ભાવસમાધિમાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું : “નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન જે નામ તે જ ઈશ્વર.. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.”

 

“સ્વામી શ્રી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 410 ઉપર એક વિગત છે.

શ્રી રામકૃષ્ણદેવ  કેટલીક વાર કહેતા,  “ઈશ્વર પર આધાર રાખજો, પવનની દયા પર રહેતા સુકા પાંદડાની જેમ રહેજો, તેની કૃપાનો પવન તો સતત ફૂકાય જ રહ્યો છે, જરૂર છે માત્ર તમારા સઢને ચઢાવવાની.”

“સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા” ના  ભાગ આઠના પૃષ્ઠ 407 ઉપર થી એક અવતરણ આપણે વાંચીએ.

વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે  હૈયું દળાય તેટલું માણસ ઉભરાતું હતું ત્યારે જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો  જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો,  તેનું કારણ શું? કારણ તેમની એટલે કે શ્રી રામકૃષ્ણદેવની કૃપા અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો છે,  આવું સ્વામી શ્રી વિવેકાનંદજીનું કહેવાનું છે.

આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ  ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિ મંત્રે દીક્ષિત યુવા સન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે,  જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે.  આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ.. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે, કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા” નો મંત્ર મેળવ્યો.  1884 ની સાલમાં એકવાર ક્યારેક સંઘના  એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ  પોતાના ખંડમાં ભક્તોથી વિટળાઈને બેઠેલા છે.  શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે.  અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત  મજાકની વાતચીત પણ ચાલી રહી છે.  વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા ::  ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે.  નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન.  જે નામ તે જ ઈશ્વર નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.  ભક્ત અને ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા તેમની પૂજા અને વંદના કરવી અને શ્રીકૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો ઉપર દયા દાખવવી. સર્વજીવો પર દયા એમ કહેતા જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા.  કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા,  જીવ ઉપર દયા,  જીવ ઉપર દયા,  હટ સાલા મગતરામાં મગતરૂ  તું કે જીવ પર દયા કરવાનો?? દયા કરનારો તું વળી કોણ ?? ના ના જીવ ઉપર દયા નહીં,  “શિવજ્ઞાને જીવની સેવા” ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણદેવના એ વચનો ભલે બધાએ સાંભળ્યા,  પરંતુ એનો ગુઢ મર્મ ત્યારે કોઈ ન સમજી શક્યા કે ન તો પકડી શક્યા.  ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ સમી ગયા પછી બહાર આવીને કહેલું: શું અદભુત પ્રકાશ આજે ઠાકુરના વચનોમાં હું જોવા પામ્યો છું.  શુષ્ક કઠોર અને નિર્મમ રીતે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગ સાથે ભેળવી દઈને કેવા તો સહજ રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે,  વનના વેદાંતને ઘરમાં લાવી શકાય. સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય.  માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું  ભલે કરે,  એમાં નુકસાન કાંઈ નથી.  માત્ર સૌથી પહેલા આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું અને તે એ કે,  ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે.  જીવનની પળેપળ  એ જેના સંપર્કમાં આવી રહ્યો છે,  જે જે બધાને પ્રેમ કરી રહ્યો છે,  જેમના પ્રત્યે શ્રદ્ધા સન્માન અથવા દયા દાખવી રહ્યો છે તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે.  દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ,  દ્વેષ,  દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે “શિવ જ્ઞાને જીવોની સેવા” કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળા તરીકે નક્કી જાણી શકશે.

ઠાકુરની એ વાત વડે ભક્તિ પથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશ કુસુમવત રહે છે.  શિવ અને નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે,  એ વાત કહેવાની જરૂર નથી.  જે હોય તે પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ.  પંડિત,  મૂર્ખ,  ધની,  દરિદ્ર,  બ્રાહ્મણ,  ચંડાળ સૌને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ.”

શ્રી ગંભીરાનંદજી લખે છે કે,  સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું.  આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી.  આ સન્યાસીઓ નવા યુગના સંદેશ વાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેવો મન મુખ એક કરીને સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ,  દરિદ્ર નારાયણ,  દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ સરળ અને સુગમ બનશે. આથી તે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે એટલે કે “આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ”  જીવન જીવશે.