II’ભાવ મુખે જ રહેજે’II (09)

 

 

 

 

 

 

 

 ઈસુએ  કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ.

 

શ્રીમદ ભાગવત (11.3.27)ના વચનો પ્રમાણે,

શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેરદભુતકર્મણ: I

જન્મકર્મગુણાનમ ચ  તદર્થડખિલચેષ્ટીતમ II

અસાધારણ કર્મો કરનારા શ્રી હરિ ના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવાં.

શ્રીમદ્દ ભાગવતજીના કથન  પ્રમાણે આપણે શ્રી હરિ નિમિત્તે જ શ્રી રામકૃષ્ણ દેવની પ્રશસ્તિ સમાન શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ સ્તવનનું રસપાન કરી રહ્યા છીએ.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:

जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय ની વિગતે ચર્ચા કરેલ છે.

ચોથી કડીની આઠમી પંક્તિ છે …

નિરોધન, સમાહિત મન, નિરખિ તવ કૃપાય ||….

અર્થ એવો કે,

(એક) હે પ્રભુ,  તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.

અથવા

(બે) હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.

સ્વામીશ્રી નિખિલેસ્વરાનંદજી સમજાવે છે કે, હકીકતમાં બંને અર્થ સાચા છે. આ વાતનું એમનું ઊંડાણ જાણવા માટે સ્વામીશ્રી આપણને  ગોસ્વામી તુલસીદાસજીએ રચેલ વિનયપત્રિકા નામના અદભુત ભક્તિ પૂર્ણ ગ્રંથમાંથી  એક રસપ્રદ વાત કરે છે.  એકવાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, ‘રામના પ્રેમને ખાતર મને એક હત્યારાને કંઈક ભિક્ષા આપો’. પોતાના ઇષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ એ માણસને પોતાની ધેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે, એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચૂષ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે, હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે? તુલસીદાસજી એ જવાબ આપ્યો, તમારા પોતાના શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો. બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. બ્રાહ્મણોએ તો પ્રમાણ માંગ્યું. તરત જ તુલસીદાસજી સંમત થયા કે, જો વિશ્વનાથ મંદિરના નંદી આ હત્યારાના હાથેથી ખાય તો તેઓ સૌ તુલસીદાસજી ની વાત સ્વીકારી લેશે. સૌ સંમત થયા. તે માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને હકીકતમાં નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું. આમ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે, આંતરિકતા પૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તિનો સ્વીકાર કરે છે.

ઈસુ એક સરોવરને કિનારે ચાલતા હતા. તેમના બે માછીમાર ભાઈઓ સીમપેન પીટર અને તેના ભાઈ અન્દ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈએ માણસરૂપી માછલાં પકડવામાં ઈસુની પાછળ ચાલ્યા. આ વાત બાઈબલના ‘નવો કરાર’માં મેથ્યુના નામથી  લખેલી છે.

શ્રી રામે મિથિલાવાસીના મન મોહી લીધા હતા. શ્રી કૃષ્ણ ફક્ત માખણચોર નોહતાં ચિત્ત ચોર પણ હતાં. ઉદ્ધવજી જયારે ગોપીઓને સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો ભગવાન છે તેમનું ધ્યાન ધરો, ત્યારે ગોપીઓ કહે છે ‘उद्धो मन होत ना दस विस्’, ‘હે ઉદ્ધવ, મન તો એક જ હોય છે, દસ-વિસ નથી હોતા.’ જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે. શ્રી રામકૃષ્ણ કથામૃતનાં લેખક માસ્ટર મહાશય એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને વહાલથી રોજ લોકો ‘મ’ કહેતા તેઓ  સંસારના દુઃખોથી આક્રાંત થઈને તેઓ ઘરેથી નીકળ્યા હતાં. આત્મહત્યા કરવાનો તેમનો ઈરાદો હતો. ફરતાં-ફરતાં તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં આવ્યા અને પહેલી જ વાર દર્શન કર્યા શ્રી રામકૃષ્ણ દેવના અને કુશળ માછીમારની જાળમાં સપડાઈ ગયા. નવું જીવન મળ્યું. આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો અને પછી તો કથામૃત ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા. આજે પણ તે કથામૃત અનેક લોકોને સપડાવી રહ્યું છે. કેટલાય ને આ કથામૃત ગ્રંથના વાંચન દ્વારા આત્મહત્યા રુપી મહાપાપમાંથી બચાવવાનું બન્યું છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ સ્તવન માટેના સુંદર પુસ્તકમાં અધ્યક્ષ સ્વામીશ્રી વર્ણવે છે કે, અદભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવનું દર્શન ભવસાગરના દિવ્ય માછીમારરૂપે થયું. પ્રથમ દર્શનનું વર્ણન કરતાં તેઓ કથામૃતમાં લખે છે:  ઓરડામાં શ્રી રામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે અને બારણા બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસ દેવે બેસવાનું કહ્યું એટલે માસ્ટર જમીન પર બેઠા. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, ક્યાં રહો છો?, શું કરો છો?, અહીં  શા માટે આવ્યા છો? માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે,  ઠાકુર વચ્ચે-વચ્ચે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે, એવી અવસ્થા નું નામ ભાવ. પછી તો આ દિવ્ય માછીમાર શ્રી રામકૃષ્ણ દેવની પ્રેમરૂપી જાળમાં એવા તો સપડાઈ  ગયા કે,  તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા.

જાળ નાખીને માછલાને પકડી લાવવા માટે  મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રી રામકૃષ્ણ દેવ એક માછીમારનું ઉદાહરણ આપે છે. એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલાં પકડવાની સોટી કેટલીકવાર પછી ઉપરનું બરું હાલવા લાગ્યું. વચ્ચે-વચ્ચે થોડું આડું થવા લાગ્યું,   ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે,  ભાઈ અમુક બ્રાહ્મણનું ઘર ક્યાં છે, બતાવી શકશો? કશો જવાબ નથી મળતો. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો જાય છે. આ તરફ બરુ  ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું  બહાર ખેંચી લીધું. એ પછી અંગુઠાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, શું પૂછતાં હતા તમે? એ વખતે બરુ ડુબતું હતું એ વખતે હું કાંઈ સાંભળી શક્યો નહિ….બસ,  ધ્યાનમાં આવી એકાગ્રતા થાય કે બીજું કશું દેખી ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શનું પણ જ્ઞાન ન રહે. (શ્રી રામકૃષ્ણ કથામૃતનાં ભાગ ત્રીજામાં એકાવનમાં પૃષ્ઠ પર આ પ્રસંગ લખેલો છે.) શ્રી રામકૃષ્ણ દેવ જેમનો સ્વીકાર કરતાં તે ભક્તોનાં મનમાં પણ આવી જ એકાગ્રતા લાવી દેતાં.અને તેથી સ્વામી વિવેકાનંદે તેમને નીરોહિત અને સમાહિત મન વાળા કહ્યા છે. અને પ્રાર્થના કરી  કે,  અમારું મન પણ નિરોધીત અને સમાહિત થઈ જાય  એવી આપ કૃપા કરો.

વેદાંતની સાધના પછી શ્રી રામકૃષ્ણદેવને અવારનવાર સમાધિ લાગી જતી. લગભગ નિરંતર છ મહિના સુધી તો એ સાધના પૂરી થયા પછી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા. અને આ પછી જગનમાતાનો આદેશ થયો, ‘ભાવ મુખે જ રહેજે’. આ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ દેવનું દેવજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે, એકવાર  ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરયુક્ત થઈ ગયા.

સ્વામી વિવેકાનંદજી કહેતા કે મનની બહારની જડ  શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો ટિપતો, ઘડતો, અને સ્પર્શ માત્ર થી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો તેનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય દીઠો નથી. ( શ્રી રામકૃષ્ણ લીલા ભાગ-3, પૃષ્ઠ-75)

સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ દેવને મળવા બીજીવાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવવા તત્પર થયા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું કે  તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભરમાં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ, ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુદ્ધા, ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર-ચક્કર ફરતી ક્યાંય લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે-સંગાથે મારું હું પણું જાણે કે સર્વગ્રાસી મહા શૂન્યમાં  એકાકાર થવાને ધસમસી રહ્યું છે. ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે હું પણાનો નાશ તે જ તો મૃત્યુ છે. એ જ મૃત્યુ સન્મુખે સાવ પાસે ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કરી નાખ્યું?  મારે તો મા-બાપ છે. અદભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ  કરતા કહેવા લાગ્યા, તો પછી હમણાં રહેવા દે, એકી સામટુ જરૂરી નથી. સમય આવે થશે. નવાઈ ની વાત તો એ છે કે એમણે સ્પર્શ કરીને એવું કહ્યું હતું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક આલોપ્ થઈ ગયો. અને ઓરડાની અંદરનાં અને બહારનાં બધા પદાર્થો પહેલા હતા તેમ જ રહેલા. મને દેખાવા લાગ્યા.

શ્રી મા શારદા દેવી કહેતા કે,  આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરનાં અવતારને કેમેરામાં બંધ કરી દીધા છે. તેઓ કહેતા છાયા અને કાયા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. ત્રણેય વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને રામકૃષ્ણ દેવે કહ્યું હતું, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે. પછીથી ઘેર-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રી મતિ નિસ્તારિણી ઘોષને શ્રી રામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું કે,  આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફરશે, લોકો પોતાનાં ગજવામાં ઘડિયાળની ચેઈનમાં રાખશે. ખરેખર આજે એ જ બની રહ્યું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું તેમાં સુર પુરાવીને કહીએ, ‘હે પ્રભુ તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે તમારું મન સમાહિત થયેલું છે. અમારું મન પણ કૃપા કરીને સમાહિત કરી દો’. હરિ: ૐ…

સમન્વયના મસીહા અને વિશ્વના આદર્શ શ્રી રામકૃષ્ણ દેવ (08)

 

 

 

 

 

 

શ્રી અરોબિંદોએ લખ્યું  કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:

‘ जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय’

તેનો અર્થ : ‘હે જગદીશ્વર, હે યોગના સહાયક, તમે આ યુગના અવતાર રૂપે પ્રાગટ્યા છો.

શ્રીમદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે ધરતી પર અવતરે છે. આપણી સમાજ માટે એવું યાદ રાખીએ કે, આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ સ્વરૂપે ઈશ્વર આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ છે યોગમાં સહાયરૂપ થવું.

સ્વામી શારદાનંદજી દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે તે મુજબ ગદાધરના શુભ જન્મ મુહૂર્ત સંબંધે શાસ્ત્રજ્ઞ ખુદીરામજીએ નવજાત શિશુની જન્મકુંડળી માંડવા જતાં જોયું કે, વિશેષ શુભ ક્ષણે આ બાળકે સંસારમાં પ્રવેશ કરેલો છે. બીજા વિદ્વાન જોષીઓ દ્વારા બાળકના જન્મ સમયની પરીક્ષા કરીને ખુદીરામને કહ્યું કે, બાળકે જે ઉચ્ચ લગ્નમાં જન્મ ગ્રહણ કરેલો છે તે સંબંધિત જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આવી વ્યક્તિ ધર્મજ્ઞ અને માનનીય થાય અને સર્વદા પુણ્ય કર્મના અનુષ્ઠાનમાં રત રહે. ઘણા શિષ્યોથી વીંટળાયેલ રહીને એ વ્યક્તિ દેવ મંદિરે વાસ કરે અને નવીન સંપ્રદાય પ્રવર્તાવીને નારાયણના અંશ ભુત મહાપુરુષ તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામી બધે ઠેકાણે લોકોમાં પૂજાય. શ્રીયુક્ત ખુદીરામનું મન આ હકીકત જાણવાથી એકદમ વિસ્મય પૂર્ણ બન્યું !!

આપણા પતંજલિ યોગસૂત્રમાં કહ્યા મુજબ   ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપોમાં ગુરુઓના ગુરુ છે, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં પ્રકાશિત થયો છે. તેમના અવતારની વિશિષ્ટતા એ છે કે, તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ જન્મ્યા નથી. પણ વિભિન્ન ધર્મના, પંથોના,વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના, સાધકો માટે સહાયરૂપ બનવા શ્રી ઠાકુર પધાર્યા છે. એમણે પોતાની પ્રયોગશાળામાં અનેક ધર્મોની, અનેક મતોની, અને અનેક ભાવોની સાધના કરી છે, અને પછી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાંથી નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગનમાતાના આદેશ પ્રમાણે ભાવમુખ અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું છે.

ગુરુના સંબોધનથી તેઓ નારાજ થતા, તેમ છતાં અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હશે તેનું વિશદ વર્ણન અને સાત્વિક મીમાંસા સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગોમાં કરેલી છે. શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો. આ વાતને પોન્ડિચેરીનાં મહર્ષિ અરોબિંદોએ સ્વીકારી છે. શ્રી અરોબિંદોએ એક શિષ્યને લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. આ વિગત ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટ્રલ લાઇબ્રેરી’ના વોલ્યુમ 27ના પૃષ્ઠ 435 ઉપર લખેલી છે. આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા મહર્ષિ અરવિંદ લખે છે કે, આ બધા આત્માઓમાં શ્રી રામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા, કારણ કે બીજાઓ ઈશ્વરને એના એક માર્યાદિત અંશમાં અનુભવી શક્યા હતા. ત્યારે ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે, એની અનંત એકતામાં શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરાનૂભુતિ કરી હતી.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં આધારો ટાંકીને અનેક વાતો કહે છે, શ્રી ઠાકુરના અવતારથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સુર પ્રધાન સુર બની રહ્યો ! ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો. ઇસ્લામે પણ કોશિશ કરી. મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે તે શ્રી રામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વનાં વિખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચારીઓ, શ્રી રામકૃષ્ણ દેવને સમન્વયના મસીહા વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉન એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘ગોડ ઓફ ઓલ’માં શ્રી રામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરે છે.

શ્રી રામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેન્ચ મનીષી રોમા રોલા લખે છે કે, યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખર નું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રી રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે 2000 વર્ષના ગાળા ઉપર પથરાયેલા 30 કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. આર્નોલ્ડ ટોએલબી કહે છે કે, શ્રી રામકૃષ્ણ દેવ પૃથ્વી પર એવા સમયે અવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી.

સાર તારવતા સ્વામીજી કહે છે કે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવ જાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય છે.

આજે વૈશ્વિકીકરણ નો યુગ છે. પરંતુ આ યુગમાં માનવ-માનવ વચ્ચે અંતર વધી રહ્યું છે.. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્ક સંમત હોય, સંપ્રદાય કે નાત-જાતના ભેદભાવથી પર હોય, સર્વ પ્રત્યે સંવાદિ સુર વાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ પ્રેયસ અને શ્રેયસ સાધનારા ધર્મની આવશ્યકતા છે. આ યુગની આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર્યા છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણના જન્મ સાથે સત્યયુગ નો પ્રારંભ થયો છે. આ અનેક વિદ્વાનોના અનુભૂતિના શબ્દો આપણને એ સ્વીકારવા પ્રેરે છે કે, આ પ્રાર્થનાની પંક્તિમાં કહેવાયું તેમ તેઓ યોગના મહાસહાયક છે, અને આ યુગના અવતાર રૂપે પ્રગટેલા જગદીશ્વર છે. આપણે સૌ શ્રી રામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘ હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે પણ અમને એ અનુભવ થાય તે માટે અમારી યોગ સાધનામાં સહાયરૂપ થાઓ કે જેથી અમે સત્યયુગનો અનુભવ કરી શકીએ.(ક્રમશ:)

‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ !’ (07)

 

 

 

 

 

 

શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ કહે, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’.

વિવેકાનંદજી કહે છે કે,  ‘भक्तार्जन युगलचरण  तारण भव पार’ ભક્તનાં સંપદરુપ તમારા ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનાર છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ અને વિવેકાનંદ વિચારધારાના સાધક સ્વામી  શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્તિકમ” માં ભક્ત હૃદયને સ્પર્શે તેવી વિગતો આપતા લખાયું છે કે,

1 જાન્યુઆરી 1886 શ્રી રામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થવાથી કોલકતામાં કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરનાં લગભગ  ત્રણ વાગે તેઓ ઉપરનાં ઓરડામાંથી નીચે આવી ગયાં અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યાં. ઘણા દિવસો પછી આજે કંઈક સ્વસ્થ હોવાથી નીચે ઉતાર્યા છે એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો તેમની પ્રતીક્ષામાં છે. તેઓ પણ શ્રી રામકૃષ્ણ દેવની પાછળ પાછળ ચાલ્યા કરે છે. ફાટકથી લઈને રહેવાનાં ઓરડા તરફ જતા અધવચ્ચે  એક ઝાડ તળે શ્રી રામકૃષ્ણ દેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત, વગેરે ભક્તોને બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, ‘ગિરીશ આ તું સૌને આટલી વાતો કરતો કરે છે જેમાં અવતાર તત્વની વાત હોય છે. તો તે મારામાં શું જોયું છે? તું શું સમજ્યો છો ? બોલ’. સાંભળીને જરાં ગિરીશ ઘોષ તો અચકાયા પણ એમણે જાજો વખત ન લીધો એમણે તાત્કાલિક કહ્યું, કે ગિરીશ ઘોષ તેમના ચરણોમાં જમીન પર  માથું ટેકવીને બેસી ગયા. અને મોઢું ઉંચુ કરીને હાથ પકડીને ગદગદ સ્વરે બોલી ઉઠ્યા, ‘ વ્યાસ, વાલ્મિકી જેમનો પાર પામી નથી શક્યાં એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું?’ ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકેએક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ ગયાં. અને એમની તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’. ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સુધ-બુધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતા વેત જ ભાવસમાધિમાં ચાલ્યા ગયા. આજે ગયેલા સૌ ભક્તોને લાગ્યુ જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વ્હાલથી યાદ કરી રહ્યા છે.  આવી રીતે ઘણાં ભક્તોને દિવ્ય અનુભવ થયા છે. ઘણા લોકો આવી ઘટનાઓને શ્રી રામકૃષ્ણ દેવનું કલ્પતરુ બનવું એમ કહીને વર્ણવે છે. 1 જાન્યુઆરીને ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલી થી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે અને લાખો ભક્તો જોડાય છે. 1 જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીના દર્શન કરવા લોકો સવારના ચાર વાગ્યાથી કતારમાં ઊભા રહે છે. શ્રી રામકૃષ્ણય પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજ  લખે છે કે, આ ઘટનાને  ઠાકુર ‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ’ કહીને સૌને કીધેલું અભયદાન એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે. કારણ કે કલ્પતરુ તો માંગનારને વાંછિત વસ્તુ આપે સારી હોય કે નરસી હોય. પણ શ્રી રામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવ માનવત્વનો અને સર્વજનોને વિના ભેદભાવે દીધેલા અભયઆશ્રયનો સ્પષ્ટ પરિચય આપેલો. સ્વામી શ્રી વિવેકાનંદજી દ્વારા રચિત  શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના પદમાં એક વિશેષ પ્રયોગ કરે છે ‘भक्तार्जन युगलचरण’. ભક્ત ચરણની વાત આ રીતે સાંકળી લેવમાં આવેલ છે.

શ્રી રામકૃષ્ણ દેવ કલ્પતરુ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સુવામાટે પથારી હોય તો  કેવું સારું?  તેને શું ખબર કે તે કલ્પતરુની નીચે બેઠો છે. મનમાં વિચાર આવતા જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસે વિચાર્યું હવે ભૂખ લાગી છે. કંઈક  ખાવાનું મળી જાય તો કેટલું સારું. તરત જ ભાતભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું. વિચારતા જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ જે પગ દબાવવા માંડી અને તે માણસ ઘસઘસાટ ઊંઘી ગયો.થોડીવાર પછી ઉઠીને પછી તેણે વિચાર કર્યો, ‘ લાવ નજર તો નાખું કે કઈ જગ્યાએ આવ્યો છું.’ ચારે તરફ ગાઢ જંગલ જોતા જ તેના મનમાં વિચાર આવ્યો ‘ઓહ, આવું ગાઢ જંગલ, અહીં વાઘ આવી જશે તો?’ અને આમ વિચારતાં ત્યાં એક વાઘ દેખાયો. વાઘને જોતા જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો’? આ વિચાર ઉપર વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો. આ વાર્તા સંભળાવી શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે, ભગવાનને પ્રાર્થના કરતી વખતે સાવધાન રહેવું જેથી લૌકિક કામનાઓ મનમાં ન આવે. કારણ કે ભગવાનતો કલ્પતરુ છે જે માંગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો તો તે પુરી થશે પણ સાથે-સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ તમારી પાસે આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.

એક ભક્ત પ્રાર્થના કરે છે ‘ હે પ્રભુ, તમે તો અહૈતુક દયાસિંધુ છો, વારંવાર મારા ઉપર અહૈતુક કૃપા વરસાવો છો. તમે જાણે કે મારા માટે કલ્પતરુ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરી કલ્પતરુ બનશો નહિ કારણ કે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી. અજાણતા જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ. માટે ‘ હે પ્રભુ, મારા માટે આપ કલ્પતરુ બનશો નહી.’

શ્રી રામકૃષ્ણ દેવ અહૈતુક દયાસિંધુ છે. તેમનો આ આશીર્વાદ હોય છે કે ‘ચૈતન્ય થાઓ’.  શ્રી રામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી. ‘હે જગતગુરુ, ચારે તરફથી અમને વિપતિઓ આપો કારણ કે ત્યારે જ તમારું સ્મરણ કરવાથી તમારા દર્શન થાય છે જે જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે’. બસ, એ જ રીતે અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઉભરાતા હ્રદયે મૃદુ સ્વરમાં સ્વામીજી પણ કહે છે કે , ‘જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન તેના શ્રી ચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે તે પ્રેમ પેલા શ્રી ચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય ક્યાં સ્થળે માનવીઓ શરણું લેવા જશે?

સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવની વિશિષ્ટતા ગણાવતા લખે છે કે,  શ્રેય ઠાકુર તો  ભવસાગરથી પાર  ઉતારે છે. અને એટલે છઠ્ઠી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી લખે છે ‘वक्तार जेने युगल चरणं तारण भवपार’ આપણી સામે યુગલ ચરણો છે અને એમાંથી આશીર્વાદ મેળવીને આપણે ભવપાર કરવાનો છે.(ક્રમશ:)

 

 

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત “શ્રી રામકૃષ્ણ જ્યોત” માસિક પ્રકાશનના જૂન:૨૦૨૬ ના અંકમાં પ્રકાશિત પરિચયાતમક લેખ.

શ્રદ્ધેય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીના અહોભાવ ને સાદર પ્રણામ સાથે… જય ઠાકુર

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રી રામકૃષ્ણ આશ્રમ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં એમ.એડ.; અને ૧૯૮૮માં પીએચ.ડી. કર્યું અને આ બધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યા છે. પ્રાથમિક શિક્ષણથી લઈને છત્રીસ વર્ષની સફર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાન પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા. કે.જી.થી પી.જી. સુધીની તેમની આ શિક્ષણયાત્રા બહુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે.

ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીય-શિક્ષણના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક છે. ૧૨ જેટલા સ્કોલર્સ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ચૂક્યા છે. તેઓ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી.ની ઇન્ટર યુનિ. ઇન્સ્ટિટ્યુટના પ્રૉફેસર અને ડાયરેક્ટર રહ્યા, ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામક તરીકેનો વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ વિક્રમજનક Examination Reforms કરેલ છે, જેની સમગ્ર દેશે નોંધ લીધી છે. તેમણે અદાણી ફાઉન્ડેશન, અમદાવાદના Advisor-Education તરીકે પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે. તેઓ લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, (જિલ્લો : ભાવનગર) ના પ્રથમ કુલપતિ રહ્યા છે.

ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક અને ઉત્તમ વક્તા છે. તેમનાં પાંત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. “હૈયું-મસ્તક-હાથ” પુસ્તક ૨૦૧૦નું બેસ્ટ-સેલર પુસ્તક રહ્યું છે, જયારે “મુઠ્ઠી ઊંચેરાં ૧૦૦ માનવ-રતો” ૨૦૧૫નું બેસ્ટ સેલર માઈલસ્ટોન પુસ્તક છે. તેઓ ગુજરાતી વર્તમાનપત્રો ‘દિવ્ય ભાસ્કર’, ‘ફૂલછાબ’ અને ‘કચ્છમિત્ર’ના પ્રખ્યાત કટાર લેખક છે.

છેલ્લાં ૬૦ વર્ષથી દર વર્ષે સ્વામી વિવેકાનંદ વાર્ષિક સ્પર્ધાઓ આશ્રમ દ્વારા યોજવામાં આવે છે. તેમાં તેઓ જયારે ચાર વર્ષના હતા, ત્યારે પહેલી વાર ભાગ લીધો હતો. એ સ્પર્ધા હતી મુખપાઠની. એમાં એક ફકરો આપવામાં આવતો, જે મુખસ્થ કરીને સ્પર્ધામાં બોલવાનો રહે છે. તેમને આપવામાં આવેલ ફકરો સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ-ધર્મસભામાં જે પ્રવચન આપ્યું હતું, તેમાંથી લેવામાં આવ્યો હતો. તેમાં તેઓ પ્રથમ આવ્યા અને આશ્રમના નિયમ મુજબ તેમને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં. ત્યારથી એટલી નાની ઉંમરે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાથી તેમની વાંચનની યાત્રા શરૂ થઈ. દર વર્ષે સ્પર્ધાઓમાં ભાગ લેવો અને નંબર લાવીને પુસ્તકો લાવવાં એ જાણે એમનો ક્રમ બની ગયો. તેમની આ વાંચન-યાત્રા યુવાનીમાં પણ ચાલુ રહી. શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયનો તેમણે ભરપૂર લાભ લીધો છે.

એક વખત પ્રો. જનાર્દનભાઈ વૈદ્ય, કે જેમણે કેટલાંયે વર્ષો સુધી આશ્રમના પ્રકાશન વિભાગમાં નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવાઓ આપી હતી, ઉંમરના કારણે તેમની આંખો નબળી બની જતાં ભદ્રાયુભાઈ તેમની મદદ માટે આવતા, તેમને તેમાંથી પણ પ્રેરણા મળતી. શ્રી વૈદ્યને સ્વામીજીનાં ઉદ્ધરણો મુખસ્થ હતાં. તેમનાથી ડૉ. ભદ્રાયુભાઈ પ્રભાવિત થયા. તેઓ વૈદ્ય સાહેબને પુસ્તકો વાંચી સંભળાવતા અને એ બહાને ભદ્રાયુભાઈને પણ વાંચન થઈ જતું.

આમ, સ્વામીજી વિશે વધુ ને વધુ વાંચન થતું રહ્યું. હજી પણ તેમની આ વાંચનયાત્રા ચાલુ જ છે. તેમના પર સ્વામીજીના પ્રભાવ વિશે તેઓ ચાર કારણો આપે છે.

(1) સ્વામીજીના પુસ્તકોમાંથી તેમને મળ્યો આત્મવિશ્વાસનો અસીમ પાઠ. એ કારણે જ તેમના જીવનનાં બે-ત્રણ કપરાં કાર્યો અને તેનો બોજ તેઓ વહન કરી શક્યા.

(2) વિચારોની સ્પષ્ટતા — જે કંઈ પણ કહો, ચોખ્ખું કહો, જે શ્રી ભદ્રાયુભાઈએ અપનાવ્યું છે.

(૩) ગરીબો પ્રત્યે સંવેદના – આ બાબતે તેઓ અત્યંત પ્રભાવિત થયા છે. અને

(4) સ્વામીજીએ સ્થાપેલી સંસ્થા આજે પણ એ જ આદર્શ સાથે કાર્ય કરી રહી છે, જે માટે તેઓ સ્વામી વિવેકાનંદજી પ્રત્યે અખૂટ અહોભાવ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં વ્યાવહારિક ક્ષેત્રોમાં એ જ આદર્શો મૂર્તિમંત થઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ અનેક કાર્યક્રમોમાં અને સેમિનારોમાં વિવિધ વિષયો પર તેમનાં પ્રવચનો પ્રભાવશાળી રહ્યાં છે.

રામકૃષ્ણ મઠ-મિશનના ગુજરાતમાં આવેલાં કેન્દ્રોમાં પણ તેમની વિનંતીને માન આપી ભદ્રાયુભાઈ આનંદપૂર્વક આવે છે અને યુવાનોને માર્ગદર્શન આપે છે અને આને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. એ જ છે તેમને આશ્રમ પ્રત્યેનો ભાવ અને સંબંધ.

ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજી તેમના પર આશીર્વાદો વરસાવતાં રહે એ જ તેઓનાં ચરણોમાં પ્રાર્થના.

 

 

મહાવીર સ્વામીનું અનુસરણ કઠિન છે!?

 

 

 

 

 

 

 

 

 

 ‘અર્હન્તઅનેજિનસુવિશેષણોનો અર્થ સમજવા જેવો છે!

જૈનદર્શનમાં ‘ભાવક્રિયા’ શબ્દનું જબરું મહાત્મ્ય છે. જો કે, કમનશીબે આપણે અવશ્ય કરવાની થતી ક્રિયાઓને પણ ભાવક્રિયાનું રૂપ આપી સંતોષ માની લીધો છે. પર્વાધિરાજ પર્યુષણ આવે ત્યારે ટાઈમ બિઈંગ ભક્તિ છલકે ને આપણે શાસ્ત્રજ્ઞાન માં નજર ફેરવીએ, પણ પછી રોજબરોજની ઘટમાળમાં બધું વિસારે પાડી દઈએ.

આપણે મહાવીર સ્વામીનું અનુકરણ નથી કરવાનું, પણ અનુસરણ કરવાનું છે. ‘જેવું કરવું તે’, ‘દેખાદેખી, ‘નકલ કરવી, એટલે અનુકરણ. જયારે અનુરૂપતા સાધવી, અનુગમન કરવું એટલે અનુસરણ. કહ્યા પ્રમાણે જીવનભર વર્તવું એ અનુસરણીય ગણાય. મહાવીર સ્વામીનું અનુસરણ શું કઠિન છે ? જરા વિગતે વિચારીએ.

જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોની માન્યતા છે. સંસ્કૃતમાં ‘તીર્થ’ એટલે નદી કે તળાવમાં ઊતરવા માટે કરેલો ઓવારો. ‘કર’ એટલે કરનાર. નદીમાં સહેલાઈથી  ઊતરવા માટે ઓવારો જોઈએ તે જ રીતે સાચો ધર્મ સમજવા માટે બુદ્ધ પુરુષની જરૂર પડે. સાચા ધર્મની સમજ આપનાર મહાપુરૂષ તે તીર્થંકર. મહાવીર સ્વામીને ચોવીસમા અને છેલ્લા તીર્થંકર માનવામાં આવે છે.

ધર્મગુરુ તો બ્રાહ્મણ જ હોય તે માન્યતા સાચી નથી. ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિયો હતા અને રાજપુત્રો હતા. ગૌતમ બુદ્ધ નેપાળની તળેટીમાં રહેતા શાક્ય નામના ક્ષત્રિયોના કુળમાં જન્મ્યા હતા અને મહાવીર પટણાથી સત્યાવીશ માઈલ ઉત્તરે વૈશાલિનગરની પાસેના પરામાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના કુળમાં જન્મેલા. આપણે મહાવીરના જીવનપ્રસંગોથી તો પરિચિત છીએ, પણ આપણે આજે એમનાં કઠિન તપ-ભિક્ષા-ધ્યાન વગેરેની વિરલ વાતો જાણવી છે.

મહાવીર એવું માનતા હતા કે, મનુષ્યોનો આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને અનંત શક્તિવાળો છે, પરંતુ વાસનાઓ અને તેનાથી પ્રેરાયને થતાં સારાં ખોટા કર્મો દ્વારા તે મલિન ને દીન બની જાય છે.

તપ બે રીતે થાય: (૧) ઉપવાસ કરવા, ટાઢ-તડકો સહન કરવાં વગેરે બાહ્ય તપ અને (2) ધ્યાન.. મનને પદાર્થો તરફ જતું રોકી એક જગ્યાએ સ્થિર કરવું તે. મહાવીર સ્વામી બન્ને તપ કર્યા અને સિદ્ધતાપૂર્વક કર્યાં!

કોઈ ગમે તેવું દુઃખ દે પણ મહાવીર તેનો વિરોધ જ ન કરે. સ્વભાવથી એટલા દયાળુ કે પોતાનું દુઃખ નિવારવા કોઈને દુઃખ આપી જ ન શકે. જીવજંતુ કરડે કે વકરેલાં કૂતરાં બચકાં ભરી માંસ કાઢી લે તો પણ તેને હરાવે નહીં. ભિક્ષા માંગવા જાય ત્યાંરે પણ બીજા યાચકને કે કાગડા-કૂતરાંને અન્ન મળવામાં અડચણ ન આવે તેની કાળજી લે! ભિક્ષા આપનારને નવું ભોજન બનાવવું પડે તેમ લાગે તો ત્યાંથી ખસી જાય. ઘરના બધાં ખાઈ રહે પછી જ વધ્યું-ઘટયું માગી લાવે ને આરોગે.. અરે સાધુ થતી વખતે એક વસ્ત્ર પહેરેલું તે ઝાડી-ઝાંખરાંમાં ભરાઈને નીકળી ગયું તો બીજું માંગીને પહેર્યું નહી. !

ધ્યાનમાં હોય ત્યારે પૂર્ણત: સ્વમાં ખોવાયેલા. એક નાદાન ભરવાડે પોતાનાં બળદ ગુમ થવા અંગે શંકા કરી ખરેખર બ્હેરા કરી નાખવા કાનમાં અણીદાર શૂળો ભોંક્યા તો પણ મહાવીર તો પ્રશાંત!. બાર બાર વર્ષોનું કઠોર છતાં સહજ તપ, બહારનું અને અંદરનું, ત્યારે એક વનમાં પરમ જ્ઞાન ઉપજ્યું અને શુદ્ધ-બુધ્ધ- મુક્ત થયા! ત્યારે ઉપનામ પામ્યા અર્હન્ત. સૌ પ્રાણીઓના પૂજય તે અર્હન્ત. મહાવીર સ્વામી મન-શરીર-વાચા-કર્મ પર વિજય મેળવ્યો તેથી ‘જિન’ કહેવાયા. તેઓના માર્ગે ગયેલા સાધુ-સન્યાસી અને તેમણે બતાવેલ ધર્મને સહેજ હળવી રીતે પાળવાનું નકકી કરનાર ગૃહસ્થો શ્રાવક કહેવાયા. ‘જિન’ એવા મહાવીરના શિષ્ય થનાર સાધુ અને શ્રાવકો જૈન કહેવાયા.

અહિંસા અને તપનું અનુસરણ શક્ય છે. કુદરતે આપણને કોરોના કાળમાં કઠોર તપની પ્રેક્ટિસ કરાવી છે. કુદરતે માર્મિક રીતે એ પણ ટકોર કરી છે કે,  જે જીવને મારે છે તેને હું વિષાણુ બનીને પાઠ ભણાવું છું. !