
શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની ઘટના હતી.
શ્રી રામકૃષ્ણ દેવના અદ્વિતીય ગુણોનું વર્ણન કરતી આરતી સ્તવન ‘શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિ કમ’ સ્વામી શ્રી વિવેકાનંદે બંગાળીમાં લખી છે. એમની ચોથી પંક્તિમાં એક સુંદર વાત કહેવામાં આવી છે.
‘ग्नानांजल विमलनयन विक्षणेमोहजाय’ એટલે કે તમારા વિમલ નયનો જ્ઞાનરૂપી અંજન થી આંજેલા છે. જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. આખા એક વ્યક્તિત્વનું પૂર્ણપણે નયનમાં સમાઈ જવું એવો ભાવ આપણે કરી શકીએ. આ વિમલનયનની જે વાત થઈ એના અંગે થોડું વિગત થી જાણવું પડે.
શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની વસ્તુ હતી. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ફોટા માનવ જાતને ઉપલબ્ધ છે એ આ યુગાવતારની વિશેષતા કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન કેમેરા દ્વારા તેમના ત્રણ ફોટા લેવામાં આવ્યા છે જે ઉપલબ્ધ છે. જો કે આ સિવાય તેમની મહા સમાધિ પછી તેમના દેહના બે ફોટા લેવાયા હતા, પણ ભક્તોની ભાવનાને માન આપીને તે પ્રકાશિત કરવામાં આવતા નથી.
પહેલાં લેવાયેલા ત્રણ ફોટામાંથી પહેલો ફોટો 21 સપ્ટેમ્બર 1879 ના રોજ કોલકાતામાં શ્રી કેશવચંદ્ર સેનના ઘરમાં લેવાયો. આ ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
બીજો ફોટો 10 ડિસેમ્બર 1881 ના રોજ બેંગાલ ફોટોગ્રાફર્સના સ્ટુડિયોમાં લેવાયો હતો. જ્યાં તેઓ ફોટોગ્રાફી વિશે જાણવા ગયા હતા. આ ફોટામાં તેઓ એક સ્તંભ પર હાથ રાખીને સમાધી અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
ત્રીજો ફોટો દક્ષિણેશ્વરમાં રાધાકાન્ત મંદિરની પરસાળમાં દેવ સમાધિ અવસ્થામાં બેઠેલા હતા ત્યારે લેવાયો છે, 1983માં અથવા તો 1984માં. શ્રી રામકૃષ્ણ દેવમાં અહમ તો લેશમાત્ર નોહ્તો. તેઓ ફોટો પડાવવાનું પસંદ કરતા નહીં એટલે જ કદાચ બધા જ ફોટા જ્યારે તેઓ સમાધિસ્થ અવસ્થામાં હતા ત્યારે જ તેમની જાણ વગર લેવાયા હતા. તેમ છતાં ત્રીજો ફોટો જોઈ અને તેઓએ પોતે આ ફોટાની પૂજા કરીને ઉદગાર કાઢ્યો કે, “અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો છે. પછીથી એ ઘેર આની પૂજા થશે.”
ફ્રેન્ક ડોરેક એ હકીકતમાં ઑસ્ટ્રિયન ચિત્રકાર હતાં. અને એને સ્વપ્નલોકમાં કોઈ ભારતીય સંત આવતા હતા. પરંતુ જ્યારે તેઓએ મેક્સમુલરનું એક પુસ્તક ‘એક સાચા મહાત્મા’ વાંચ્યું ત્યારે એને શ્રી રામકૃષ્ણ દેવના દર્શન પ્રાપ્ત થયા. રામકૃષ્ણ દેવનો ફોટો જોઈને તેમને યાદ આવ્યું કે, મને સ્વપ્નમાં આવતા હતા તે ભારતીય સંત આ જ હતા. પછીથી તો તેઓ રામકૃષ્ણ દેવનાં ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. આ ફ્રેન્ક ડોરેક ને ત્રણે ફોટા મળ્યાં. તેમને પહેલો ફોટો અત્યંત પ્રભાવક લાગ્યો. તેમણે આ ફોટા પરથી ચિત્ર દોરવાનો પ્રારંભ કર્યો. તેમની ઈચ્છા શ્રી રામકૃષ્ણ દેવના ખુલ્લા નયનો દોરવાની હતી. પણ કદાચ ફોટાઓમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં હોવાથી તેમના નયનો અર્ધ બીડાયેલા હતા. ખુલ્લા નયનો કેવી રીતે દોરવા? આવી મૂંઝવણમાં ડોરેક દિવસો પસાર કરી રહ્યાં હતા ત્યાં આશ્ચર્યજનક ઘટના બની. તેઓ શ્રી રામકૃષ્ણ દેવના ગહન ધ્યાનમાં નિમગ્ન હતાં ત્યારે તેમણે જોયું કે, શ્રી રામકૃષ્ણ દેવ તેમની સામે સાક્ષાત ઉપસ્થિત થઈ ગયા છે. બન્ને નયનો ઉઘડેલા હતાં અને તેમાંથી અદભુત કરુણા, પવિત્રતા, અને આનંદ નીતરતા હતા. તેઓ આનંદના અતિરેકમાં આવી ગયા અને તરત જ શ્રી રામકૃષ્ણ દેવના એ અદ્ભૂત નયનોના મનોહરકારી રૂપનું ચિત્ર દોરવાં લાગ્યા. આમ વિશ્વને પ્રાપ્ત થયું આ દિવ્ય દર્શનનાં પરિણામે શ્રી રામકૃષ્ણ દેવનું એક અનન્ય ચિત્ર.
થોડા વર્ષો પૂર્વે કોલકાતાના અદ્વૈત આશ્રમનાં વેચાણ વિભાગમાં એક દિવસ સવારે એક અમેરિકન યુવતી આવી. તેને શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો ખરીદવો હતો. ઘણા ફોટા દેખાડવામાં આવ્યા પણ તેને એકેય પસંદ ન આવ્યો. છેવટે તેણે પોતાના ગજવામાંથી એક અમેરિકન સમાચાર પત્રનો કટકો કાઢ્યો, જેમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો છાપેલો. તેને આવો જ ફોટો જોઈતો હતો. એ ફોટો એ ઉઘાડા નયનો વાળો ફ્રેન્ક ડોરેકે દોરેલ ચિત્ર નો ફોટો. શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે મુસલમાનની ચા ની દુકાનમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો જોયો. તેમણે આશ્ચર્યથી આ વિષે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો, ‘મને ખબર નથી કે આ કોનો ફોટો છે. જે કાગળ માં વસ્તુ વીંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. પણ તેમના અદભુત નયનોથી હું મુગ્ધ થઈ ગયો છું. મને લાગ્યું કે તેઓ અમારા પૈગંબર જેવા જ હોવા જોઈએ. એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.’
આપણે શરૂઆતમાં જે ‘ग्नानांजल विमलनयन’ એવા શબ્દ પ્રયોગો સાંભળ્યા તેની આ પૂર્તતા કરે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસ વ્રત ગ્રહણ કરી પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કરવા લાગ્યા. આ ભ્રમણ દરમિયાન તેઓ ગાઝીપુર આવ્યાં. તેમણે પરહરી બાબાની યોગશક્તિ વિશેની અદ્ભૂત વાતો સાંભળી. આ પહેલા એકવાર તેમની મુલાકાત પણ લીધેલી. ત્યાં રહેતાં હતા ત્યારે તેમને વિચાર આવ્યો હતો કે, શ્રી રામકૃષ્ણ દેવ સાથે આટલા વર્ષો રહ્યા છતાં આ દુર્બળ શરીરને સબળ બનાવવાનો કોઈ કીમિયો હાથ લાગ્યો નથી. તેમણે પરહરી બાબા પાસેથી હઠયોગ શીખવાનો નિર્ણય કર્યો. જે દિવસે તેઓ દીક્ષા લેવાના હતા તેની આગલી રાત્રે બિછાનામાં પડ્યા-પાડ્યા વિચાર કરતા હતા. બરાબર એ વખતે તેમણે તેમની જમણી બાજુએ શ્રી રામકૃષ્ણ દેવની આકૃતિ ઉભેલી જોઈ. તેઓ જાણે કે શોકપૂર્ણ ભાવથી, અનિમેષ નયને તેમની તરફ જોઈ રહ્યા હતાં. તેમણે પણ તેમની સામે જોયા કર્યું. આમ બે થી ત્રણ કલાક પસાર થઈ ગયા પણ સ્વામીજીના મોઢામાંથી શબ્દ સરખો ન નીકળ્યો. આ ઘટના બે-ત્રણ વખત પુનરાવર્તિત થઈ.
સ્વામીજીએ પાછળથી એક કાવ્યની રચના કરી. ‘ગાઉ હું ગીત તમને જ સુનાવવાને’ તેઓ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે, જેટલી વાર તેઓ દીક્ષાનો નિશ્ચય કરે છે તેટલી વાર તેમને આ દર્શન થાય છે. તેથી આ દીક્ષાથી શુભ નહીં થાય પણ અશુભ થશે એ વિચારથી તેમણે દીક્ષા લેવાનો વિચાર સદંતર માંડી વાળ્યો. એક વિમલ નયનની આટલી પ્રગાઢ અસરને કારણે કદાચ આપણને એવું લાગે કે આપણે રામકૃષ્ણ દેવને જ્ઞાની ગણીએ, ભક્ત ગણીએ, શું ગણીએ? કોઈ કહેશે શ્રી રામકૃષ્ણ ભલા જ્ઞાની ક્યાંથી? તેઓ તો અભણ હતાં ! ના..ના.. તેઓ સાચા અર્થમાં જ્ઞાની હતા. શાળાનું ઔપચારિક શિક્ષણ ભલે ઝાઝુ પ્રાપ્ત ન કર્યું પણ અનૌપચારિક રીતે તેમણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવી તીક્ષ્ણ તેની બુદ્ધિ, ! કેવી અદ્ભૂત મેધાશક્તિ, ! પરાવિદ્યામાં તો પારંગત, અપરાવિદ્યામાં પણ ઓછા ન હતા. કોઈ કહેશે કે, તેઓ ભક્ત હતાં તો જ્ઞાની કેમ કહો છો? ત્યારે સ્વામી વિવેકાનંદ કહેતા, ‘શ્રી રામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા જ્યારે ભીતરમાં તે જ્ઞાનથી પૂર્ણ હતા. જયારે હું બહારથી જ્ઞાની દેખાઉં છું પણ ભીતરમાં હું ભક્ત છું.’ જાણવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, શ્રી રામકૃષ્ણ દેવની કૃપા દૃષ્ટિથી હજારો-હજારો વિવેકાનંદ તૈયાર થઈ શકે છે. આવો છે એમના વિમલ નયનોનો અદ્ભૂત પ્રભાવ…(ક્રમશ:)
