈ હાથી અને શુક્લસાહેબ… શુક્લસાહેબ સફેદ ખાદીના ધોતી- ઝભ્ભો પહેરતા અને તેમનાં કપડાં બગલાની પાંખ જેવા સફેદ, હાથે ધોયેલાં! એ મને સ્પર્શી ગયું. તે સ્પર્શ આજ સુધી જળવાયો છે. કૉલેજથી જ હું માથે બહુ ઓછા વાળ કે ટકો રાખતો. સફેદ ધોતી-જામો અને પગમાં ચાખડી પહેરતો. સ્કૂલ-કૉલેજે પેદલ ચાલીને જ જવાનું! કૉલેજ સવારની એટલે જમીને કોંગ્રેસ કાર્યાલયમાં, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં અને ભૂદાન યજ્ઞ સમિતિના કામમાં મદદરૂપ થવા પહોંચી જતો. રાત્રે નવ વાગે ઢેબરભાઈ પાસે જવાનું. ઢેબરભાઈ ત્યારે મુખ્યમંત્રી, પંખા વિનાનું નળિયાંવાળું મકાન. એક રૂમમાં નીચે જાજમ અને તકિયો. ત્યાં મુલાકાતીને મળે. ત્યાં રાત્રે પ્રાર્થના થતી. સમયનો પાબંદ હું, એટલે મને આવતો જોઈને ભક્તિબા, વજુભાઈ, જયાબેન શાહ સૌ ઊઠે ને પ્રાર્થનાનો ઘંટ વગડાવે!” દેવેન્દ્રભાઈ ખૂબ ધીમું – હળવી ગતિએ છતાં સુસ્પષ્ટ બોલે છે. પણ તેમની તેજસ્વી આંખોમાં ગાંધીજન સુસ્પષ્ટ દેખાય છે.

સૌરાષ્ટ્ર સરકારના ભૂદાન બોર્ડના વહીવટી અધિકારી તરીકે દાખલારૂપ કામ કરનાર દેવેન્દ્રભાઈ જાહેરજીવનના આરંભકાળથી એકએકથી ચડિયાતી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. અનેક નાની-મોટી જવાબદારીઓ વહન કરી છે. તેમના વર્તનમાં જે દઢતા અને સુરેખતા નજરે પડે છે, તેના મૂળમાં લાંબાં વર્ષો સુધી પ્રત્યક્ષ મેળવેલો અનુભવ કારણરૂપ છે. ત્રણેક વર્ષ રાજકોટમાં ‘ફુલછાબ’ દૈનિકમાં જયમલ્લભાઈ પરમારના તંત્રીપણા હેઠળ પત્રકારત્વનું પણ ખેડાણ કર્યું છે. લૉનો અભ્યાસ ચાલતો હતો ત્યારે ટર્મ ગ્રાંટ થવાનો પ્રશ્ન આવ્યો. ઢેબરભાઈ પાસે ગયા. એમ હતું કે ઢેબરભાઈ ફોન કરી આપે તો કામ થઈ જાય. ઢેબરભાઈએ પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, આપણે લૉ ભણવું છે કે પછી લોકોની વકીલાત કરવી છે?’ દેવેન્દ્રભાઈએ લૉ અધૂરું છોડ્યું અને પૂર્ણકાલીન લોકસેવામાં જોડાયા!

સક્રિય રાજકારણ છોડ્યા પછી દેવેન્દ્રભાઈ ખાદી-રચનાત્મક-સહકારી ક્ષેત્રે આગળ વધ્યા. રાજકોટમાં દૂધની ડેરી શરૂ થઈ એમાં એમનો સિંહફાળો. ઘણાંય વર્ષો ચેરમેન રહ્યા. પોતાનો પ્લાન્ટ હોય તેવી સૌરાષ્ટ્રની આ એકમાત્ર સહકારી ડેરી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પણ સક્રિય ભૂમિકા. એમનું જાહેરજીવન ઉદાહરણરૂપ. કદી ખાનગી વ્યવસાય કર્યો નથી. ઓછી સગવડમાં જ ચલાવ્યું છે. રાજકોટમાં એક નવી સોસાયટીએ જાહેરજીવનની ત્રણ વ્યક્તિઓને વિનામૂલ્યે એક- એક પ્લૉટ આપવાનું નક્કી કર્યું. તેમાં દેવેન્દ્રભાઈનું પણ નામ. દેવેન્દ્રભાઈએ આભાર માનતો પત્ર સોસાયટીને લખ્યો ને કહ્યું: ‘આપનો આભાર, પણ હું એ સ્વીકારી ન શકું, કારણ કે અત્યારે મારી પાસે મારું મકાન છે જ. આ પ્લૉટ કોઈ બીજાને ફાળવો તેવી વિનંતી છે…’ આ નૈતિકતાના માલિક દેવેન્દ્ર દેસાઈ આજે ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન છે અને આ ચેરમૅનશિપને તેઓ જીવનનો શ્રેષ્ઠ ઍવોર્ડ ગણે છે. સહકારશ્રી ઍવૉર્ડ પછી નેશનલ ઍવૉર્ડ અર્પણ કરવાના સમારંભમાં વડાપ્રધાન મનમોહનસિંહે દેવેન્દ્રભાઈને મંચ પર જતા રોકી ને પોતે નીચે ઊતરી દેવેન્દ્રભાઈનો આદર કર્યો.

અંગત જીવનમાં પણ નોખા તરી આવે. માતાની ઇચ્છા કે શાતિમાં જ લગ્ન થાય. કચ્છના કેળવણીકાર, હરિજનસેવક સંઘ, ગાંધી વિચારના અગ્રણી પ્રભુલાલ ધોળકિયાનાં પુત્રી હંસા સાથે સાવ જ સાદાઈથી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયાં. સૌ. હંસાબેનનાં માવતરે ગાંધીજી ઊતરતા એટલે તેઓ જન્મથી ખાદી પહેરે છે. પત્નીને સાડી કે સાદો રૂમાલ કે ઘરેણું કશું જ આપેલું નહીં, પહેરામણી લીધેલી નહીં. નહીં કંકોત્રી, નહીં જાન, નહીં જમણવાર. રાજકોટ સત્યાગ્રહના ખાદીધારી વૈદ્યરાજ શ્રી બાલુભાઈ વૈદ્ય ભૂજ આવી આશ્રમ પદ્ધતિથી લગ્ન કરાવેલાં. દેશના સુપ્રસિદ્ધ શરણાઈવાદક રાષ્ટ્રપતિ ઍવૉર્ડ સન્માનિત સુલેમાન જુમ્માએ આંગણે શુકનના સૂર રેલાવેલા, એ પણ સસરાના સંબંધે! નાનપણથી આજ સુધી ૭૮ વર્ષે પણ રોજ સવારે ઘરની સફાઈ દેવેન્દ્રભાઈ જાતે કરે છે. સૌ. હંસાબેન જાતે કપડાં ધુએ છે. દેવેન્દ્રભાઈના માથાના વાળ કુદરતી રીતે જ આજે કાળા છે, આંખે મોતિયો ઉતારવાની જરૂર હજુ પડી નથી, બત્રીસી સલામત છે. સવારે સાદો નાસ્તો અને રાત્રે સાદું ભોજન. વ્યાયામ- પ્રાણાયામ-સ્વૈરવિહાર નિયમિત. દેશનાં ઘરે ઘરમાં ખાદી પહોંચાડવા સિવાય કોઈ અંગત ઇચ્છા નથી. નાનાભાઈ ભટ્ટની જેમ જ કહે છે : ‘આ ઊજળાં કપડાં અને વ્યક્તિત્વ પર ડાઘ ન પડે, મારી સાખ યથાતથ રહે અને લોકોની અપેક્ષાએ ખરો. ઊતરું તે જ માત્ર અંતિમ ઇચ્છા!’ અન્ય ગાંધીવાદી જેવા શુષ્ક નથી દેવેન્દ્રભાઈ. કારણ એ ખાદી કમિશનનું અમદાવાદની એન.આઇ.ડી. સાથે ડિઝાઇનિંગ ટાઇઅપ કરે છે અને ખાદી માટે યુવાન શોભે તેવી રેમ્પવૉક પણ કરે છે!

ખાદીની ખુદ્દારીથી છલકતા આ નવ દસકના ગંધીજનને
‘ અલવિદા ‘ કહીએ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

#શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

|| મૈં ગયા નહીં, યહાઁ હું ||

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અક્કલકોટ ખાતે શ્રી સ્વામી સમર્થનું સમાધિ મંદિર નજદીકથી માણીને હવે જઈએ શ્રી સમર્થ સ્વામી વટવૃક્ષ મંદિર ના પરિસરમાં…

સ્વામીનાં અઢળક સ્વરૂપો અહીં છે, શ્રદ્ધાળુઓએ આપણા પ્રત્યેક અવતાર સાથે સ્વામીને નિહાળ્યા છે, અને તેથી તેને તે સ્વરૂપે નીરૂપ્યા છે… સાથેના ફોટાઓ પરથી તેનો ખ્યાલ આવશે.
જે વટવૃક્ષનું સાનિધ્ય જીવનભર સ્વામીશ્રી સમર્થ પામ્યા તે વટવૃક્ષ એમની જિંદગીનો milestone હતું. ત્યાં જ બેસવું, ત્યાં જ મૌન રહેવું, ત્યાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું !! એ વટવૃક્ષ એટલું જબરું વિશાળ છે કે તેને સમગ્રપણે આવરી લેતું મંદિર અતિ ભવ્ય ભાસે છે. વળી, મંદિરને સજાવ્યું છે પણ ખૂબ જ પ્રભાવક શૈલીથી. પણ જ્યાં જાઓ ત્યાં વટવૃક્ષની કોઈ શાખા તો તમારું સ્વાગત કરે જ કરે..!!
મંદિરમાં ધસારો ખાળવા ને ભક્તો નિરાંતે બેસીને ધૂન ભજન કરી શકે તેવી વિશાળ પરશાળો પણ છે.
અન્નપૂર્ણા ભવનમાં સવાર સાંજ પ્રસાદ લેવા હજારો ભક્તો કતારબદ્ધ ઊભા હોય છે…કોઈ વિશેષ દિવસ ન હોય તો પણ દોઢ થી બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે ખરું !! હા, અહીં બધેય બે પ્રકારે દર્શન થઈ શકે : મુખદર્શન અને પૂર્ણદર્શન. દૂરથી કેવળ મુખ નિહાળી શકાય અથવા ખૂબ નજદીકથી પૂર્ણ મૂર્તિના દર્શન થઈ શકે.
આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા સમર્થ સ્વામી રામદાસના પરિસરમાં પણ પોતાના મોટા ફોટા કે નામ કોતરવનારા છે !! તે દુન્યવી સમર્થીઓ પોતાની મોટી ચમકતી કાર પાર્ક પણ અહીં પરિસર માં જ કરે છે..!!
ઉતારાની, પાર્કિગની અને ભોજનની બહુ વિશાળ સગવડતા છે તે અવશ્ય આવકાર્ય છે.
સ્વામી સમર્થ રામદાસ નાં બન્ને સ્થાનકો ને પ્રેમથી નિહાળી એટલું લાગ્યું કે કોઈપણ આધ્યાત્મિક આત્માને પણ લોકો ધાર્મિક બનાવી દેવામાં પાવરધા છીએ. શ્રી મનના શ્લોકોને સમજો અને જીવનમાં ઉતારો તો ચોક્કસ સમજાય કે શ્રી સ્વામી સમર્થ આપણને આધ્યાત્મિકતા નો પથ દેખાડી ગયા છે,, આપણે આપણી અંદરની યાત્રા શરૂ કરવાની છે… બહારનાં કેવળ ધાર્મિક આભૂષણોથી જીવન સાર્થક થઈ શકે તેમ નથી. આ આધ્યાત્મિક આત્મા ખુદ કહે છે કે : #મૈં_ગયા_નહીં_યહીં_હું.
પ્રશ્ન થાય કે “શ્રી મનાંચે શ્લોક” ખરેખર શું કહે છે ?!?
થોડીક રાહ જુઓ તો ટુંકમાં સમજીશું.
ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

#શ્રી_મનાંચે” શ્લોકના ઉદ્દગાતા સમર્થ સ્વામી રામદાસની પૂણ્ય ધરતી પરથી..

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અત્યારે મહારાષ્ટ્રના અક્કલકોટ નામનાં ગામમાં છું. સર્વત્ર એક જ નાદ ગુંજે છે અને તે છે : ‘જય જય રઘુવીર સમર્થ ‘ અને હર ઍક જગ્યાએ એક જ વાત વંચાય છે : ‘ શ્રી સ્વામી સમર્થ પ્રસન્ન’. ..હું સ્વામી સમર્થનાં આ સ્થાનક પર એક દિવસ વિતાવવા આવ્યો છું.

 
મનને આપણે માંકડું કહી વખોડીએ છીએ પણ એક વિશ્વસંત સમર્થ સ્વામી રામદાસે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું ! મને આ ‘#શ્રી_મનના_શ્લોકો’નો પરિચય થયો વડોદરાના #કવિશ્રી_મકરંદ_મુસળે દ્વારા થયેલ ગુજરાતી સમશ્લોકી દ્વારા અને વિશેષ ઊંડાણથી જ્ઞાન કર્યો #શ્રી_અરુણાતાઈ એટલે કે શ્રી અરુણબા જાડેજાના પુસ્તકે.. બંનેનું અહીંથી સ્મરણ કરું છું અને પ્રણામ કરું છું.
સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘#સાવધાન‘ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘#રાષ્ટ્રગુરુ‘નું સન્માન પામ્યા.
સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી’ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે.
‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુ સામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોએ કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું : “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો ! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે તો વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો !
આ રહી મનના શ્લોકોની ઝલક….
“મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’
“મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’
“મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.”
અક્કલકોટમાં બે સ્થાનકોનું જબરું માહાત્યમ્ય છે : #સ્વામી_શ્રી_સમર્થનું_સમાધિ_મંદિર અને #સ્વામી_શ્રી_સમર્થ_મંદિર.
ચાલો, આજે પહેલાં તસ્વીરી ઝલકથી સ્વામી શ્રી સમર્થ સમાધિ મંદિર નિહાળીએ. અને હા, તેમાં બહુ જ આમ આદમીઓ તરફથી ભાવથી નિયમિત રોજ સાંજે ગવાતા સમર્થ ભજનો અને અભંગની ઝલક મેળવીએ.. શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી વહેતો રહ્યો અને હું ભક્તો ગવાતા અભંગી ટિપિકલ ભજનો સાથે વહેતો ગયો.. હા, ફરી મળીશું સ્વામી શ્રી સમર્થ વટવૃક્ષ મંદિરને નિહાળવા માટે …

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

#Big_B નો #દર્શન_લાભ

Amitabh Bachchan @Symbiosis

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.
જન્મ્યો ત્યારથી જેને પડદા પર માણતો આવ્યો છું તે અને જેમના અભિનયે તથા પેશકશે મને સદા અભિભૂત કર્યો છે તે ભારતીય સિનેમાના મહાનાયક #શ્રી_અમિતાભ_બચ્ચન ને દસ ફૂટ દૂરથી લગભગ બે કલાક સુધી જોવાનો – તેઓનાં ભાવપૂર્વક દર્શન કરવાનો – તેઓનો ઘેઘૂર અવાજ સાંભળવાનો અને તેઓની અંગત પળોના સાક્ષી બનવાનો આજે લહાવો મળ્યો, તે પળને મારા જીવનની ધન્યતાની પળ ગણું છું.
#શ્રી_અમિતાભજી symbiosis પૂના આવે છે તેવું હાર્દિક – જેલમે કહ્યું કે મારી પૂનાની ફ્લાઈટ તરત જ બુક કરવા મેં હાર્દિકને કહી દીધું. ૨૪-૧-૨૪ નાં પૂના પહોંચી ગયો. ભારતની Top Most Symbiosis International Deemed University , Puna ખાતે બે વર્ષથી હાર્દિક Prof. Director તરીકે contribute કરે છે. તેનું lavale campus એક હિલ પર છે,,એટલે હિલ સ્ટેશન જવાની જરૂર જ ન રહે. આપણે તો હિલ સ્ટેશન પર દીકરાનું ઘર એટલે સોનામાં સુગંધ !!!
આજે સવારે Symbiosis International Deemed University નાં Faculty of Media and Commucation દ્વારા Symbiosis Film Festival નું ઉદઘાટન કરવા SIU ના “Prof. Emeritus” શ્રી અમિતાભ બચ્ચન પધારવાના હતા. ઓડિટોરિયમમાં હું અને જેલમ આગળ વહેલા ગોઠવાય ગયા.
ગળે દુપટ્ટો વિટાળેલ કાળા વસ્ત્રોમાં સજ્જ એક ખુમારીએ પ્રવેશ કર્યો અને સભાખંડ ગુંજી ઉઠ્યો. હું પણ બહુ જ નજદીક રહી એ દંપતીને સતત નિહાળતો રહ્યો અને મારો પ્રેમભાવ છલકાવતો રહ્યો. શ્રીમતી જયાજી પાછળ રહી જાય એવી સ્ફૂર્તિ અને ચુસ્તિથી અમિતાભ સ્વસ્થ અને જીવંત રહી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા ખંડ પર છવાય ગયા.
તેમણે પોતાની નીજી અદાયગીસભર style થી પ્રવચન કર્યું. તેમનાં વક્તવ્યમાંથી કેટલાક સ્પાર્ક્સ :
#મને કોઈ વિશેષણો કે status કે ખીતાબની હવે કોઈ ખેવના નથી. હું સંતુષ્ટ છું.
#હું જીવતાં જીવતાં સહજતાથી જે અનુભવું છું તેમાંથી કેટલુંક બુદ્ધિ ઉપરાંત હૃદયમાં સ્થાન જમાવી લે છે અને તે મારા અભિનયમાં reflect થઈ જાય છે.
#સિનેમા ક્ષેત્રે થઈ રહેલ ટેકનોલોજીકલ advancement ને આવકારું છું. પણ અમારી પેઢીને કશો લોસ નથી ગયો. ઉદાહરણ આપું…અમારા સમયમાં સેલ્યુલોડ ની ફિલ્મ હતી તેથી કોઈ સીન ના ટેક વધુ થાય તો પ્રોડ્યુસરને ફિલ્મ મોંઘી પડતી તેથી આગ્રહ રહેતો કે ઓછામાં ઓછા ટેકમાં સીન ઓકે થાય. તેથી અમારી એકાગ્રતા, ગાંભીર્ય અને ચોક્કસાઈ વધતી,,આજે મને કામ કરતો જોઈ ને યંગ જનરેશન આશ્ચર્ય અનુભવે છે, તેનું કારણ અમને પડેલી ટેવ છે…આજે તો ચિપ આવી ગઈ એટલે ગમે તેટલા રી ટેક કરો કિંમતમાં કોઈ ફરક નથી પડતો.
#અહીંની મેડિકલ ફેકલ્ટી નું કામ જોઈ પ્રભાવિત થયો. હું તો વિનંતી કરીશ કે મેડિકલ ક્ષેત્રે એવું કોઈ સંશોધન કરો કે મારા જેવો ૮૦ – ૮૨ વર્ષનો માણસ ૨૦ કે ૩૦ નો થઈ જાય કે જેથી હું અહીં મંચ પર નહીં પણ તમારી વચ્ચે આવીને બેસી શકું.
અમિતજી સાથે વિદ્યાર્થીઓની રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ જેમાં તે વધુ ખીલ્યા. એક વિદ્યાર્થીની AI અંગેની જિજ્ઞાસા વિશે તેમણે ટકોર કરી કે, “આવતા વખતે તમે અમિતાભ ને બદલે AI Amitabh ને invite કરો તો નવાઈ નહીં.”
શ્રીમતી જયાજી પ્રત્યેનું માન વારંવાર પ્રદર્શિત કરવાનું અમિતજી ચૂક્યા નહીં, પરંતુ બંનેની body language ઘણું જાહેર કરી જતી હતી.
પ્રેક્ષકોની ફરમાઈશ પર તેઓએ #અગ્નિપથ ના પિતાશ્રીએ લખેલ ડાયલોગ પેશ કરી સભાગૃહને ચિચિયારીઓથી ભરી દીધું હતું.
હા, અમિતાભ બચ્ચનની ઉંમર અને સતત પરિશ્રમ વર્તાય છે પણ તેઓનો ભુક્કા કાઢી નાખે તેવો આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ તેને ગમતીલો રાખે છે. આપણે તો એ જ પામવા તેમને milestone ગણવાના. અને ખાસ તો પોતાનાં અભિનય કૌશલ્યને કારણે આટલી લોકપ્રિયતા મેળવનાર આ વ્યક્તિત્વની આગળ પાછળ કે આજુબાજુ કોઈ કમાન્ડો નહીં કે બંદૂકધારીઓ નહીં કે કોઈ બાઉન્સર નહીં કે કોઈ સિક્યોરિટી પણ નહીં. Popularity ઇસે કહતે હૈં, બોસ.
મારા માટે તા. ૨૭-૦૧-૨૪ સ્મરણીય બની રહી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

#શ્રી_રામમંદિર_પ્રેમમંદિરે – અયોધ્યા

તા. બાવીસ, જાન્યુઆરી, ૨૦૨૪ રાષ્ટ્ર માટે અને સર્વે શ્રી રામ ભક્તો માટે સ્મરણીય બની રહી..અને અમારાં પ્રેમમંદિર માટે તો ચમત્કારિક પણ…

સૌ દેશવાસીઓ અયોધ્યા પર દૃષ્ટિ સ્થિર કરીને એકાગ્ર હતા ત્યારે પ્રેમમંદિર ની દ્વારઘંટડી રણકી..અત્યારે કોણ ?? એવાં પ્રશ્નાર્થ સાથે અતિથિઓને આવકાર્યા તો સાનંદ આશ્ચર્ય થયું… શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માં અમ દંપતી પાસે ભણી ગયેલ શ્રી પરેશ ડાહ્યાભાઈ ખૂંટ, તેમનો પુત્ર અને તેમનો જમાઈ મલકતા પ્રવેશ્યા ને ઈલા ટીચર ની તસવીરે આંખ ઝુકાવી.

હા, ૨૧ મીએ પરેશ ત્રણ ભાઈઓ જેનું સંચાલન કરે છે તે રણછોડનગરમાં ચાલતી બે સ્કૂલ ના વાર્ષિક સમારોહમાં મારે જવાનું હતું પણ શરદી તાવે જવા ન દીધો..

આ પરેશ ભાઈઓ એટલે શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ૬૦ વર્ષ પહેલાં અમારી સાથે જ ભણીને સેવક બન્યા પછી શિક્ષણ પ્રાપ્ત કરી એ જ સ્કૂલમાં ક્લાર્ક બનેલ શ્રી ડાહ્યાભાઈ વશરામભાઇ ખૂંટ ના ત્રણ દીકરાઓ..!! આજે રણછોડનગરમાં બે સ્કૂલ અને પ્લે હાઉસ નું સંચાલન કરે છે. અને ખાસ તો,,,,અમારી જેમ જ પ્રિય મોરારિબાપુ ના અનન્ય flowers છે.

થોડીવાર ગપસપ કરીને બરાબર બાર વાગ્યા એટલે તેઓએ એક ગિફ્ટ પેક ખોલ્યું ને મને ભેટ ધર્યું.. જ્યારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન સૌને થઈ રહ્યાં હતાં ત્યારે જ તે ઘડીએ જ પ્રેમમંદિરે અમારા પ્રિય પરિશ્રમી વિદ્યાર્થી પરેશ અને પરિજનોએ મારા હાથમાં શ્રી રામ મંદિર, અયોધ્યાની ધાતુની વજનદાર પ્રતિકૃતિ મૂકી…અમે ઉપસ્થિત સૌ ગદગદિત હતાં અને અવાચક પણ!!

શ્રી રામ આમ પ્રેમમંદિરે પધારશે તેવી તો કલ્પના ય ક્યાંથી હોય ?? હું તો શ્રી મોદીજી જેટલો જ ઉત્સાહિત હતો..અને છું પણ…

આજની શિક્ષા વ્યવસ્થામાં પણ આવા વિદ્યાર્થીઓ દીવાદાંડી સમાન છે કે જે પૂરા આદરથી સતત શિક્ષક દંપતિની સાથે ને સાથે જ છે.

એક વાત ખાસ નોંધું: શ્રી પરેશ પરિવાર પોતાની સાથે મારા માટે શરદી અને તાવના ઉપચાર સમ ટેબ્લેટ પણ લાવેલા અને ટેબ્લેટ લીધા પછી પીવા માટે ફ્રેશ ફ્રૂટ જ્યુસ પણ…!!!

પ્રેમમંદિરે થી જ્યારે તેઓએ મગજની પ્રસાદી લઈને વિદાય લીધી ત્યારે અમને અયોધ્યા જઈ આવ્યા જેટલો સંતોષ હતો.
ભદ્રાયુ (પ્રેમમંદિરેથી)

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

વિદેશમાં વ્યાસપીઠ બને ભારતપીઠ

રામદૂત મોરારિબાપુ@75

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

૧૯૭૬થી બાપુની કથાઓ વિદેશમાં થવા લાગી વિદેશની કથાઓમાં આવતા ભાવિકોમાં ભક્તિ કરતા આદર વધુ હોય છે, વિદેશ વસતા યુવાનો બાપુને ધ્યાનથી સાંભળે છે ને બાપુથી પ્રભાવિત પણ છે !

૧૯૬૦ના ચૈત્રમાસમાં પોતાનાં વ્હાલા ગામ તલગાજરડામાં મોરારિબાપુએ પહેલી કથા કર્યાની નોંધ “માનસ યાત્રા” પુસ્તકમાં છે, તો સવા સો કથાઓ દેશની ધરતી પર કર્યા પછી એકસો છવ્વીસમી કથા એપ્રિલ ૧૯૭૬માં પહેલવહેલીવાર વિદેશની ધરતી પર બાપુએ કરી. પોતાનાં જીવનનાં ચૌદ વર્ષે પહેલી કથા અને ત્રીસમાં વર્ષે પરદેશમાં પહેલી કથા ! પરદેશ પહોંચતાં સોળ વર્ષ લાગ્યાં પરંતુ એ સમયના ‘યંગસ્ટર કથાકાર’ તરીકે બાપુ દેશ બહાર કથા કહેનાર પ્રથમ હતા અને પછી એ યાત્રા અવિરત ચાલી. ૧૯૭૬ની પ્રથમ કથા આફ્રિકાના નૈરોબી ખાતે યોજાયા પછીનાં છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં બાપુએ વિદેશની ધરતી પર સવા સો કથાનું ગાન કર્યુ છે ! સ + આંકડા = સાંકડા થઇને ગણતરી માંડીએ તો બાપુએ કહેલી આજ સુધીની કુલ કથાઓમાંથી પંદર ટકા કથાઓ દેશ બહાર યોજાયેલ છે. કથા નિમિત્તે પોથીના પ્રતાપે બાપુ આફ્રિકા, કેનેડા, લંડન, કેન્યા, સિંગાપુર, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, યુગાન્ડા, મોરેશિયસ, પોર્ટુગલ, બ્રાઝીલ, બાલી, શ્રીલંકા, દુબઇ, મસ્કત, ભૂતાન, થાઇલેન્ડ, જેરુસલેમ, જાપાન, રોમ, કમ્બોડીયન, ગ્રીસ, અબુધાબી, મ્યાનમાર, સ્વીત્ઝર્લેન્ડ, રવાન્ડા સહિતના દેશોની ધરતીને શ્રી રામકથાનો મંગળ સ્પર્શ કરાવી ચૂકયા છે. છેલ્લાં પંદરેક વર્ષોથી તો બાપુએ વિદેશની કથાઓ દરમ્યાન ભારતીય સંસ્કૃતિ- કલા-સાહિત્યનો પ્રસાર થતો રહે તેની વિશેષ કાળજી લીધી છે અને હજારો સર્જકોને પોતાની સંગાથે વિદેશ લઇ ગયા છે ! શ્રી રામકથાનાં માધ્યમથી અનેક દેશોમાં ભારતીયતાને પહોંચાડવાનું બાપુનું યોગદાન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું છે.

કથા- બાપુ અને વિદેશી ધરતીનાં સાંખ્યયોગનું દર્શન કર્યા પછી વિદેશની કથાઓ ક્યાં અલગ પડે છે તે નોંધવાનો પ્રયાસ કરીએ. અહીં સ્પષ્ટ થઇ જઉં કે ભારતમાં અને વિદેશમાં ગવાતી બાપુની શ્રી રામકથાઓને ત્રાજવે તોળવાની કોઇ ચેષ્ટા અહીં કરવી નથી. જ્યાં સરખામણી આવે ત્યાં સત્યની કસોટી થાય અને એવું આપણે કરવું નથી. પણ આપણે વિસ્મયથી એ ચકાસવું છે કે વિદેશમાં વસતા કથાપ્રેમીઓ પર બાપુની વાણીની કેવી અસર ઊભી થઇ રહી છે. આપણે મુદ્દાસર વાત કરીએઃ

-આયોજનની વાત કરીએ તો સ્વાભાવિકપણે જ વિદેશમાં યોજાતી કથાઓ વિશિષ્ટ આયોજન કૌશલ્ય માંગી લે. સીમિત સંશાધનોમાં કથાનાં મૂળ તત્વો જળવાય રહે અને બધું જ શિસ્તબદ્ધ થાય તેની કાળજી ઊડીને આંખે વળગે છે. કથા સ્થળ, મહેમાનોના ઉતારા અને તેમનું ટ્રાન્સપોર્ટેશન, કથા બાદ સર્વે માટે પ્રસાદ, સાંધ્ય ગોષ્ઠિમાં દિગ્ગજ કલાકારોને નોતરાં અને તેમની સરભરા વગેરે અનેક પાસાંઓ સઘન આયોજન માંગી લે છે. જો કે, તેમાં વિદેશમાં કથા યોજનાર ‘નિમિત્ત માત્ર યજમાનો’ સર્વાંગ સફળ થાય છે એટલું જ નહીં, તેઓના વિવેક, પ્રત્યાયન સૌમ્યતા અને સદા સ્મિત કાબિલે દાદ હોય છે.

-નાણાંકીય પાસાંને બાપુએ ભાવપૂર્ણ શબ્દ આપ્યો છે ‘વિત્તજા સેવા’ ! એટલે નાણાંની અછત અંગે કદી વિચારાતું જ નથી, કારણ આ તો ‘સેવા’ છે, સેવા તો સીમિત ક્યાંથી રહી શકે ? જો કે, બાપુ દ્વારા વિદેશની કથાઓમાં દેશના અતિ છેવાડાના સર્જકને સથવારો કરવાની જે અદ્વિતીય પ્રણાલિ શરૂ થઈ છે તેને લઈને આર્થિક વિશાળતા યજમાને રાખવી રહે છે, પણ બહુ નજીકથી એ નિહાળ્યું છે કે હૃદયના પૂરા ઉમળકાથી બાપુની પોતા તરફની અમીદ્રષ્ટિ ગણીને યજમાનો નાણાંની પોટલી ખુલ્લી મુકી દે છે. અરે, નવા દેશની શોધ કરીને ત્યાં બાપુની કથા થાય તે માટેની વિનંતી બાપુ પાસે સતત થતી રહે છે. એ વિનંતી બાપુ સ્વીકારે અને બાપુ કથા આપે ત્યારે યજમાનોની આંખો હર્ષથી ભીની થાય છે! આવો નાતો બાપુ સાથે ધરાવનાર યજમાન કોઇપણ બાબતનો વિચાર કરે જ ક્યાંથી?

– માનવ સંશાધન એટલે કે કાગળ પર થયેલાં મહિનાઓનાં આયોજન અને નાણાંકીય ઉપલબ્ધતાને વાસ્તવમાં ‘ઓન ફ્લોર’ મૂકવા માટે ‘મેન પાવર’ની તો અવશ્ય જરૂર પડે. કથા પહેલાં, કથા દરમિયાન અને કથા પછી દોડતા રહે તેવા યુવા સ્વયંસેવકોની એક  ફોજ હોવી જોઇએ તો જ બધાં આયોજનો વ્યવહારમાં ખરાં ઉતરે. બાપુની વિદેશની કથાઓ આ પાસાંમાં તો મેદાન મારી જાય છે.

આ ત્રણ મુદ્દાઓ તો વ્યવસ્થાપન અંગેના થયા, કથાના પ્રભાવ પર એની અસર પડે જરૂર, પણ વિદેશની કથાઓની કેવી અસર ઊભી થાય છે કે બાપુની વિદેશની થતી કથાઓ કેવો ઇમ્પેકટ ઊભો કરે છે કે તેનો પ્રભાવ કેટલો અલગ પડે છે તેની વિગતો વધુ મહત્વની છે.

૧: દેશની કથાઓમાં બહુધા શ્રાવકો બાપુનાં દર્શન માટે કથા ‘સાંભળવા’ આવે છે, એમાં ભક્તિભાવ કે આદરભાવ વિશેષ દર્શાય છે..વિદેશની કથાઓમાં ઘણાખરા શ્રાવકો બાપુને ’સમજવા’ ને પોતાનાં જીવનમાં બાપુના સહજ સુચનોને ‘ઉતારવા’ ના ભાવથી આવે છે, તેઓમાં ‘ભક્તિ’ કરતાં ‘આદર’ વધુ છે અને ‘આદર’ કરતાં “બાપુવાણી’નો ‘સ્વીકાર’ વધુ છે.

 ૨: ‘કથાતત્ત્વ’ દેશના ભક્તોને આકર્ષે છે, કથાની ‘બાપુ- પ્રસ્તુતિ’ એમને ભીંજવે છે. વિદેશની કથાઓમાં સ્પષ્ટ નોંધી શકાય છે કે બાપુના ‘ચાહકો’ ઝાઝા છે એટલે તેઓને ‘કથામર્મ’ વધુ સ્પર્શી જાય છે. કથાની રજૂઆત જે રીતે બાપુ કરે છે તેનાથી તો એ અભિભૂત છે જ પણ રામકથાનાં સાત્ત્વિક બીજની પ્રબળતા અહીં વધુ છે.

૩: વિદેશની કથાઓમાં બાપુનાં ખીલવા મથતાં ‘ફ્લાવર્સ’ વિશેષ માત્રામાં છે તો દેશમાં બાપુની ઇચ્છા જરાપણ ન હોવા છતાં બાપુનાં ચરણસ્પર્શ કરવા મથતાં ‘ફોલોઅર્સ’ વધુ છે. 

૪: ઊડીને આંખે વળગે એવું પાસું એ છે કે વિદેશની બાપુની કથાઓમાં ‘માનસ’નું ગાન કરનાર કે ‘માનસ’ સંગાથે જીવનારની સંખ્યા નોંધપાત્ર છે. મહત્તમ કથા શ્રાવકોના હાથમાં થેલો હોય છે અને કથા દરમ્યાન તેમના હાથમાં ‘રામચરિત માનસ’ હોય છે… માત્ર સ્પર્શ નહીં પણ માનસની ચોપાઇઓ તેઓને કંઠસ્થ પણ હોય છે. ઘણીવાર મેં અનુભવ્યું છે કે બાપુ વ્યાસપીઠ પરથી કોઇ ચોપાઇનું ગાન આરંભે ત્યાં જ કથામંડપમાં એ ચોપાઇપૃષ્ઠ ખુલી જાય છે અને એ ચોપાઇનું સમૂહગાન ગૂંજી ઉઠે છે. આ સહજ અવલોકન સ્વીકારીને કહેવું પડે કે બાપુની વિદેશની કથાઓ પ્રબળ સાત્વિક્તાનાં સ્પંદનો સર્જી રહેલ છે.

પ: સમાજ માટે બહુ જ જરૂરી મુદ્દો એ છે કે બાપુની વિદેશની કથાઓમાં તરોતાજા (અને છતાં સૌમ્ય) યુવાનોને યુવતિઓ મહત્તમ છે. ફેશનપરસ્ત અને પૂર્ણ વિદેશી શૈલેથી ઘડાયેલા યુવાનો બાપુની કથાઓનાં આયોજનથી લઇને પ્રસાદ વિતરણ સુધી ભારે સક્રિય હોય છે. ખૂબી એ છે કે આ યુવાનો સસ્મિત હોય છે, તેમનાં હાથમાં શક્યત: બાપુનો બેરખો હોય છે કાં તો ખભ્ભે રામનામી હોય છે, તેઓમાં કોઇપણનું કામ કરવા માટે દોડવાની તત્પરતા હોય છે અને બાપુ પ્રત્યે અપાર પ્રેમ છલક્તો હોય છે. વિશ્વભરનાં કોઇપણ ધાર્મિક કે સાંપ્રદાયિક આયોજનોમાં ‘મુક્તિ માણતો ઉત્સાહભર્યો યુવાન’ તમને ભાગ્યે જ જોવા મળશે જે અહીં બાપુકથાયજ્ઞમાં હાજરાહજુર હોય છે ! જરાપણ અણગમો નહીં ને ભારોભાર વિનમ્રતાની ક્ષમતા બાપુએ યુવાનોમાં પ્રવાહિત કરી છે તે સ્પષ્ટ દેખાય છે અને અનુભવાય પણ છે.

૬: દેશની કથાઓમાં કથામંડપમાં વધુ સિનિયર સિટીઝન અગ્રે બેઠેલા કે સોફા ખુરશી પર બેઠેલા ભાળી શકાય છે. વિદેશની કથાઓમાં તરણ- તરુણીઓ- યુવાન-યુવતીઓ કે મધ્યવયના શ્રોતાઓ આગળ ‘નીચે બેસી’ બાપુએ ઘૂંટડે ઘૂંટડે હૃદયસ્થ કરી રહ્યા હોય છે. વયસ્ક શ્રોતાઓ નાની ટેકણવાળી ફોલ્ડીંગ ચેર અગાઉથી ગોઠવી રાખી આગળ બેસી બાપુની આંખમાં આંખ પરોવવાનું ચૂકવા તૈયાર નથી હોતા.

૭: વિદેશની કથાના શ્રાવકો કથા સિવાયની બાપુની એકેએક ગતિવિધિથી વાકેફ રહેવાનું પસંદ કરે છે અને શક્ય બને ‘જયાં બાપુ ત્યાં અમે ‘નાં સૂત્રને વળગી રહી કથા માટે પધારેલ બાપુની પ્રત્યેક પળના સાક્ષી બની રહેવાનું ગોઠવી જ લે છે. કથા દરમ્યાન યોજાતી સાંધ્ય ગોષ્ઠિઓ કે બાપુનિવાસી સહજ થતી પ્રેમ મહેફિલો માણવાનું તેઓ ચૂકતા નથી. તેઓ માટે પૂરા નવ દિવસો ‘બાપુમય’ રહેવું જીવનનો લ્હાવો છે.

૮: બાપુ માટે તો સૌ સમાન છે અને સર્વેનો સહજતાથી સ્વીકાર છે. પણ બાપુ વિદેશની કથાઓ દરમ્યાન યુવાન-યુવતિઓને મળવાનું, તેમની સાથે સંવાદ કરવાનું, તેમના પ્રશ્નોને વધુ સ્થાન આપવાનું અવશ્ય પસંદ કરે છે. વેમ્બ્લી, લંડનની એક કથામાં સમગ્ર કથા- આયોજનમાં ત્રણસો યુવાનો સામેલ હતા, એ સૌને પ્રત્યક્ષ મળી તેમની સાથે નજદીકી સંવાદ કરવાનું વિશેષ નિમિત્ત બાપુએ ગોઠવાવેલું. રોજ પચાસ યુવાનો બાપુ સમીપે બેસી પ્રેમનો ભાવપ્રસાદ પામી શકયા. નવે નવ દિવસે પળેપળ ભરચક્ક કાર્યક્રમો અને ભારતથી બાપુસંગાથે ગયેલા દોઢસો ક્લાસર્જકોની પ્રસ્તુતિને માણવાની રોજની સાંધ્ય મહેફિલો છતાં બાપુ છ દિવસમાં ત્રણસો યુવાનોને લાગણીપૂર્વક મળ્યા અને ‘હું તો સંવાદનો માણસ છું’ એવું ‘ખુદકથન’ સિદ્ધ કર્યુ !

૯: અરબી કહેવત પ્રમાણે ‘જે નજદીક હોય તેની સાચી ઓળખાણ ચૂકી જવાય છે’, તેમ જ બાપુ તો ‘આપણા જ છે’ ને ‘આપણા માંહેના જ છે’ ને ‘આપણી વચ્ચે જ છે’ને એવી સહજ મનોવૃત્તિ દેશના શ્રાવકોમાં હોય, પણ વિદેશ વસતા ભારતીયો માટે તો ‘બાપુ વર્ષે-પાંચ વર્ષે પધારે છે’ કે ‘બાપુ કથનનો પ્રત્યક્ષ લાભ કયારે મળે?’ કે ‘બાપુ સમીપે રહેવાની તક ફરી મળે- ન મળે’ જેવી લાગણી બાપુની વિદેશની કથાઓને એક ઉત્સવનું સ્વરૂપ આપી દે છે. એથી જ તો આફ્રિકામાં કથા હોય તો અમેરિકા, ગલ્ફ કે લંડનના ભાવકો પહોંચી જ જાય. અરે, ભારતમાં એન.આર.આઇ. મહીના ગાળવા આવેલા ગુજરાતી- વિદેશીઓ બાપુની એ સમયની કથાઓમાં અવશ્ય જોવા મળે છે. હા, જો કે, તમને એવા કેટલાય વિદેશીઓ મળે કે જેમને ત્યાં બાપુ એક-બે વાર જઇ આવ્યા હોય! વિદેશમાં એવા કેટલાય ભવન કે હવેલી જેવા નિવાસો છે કે જયાં ‘બાપુ-કુટિયા’ કે ‘બાપુ-કક્ષ’ ખાસ બનાવવામાં આવ્યા છે અને તેમાં ‘બાપુ હાજર છે’ તેવો ભાવ સદા એ નિવાસમાં પ્રવર્તે છે !!

૧૦: બાપુની વિદેશની કેટલીય કથાઓમાં ખરા અર્થમાં વિદેશી શ્રાવકો શ્રવણાર્થે ઉપસ્થિત રહે છે. તેઓ હિન્દી કે ગુજરાતી ન જાણતા હોવા છતાં કથામાં બાપુ દ્વારા સર્જાયેલ ભાવાવરણની સુગંધથી તેઓ પ્રસન્નતા અનુભવે છે. ક્યાંક તો કથાના યજમાન આ વિદેશી માટે ટ્રાન્સલેટીયર ઉપકરણની સગવડતા પણ કરે છે. કયોટો, જાપાનની કથામાં કેટલાક જપાનીઓ લગભગ રોજ કથાશ્રવણ કરતા અને રોજ પૂર્ણ શાકાહારી ભોજન-પ્રસાદ પણ રસપૂર્વક આરોગતા હતા. એમાંથી કેટલાક સાથે સંવાદ કરવાનો મને મોકો મળેલો ત્યારે તેઓની એક વાત જચી ગયેલી: ‘બાપુ કથા કહે છે તે બધું નથી સમજાતું, પણ અમને બહુ આનંદ આવે છે કારણ કે બાપુના બોલાયેલા શબ્દો પાછળનો ભાવધ્વનિ અમે પકડી શકીએ છીએ અને કથામંડપમાં પડતો તેનો પ્રભાવપડથો અમે નોંધી શકીએ છીએ.’

એક જ વાક્યમાં સમાપન કરું: ‘વિદેશની કથાઓમાં બાપુના શબ્દો પાછળનો ભાવધ્વનિ ભારોભાર ઝીલાય છે અને તેનો સાત્વિક પડઘો ચોતરફ પડઘાય છે.” 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

અજવાળું એટલે  જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે... જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

ફૂલછાબ : દીપોત્સવી અંક : 2023

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધના.

II ૐ શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II

અમારા નિવાસ ‘પ્રેમમંદિર’ ના પડોશમાં એક બુઝુર્ગ નારી રોજ સવારે બહાર ડોકાયા કરે અને જમણી દિશામાં કશુંક શોધ્યા કરે. મારી સવાર હિંચકે વીતે અને હું રોજનો પેલી ઘટનાનો સાક્ષી. શરુ શરૂમાં મને વિસ્મય હતું કે એ સન્નારી કોને શોધે છે ?? પરંતુ એક દિવસ હું તેમની શોધ પૂર્ણ થયાના આનંદનો પણ સાક્ષી બન્યો અને મારું  વિસ્મય વ્યક્તિગત ન રહેતા શાશ્વત બની ગયું.!!

જમણી દિશામાં જરાક સુરજ ડોકાયો ને તે સન્નારી અંદર ઉતાવળા પગલે દોડયાં અને પાણી ભરેલો ત્રામ્બાનો કળશયો (લોટો) લઈને બહાર બાલ્કનીમાં આવ્યાં, એમણે  જમણી દિશામાં હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી પેલા લોટામાંથી ધીમી ધારે પાણી રેડતા ગયાં અને બોલતા ગયાં ‘II શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II’ !! બસ પછી મુખ પર સંતોષનું સ્મિત ફરકાવતા અંદર જઈ  કામે લાગી ગયાં.

મારા મનને ઘડીક શાંતિ થઇ પણ પેલું વિસ્મય વ્યાપક બનીને જિજ્ઞાસામાં ફેરવાયું કે, આખો દિવસ તપતા આ સૂરજદેવ સામે પાણી રેડવાથી શો લાભ થાય ?? જિજ્ઞાસા ઝાલી ન રહી એટલે સાંજે એ સન્નારી ફળિયે બેસી સમવયસ્કો સાથે ગોઠડી કરતા હતા ત્યાં જઈને પૂછી નાખ્યું : ‘હેં, બા, તમે સવાર સવારમાં સૂર્યને શોધો ને જેવો દેખાય એટલે તરત તેની સામે પાણી રેડીને શ્લોક જેવું બોલો છો, તે આનો શો અર્થ ?’  તેઓ તો

                                                          (2)

અચંબામાં પડ્યા કે આ પાડોશી આવું શા સાટું પૂછવા આવ્યા હશે, પણ તરત તેઓએ ઠાવકાઈથી કહ્યું, ‘ભાઈ, એવું વિચારો તો કે સુરજ ઉગવાનું જ ભૂલી જાય તો,,, આપણું શું થાય ?  મને કયો તમે કે આપણો દિવસ શરુ થયો ક્યારે કહેવાય ? ઘોર અંધારી રાતમાંથી પહેલા પહોરે ઉજાસ થાય જ નહિ તો આપણી સવાર પડે ખરી ?? ભાઈ, જે આપણને સવારે ઉજાસ પાથરી ધીમેકથી કહે કે, ઉઠો વ્હાલા, એક નવો દિવસ તમારી ઝીંદગીને  ભેટ મળ્યો છે તે આનંદ કરી લ્યો !!! કહો જોઈએ, આવું કોઈ કહે તો  આપણે એનો આભાર માનવો જોઈએ કે નહીં  ?? તમે વાતે વાતે Thank You નથી કહેતા એકબીજાને ?? બસ, એમ જ, હું સવારમાં સુરજદેવને હાથ જોડી પ્રણામ કરું છું અને થોડું પાણી તેને અર્ઘ્ય  રૂપે ચડાવી  તેને ટાઢક વળે એવો ભાવ કરું છું, એને આપણા માટે આખો દિવસ તપવું સહેલું પડે ને ભાઈ..!! મારું વિસ્મય  હવે શાશ્વત બની ગયું અને મને સમજાયું કે, સૂર્ય બહાર પ્રકાશ પાથરે છે પણ કોઈ સજગ સન્નારીના હૃદયમાં અજવાળું અજવાળું કરી દે છે.

મને સ્વામી બ્રહ્મવેદાંતજીનું એક વિધાન યાદ આવ્યું : જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધનામને સમજાયું કે મારા પડોશી સન્નારી તો જાણ્યે અજાણ્યે સાધના કરી રહ્યા છે અને તેમણે મને કેવળ વાત નથી કરી પરંતુ મને સાધનાના માર્ગ તરફ આંગળી ચીંધી  છે.

ચીન નિવાસી અને વિશ્વના આધ્યાત્મ જગતના વિરલ પથદર્શી લાઓ ત્સુ  ત્રણ ખજાનાની વાત કરે છે:

મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત.

પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા,

ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ.

પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર,

અતિરેક હોય એટલે રહી શકે ભરપૂર

દુનિયાની આગળ થઈ જવાનો અભરખો હોય

                                                             (3)

એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર

પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી,

અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા,

તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ અને 

બધું લઈ જાય માત્ર મૃત્યુ તરફ.”

અને આમ જુઓ તો મૃત્યુ એ આખરી અજવાળું જ છે ને !! બહારનો  દીપ બુઝાય ત્યારે અંદરના દીપનું પ્રાગટ્ય થાય..બહાર પ્રકાશ ગયો અને અન્તઃકરણમાં અજવાસ થયો.

ગુરુ નાનક નિરંતર ઈશ્વરમાં મગ્ન રહેનાર સંત હતા. તેમને બાલ્યાવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ અવસર ઉપર દૂરના નજીકના સબંધીજન આવ્યા અને સૌ ભેગા થયા અને છેલ્લા તબક્કે એક વિસ્ફોટ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે નાનકડા નાનકજીએ કહ્યું કે, ‘હું યજ્ઞોપવિત પહેરીશ નહીં.’ કુટુંબના સૌ વડીલો એને સમજાવવા લાગ્યા અને પૂછ્યું કે, ‘એવું કેમ ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘જે જનોઈ મેલું થઇ જાય, તૂટી જઈ શકે, બળી જઈ શકે અને જે મનુષ્યના સાથે જીવનની સીમા પછી પણ આવે નહીં એવું જનોઈ પહેરવાનો અર્થ શું છે ?’ બધા વિમાસણમાં પડી ગયા ત્યારે કોઈ એક બુઝૂર્ગે પૂછ્યું કે, ‘બરાબર છે એ નહીં  તો, તારે કેવું જનોઈ જોઈએ છીએ કે જે આલોક અને પરલોકમાં પણ તારું સાથીદાર બને ?’  આ લોકોની જિજ્ઞાસા હતી. બધા પ્રતીક્ષા કરતાં હતા કે, શું જવાબ મળે છે ત્યારે નાનકદેવજીએ કહ્યું, ‘જેમાં જ્ઞાનની કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ અને સત્યનો અર્ક હોય એ જનોઈ હું પહેરીશ કે જે આત્મા માટે આદર્શ હોય.’  એક નાનકડાં બાળકની આટલી  ઊંડાણભરી વાત ત્યારે જ બહાર આવે કે જયારે  અંદર અજવાળું અજવાળું હોય.

પ્રશ્ન થાય કે, આવું ક્યારે શક્ય બને ?? જવાબ તાઓ ઉપનિષદમાંથી મળે છે :

તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે,

ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે.

                                                     (4)

પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે,

ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિવિધાન આવે,

વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે,

ધૂંધળાને નહીં, સજ્જન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે.

વર્ધાથી બહાર પડતા સામાયિક ‘મૈત્રી’નાં ઓગસ્ટ-2023ના અંકમાં એક કોલમમાં કહેવાયેલી વાત કાલિંદીના શબ્દોમાં જાણીએ:

સર્વ શક્તિદાયિની પદયાત્રાનો એ ચોથો ભાગ છે. એમાં એક સરસ પ્રસંગ ચિત્ર મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી હવે જઈશું પૂર્વ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. અહીં બે જિલ્લાઓમાં કુલ સોળ  દિવસ સુધી પદયાત્રા થઈ. અહીંની સભાઓ એક આશ્ચર્ય પમાડે તેવી થઈ. નાના નાના ગામોમાં હજારોની સભા થતી હતી. કોણ કહેતું હશે લોકોને આ સભા અંગે કે આટલા બધા ઉમટી પડતા હશે ! ત્યારે કાર્યકર્તાઓની ફોજ નહોતી, પ્રચારની કોઈ યોજના નહોતી પરંતુ કોણ પહોંચાડી રહ્યું હતું આ વાત લોકો સુધી ? કોણ હતો તેનો સંદેશાવાહક ? કાનમાં કોઈ હળવો અવાજ બોલતો  હતો.  ચારો ઓર સે હવા આઈ, લોગો કે કાનોમેં બોલી,, આયા હે ફકીર ભારતકા લેકર પૈગામ મહોબ્બતકા. હવામાંથી સંદેશ મેળવીને લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ હતી, પણ શાંતિથી, એકાગ્રતાથી તેઓ વિનોબાજીને સાંભળતા હતા. આશાવાદી આર્ય નાયકમ પણ સાથે હતા. તેઓ કહેતા :  બાબા ભૂમિ તપ્ત છે, એને વરસાદનું પાણી મળી રહ્યું છે. વાત પણ સાચી હતી. પૂર્વ પાકિસ્તાનની હાલત એવી હતી કે, ત્યાં આવી જાહેર સભાઓ ક્યારેય થતી ન હતી. સંત ફકીરોની આહલેક  સાંભળીને ત્યાં ભેગા થવાનો મોકો પણ મળતો ન હતો. ખરેખર એ ભૂમિ પ્યાસી હતી, તપ્ત હતી. એવી શાંત એકાગ્ર શ્રોતાઓની આટલી વિશાળ પણ સભા ભારતમાં ક્યાંય થઇ ન હતી, પણ તેના ઉપર ફકીર વિનોબાજીનો મહોબ્બતનો પૈગામ જાણે મીઠો વરસાદ વરસાવી રહ્યો હતો.

                                                        (5)

વિનોબાજીની ભૂદાન પદયાત્રા ચાલી રહી હતી એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો હતો કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી તેઓને ઈચ્છા હતી કે તેઓ સંત ઋષિ વિનોબાજીને મળે અને તેના આશીર્વાદ લે. વિનોબાજીની યાત્રા એ સમયે વર્ધા જિલ્લામાં ચાલી રહી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કહેવડાવ્યું કે, ‘વિનોબાજીની ભૂદાન યાત્રા પૂર્વ નિયોજિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલે. મારા કારણે તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. હું તેઓ જે સ્થાન ઉપર હશે તે સ્થાન ઉપર જઈને તેમને મળીશ.’ એ દિવસે વિનોબાજીનો  મુકામ એક બહુ નાનકડા ગામમાં હતો. એ ગામમાં સ્કૂલ નહોતી, પંચાયત નહોતી. એનો કોઈ રૂમ ન હતો  કે કોઈ એવી વ્યક્તિનું મોટું મકાન પણ નહોતું. પ્રશાસન અધિકારીઓ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે આ બંને મળી શકે એવું સ્થાન કયું ? વિનોબાજીની વાત તો ઠીક છે પરંતુ તેમને ચિંતા હતી પ્રધાનમંત્રીની. આખરે એક ઘર પસંદ કરવામાં આવ્યું. ઘર એટલે માટીવાળી દિવાલોનો એક ઓરડો અને એના આગળના ભાગમાં ઉપર છાપરા મૂકેલ એક ઓસરી કહી શકીએ એવું. ઘરનો માલિક બહુ ખુશ હતો કે, એક સંત આજે આખો દિવસ આ ઘરમાં રહેવાના હતા. અને એમણે ૨૪ કલાક માટે પોતાના પરિવાર અને બળદને લઈને ખસી જવાનું પસંદ કર્યું. પ્રશાસનના  અધિકારીઓએ ઘરની સફાઈ કરી. વિનોબાજીના સાથીઓ પણ એ રૂમને સજાવવા લાગ્યા. ચાદર પાથરી, ચટાઈ પાથરી, ઓરડાના એક ખૂણામાં ચૂલો હતો એને સારા કપડાથી ઢાંકી દઈને એની ઉપર ફાનસ મૂકી દીધું. કારણ કે બહાર વાદળો હતા અને ઓરડામાં અંધારું. નક્કી થયેલા સમય ઉપર પ્રધાનમંત્રી આવ્યા. તેઓ પોતાની ગાડી અડધો માઈલ દૂર રાખીને ચાલીને આવ્યા. વિનોબાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સ્વાગત માટે રસ્તા ઉપર ઉભા રહ્યા. તેઓ શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના રૂમ માં લઇ ગયા. એક દોઢ કલાક સુધી બંનેએ એકાંતમાં વાતો કરી. વિદાય માટે જેવા તેઓ ઉભા થયા કે  એકદમ ચારે તરફથી આંધી શરૂ થઈ.  હવાનું એક બહુ મોટું વહેણ એ ઓરડામાં પણ ઘુસ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ગરીબ ઘરની આસપાસ જે સારું ઐશ્વર્ય હતું એ આ બંને મહાનુભવો પર પડયું  અને બંનેનું સન્માન કર્યું. ઐશ્વર્ય એટલે શું ? એ સમયે લાલ મરચું અને ડુંગળીના

                                                    (6)

છાલકાઓની વર્ષા  બંને ઉપર થઇ !  એમ કહેવાય કે ગરીબ ઘરની વિદાય લેતી વખતે ગરીબોની  સર્વોત્તમ ચીજથી બંનેનું સન્માન થયું. સામાન્ય રીતે તો પ્રધાન મંત્રીનું સન્માન કરવા માટે તો ફૂલ હોય, ગુચ્છા હોય, ફૂલમાળા હોય, નોટોની માળા હોય પણ આજે એવું નહોતું. પ્રધાનમંત્રી અને વિનોબાજી રૂમની બહાર આવ્યા ત્યારે બંને ઉપર કચરાના અંશો પડ્યા હતા. પ્રધાનમંત્રીની ટોપી ઉપર અને ખભા ઉપર પડેલો કચરો પ્રશાસકીય લોકો દૂર કરવા લાગ્યા,  પણ પ્રધાનમંત્રીએ આસ્તેથી તેઓનો હાથ દૂર કર્યો અને જઈને કારમાં બેસી ગયા. પ્રધાનમંત્રીનું આ પ્રકારનું સ્વાગત કે વિદાય બીજે ક્યાંય  હોય શકે ? સંભવ જ નથી લાગતું. કોઈ ઉત્તમ લેખકની  કલ્પના શક્તિ ન ચાલે એવી રીતે આ બનાવ બન્યો હતો. તેમ છતાં તે ચક્ષુ રેવ સત્યમ હતું. અદ્વિતીય હતું. આવું તો પદયાત્રામાં જ થઇ શકે. પરમભાગ્ય પદયાત્રીઓના કે આ બધું જોયું અને ચોતરફ ભૂદાનયાત્રાનું અજવાળું અજવાળું થઈ  રહ્યું.

સંત ફઝીલ એક દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા. ત્યારે એક નિર્દોષ બાળકે પૂછ્યું, તમે મને દોસ્ત માનો છો ? ફઝીલે કહ્યું, હા. બાળકે ફરી પૂછ્યું,.. ‘અને ખુદને પણ દોસ્ત માનો છો ? બંનેની દોસ્તી એક દિલમાં રહી શકે નહીં હો !’ ફઝીલ સમજી ગયા.  આ ચેતવણી કદાચ ખુદા જ આપી રહ્યા હતા. એમણે તરત જ બાળકને ખોળામાંથી ઉતાર્યો અને પલાંઠી મારીને આરાધનામાં લીન થઇ ગયા. સંત સાફિયાન એક રાત્રે ફઝીલ પાસે આવ્યા અને પ્રેમ પૂર્વક અધ્યાત્મ ચર્ચા કરવા લાગ્યા. વિદાય લેતી સમયે સંતુષ્ટ સ્વરમાં તેઓએ કહ્યું કે, આજની રાત બધી રાતોથી વધુ સારી રહી છે અને આજનો જલસો બધા જલસામાં ખુબ ઉત્તમ રહ્યો છે. પ્રત્યુત્તરમાં ફઝીલે  કહ્યું : “આજ કી રાત સબ રાતો સે બુરી ઓર આજકા જલસા સબ જલસોસે બુરા રહા.’  તરત સાફિયાને પૂછ્યું,  કેમ એમ ? જવાબ મળ્યો :  આ આખી રાત તમે એ ચિંતામાં રહ્યા કે એવી વાત કહો જે મને પસંદ આવે અને હું એ ફિકરમાં રહ્યો કે એસી બાત કહું કી તુમ્હે પસંદ આયે. હમ દોનો અલ્લાહ સે કાફીર રહૈ. બંદે કે લિયે તન્હાઈ હી અચ્છી થી જહાં ઉસકા ખુદા કે સાથ સીધા વાસતા હે આ વિચારને લઈને સંત અબ્દુલ્લાએ કહ્યું

                                                          (7)

પરત જાઓ. તુમ ઇસલિયે આયે હો ના કિ  તુમ મુજસે બાતેં  કરો ઓર મેં તુમસે બાતેં  કરું. સત્સંગ ઉતના હી અચ્છા જીતને મેં રાહી કો રાહ બતાયી જાએ !!

એકનાથે કહ્યું છે: જબ તક રસનાકો જીત નહીં લિયા સમૂચિત બોલના આતા નહીં. એમાંથી પ્રશ્ન થયો કે,  કોઈ ખોટું બોલે તો પણ આપણે ચૂપ રહીને સહન કરતાં શીખવું જોઈએ,  પણ એવું થતું નથી. માનો કે,  આપણે એને વળતો જવાબ ન દઈએ, પરંતુ મનમાં તો પ્રતિવાદ રહેતો જ હોય છે. સૂફીનો જવાબ મળ્યો :  ચુપચાપ સહન કરવું પર્યાપ્ત નથી દોસ્ત,  કટુ બોલનારને આશીર્વાદ આપો,  એમનું શુભ ચિંતન કરો,  એમના ઉપર ઈશ્વરની કૃપા હો, એવું પણ વિચારવા લાગો ત્યારે વાત પુરી થશે. ફરી પ્રશ્ન થયો કે, ‘શૂન્ય બનવાની વાત સૌ કરે છે તો આ શૂન્ય બનવું એટલે શું ?’  જવાબ મળ્યો: શૂન્ય બનવું સહેલું છે. તમારા ચિત્તમાં ન કોઈ વિકાર હોય કે ન કોઈ વિચાર હોય એ સ્થિતિ શૂન્યાવસ્થા છે. 

 આપણે જાતને પૂછવાનું છે :

તમારાથી વધુ નિકટ શું ? કીર્તિ કે તમે સ્વયં ?

તમને વધુ વહાલું શું ? તમે સ્વયં કે સંપત્તિ ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ;

ધનના સંગ્રહની પાછળ પાછળ આવી જાય મોટી લૂંટ

એટલે જે જાણે સંતોષને, તે રહેશે, ના થશે કદી માનભંગ;

જે જાણે ક્યાં અટકી જવું, તે રહેશે કદી નાશવંત

પ્રાપ્ત કરો લક્ષ્ય પ૨મ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિમાં

અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી

જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ;

                                                           (8)

પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં.

પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;

તેનો અર્થ થયો : જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

…અને એ પૂર્વસ્થિતિમાં મળી આવશે અજવાળું અને તેનું એકમાત્ર લક્ષ્ય હશે  કે પૂર્ણતાની દિશામાં  સતત ચાલતા જ રહેવાનું, સતત ચાલતા જ રહેવાનું…Just Let Go .

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


જીવતાં જીવતાં શીખીએ તો ?

જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com 

ઉપનિષદમાં એક કથા આવે છે. આઠ – દસ વરસનો એક છોકરો હાથમાં સમિધા લઈને, ‘સમિતપાણી’ થઈને ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘હું જ્ઞાન માટે આવ્યો છું.’ ગુરુએ તેને  કહ્યું કે : ‘આ ૪૦૦ ગાયોને ચરાવવાનું કામ કર અને તેની જયારે હજાર ગાય થઈ જાય ત્યારે મારી પાસે જ્ઞાનને માટે આવજે.’ ૪૦૦ ગાયોની હજાર થવામાં બે – ત્રણ વરસ લાગી જાય, એટલે કે તે દસ વરસના છોકરાને બે – ત્રણ વરસની યોજના આપી દીધી. બે – ત્રણ વરસે એ પાછો આવ્યો, ત્યારે ગુરુએ તેની સામે જોયું અને પૂછ્યું : તારો ચહેરો તો તેજથી ચમકી રહ્યો છે. કેમ રે, તને કંઈક જ્ઞાન મળ્યું હોય એમ લાગે છે.’ ત્યારે શિષ્ય બોલ્યો : “જ્ઞાન તો ગુરુ કૃપાથી જ મળે. એ તો મને તમારી પાસેથી જ મળશે.’ ગુરુએ કહ્યું : ‘એ તો ખરું, પણ તારા ચહેરા ઉપર જ્ઞાનની ચમક દેખાય છે, તો શું તને કોઈએ કાંઈ જ્ઞાન આપ્યું ?” શિષ્યે જવાબ આપ્યો : “અન્યે મનુષયેભ્ય: – મને કોઈ માણસે નહીં, કોઈ બીજાઓએ જ્ઞાન આપ્યું.”

તેને  બળદે કંઈક જ્ઞાન આપ્યું, હંસે આપ્યું, અગ્નિએ આપ્યું અને મગદુ નામના પક્ષીએ આપ્યું. આ ચારેય જણે તેને  શું – શું જ્ઞાન આપ્યું, તેનું વર્ણન ઉપનિષદમાં છે. પછી ગુરુએ કહ્યું : ‘તને જે જ્ઞાન મળ્યું છે, તે બહુ સારું છે.’ પછી જે મળ્યું હતું તેની પૂર્તિમાં જે કહેવાનું હતું, તે ગુરુએ તેને કહ્યું.  તાત્પર્ય એ છે કે ઉપનિષદોના ગુરુ વિદ્યાર્થીઓને ઊંચી દીવાલોની અંદર નહોતા રાખતા, એમને તો કુદરત વચ્ચે મૂકી દેતા. ભગવાનના એ ખુલ્લાં દરબારમાં જ્ઞાન દેનારા અસંખ્ય ગુરુઓ હાજરાહજૂર છે..! પહેલાંના જમાનામાં આપણે ત્યાં વિદ્યા શહેરોમાં નહીં ; નદી કાંઠે, જંગલોમાં કે દુર્ગમ સ્થાનોમાં પાંગરી હતી. તેનો સંબંધ રોજબરોજ જીવાતા જીવન સાથે અને કુદરત સાથે રહ્યો હતો.

શિક્ષણનો અભ્યાસક્રમ કેવો હોઈ શકે, તેનો બહુ ઊંડાણથી વિચાર વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ તથા છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યા : 

(૧) શારીરિક (શિક્ષણ) : રસોઈ કરવી, સફાઈશાસ્ત્ર, દળવું, પાણી ભરવું, અન્ય વ્યાયામ, આરોગ્યશાસ્ત્ર 

(૨) ઔદ્યોગિક (કલ્પ) : વણાટ, ખેતી, સુથારીકામ, લુહારી કામ, સિલાઈ કામ 

(૩) ભાષાકીય (વ્યાકરણ) : સંસ્કૃત, હિન્દુસ્તાની, સ્વભાષા, પરભાષા 

(૪) સામાજિક (નિરુક્ત) : રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઈતિહાસ વગેરે… 

(૫) કલાવિષયક (છંદસ) : સંગીત, ચિત્રકળા વગેરે. 

(૬) વ્યવહારિક (જ્યોતિષ) : અંક – બીજ – રેખા ગણિત, જમા – ખર્ચ, ભૂગોળ, આધિભૌતિક વિજ્ઞાન વગેરે. 

શિક્ષણના આ મુખ્ય છ અંગો છે. આ બધી બાબતોમાં ઓછું – વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે… પણ આજે આપણે તેના માળખાગત – ચોકઠાબદ્ધ – ક્રેડિટબંધા અભ્યાસક્રમો રચવામાં એવા રત થઈ ગયા છીએ કે ‘તે શા માટે ?’ નું હાર્દ મરી જાય છે અને ‘તે આ જ રીતે..’ ની જડતા ઘર કરી જાય છે. અભ્યાસક્રમમાં છે એટલે ભણાવવાનું છે કે પછી જીવનની કિતાબમાં આનો અનુભવ થવાનો છે એટલે શીખવાનું છે… તેની સ્પષ્ટતા નથી. શિક્ષણની, તેના અભ્યાસક્રમની આદર્શ પદ્ધતિ એ છે કે વિદ્યાર્થીને એમ લાગે જ નહીં કે હું શિક્ષણ મેળવી રહેલ છું અને શિક્ષકને એમ લાગે નહીં કે હું શિક્ષણ આપી રહેલ છું ! શિક્ષણ સહજ પ્રક્રિયા છે. સૂર્ય પ્રકાશ આપતો નથી, તેની પાસેથી સહજ જ પ્રકાશ મળતો રહે છે. શિક્ષણનું ય આવું જ થવું જોઈએ. એકદમ શરૂઆતમાં મા બાપ પાસેથી બાળકને સહજ સંસ્કાર મળવા જોઈએ અને પછીના દરેક તબક્કે અત્યંત સહજપણે તેનું શિક્ષણ ચાલવું જોઈએ.

ઘરમાં મા, ‘વગર અભ્યાસક્રમની’ પહેલી ગુરુ… મા નો અભ્યાસક્રમ એટલે ‘અભી આયા સો ક્રમ..’ તે ત્રણ ઉદાહરણોથી જાણીશું,,, આપણને થશે કે  અભ્યાસક્રમ વગરના ઉદાહરણો જીવન શિક્ષણનાં…? પણ આ રહ્યા…

(૧) એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ મોટું મસ્સ ફળ. ઘણી બધી પેશીઓ  એમાં હોય. બાળકોને ખૂબ ભાવે. ઝાડ ઉપર હજુ પાકતું હોય ત્યાં બાળકોના મ્હોંમાં પાણી લાવે. રાહ જોઈને જ બાળકો દિવસો ગણે. ઝાડ ઉપરથી જેવું ફળ ઊતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં મા બબ્બે પેશી વાડકીમાં મૂકી વિનીયાને  આપે, દત્તુને આપે ને કહે : ‘બેટા, પડોશમાં દઈ આવ. ફણસ આપણા ઘરમાં ઉગ્યું પણ તેનો પડછાયો તો ત્યાં ય પડેલો ને ?’ બાળકોને પછી પેશી પીરસતાં મા સાદી ભાષામાં સમજાવતી કે, જુઓ બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે તે ? દેવ થવું સૌને ગમે. જે પોતાની પાસે રાખી મૂકે તે ‘રાક્ષસ’ અને બીજાને જે ‘દે’ તે ‘દેવ’.. વિનીયો તે વિનોબાજી ! તેઓ કહેતાં : ‘બીજાને આપવાનો આનંદ, ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. ભૂદાનનું મૂળ પણ આમાં જ છે.’ 

(૨) મા વિનીયાને રોજ જમતાં પહેલાં પૂછતી – ‘વિન્યા, તુલસીને  પાણી પાયું ? ગાયને રોટલી આપી ? કાગને કંઈ આપ્યું ?’ આટલું રોજ પૂછતી મા એ વિનોબાજીને કહ્યા વગર | ત્યેન ત્યક્તેન ભૂંજી થાઃ | સમજાવી દીધું. 

(૩) પિતાજીની વડોદરામાં નોકરી. વિનાયક દસ વર્ષનો થયો ત્યાં સુધી કુટુંબ ગાગોદરામાં રહેતું. દિવાળીમાં પિતાજી  ઘેર આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતાં હોય. એકવાર પિતાએ આણેલું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો મા પાસે પહોંચ્યો. મા એ ખોલીને જોયું તો બે પુસ્તક : રામાયણ અને ભાગવત ! મા કહે – ‘બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે. આનાથી રુડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે ?’ મોટાં થયા પછી પણ વિનોબાજીને સુંદર પુસ્તક કરતાં વધારે સારી મીઠાઈ કોઈ લાગતી નહીં…! 

આ ત્રણ ઉદાહરણોમાં મા એક ઉત્તમોત્તમ શિક્ષક નીવડે છે અને અહીં ક્યાં છે અભ્યાસક્રમ, પણ છતાં છે ને શિક્ષણ, જીવનભરનું શિક્ષણ…? એટલે પ્રશ્ન થાય કે જિંદગી અભ્યાસક્રમ મુજબ જીવી શકાય ખરી ?

અભ્યાસક્રમ એટલે શું ? ‘મારે શું શીખવવાનું છે અને મારે આ શા માટે શીખવવાનું છે,’ તેની પૂર્ણ સ્પષ્ટતા…કેવી સ્પષ્ટતા ? એકવાર કોઈએ વિનોબાજીએ પૂછ્યું : ‘શિક્ષણમાં સંગીત અને ચિત્રકળાનો ઉદ્દેશ શો ?’ જવાબ મળ્યો તે વાંચજો એટલે ‘પૂર્ણ સ્પષ્ટતા’ મળી  જશે : ‘આ દુનિયામાં ભગવાનના નામ અને રૂપ, એ જ બે પ્રગટ થયા છે, બાકી ઈશ્વર તો અવ્યક્ત છે. સંગીત દ્વારા ઈશ્વરનું નામ ગવાય અને ચિત્રકળા દ્વારા ઈશ્વરનું સ્વરૂપ ચીતરાય, એટલે શિક્ષણમાં બંનેને મહત્વનું સ્થાન હોય !’ શીખતાં શીખતાં જીવીએ તો અભ્યાસક્ર્મની જરૂર પડે, પણ જીવતાં જીવતાં શીખીએ તો ? તો જિંદગી એક વણલખ્યો અભ્યાસક્રમ બની રહે કે નહિ,,હા કે ના, ?

 

ગુરુ દત્તાત્રયને ચોવીશ ગુરુઓ હતા

કબૂતર અને પિંગલા ગણિકા  પણ આપણા ગુરુ બની શકે. 

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmil.com

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મસ્તક ઝુકાવીને મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણા લેખનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

આપણે બે ગુરુઓની કથા જાણીએ અને તેને ગુરુ શા માટે ગણવા તેની સ્પષ્ટતા મેળવીએ. 

કબૂતર અને કબુતરીનું દ્રષ્ટાંત  વિસ્તૃત રીતે સમજાવીને કબૂતર શા માટે ગુરુ બની શકે એના અંગે વાત કરવામાં આવી છે. ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં અન્યથા તેને કબુતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડે છે. કથા આ મુજબ છે :: કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ પર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા  કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઇ ગયા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષતામાં એક સાથે સુઈ જતા, બેસતા, હરતા ફરતા, રમતા, વાતચીત કરતા અને ખાતાંપીતાં હતા. કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે કાંઈ ઈચ્છતી તો કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પુરી કરતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી હંમેશા ખુશ રાખતી હતી. સમય આવ્યે કબુતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમય એ ઈંડા ફૂટ્યા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખુબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડપ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી  આનંદમગ્ન થઇ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈજોઈને તેમને અત્યંત આનંદ આવતો જયારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી  આવતા ત્યારે આ બંને ખુબ આનંદિત થઇ જતા. આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઇ ગયા. તેમનું હૈયું એકબીજાના સ્નેહથી બંધાયું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતિ પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઇ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક કે પરલોકનું સ્મરણ રહ્યું નહીં.

એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લેવા જંગલમાં ગયા કેમ કે એનો પરિવાર મોટો થઇ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડયો તેણે જોયું કે માળાની આજુબાજુ કબુતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેણે જાળ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા. હવે તો દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબુતરીએ જોયું કે તે નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયા છે અને દુઃખથી ચીસો પડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબુતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત  અત્યંત  દુઃખી થઇ ગયું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચા જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જાળમાં ફસાઈ ગઈ.

હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા જાળમાં ફસાયા અને મારી પ્રાણ પ્રિય પત્ની પણ એ જ દશાને પ્રાપ્ત થઇ ગઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરતા કરતા ‘હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે, મારું તો સત્યાનાશ થઇ ગયું !  જુઓ તો ખરા. ન મને હજી તૃપ્તિ થઇ અને ન મારી તૃષાઓ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઇ ગયો, મારી પ્રાણપ્રિય તો મને જ પોતાનો ઇષ્ટદેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઈશારે નાચતી હતી તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાવી રહી છે, મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જઈ રહી છે, મારું હવે સંસારમાં શું કામ છે ? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું ??’  કબુતરના બચ્ચા જાળમાં ફસાઈને તરફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ મોતના મુખમાં છે પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને સ્વયં પણ જાણી જોઈને જાળમાં કૂદી પડયું.

પારઘી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઇ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડયો. કબૂતર અને કબુતરીના આ દ્રષ્ટાંત પરથી તેમને ગુરુ ગણવાનું કારણ એટલું જ કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણપોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતિની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમા કબૂતર દંપતિની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડે છે એમ માનવું, શાસ્ત્રની ભાષામાં તે આરૂઢચ્યુત કહેવામાં છે.

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

અંતમાં કહેવાયું કે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે,  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.  

 

….નઈ તાલીમનો તો વિશિષ્ટ-અમૃતકાળ….

ગાંધીજીની ઉત્તમ ભેટનઈ તાલીમનાં શ્રી ગણેશ તો 1937થી થયાં છે.!

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

”ભારતને મારા જીવનની આ મોટામાં મોટી ભેટ છે.” આ ઉદગારો નઈ તાલીમ વિષે ગાંધીજીએ કાઢેલા છે. ગાંધીજી સત્યાગ્રહી તરીકે માપીતોળીને વેણ કાઢતા. એમણે જ્યારે આ કહ્યું હોય ત્યારે નઈ તાલીમના હાર્દમાં નમ્રભાવે ઊતરવું જોઈએ.

આખરે નઈ તાલીમનું કેન્દ્રસ્થ તત્વ કયું છે ?

શિક્ષણનું કાર્ય એવી રીતે ચાલવું જોઈએ કે વિદ્યાર્થીને અનુભવ અને શબ્દ દ્વારા મળતું જ્ઞાન જોડાજોડ મળે; ખાસ કરીને પહેલાં સાત ધોરણમાં તો આ બેને અલગ પાડવાં જ નહિ.

જીવનની શરૂઆતના કાળમાં જ્યારે બાળક પહેલાં પગલા ભરતું હોય ત્યારે અનુભવ આપીને શબ્દ આપવા પર ભાર દેવો, અનુભવના પાયા વિનાનું જ્ઞાન ન આપવું તે વાત સમજવી  જરૂરી છે.

આપણે થોડા દાખલા લઇએ, માનો કે એક અનાથ બાળકની મા છેક બાળપણમાં જ ગુજરી ગઇ છે, અને તેની માસીએ તેને માતાના વાત્સલ્યથી મોટો કર્યો છે. માની કશી ખોટ વરતાવા નથી દીધી. હવે આ બાળક જ્યારે શાળામાં માતા પરની કવિતા ભણશે ત્યારે તેના હૈયામાં કોની મુર્તિ ખડી થશે ? માસીની. માસી તે મા નથી. મા તો ગુજરી ગઇ છે, પણ મા શબ્દ સાથેનો જ સંકેત છે તે સંકેત તેને માસી  પાસે દોરી જવાનો, કારણ કે અનુભવ માસીનો છે.

કોઈ અનાથાશ્રમના વત્સલ ગૃહપતિની પ્રેમાળ છાયામાં ઉછરેલ બાળક જયારે પિતા પરની કવિતા ભણશે ત્યારે તેને ગૃહપતિ યાદ આવશે.

નઈ તાલીમ આ પરથી એટલું જ કહે છે કે અનુભવ મહત્વનો છે. ડબ્બા પર લેબલ શું છે તે મહત્ત્વનું નથી, અંદર શું છે તે મહત્ત્વનું છે.

શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ નઈ તાલીમનું હાર્દ  સ્પષ્ટ કરતા કહે છે કે…’શ્રમ કરાવવો જોઈએ એવું હું નથી કહેતો. એ વાત તો શિક્ષણથી સાવ વિરુદ્ધ જ છે. શિક્ષક કોઈ દિવસ એમ નહિ કહી શકે કે આ કરાવવું જોઈએ. આવું બોલે એટલે શિક્ષક મટી ગયો ને જમાદાર થઈ ગયો. નાનાભાઈ ભટ્ટે કેળવણીનું આ શાસ્ત્ર એક પ્રસંગમાં જ મને સમજાવી દીધું. હું તો કંઈ ખાસ ભણ્યોગણ્યો છું નહિ. હું તો એમની પાસે બેસીને કેળવણીનું શાસ્ત્ર કંઈક સમજ્યો. જેવું આવડયું એવું કામ કર્યું. કોલેજ કે જી.બી.ટી.સી.નાં પગથિયાં જ નથી જોયાં ને ! પર આપણું તો થઈ ગયું સીતારામ. પણ એટલા પૂરવજનમનાં પુણ્ય કે હું નાનાભાઈ પાસે ગયો.

દક્ષિણામૂર્તિમાં હું સાવ નવોસવો. બીજે પાંચ-સાત ગૃહપતિઓ હતા. મારી આગળના ગૃહપતિ મહાદેવ.. નાનાભાઈની ઓફિસ મેડી ઉપર હતી. નીચે કંપાઉન્ડમાં એક છોકરાને મહાદેવ કહે : ‘કેમ તમે નથી વાળ્યું ? મેં કેટલી વાર કહ્યું તમને ? હું આ બિલકુલ નહિ ચલાવી લઉં. ચાલો, વાળી નાખો. તમારે આ વાળવું જ પડશે.”

નાનાભાઈ ઉપર બેઠેલા, એની મહાદેવને ખબર નહીં. નાનાભાઈએ આ સાંભળ્યું. એટલે બારણામાં ઊભા રહી, તાળી પાડી, ધીમેથી કહ્યું – “મહાદેવ, મહાદેવ.”

એટલે પેલા ભાઈ ઉપર આવ્યા. નાનાભાઈ કહે – “તમે શિક્ષક છો.”

મહાદેવ કહે : “નાનાભાઈ ! મેં એને ત્રણ-ચાર વાર કહ્યું. વાળે જ નહિ.. પછી શું કરવું ?”

“મહાદેવ ! મેં તમને છોકરાઓ પાસે છાત્રાલય વળાવવા રાખ્યા નથી. એ તો હું વીસ રૂપિયાનો જમાદાર રાખું તો પણ થઈ જાય. તમને આ પચાસ રૂપિયા શેના આપું છું ? તમે શિક્ષક છો. તમારે એને એ જાતે સમજીને વાળતો થાય તેમ કરવાનું છે.”

આપણા રામ તો સાંભળી જ રહ્યા ! ત્યારે ખબર પડી કે શિક્ષક થવું કેટલું આકરું છે. અને તે પછી ખબર પડી કે શા માટે લોકો શિક્ષકને માન આપે છે . કારણ કે એ કોઈની પાસે કામ કરાવતો નથી. પણ કામ કરતા કરવાની મનોવૃત્તિ જગાડે છે. એથી વિદ્યાર્થી તમે હાજર હો તો પણ કરે. અને તમે હાજર ન હો તો પણ કરે, અહીંયાં ન હો તો પણ કરે અને વિલાયમાં હો તો પણ કરે. એની ઉપર કોઈએ ચોકી રાખવાની જરૂર નથી, શિક્ષક સ્વયંશાસન, આત્મ-વિવેચન કે આત્મદર્શનથી સર્જે છે.

અમને કહે કે હવે તમે છેલ્લા-પહેલી કરો. એટલે અમે છોકરાઓ એકબીજાને પૂછીએ. અઘરામાં અઘરું હોય એ જ પૂછીએ. ‘નકશામાં ગંડક નદી બતાવ.’ ગંગા પૂછે તો  તો બતાવે. ગંડક કોણ પૂછે ? આના અનુસંધાનમાં મારા ચિત્તમાં એક કિસ્સો રહી ગયો છે. જે ઘણીવાર મને યાદ આવ્યા કરે છે..

અમરશી કરીને એક છોકરો હતો. સાવ ઠોઠ છોકરો ગણાય , એના મગજમાં આ શબ્દની દુનિયા ઝટ પેસે નહિ. એને મેં પૂછયું કે ગંડક બતાવ. એ ક્યાંથી બતાવે ?  ત્યારે નિયમ એવો કે ન આવડે તેને તમાચો મારવાનો. એટલે મેં એને તમાચો માર્યો. એનું ઓશિયાળું મોઢું મારા મનમાં અંકાઈ ગયું. એ વખતે એ મારી સાથે ચોથી ચોપડીમાં હશે. ઘણાં વર્ષો પછી એકવાર ચૂંટણી અંગે હું એના ગામમાં ગયો. વચ્ચે કોણ  જાણે ૧૫-૨૦ વરસ ગયા હશે. ગામમાં મેં  સભા કરી. બધું પૂરું થયું. ત્યાં પેલો અમરશી મારી પાસે આવ્યો. મને કહે – “મનુભાઈ, મને ઓળખ્યો ? હું અમરશી.”

મને તો કોઈ દિ’ ભુલાયેલું જ નહિ. મને કહે – “મનુભાઈ, મારે ત્યાં જમવા આવો.”

મેં કહ્યું – “સારું.”

એ તો ભૂલી જ ગયો હશે બિચારો. કાં તો એને એમ જ લાગતું હશે કે જગતમાં આવું જ હોય બધે. બુદ્ધિશાળીઓનું આવું વર્તન આપણે ચલાવી લેવાનું. હું ગયો એને ઘરે જમવા. ઘણી વાતો કરી. કહે – “ભગવાનની મહેરબાનીથી બધું સારું ચાલે છે. ભાઈઓએ ભાગ વહેંચ્યા. મારે ભાગે દશ વીઘાં જમીન આવી’તી. એક બળદ આવ્યો’તો. ખૂબ મહેનત કરી. સગાંસાંઈની મદદ લીધી. આમ કર્યું, તેમ કર્યું. અત્યારે બે જોડી બળદ છે. ૩૦-૩૫ વીઘા જમીન છે. ભગવાનને પ્રતાપે લીલાલહેર છે મનુભાઈ.”

ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસને ગંડક બતાવતાં નો’તુ આવડ્યું એટલે માટે મેં એને તમાચો માર્યો હતો. હવે એ માણસ જીવનમાં કેટલો સફળ થયો છે ? મારે ભાગે આવી સ્થિતિ આવી હોત તો હું તો પાણીમાં જ બેસી જાત. ને આણે તો સંસાર જમાવ્યો. મને અમરશીની વાતે નમ્ર બનાવ્યો.

           નઈ તાલીમનું પગેરું

         “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તકના લેખક રસ્કિનની ફિલસૂફીથી પ્રભાવિત ગાંધીજીને ઈ.સ. ૧૯૦૪માં જણાએલું કે…

(૧) બધાનાં ભલામાં આપણું ભલું રહેલું છે.

(૨) આજીવિકાનો હક બધાને એક સરખો હોવાથી વાળંદ અને વકીલના કામનું મૂલ્ય એક સરખું છે.

(૩) શ્રમિકનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ વિચારોએ ગાંધીજીને શિક્ષણ વિશેના પોતાના મૌલિક પ્રયોગો દ્વારા પરિવર્તન લાવવાની પ્રેરણા પૂરી પાડી.

ઈ.સ. ૧૯૦૪માં આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ પોતાના પરિવારના બાળકોના શિક્ષણ માટે મૌલિક પ્રયોગો શરૂ કરેલા. તેમણે કરેલા આ પ્રયોગોમાં મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે પોતાના આ વિચારો ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લખેલ હિંદ સ્વરાજ પુસ્તકમાં રજૂ કર્યા. આમ, નઈ તાલીમનો જન્મ ગાંધીજીની શિક્ષણ-પ્રયોગશીલતામાંથી થયો છે.

તા. ૨૨-૨૩ ઓકટોબર ૧૯૩૭માં શ્રીમન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષસ્થાને વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયની રજત જયંતી નિમિત્તે યોજેલા રાષ્ટ્રીય કેળવણીકારોના એક સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનો વિચાર વ્યવસ્થિત રીતે રજૂ કર્યો. ચર્ચાના અંતે સહુની સંમતિ સધાતા તેને રાષ્ટ્રીય કેળવણી તરીકે સ્વીકારવામાં આવી અને તેના અમલ માટે ડૉ. જાકિર હુસેનના અધ્યક્ષ સ્થાને એક સમિતિની  રચના કરીને નઈ તાલીમના શ્રી ગણેશ કરવામાં આવ્યા.

           ૧૯૪૪ માં અંગ્રેજ સરકારે ગાંધીજીને જેલમાંથી છોડયા. તરત જ ગાંધીજીએ દેશના યુવાનોને નવી ચેતના અને દિશા દેવા માટે સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ગાંધીજીએ યુવાનોને કહ્યું : નિરાશા છોડો, બહુ જલદી આપણે સ્વતંત્ર થઈશું. સ્વાતંત્ર્ય મળ્યા પછી સૌ પોતપોતાના કામમાં પડી જશે અને છેવાડાનો માણસ વિસરાઈ જશે. તેને કેળવણી આપી આત્મસન્માન કોણ અપાવશે ? સૌ ગામડાંમાં જાવ અને ગ્રામસેવા – ખાદી ગ્રામોદ્યોગ – શ્રમની કેળવણી દ્વારા વંચિતોને બેઠા કરો. ગામડાંમાં જવા માટે બાપુએ ત્રણ શરતો રાખી : ૧) ગામ નાનું, પાંચસોથી ઓછી વસતિવાળું હોય ૨) ગામમાં પ્રાથમિક શાળા ન હોય ૩) ગામ કોઈ સડક કે રોડ પર ન હોય અને રેલવે સ્ટેશનથી ઓછામાં ઓછું પાંચ કિમી દૂર હોય.. બસ, આ ત્રણ શરતો લઈને યુવાનો નીકળી પડયા. તેમાંથી સર્જન થયું ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલાનું, લોકભારતી – સણોસરાનું, લોકવિદ્યાલય – વાળુકડનું, વિશ્વમંગલમ – અનેરાનું, ગાંધી વિદ્યાપીઠ – વેડછીનું, સરદાર કન્યા વિદ્યાલય-સ્વરાજ આશ્રમ-બારડોલીનું,  લોકશાળા – ખડસલીનું…અને ઉત્તર ગુજરાતમાં કેશુભાઈ ભાવસાર તો દક્ષિણ ગુજરાતમાં જુગતરામકાકાએ તો આહલેક જગાવી. આ અનેક સ્થાનકો એ સઘળાં ગાંધીની કલ્પનાના કેળવણીધામ ! ચારે તરફ વનરાજી, સાદા – સુઘડ મકાન, ખેલકૂદના વિશાળ મેદાનો, ગાયોની ઘંટડીનો મધુર અવાજ, કેસર કેરી – ચીકુ – નાળિયેર – લીંબુ અને અંજીર થી છલકતાં ખેતરો, કુમાર અને કન્યા માટે છાત્રાલયો, છોકરાઓ માટે ખેતી અને છોકરીઓ માટે ગૃહવિજ્ઞાન વિદ્યાના ઉદ્યોગોનું શિક્ષણ, પ્રાર્થના – વિદ્યાર્થીની આમ સભા – સફાઈ – શ્રમ અપરંપાર. ભણવું ન પડે, શીખવું ન પડે પણ જીવતાં જીવતાં શીખાતું જાય ! ગાંધી – કેળવણીનું હાર્દ એટલું જ કે : નાનામાં નાના બાળકને પણ લાગવું જોઈએ કે તે પણ કંઈક છે અને તે પણ કંઈક કરી શકે છે…! 

ગાંધીની કેળવણીમાં મસ્તકનું શિક્ષણ છે, હૈયાંની સમજણ છે અને હાથ પગની પ્રવૃત્તિઓ છે. અહીં હૈયું – મસ્તક – હાથના સરવાળાથી આખા  માણસનો સર્વાંગી વિકાસ થાય છે. મસ્તક અને હાથ નવરા પાડવા નથી એટલે શયતાનિયત જન્મ લેતી નથી અને હૈયું વેરઝેરનો હિસાબ માંડતું નથી એટલે ત્રાસવાદનો કોરડો વીંઝાતો નથી. ગાંધી કેળવણીમાં તો તરુણ ભરચક્ક જીવતો જાય અને કરતાં – કરતાં શીખતો જાય !  

      નઈ તાલીમનો અમૃતકાળ 

  1. રાષ્ટ્ર સ્વતંત્ર થાય તે પહેલાં ગાંધીજીએ નઈ તાલીમના બીજ ઠેર ઠેર રોપ્યાં અને ફલત: અનેક સ્થળોએ ગાંધી સમર્પિત કાર્યકરો ગામડે ગામડે લોકશાળાઓ કે બુનિયાદી  શાળાઓ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થાપીને પાયાનું કામ કરવું આ લાગ્યા. લોકશિક્ષણનું પાયાનું કામ શરુ થયું. ગાંધીએ જેમને છેવાડાનો માણસ કહેલો ત્યાં સુધી કેળવણીની પ્રયોગશાળાઓ કાર્યરત થઇ ગઈ અને તેનો સ્વીકાર થવા લાગ્યો કારણ એ લોકોપયોગી છે તેવું ખુદ લોકોને જ લાગવા લાગ્યું. શિક્ષણના એક પ્રવાહ તરીકે તેનો સ્વીકાર થવા લાગ્યો. 
  2. ૨૧મી સદીની દુનિયામાં વિકસિત તથા વિકાસશીલ દેશોની સરકારોએ પાયાના ક્યા ક્યા સિદ્ધાંતો, મૂલ્યો, દ્રષ્ટિકોણ અને વ્યવહારો પોતાના દેશની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં અપનાવવા જોઈએ તેનું મૂલ્યવાન માર્ગદર્શન શ્રી જેક્યુઝ ડેલોર્સની અધ્યક્ષતામાં વિશ્વના વિવિધ ક્ષેત્રના સમર્થ વિદ્વાનોના બનેલા ૧૫ સભ્યોના આયોગે યુનેસ્કોને આપેલ છે. અનેકવિધ વિદ્વાનો અને નિષ્ણાંતોના સંહિયારા શાણપણનો અર્ક નીચેના ચાર આધારસ્તંભોમાં સમાવિષ્ટ છે.

(1) Learning to Know – જાણવા-માહિતી-જ્ઞાન માટેનું શિક્ષણ

(૨) Learning to Do – પ્રવૃત્તિ દ્વારા સર્જન કરવા માટેનું શિક્ષણ

(૩) Learning to Live together – સમૂહજીવનનું શિક્ષણ

(૪) Learning to Be – કૌશલ – વિકાસ માટેનું શિક્ષણ

  1. યુનેસ્કોએ તૈયાર કરાવેલ આવતીકાલના ટકાઉ શિક્ષણ માટેના સૂચિતાર્થોને કોઈપણ સામાન્ય અભ્યાસ જો નઈ તાલીમના પાયાના તત્ત્વો-તંત્ર સાથે સરખાવશે તો ખ્યાલ આવશે કે એ નઈ તાલીમની નવી આવૃત્તિ સમાન છે! નઈ તાલીમ મનુષ્ય જાતિના અસ્તિત્વ સુધી કાયમ પ્રસ્તુત જ રહેવાની છે. કારણ કે નઈ તાલીમ એ શિક્ષણ જગતનું સત્ય છે.
  2. એક પ્રશ્ન થવો જોઈએ કે શિક્ષણનો અભ્યાક્રમ કેવો હોવો જોઈએ ? જો કે, આ પ્રશ્નનો બહુ ઊંડાણથી વિચાર તો છેક વેદકાળથી થતો આવ્યો છે. ચાર વેદ અને છ વેદાંગોમાં ઘણી બધી વિદ્યાનો સમાવેશ થઈ  જાય છે. શિક્ષણ વિષયક છ અંગો આ રહ્યાં : 

1) શારીરિક (શિક્ષણ)     2)  ઔદ્યોગિક (કલ્પ)      3) ભાષાકીય (વ્યાકરણ)               

 4) સામાજિક(નિરુક્ત)          5) કલાવિષયક (છંદસ )     6) વ્યાવહારિક (જ્યોતિષ) :

રસોઈ કરવાથી લઈને આધિભૌતિક વિજ્ઞાન સુધીની બાબતોનો અહીં સમાવેશ છે. 

        શિક્ષણનાં આ છ મુખ્ય અંગોમાં ઓછું-વત્તુ ખેડાણ આપણે ત્યાં પહેલેથી થતું આવ્યું છે.. નઈ તાલીમ એ આ છએ છ અંગોને સ્પર્શે છે, તેથી તેનો સાદર સ્વીકાર પુરા રાષ્ટ્ર દ્વારા થવો જોઈએ તેવું સૌ શાસકો કહ્યા વગર સ્વીકારે છે પણ તેઓ ગાંધીનું નામ એની સાથે જોડતાં ગભરાય છે !! તે ત્યાં સુધી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના હાર્દ રૂપ તત્ત્વોમાંથી એંસી ટકા તો નઈ તાલીમની કેળવણીના છે,  છતાં એ નીતિના દસ્તાવેજમાં ક્યાંય ગાંધીજીનું નામ નથી !! જો કે, આ વાત જ એ પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના અમૃત પર્વ ટાણે નઈ તાલીમને તો પંચ્યાશી વર્ષો થયા છતાં એમનુ નામ લીધા વિના એનો સ્વીકાર કરવો પડે છે તે જ તો તેનો વિશિષ્ટ-અમૃતકાળ  છે.

         મહાત્મા ગાંધીજીના શબ્દોમાં તેઓએ પ્રબોધેલી  કેળવણીની પદ્ધતિ વિષે તેઓના જ શબ્દો જાણીને વિરામ લઈએ:: 

         ‘મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફૂલાશે નહીં અને ઝાડું આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમકે, તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે.’

           “લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે.”

            “જુઓ, આ નઈ તાલીમનું કામ મારા જીવનનું છેલ્લું કામ છે. ભગવાને એને પૂરું કરવા દીધું તો હિંદુસ્તાનનો નકશો જ બદલાઈ જશે. આજની કેળવણી તો નકામી છે. જે છોકરાઓ શાળા-કોલેજોમાં શિક્ષણ મેળવે છે તેમને અક્ષરજ્ઞાન ઉપરાંત બીજું પણ કંઈક જોઈએ છે. એ અક્ષરજ્ઞાન આપણાં બીજાં અંગોને નકામાં બનાવી દે તો કહીશ કે, મારે તમારું જ્ઞાન નથી જોઈતું.. સારાંશ એ છે કે, હરેક પ્રકારના શરીરશ્રમ કરનારા જોઈએ અને એની સાથે સાથે સૌને માટે અક્ષરજ્ઞાન પણ જોઈએ. જે જ્ઞાન મુઠ્ઠીભર લોકોની પાસે જ હોય તે મારે કામનું નથી. હવે સવાલ એ છે કે, સૌને એ જ્ઞાન કેવી રીતે મળે ? એ વિચારમાંથી નઈ તાલીમનો જન્મ થયો છે. હું તો કહું છું કે, નઈ તાલીમ સાત વરસના બાળકથી નહીં, માના ગર્ભથી શરૂ થવી જોઈએ. એનું રહસ્ય તમે સમજી લો. મા પરિશ્રમ કરનારી હશે, વિચારવાન હશે, વ્યવસ્થિત હશે, સંયમી હશે તો બાળક પર એના સંસ્કાર માના ગર્ભમાંથી જ પડશે.”

 

આત્મજ્ઞાન એ જ તો આત્મબળ

આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી

જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ  માટે કે આપણા આત્મન  માટે જીવવાનું ચુકી

જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે

ઘણું ઊંડાણથી વિચારાયું છે. 

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર

હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી  શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો  હકીકતમાં એ જીતનારો છે અને એ  જૈન છે. 

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે.ઉપનિષદનું વાક્ય છે  एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને

જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી. ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે,  આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે,  જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના  પહેલા  ખંડમાંથી સંયમની,  બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ,  તો આ ચારનો સરવાળો  આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો  અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં,  જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે  જેમાં માણસ જ આવે એવું નહીં,  એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું  આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે. 

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે  પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,

તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ

જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |

આપણું  શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં

સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી

અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે  નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે  વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં  ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.

આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??

************************************************************************                       

દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી

થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં

પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’  જો નારદજીને પણ આવો 

જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો 

અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે. 

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત 

વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !

અનંત બ્રહ્મ છે એટલે એનું  અનંત બ્રહ્મજ્ઞાન છે.

સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?”  બીજો પ્રશ્ન છે,  “તે કોણ છે ?” 

જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે  જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’  એનો જવાબ એ  ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ?  એનો  જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’  કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’  ની યાત્રા જ્યાં મળે એ પળ  હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે  યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી,  તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી,  પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે. 

આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે  કે આ દેહ છે પણ  દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય  ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે  કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને  મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું  અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ  જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. 

રોજ જે કરીએ છીએ  એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું  અધ્યાત્મ છે.

બ્રહ્મને જાણવું હોય તો ??

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી  છે. 

આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું  ? કારણ તેમાં  હું નો  કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે,  ‘હું તમને પૈસા આપીશ.’  આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે  ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’  હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું.  એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ  જાણી શકું

એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’  એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.

એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના  નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં  હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે

બહાર ગયું  હતું  તો એક બળદ મળ્યો.’  બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં  અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે,  ‘કેવડું પેટ હતું ?’  કહે,  ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે,  ‘આવડું હતું ?’  તો કહે,  ‘ના… આનાથી મોટું હતું.’  વધુ ફુલાવ્યું અને કહે,  ‘આવડતું હતું ?’  તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’  અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,,  પણ પેલું બાળક

જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું….  આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું,  નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય. 

ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’  એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે,  એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું,  તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’  બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં  આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.

सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?

**********************************************************************************

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે,  શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે,  મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને  કીધું કે,  ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં,  તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’  હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી.  જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે  ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક  આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ  સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે,  ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે,  એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું.  બીજી  વખત પણ એણે કંઈક વાત કરી છે કે,  ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’  અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં  ફેરવી નાખીને એનું નાનું હાટડુ  માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા  અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ

બન્યો. એકવાર  ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું,  મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે,  આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી,  વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ 

આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ

આત્મજ્ઞાન છે.  આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ  નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને  સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા  નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે.  ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે,”આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” 

તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી?”

************************************************************************

 નચિકેતાએ ઋષિને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ” પિતાજી કહે હા… તો નચિકેતા કહે “તમે તમારા પુત્રનું દાન કોને કરશો?" પ્રશ્ન સાંભળી ઋષિ એકદમ સંકોચાઈ ગયા. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. ‘તમારા પુત્રનું દાન તમે કોને કરશો પિતાજી? બોલોને તમે કોને કરશો ?’  આ વાતથી ઋષિ ક્રોધિત થયા અને પિતાએ કહ્યું કે, ‘હું તને યમરાજને દાનમાં આપું છું.’ 

પિતાએ તો ક્રોધમાં વાત કરેલી. કોઈ પુત્રનું દાન યમરાજને થોડું આપે ? પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને ખુબ જ દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને એ પણ યમરાજાને ? પણ પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢી  અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતાને યમપુરીમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે ને લઇ જાય એને પ્રવેશ મળે. એને દરવાને રોક્યો કે,  ‘ભાઈ તારા મૃત્યુને વાર છે. તું મૃત્યુ પહેલા અહીં કેવી રીતે પહોંચી ગયો ? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે.’ પણ નચિકેતા ત્યાં જ

બેસી ગયા. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ન આવ્યા તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર બેસી રહ્યા. 

યમરાજા આવ્યા એણે જાણ્યું કે એક બાળક તપસ્યાથી પ્રસન્ન છે, એને તો  સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મુક્યા  વગર એ ત્યાં બેઠો છે. યમરાજાને સંકોચ થયો. તાત્કાલિક એની પાસે ગયા. એને થયું કે આની સાથે હું સમાધાન કરું એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે, ‘તું ત્રણ વરદાન માંગ પણ તું આ મૃત્યુવાળી વાત છોડ.’  

નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું. બીજુ અગ્નિ વિધીનું જ્ઞાન જોઈએ ત્રીજું વરદાન માગ્યું કે આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે જાણવા મળે એવી તમે કશીક વાત કરો. યમરાજ નચિકેતાના ત્રીજા વરદાનને ટાળવા માંગતા હતા. પહેલાં બે માં  તો કશો વાંધો નથી પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું.. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. ‘બોલ તને શું જોઈએ છે?  તને સંપત્તિ આપું.’ લોભની કોઈ અસર ન થઈ અને અડગ રહ્યા, ત્યારે યમરાજાએ   વિવશ થઈને તેના પ્રશ્નોના જવાબ આપવા જ પડ્યા.

એ પાંચ પ્રશ્નોના જવાબ આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.

(1) “શરીરથી કેવી રીતે બ્રહ્મજ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજાએ ઉત્તર આપ્યો કે,

મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર

નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને સમજી જાય છે તે દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે. તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.

(2) “આત્માનું સ્વરૂપ શું છે, શું શરીર મરી જાય પછી આત્મા પણ મરી જાય છે ?”  યમરાજે ઉત્તર આપ્યો કે, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ એ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું.

(3)’જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે?’ યમરાજ સુંદર જવાબ આપે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ થાય છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતું  તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.તેથી એણે વધુ વર્ષ અહીં કાપવા પડે છે.”

(4) “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય?” યમરાજે જણાવ્યું કે, ‘આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિયજ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.’

(5)”આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” યમરાજે જણાવ્યું કે, ‘ઓમ’ એ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. 

આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ  તે જૈનમુનિ કેમ કરી શકે છે  ?                        

************************************************************************

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે. શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે

શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

 ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં

કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત

સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી.

આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશુંકરવું પડતું નથી પણ થઇ જાય છે.

હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’

***************************************************************************     

ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે  જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા,  એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું.  જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે,  ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !!  એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક  મોટા ભવનમાં  લઇ આવ્યા.  ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો,  એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો,  આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને  એ તો રાજી થઈ ગયો કે, વાહ,  મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા  લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે  ફરીવાર ચાલવા લાગ્યો.. 

ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો,  ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ  ચડ્યો પણ ત્યાં એમણે  દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી,  જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.

સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે,  તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે,  શેનું ખોખું છે ? તો કહે,  અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ?  એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ  ટોલેએ એ માણસને કહ્યું કે,  ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ  કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.

*************************************************************************************

શાળામાં દિવ્યાંગ બાળકનો સાંવેગિક વિકાસ થાય છે

ભદ્રાયુ વછરાજાની                                                            bhadrayu2@gmail.com                                                          

“સર, મારું બાળક દિવ્યાંગ છે અને અમે બે જણા ઘરમાં છીએ એટલે કે અમારું ત્રણ જણાનું કુટુંબ છે. અમે બંને એટલી બધી સારસંભાળ લઈએ છીએ કે આ બાળકને અમે રેઢું મુકતા નથી. એક વ્યક્તિ તો એની સામે હાજર જ હોય. હવે બધા કહે છે કે એની છ વર્ષની ઉંમર થઈ ગઈ તો એને શાળામાં બેસાડવું જોઈએ. પણ અમને થોડો ડર લાગે છે. કોઈ એને ધક્કો મારી દેશે તો ? એ પડી જશે તો ? એમનું થોડુંક નબળું  વર્તન જોઈને કોઈ એને ચીડવશે તો ? તો એ ગભરાઈ જશે, મૂંઝાઈ જશે. “

“અમે ઘરમાં એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે મમ્મી તરીકે હું થોડો ઘણો કક્કો શીખવાડું પણ છું. અને ઘરમાં ચોવીસેય કલાક કોઈક તો એની પાસે હોય જ છે. એ ઉઠે બેસે એની અમે કાળજી લઈએ છીએ. એને કશું પણ જોઈએ કે તરત જ એની નજીકમાં કોઈક પહોંચી જઈએ છીએ. હવે આ સ્થિતિમાં એને શાળામાં મૂકવું અમને તો યોગ્ય લાગતું નથી. આઠ વર્ષ થયા છે હજુ બે ત્રણ વર્ષ પછી જરા સમજતું થઈ જાય પછી મૂકીએ તો વધુ સારું.”

મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દરમ્યાન કેટલાય દિવ્યાંગોને મળવાનું થાય છે. બે પ્રકારના વાલી મને મળે છે. 

(01) બાળકના વિકાસમાં શ્રદ્ધા રાખીને આગળ વધે છે. એને આશ્રમમાં અપાતી થેરાપીથી સંતોષ છે અને થેરાપીમાં આવવું જવું એ સૌ બાબતો સહર્ષ સ્વીકારેલી છે, એ વિષે એની કોઈ ફરિયાદ નથી. 

(02)  માતા પિતા એવા આવે છે કે જેના માટે હજુ પણ આ બાળક એક ચિંતાનો વિષય છે, ભારનો વિષય છે અને પરિણામે દિવ્યાંગ બાળકની વાત કરતા જ તેઓના ચહેરા ઉપર જુદા પ્રકારની લકીર ખેંચાઈ જાય છે. 

આ બંને પ્રકારના વાલીઓ એક બાબતમાં સરખા છે અને તે બાબત એ કે છ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ, દસ વર્ષ થઈ જાય તો પણ અમારા સંતાનને અમારે શાળામાં મૂકવું નથી. સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ગળે ઉતરે તેવી તેઓની દલીલ હોય છે. એમની કોઈ બાબત એવી નથી કે જે આપણને ખોટી લાગે. પરંતુ જાણવાનો અને સમજવાનો વિષય એ છે કે અમુક ઉંમર સુધી આપણે આપણા દિવ્યાંગ બાળકના અછોવાના કરીએ, એને હથેળીમાં ઉછેરીએ, એને જોઈએ તે સરસ મજાનું વાતાવરણ આપીએ, બધી જ વસ્તુઓ આપીએ, એને હસતું  રમતું  રાખીએ આ બધું હોવા છતાં આપણા ઘરના  ત્રણ કે ચાર જણા વચ્ચેનો એનો ઉછેર એ closed environment માં થયેલો ઉછેર છે. એટલે કે બદ્ધ વાતાવરણ, એક સંકુચિત વર્તુળની અંદર આપણું બાળક ઉછરે છે. એ બાળક અન્ય લોકો સાથે સંપર્કમાં આવે ત્યારે એને જે સાંવેગિક પ્રકારના પ્રતિચારો મળે છે એ આપણે એને ઘરમાં આપી શકતા નથી. ગમે તેમ તો આપણે મા બાપ છીએ એટલે આપણે એને કક્કો શીખવીએ કે A B C D  શીખવીએ ત્યારે એ આપણી પાસે બહુ લાડ કરીને શીખે છે એવી પણ ફરિયાદ આ મા બાપ કરે છે કે, જુઓ એને કરવું હોય તો જ કરે છે. હમણાં જ એકદમ હાઇપર એક્ટિવ બાળકના મા બાપને મળવાનું થયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે હું જે પ્રશ્ન પૂછું તે પ્રશ્નને તેઓ બાળક જવાબ આપે તે પહેલા અંગ્રેજી કરી નાખે. ઉદાહરણ તરીકે,  મેં પૂછ્યું, ‘શું નામ છે તારુ દોસ્ત ?’ ત્યાં એના પપ્પા બોલ્યા, what is your name beta ? પછી મેં પૂછ્યું,  બેટા તારો જન્મ ક્યારે  થયો છે ?’’ તો તરત જ પપ્પા બોલ્યા કે what is your birth date ? હું જે બોલું તેનું અંગ્રેજી કરી આપે. થોડીવાર તો મને એમ થયું કે આ બાળક અંગ્રેજી જ સમજે છે, ગુજરાતી સમજતું નથી એટલે એના પિતાશ્રી હું બોલું તેનું અંગ્રેજી કરી આપે છે. હકીકત એ ન હતી. બાળક ગુજરાતી જ બોલતું હતું, મુક્તપણે બોલતું હતું, આનંદથી બોલતું હતું અને ખુલીને અભિવ્યક્ત થતું હતું. પણ માતાશ્રી ગુજરાત બહારના પ્રાંતના હતા અને પિતાશ્રી આપણા ગુજરાતના હતા એટલે એ બંને વચ્ચે એવા પ્રકારની ટસલ હતી કે બાળક અંગ્રેજીમાં ભણવું જોઈએ અને એ સ્વીકારીને પિતાએ એવું નક્કી કર્યું કે એને અંગ્રેજી હું શીખવીશ.  હવે એનું પરિણામ મારી સામે મેં જોયું. માતા પિતાને એ ખ્યાલ નથી કે આમ કોઈપણ પ્રશ્નને અંગ્રેજી કરી આપો એટલે એ બાળક અંગ્રેજી જ સમજે એ આપણો  ભ્રમ છે. એ તો માતૃભાષાના  જ શબ્દો સમજે. આ એની ઉંમર છે કે જયારે એને માના  દૂધની ભાષા ઝડપથી પોતાની લાગે છે. આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘરની અંદર માતા પિતા તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ કેટલાક પ્રકારના સાંવેગિક મોકાઓ જે શાળાના વાતાવરણમાંથી મળે છે તે આપણે આપી શકતા નથી. બધાને ભય છે કે એને કોઈ ધક્કો મારશે અને પડી જશે તો ? એને કોઈ મશ્કરી કરશે તો ? સમજાવવાનો પ્રયત્ન હંમેશા એવો કરું છું કે એ પણ થવા દો. સહજતાથી થવા દો. તમે એની ચિંતા ન કરો. શાળા સાથે સ્પષ્ટ વાત કરીને એને ધીમે ધીમે કરતા શાળા તરફ વાળો. ભલે ત્રણ ચાર વર્ષનો હોય ત્યારે શરૂઆતમાં ૧ થી ૨ કલાક જાય, નાસ્તો કરવાના સમયે જાય. પ્રાર્થના કરવાના સમયે જાય, એવી વાત શાળા સાથે કરી લ્યો. પણ આ બાળકને ૧૨ – ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી સ્કૂલે મોકલવું જ નથી એવી માનસિકતા અત્યારે જે આપણાંમાં પ્રવર્તે છે તે આપણા જ બાળકના વિકાસનો વિરોધી છે.

આપણા ડો. નિવૃત્તિ મેડમ સરસ વાત કરે છે કે, “સ્કૂલિંગ માટે એટલા માટે કહેવાનું કે ફિઝીકલી ચેલેન્જ બચ્ચાઓ હોય તો એને મેન્ટલી બરાબર હોય અથવા તો બોર્ડર લાઈન આઈક્યૂ ડીલે હોય તો એવા બચ્ચા નોર્મલ સ્કૂલમાં જઈ શકે. ઘણી વાર પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે પહેલા ચાલતા બેસતા શીખે પછી એને સ્કૂલિંગ શરૂ કરીએ. એ લોકો એટલું મહત્વ એના સ્કૂલિંગને નથી આપતા જેટલું મહત્વ ફિઝિકલ પરફોર્મન્સ ને આપે છે. લર્નિંગ ડિસેબિલિટી અને મેન્ટલી ડીલે બચ્ચામાં એ પ્રોબ્લેમ થાય છે કે જો બોર્ડરલાઇન ડીલે હોય તો એ લોકોને નોર્મલ સ્કૂલમાં જાય તો વધારે સારું. કેમ કે નોર્મલ બચ્ચાની વચ્ચે રહેશે તો એના જેવા બનવાની ટ્રાય કરશે, એ કરતા હોય એવું કોપી કરવાની ટ્રાય કરશે પણ મોડરેટ ટુ સિવિયર કક્ષાના બાળકો હોય તો એને સ્પેશિયલ સ્કૂલમાં જવું જોઈએ એટલે પેરેન્ટ્સને ઘણીવાર અમે કહીએ છીએ પણ બચ્ચા નોર્મલ  સ્કૂલનો જ આગ્રહ રાખે છે. એના સ્કૂલવાળા પણ હાયપર એક્ટિવિટી અને એ બધા બિહેવિયરને ધ્યાનમાં રાખીને એને એડમિશન નથી આપતા હોતા. ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે અમે સ્કૂલમાં નથી મોકલતા પણ ટ્યુશનમાં મોકલીએ છીએ. ટ્યુશન એક કે બે કલાક માટે હોય, સ્કૂલ ને  ટ્યુશન રિપ્લેસ કરી શકે ? સ્કૂલમાં એને કેવો માહોલ મળે, એની ઉંમરના છોકરા હોય એની સાથે હળે ભળે, એ શું કરે છે એ જુએ, લંચમાં એની સાથે ફ્રેન્ડશીપ કરે તો એવું બધું ટ્યુશનમાં એને ન મળી શકે. “ 

બાળક જો ખરેખર શાળામાં જશે તો એને નવું વાતાવરણ મળશે. જે એણે ઘરમાં જોયું નથી તો એને ઘણા બધા લોકોના ચહેરા જોવા મળશે. એની સામે કેટલાય લોકો વર્તન વ્યવહારો કરતા એ જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે વર્તન વ્યવહાર કરવાના બીજા અનેક રસ્તા છે. આપણો  જે ભય છે કે એને કોઈ ધક્કો મારશે તો ? બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ધક્કો મારે તો મારવા દ્યો. એને થોડા દુઃખના એવા ધક્કાઓ વાગવા દ્યો. એને એમની રીતે ઉભા થવાનો એક ચાન્સ આપો. એમને ધક્કો મારનારો ધક્કો મારશે ત્યારે જ એને જોવા મળશે કે બીજા લોકો એ પડી ગયો હશે તો એને પકડીને ઉભો કરવા માટે પણ દોડી આવશે. આ અન્યનું દોડીને આપણને મદદ કરવું એ સાંવેગિક વિકાસ માટે થઈને એક બહુ જોરદાર ઇનપુટ છે. આપણું બાળક વિચારશે મમ્મી પપ્પા જ મદદ કરે એવું નથી મારા દોસ્તાર પણ મને મદદ કરે છે. એમાંથી એ ભાવ પણ જન્મશે કે કોઈ પડી જાય તો હું પણ દોડી જઈને એને ઉભો કરવામાં મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી એની મશ્કરી કરશે તો કરવા દો એની ચિંતા ન કરો. ઘણી વખત આપણા બાળકો ઘરની અંદર એકદમ હુલાવી ફુલાવીને રાખેલું વાતાવરણ હોય એનાથી અંદરથી મોનોટોનસ પ્રક્રિયાને કારણે તંગ આવી ગયા હોય છે. એ વ્યક્ત નથી કરતા પણ કોઈ મશ્કરી કરે તો આપણે મશ્કરી જીલી શકાય, એને હળવાશથી લઇ શકાય, સાથેના બધા મિત્રો હસે, હસે તો સૌને આનંદ થાય એ બધું જોઈને પણ આ બાળકને આનંદમય વાતાવરણ સર્જવા માટે વ્યંગ્ય કેવું કામ કરે છે એનો ખ્યાલ આવશે. અને ત્રીજી વાત આ બાળકને જો એના પગ ઉપર ઉભા રહેવા દેવું હોય, જો એના પોતાના કામને પોતે કરે એવું કરવા દેવું હોય તો પણ એ શાળામાં જાય તે જરૂરી છે. એટલા માટે કે એમણે પોતે પોતાની પ્રક્રિયામાં હકીકતમાં પોતે જ સ્વબળે, આત્મબળે કામ કરવું પડશે એવી વાત એના મનમાં બંધાશે. એ અન્ય વિદ્યાર્થીઓને પોતાનું કામ જુદી જુદી રીતે કરતા જોશે ત્યારે એમને પણ વિચાર આવશે કે બીજા  કરે છે તો હું પણ કરી શકીશ. 

શાળાએ મોકલવાથી બાળકમાં ધીમે ધીમે આત્મબળ એટલે કે હું કરી શકીશ, મને થયું તો વાંધો નથી,.. એ પ્રકારનું એક બળ ઉત્પન્ન થશે અને અધ્યાત્મવાદ પણ સ્વીકારે છે કે કોઈ પણ માણસની  પ્રગતિ માટે મુખ્ય પરિબળ હોય તો  આત્મબળ છે. આમ શાળાએ મોકલવું એ શિક્ષણ પદ્ધતિનો પણ ભાગ છે. આપણને ખ્યાલ હશે કે પહેલાના વખતમાં આ પ્રકારના બાળકો માટે જુદી  શાળાઓ બનાવવામાં આવતી હતી. પણ એવું નક્કી કરવામાં આવ્યું કે એને તાલીમ આપવા માટે આવી જુદી વ્યવસ્થા હોય શકે પણ એને ભણાવવા માટે તો inclusive education ની પોલિસી ભારતે અપનાવી છે. બીજા દેશો એમાં સફળ થયા એ જોઈને ભારતે આ કામ કર્યું છે, તેનો લાભ આપણે લેવા જેવો છે. inclusive education નો અર્થ જ એ છે કે અનેક પ્રકારના, અનેક વિશિષ્ટતાઓ અથવા અનેક નબળાઈઓ ધરાવતા બાળકો સાથે બેસીને ભણે. એટલે પેલા દિવ્યાંગ બાળકોને એમ ન લાગે કે અમે સમાજથી જુદા છીએ. અમે આમાં ભળી શકીએ નહીં, અમે આ લોકો જેવા થઈ શકીએ નહીં. એ ક્યારે શક્ય બને ? જયારે તેઓ ભેગા બેસીને પ્રાર્થના કરે, ભેગા બેસીને નાસ્તો કરે, ભેગા રહીને રમત રમે, ભેગા રહીને તાળી પાડીને આનંદ વ્યક્ત કરે, કોઈને કશું વાગ્યું કે એવું થયું તો સૌ દુઃખ અનુભવે આ બધા  જ અનુભવ એને શાળા આપે છે અને એટલા માટે આપણે આપણા બાળકને એની ઉંમરે શાળામાં મોકલવું જ જોઈએ.

હા, એક વાત જરૂર કહેવાનું પસંદ કરું કે શાળાએ મોકલીએ એનો અર્થ એવો નથી રાખવાનો કે હોશિયાર થઈ જવો જોઈએ. એ કડકડાટ  બધું બોલતો થઈ જવો જોઈએ, એ લખતો થઈ જવો જોઈએ. એમની પ્રગતિ ધીમી જ રહેવાની છે અને ધીમી ગતિએ પ્રગતિ કરશે તો પછીથી એની પ્રગતિ વધુ સારી થઈ  શકશે. માટે  કંપેરીઝન કરવાની જરૂર નથી, એવું  માતા પિતા તરીકે આપણે ખાસ યાદ રાખીએ. ‘મારું બાળક શાળાએ જાય છે માટે હવે એણે આટલા ટકા લઈ આવવા જોઈએ’ અથવા ‘એના શિક્ષક આ તો એને કઈ શીખવતા નથી’, ‘હજુ એને આવડવું જોઈએ એટલું તો એને આવડતું નથી તો ક્યારે આગળ વધશે ? તો શાળાએ મોકલવાનો શું ફાયદો ?’ આવા કોઈ પ્રશ્નો કે વ્હેમ આપણે ઉભા કરવાની જરૂર નથી. આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ એ  માટે થઈને જ આપણને દિવ્યાંગ બાળક આપ્યું છે.  ઈશ્વરે કહ્યું છે કે,  આ બાળકને ઉછેરી શકો એવા તમે જ એક મા બાપ છો. હવે આ વાત જો સાચી હોય અને સાચી માનતા હોઈએ તો આપણે ઈશ્વરમાં ભરોસો રાખવો પડે. એમણે મોકલ્યું છે એટલે એમના વિકાસનો નકશો એમણે દોરી લીધો છે આપણા આવા સંતાનનું ટાઈમ ટેબલ ઉપરથી બનાવીને એ સાથે લઈને આવ્યું છે. ફર્ક એટલો છે કે એ સમયપત્રક શું છે એની આપણને ખબર પડતી નથી અને એ ખબર ન પડે એનું એક મુખ્ય કારણ એ છે કે તો જ વિકસવાનો એક ચાર્મ છે, ઉત્સાહ છે. આવતીકાલે શું થવાનું છે તે આજે તો ખબર પડી જાય તો આવતીકાલનું મહત્વ ન રહે. દરેક દિવ્યાંગ સંતાનના માતા પિતાને નમ્ર વિનંતી કરવાની ઈચ્છા થાય છે કે અમુક ઉંમરે તમારા સંતાનને શાળાએ મોકલવું જ જોઈએ અને શાળાએ મોકલ્યા પછી એમના સાંવેગિક વિકાસ તરફ ધ્યાન દેવું જોઈએ. એનો સમય આવશે ત્યારે એ બીજા બાળકો કરતા પણ આગળ નીકળે એવું એ શીખશે. પણ એ કેમ આગળ નથી નીકળતું એ ચિંતા કરીને વારંવાર બોલીને બાળક ઉપર ટેંશન નાખવાની જરૂર નથી. ખાસ જ આ વાત ગળે ઉતારવા જેવી છે. શાળાની પસંદગીમાં મુશ્કેલી પડે છે એવી કોઈ વાત કરે છે તો એ વાત સાથે સંમત થવાય છે પણ હવે કેટલીયે શાળાઓ એવી છે જે આ પ્રકારના બાળકોને આદરભેર પોતાને ત્યાં દાખલ કરે છે અને ત્યાં સાચવે છે. આપણે પોતાનું સંતાન ઘરમાં ઉછરે તેની બદલે એક મોટા વાતાવરણમાં જાય, અનેક વિદ્યાર્થીઓને મળે અને આનંદ મોજ મસ્તી કરે એવું તો ઇચ્છીએ જ છીએ ને ?

વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની

હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ કે જેને બીજા લોકો નકામો કહી શકે એવો એક કેવળ  ‘ દ્રષ્ટા’  બનીને જીવતો રહું, એવી પ્રાર્થના છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

ક્યારેક લાગે છે કે કાળચક્ર ચાલતું રહે છે તે ઘણું સારું છે, તો ક્યારેક લાગે છે કે આ કાળચક્ર ઉભું રહી જતું હોય તો કદાચ વધુ સારું રહે. આપણા સ્મરણોની સંદૂક ખુલવાની હોય ત્યારે કાળચક્ર થંભી જવું જોઈએ. અને આપણા સ્મરણોની સંદુકને વિસરી જવાની હોય ત્યારે કાળચક્ર ચાલવા લાગવું જોઈએ. જો કે સ્મરણોની સંદૂક ખોલવી એ એક તરફથી ગમતીલી વાત છે અને એક નજરે જોઈએ તો દુખતી રગ દબાવવાની વાત છે. બધું જ કૈં  શ્રેષ્ઠ સંગ્રહાયું છે એવું બન્યું નથી,  કારણ કે જીવનમાં બધું જ શ્રેષ્ઠ ક્યારેય બનતું જ નથી. થોડું સારું છે તો થોડું નરસું છે. થોડું મીઠું છે તો થોડું કડવું છે. તેમ છતાં સ્મરણ એ સ્મરણ છે અને એ સ્મરણની પ્રક્રિયા જયારે માનસપટલ ઉપરથી રિવાઇન્ડ થઈને પસાર થતી હોય ત્યારે એમાં ડૂબકી મારવાની કે  ડૂબી જવાની મજા હોય છે.

કોઈએ પૂછ્યું  કે ચાલો, એવા સમયમાં જઈએ… મન  મૂંઝાયુ કે કેવો સમય ?  ગઝલના શબ્દો ગુંઝવા લાગ્યા :  મગર મુજકો લૌટા દો બચપન  કા સાવનવો  કાગજ કી કશ્તી વો  બારીશ કા પાની. આપણે આપણું બાળપણ પાછું મળે એવું ઇચ્છતા હોઈએ છીએ. કારણ કે જેટલું જીવ્યા તેમાં ભાર વગરનું, દંભ વગરનું, ગોઠવ્યા વગરનું જીવ્યા હોઈએ એવો એ એક જ તબક્કો છે. જીવનની કશ્તીને ધીમે ધીમે આગળ ધપાવવાની છે અને એમ કરતા કરતા આપણે આપણા સ્મરણોની સંદુકને નિહાળવાની છે.  

ગમી જાય એવો સમય એટલે તો ગઈકાલ. ગઈકાલ ગમે છે કારણ કે આજે  એ ગઈકાલ રહી નથી. વીત્યું તે વીતી ગયું છે એટલે વ્હાલું લાગે છે. જયારે તે વીતતું હોય છે ત્યારે તે કઠિન લાગતું હોય છે. વીતી ગયેલું વ્હાલું લાગે કારણ કે આપણને જે વીતી જાય છે એનું જ મૂલ્ય કરવાની ટેવ હોય છે. આપણા હાથમાં  વર્તમાન હોય  ત્યારે તેને આદર આપીને સંગોપવાનું આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને વર્તમાન જયારે ભૂતકાળ બની જાય ત્યારે એના ગુણગાન ગાવા અને આરતી ઉતારવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાની નાની વાતોનો જે આનંદ લૂંટવાની મજા હતી એવી કોઈપણ અવસ્થા હોય એ બચપણ હોય, કિશોરાવસ્થા હોય કે  યુવનાવસ્થા હોય એ સ્મરણીય હતી, છે અને રહેશે. બહુ મોટું પ્રાપ્ત કરવામાં આપણે ઘણો બધો પરિશ્રમ કરતા હોઈએ છીએ. પણ નાનું નાનું પ્રાપ્ત  કરવામાં જે લખલૂટ આનંદ મળે છે એ આનંદ આપણા એ સમયગાળાને ચિરંજીવ બનાવે છે. 

(1) નાનું અને દેશી નળિયાંવાળું મકાન હતું જેમાં  અમે ૫ + ૨ એમ ૭ લોકો જીવી રહ્યા હતા. વરસાદ આવે ત્યારે મા બાપ  ઘરમાં ચુવાક  થશે તેની ચિંતામાં રહેતા,  પણ એ સમયે અમે સૌ ટબુડીયા ચુવાકના ટીપાને ઝીલવા રાખેલા વાસણના પેલા ટીપાઓથી થનાર તડ..તડ..તડ…તડ… નું સંગીત માણવા  આતુર રહેતા હતા. ત્યારે મા બાપની ચિંતા એ અમારો આનંદ હતો. આશ્ચર્ય થાય છે આજે કે એ ચિંતા ત્યારે અમને કેમ ન હતી ! પણ પેલા પિત્તળના વાસણોમાં ઉપરથી પડતા ટીપાઓના તડ તડ સંગીતને માણવામાં આનંદ મળતો હતો એટલો ભાગ ગમે છે…. 

(2) યાદ છે બરાબર કે ગાદલા, ગોદડાં અને ઓઢવાનું ગોઠવીને ઘરના એક ખૂણામાં  ડામચિયો બનાવવામાં આવતો. આ ડામચિયો એટલે ગાદલા, ગોદડાં, ઓઢવાનું અને ઓશીકાને થપ્પા બનાવીને ગોઠવીને રાખવાની એક વ્યવસ્થા. અને એ ગોઠવ્યા પછી એની ઉપર એવી રીતે કશુંક ઓઢાડવામાં આવે કે ત્યાં નાનકડો પટારો પડ્યો છે એવું સૌને લાગે. મા ખુબ મહેનત કરીને આ ડામચિયો સવારે ગોઠવતી અને રાત પડે એ ડામચિયાને વીંખીને અમારા સૌની પથારી કરતી. પણ મમ્મી આ ડામચિયો સવારે ગોઠવી લે પછી બિન્દાસ્ત  દૂરથી દોડતા દોડતા આવીને એ ડામચિયા ઉપર ભુસ્કો મારીને ચડી જવાનો આનંદ આજે પણ યાદ છે. આપણને આવી રીતે દોડીને આવતા અને બિન્દાસ્ત ભુસ્કો મારતા જોઈને મા બાપનો જીવ તાળવે ચોંટી જતો અને એ આપણને ખખડાવી નાખતા, ક્યારેક ધોલ ધપાટ પણ કરી લેતા ત્યારે આપણને મનમાં એમ થતું કે આવું કેમ કરે છે ? પણ ફરી એકવાર એ જ વાત હતી કે આપણો જે આનંદ હતો,  એ માતા પિતાની ચિંતા હતી. ત્યારની મસ્તી, મસ્તી હતી કારણ કે એ એ બહુ સસ્તી હતી, પણ આજની મસ્તી એ હવે મસ્તી રહી નથી કારણ કે એ ધસતી ધસતી આવે છે અને ખુબ મોટો ખાડો જીવનમાં પાડીને  જાય છે. 

(3) એક સમય એવો યાદ છે કે જયારે રાજકીય પક્ષો ચૂંટણી સમયે જાહેરસભાઓ યોજતા.  એ જાહેરસભામાં આવવા માટે શેરીએ શેરીએ ઘોડાગાડી ફરતી. ઘોડાગાડીમાં પાછળ એક હુષ્ટપુષ્ટ માણસ બેઠો હોય એની બાજુમાં ચોપાનિયાઓનો ઢગલો હોય, હાથમાં એક માઈક હોય. અને માઈકનું એક ભૂંગળું લાઉડસ્પીકર ઘોડાગાડીના બહારના ભાગમાં લટકતું હોય અને એ માણસ એક વિશિષ્ટ અદાથી જાહેરસભાની જાહેરાત કરતો હોય. એ માણસ વારંવાર બોલતો ‘ જંગી જાહેરસભા, જંગી જાહેરસભા.’   (ત્યારે પ્રશ્ન નહોતો થતો કે હજુ જાહેરસભા થઇ નથી ત્યાં ‘જંગી’  વિશેષણ કેમ લગાડી દીધું, ભાઈ ?) એ કોઈ ઘર પાસે ઉભો રહે અને આજુબાજુના છોકરાઓ ટોળે વળે. છોકરાઓને એ ચોપાનિયાંઓ આપે. એમાં  એક હું પણ હતો. ત્યારે ખબર નહોતી કે એ ચોપનીયા શાના છે અને આપણને  શું કામ આવશે ?  આપણા માટે ઉપયોગી છે કે નથી ?  એવું પણ સૂઝતું ન હતું ત્યારે..   પણ ચોપાનિયા આપે છે, બધા લે છે, અને મારે પણ જોઈએ છે,, એટલો જ એક નાનકડો ભાવ હતો. મને યાદ છે કે ચોપાનિયુ પહેલું મારા હાથમાં આવી જતું તો હું જાણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને બહાર આવ્યો હોઉં એટલા આનંદથી ઉછળી ઉઠતો. પછી વળી મનમાં થતું કે,  મારી નાની બહેન તો અત્યારે નથી આવી એટલે  એના માટે ચોપાનિયુ માંગું,  એટલે ફરી એક વાર ધક્કા મુક્કી કરીને એ ઘોડાગાડી પાસે ઉભેલા છોકરાઓની વચ્ચે ઘૂસતો, ત્યાં  ઘોડાગાડી ચાલતી થઇ જતી. અને એ ચાલતી ઘોડાગાડીમાં પાછળ લટકીને, દોડીને કરગરતો હું કહેતો,  ‘ એ ભાઈ… એક વધુ ચોપાનિયુ આપોને મારી બહેન માટે જોઈએ છે., એ ભાઈ …’  ત્યારે કોઈ મૂલ્ય નહોતું એ ચોપાનિયાનું,  આજે પણ નથી,  પણ ‘ મૂલ્ય નથી’  એ ત્યારે ખબર નહોતી એટલા માટે ન કરવા જેવી વસ્તુનું પણ મૂલ્ય કરીને આનંદ લૂંટતા. . પણ બેન માટે એક ચોપાનિયુ મેળવવામાં જયારે સફળ થતો અને અમારા બંનેની પાસે એક એક ચોપાનિયુ આવી ગયું છે એવો જયારે રાજીપો થતો ત્યારે મારી છાતી ફૂલી સમાતી ન હતી. આજે વિચારું છું તો એમ લાગે છે કે શું ત્યારનો એ સમય એવો હતો કે એમાં પાછું જવું જોઈએ. હું સાચો હતો કે હું ખોટો હતો ? ત્યારે કદાચ સાચો હતો તો આજે શું વિચારું છું. મારી આજ કેવી છે ? 

આજે એ સમયમાં પાછા જવાની ઈચ્છા ખરી કે ??  વિચારવાની ઈચ્છા થાય છે કે જ્યાં દંભ ન હોય, જ્યાં કોઈ પ્રકારનો દેખાડો ન હોય, જ્યાં સમજ ન હોય, જ્યાં આપણે ભોટ હોઈએ, જ્યાં આપણે ભોળા હોઈએ એવો જે જે સમય હોય તે ફરીવાર જીવી જવાની ઈચ્છા છે. ત્યાં સુધી કહું કે સમજ જરાપણ ન હોય અને માત્ર ને માત્ર  આપણે ઓબ્ઝર્વર હોઈએ એવો સમય મને પાછો જોઈએ છે.  અષ્ઠાવક્ર ગીતા વાંચી છે,  અને એના ઉપર ભાષ્યને સાંભળું છું ત્યારે એક વાક્ય વારંવાર બોલાય કે,  દ્રષ્ટા બની રહો… દ્રષ્ટા બની રહો. તમારે દ્રશ્ય કે દર્શક બનવાનું નથી. દ્રષ્ટા બની રહેવાનું છે. હું પ્રાર્થના કરું કે મેં વર્ણવ્યો તેવો સમય મને ફરી એકવાર મળી જાય અને એમાં હું કોઈ જાતની  સમજ વગરનો ભોળો, ભોટ જેને બીજા લોકો નકામો કહી શકે એવો કેવળ  દ્રષ્ટા બનીને જીવતો રહું,  એની મને પ્રતીક્ષા રહેશે. 

જયને દ્રષ્ટા ભાવથી જોઉં તો.. (Jay Vasavada)

જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય, તેવી શુભેચ્છાઓ.

ભદ્રાયુ વછરાજાની                         bhadrayu2@gmail.com  

કહેવાય છે કે જેને બહુ નજીકથી ઓળખતા હોઈએ,  જે તમારા આત્મીય હોય,   જે તમારા દિલથી ખુબ નજીક હોય એના વિષે લેખ ન લખવો. કારણ એમાં પક્ષપાત થઈ જવાનો ભય રહે છે. એ લેખ કદાચ એકતરફી લખાય જાય એવું પણ બને,  કારણ કે હૃદયના  એક ખૂણામાં જે વ્યક્તિત્વ બેઠું હોય તેના વિષે આખું હૃદય એક તરફ તમારી કલમને દોરી જાય એવું બને . પણ આજે જરા ધર્મ સંકટ જેવું બન્યું છે.  જયના મામીનો આગ્રહ છે કે જય વિષે તમારે એક લેખ  આપવાનો છે કારણ બહુ સબળ છે. જય ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે કે વન પ્રવેશ તરફ જય આગળ વધે છે. કારણ અને કહેનાર એ બંને એટલા સબળ છે કે ‘ના’ પડી શકાય તેમ નથી અને એટલે હું અષ્ટાવક્રના આદેશ મુજબ દ્રષ્ટા ભાવથી જય વિશેના  ઉમળકાને વહેતો મુકું છું.

ગોંડલ રહેતો એક નાનકડો છોકરો એની મમ્મીની આંગળી પકડીને ઘણીવાર વક્તૃત્વ સ્પર્ધામાં મળતો. અને વક્તૃત્વ સ્પર્ધામાં ઠાવકાઈથી રજુઆત કર્યા પછી એમના મમ્મી નજીક આવીને પૂછતાં કે,  તમને ઘરે ક્યારેક તકલીફ આપું ? હું પૂછતો કે,  શેના માટે ? તો એ કહે કે,  તમે જયની સ્પર્ધાઓના નિર્ણાયક હો છો તો તમે જયને બરાબર ગાઈડ કરો,  કેમ બોલવું જોઈએ, કેમ હાવભાવ કરવા જોઈએ તો એ ભવિષ્યમાં બરાબર આગળ વધે. પછી તો આ પૃચ્છા નિકટના  સંબંધમાં પલટાઈ ગઈ. અને જય પોતાના વિષય અંગેની, વિષય અંગેના પોતાના મુદ્દાઓની ચર્ચા કરવા માટે અથવા પોતે જે વિચારી રાખ્યું હોય એ ટાંકીને મળે અને એની રજુઆત કેમ કરવી એના વિષે ખુબ વાતો થાય. એ નાનકડા જયથી લઈને પચાસ વર્ષના જય સુધીની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમના જીવનના બનતા બનાવોનો પણ હું સાક્ષી રહ્યો છું. પ્રેમમંદિરના અમે  ચારેય પુજારીઓ,  એમના ગોંડલના ઘરના તો વારંવારના મુલાકાતીઓ રહ્યા છીએ. ક્યારેક કેરી ખાવાના બહાને પહોંચ્યા છીએ તો ક્યારેક લલિતભાઈને મળવું છે એમ કરીને પણ જય સાથે વાતો થાય એવા ઉદ્દેશથી અમે ઈરોટિકામાં પહોંચી જતા હતા. જૂનાગઢ તરફથી નીકળો તો વચ્ચે ગોંડલ આવે એના કરતાં  વચમાં જય વસાવડાનું ઘર આવે એ એક મહત્વનું  સીમાચિહ્ન અમારા માટે હતું .

અમારી આત્મીય દોસ્તી જયના આખા કુટુંબ સાથે.. આમ જો મને પૂછો તો જયનું બાળપણ અને જયની યુવાની એ લગભગ માતામાં સીમિત થયાં એટલે કે પહેલાં મમ્મીનો સંગાથ અને પછી મમ્મીનો ખાલીપો !! અને મમ્મીની વિદાય પછીના વર્ષો એ પિતાકેન્દ્રી બન્યો. એમાં પણ ઘણો વખત તો એ સ્વૈરવિહારી રહ્યો. એટલે બહાર બહાર બહાર ફરતો રહ્યો પરંતુ માતાના ગયા પછીનો ખાલીપો પિતાએ પૂર્યો.  જો કે,  પિતાની સાથોસાથ મામીએ જયને જે રીતે હથેળીમાં જાળવીને સાચવી લીધો તે ઋણાનુબંધનું જ્વલંત ઉદાહરણ છે.   જયને શું ગમે છે ? જયના મિત્રોને શું ગમે છે ? જયને શું ભાવશે ?  શું કરીએ તો જયને ગમશે આવી અનેક પ્રકારની ચિંતાઓ ભાવનામામીએ કરી. અને પરિણામે ‘મા’ નહીં તો ‘મામી’ એમ જય બરાબર સચવાઈ ગયો. આ ‘સચવાઈ’ શબ્દ હું જાણી જોઈને પ્રયોજું છું, કારણ ઘરમાં કોઈ નારી જ ન હોય તો ઘર ભાગ્યે જ ઘર રહે. જયને મમ્મી પછી એક પીઢ છતાં હસમુખી, સમજુ છતાં શાણી અને બાપ દીકરા બંનેની આત્મીય કાળજી લેનાર મામી મળી એને હું તો  હરિ કૃપા જ ગણું છું.

પિતાશ્રીનો સ્વભાવ અમારા જેવો એટલે કે નાગરજન  જેવો. અલગારી અને લેશમાત્ર  ચિંતા નહીં, વળી  નફકરા ઘણા. અને નિજાનંદમાં  જીવનારા. ટીખળમાં ઘણું કહેનારા પણ લાગણીઓ દર્શાવવામાં કરકસર કરે તેવા. એટલે જયને પિતાશ્રીનો પરિચય સાચા અર્થમાં ઘણો મોડો થયો.  જો કે, જય માટે મમ્મીનાં ગયા પછી  ખુબ ભમીને ઘરે પાછા આવવાનું કારણ હોય તો  તે લલિતભાઈ. પિતા થોડા થોડા બીમાર પડવા લાગ્યા ત્યારથી એને ખ્યાલ આવ્યો કે મમ્મી પછી મારા પિતા પણ મારા જીવનનો એક અદમ્ય હિસ્સો છે. અને ત્યારથી જય પિતાકેન્દ્રી વધુમાં  વધુ બન્યો એવું મારું આકલન છે.

બન્યું એવું કે શરૂઆતમાં મમ્મી  એ જયને સાચવી લીધો અને પિતાશ્રીના છેલ્લા દિવસોમાં પિતાએ જયને એટલો બધો સમય સેવા કરવાની તક આપી કે જેથી  જયનો ખાલી ખૂણો ભરાવા લાગ્યો. આમાં પણ કાળી  રાત્રે કશી જરૂર રહી જાય તો મામા મામી અને તેમનું કુટુંબ એમની સાથે હતા. જયનું ઘર ક્યારેય એકલું પડ્યું  નથી. એના મમ્મી ગયા, કેન્સર જેવી બીમારીમાં ગયા,  તો પપ્પાને માટે  મામી મામા હતા પરિણામે જય ઈરોટિકામાંથી રાજકોટમાં ફ્લેટમાં શિફ્ટ થયો ત્યારે પણ એનું શિફટિંગ બહુ સહજતાથી થયું.

જય સમગ્ર વિશ્વ ઘુમનારો, સ્વૈરવિહાર કરનારો અને ઈચ્છે તેમ રખડનારો એવો જુવાન છે. એમને વક્તવ્ય આપતા તો નાનપણથી મેં જોયો છે. એટલે એમનો વિકાસ કેવી રીતે થયો એના વિષે ઝાઝું  મારે ઉમેરવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે નાનપણમાં એના મમ્મીએ આજની મમ્મીઓ જેમ કુરકુરેના પેકેટ હાથમાં મૂકે છે તેને બદલે નાની નાની ચોપડીઓ એના હાથમાં મૂકી અને પરિણામે મા એ વાંચનનો જબરો શોખ જયને લગાડ્યો. પિતા પણ  અધ્યાપક એટલે ઘરમાં પણ વાત અધ્યાપનની થાય, વાંચનની થાય એટલે વાંચન રસ એટલો બધો પ્રબળ થયો કે જય નાનો હતો ત્યારે લગભ એક બે લાઈબ્રેરી જેટલા પુસ્તકો વાંચીને પોતાના મગજને પેક કરીને બેસી ગયો. મોટો થયા પછી પોતાની રીતે ફિલ્મો જોવાનો શોખીન બન્યો. ફિલ્મો જોવાનો શોખીન એટલે એક સાથે બે બે ફિલ્મ જોઈ નાખે. કે ફિલ્મ PVR માં જ જોવા માટે રાજકોટથી અમદાવાદ સુધી દોડી જાય..અરે ક્યારેક તો મુંબઈના PVR માં જ ફિલ્મ જોવી છે તેવું વેણ ઉપાડે તો મુંબઈ સુધી વિમાનમાં ઉડે!! જાત મહેનત તથા ઈશ્વર કૃપાથી જયને એ બધી વરણાગી પોષાય પણ ખરી. વળી ઘણીવાર  મનગમતું પિક્ચર જોવા માટે ફ્લાઇટ એવી રીતે બુક કરાવે કે જેથી કરીને પિક્ચર પૂરું કરીને ફ્લાઈટમાં કાર્યક્રમનાં સ્થળે જતું રહેવાય. આવા અનેક ગતકડાંઓ કરીને એ દેશ વિદેશની ફિલ્મો જુએ છે  અને એ ફિલ્મોના ઊંડાણથી વિશ્લેષણો કરે છે. ધીમે ધીમે છેલ્લા પાંચ દસ વર્ષમાં જય ‘આપવાદી’ પણ બહુ બન્યો. આપવાદી એટલે એ પોતાના અભ્યાસ  અને પોતાના શોખને લીધે confident બન્યો કે જેથી ઓસ્કાર વિષે જયારે આગાહીઓ કરે કે ચૂંટણીના પરિણામો વિષે આગાહીઓ કરે ત્યારે છાતી  ઠોકીને ફેસબુકના લોકોને પડકાર ફેંકે કે,  ‘બોલો,  સીધો ક્યાંય ભાગ ન લેતો હોવા છતાં મારી આગાહી કેટલી પરફેક્ટ હતી !!’

આમ તમે જુઓ તો જીવન યવહારમાં જય એટલો ફ્યૂચરોલોજિસ્ટ રહ્યો નહીં. મને એવું લાગ્યું છે કે જયના  મમ્મી વહેલા જતા રહ્યા ને એટલે  એમને એક સારી એવી કન્યા કોઈ શોધી આપી ન શક્યું. મમ્મીને જય ના ન  હોટ !! જો કે, એમના મમ્મીને હું  ઓળખું છું એટલે એ પણ ઉમેરું કે એમના મમ્મીએ પણ  જયની ઈચ્છાને જ ટેકો આપ્યો હોત  !!  દૂરથી જોતાં જયે ક્યારેય એવું લાગવા દીધું નથી કે  એ ઘરનો ઠરીને ઠામ નથી થયો.  જયને  એનો અફસોસ છે કે નહીં એ બહુ ખબર પડવા દે એવો જય નથી.  એ ચાલાક છે પણ એ પોતે એકલો પડતો હશે  ત્યારે એને એ ખાલીપો ચોક્કસ સાલતો હશે.  આ મારો ખ્યાલ છે. ન સાલતો હોય તો બહુ આનંદનો વિષય છે.

જય વિશેની બીજી ઘણી વાતો થઇ શકે.  શુભેચ્છા તો એ પાઠવીશ કે હવે જય વનપ્રવેશ કરવાનો છે. બે પ્રકારની લતા હોય છે. એક વનલતા અને એક ઉપવનલતા. વનલતા જેમ ફાવે તેમ ઉગી શકે. કોઈનો ટેકો છોડી દઈ શકે, કોઈને ટેકે  ચડી જઈ શકે. નિજ લીલાની ખુમારીથી જે લતા આગળ વધે એને વનલતા કહેવાય એમ જય ખરેખર પહેલાં ૫૦ વર્ષ  વનલતા તરીકે જીવ્યો છે.  પણ જયારે જય વનપ્રવેશ કરી રહ્યો છે ત્યારે હકીકતમાં તેનો  ઉપવન પ્રવેશ થઇ રહ્યો છે. અને એટલે એ વનલતાને બદલે ઉપવનલતા તરીકે વધુને વધુ સઁવર્ધિતરૂપે, સુવ્યવસ્થિતરૂપે તેના લખલૂટ ચાહકો સમક્ષ આવે તેવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે.

જય અસ્ખલિત બોલી શકે છે, જય વિસ્તૃતમાં વિસ્તૃત લખી શકે છે, જય સોશિયલ મીડિયા ઉપર પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે, જય મોડે સુધી જાગી શકે છે અને મોડે સુધી સુઈ પણ શકે છે, અરે, જય સોશ્યલ મીડિયા ઉપર કોઈ ડફોળ સાથે થાક્યા વગર ઝગડી શકે છે, જય રાતભર પ્રવાસ કરી શકે છે, જય પોતાના મનમાં બેસી ગયેલ વ્યક્તિઓને ફાટફાટ પ્રેમ કરી શકે છે, જય સંતો મહંતોને ઝૂકીને પ્રણામ કરી આદર આપી શકે છે, જય રાજકારણીઓને પણ પોતાના ઘરે આવવા  મજબુર કરી શકે છે, જય ધારે તે શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવી જાણે છે  અને જય જે ઈચ્છે તે કરી જ શકે છે. એ રંગોનો શોખીન છે, એ ખાવાનો શોખીન છે,  એ ભાતભાતની જગ્યાએ ફરવાનો શોખીન છે, એ વાતો કરવાનો અનહદ શોખીન છે, એ લોકોને પ્રેમ કરવાનો અનહદ શોખીન છે. એના આ બધા જ શોખ પુરા થાય એવી હું  જરૂર પ્રાર્થના કરું  પણ સાથે સાથે એવી પણ પ્રાર્થના કરું કે જયની જાત પ્રત્યેની પોતાની સજગતા વધે અને તે વધુને વધુ ઉમદા રીતે પોતાનામાં ઊંડો ઉતરતો જાય. વિષ્ણુની વ્યાપકતા અને માધવનું પ્રેમ માધુર્ય જય  પોતાની પાસેથી જ પ્રાપ્ત કરે એવી દિલની  શુભેચ્છાઓ છે.  ભાવનામામીને વિનંતી કરું કે મામી,  તમે જયને સાથે રાખજો. જય વગર તમને નહીં ફાવે,  એમ તમારા વગર જયને પણ નહીં ફાવે…

Jay Vasavada 

બાળક તો સમજણનો સાગર

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

એક વખત વીરબલને રાજસભામાં આવતા મોડું થઈ ગયું. બાદશાહે પૂછ્યું : ‘અલ્યા, કેમ મોડો આવ્યો ?’ તો કહે : ‘જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.’

‘લે શેમાં શી મોટી ધાડ મારવાની હતી ? ખાવાનું  આપી દીધું હોત તો વાત પતી જાત.’

‘ના માલિક, એટલું સહેલું કામ એ નથી.’

બાદશાહ હઠે ચડયા. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ ? છેવટે  નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાસટ… અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું : “એં એં…” 

બાદશાહે પ્રેમથી પૂછ્યું, “કેમ બેટા, કેમ રડે છે ? શું જોઈએ તારે ?’

‘ખાવું છે!’

‘ઓહો, એમાં શી મોટી વાત? શું ખાવું છે ?’

‘શેરડી !’

‘અલ્યા, શેરડી લઈ આવો !’

શેરડી આવી.  નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી પણ પણ દીકરો તો પાછો વળી ‘ એં એં એં’  કરવા લાગ્યો. ‘અલ્યા, હવે તારે શું જોઈએ ?’ ‘ના, બાપુ, તમે શેરડી કાપી દ્યો. તમે જ.’

‘લે બાપા, હું કાપી આપું…’ બાપાએ પોતે શેરડી કાપી આપી…પણ છોકરાએ તો શેરડીનો કર્યો ઘા ! ‘કેમ બેટા, હવે શું જોઈએ ?’

‘મારે તો ઘોડા પર બેસવું છે !’

ઘોડો મંગાવ્યો. પણ ‘ એં એં એં’  તો ચાલુ જ… ‘હવે તારે શું બાકી રહ્યું છે, દીકરા ?’

‘માલા માટે   તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસીને શેરડી ખાવી છે…’ 

બાદશાહ ઘોડો થયાં અને બીરબલ તેનાં પર બેઠા. તેને કાપેલી શેરડી હાથમાં આપી, ત્યાં પાછું ‘ એં એં એં…’  

બાદશાહ કહે : ‘અલ્યા, હવે શું છે તારે ?’ 

‘બાપા ભાંગેલી શેરલી આખી કરી દ્યો તો ખાઉં…’ 

બાપા બનેલા બાદશાહ બરાડી ઉઠયા : ‘હઠ  હરામખોર !’

અને શરતમાં બીરબલ જીતી ગયો એ કહેવાની જરૂર છે ? આ ભ્રમણા કેવળ બાદશાહને નહિ, આપણને સૌને છે કે છોકરાં એટલે ગણતરીમાં નહિ લેવાની બાબત. બાળક સંભાળવું એટલે બાળકને કેળવવું. બાળક સાથે બાળક થવાની મઝા બધાના ભાગ્યમાં  નથી હોતા !!

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. મારાં ઘરની સામે નંદિશ રહે છે. સાત- આઠ વર્ષનો છે. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. બંન્ને જીવંત બાળકો છે. ગમા – અણગમા – ચંચળતા – ગુસ્સો બધું જ છે એનામાં. હોય જ ને, બંન્ને બાળક છે ! નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા સમજુ હતી ઉંમરે. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મૂડ બતાડવા લાગ્યો છે એટલે શું તે હું વિચારું ત્યાં જ કથિકાએ ચોખવટ કરી. ‘તમને સમજાવું અંકલ, અર્ધી કલાક એક જગ્યાએ થઇ નથી કે નંદિશ ભેંકડો જોડયો નથી !’ મેં જરા માસ્તરગીરી કરી અને પ્રશ્ન પૂછ્યો કે, ‘ એવું તે કંઈ હોય ? હજુ તો નંદિશ છ મહિનાનો છે એને બળી મુડ બુડ થોડું હોય ?’  તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. અમારા ઘરમાં હું તો નંદિશને જોઉં છું ને ! બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પાછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ? સમજથી સંવેદના ઘડાય અને સંવેદનામાંથી ચેતના પ્રગટે…!

કુટુંબ કેન્દ્ર છે સમાજનું. મા – બાપ – મિત્રો – પાડોશી – ભાઈ – બહેન બધાં તો પરિધ પર ફરે છે. કુટુંબનું કેન્દ્ર છે બાળક. આ બાળકની સમજને ઓછી આંકવાની ભૂલ કરવા જેવું નથી. કુટુંબો તૂટતાં જાય છે તેથી બાળકની સમજ ખરડાતી જાય છે. સેજલ સાડા ચાર વર્ષની છે. તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. શિક્ષક દંપતીએ  આંતરજ્ઞાનીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે. ભાઈ – ભાભીએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. વાત અહીંયા મોટાને સમજાવવાની છે, પણ પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે છે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. મારી મમ્મીને નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો સાગર આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ હવે આઠ વર્ષનો છે. વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો હતો બધાં બાળકો સાથે. એમાં પ્રતીક – ઋતુ – ડોલી – ભૂમિ – કેદાર – કથિકા – નંદિશ સૌ ખરાં. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં હતા… પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ ત્યાં એનાં ટીચરે કહ્યું કે : બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું.. બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો છે ! સૂનમૂન થઈ ગયો છે. ઘરમાં અતડો થઈ ગયો છે. શેરીમાં રમવાનું બંધ કરી દીધું છે. ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!

‘એ માણસ એવો કેમ છે ?’ 

‘અરે, આ ડાહી લગતી  સ્ત્રી આમ વિચિત્ર કેમ વર્તે છે ?’ 

‘સજી ધજીને ફરનારી વ્યક્તિને નાની – મોટી વસ્તુઓ તફડાવી લેવાની ક્યાંથી ટેવ પડી ?’ 

‘બહારથી લઘરો દેખાતો જણ કામ કરવામાં પરફેક્ટ કેવી રીતે હોઈ શકે ??’ 

આ પ્રશ્નાર્થો વ્યાજબી છે, પણ તેનાં મૂળમાં જાઓ તો ખ્યાલ આવે કે આ બધાં જ પ્રશ્નોના મૂળિયાં વ્યક્તિના બાળપણમાં જઈને નીકળે છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ધૂરંધરો બરાડી બરાડીને કહે છે કે : તમારા સંતાનનાં પહેલાં સાત વર્ષનો ઉછેર જો તમે જાળવી લીધો તો પછી ગંગા ન્હાયા ! તમે તમારા બાળકની ફીકર છોડી દો. ટેવના, સંસ્કારનાં, વર્તનના બીજ આ સાત વર્ષોમાં રોપાય જ જાય છે, બસ પછી તો તેનું નર્ચરિંગ થયા કરે છે… માણસની  સારપ કે માણસની ખરાબીનો નકશો તો બાળપણમાં જ દોરાય જાય છે, પછીનાં જીવનમાં તો એ નકશા મુજબની ઈમારત બંધાય છે. આખું વિશ્વ જેના ચિંતનને કાનધરી સાંભળે છે તે આચાર્ય રજનીશ (ઓશો) કહે છે : ‘જીવનમાં સાત સાત વર્ષના વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે ? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે,  શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણના વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા  વિના પસાર થાય છે.’ આ શબ્દો કહેનાર રજનીશની ખુદની ઉછેરની વાતો જાણવા જેવી છે. જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ નવ વર્ષ સુધી અભણ હતો !! તેને અક્ષરજ્ઞાન ન હતું, ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા – દેવા ન હતી. ગામ જ એવું કે એમાં શાળા – રેલવે સ્ટેશન – બસ સ્ટેન્ડ – હોસ્પિટલ – પોસ્ટ ઓફિસ એવું કશું જ નહીં. કૂચવાડા ગામ માટે કહેવું અઘરું કે ત્યાં જીવન પણ છે ?!  ન છાપું આવે કે ન કોઈ શિક્ષક. આવાં વાતાવરણમાં જે બાળક ઉછર્યું તે એકાંતપ્રિય થયું પણ તેની આંગળી પકડીને input આપ્યા સહજતાથી તેની નાનીમાએ. રજનીશના પ્રથમ સાત વર્ષ નાના નાનીના ઘરે પસાર થયાં અને ખાસ કરીને નાની સાથે કૂચવાડામાં. આ સાત વર્ષોમાં જે રોપાયું, તે ઉગ્યું અને વટવૃક્ષ થઈ ગયું. એક એવું જીવન કે જે  રહસ્ય અને રોમાન્ચથી ભરેલું, આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરેલું અને આજના સંદર્ભમાં આપણાં માટે નવો જ દ્રષ્ટિકોણ પરિભાષિત કરતું જીવન…

બાળપણમાં બોલાયેલો એકાદો શબ્દ કે નાનપણમાં જીવાયેલી એકાદી પળ સમગ્ર જીવન ઘડતરનું ફાઉન્ડેશન ભરે છે, એ વાત મા – બાપ – શિક્ષકે ભૂલવા જેવી નથી… આજના યુવાનો અને વૃદ્ધો જેમને એક સરખી ચાહતથી વાંચે છે અને સાંભળે છે તે યુવા – આઈકોન જય વસાવડા પોતાના ભાષણમાં પંચતંત્રથી લઈને પાબ્લો નેરુદા સુધીની વાર્તાઓ – અવતરણો  – હકીકતો અસખલ્લીત વર્ણવે છે તેનો શ્રેય જાય છે જયનાં માતુશ્રીને. એમણે જયને સ્કૂલ ન ધકેલી દઈ ઘરમાં ઢગલાબંધ પુસ્તકો વચ્ચે મૂકી દીધો ! આજના જય વસાવડાનું વિચાર વિશ્વ તો પહેલાં સાત વર્ષમાં તરબતર થઈ ચકયું હતું, આપણી સમક્ષ તે હવે જે વ્યક્ત કરે છે તે બાળઉછેરનું ભાથું છે… આપણાં સંતાનનાં પહેલાં સાત વર્ષ સહજતાથી આપણે સંગોપી લઈશું તો આપણને સીત્તેર પછી કશી અડચણ એ સંતાન ભવિષ્યમાં ઊભી નહીં કરે, તેની ખાતરી.

હવે વિજ્ઞાનની અંતિમ શોધોએ પુરવાર કર્યું છે કે Child by choice, not by chance. બળદેવતા પસંદગીથી અવતરે, અકસ્માતે નહીં ! શારીરિક જરૂરિયાત માટે નહીં, સામાજિક પ્રતિષ્ઠા ખાતર નહીં, જાતીય આનંદ માટે નહીં, સ્થાવર – જંગમમાં વારસદાર માટે નહીં,… સાંવેગિક અને આત્મીય પરમાનંદ માટે; હવેનાં બંનેના જીવનને એક યુ-ટર્ન આપવા માટે; પોતપોતાનાં બાળપણમાં ફરી પાછી લટાર મારવા માટે; એક કૂણા જીવ સાથે આપણાં જીવ ગૂંથી જીવનને અલગ રીતે ધબકતું કરવા માટે એક બાળકને ‘ આમંત્રણ – સપ્રેમ – સ્વાગતમ – સાદર નિમંત્રણ – રેડ કાર્પેટ વેલકમ’  કહેવાની ક્ષણ તે માતા પિતા બની જવાની મંગલ ઘટના છે. બનાવો  બને છે, ઘટના તો પરમની ઈચ્છાથી ઘટે છે ! શાંતિનું વાવેતર કરવા માટે બાળક ઉછેરવાની એક ઓર મઝા છે અને એ મઝા લૂંટી શકે તે ધન્ય છે.

નાનાભાઈ ભટ્ટ કહેતા : ‘ નાનાં બાળકો તે દેવની પ્રસાદી છે.’  ટાગોર કહે : ‘ બાળક એ તો ઈશ્વરના હસ્તાક્ષર છે. હજુ ભગવાનની શ્રદ્ધા આપણામાંથી ડગી નથી તેની સાબિતી રૂપે તે પોતાનાં અંશને આપણાં ખોળામાં મૂકે છે !’  બાળઉછેર એ બહુ મોટી જવાબદારી તો છે જ, પણ આપણાં જીવનની વિડીયો  રિવાઈન્ડ કરવાની આપણને મળેલી ઉત્તમ તક છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. ઉતાવળને ત્યાં જરાય અવકાશ નથી. નવ મહિના ઘોર અંધારામાં રહેલું બાળક માના ગર્ભાશયમાંથી આ પૃથ્વી પર આવે ત્યારે ઓરડામાં ફ્લડ લાઈટ હોય તો ન ચાલે. ધીમા મંદ પ્રકાશમાં જ સુવાવડ થાય તે જોવું જોઈએ. બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં લઈ આવવાનું છે. આ પ્રકિયા બધી જ ઈન્દ્રિયો માટે લાગુ પડે છે. દર્શકદાદા કહે છે કે : બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. સ્પર્શનાં સાધનો કે રમકડાં પહેલાં રેશમ – મખમલના ધરવા અને છેલ્લે ખરબચડાનો સ્પર્શ કરાવવો અને તે પણ  જરૂર પડે તો જ. અનુભવ જેવો  કોઈ ગુરુ નથી. અનુભવે બાળકને થશે કે જગતમાં સજીવ નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકાં, કીડીને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. હું અને કૂતરું બંન્ને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જગાડવાની છે.. મા બાપ કે શિક્ષક તરીકે એ સંવેદના જગાડી શકીશું તો જ જગતમાં શાંતિ પ્રસ્થાપિત થશે.

 

શિક્ષણ અને કેળવણી

જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ  એક નથી.  બહુ ફર્ક  છે,  શિક્ષણ અને કેળવણીમાં.  

ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે : 

ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ 

ચોથું નથી માંગવું, બહુ  દઈ દીધું નાથ. 

કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે.  તેટલું  ઘણું છે. હવે કંઈ  વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે  ‘આ કેવી રીતે શક્ય છે ?’  જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો.. 

શિક્ષણ એટલે  જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને   કેળવણી એટલે  જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ.  બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે  હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ. 

અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે  જે ભણાવવામાં આવે  તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ  રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી.  મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને  લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં  જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને  હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું,  તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. 

કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય.  પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું.  મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો  હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે.  હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી  ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’  એમણે  જવાબ આપ્યો :  ‘ પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’  મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’  મેં કીધું, ‘ આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’  તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’  મેં કહ્યું કે,  ‘તો  આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’  તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં  હું તમને એક જગ્યાએ લઇ જઈશ’  અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે,  મારે શું જોઈએ છે ?  ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક  નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું  : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ..   તો કહે,  તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ  લીધી, તેની કિંમત  ચૂકવી દીધી  અને મને કહે, ચાલો આપણું કામ પૂરું.  આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે  લઈ  જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો  વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી.  હવે સમજાયું કે કેમ કોઈ કશું  કરવા ઘરે ન આવે. 

હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ  કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં  મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત  એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે,  અહીં સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે.  અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે.  છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ  સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે  પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.  

તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી  કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ  નથી,  કેળવણી  શબ્દ જ વાપર્યો છે. તો Education  એ શિક્ષણ છે,  પણ Training  એ ખરેખર કેળવણી છે.  કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી  શકીએ  જો  કરવાનું શીખ્યા હોઈએ ..

હવેના મા બાપે પણ સમજવું પડશે  કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે  અને કહે કે,  આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં  વિનોબાજીએ કહ્યું છે કે,  ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના  બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’   આ કેળવણી છે. હું મારું  કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે

સાફ કરવાનું.. મારા  કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.

શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે:  જ્ઞાનાત્મક, ભાવાત્મક અને  ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain)   જ્ઞાનાત્મક એટલે મસ્તક,  અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ  – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે:  તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’ 

કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં  તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’.  એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું,  ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું  એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે.  એના બદલે હું એક કપડું  મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી  હું  રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું  કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ  ને ? પણ એ માટે આપણે જ  કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી. 

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની, પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.                                                                                          મોબ. 9898920333

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ભદ્રાયુ વછરાજાની 

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

===========================================================

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

ઈન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હોય શકે ખરી ?

બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી જગતે અહીં, કરશે રાજ આત્મા જગતમાં નિરંતર.” ….. ગાંધીગીતા

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ઉમાશંકર જોશીનું એક સુંદર મજાનું ગીત છે:

અમે ગીત ગગનના ગાશું રે

અમે ગીત મગનમાં ગાશું કલકલ કૂજલ સુણી પૂછશો 

તમે: અરે છે શું ?.. રે અમે ગીત ગગનના ગાશું.

એ ગીતની પહેલી પંક્તિ  આજના લેખના શીર્ષકને સમજવામાં મદદ કરે છે.

સૂર્યચંદ્રના દિયો હોલવી, ઠારો નવલખ તારા

હથેળી આડી રાખી રોકો વરસંતી જલધારા

અમે સૂરસરિતમાં ન્હાશું..  રે અમે ગીત ગગનના ગાશું

સૂરની સરિતામાં ન્હાવા માટે પ્રયાસ કરતો પામર જીવ એવી મોટી મહેચ્છા લઈને બેઠો છે કે જેમાં એમણે  સૂર્ય ચંદ્રને હોલવી નાખવાનું પસંદ કર્યું છે અને નવલખ તારાને એકબાજુ હડસેલી દેવાનું કહ્યું છે. તો સતત વરસતી વરસાદની જલધારાને હથેળી આડી રાખીને રોકી લેવાના મનોરથ પણ એણે કર્યા છે કારણ કે એને સૂર સરિતમાં નહાવું છે અને ગીત ગગનમાં ગાવું છે.

પૂર્વ ભૂમિકામાં આવી સાહિત્યિક વાત કરવાનું  કારણ એ છે કે આપણે જે વિષય તરફ જઈ રહ્યા છીએ તે વિષય છેલ્લા થોડા મહિનાઓથી ભારતમાં અને ઘણા વર્ષોથી વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. લોકોને એક પ્રકારની આશંકા જાગી છે કે, શું થશે ? કુદરતી અથવા પ્રકૃતિ વિલીન થશે અને કૃત્રિમતા છવાઈ જશે ? લોકોને પ્રશ્ન છે કે, આપણે વિચારતા બંધ થઈ જશું અને આપણાં વતી મશીનો વિચારશે ? આપણે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ શું સીમિત થઇ જશે ? આપણે જેને ઇન્ટેલિજન્સ કહીએ છીએ એ તો મૌલિક હોય, વાસ્તવિક હોય, પ્રાકૃતિક હોય એ કૃત્રિમ કેવી રીતે હોય ? બુદ્ધિ એટલે શું અને પ્રજ્ઞા એટલે શું ? બુદ્ધિને કદાચ એવો વિચાર આવે કે ચાલો આપણે સૂર્યચંદ્રને હોલવી નાખીએ, પણ પ્રજ્ઞા તો તાત્કાલિક વચ્ચે આવીને કહી શકે કે, ‘રહેવા દેજે માનવ, આ કામ ન કરીશ, એ તારું નથી, તું ભલે ઈચ્છે કે વરસંતી જલધારાને હથેળી આડી રાખીને તું રોકી લે,  પણ ના દોસ્ત એ શક્ય નથી, એ બધું જ નિશ્ચિત છે, નિયતકાલીન છે, પ્રાકૃતિક છે, કુદરતી છે, મૌલિક છે. જે તે કાળચક્રના સમયે બનતી ઘટનાઓ છે. એને તું ઈચ્છે ત્યારે આ ધરતી ઉપર જન્મ નહીં આપી શકે. તું માનવ છો, તને જે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કર તો કશો વાંધો નથી. પણ બુદ્ધિની મદદથી પ્રજ્ઞાના સીમાડાઓ પાર કરવાનો તું પ્રયાસ ન કર. કારણકે એ બધું તારા મનોરથના વ્યાસની બહાર છે.!’

પહેલો પ્રશ્ન તો આપણી સામે એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એવું જે ઉચ્ચારણ થાય છે ત્યારે બે વિરોધાભાસી શબ્દોને એકસાથે બેસાડી દીધા હોય એવું આપણને નથી લાગતું? એક બાજુ કુદરત માટેની સમજ છે, તો બીજી બાજુ કૃત્રિમતા  માટેની દુરિત દૃષ્ટિ છે. એ બંનેને એક સાથે કેમ મૂકી શકો  ? કૃત્રિમ વાત હોય એને ઇન્ટેલિજન્સ સાથે બેસાડવી,, આર્ટિફિશિયલ બનાવટી શબ્દને પ્રજ્ઞા સાથે જોવી,, એ મનમાં ઉતરે તેવી વાત નથી.

આપણે ઇન્ટેલિજન્સનું ગુજરાતી ‘બુદ્ધિમત્તા’ કરીએ છીએ. હકીકતમાં તો એ Artificial Brain હોય તો હાલ આપણે જે કૃત્રિમ બુદ્ધિ કરીએ છીએ તે સાચું ગણાય. પણ આપણે તો Artificial સાથે Intelligence શબ્દ મૂકીએ છીએ,, અને એ જ સાચું ગણીએ તો તેનું ગુજરાતી કૃત્રિમ પ્રજ્ઞા એવું થાય.  જો Intelligence શબ્દ વાપરવો હોય તો સાથે Artificial આવી શકે. પ્રજ્ઞા ક્યારેય કૃત્રિમ હોઈ શકે.  હા, બુદ્ધિ સાથે આર્ટિફિશિયલ આવી  શકે.  બસ, એની ચર્ચા આજે આપણે કરવી છે અને એ કહેવું છે કે ઇન્ટેલિજન્સ ક્યારેય આર્ટિફિશિયલ હોય શકે.

આપણે જરા વિગતે એ વાતને જાણીએ. બુદ્ધિ અને પ્રજ્ઞામાં તાત્વિક ભેદ છે. બુદ્ધિ અને બુદ્ધિમત્તા એ શબ્દ પણ એકબીજાથી અલગ પડે છે. સમજશક્તિ બુદ્ધિમાન હોવું, ડહાપણ, હોશિયારી, કુશળતા, જ્ઞાન આ બધા બુદ્ધિમત્તાના અર્થ છે. જયારે બુદ્ધિ પોતે એક વિશિષ્ટ શબ્દ છે. અહીંયા બુદ્ધિનો એક અર્થ ઈચ્છા, વૃત્તિ, મત, અભિપ્રાય કે વિચાર એવો પણ થાય  છે. આમ જોઈએ તો બુદ્ધિને એ ચોવીસ માંહેનો બારમો ગુણ છે. ગુણ ચોવીસ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. આ ન્યાય ચોવીસ માંહેનો બારમો ગુણ એ હકીકતમાં બુદ્ધિ છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ ઇન્દ્રિયોની  સહાયથી વિષયોના સમૂહને જીતી લાવે છે. બુદ્ધિ વિષે એક અર્થ એવો પણ કરવામાં આવ્યો કે, વસ્તુને જાણવાની ચિત્તની સમજશક્તિ; જ્ઞાનશક્તિ; મતિ. આ બુદ્ધિ અંતઃકરણની ચાર માંહેની બીજી વૃત્તિ મનાય છે. અને તેના નિત્ય અને અનિત્ય એવા બે ભેદ છે. એમાંથી નિત્ય બુદ્ધિ પરમાત્માની અને અનિત્ય બુદ્ધિ જીવની એવું માનવામાં આવ્યું છે. પશ્ચિમના વિદ્વાનો  અંત:કરણના બધા વ્યાપારોનું સ્થાન મસ્તકને માને છે. તેથી એના મત પ્રમાણે બુદ્ધિનું સ્થાન પણ મસ્તક છે. આપણને ખ્યાલ છે આ એક પ્રાકૃતિક શક્તિ છે. બુદ્ધિ બે પ્રકારની છે. અનુભવ અને સ્મૃતિ. કેળવાયેલા માણસ પાસે એવું બળ છે કે જે વડે એ પોતાનું ધારેલું કાર્ય પાર પાડી શકે. એટલે કે બુદ્ધિ એક પ્રકારની વિદ્યા છે અથવા તો આ વિદ્યાનું હુન્નર જે જાણે છે તે બુદ્ધિ છે. પણ એનો એક અર્થ સાવધપણું અથવા સાવધાની એવો પણ રાખવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની હોશિયારી છે,  કુશળતા છે એટલે આપણે  ‘બુદ્ધિમત્તા’ કહીએ છીએ.

‘સ્વ’ એટલે ‘આત્મન એટલે ‘self’. ‘સ્વ’ બે રીતે અભિવ્યક્ત થાય : બાહ્ય સ્વ outer self અને અંત: સ્વ inner self. બાહ્ય સ્વમાં આવે શરીર એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું પ્રત્યાયન.  અંત: સ્વ માં આવે મન/બુદ્ધિ  અને પ્રજ્ઞા. body , mind and intellect એટલે આપણો  સ્વ (self). પ્રજ્ઞા બુદ્ધિ સૌ પાસે ઢંકાયેલી છે પરંતુ પ્રજ્ઞાનો ઉપયોગ એ એક વિશિષ્ટ બુદ્ધિતત્વનો ઉપયોગ છે એટલે AI માં intelligence શબ્દ ખોટો મુકાયો છે, એવું મારુ કહેવાનું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ કહીએ છીએ ત્યારે તો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે પ્રજ્ઞા માટે ‘ગાંધી ગીતા’ સુંદર મજાની વ્યાખ્યા આપતું  એક પદ મૂકે છે. શુભને ના અભિનંદે, ના દ્વેષે જે અશુભને, જે સર્વત્ર સ્નેહસૂનો, તેહની પ્રજ્ઞા સુસ્થિર. અહીં સ્નેહસૂનો એટલે શું ? આસક્તિ નથી કોઈ સાથેની, શુભ સાથેની કે અશુભ સાથેની. અશુભ પ્રત્યે એને કોઈ દ્વેષ નથી અને શુભ પ્રત્યે વિશેષ લગાવ નથી એમની પ્રજ્ઞા સુસ્થિર  છે, એમ માનવું જોઈએ.

આપણે જેને intelact એટલે કે જેને પ્રજ્ઞા કહીએ છીએ એ એકાગ્રતાનો એક બહુ મોટો પ્રર્યાય છે. એકાગ્રતા હોય તો જ તમે કોઈ પણ પ્રજ્ઞામય કાર્ય કરી શકો. એકાગ્રનો અર્થ અહીંયા સમજી લઈએ. એક અગ્ર ઉપર ધ્યાન કેન્દ્ર કરવું એને એકાગ્રતા કહેવાય છે. કેટલાક લોકો પ્રજ્ઞાનો અર્થ ત્રિકાલિક જ્ઞાન પણ કહે છે. એમ તો માણસની દશ માંહેની પાંચમી દશા એ પ્રજ્ઞા છે. એકતાલીસ થી પચાસ વર્ષ સુધીની માણસની સમજણવાળી અવસ્થાને પ્રજ્ઞા કહેવામાં આવે છે. એક અર્થ પ્રમાણે પ્રજ્ઞાને સરસ્વતી સાથે સરખાવવામાં આવેલ છે. આપણે બુદ્ધિ, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું વિશ્લેષણ એટલા માટે કર્યું છે કે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે કદાચ બુદ્ધિ આર્ટિફિશિયલ વાતને હાથ લાગી શકે. કારણ કે બુદ્ધિના ઇનપુટ છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે. બુદ્ધિમાં જે સંદેશાઓ જાય છે તે આપણી પંચેન્દ્રિયોના અનુભવ દ્વારા જાય છે. જયારે પ્રજ્ઞા છે એ અંદર જતા અનુભવોને મનની સપાટીઓ પર લાગણી અને સંવેગોના ત્રાજવે તોલે છે અને પછી એમનું વિશ્લેષણ કરીને યથા યોગ્ય સુનિશ્ચિતતા હોય તો જ એ કામ કરવાની આપણે છુટ આપે છે. એ પ્રજ્ઞા છે. સ્વ તરીકે વ્યક્તિ જન્મે છે ત્યારે શરીર લઈને આવે છે શરીર body, mind and intellect ત્રણ વસ્તુ લઈને આવે છે. બધાને આ બધું  એકસરખી રીતે ભેટમાં મળે છે. શરીર ઉપરથી આપણે જાતિ  અને લક્ષણોને  ઓળખી શકીએ છીએ, બુદ્ધિ ઉપરથી આપણે સમજશક્તિને તારવી શકીએ  છીએ પરંતુ પ્રજ્ઞા ઉપરથી તેજસ્વીતાને આપણે જાણી શકીએ છીએ. હવે બુદ્ધિતત્વમાં તમે  વધારો કરી શકો, એમાં કોઈ આર્ટિફિશિયલ બાબતો ઉમેરી દઈ શકો, પણ પ્રજ્ઞાતત્વને આર્ટિફિશિયલ કૃત્રિમ વાત સાથે જોડવી એ અનર્થ સર્જે છે,  કારણ કે પ્રજ્ઞા એ બાહ્ય સંદેશાઓને ઝીલીને કાર્ય કરનારી કોઈ આપણી સંજ્ઞા નથી. પરંતુ એ મનમાં ગુપ્ત આવેલા સંદેશાઓને લાગણીમાં અથવા સંવેગોમાં ઢાળે છે અને  એના આધારે પ્રજ્ઞા એટલે કે intellect  ને એ વિભાજીત કરે છે, એનું  પૃથ્થકરણ કરે છે અને એના આધારે હવે શું કરવું તેનો કોઈ સંદેશો હોય તો  તે મનને આપે છે. આમ પ્રજ્ઞા એ higher level of instinct છે. પ્રજ્ઞા જેમાં સામેલ થતી નથી એ એક પ્રકારનું મિકેનિકલ કાર્ય છે. મિકેનિકલ નો અર્થ એવો કે જે કામ મશીન કરી શકે એ કામ આપણે આપણી બુદ્ધિમતા પાસેથી કરાવી રહ્યા છીએ. બુદ્ધિ કૃત્રિમ વાતને સ્વીકારે. બુદ્ધિને કૃત્રિમ અને વિચિત્ર પ્રકારના વિચારો આવે પણ પ્રજ્ઞાને અનેક વાયબ્રેશન્સ પછી સ્થિર થવાની ઘટના આવે છે જેનું વર્ણન ભગવાનશ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કરે છે.

લોકો અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ એવું કહીને સમજાવે છે કે, આ એક એવી બુદ્ધિ છે કે જેને માણસ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા પણ એ સ્પષ્ટતા કરીએ, માણસ બહાર બધું બનાવી શકે છે પણ શરીરની અંદર કશું બનાવી શકતો નથી એટલે કે જે બુદ્ધિ છે તેને મશીનો બનાવવામાં કે મિકેનિકલ કામમાં જો લગાડી દઈએ તો એ બુદ્ધિ કૃત્રિમ બુદ્ધિ કહી શકાય. કોઈ પણ કામની પ્રોસેસને ઓટોમેટિક બનાવવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે એવું આપણને સમજાયું છે. ગાડીઓ ડ્રાયવર વગર ચાલે છે, ઓટોમેટિક ચાલી શકે છે. ભારતની અંદર પણ આવી ગાડીઓના પ્રયોગો શરૂ થઇ ગયા છે. માણસની મજૂરીને ઘટાડવા માટે પણ રોબોટ બનાવવામા આવ્યા છે જે દસ માણસોના કામ કરી શકે જેથી કરીને મેન પાવરનો ખર્ચ બચી જાય છે. ગુગલ જેવા સર્ચ એન્જીનમાં યુઝરના સવાલોના જવાબ ઝડપથી અને પૂર્ણ ચોકસાઈ સાથે આપવા માટે પણ AI નો ઉપયોગ થાય છે. Netflix અને Youtube જેવા પ્લેટફોર્મ યુઝર્સની પસંદગીને સમજીને તેના પ્રમાણેના વિડીયો જોવા માટેનો ફીડબેક આપે છે. અરે, તમે વૉટ્સઅપની અંદર કોઈ સંદેશો લખવા જતા હો તો પહેલો શબ્દ type કર્યા પછી તમને નીચે ત્રણ ઓપશન આપવામાં આવે છે જે એના પછીનો શબ્દ હોઈ  શકે. એનો અર્થ એવો છે કે બીજો શબ્દ તમારે type કરવાની જરૂર નથી. સીધા એ ત્રણમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો એટલે એ શબ્દ  ત્યાંથી ઉપડીને તમારા વાક્યમાં જોડાઈ જશે. આ સમજ ક્યાંથી આવી ? આને તેઓ કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે. આ સાચી વાત કે તમે બુદ્ધિને એ પ્રમાણે ઘડી છે.  બુદ્ધિ જે કામ કરે છે એવું કામ તમે મશીન પાસેથી કરાવી રહ્યા છો. અને એટલા માટે આ આર્ટિફિશિયલ બ્રેઈન નો એક અર્થ એવો કર્યો કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે જે મશીન મનુષ્યની જેમ વિચારીને નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ આપણને  શોધી આપે. પણ અહીં માણસો દ્વારા સૂચવવામાં આવતા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. એટલે કે માણસનું જ્ઞાન, અનુભવ, વિચારો એ કોમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના  રૂપમાં સંગ્રહિત થાય છે જેનો ઉપયોગ જયારે જરૂર પડે ત્યારે તે મુજબ થતો રહે છે. તો સમજાણું એટલું કે એની અંદર શું જોઈએ છીએ ?, કેમ જોઈએ છીએ ?, ક્યારે જોઈએ છીએ ?, કેવું જોઈએ છીએ ? બધું તો માણસે વિચારવાનું છે અને માણસે પોતાની ભાષા નહીં પણ કોમ્પ્યુટરની ભાષામાં એને બદલીને ફીડ કરવાનું છે એટલે કે એમાં સંગ્રહિત કરવાનું છે. આ બધા માટેના સોફ્ટવેર બનાવવા પડે છે અને સોફ્ટવેર બનાવવાનું કામ માણસ સિવાય કોઈ કરતું નથી. પરિણામે પણ એક દાવો થઇ શકે કે ઇન્ટેલિજન્સ કે intelact એ ક્યારેય કૃત્રિમ ન હોય શકે. તમે એક વસ્તુ સમજી શકો કે માણસે બનાવેલી રોટલી અને મશીન દ્વારા બનાવેલી રોટલી એ બંનેના આઉટપુટ સરખા છે પણ તેમ છતાં જે મશીને કર્યું છે એમાં પણ માણસની પોતાની બુદ્ધિ કામે લાગી છે, અને રોટલી જાતે  બનાવવાને બદલે બની જાય એવું મશીન બનાવ્યું છે. એટલે તે પૂર્ણતઃ કૃત્રિમ એમ ન કહી શકાય. એક કુદરતી વ્યક્તિએ એમાં બધો ડેટા નાખ્યો છે.

સમાપનમાં ફરી ગાંધીગીતાનું સ્મરણ કરીએ જેમાં કહ્યું છે કે,

બુદ્ધિ નહીં કરે રાજ્ય કદી જગતે અહીં,

કરશે રાજ આત્મા જગતમાં નિરંતર.”

———————————————-

ફૂલછાબ જન્મદિવસ પૂર્તિ 

‘સત્ય એ શ્રી ઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’

બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

શ્રી ઠાકુરના ચરણમાં વંદન કરીને હું મારા કેટલાક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ
કરું છું. 
લગભગ છ એક મહિના પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત
માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રી રામને ખૂણે ખૂણે સુધી
પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના
પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રી રામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા
ત્યારથી રોમાંચિત હતો. એના બે કારણો હતા :  એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ
એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરના ચરણમાં જઈને સ્વામી અને
માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લ્હાવો ભાગ્યે મળતો હોય છે કે
તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો,  નિવાસ કરી શકો અને
આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને  એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી
મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રી રામ કથાનો  શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું
તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રી રામકથાનું ગાન
થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રી ઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ
કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રી વિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ
છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે
સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત
થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા
બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જુનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક
સરસ ગાડીમાં સ્વામી શ્રી વિવેકાનંદ અતિથિ  ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં
આવતા ત્રિપુટીના જુદા જુદા સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક

સંસ્કૃતિના દ્રશ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો
આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા
વિશાળ  પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક
પોલીસોએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ
ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠના દર્શને જઈ  રહ્યા હતા.
યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઉભી રાખવા
માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી
બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ
માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે,
આપણી  સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા
અનેક અનુભવ થયા છે,  પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા
જીવનની  એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો. ) સવારના પૂજ્ય બાપુએ
આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રી ઠાકુર, સ્વામી શ્રી
વિવેકાનંદજી અને શ્રી માતાજીના વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમના ધ્યાન મંદિરો
અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના  બહુ જ નિરાંતે દર્શન કર્યા.
અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા
હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો  હશે.  મને આનંદ એ
વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક
બેલુરમઠના શ્રી રામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રી ઠાકુરની પ્રભાવક પ્રતિમા
જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા
રાજકોટના શ્રી રામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું,  કારણ રાજકોટમાં મંદિર છે તે
બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે. 
ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રી રામકૃષ્ણ
મઠ મિશનના સ્વામીઓ, અધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ
ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયો પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે
હોય એના પછી શ્રી રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદબોધન કર્યું અને એમણે
એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય
મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ
પરિસરમાં  જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સીટીનું  પ્રાંગણ છે, જ્યાં  બહુ મોટી સ્કૂલ પણ
છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ
સાત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક

દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા
સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે  જેથી કરીને
સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિતે કથા પાન કરી શકે. ઉદ્ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ
અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રી ઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી
શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ
એ બે કાર્યો  ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું
હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ
માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા
જુદા સ્વામીઓ સતત કથા પાન કરવા આવતા હતા.
શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા,  કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ
શ્રી રામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતા કરતા ને આંખો  ભીની કરતા મેં
પોતે જોયા છે. એ બાપુએ આજે  શ્રી ઠાકુરના ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત
કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા
વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રી ઠાકુરના ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ
વિનયપત્રિકાના  એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલા એણે
કહ્યું કે,  સવારના હું આખા પરિસરમાં નિરાંતે  બહુ શાંતિથી ફર્યો છું.  હજુ પણ મુખ્ય
મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને  એવું લાગે છે કે,  આ જે ત્રિપુટી
છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી
પણ મને લાગે છે કે,  યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતા એવું પણ
કહ્યું,  વૈસે કહો તો  યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને
પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું. 
કથા આરંભ પહેલા શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા  મુજબ રામચરિત માનસની
ગાથાનું ગાન કરતા કરતા દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ
કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું
કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રી રામચરિત માનસની કોઈ
ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે.
બેલુર માથાની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો. 
સગુનુ ખીરુ અવગુન જલુ તાતા I    મિલઈ રચઈ પરપંચુ બિધાતા II
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા I      જનમિ કીન્હ ગુન દોષ બિભાગા II  

વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો
અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુ સંગ,  આ ચાર
દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુ સંગનો અર્થ સાધુ સંગમ અથવા તો સત્સંગ.
બાપુનો એક નિષ્કર્ષ હતો કે,  ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું
છે. આ વાતની  પુષ્ટિ કરતાં  તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ
વિષે હંમેશા એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા  કે નરેન
ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રી મા પૂછતાં કે,.. પણ તેથી શું ? ઠાકુર કહેતા
કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’  આ
વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ
આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન  કર્યા  એમણે કહ્યું
કે,  સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર
પડે છે, જયારે શુદ્ધિ સદગુરુથી કૃપાથી જ શક્ય બને છે. સ્વામી શ્રી વિવેકાનંદની પૂર્ણ
શુદ્ધિનો શ્રેય તેમના સદગુરુ શ્રીરામકૃષ્ણ દેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની
વ્યાખ્યા કઈ ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ.
 બાપુએ ઉમેર્યું કે,  ‘પૂણ્ય એટલે શું ?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’  અને ‘પાપ એટલે શું
?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’  બાપુએ પંચદેવની પૂજાની વાત કરી
કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક,
પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ આપણામાં ઉતરે એવું આહવાન
કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવના લક્ષણો એ આપણા ગુરુના લક્ષણો છે. 
બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે,  સામર્થ્ય હો
ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ . સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ
સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું
અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ  કહ્યું કે,  પરમતત્વ કૌતુકી
હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ
છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની
ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે
જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રી ઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ
શ્રી માતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે  વો રાતકો સન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ
જ્ઞાનકો ખીચ લાતા હૈ.  તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત
કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો.
શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને

ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે.
કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય
છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ
આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર  કહેતા કે, શ્રી કૃષ્ણ કે દર્શન મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ.  આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ
મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે
મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ  મુદ્રાનો આકાર
છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ  વગર કહ્યું કે, શ્રી કૃષ્ણકે દર્શનમેં  મુઝે મેરા
પુરુષ હોના બાધા કરતા હૈ. 
ત્રીજા દિવસે ફરી એકવાર શ્રી ઠાકુર, સ્વામી અને શ્રી મા ને તેઓએ વિવેક સાથે જોડીને
કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની  એવા ત્રણ સૂત્રો પણ સાથે
જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રી ઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય
તે પરમહંસ છે. સ્વામી શ્રી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે.
અને શ્રી મા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ
છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા
કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત
કરીને એવું પણ કહ્યું કે,  મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ
મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચારમેં આતા હે તો વહ સાકાર હો જાતા
હૈ.. 
બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો
દ્વારા થાય છે. ૧) મા ની આંખ ૨) બાપની આંખ અને ૩) ગુરુની આંખ. વિચાર
નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે
રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દ્રઢીભૂત
દ્રષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દ્રષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ
પોતાના આહલાદક સ્વભાવમાં સુંદર મજાના શેર ટાંક્યા કે, 
સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે 
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ  હમારે ઓર હમ હે તુમ્હારે. 
તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતા બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત
સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ.  મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી

મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર  નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા :  ન
આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ
એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે
ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ
રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદભુત હો, જો અનુભૂત હો ઓર જો
અવધૂત હો વો પરમહંસ હૈ . શ્રી રામકૃષ્ણ દેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને
કેન્દ્રવર્તી વિચારની વાત કરતા કરતા બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત
માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની
વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને
બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવિચમાં રહેલા
બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવિચનો
સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ  એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ  એ
શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે
જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને
જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમ માર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ
ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ :  ૧) અન્યત્ર મોહ ૨) કેવલ દુષિત
સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં  ઓર પ્રેમ
માર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ  કિ  યહ  સબ ક્યા હો રહા હે ?
પ્રેમ માર્ગની વાત કરતા એક સુંદર સુત્રપાત બાપુએ કર્યો કે, શ્રી રામકથા પ્રસન્નતા કી નવ
દિવસીય શિબિર હૈ . શ્રી રામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત કરવા
માટે  બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી
આપવામાં આવે છે. એક અંગુલી નિર્દેશ પણ થયો  કે,  મોહ અને સંદેહનો નાશ કરવા
માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે. 
ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને
ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે
અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નીરોધઃ’
એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં.  પતંજલિએ
નિરોધની વાત કરી  એમના ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા
માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં
પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ
પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧ % વાંચો, ૨ % વિચારો,

૪% આચરણમાં મુકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬ % પ્રસન્નતામાં ફેરવો જો આટલું
થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને
શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ  છે. બાપુએ
ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ
ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી
જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ
એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર
હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે રામ આવશે અને ખરેખર ભગવાન રામે
તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતા તેઓએ
કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી
આવે છે અને બુદ્ધિ તત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે
ગુરુદેવના ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ
અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને
હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે,
ભૂતકાળનો શોક હોય શકે, વર્તમાનમાં સંશય હોય શકે અને ભવિષ્ય માટે ચિંતા હોય શકે.
પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાના લક્ષણોની વાત કરી અને શ્રોતાના લક્ષણો
વર્ણવતા તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો  આપણી સમક્ષ
વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. ૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા ૨)
લોકેશણા અને ૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી
આકાંક્ષાઓ, તરસ હોય છે કે,  મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય
અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસના બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ
વર્ણવીને શ્રી ઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશા
સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે.એના લક્ષણો જો આપણે શોધવા હોય
તો શાસ્ત્ર એમ કહે છે કે, ૧) આત્મસાક્ષી ૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ ૩) પૂર્ણ
૪) એકો ૫) મુક્તચિત્ત  ૬) ક્રિયા ૭) અરુંગો ૮) વિસ્પૃહ ૯) શાંતો ૧૦) બ્રમાત ૧૧)
સંસારવાનિવ ૧૨) કુટસ્થ.  હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય
આભાસો”. શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા
બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી
પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક

લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને
અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ
આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુરમઠમાં ઠાકુરનું  જે પુરા કદનું ચિત્ર દેખાય છે એમાં
તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત
કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવ સમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં
ઘુમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે  પાગલની સરસ વ્યાખ્યા આપી. જો
ગલ કો પા લે વહ પાગલ હૈ . શ્રી ઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ
જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક
ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે,  બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય
હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવ
સમાધિમાં ગરકાવ થઇ જાય અને મૌન થઇ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર
મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું
નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના
ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ  આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ
ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે  ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ
સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી
વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે.  સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી. 
છઠ્ઠા દિવસની કથાના આરંભે સુત્રપાત થયો,  વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા
બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા
શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને
વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી
થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજા બાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ
ટાંક્યું. એક બહુ જ અમીર  કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને
રાજા બાપુ સવારના પહોરમાં  ઉભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી
રહ્યા હતા. અને એ દરમિયાન રાજા બાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત
સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને
પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સુર પહોંચે છે ક્યાં છે એ ?? અને એ 
તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો
એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજા બાબુ તુમ જાગો જાગો
જાગો અને એમને એ જ ક્ષણે વીજળીનો ચમકારો મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું  કે,
“આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સા ને

ઠસ્સામાં  તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજા બાબુ જાગો.”
કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું મને કહેવાયું એમ
ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજા બાબુને લાગી અને રાજા
બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યો
ભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજા બાબુ જાગો.. યાદ
રાખવા જેવું છે કે, સંત હંમેશા સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત
કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં
પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ
પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું
નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવલ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ
કેટલીક વખત તમારી ઉપર વરસી  જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન
થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને
અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજા બાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ
કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા
એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ
બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ
કરનારો હોય. પરમપ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ
રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે. 
સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સુત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે,
“મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર
સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે ? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા,
આનંદ આતા હૈ વહી કાફી હૈ.’  ‘યદિ  આંખમેં  એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધી
હૈ .’  ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્વિકતા આ રહી હૈ,
પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ  હમ દેહ, પ્રાણ ઓર મનસે
વિચલિત હોતે રહતે હૈં . દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન
માટે શોક અને મોહ આપણને રૂંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં,  હમારે પ્રત્યક્ષ
કાર્યકા કોઈ તો સાક્ષી હૈ  હી.’  આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર
આપણા  સાક્ષી છે. કદાચ આ કથા મંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી
મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી શ્રી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને
મા તો હરહંમેશ અહીં હાજર હોય કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્યકા કોઈ તો સાક્ષી હે હી વો

સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયાકા  જો સાક્ષી હૈ  વહ પરમહંસ હૈ . જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી
બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”  
આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે ?  એવું
કોઈ શ્રાવકે પૂછ્યું.  જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતા બાપુએ કહ્યું કે,  કૃપા ક્યારેય
કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે.
તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂઓ છો કે જાગો છો, ખાઓ છો, પીઓ છો,
દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ
કૃપાને તમે જીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ
નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે
સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય ? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ
કરવું જ છે,  તો આપણું સત્ય હંમેશા ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન
હૈ , કહા હુઆ સમજના કઠિન હૈ  ઓર સમજા  હુઆ કરના ઓર કઠિન હૈ . “કચ્ચા
જ્ઞાન બોઝ હૈ  ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ .” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઉતરવું
જોઈએ અને ઊંડા ઉતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો
સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ
દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસમેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશા
કોઈની સાથે સુંદર રીતે આત્મસાત થવા તત્પર હોય છે. 
નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રી રામકથાને વિરામ આપતા સમાપન કર્યું કે, 
નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને
બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત
માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી
ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી
શ્રી તુલસીકૃત શ્રી રામચરિત માનસને  વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે.
બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રી
રામકૃષ્ણ મિશન અને મઠનો  જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો
ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે,  હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય
સ્થળ પર ભી આતા હૈ  ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ,  હંસ છે
જળચર પણ ક્યારેક તટસ્થ થઇ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક
ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને
એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય,
પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી શ્રી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે.

પ્રતાપ સૂર્ય પ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું
વક્તવ્ય સ્વામીના શબ્દોથી વધુ નજીક બની શકે. 
આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રી રામકૃષ્ણ કથામૃતમાંથી
ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક
રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી
પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર
વ્યવસ્થા બેલુરમઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર
યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના
પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચુક્યા હતા. તેઓ કથા
સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદિય પ્રક્રિયા કરતા અને
સવાર સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યા ટાણે
યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમ ગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ
ગાન સાંજને સુરમાયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને
તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ  આપતા રહ્યા હતા. સમાપન સમયે
ફરી એકવાર સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા
અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખુબ મોટો રાજીપો વ્યક્ત
કર્યો અને ફરી એકવાર તરત જ બેલુરમઠમાં કથા ગાન કરવા માટે આવજો એવું દિલનું
નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને
તેઓએ કલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુરમઠના એક સભાખંડની અંદર એક
પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ  કરીને એ પ્રસંગને તેઓએ
વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથા ગાન કરવાનો લ્હાવો અત્યારે મળ્યો એ આનંદ
વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા
અધિકમાસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.
શ્રી રામ ચરિત માનસનું પરમ સત્ય બેલુરમઠની ધરતી પર ગવાય  અને એમાં પણ
ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રી ઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો  એ
લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે  મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે 
મારી સાથે શ્રી ઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા
અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.
જય ઠાકુર.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.

પત્રકારોમાં સજજનોત્તમ નગીનબાપા

::વિશેષ લેખ::

એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

ભદ્રાયુ વછરાજાની                                                      bhadrayu2@gmail.com

૧૦ માર્ચ, ૧૯૨૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૦. સો વર્ષ પૂર્ણ કરીને આપણી વચ્ચેથી બે વર્ષ પહેલા વિદાય લેનાર નગીનદાસ સંઘવી આપણને આજે પણ યાદ છે અને હજુ વર્ષો સુધી આપણી યાદદાસ્તમાંથી એ ખસી નહીં શકે. એમનું કારણ એમનું નોખું-અનોખું  વ્યક્તિત્વ છે. કોઈ રાજનેતા હોય, કોઈ મોટો યોદ્ધો હોય કે કોઈ બહુ મોટો આધ્યાત્મિક અગ્રણી હોય એમના જીવનની છાપ લોકો ઉપર પડે એ સમજી શકાય તેવી વાત છે. પણ એક સાદો સીધો પ્રાધ્યાપક, પ્રાચાર્ય, પત્રકાર એવી  વ્યક્તિ પોતાની અમીટ છાપ સમાજ ઉપર છોડી જાય એ એક ઐતિહાસિક ઘટના છે. નગીનદાસ સંઘવી જેનું નામ છે એને ચપટીક શબ્દોમાં સમાવવા બહુ મુશ્કેલ છે. તેઓની સ્ફટિક શુદ્ધ લેખિની આજે પણ હજુ વાંચીએ ત્ત્યારે સ્મરણપટનો કબ્જો જમાવી બેસે છે. એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

નગીનદાસ સંઘવી ભાવનગરમાં જન્મ્યા અને સુરતમાં જંપ્યા. આપણને સૌને આશ્ચર્ય થશે કે ૧૯૬૫ થી ૨૦૨૨ સુધી એટલે કે બરાબર ૫૫ વર્ષ સુધી જેણે પોતાની કલમ દ્વારા બે લાખથી વધુ પૃષ્ઠો લખ્યા છે એવા ધુરંધર પત્રકાર અને કટાર લેખક છતાં સદંતર નિસ્પૃહી એવા નગીનદાસ સંઘવી હકીકતમાં એક અચંબાનો વિષય છે. ભણવાનું પૂરું કરીને મહિનાના ૩૦ રૂપિયાના પગારથી એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે પહેલી નોકરી કરી, પછી નાની મોટો નોકરીઓ તરફ વળ્યા અને છેલ્લે તેઓ શિક્ષણમાં આવીને સ્થાયી થયા. એ પોલિટિકલ પ્રોફેસર હતા. ઇતિહાસના બહુ મોટા વાચક અને સાધક હતા. ૧૯૫૧ થી ૧૯૮૦ સુધી મુંબઈની ત્રણ માતબર કોલેજોમાં તેઓએ પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ ભણાવ્યું. ભવન્સ કોલેજ અંધેરી, રૂપારેલ કોલેજ માહિમ અને મીઠીબાઇ કોલેજ વિલેપાર્લેમાં તેઓએ સળંગ ત્રીસ વર્ષ સુધી એક અધ્યાપક તરીકે અને એ દરમિયાન ઊંડું વાંચન કરનારા એક સાધક તરીકે પોતાનું જીવન વિતાવ્યું. એમણે લખવાની શરૂઆત સૌ પહેલા તેઓ અધ્યાપક હતા ત્યારે  કરી. તેઓએ સૌથી પહેલી કોલમ એટલે કે કટાર સુરતના  ‘ગુજરાતમિત્ર’માં ૧૯૬૫ માં લખી. 

કાંદિવલી ની તે સમયની ત્રીસ થી ચાલીસ હજારની વસ્તીમાં કે જ્યાં આજે તો ચાર લાખ લોકો રહે છે તે કાંદિવલીના જીવા દેવશીની ચાલીમાં રહેનારા નગીનદાસ સંઘવી કાંદિવલીમાં કમલા રોડ પર આવેલા ભોંયતળિયે બેસીને રસોડાની સામે પલાંઠીવાળીને વાળુ કરતા હોય એવું આપણા બીજા સમર્થ લેખક દિનકર જોશીએ જાતે અનુભવ્યું છે. તેઓ યાદગાર અને સ્પર્શી જાય એવો પ્રસંગ વર્ણવતા કહે છે કે,  નગીનબાપા પોતાની વિદાય પહેલાના થોડા મહિનાઓ પહેલા મહાભારત વિષે એક લેખ લખવામાં વ્યસ્ત હતા. એક લેખ લખવામાં કોઈ સંદર્ભ ખૂટ્યો. બાપાએ દિનકર જોશીને મુંબઈ ફોન કરી અને પૂછ્યું.  એમણે કહ્યું કે, ‘ હા, એ પુસ્તક મારી પાસે છે’.  પુસ્તક મોકલી આપો એમ નહીં પણ સુરતથી બાપા કાંદિવલી ગયા. કાંદિવલીની દિનકરભાઇ જોશીની ઓફિસ ઉપર મળ્યા. કમનસીબે એ પુસ્તક એમની ઓફિસ પર ન હતું. પરંતુ દિનકરભાઇની સાથે બાપા મુંબઈના ટ્રાફિકમાં ઢળતી સાંજે ઘરે ગયા. પુસ્તક શોધ્યું.  બાપાએ વાંચન શરૂ કર્યું એમાંથી જરૂરી નોંધો લખતા ગયા અને નોંધ પુરી કરી પુસ્તક પરત આપી અને બાપા પાછા ફર્યા. આજે લેખિનીનો સોશિયલ મીડિયા ઉપર બેફામ ઉપયોગ કરનારા કોઈ લેખકો ક્યાંથી સમજી શકે કે એક લેખ લખવા માટે એક વાક્યનો સંદર્ભ શોધવા આટલી ચીવટ અને સતર્કતા રાખવી પડે. આજે આટલી સતર્કતાવાળો માણસ ક્યાં મળે ?

આપણને જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસ સંઘવી નામનું વ્યક્તિત્વ જેનો સાવ એકવડો  બાંધો,  પાતળો  દેહ.  પહેરવેશમાં  સાદો સફેદ લેંઘો અને પાતળો ઝભ્ભો, પગમાં સાદા ચપ્પલ, લેંઘો પણ ધરતીથી એક વેંત ઉંચો, જાડા ચશ્માની પાછળ તેજસ્વી આંખોમાંથી દરેક વ્યક્તિને ધારી ધારીને જોનારા પણ બાપા ! નગીનબાપા સત્તા માટે ભાવ રાખે, પોલિટિકલ સાયન્સના અધ્યાપક હતા ને ! પણ સત્તા માટે અહોભાવ બિલકુલ ન રાખે. અને સત્તાધીશને પછી તે ગાંધી, નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની વ્યક્તિને વિષે જે કઈ કહેવું હોય તે બેધડક તડ  ને ફડ  કરી શકે. સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના બધા જ વાળા પ્રધાન સાથે જીવી જનાર નગીનદાસ સંઘવી વિષે આપણા જાણીતા કવિ શ્રી અનિલ જોશી  કહે છે કે, ‘નગીનદાસ સંઘવી એ તો અમારી મીઠીબાઈ કોલેજનો કડવો લીમડો હતો. લીમડો ક્યારેય કોઈને આંબા આમલી બતાવીને ગેરરસ્તે દોરતો નથી.’ અખબારમાં વર્ષોથી ધારદાર કોલમો લખે પણ એમનો ‘હું’ ક્યાંય દેખાય નહીં. પોતે અતિ વિદ્વાન છે એ નક્કી. પણ એ વિધ્વતાનું પ્રદર્શન બાપા ન કરે. નગીનદાસ બાપા ઉત્તમ વક્તા ખરા,  પણ પ્રવચનોની ગ્લેમરથી એ સો ગાવ દૂર રહ્યા. નગીનબાપા ‘સમકાલીન’ અખબારમાં રામ અને રામાયણ વિષે એક લેખમાળા લખી રહ્યા હતા. એમના કોઈ તડ ફડને કારણે બહુ મોટો વિવાદ થયો. કેટલાય ભક્તો નગીનદાસ સંઘવી ઉપર તૂટી પડયા. પણ આ સમયે નગીનદાસ સંઘવી અસ્વસ્થ લેશમાત્ર ન થયા. પોતાના કુટુંબમાં પણ એવી વ્યથા આવી, એવી યાતના આવી કે વેદનામાંથી સાદો માણસ બહાર ન ઉઠી શકે. પણ પોતાના સાતમા દશકમાં પોતાની ઉપર વજ્રાઘાત થયો ત્યારે પણ બાપા તેમાંથી બહાર આવ્યા. 

કેવા કેવા લોકોને નગીનબાપા શબ્દ ઉપરાંત પણ મદદરૂપ થતા તેની વાત આપણા જાણીતા સેકયુલારિસ્ટ જે.એસ.બંદૂકવાળા કરે છે. ‘૧૯૮૯ માં મેં લોકસભા માટે વડોદરાથી મારા જીવનની પહેલી અને છેલ્લી ચૂંટણી લડી. મર્યાદિત બજેટ હતું અને ઘણી બધી આશાઓ અને વિચારો સાથે મેં ચૂંટણીમાં જંપલાવ્યું હતું. જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસભાઈ મારા આ ચૂંટણી અભિયાનના મહત્વપૂર્ણ સલાહકાર બન્યા હતા. પછી  અમારો નાતો વચ્ચે જરા પાતળો થયો હતો. પણ જયારે ૨૦૦૦ ની સાલમાં મારું  કૌટુંબિક જીવન પડી ભાંગ્યું ત્યારે નગીનદાસ સંઘવી મારી પડખે ઉભા રહ્યા. મારા પત્નીનું કેન્સરથી અવસાન થયું અને ગોધરા રમખાણો થયા, હું માંડ માંડ બચ્યો. મને લોકોએ શહેર છોડી જવા સલાહ આપી. હું મારી પુત્રી સાથે સ્થળાંતર કરીને મુંબઈ ગયો પણ આગળ શું કરવું તે જાણતો ન હતો. હા મારા માટે માર્ગ હતો અમેરિકા ચાલ્યા જવાનો. પણ અમેરિકાના વિઝાની તકલીફ હતી. ખાસ તો ૨૪ વર્ષની મારી દીકરી જે અપરણિત યુવતી હતી એને વિઝા મળે એમ ન હતા. મને યાદ આવ્યા નગીનદાસ સંઘવી.  મેં એમને  ફોન કર્યો અને તેઓ મારી વ્હારે આવ્યા. નગીનદાસભાઈએ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોન કર્યો. મારા સારા નસીબે તેઓએ મને બરખા દત દ્વારા લેવાયેલ ટીવી ઇન્ટરવ્યૂમાં જોયો હતો. અમને વિઝા મળી ગયા અને અમેરિકા અમે ચાલ્યા ગયા. નગીનદાસ સંઘવી મારા કરતા ૨૫ વર્ષ મોટા હતા પણ અમારી દોસ્તી સાવ સહજ હતી.”

જે ઊંડાણથી વાંચે છે તે જ વ્યાપક સંદર્ભે વિચારો વ્યક્ત કરી શકે છે. વાંચ્યું પચાવી જાણે અને તે પચાવેલું સમાજના દિલોદિમાગમાં સોંસરવું ઉતારી જાણે તેવા માનવો આજે આંગળીના વેઢે ગણાય તેટલા છે. તેમાં નગીનદાસ બાપા મોખરે હતા.

નગીનદાસ સંઘવી આજના યુવાનો માટે ત્રણ આયામો ખુલ્લા મૂકે છે. ૧) અસીમ વાંચો ૨) અપાર વિચારો અને ૩) અપૂર્વ જીવો. નગીનબાપા ગુજરાતના યુવાનો માટે જોશપૂર્વક ભરચક્ક જીવનનો આદર્શ છે. અને સિનિયર સિટીઝન્સ માટે ઢળતી સંધ્યાએ પણ એ જ ઉત્સાહથી જીવંત રહેવાનો માર્ગ છે. જીવનના વળાંકે સંતોષ ધનથી ધનપતિ બનેલા નગીનદાસ સંઘવી શ્રી મોરારિબાપુની સન્નિધીને લઈને દેશ વિદેશમાં અનેક જગ્યાએ રામકથાના વાહક  બન્યા. સાચું પૂછો તો,  શ્રી મોરારિબાપુ જે રામકથા કહે છે તે નગીનબાપા જીવીને ગયા છે. અને  ભગવદ  ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે તેને સિદ્ધ કરીને  નગીનબાપા ગયા છે.