
બાળકના જન્મથી લઈને પુખ્તતા સુધીના વિકાસના તબક્કાઓ ટૂંકમાં જાણીએ
મમ્મી અને પપ્પાએ એક મત ઉપર પહોંચ્યા પછી નક્કી કર્યું છે કે અમારે કુટુંબમાં બાળક જોઈએ છીએ. બંનેએ નક્કી કર્યું કે હવે ચાલો “આપણે આપણું કુટુંબ બનાવીએ”. એટલે આજ પછી પૂરા જીવનમાં આ સંતાન મારું કે તારું નથી આપણું છે, બંનેનું છે, સહિયારું છે તેથી સ્વાગત છે.
બાળક અવતરશે મમ્મીના ગર્ભમાંથી પણ એ વાત ન ભુલાય કે મમ્મી અને પપ્પાનો બંનેનો મનોરથ હતો કે આપણે આંગણે કલબલાટને આમંત્રણ આપીએ અને એટલા માટે બાળક મમ્મી દ્વારા જન્મવાનું છે પણ છે તો બંનેનું ! મમ્મી અને પપ્પા સહિયારી જવાબદારી નિભાવવાની આજથી શરૂઆત કરશે.
આ બાળક આપણાં આંગણે અવતરશે એ કોઈ અકસ્માત નથી. અસ્તિત્વનું બહુ મોટું આયોજન છે, પ્રકૃતિની બહુ મોટી વ્યવસ્થા છે, નિયતિની બધી ગોઠવણ છે એટલે આ સંતાન અવતરી રહ્યું છે, આજે આખું અસ્તિત્વ, પૂરી પ્રકૃતિ અને સમગ્ર નિયતિ આવી રહી છે.
એ દેવનો દૂત છે. બાળક દેવની હાજરી છે. ઈશ્વરની આપણા ઘરની અંદર સતત સતત હાજરી બાળક પૂરાવે છે. મેં અને તમે આપણું બાળપણ કેવી રીતે વિતાવ્યું તે ખબર નથી એ બાળપણને આપણી સમક્ષ રજૂ કરવા માટે બાળક અવતરી રહ્યું છે.
પૂજ્યશ્રી ડોંગરે મહારાજ તો બહુ વ્હાલથી કહે છે કે “લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો.” લાલો કશુંક પણ કરે તો ઉત્સવ ઉજવવાનો હોય કારણ કે લાલો અમારે આંગણે છે એ જ બહુ મોટો ઉત્સવ છે. આપણા આંગણે આ લાલો એ ભગવાનનું પ્રતીક છે. એ રીતે એનું સ્વાગત કરીએ, એ રીતે એનો આદર કરીએ, એ રીતે એના પર પ્રેમ વરસાવીએ.
આધુનિક મનોવિજ્ઞાન એવું નોંધે છે કે બાળક જન્મ્યા પહેલાથી બધા જ પ્રકારના vibrations વાઈબ્રેશન્સ અનુભવતું હોય છે. હા, બાળકમાં જ્યારથી જીવ અને અંગ ઉપાંગનો વિકાસ થવા લાગે છે ત્યારથી તે બહારની દુનિયાનો અનુભવ અંદર ધીમે ધીમે લેતું રહે છે. બહાર મમ્મી રાજી થાય તો અંદર બાળક પણ રાજી થાય, બહાર મજાનું સંગીત વાગતું હોય તો અંદર બાળક પણ રાજી રાજી થઈને પ્રસન્ન હોય.
આપણી ઈતિહાસકથાઓમાં કહેવામાં આવ્યું હતું કે, જીજાબાઈએ શિવાજી માટે હાલરડું ગાયું એમાંથી એમને શૌર્યના પાઠ મળ્યા, આ વાત ખોટી નથી. આજના વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે, મા જે કાંઈ ખાય છે, પીવે છે, વાંચે છે, લખે છે, જીવે છે તેના બધાનો પ્રતિઘોષ બાળકમાં જાય છે અને એ પ્રતિઘોષ લઈને બાળક અવતરે છે.
પ્રતિઘોષ લઈને બાળક આવ્યું છે એનો અર્થ એવો છે કે બાળક મમ્મી પપ્પા બંનેને ઓળખે છે. મમ્મી પપ્પા સાથેનો એનો પરિચય છે, ગયા ભવનો પરિચય અને છેલ્લા નવ મહિનાનો ગાઢ પરિચય છે. પણ હા, હવે કાળજી પણ લેવી પડશે. જો બાળક ગર્ભમાં હતું ત્યારે બધું સમજતું હતું અને બધા vibration વાઈબ્રેશન્સ પકડી રહ્યું હતું તો એ બાળક હવે તો અવતરી ગયું છે અને બહાર અવતરીને આપણી સમક્ષ આવેલું બાળક તો અંદર રહેલા બાળક કરતા વધુ ઝડપથી vibrations વાઈબ્રેશન્સ પકડી લેવાનું છે એટલે આપણો કોઈપણ પ્રકારનો નેગેટિવ પ્રતિભાવ એ પકડી જ લેશે.
માતાપિતા બનવું એ થોડું હવે અઘરું બની ગયું છે. પણ આ અઘરું જે છે એને સહેલું બનાવવું હોય તો બે મુદ્દા બરાબર યાદ રાખજો.
૧) બાળક મારું છે અને બાળકમાં ઈશ્વર છે એ સદા યાદ રાખજો.
૨) હું જે કાંઈ કરીશ, હું જે કાંઈ બોલીશ, હું જે કાંઈ વર્તન કરીશ તેની અસર બાળક ઉપર થશે, થશે ને થશે.
તમે બંને ગઈ કાલ સુધી husband and wife હતા, પતિ અને પત્ની હતા. બાળકના અવતરવાથી તમે upgraded થયા છો. તમારો દરજ્જો મોટો થયો છે. તમે મમ્મી – પપ્પા બન્યા છો. Happy moments છે આ તમારી.. કારણ કે તમારા પોતાના અરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે…
સંતાનના જન્મ પછી તરત જ તબીબો માતા સાથેનો નાળ સબંધ કાપી નાખે છે. જ્યારથી નાળ સબંધ કપાય છે ત્યારથી બાળકનો માતા સાથે પાળ સબંધ શરૂ થાય છે. એટલે કે પાલન માતા કરશે અને પિતા સાથે ભાળ સબંધ શરૂ થાય છે એટલે કે એની ભાળ – સંભાળનું કામ પિતાનું રહેશે.
આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછી આપશે, એ જ લાગણી એ આપણને પરત કરશે, એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે.
મનોવૈજ્ઞાનિક સત્ય યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટીકાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા એટલે કે self image ઉપર થતી હોય છે અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આવો આપણે બાળકના વિકાસના તબક્કાઓને ટૂંકમાં જાણીએ.
(ચિલ્ડ્રેન્સ યુનિ. ખાતે શ્રી નરેન્દ્ર મોદી ઈન્સ્પિરેશનલ લેક્ચર સિરીઝનું પ્રથમ વક્તવ્ય આપતી વખતે કરેલું ગૃહ કાર્ય )
