મા શારદાદેવી શ્રી ઠાકુરની  વિદાય પછી હાથમાંથી બંગડી  કાઢવા લાગ્યા  ત્યારે શ્રી ઠાકુરે દર્શન આપી ના પડી અને કહ્યું :  ‘હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’

સ્વામી શ્રી  વિવેકાનંદે જે  પદ લખ્યું છે અને સાંજની  આરતી તરીકે આજે પણ મઠ અને  મિશનના મંદિરોમાં ગુંજી રહ્યું છે, તેનો ગુઢાર્થ જાણવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.

ત્રીજી પંક્તિ અથવા ત્રીજું પદ કહે છે,

मोचन अगतृषण जगभूषण चितघनकाय’

હે પ્રભુ, તમે મનુષ્યને પાપ-દોષોથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રુપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.

સમજવાનો પ્રયાસ કરીએ. मोचन अगतृषण એટલે શું? પ્રસંગથી સમજીએ. 14 ડિસેમ્બર 1984 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ કોલકત્તા ના સ્ટાર થિયેટરમાં ‘પ્રહલાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા. નાટક પૂરું થયા પછી તેમને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષને ત્યાં વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું,  મા ના નામમાં શ્રદ્ધા રાખો એટલે બધું થઈ જશે. ગિરીશે કહ્યું,   હું તો પાપી છું. દેવ બોલ્યા, ‘એ આખો દિવસ હું પાપી છું… હું પાપી છું એવું વિચાર કર્યા કરે છે તે આખરે પાપી થઈ જાય છે.’  ગિરીશે કહ્યું, મહારાજ હું તો એવો પાપી છું કે જ્યાં બેસુ ત્યાંથી સાત હાથ જમીન ખોદી નાખવી પડત. શ્રી રામકૃષ્ણ દેવ થોડા ચિંતિત થઈને બોલે છે, ‘એવું શું બોલો છો? ઓરડામાં ભલેને હજાર વર્ષનો અંધકાર હોય છતાં દીવો કરતા જપટ દઈને અંધકાર જતો રહે છે. હજાર વર્ષનો અંધકાર છે તેથી તો કંઈ ધીમે ધીમે જતો નથી.’  શ્રી રામકૃષ્ણદેવના સુસ્પષ્ટ જવાબથી ગિરીશ ઘોષમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેની વાતો બહુ રસપ્રદ છે, વાંચવા જેવી છે.

ગિરીશ ઘોષ તો કહેતા કે,  ‘મેં દારૂની એટલી બધી બોટલો પીધી છે કે જો તે ઉપરા ઉપર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આંબી જાય.’  એક રાત્રે ગિરીશ દારૂ પી નશામાં મસ્ત  થઈ વારાંગનાઓને ત્યાં મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર આકર્ષણ થવા લાગ્યું અને તેમને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ દેવ. ગાડી કરીને આવી પહોંચ્યા સીધા દક્ષિણેશ્વર. રાત્રિનું ઘોર અંધારું, મંદિરનો ફાટક બંધ, ગિરીશનો અવાજ સાંભળતા જ રામકૃષ્ણ દેવે પોતે ફાટક ખોલ્યું. લથડિયાં ખાતા ગિરીશનો હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમના હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. નશો ઉતર્યો ત્યારે રામકૃષ્ણ દેવની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી ગિરીશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેમને લાગ્યું, ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ પતિતપાવન છે. મારા જેવા પતિત ને પણ આટલો પ્રેમ આપે છે !

એકવાર થિયેટરમાં ગિરીશ ઘોષ રામકૃષ્ણદેવને ક્રોધમાં ભાન ભૂલીને ફાવે તેમ ગાળો આપવા લાગેલા. ભક્ત્તો તો  વિચલિત થઈ ગયેલા પણ કરુણા મૂર્તિ રામકૃષ્ણ દેવે ચુપચાપ બધું સાંભળી લીધું અને દક્ષિણેશ્વર જવા રવાના થઈ ગયા. બધા ભક્તોએ રામકૃષ્ણદેવને સમજાવ્યા. ‘હવે આ દારૂડિયાની પાસે ના જશો હો…’ શ્રી રામકૃષ્ણ દેવે રામચંદ્ર દત્તને આ વિશે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે,  શ્રી ભગવાન કૃષ્ણ કાલીયા નાગને કહે છે કે, ”હે પ્રભુ, તમે જ મને ઝેર આપ્યું છે તો અમૃત ક્યાંથી લાવું? માટે ગિરીશનો વાંક નથી. શ્રી રામકૃષ્ણ દેવ આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું, ચાલો રામ, તમારી જ ગાડીમાં હમણાં જ ગિરીશ ને ત્યાં જઈએ. ધોમધખતાં તડકામાં શ્રી રામકૃષ્ણ દેવ ગિરીશ ઘોષના ઘરે આવી પહોંચ્યા અને કહ્યું, ‘ગિરીશ, હું આવી ગયો છું.’  ગિરીશ ત્યારે પશ્ચાતાપથી રડી રહ્યાં હતા. શ્રી રામકૃષ્ણદેવને આવેલા જોઈને સીધા ચરણમાં પડ્યા અને રડતા-રડતા બોલ્યા, ‘આજે જો તમે ન આવ્યા હોત ને તો હું માની લેત કે તમે પણ નિંદા સ્તુતિમાં સમાન નથી. તમે સાચા અર્થમાં પરમહંસ નથી પણ આજે હું ઓળખી ગયો કે તમે એ જ છો. હવે તમે મને છેતરી નહિ શકો. હવે તમારે મારો ભાર ઉપાડવો જ પડશે. કહેવાય છે કે ગિરીશ ઘોષે શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું, વકીલાત નામું આપ્યું, શ્રી રામકૃષ્ણ દેવે તેની સાધનાનો અને તેના પાપોનો ભાર ઉપાડવાની શરૂઆત કરી.  એમણે સ્વામી પ્રેમાનંદને કાશીથી એક પત્રમાં ખુદ રામકૃષ્ણ દેવે લખ્યું, ‘ગિરીશ બાબુ અહીં છે. અહાહા.. એમનો સ્વભાવ કેવો મધુર થઈ ગયો છે… જેવો ઉદારભાવ એવી જ શ્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા. અહંકાર તેમને મન તુચ્છ છે. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનુ બની ગયું છે. હું નજરે જોઈ રહ્યો છું. ગિરીશ ઘોષ પોતે પણ કહેતા  કે તમારે રામકૃષ્ણ દેવ નો મહિમા સમજવો હોય ને તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતા. એ તો શુદ્ધાત્મા બુદ્ધિશાળી કોલેજીયન. એટલે એને નરેનમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કરવું એ બહુ મોટો ચમત્કાર નથી. પણ મારા જેવા પતિતને ભક્ત બનાવી દેવો એ જ શ્રી રામકૃષ્ણ દેવનો અપાર મહિમા છે.

ગિરીશ ઘોષ સાથે સંકળાયેલ કેટલાક નટનટીઓ પતિતોના તારણહાર બન્યા હતા શ્રી રામકૃષ્ણદેવ. 21 સપ્ટેમ્બર 1884 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ગિરીશ ઘોષનું શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશેનું નાટક જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ભક્તોએ વાંધો ઉઠાવ્યો કારણ કે તે દિવસોમાં સમાજમાં અભિનય કરનારી સ્ત્રીઓનું સ્થાન હલકું હતું. તો પણ શ્રી રામકૃષ્ણ દેવ ગયા અને કહ્યું,  ‘હું તેઓને પણ મારી મા આનંદમયરૂપે જોઇશ’. નાટક પૂરું થયા પછી શ્રી રામકૃષ્ણ દેવે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું, અસલ નકલ એક લાગ્યું. આ પછી નટનટીઓએ એ રામકૃષ્ણ દેવના આશીર્વાદ મેળવ્યા. શ્રી ચૈતન્યના પાત્રનો અભિનય કરનાર વિખ્યાત એક્ટ્રેસ વિનોદીનીના મસ્તક પર પોતાના બંને હાથ રાખી આશીર્વાદ આપતાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું, ‘ચૈતન્ય થાઓ’. આ એક્ટ્રેસ વિનોદીનીએ પોતાની આત્મકથામાં લખ્યું કે, સંસારી લોકો મારા પાપમય જીવનને ઘૃણાથી જોવે એની હું પરવાહ કરતી નથી. મને શ્રી રામકૃષ્ણ દેવના આશીર્વાદ મળ્યા છે, એમનો પ્રેમમય આજ્ઞા પૂર્ણ સંદેશ મને ટકાવી રાખશે. વિનોદીનીના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે શ્રી રામકૃષ્ણ દેવની કાયમ માટે ભક્ત બની ગઈ.

દક્ષિણેશ્વર મંદિરમાં શ્રી  રામકૃષ્ણ જન્મોત્સવ વખતે કેટલીક ખરાબ ચરિત્ર વાળી સ્ત્રીઓ આવે.  આથી ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવા લાગ્યા. આ વિશે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈ શ્રી રામકૃષ્ણાનંદજીને  23 ઓગસ્ટ 1896 ના પત્રમાં અમેરિકાથી લખ્યું. આજે રામદયાળ બાબુનો પત્ર મળ્યો છે, તેઓ લખે છે કે, દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવના જન્મોત્સવ વખતે ઘણી વેશ્યાઓ પણ આવે છે. તેથી ઘણાને તેમાં જવું ગમતું નથી. વળી તેમના મતે એક દિવસ પુરુષો માટે રાખવો જોઈએ અને બીજો દિવસ સ્ત્રીઓ માટે. આ બાબતમાં મારો નિર્ણય આ પ્રમાણે છે. ‘જો દક્ષિણેશ્વર જેવા મહાન યાત્રાના સ્થળે વેશ્યાઓને જવા દેવામાં ન આવે તો બીજે ક્યાં જાય તેઓ? ઈશ્વર ખાસ તો પાપીઓ માટે જ પ્રગટ થાય છે નહીં કે પુણ્યશાળીઓ માટે. મંદિરમાં પણ જે લોકો એવા વિચાર કરે કે આ સ્ત્રી વૈશ્યા છે, આ તો ગરીબ છે, આ તદ્દન સામાન્ય છે, એવા જેમને તમે સજ્જનો કહો છો તેવા લોકો જેટલા ઓછા આવે ને એટલું વધું સારું. જેઓ ભક્તોની જ્ઞાતિ, લિંગ કે ધંધા વગેરેનો વિચાર કરે તેઓ આપણા પ્રભુ શ્રી રામકૃષ્ણદેવને શું સમજી શકવાના? હું તો ઈશ્વરને પ્રાર્થું છું કે સેકડો વેશ્યાઓ આવે અને તેમના ચરણોમાં પોતાનું માથું ઝુકાવે. સજ્જન એક પણ ન આવે તો તેનો કોઈ વાંધો નહીં. ગણિકાઓને આવવા દો, દારૂડિયાઓને આવવા દો, ચોર અને બીજા બધા આવી જાઓ પ્રભુના દરવાજા બધા માટે ખુલ્લા છે.’  આવી અનેક ઘટનાઓને લઈને ડો. આર્નોલ્ડ ટો. એન. બી., રોમા રોલા, પ્રો. મેક્સ મુલર, વગેરે સંસારના ઇતિહારકારો અને વિદ્વાનો  શ્રી રામકૃષ્ણ દેવને સમસ્ત જગતનાં આભૂષણ રૂપે આલેખે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી શ્રી મા શારદાદેવી જયારે હાથમાંના સોનાની બંગડીઓ કાઢી નાંખતા હતાં ત્યારે રામકૃષ્ણ દેવે દર્શન આપીને તેમને આમ કરતા અટકાવ્યા અને કહ્યું, ‘ હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’  આ પછી કેટલાય ને દર્શન થયાં છે, થઈ રહ્યાં છે.

ઈશ્વર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેનો સૂક્ષ્મ દેહ ચિન્મય હોય છે. તેમના ભૌતિક દેહમાં પણ અલૌકિક તત્વ હોય છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણ દેવનાં  દેહનાં અવશેષને જે તાંબાના પાત્રમાં સાચવી રાખેલા તેને આત્મારામનું પાત્ર કહેતા. આ પાત્રની સાચવણીની તેમણે ઘણીવાર પરીક્ષા કરી. તેને અનન્ય શ્રદ્ધાથી તેઓ જોતા. તેથી ત્રીજી પંક્તિમાં લખ્યું છે, ‘હે પ્રભુ, તમે મનુષ્યને પાપ દોષોથી મુક્ત કરનાર છો, જગતનાં ભૂષણરૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.’ (ક્રમશ:)