
આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
વિશ્વભરના અનેક ઘર અને મંદિરોમાં પાવનકારી સંધ્યાની વેળાએ શ્રી રામકૃષ્ણ દેવની આરતીનો પ્રારંભ થાય છે. સૌ તેમાં તલ્લીન થઈને ગાય છે. જેને શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન કહેવામાં આવે છે.
આ અમર સ્તવનના રચયિતા બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદજી પોતે હતા. એમાં પારંપરિક સંગીતની ધ્રુવ શૈલી છે. અને પરિણામે આ સ્તવન લયબદ્ધ, અને તાલબદ્ધ બન્યું છે. વાત એવી છે કે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષે સ્વામીજીને રામકૃષ્ણ દેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. આ વાત સાંભળીને સ્વામીજી થોડા મુશ્કેલીમાં મુકાયા હોય એવી રીતે કંપિત સ્વરે કહેવા માંડ્યા કે, “ એ વાત મારાથી શક્ય નથી. તમે આગ્રહ કરો તો હું સાગરને સુકવી નાખવાનું પસંદ કરું, તમે આગ્રહ કરો તો પર્વતોના ચુરે ચુરા કરી શકું, પણ શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. અરે, ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ કેટલો?” એમણે તો ત્યાં સુધી કહ્યું કે, “તમે શું એવું ઈચ્છો છો કે શિવની મૂર્તિ ઘડવાનું મને કહેવામાં આવે અને હું વાનરની મૂર્તિ ઘડી બેસું? ના ના.. મારાથી તો એ નહીં બને.” થોડો સમય સન્નાટો છવાઈ ગયો. આપણે એમ માનીએ કે રામકૃષ્ણ દેવને સૌથી વધુ ઓળખનાર કોઈ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદ હોઈ શકે. અને એ વાત ખોટી ન હતી, એ વાત સાચી હતી.
અને ખરેખર સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પણ એમના મનની અંદર એવું રહેતું હશે કે, મારા ગુરુના જીવનને વર્ણવવાને બદલે ગુરુની શીર્ષસ્થ પ્રતિભા અને બહુ મોટી દૈવી આભાને વર્ણન કરતું હોય તેવું કશુંક હું રચું. એમ વિચારીને તેમણે હકીકતમાં વિશ્વને જે પ્રદાન કર્યું તે શ્રી રામકૃષ્ણ મિશન ને મઠમાં સાંધ્ય કાળે ગવાતી આ આરતી છે.
શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન માં સ્વામી શ્રી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવ વિષે લગભગ-લગભગ બધું કહી દીધું. આ સ્તવન અવતારવરિષ્ઠ શ્રી રામકૃષ્ણ દેવના સર્વ શ્રેષ્ઠ ભક્ત, શિષ્ય, સ્વામી વિવેકાનંદજીની તેમના પ્રત્યેની સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. આ સ્તવન શ્રી રામકૃષ્ણદેવના અનંત ભાવો ને અનંત ગુણોને, અનંત લીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે. અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. આ સ્તવનમાં ભાવ, સંગીત, લય, તાલ, બધું અનન્ય છે. સ્વામી શ્રી નિખીલેશ્વરનંદજી મહારાજ તો એવું કહે છે કે, “શ્રી રામકૃષ્ણ દેવનાં દિવ્ય ચરિત્રને તત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં છે. શ્રી રામકૃષ્ણ દેવના જીવન દર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.”
સમજવાનું એ છે કે, સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા અને સંપ્રદાયિકતાના વિરોધી હતા. રામકૃષ્ણ દેવ વિશે લખાયેલ હોવા છતાં આ સ્તવનમાં કોઈપણ જગ્યાએ રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી. આમ જાણે કે, આપણને એમ લાગે કે આ એક પરમ તત્વ માટેની સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે. કારણ કે એમણે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો એક અવતારને, ઈશ્વરના કોઈપણ રૂપને, આપણી સમક્ષ ખડું કરે છે. આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
કહેવાય છે કે આ સ્તવન જયારે પહેલી વાર ગવાયું ત્યારે એ સ્થળ હતું નીલાંબર મુખર્જીનું મકાન કે જ્યાં મઠની સ્થાપના થયેલી. ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલ બેલુર મઠની પાસે એટલે કહો કે તે પછી બેલુર મઠનો એક ભાગ બની ગઈ. અને પ્રસંગ હતો 22 ફેબ્રુઆરી 1898નો શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિનો. એ ભોગ આરતીનાં સમયે જયારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા હતા ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે એ બધું કલ્પનાતીત લાગે છે.
આજે તો સંધ્યા આરતી ટાણે રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં અને દેવના પ્રભાવ હેઠળ ચાલી રહેલ અનેક અનૌપચારિક કેન્દ્રોમાં, તો ક્યારેક ભક્તોના ઘરમાં સમૂહ સ્તવન ગવાય છે. ક્યાંક હાર્મોનિયમનો ઉપયોગ થાય છે, ક્યાંક ઓરગનનો ઉપયોગ થાય છે, તો ક્યાંક વળી પ્રિ-રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ માટેના આ આરતી સ્તવનમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ એક પછી એક પંક્તિમાં રામકૃષ્ણ દેવની કેવી પ્રતિષ્ઠા કરી છે !!
દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે એ રીતે એમાં ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન છે તેથી આપણે તેની એક એક પંક્તિને સદૃષ્ટાંત સમજીશું. એ બહાને આપણે ઈશ ગુણોનું ચિંતન કરી શકીશું. (ક્રમશ:)
