by Bhadrayu Vachhrajani | Aug 10, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે. પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’
મહેન્દ્રનાથ ગુપ્ત જેવો માસ્ટર મહાશય ‘મ’ તરીકે ઓળખાતા. તેમનો જન્મ જાણે શ્રી રામકૃષ્ણ કથામૃત લખવા માટે જ થયો હતો. આ કથામૃતની અમીધારાને કેટલાએ નવજીવન આપ્યું છે. છઠ્ઠી જુન 1932 ના રોજ ફલહારીણી કાલી પૂજાને દિવસે માસ્ટર મહાશયે રાત્રે 9:00 વાગ્યા સુધી કથામૃતના પાંચમા અને છેલ્લા ભાગનું પ્રુફ જોયું. પ્રૂફ જોતા-જોતા જ તેમના હાથમાં સ્નાયુ શૂળની પીડા શરૂ થઈ. અને બીજે દિવસે સવારે માં, ગુરુદેવ, મને ખોળામાં લઈ લ્યો એવું કહેતા તેઓ ચીર નિંદ્રામાં પોઢી ગયા.
શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી મંત્રદીક્ષા મેળવેલ ગૌરી મા વિષે સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે, ગૌરી મા ક્યાં છે? હજારો ગૌરી મા ની આવશ્યકતા છે. જેમનામાં મહાન ચેતનદાયીની શક્તિ હોય તેમનું મહાપ્રયાણ પણ અદભુત હતું. 28 ફેબ્રુઆરી 1938ના રોજ શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ઠાકુર દોરી ખેંચી રહ્યા છે. એ જ દિવસે બપોરે તેમણે આશ્રમની વિદ્યાર્થીનીઓને કહ્યું, મને સારી રીતે સજાવી દો. જુઓ, મારા માટે રથ આવી રહ્યો છે. અંતિમ રાત્રે તેમણે પોતાના આરાધ્ય દામોદરને મંગાવ્યા, તેમને અપલક નેત્રે જોતા રહ્યા, પછી થોડો સમય છાતી સરસા ચાંપ્યા, બીજે દિવસે પહેલી માર્ચે તેઓ પોતાની પ્રિય મૂર્તિને દુર્ગાદેવીને સોંપી નિશ્ચિત થઈ ગયા. આખો દિવસ પ્રસન્નતાથી તેઓ શ્રી રામકૃષ્ણ દેવ વિશે વાતો કરતા રહ્યા. સાંજે તેઓ ત્રણ વાર ‘શ્રી રામકૃષ્ણ’ એમ બોલ્યા અને રાત્રે 8:15 વાગ્યે મંત્રનો જાપ કરતાં-કરતાં તેમણે મહાપ્રયાણ કર્યું. તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કોલકાતાના એ કાશીપુર સ્મશાન ઘાટમાં જ કરવામાં આવ્યો જ્યાં શ્રી રામકૃષ્ણ દેવના પાર્થિવ દેહનો કરવામાં આવ્યો હતો.
4થી જુલાઈ 1902 ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદજીએ બેલુરમઠમાં મહાસમાધિમાં પોતાનો દેહ છોડ્યો. તે દિવસે સવારના 8 થી 11 વાગ્યા સુધી તેઓ મંદિરમાં ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. મંદિરમાંથી તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજી ને અસ્પષ્ટ વાણી સંભળાઈ. ‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે. પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’ તે પછી સ્વામી સિદ્ધાનંદજીને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ પાશ્ય સાથે ભણાવ્યો. બપોર પછી બ્રહ્મચારીઓના સંસ્કૃત પાઠમાં ભાગ લીધો. સાંજે તેઓ સ્વામી શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથે બેલુર બજાર સુધી ફરવા ગયા. માર્ગમાં તેમણે વેદ વિદ્યાલય સ્થાપવાની ઈચ્છા પ્રગટ કરી કે જે ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ છે. પાછા ફરીને મઠમાં બધાના ક્ષેમકુશળ પૂછ્યા અને પછી પોતાના ઓરડામાં જઈ સેવક પાસેથી જપમાળા લીધી અને તેને બહાર જવા કહ્યું. પછી માં ગંગા તરફ મુખ રાખીને તેઓ ધ્યાનમગ્ન બની ગયા. એમના જીવનની આ અંતિમ પળો હતી. ખાલી દેહપિંજર પડી ગયું. ધ્યાનની આ પાંખો પર સવાર થઈ તેમના આત્માએ અનંતયાત્રા પ્રારંભ કરી. પોતાના સંન્યાસી શિષ્ય સેવકને તેમણે કહેલા અંતિમ શબ્દો હતા, ‘wait and meditate the i call you.’ થોડાક થોભો અને હું પુકારું ત્યાં સુધી તમે ધ્યાન ધરો.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં મુખ્ય મથક બૈલુર મઠમાં થોડા વર્ષો પહેલા એક હજામ રહેતો હતો. નામ એનું ‘મુરત રામ’ ઉત્તર પ્રદેશનો પણ તેના બાપ- દાદા કોલકત્તા આવીને વસેલા. 16-17 વર્ષની ઉંમરથી જ તેણે બૈલુર મઠ આવવાનું શરુ કરેલું. લગભગ 50 વર્ષો સુધી તેણે બૈલુર મઠમાં પોતાની સેવા આપી અનેક વરિષ્ઠ સંન્યાસીઓનો તે કૃપાપાત્ર બન્યા. બધા સાધુ-સંન્યાસીઓને મુંડન કરાવવા, હજામત કરાવવા, તેની પાસે લાઈન લગાવવી પડતી. મુંડન કરવામાં એટલો બધો પાવરફુલ હતો કે એકાદ કલાકમાં તો 50-60 બ્રહ્મચારીઓનું મુંડન કરી શકતો. શ્રી રામકૃષ્ણ દેવનો તે અનન્ય ભક્ત હતો. નાની વયમાં જ તેણે શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનનાં છઠ્ઠા પાર્માધ્યક્ષ અને શ્રી મા શારદા દેવીનાં શિષ્ય સ્વામી શ્રી વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા મેળવી. એ દીક્ષા વિશેની વાત પણ રસપ્રદ છે. મંત્ર દીક્ષા મેળવ્યા પછી પ્રેસિડેન્ટ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યા પછી તે મંત્ર ભૂલી ગયો. મંત્ર ભૂલી ગયો એટલે રડવા લાગ્યો. પ્રેસિડેન્ટ મહારાજે કરુણાવશ થઈ તેને પાછો બોલાવ્યો, ફરી મંત્ર આપ્યો. મુરતરામ નિયમિતરૂપે સવારના દરરોજ ચાર વાગ્યે સ્નાન કરતો. જયારે તેનો દેહ જીર્ણ થઈ ગયો ત્યારે 15મી મે 1983 ના રોજ લગભગ 70 વર્ષની ઉંમરે તે પોતાને ગામડે ચાલ્યો ગયો. તેનું ગામ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં હતું. ત્યાં પણ તે દરરોજ નિયમિત જપ કરતો. 1986માં સપ્ટેમ્બરના મહિનામાં તેણે મહાપ્રયાણ કર્યું. ત્યાં સુધી તે આમ દરરોજ નિયમિત જપ કરતો. મૃત્યુ પહેલા તેણે પોતાના પુત્રને સરયૂ નદીના તીરે લઈ જવાનું કહ્યું. નદીમાં સ્નાન કર્યા પછી પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરતા-કરતા તે પોતાના ઇષ્ટદેવમાં વિલીન થઈ ગયો.
શ્રી રામકૃષ્ણદેવની અનેક સાથે જોડાયેલા એમના ભક્તોની આવી અનેક કથાઓ છે કે જેમાં આપણને એવો સંદેશ મળે છે કે રામકૃષ્ણ દેવ એ પ્રેમર્પણનું સમદર્શન કરનાર વ્યક્તિ વિશેષ હતા. અમારે તો સ્વામી વિવેકાનંદજી જે કહે છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી છે. ‘संपद तवश्री पद भव गौश्पद वारियथाय’. હે પ્રભુ કૃપા કરો જેથી આ વાત પર શ્રદ્ધા રાખી તમારા શ્રી પદનો આશ્રય લઈ સરળતાથી ભવસાગર તરી જઈ શકાય.
સ્વામી વિવેકાનંદજી રાજસ્થાનના ખેતડી માં આવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજીતસિંહ એ એક દિવસ એક સંગીત સભા નું આયોજન કર્યું. એક ગાનારી બાઈને પણ એમાં બોલાવી. સ્વામીજી સંગીતના શોખીન છે, એમ જાણીને મહારાજાએ તેમને પણ મહેફિલ માં આવવા માટે સંદેશો મોકલાવ્યો, પણ સ્વામીજીએ જવાબ મોકલાવ્યો કે, એક સન્યાસી માટે આવા ઉત્સવ માં જોડાવું યોગ્ય નથી. ગાયિકાને આ સાંભળીને આઘાત લાગ્યો. તેણે દુઃખી થઈ અત્યંત દર્દ ભર્યા કંઠે સૂરદાસનું સુપ્રસિદ્ધ ભજન ગાવાનું શરૂ કર્યું.. પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો, સમદર્શી હે નામ તિહારો ચાહે તો પાર કરો, હે પ્રભુ મારા દોષ તરફ ધ્યાન ન આપશો. તારું નામ તો સમદર્શી છે. મારો ઉદ્ધાર કરજે.. સ્વામીજીએ દૂરથી દર્દ ભર્યું ગીત સાંભળ્યું અને મનોમન પોતાને ધિક્કારવા લાગ્યા. શું હું સાચો સંન્યાસી છું ? સન્યાસી હોવા છતાં પણ મેં મારી અને સ્ત્રી વચ્ચે ભેદ કેમ જોયો ? એમની આંખો ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે, ભેદદ્રષ્ટિ અજ્ઞાનથી, માયાથી જ થાય છે. બધામાં પેલી એક સત્તા વિરાજમાન છે, તેથી તેઓ કોઇની ઘૃણા કરી શકે નહીં તે જ ક્ષણે, સ્વામીજી સંગીતની મહેફિલમાં હાજર થઈ ગયા. ગીત પૂરું થયા પછી ગયાનારી બાઈ ને માતાનું સંબોધન કરીને તેમણે તેની પાસેથી ક્ષમા માંગી. સ્વામીજીને ત્યારે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ અવશ્ય યાદ આવ્યા હશે કારણ પાછળથી તેમણે શ્રી રામકૃષ્ણ દેવની આરાત્રિકમ ની રચના કરી ત્યારે આઠમા પદમાં લખ્યું..
“પ્રેમાર્પણ સમદરશન જગજન દુખ જાય”.
એક સંવાદમાં શ્રી રામકૃષ્ણદેવે કહેલું કે, “ એક રામ, તેના હઝાર નામ, ખ્રિસ્તીઓ તેને ગોડ કહે છે, તેને જ હિંદુઓ રામ, કૃષ્મ, ઈશ્વર અને અન્ય નામોથી બોલાવે છે.”
by Bhadrayu Vachhrajani | Aug 8, 2026 | જનકલ્યાણ |


“હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.”
‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’
કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,
ઓશો કોણ છે? ઓશો શું છે? ઓશો ક્યાં છે?
ઓશો ઓશો કેમ છે? ઓશો ક્યારે ક્યારે છે?
આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજી પાસે.. એ પૂર્વાશ્રમના વસંત જોશી અને એ સમયે એમણે લખેલું પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. ….
આવો, આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.
“તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.
ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.
ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.
ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી.
ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.
ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.
એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.
ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.
જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી…
વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’
જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.
અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે.
એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.
તેઓ સ્પષ્ટ કરે છે કે:
‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’
(લેખકના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક “ઓશોની આસપાસ” માંથી)
by Bhadrayu Vachhrajani | Aug 2, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે.
સ્વામીશ્રી વિવેકાનંદજી રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના આઠમા પદ સુધી આપણી યાત્રા આવી પહોંચી છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના હાલના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં બહુ વિગતે આધાર સાથે વિહંગાવલોકન કરે છે.
સ્વામી વિવેકાનંદજી કહે છે, संपद तव श्री पद भव गौश्पद वरियथाय प्रेमार्पण समदर्शन जगजन दुखजाय. એટલે કે, મારા ચરણો જેઓની સંપદા છે તેઓ માટે ભવસાગર ગૌશપદનાં જળતુલ્ય થઈ જાય છે. હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોના દુઃખ દૂર થઈ જાય છે. શ્રી ના પતિ હોવાને કારણે ભગવાન વિષ્ણુના ચરણો શ્રીપદ કહેવાય છે. અને વિષ્ણુના અવતાર હોવાને કારણે શ્રી રામકૃષ્ણ દેવના ચરણો પણ શ્રીપદ છે. જે ભક્તો સાધારણ સંપદાની પરવાહ નથી કરતા શ્રી રામકૃષ્ણ દેવના શ્રીપદને જ પોતાની સંપદા ગણે છે તેમના શ્રી ચરણોમાં શરણ લે છે. તેમના માટે ભવસાગર તરવું એટલું જ સરળ બની જાય છે કે જેટલું ગૌશપદ એટલે કે ગાયના પગલાંમાંથી બનેલા ખાબોચિયાનું જળ પાર કરવું બને છે.
ભગવાન શ્રી રામે શરણાગત થયેલા વિભીષણનો સ્વીકાર કરતી વખતે કહ્યું, ‘कोटि विप्र लागहि जाहु आये शरण तजहु नाइ ताहू सन्मुख होइ जिव मोहि जबहि जनमकॉपी अद ना सही तबहु’. રામચરિત માનસમાંથી આ જે વિગત લીધી છે એનો અર્થ એવો થાય છે કે કરોડો બ્રાહ્મણોની હત્યા કર્યા પછી જો કોઈ મારે શરણે આવે તો પણ હું તેનો ત્યાગ નથી કરતો. મારી પાસે આવતા જ જીવના કરોડો જન્મોના પાપનો નાશ થઈ જાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લક્ષ્ય કરી સમસ્ત માનવજાતને કહે છે, ‘सर्व धर्मान परित्यज्य मामेकं शरणं व्रजः अहं त्वाम सर्व पापेभ्य मोक्ष ईष्यामि मासूच.’ 18 માં અધ્યાયના 66માં શ્લોકમાં આવું કહ્યું છે. અર્થ એટલો છે કે, બધા ધર્મોનો ત્યાગ કરી તું માત્ર મારા એટલે કે સર્વ શક્તિમાન ઈશ્વરના શરણે આવી જા. હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક છોડી દે. શ્રી મા શારદાદેવીએ અનેક વખત એવું આશ્વાસન આપ્યું હતું કે મને ઠાકુર કહેતા કે જેઓ મારી પ્રાર્થના કરે છે તેમના મૃત્યુ સમયે મારે તેમની પડખે ઊભું રહેવું પડશે. એ તેમના પોતાના શ્રીમુખના શબ્દો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે, ‘જે વ્યક્તિ અંતકાળે મારું સ્મરણ કરતાં-કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં કોઈ સંદેહ નથી.’
એકવાર રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજને એક ભક્તે આ વિશે સંદેહ વ્યક્ત કરતાં પૂછ્યું કે તેમનામાં તો હજી ઘણી કામનાઓ બાકી છે, તો તેઓ કેવી રીતે મુક્ત થઈ શકશે? પૂજ્ય મહારાજે સમજાવતા કહ્યું, માની લો અંતિમકાળે શ્રી રામકૃષ્ણ દેવ તમારી સમક્ષ હાજર થઈ ગયા તો તમે શું માંગશો? તેમના ચરણ કમળમાં ભક્તિ જ નહીં, તેમના દર્શન માત્રથી તમારી બધી કામનાઓ પોતાની મેળે દૂર થઈ જશે અને તમે મુક્ત થઈ જશો.
શ્રી રામકૃષ્ણ દેવના ભક્તોનો મૃત્યુના સમયનો અનુભવ અદભુત હતો. શ્રી રામકૃષ્ણ દેવના ગૃહસ્થ ભક્ત શ્રી નવગોપાલ ઘોષના પત્ની નિષ્કારીની ઘોષ પણ રામકૃષ્ણ દેવના પરમ ભક્ત. તેમણે એકવાર કહ્યું હતું, તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે. તેમના પોતાના જીવનમાં તેમણે આ પુરવાર કર્યું. 20મી માર્ચ 1932 ના રોજ તેમણે શ્રી રામકૃષ્ણ દેવ ના ફોટા ને છાતી સરસો ચાંપીને તેમનું નામ લેતા-લેતા ગાઢ ધ્યાનાવસ્થામાં દેહ ત્યાગ કર્યો.
હાજરા મહાશય શ્રી રામકૃષ્ણ દેવની દિવ્ય લીલાના ખંડનાયકની ભૂમિકા ભજવતા. મિથ્યાચાર અને મિથ્યાભાષણ જાણે તેની રગરગમાં હતા. ક્યારેક તો શ્રી રામકૃષ્ણદેવને શિખામણ પણ આપતા. છ વર્ષો સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાની સામેના વરંડામાં જપની માળ લઈને બેસી રહેતા અને શ્રી રામકૃષ્ણ દેવ પાસે જતા ભક્તોને પકડીને ધરાર પોતાના ઉપદેશ સંભળાવતા. એકવાર તો શ્રી રામકૃષ્ણ દેવ તેમને કપટ લીલાથી એટલા કંટાળી ગયા કે જગન માતાને પ્રાર્થના કરી. હે મા, જો હાજરા ઢોંગી હોય તો એને અહીંથી કાઢી મૂકો. થોડા દિવસ પછી હાજરા મહાશયને આ વાતની ખબર પડી અને તેઓ શ્રી ઠાકુરની પાસે આવીને કહેવા લાગ્યા.. જુઓ, હું તો અહીં જ છું, પણ હાજરા મહાશયને નરેન્દ્ર એટલે કે આપણા સ્વામી વિવેકાનંદની સાથે સારું બનતું. શ્રી રામકૃષ્ણ દેવ મજાકમાં પોતાની ગામઠી ભાષામાં કહેતા, હાજરા તો નરેન્દ્ર નો ફ્રેન્ડ છે. 1લી જુલાઈ 1986 ના રોજ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણ દેવે જાણે કે કલ્પતરુ બની ભક્તો ઉપર આશીર્વાદ વરસાવ્યા. હાજરા મહાશય ત્યારે ગેરહાજર હતા. પાછળથી તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ ગયા. અને તેમણે નરેન્દ્રનો સહારો લીધો. નરેન્દ્ર તરત જ તેમને રામકૃષ્ણ દેવના ઓરડામાં લઈ ગયા અને તેમના પર કૃપા વરસાવા કહ્યું. રામકૃષ્ણદેવ રાજી ન હતા. પણ નરેન્દ્રના દબાણથી તેમણે કરુણાવશ થઈને કહ્યું, ‘તેનો સમય હજુ પાક્યો નથી. મૃત્યુ સમયે તેને આશીર્વાદ મળશે.’ અને ખરેખર એ જ બન્યું. હાજરા મહાશય પોતાના ગામમાં રહેતા ત્યારે મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેમને સાધારણ તાવ આવ્યો. આ સિવાય એમને કોઈ રોગ નહોતો. ત્રીજા દિવસના અંતે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જો આવતીકાલે સવારે 9:00 વાગ્યે હું મરવાનો છું માટે ગામના લોકોને બોલાવી લે જે.’ તેમની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી નહિ. બીજે દિવસે સવારે ફરી હાજરા મહાશયે પોતાના મૃત્યુ વિશે ગામના લોકોને જણાવવા માટે કહ્યું. લોકોને જાણ થઈ, પણ કોઈએ આ વાત ગંભીરતાથી ન લીધી. થોડા લોકો હાજરા મહાશયના નવા ખેલની મજા જોવા ભેગા થયા. સવારે 8:30 વાગ્યે હાજરા મહાશયે જપમાળા પોતાના હાથમાં લીધી અને જપ કરવા મંડયા. અચાનક લોકોએ હાજરા મહાશયના ચહેરા પર કંઈક પરિવર્તન જોયું. જાણે તેઓ કોઈને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. થોડીવારમાં હાજરા મહાશય બોલી ઉઠ્યા આવો… પધારો… હે ગુરુદેવ, આટલા વખત પછી મને યાદ કર્યો. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, જલ્દીથી એક આસન લાવ, જોતી નથી પરમહંસ દેવ આવ્યા છે. તેમના પત્ની તો કંઈ સમજી ન શક્યા. વારંવાર કહેવાથી ના છૂટકે એક આસન લાવીને પાથર્યું. થોડીવાર પછી હાજરા મહાશયે શ્રી રામકૃષ્ણદેવને સંબોધી હાથ જોડીને કહ્યું, ‘ગુરુદેવ તમારી મારા પર આટલી બધી કૃપા છે, હવે થોડી વધુ કૃપા કરો. મારી સાથે આંગણામાં તુલસીનાં ક્યારા સુધી આવો. હું ત્યાં જ મારો દેહ છોડવા માંગુ છું.’ શ્રી રામકૃષ્ણ દેવની સંમતિ મેળવી તેમણે પોતાની પત્નીને આસન તુલસીના ક્યારા સુધી લઈ જવા કહ્યું. તેઓ પોતે પણ ત્યાં પથારીમાં સુતા-સુતા જપ કરવા લાગ્યા. થોડીવાર પછી હરિ… હરિ… હરિ… એમ ત્રણ વાર બોલીને તેમણે છેલ્લો શ્વાસ લીધો. ગામનાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક મહાત્માને છાજે તેવી રીતે તેઓએ તેમના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી હાજરા મહાશય ખલનાયકમાંથી મહાત્મા બની ગયા.
by Bhadrayu Vachhrajani | Jul 27, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ખ્રિસ્તી સાધુ પ્રભુ દયાલ મિશ્ર, વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર શ્રી ઠાકુરની સમાન કૃપા વરસે છે.
રસિક મહેતર ભલે દારૂડિયો હતો પણ શ્રી રામકૃષ્ણ દેવ નો ચાહક હતો. એ જોતો કે શ્રી રામકૃષ્ણ દેવ પાસે અનેક લોકો આવજા કરે છે. રોજબરોજના ઈશ્વરીય પ્રસંગો, કથા-વાર્તા, ભજન-કીર્તનથી ગુંજતા શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાને જોઈને એક મુક વેદના રસિક ના મોમાં ઘુમરાયા કરતી. એને થતું એના એવા નસીબ ક્યાંથી કે તે શ્રી રામકૃષ્ણ દેવની કૃપા પામે અથવા એમનો ચરણસ્પર્શ કરે. એક દિવસ રામકૃષ્ણદેવ શૌચક્રિયા પતાવી પોતાના ઓરડા ભણી પાછા ફરી રહ્યા હતા. હજુ પંચવટી પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો રસિક લાંબો થઈ ભોય ઉપર આળોટી પડ્યો અને શ્રી રામકૃષ્ણ દેવના પવિત્ર ચરણ પકડી આદ્ર સ્વરે પોતાના મનની વ્યથા વ્યક્ત કરવા લાગ્યો. મારું શું થશે? મારું શું થશે? રામકૃષ્ણદેવ અચાનક આ જોઈને ચમક્યા પણ એ તો દેવ એ જ પળે સમાધિષ્ઠ થઈ ગયા. રસિકની આંખોમાંથી તો આંસુની ધાર.. સમાધિ અવસ્થામાંથી સહજ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી શ્રી રામકૃષ્ણ દેવે શાંત્વના આપતા કહ્યું, ‘ચિંતા કરીશ નહીં, તારું બધું જ થઈ ગયું છે. અંત સમયે હું તને તેડી જઈશ.’ અને એવું જ બન્યું. મૃત્યુની થોડીવાર પહેલા રસિકે પોતાની પથારી ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે લઈ જવાનું કહ્યું. મૃત્યુની પળે રસિક પોકારી ઉઠ્યો, ‘બાબા તમે અહીં સાચે જ આવ્યા છો બાબા?,’ એમ કહેતા-કહેતા રસિકે છેલ્લો શ્વાસ લીધો. ઘણા યાત્રિકો દક્ષિણેશ્વરના દર્શને જાય ત્યારે આ સ્થળ જોવા માટે આજે પણ જાય છે. શ્રી રામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ રસિક મહેતરનો પ્રસંગ સંભળાવતા કહે છે કે જે કોઈ વ્યક્તિ શ્રી રામકૃષ્ણદેવ ને શરણાગત થશે તે અવશ્ય મુક્તિ પામશે.
ઈશ્વર અહૈતુક કૃપાસિંધુ છે. નાત-જાતના ભેદભાવ વગર શરણાગતોની રક્ષા કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘माम ही पार्थ व्यापाशित्य येपि शिव पप्योःनाहया स्त्रीओ, वैश्या तथा शूद्रा तदपि यान्ति परागतिम.’ હે અર્જુન સ્ત્રી, વૈશ્ય, શુદ્ર અને પાપ યોનીમાં જન્મેલ વ્યક્તિ પણ જો મારે શરણે આવે છે તો તેને પરમગતિ મળે છે. શ્રી રામકૃષ્ણ અવતારમાં તો જાણે ઈશ્વરની શરણાગત વત્સલતા ચરમસીમાએ પહોંચે છે. અહૈતુક કૃપાસિંધુ શ્રી રામકૃષ્ણ કોઈપણ જાતના ભેદભાવ વગર ભક્તો પાસેથી સાધનની કોઈપણ અપેક્ષા રાખ્યા વગર કૃપા વરસાવ્યા કરે છે.
निष्करण भक्तशरण त्यजि जाती कुल माँ’. હે પ્રભુ, તમે જાતિ, કુળ, માન વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર શરણાગતો ઉપર અહૈતુક કૃપા કરો છો તેથી અમને દૃઢ નિશ્ચય થઈ ગયો છે કે અમારી રક્ષા થશે. અમે શંસયરહિત, ભયરહિત, થઈ ગયા છીએ…. આરતીની આ પંક્તિ નો ભાવાર્થ આમ છે.
નરેન્દ્ર, બાબુરામ, વગેરે શુદ્ધ નિર્મળ ત્યાગી સંતાનો પર તેઓ પોતાના પ્રેમનો વરસાદ કરે છે. ગિરીશ ઘોષ, પદ્મ વિનોદ, કૃષ્ણ દત્ત, બિહારી, વગેરે દારૂડિયાઓ મનમત જેવા ગુંડાઓ, તેલો, ભેલો, વગડાના વાળુ, ડાકુ જેવા પર પણ કૃપા કરે છે. ગૌરીમા, યોગીનમા, ગુલાબમા, વગેરે ઉચ્ચ કોટીની સાધિકાઓ પર પોતાની કૃપા વરસાવે છે અને સમાજમાં તિરસ્કાર પામેલ લક્ષ્મીબાઈ અને રમણી જેવી ગણિકાઓ ને નટી વિનોદિની જેવી અભિનેત્રીઓને, વૃંદા અને ભગવતી જેવી દાસીઓને પણ તેઓ શરણ આપે છે. દાયણ, ધની લુહારણ, ખેતીની મા, વગેરે નિમ્ન કુળની સ્ત્રીઓ પર પણ પોતાનો પ્રેમ અપાર વરસાવે છે. રાણી રાસ મણીના જમાઈ મથુરબાબુ, લક્ષ્મીનારાયણ મારવાડી, એવા કેટલાય ધનાઢ્યો તેમની કૃપાના પાત્ર બન્યા છે. તો દેવઘરના કંગાલો, રાણાઘાટના દરિદ્ર ખેડૂતો, શ્રી દેવેન્દ્રનાથ મજુમદાર જેવા ગરીબ ભક્તો પણ તેમની કૃપા પામ્યા છે. વૈશ્રવણચરણ, ગૌરીપંડિત, નારાયણશાસ્ત્રી, પદ્મલોચન જેવા પંડિતોને કેશવચંદ્ર સેન, શિવનાથ શાસ્ત્રી જેવા બ્રહ્મસમાજના નેતાઓને, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ શ્રી અધરલાલ સેન, કેપ્ટ્ન જેવા સરકારી અમલદારોને, અનેક દાક્તરોને અને સમાજમાં સુપ્રતિષ્ઠ વ્યક્તિઓને શ્રીરામકૃષ્ણદેવ જેટલો પ્રેમ કરતા એટલો જ પ્રેમ રસિક મહેતર, દક્ષિણેશ્વર મંદિરના દરવાન હનુમાનસિંહ, માળી ભાત્રાભારી, રસોયા ઈશ્વર ચાટુજય, કામરપુકુરના શંભુ કુમાર, મધુ જુંગી, ચંડા ઓઝો, કાશીપુરના રસોયા ગાંગુલી, મીઠાઇવાળા ફાગુ, ઘોડિયાવાળા વેણી શાહ, વગેરેને પણ તેઓ એટલો જ પ્રેમ કરતા. સર્વ ધર્મના અનુયાયીઓ પર તેમની કૃપા સમાન રૂપે વરસતી. ખ્રિસ્તી ધર્મના સાધુ પ્રભુ દયાલ મિશ્ર અને વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર દેવની સમાન કૃપા વરસે છે.
એકવાર રામકૃષ્ણ મઠ અને મિશનના દસમાં પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજીને કેટલાક બ્રહ્મચારીઓએ વિનંતી કરી કે મહારાજ આપે તો શ્રી મા શારદા દેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવવી છે. અમને આપના મુખેથી એમની વાતો સાંભળવી છે. પહેલા તો પૂજ્ય મહારાજે વાત નકારતા કહ્યું, એ બધી વાતો તમને શ્રી મા વિશે પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવશે. તો પણ તમે આટલો આગ્રહ કરો છો તો શ્રી મા એ કહેલી અત્યંત મૂલ્યવાન એક વાત તમને કહી દઉં. શ્રી મા શારદાદેવી કહેતા કે આ વખતે શ્રી રામકૃષ્ણ દેવે આવી કૃપાના દરવાજા ખોલી નાખ્યા છે. એનો અર્થ સમજવા જેવો છે. આ પહેલા ગર્ભ મંદિરમાં સ્થપાયેલ ઈશ્વરની મૂર્તિના દર્શન કરવા દરવાજા ઉઘાડવા પડતા, તાળું ખોલવું પડતું, પણ શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી હવે આ દર્શન અત્યંત સુલભ થઇ ગયા છે. તાળું ખુલી ગયું છે, દરવાજા માત્ર વાસેલા છે, માત્ર એક ધક્કો દેવાથી ખુલી જશે. એકવાર એક ભક્તે શ્રી મા શારદા દેવીને કહ્યું, ‘મા મને બહુ ડર લાગે છે.’ મા એ કહ્યું, દીકરા, તે શ્રી રામકૃષ્ણ દેવનું શરણ લીધું છે પછી ભય શેનો? જો શરણાગતની રક્ષા તેઓ ન કરે તો તો એ તેમનો મહા અપરાધ થશે. તો પછી હવે આપણને ભય શેનો?
ચાલો શંસયરહિત થઈએ, ચિંતા મુક્ત થઈએ, અને શ્રી રામકૃષ્ણ દેવના શરણમાં જતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Jul 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી ઠાકુર પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની તેર મી અને ચૌદ મી પંક્તિઓમાં સ્વામી શ્રી વિવેકાનંદજી બહુ જ ગુઢાર્થ સાથે બે વાતો કહે છે.
निर्भय गतसंसय दृढ़निश्चय मानसवान निष्कारण भक्त शरण त्यजि जाती कुल मान.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદ્જી બે અર્થ કરી આપે છે,,,.
એક તો ‘હે પ્રભુ તમે નિર્ભય છો, તમે સંશય રહિત થઈ ગયા છો, તમે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવો છો, તમે કારણ રહીત છો, ભક્તોના શરણરૂપ છો, તમે જાતિ અને કુળ નું અભિમાન ફગાવી દીધું છે.’
બીજો અર્થ આવો પણ થઈ શકે, ‘હે પ્રભુ, તમે જાતિ-કુળનો ભેદભાવ રાખ્યા વગર વિના કારણે સૌ ભક્તોને શરણ આપો છો તેથી અમે નિર્ભય થઈ ગયા છીએ. અમારા સંશયો જતા રહ્યા છે. અમે હવે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવતા થઈ ગયા છીએ.’
બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય જનકને કહે છે, ‘अभयं वई प्राप्तोसी जनक्य’ જનક, તમે અભયને પામ્યા છો. બસ, એમ જ નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ નીડર હતા. કામારપુકુર ગામના સ્મશાનમાં મધરાતે ઊંડા ધ્યાનમાં મગ્ન રહેતા, નીડરતાથી સત્યનું પાલન કરતા, ધનવાન કે મોટા માણસો એવી પરવાહ કરતા નહીં અને નીડરતાથી પોતાના સિદ્ધાંતો પ્રમાણે વર્તન કરતા હતા.
શ્રી રામકૃષ્ણ દેવનું મન નાનપણથી જ દૃઢ નિશ્ચયવાળું હતું. ઉપનયન વખતે એમણે જીદ લીધી કે પ્રથમ ભિક્ષા ધની લુહારણ પાસેથી જ લેશે. ઘણા લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, આવા ઉચ્ચ વંશીય બ્રાહ્મણ હોવા છતાં નિમ્ન જાતિની સ્ત્રી પાસેથી જો તે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે તો બ્રાહ્મણ ધર્મ નષ્ટ પામશે. પણ નાના બાળક ગદાઘરનો તર્ક હતો કે તેમણે ધની લુહારણ ને વચન આપ્યું છે કે તેના હાથેથી જ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે. જો હવે તેઓ આ સત્યનું પાલન ન કરે તો બ્રાહ્મણનો મુખ્ય ધર્મ સત્ય પાલન નહીં સચવાય. તો પછી ઉપનયન સંસ્કારથી લાભ શું થશે? છેવટે સગા-વ્હાલાઓએ નમતું જોખવું પડ્યું.
તોતાપુરી પાસેથી અદ્વૈત વેદાંતની સાધના શીખવાની ભૈરવી બ્રાહ્મણીએ શ્રી રામકૃષ્ણ દેવને ના પાડી હતી. આથી તેના ભક્તિભાવને હાનિ પહોંચશે એવું માનીને તેમણે આમ કહેલું. પણ શ્રી રામકૃષ્ણ દેવ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. અદ્વૈત વેદાંતની ચરમસીમા નિર્વિકલ્પમાં આરૂઢ થયા. પોતાની ભક્તિને આંચ આવવા ન દીઘી એટલું જ નહીં, તોતાપુરીને પણ જગન માતાના ભક્ત બનાવી દીધી. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘હું અને મારું એ જ અજ્ઞાન.’ કાચા આમી એટલે કાચો અહમ, અને પાકા આમી એટલે પાકો અહમ. કાચો આમી કહે છે હું અમુક જાતિનો છું, અમુક કુળનો છું, હું આટલો બુદ્ધિમાન છું, મારી પાસે આટલું ધન છે, આવડો મોટો બંગલો છે, વગેરે વગેરે… પાકો અહમ કહે છે કે હું ઈશ્વરનો દાસ છું, સેવક છું, વગેરે વગેરે… પોતાના જીવન દ્વારા શ્રી રામકૃષ્ણ દેવે પ્રદર્શિત કર્યું કે મનુષ્ય કેટલી હદ સુધી નિરહંકારી રહી શકે અને કેવી રીતે અહમના સકંજામાંથી નીકળી શકે. આવી અદભુત નિરહંકારીતા વિશ્વના ઇતિહાસમાં અન્યત્ર જોવા મળતી નથી.
દક્ષિણેશ્વરના મંદિરની નજીક વસતા ભંગીના ઘરમાં શ્રી રામકૃષ્ણ દેવ મધરાતે જતા. પોતાના માથાનાં લાંબા વાળથી તેનું આંગણું સાફ કરતા. અને સાથે-સાથે પ્રાર્થના કરતા ‘હે જગનમાતા, મને ભંગીનોય નોકર બનાવી દે, મને એ અનુભવ કરવા દે કે હું એ લોકોના કરતાંય ઉતરતો છું.’ ક્યારેક તો મંદિરના કર્મચારીઓના જાજરૂ પણ પોતાના લાંબા વાળથી સાફ કરતા. મંદિરમાં ભિખારીઓ જયારે જમીને પરવારતા ત્યારે તેની એંઠી પાતરો પોતાના માથા પર લઈ જતા. આવી રીતે સાધના કરતા-કરતા એવી અવસ્થા આવી કે, તેમનામાં અહમ લેશમાત્ર રહ્યો નહીં. પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા. નામ યશની લેશમાત્ર સ્પૃહા શ્રી રામકૃષ્ણ દેવના મનમાં ન હતી. બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન તેમના પરમ અનુયાયી હતા. તેમની પ્રશંસા પોતાના સામાયિકોમાં પ્રકાશિત કરતા. શ્રી રામકૃષ્ણ દેવને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આમ કરવાની ના પાડી. શ્રી કેશવચંદ્ર સેને જયારે કહ્યું કે આ બધી વાતો લોકોને ખબર પડવાથી તેઓનું કલ્યાણ થશે ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે ઉચ્ચ ભાવાવસ્થામાં આવીને કહ્યું, અહીનો એટલે કે મારો સંદેશો ફેલાવવાનો સમય હજી આવ્યો નથી. આ વિચારો પછીથી પોતાની મેળે જ સમસ્ત જગતમાં ફેલાશે, સેંકડો હિમાલયો પણ તે શક્તિને ખાળી શકશે નહિ. આટલું કહેતા તો તે દેવસમાધિમાં ચાલ્યા ગયા હતા.
શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી પ્રેમાનંદજી એકવાર દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવનાં ઓરડામાં સુતા હતા. મધરાતે તેમની ઊંઘ ઉડી ગઇ. જોયું તો રામકૃષ્ણ દેવ ઉન્માદની જેમ ઓરડામાં માથા મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, મા, આ કીર્તિનું પોટલું પાછું લઈ જા. મારે નામ, યશ નથી જોતા. દઈશ નહિ… દઈશ નહિ… માં હું એ પોટલાં ઉપર થુકું છું. એકવાર કૈલાશ ડોક્ટર દક્ષિણેશ્વરનાં મંદિરમાં આવ્યા. બગીચામાં ભાતભાતનાં ફૂલો જોઈ આનંદિત થયા. બગીચાની પાસે લટાર મારતો એક માણસ હતો. તેને માળી સમજી તેને બે-ચાર ફૂલો ચૂંટી આપવાનું કહ્યું. એ માળી જેવા માણસે નમ્રતા પૂર્વક ફૂલો આપ્યા. થોડા દિવસ પછી પરમહંસ દેવનું નામ સાંભળી તેમના દર્શન કરવા આવ્યા ત્યારે તેઓ લજ્જિત થઈ ગયા. કારણ કે જેમની પાસેથી એમણે ફુલ માંગ્યા હતા તે અન્ય કોઈ નહીં પણ શ્રી રામકૃષ્ણ દેવ હતા.
એકવાર કોનનગરના એક પ્રસિદ્ધ ન્યયાયિક પંડિત દીનબંધુ શ્રી રામકૃષ્ણ દેવને મળવા આવ્યા. શ્રી રામકૃષ્ણ દેવે તેમને નમસ્કાર કર્યા. પંડિતજી એ નમસ્કાર કરવાને બદલે પૂછ્યું, આપ શું અમારા પ્રણામને યોગ્ય છો? રામકૃષ્ણ દેવે કહ્યું, હું તો બધાનો દાસ છું. મારા મતે સૌ પ્રણામ કરવાને યોગ્ય છે. પંડિતજી એ ફરી પૂછ્યું, આપે મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. મારો પ્રશ્ન છે, આપ મારા પ્રણામને યોગ્ય છો કે નહિ? શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, આ વિશ્વસૃષ્ટિમાં હું પોતાને સૌથી નાનો માનું છું. સૌનો દાસાનુદાસ છું. મારા માટે સૌ પ્રણમ્ય છે. પંડિતજીએ નારાજગીથી કહ્યું, મારો પ્રશ્ન હજી તમે સમજતા નથી. આપના ગળામાં યજ્ઞ પવિત નથી માટે આપ બ્રાહ્મણોના પ્રણમ્ય નથી. પણ જો આપ સંન્યાસી હોવ તો આપ પ્રણમ્ય છો. એટલે પૂછું છું કે શું આપ સંન્યાસી છો? પણ શ્રી રામકૃષ્ણ દેવે ફરી એનો એ જ જવાબ આપ્યો, હું સંન્યાસી છું એમ તેઓ કહી ન શક્યા. આમ અનેક પ્રકારના દુઃખોને નિર્ભય થઈને પડકારોની સામે અભય રહીને જીવન જીવનારા શ્રી રામકૃષ્ણ દેવ ની આરતી માં રામકૃષ્ણ દેવ માટે સ્વામી શ્રી વિવેકાનંદે निर्भय गतसंसय એવો પ્રયોગ કર્યો છે.