
“આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી.”
કન્યાકુમારીના એ દિવ્ય રોક પરની સાધનાના ફળરૂપે સ્ફુરેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા ચિત્ત ઝડપથી ક્રિયાશીલ બન્યું અને સ્વામીશ્રી વિવેકાનંદજીએ શ્રી મઠ અને મિશનના ગઠનને આખરી ઓપ આપ્યો. છેવટે એ શુભ ઘડી આવી પહોંચી.
તારીખ પહેલી મે 1897 ના રોજ શ્રી રામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતાં ગંભીરાનંદજી લખે છે: એ દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું. “જુદા-જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી. એ પશ્ચિમના દેશોના સ્ત્રી પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવા ઈર્ષાળું નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓ ને હું તો એક સામાન્ય માણસ છું તો પણ એ લોકોએ મારો કેટલો બધો આદર સત્કાર કર્યો !! આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સુહૃદયી બની જશે, જ્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શીખશે, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સરમુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે. અમે લોકો જેમના નામ પર સન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમરૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેના દેહાવસનના 12 વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમના પવિત્ર નામ અને અદભુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો આ કાર્યમાં સહાયક બનો.” ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.
પાંચમી મેના રોજ ભરાયેલી દ્વિતીય સભામાં આ વિષયની કાર્ય પદ્ધતિ ઉપર ચર્ચા વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું રામકૃષ્ણ પ્રચાર સમિતિ અથવા તો રામકૃષ્ણ મિશન એસોસિએશન તે સમયે નક્કી કરવામાં આવ્યું. કાર્યપદ્ધતિ પ્રમાણે ઉદ્દેશ હતો: મનુષ્ય માત્રના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણે જે સત્યનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા તેનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યની શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો એ આ મિશનનો ઉદ્દેશ રહેશે. વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એવું જાણીને બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રી રામકૃષ્ણદેવે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય રહેશે. કાર્ય પદ્ધતિ લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું, કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા, શ્રી રામકૃષ્ણજીના જીવનના દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મના વિચારોનો સમાજમાં પ્રસાર કરવો. ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂર સુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે. ભારતની બહાર દીક્ષિતોને મોકલવા, જે એ દેશોમાં સ્થપાયેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવા તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી.
સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકત્તા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાંચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે નિયમ પણ બનાવવામાં આવ્યો કે, દર રવિવારે સાંજે ચાર વાગ્યે બલરામ બાબુના એ જ 57 નંબરના રમાકાંત બાસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી. સ્વામીજી જ્યારે પણ કોલકત્તામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા. એ પછી ઘણા સમય બાદ 1909 ના એપ્રિલમાં, 1860 એક્ટના 21 પ્રમાણે કાયદાકીય રીતે રામકૃષ્ણ મિશનના નામે રજિસ્ટ્રેશન કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયિત્વ આપવામાં આવ્યું (સંદર્ભ: આ વિગત “યુગનાયક” ના 277 થી 281 પાન ઉપર આપવામાં આવેલ બાબતોનો સાર છે.)
