રામદૂત મોરારિબાપુ@75
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
૧૯૭૬થી બાપુની કથાઓ વિદેશમાં થવા લાગી વિદેશની કથાઓમાં આવતા ભાવિકોમાં ભક્તિ કરતા આદર વધુ હોય છે, વિદેશ વસતા યુવાનો બાપુને ધ્યાનથી સાંભળે છે ને બાપુથી પ્રભાવિત પણ છે !
૧૯૬૦ના ચૈત્રમાસમાં પોતાનાં વ્હાલા ગામ તલગાજરડામાં મોરારિબાપુએ પહેલી કથા કર્યાની નોંધ “માનસ યાત્રા” પુસ્તકમાં છે, તો સવા સો કથાઓ દેશની ધરતી પર કર્યા પછી એકસો છવ્વીસમી કથા એપ્રિલ ૧૯૭૬માં પહેલવહેલીવાર વિદેશની ધરતી પર બાપુએ કરી. પોતાનાં જીવનનાં ચૌદ વર્ષે પહેલી કથા અને ત્રીસમાં વર્ષે પરદેશમાં પહેલી કથા ! પરદેશ પહોંચતાં સોળ વર્ષ લાગ્યાં પરંતુ એ સમયના ‘યંગસ્ટર કથાકાર’ તરીકે બાપુ દેશ બહાર કથા કહેનાર પ્રથમ હતા અને પછી એ યાત્રા અવિરત ચાલી. ૧૯૭૬ની પ્રથમ કથા આફ્રિકાના નૈરોબી ખાતે યોજાયા પછીનાં છેલ્લા પિસ્તાલીસ વર્ષોમાં બાપુએ વિદેશની ધરતી પર સવા સો કથાનું ગાન કર્યુ છે ! સ + આંકડા = સાંકડા થઇને ગણતરી માંડીએ તો બાપુએ કહેલી આજ સુધીની કુલ કથાઓમાંથી પંદર ટકા કથાઓ દેશ બહાર યોજાયેલ છે. કથા નિમિત્તે પોથીના પ્રતાપે બાપુ આફ્રિકા, કેનેડા, લંડન, કેન્યા, સિંગાપુર, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા, યુગાન્ડા, મોરેશિયસ, પોર્ટુગલ, બ્રાઝીલ, બાલી, શ્રીલંકા, દુબઇ, મસ્કત, ભૂતાન, થાઇલેન્ડ, જેરુસલેમ, જાપાન, રોમ, કમ્બોડીયન, ગ્રીસ, અબુધાબી, મ્યાનમાર, સ્વીત્ઝર્લેન્ડ, રવાન્ડા સહિતના દેશોની ધરતીને શ્રી રામકથાનો મંગળ સ્પર્શ કરાવી ચૂકયા છે. છેલ્લાં પંદરેક વર્ષોથી તો બાપુએ વિદેશની કથાઓ દરમ્યાન ભારતીય સંસ્કૃતિ- કલા-સાહિત્યનો પ્રસાર થતો રહે તેની વિશેષ કાળજી લીધી છે અને હજારો સર્જકોને પોતાની સંગાથે વિદેશ લઇ ગયા છે ! શ્રી રામકથાનાં માધ્યમથી અનેક દેશોમાં ભારતીયતાને પહોંચાડવાનું બાપુનું યોગદાન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું છે.
કથા- બાપુ અને વિદેશી ધરતીનાં સાંખ્યયોગનું દર્શન કર્યા પછી વિદેશની કથાઓ ક્યાં અલગ પડે છે તે નોંધવાનો પ્રયાસ કરીએ. અહીં સ્પષ્ટ થઇ જઉં કે ભારતમાં અને વિદેશમાં ગવાતી બાપુની શ્રી રામકથાઓને ત્રાજવે તોળવાની કોઇ ચેષ્ટા અહીં કરવી નથી. જ્યાં સરખામણી આવે ત્યાં સત્યની કસોટી થાય અને એવું આપણે કરવું નથી. પણ આપણે વિસ્મયથી એ ચકાસવું છે કે વિદેશમાં વસતા કથાપ્રેમીઓ પર બાપુની વાણીની કેવી અસર ઊભી થઇ રહી છે. આપણે મુદ્દાસર વાત કરીએઃ
-આયોજનની વાત કરીએ તો સ્વાભાવિકપણે જ વિદેશમાં યોજાતી કથાઓ વિશિષ્ટ આયોજન કૌશલ્ય માંગી લે. સીમિત સંશાધનોમાં કથાનાં મૂળ તત્વો જળવાય રહે અને બધું જ શિસ્તબદ્ધ થાય તેની કાળજી ઊડીને આંખે વળગે છે. કથા સ્થળ, મહેમાનોના ઉતારા અને તેમનું ટ્રાન્સપોર્ટેશન, કથા બાદ સર્વે માટે પ્રસાદ, સાંધ્ય ગોષ્ઠિમાં દિગ્ગજ કલાકારોને નોતરાં અને તેમની સરભરા વગેરે અનેક પાસાંઓ સઘન આયોજન માંગી લે છે. જો કે, તેમાં વિદેશમાં કથા યોજનાર ‘નિમિત્ત માત્ર યજમાનો’ સર્વાંગ સફળ થાય છે એટલું જ નહીં, તેઓના વિવેક, પ્રત્યાયન સૌમ્યતા અને સદા સ્મિત કાબિલે દાદ હોય છે.
-નાણાંકીય પાસાંને બાપુએ ભાવપૂર્ણ શબ્દ આપ્યો છે ‘વિત્તજા સેવા’ ! એટલે નાણાંની અછત અંગે કદી વિચારાતું જ નથી, કારણ આ તો ‘સેવા’ છે, સેવા તો સીમિત ક્યાંથી રહી શકે ? જો કે, બાપુ દ્વારા વિદેશની કથાઓમાં દેશના અતિ છેવાડાના સર્જકને સથવારો કરવાની જે અદ્વિતીય પ્રણાલિ શરૂ થઈ છે તેને લઈને આર્થિક વિશાળતા યજમાને રાખવી રહે છે, પણ બહુ નજીકથી એ નિહાળ્યું છે કે હૃદયના પૂરા ઉમળકાથી બાપુની પોતા તરફની અમીદ્રષ્ટિ ગણીને યજમાનો નાણાંની પોટલી ખુલ્લી મુકી દે છે. અરે, નવા દેશની શોધ કરીને ત્યાં બાપુની કથા થાય તે માટેની વિનંતી બાપુ પાસે સતત થતી રહે છે. એ વિનંતી બાપુ સ્વીકારે અને બાપુ કથા આપે ત્યારે યજમાનોની આંખો હર્ષથી ભીની થાય છે! આવો નાતો બાપુ સાથે ધરાવનાર યજમાન કોઇપણ બાબતનો વિચાર કરે જ ક્યાંથી?
– માનવ સંશાધન એટલે કે કાગળ પર થયેલાં મહિનાઓનાં આયોજન અને નાણાંકીય ઉપલબ્ધતાને વાસ્તવમાં ‘ઓન ફ્લોર’ મૂકવા માટે ‘મેન પાવર’ની તો અવશ્ય જરૂર પડે. કથા પહેલાં, કથા દરમિયાન અને કથા પછી દોડતા રહે તેવા યુવા સ્વયંસેવકોની એક ફોજ હોવી જોઇએ તો જ બધાં આયોજનો વ્યવહારમાં ખરાં ઉતરે. બાપુની વિદેશની કથાઓ આ પાસાંમાં તો મેદાન મારી જાય છે.
આ ત્રણ મુદ્દાઓ તો વ્યવસ્થાપન અંગેના થયા, કથાના પ્રભાવ પર એની અસર પડે જરૂર, પણ વિદેશની કથાઓની કેવી અસર ઊભી થાય છે કે બાપુની વિદેશની થતી કથાઓ કેવો ઇમ્પેકટ ઊભો કરે છે કે તેનો પ્રભાવ કેટલો અલગ પડે છે તેની વિગતો વધુ મહત્વની છે.
૧: દેશની કથાઓમાં બહુધા શ્રાવકો બાપુનાં દર્શન માટે કથા ‘સાંભળવા’ આવે છે, એમાં ભક્તિભાવ કે આદરભાવ વિશેષ દર્શાય છે..વિદેશની કથાઓમાં ઘણાખરા શ્રાવકો બાપુને ’સમજવા’ ને પોતાનાં જીવનમાં બાપુના સહજ સુચનોને ‘ઉતારવા’ ના ભાવથી આવે છે, તેઓમાં ‘ભક્તિ’ કરતાં ‘આદર’ વધુ છે અને ‘આદર’ કરતાં “બાપુવાણી’નો ‘સ્વીકાર’ વધુ છે.
૨: ‘કથાતત્ત્વ’ દેશના ભક્તોને આકર્ષે છે, કથાની ‘બાપુ- પ્રસ્તુતિ’ એમને ભીંજવે છે. વિદેશની કથાઓમાં સ્પષ્ટ નોંધી શકાય છે કે બાપુના ‘ચાહકો’ ઝાઝા છે એટલે તેઓને ‘કથામર્મ’ વધુ સ્પર્શી જાય છે. કથાની રજૂઆત જે રીતે બાપુ કરે છે તેનાથી તો એ અભિભૂત છે જ પણ રામકથાનાં સાત્ત્વિક બીજની પ્રબળતા અહીં વધુ છે.
૩: વિદેશની કથાઓમાં બાપુનાં ખીલવા મથતાં ‘ફ્લાવર્સ’ વિશેષ માત્રામાં છે તો દેશમાં બાપુની ઇચ્છા જરાપણ ન હોવા છતાં બાપુનાં ચરણસ્પર્શ કરવા મથતાં ‘ફોલોઅર્સ’ વધુ છે.
૪: ઊડીને આંખે વળગે એવું પાસું એ છે કે વિદેશની બાપુની કથાઓમાં ‘માનસ’નું ગાન કરનાર કે ‘માનસ’ સંગાથે જીવનારની સંખ્યા નોંધપાત્ર છે. મહત્તમ કથા શ્રાવકોના હાથમાં થેલો હોય છે અને કથા દરમ્યાન તેમના હાથમાં ‘રામચરિત માનસ’ હોય છે… માત્ર સ્પર્શ નહીં પણ માનસની ચોપાઇઓ તેઓને કંઠસ્થ પણ હોય છે. ઘણીવાર મેં અનુભવ્યું છે કે બાપુ વ્યાસપીઠ પરથી કોઇ ચોપાઇનું ગાન આરંભે ત્યાં જ કથામંડપમાં એ ચોપાઇપૃષ્ઠ ખુલી જાય છે અને એ ચોપાઇનું સમૂહગાન ગૂંજી ઉઠે છે. આ સહજ અવલોકન સ્વીકારીને કહેવું પડે કે બાપુની વિદેશની કથાઓ પ્રબળ સાત્વિક્તાનાં સ્પંદનો સર્જી રહેલ છે.
પ: સમાજ માટે બહુ જ જરૂરી મુદ્દો એ છે કે બાપુની વિદેશની કથાઓમાં તરોતાજા (અને છતાં સૌમ્ય) યુવાનોને યુવતિઓ મહત્તમ છે. ફેશનપરસ્ત અને પૂર્ણ વિદેશી શૈલેથી ઘડાયેલા યુવાનો બાપુની કથાઓનાં આયોજનથી લઇને પ્રસાદ વિતરણ સુધી ભારે સક્રિય હોય છે. ખૂબી એ છે કે આ યુવાનો સસ્મિત હોય છે, તેમનાં હાથમાં શક્યત: બાપુનો બેરખો હોય છે કાં તો ખભ્ભે રામનામી હોય છે, તેઓમાં કોઇપણનું કામ કરવા માટે દોડવાની તત્પરતા હોય છે અને બાપુ પ્રત્યે અપાર પ્રેમ છલક્તો હોય છે. વિશ્વભરનાં કોઇપણ ધાર્મિક કે સાંપ્રદાયિક આયોજનોમાં ‘મુક્તિ માણતો ઉત્સાહભર્યો યુવાન’ તમને ભાગ્યે જ જોવા મળશે જે અહીં બાપુકથાયજ્ઞમાં હાજરાહજુર હોય છે ! જરાપણ અણગમો નહીં ને ભારોભાર વિનમ્રતાની ક્ષમતા બાપુએ યુવાનોમાં પ્રવાહિત કરી છે તે સ્પષ્ટ દેખાય છે અને અનુભવાય પણ છે.
૬: દેશની કથાઓમાં કથામંડપમાં વધુ સિનિયર સિટીઝન અગ્રે બેઠેલા કે સોફા ખુરશી પર બેઠેલા ભાળી શકાય છે. વિદેશની કથાઓમાં તરણ- તરુણીઓ- યુવાન-યુવતીઓ કે મધ્યવયના શ્રોતાઓ આગળ ‘નીચે બેસી’ બાપુએ ઘૂંટડે ઘૂંટડે હૃદયસ્થ કરી રહ્યા હોય છે. વયસ્ક શ્રોતાઓ નાની ટેકણવાળી ફોલ્ડીંગ ચેર અગાઉથી ગોઠવી રાખી આગળ બેસી બાપુની આંખમાં આંખ પરોવવાનું ચૂકવા તૈયાર નથી હોતા.
૭: વિદેશની કથાના શ્રાવકો કથા સિવાયની બાપુની એકેએક ગતિવિધિથી વાકેફ રહેવાનું પસંદ કરે છે અને શક્ય બને ‘જયાં બાપુ ત્યાં અમે ‘નાં સૂત્રને વળગી રહી કથા માટે પધારેલ બાપુની પ્રત્યેક પળના સાક્ષી બની રહેવાનું ગોઠવી જ લે છે. કથા દરમ્યાન યોજાતી સાંધ્ય ગોષ્ઠિઓ કે બાપુનિવાસી સહજ થતી પ્રેમ મહેફિલો માણવાનું તેઓ ચૂકતા નથી. તેઓ માટે પૂરા નવ દિવસો ‘બાપુમય’ રહેવું જીવનનો લ્હાવો છે.
૮: બાપુ માટે તો સૌ સમાન છે અને સર્વેનો સહજતાથી સ્વીકાર છે. પણ બાપુ વિદેશની કથાઓ દરમ્યાન યુવાન-યુવતિઓને મળવાનું, તેમની સાથે સંવાદ કરવાનું, તેમના પ્રશ્નોને વધુ સ્થાન આપવાનું અવશ્ય પસંદ કરે છે. વેમ્બ્લી, લંડનની એક કથામાં સમગ્ર કથા- આયોજનમાં ત્રણસો યુવાનો સામેલ હતા, એ સૌને પ્રત્યક્ષ મળી તેમની સાથે નજદીકી સંવાદ કરવાનું વિશેષ નિમિત્ત બાપુએ ગોઠવાવેલું. રોજ પચાસ યુવાનો બાપુ સમીપે બેસી પ્રેમનો ભાવપ્રસાદ પામી શકયા. નવે નવ દિવસે પળેપળ ભરચક્ક કાર્યક્રમો અને ભારતથી બાપુસંગાથે ગયેલા દોઢસો ક્લાસર્જકોની પ્રસ્તુતિને માણવાની રોજની સાંધ્ય મહેફિલો છતાં બાપુ છ દિવસમાં ત્રણસો યુવાનોને લાગણીપૂર્વક મળ્યા અને ‘હું તો સંવાદનો માણસ છું’ એવું ‘ખુદકથન’ સિદ્ધ કર્યુ !
૯: અરબી કહેવત પ્રમાણે ‘જે નજદીક હોય તેની સાચી ઓળખાણ ચૂકી જવાય છે’, તેમ જ બાપુ તો ‘આપણા જ છે’ ને ‘આપણા માંહેના જ છે’ ને ‘આપણી વચ્ચે જ છે’ને એવી સહજ મનોવૃત્તિ દેશના શ્રાવકોમાં હોય, પણ વિદેશ વસતા ભારતીયો માટે તો ‘બાપુ વર્ષે-પાંચ વર્ષે પધારે છે’ કે ‘બાપુ કથનનો પ્રત્યક્ષ લાભ કયારે મળે?’ કે ‘બાપુ સમીપે રહેવાની તક ફરી મળે- ન મળે’ જેવી લાગણી બાપુની વિદેશની કથાઓને એક ઉત્સવનું સ્વરૂપ આપી દે છે. એથી જ તો આફ્રિકામાં કથા હોય તો અમેરિકા, ગલ્ફ કે લંડનના ભાવકો પહોંચી જ જાય. અરે, ભારતમાં એન.આર.આઇ. મહીના ગાળવા આવેલા ગુજરાતી- વિદેશીઓ બાપુની એ સમયની કથાઓમાં અવશ્ય જોવા મળે છે. હા, જો કે, તમને એવા કેટલાય વિદેશીઓ મળે કે જેમને ત્યાં બાપુ એક-બે વાર જઇ આવ્યા હોય! વિદેશમાં એવા કેટલાય ભવન કે હવેલી જેવા નિવાસો છે કે જયાં ‘બાપુ-કુટિયા’ કે ‘બાપુ-કક્ષ’ ખાસ બનાવવામાં આવ્યા છે અને તેમાં ‘બાપુ હાજર છે’ તેવો ભાવ સદા એ નિવાસમાં પ્રવર્તે છે !!
૧૦: બાપુની વિદેશની કેટલીય કથાઓમાં ખરા અર્થમાં વિદેશી શ્રાવકો શ્રવણાર્થે ઉપસ્થિત રહે છે. તેઓ હિન્દી કે ગુજરાતી ન જાણતા હોવા છતાં કથામાં બાપુ દ્વારા સર્જાયેલ ભાવાવરણની સુગંધથી તેઓ પ્રસન્નતા અનુભવે છે. ક્યાંક તો કથાના યજમાન આ વિદેશી માટે ટ્રાન્સલેટીયર ઉપકરણની સગવડતા પણ કરે છે. કયોટો, જાપાનની કથામાં કેટલાક જપાનીઓ લગભગ રોજ કથાશ્રવણ કરતા અને રોજ પૂર્ણ શાકાહારી ભોજન-પ્રસાદ પણ રસપૂર્વક આરોગતા હતા. એમાંથી કેટલાક સાથે સંવાદ કરવાનો મને મોકો મળેલો ત્યારે તેઓની એક વાત જચી ગયેલી: ‘બાપુ કથા કહે છે તે બધું નથી સમજાતું, પણ અમને બહુ આનંદ આવે છે કારણ કે બાપુના બોલાયેલા શબ્દો પાછળનો ભાવધ્વનિ અમે પકડી શકીએ છીએ અને કથામંડપમાં પડતો તેનો પ્રભાવપડથો અમે નોંધી શકીએ છીએ.’
એક જ વાક્યમાં સમાપન કરું: ‘વિદેશની કથાઓમાં બાપુના શબ્દો પાછળનો ભાવધ્વનિ ભારોભાર ઝીલાય છે અને તેનો સાત્વિક પડઘો ચોતરફ પડઘાય છે.”