
શ્રી અરોબિંદોએ લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:
‘ जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय’
તેનો અર્થ : ‘હે જગદીશ્વર, હે યોગના સહાયક, તમે આ યુગના અવતાર રૂપે પ્રાગટ્યા છો.
શ્રીમદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે ધરતી પર અવતરે છે. આપણી સમાજ માટે એવું યાદ રાખીએ કે, આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ સ્વરૂપે ઈશ્વર આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ છે યોગમાં સહાયરૂપ થવું.
સ્વામી શારદાનંદજી દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે તે મુજબ ગદાધરના શુભ જન્મ મુહૂર્ત સંબંધે શાસ્ત્રજ્ઞ ખુદીરામજીએ નવજાત શિશુની જન્મકુંડળી માંડવા જતાં જોયું કે, વિશેષ શુભ ક્ષણે આ બાળકે સંસારમાં પ્રવેશ કરેલો છે. બીજા વિદ્વાન જોષીઓ દ્વારા બાળકના જન્મ સમયની પરીક્ષા કરીને ખુદીરામને કહ્યું કે, બાળકે જે ઉચ્ચ લગ્નમાં જન્મ ગ્રહણ કરેલો છે તે સંબંધિત જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આવી વ્યક્તિ ધર્મજ્ઞ અને માનનીય થાય અને સર્વદા પુણ્ય કર્મના અનુષ્ઠાનમાં રત રહે. ઘણા શિષ્યોથી વીંટળાયેલ રહીને એ વ્યક્તિ દેવ મંદિરે વાસ કરે અને નવીન સંપ્રદાય પ્રવર્તાવીને નારાયણના અંશ ભુત મહાપુરુષ તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામી બધે ઠેકાણે લોકોમાં પૂજાય. શ્રીયુક્ત ખુદીરામનું મન આ હકીકત જાણવાથી એકદમ વિસ્મય પૂર્ણ બન્યું !!
આપણા પતંજલિ યોગસૂત્રમાં કહ્યા મુજબ ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપોમાં ગુરુઓના ગુરુ છે, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં પ્રકાશિત થયો છે. તેમના અવતારની વિશિષ્ટતા એ છે કે, તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ જન્મ્યા નથી. પણ વિભિન્ન ધર્મના, પંથોના,વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના, સાધકો માટે સહાયરૂપ બનવા શ્રી ઠાકુર પધાર્યા છે. એમણે પોતાની પ્રયોગશાળામાં અનેક ધર્મોની, અનેક મતોની, અને અનેક ભાવોની સાધના કરી છે, અને પછી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાંથી નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગનમાતાના આદેશ પ્રમાણે ભાવમુખ અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું છે.
ગુરુના સંબોધનથી તેઓ નારાજ થતા, તેમ છતાં અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હશે તેનું વિશદ વર્ણન અને સાત્વિક મીમાંસા સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગોમાં કરેલી છે. શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો. આ વાતને પોન્ડિચેરીનાં મહર્ષિ અરોબિંદોએ સ્વીકારી છે. શ્રી અરોબિંદોએ એક શિષ્યને લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. આ વિગત ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટ્રલ લાઇબ્રેરી’ના વોલ્યુમ 27ના પૃષ્ઠ 435 ઉપર લખેલી છે. આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા મહર્ષિ અરવિંદ લખે છે કે, આ બધા આત્માઓમાં શ્રી રામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા, કારણ કે બીજાઓ ઈશ્વરને એના એક માર્યાદિત અંશમાં અનુભવી શક્યા હતા. ત્યારે ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે, એની અનંત એકતામાં શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરાનૂભુતિ કરી હતી.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં આધારો ટાંકીને અનેક વાતો કહે છે, શ્રી ઠાકુરના અવતારથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સુર પ્રધાન સુર બની રહ્યો ! ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો. ઇસ્લામે પણ કોશિશ કરી. મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે તે શ્રી રામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વનાં વિખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચારીઓ, શ્રી રામકૃષ્ણ દેવને સમન્વયના મસીહા વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉન એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘ગોડ ઓફ ઓલ’માં શ્રી રામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરે છે.
શ્રી રામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેન્ચ મનીષી રોમા રોલા લખે છે કે, યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખર નું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રી રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે 2000 વર્ષના ગાળા ઉપર પથરાયેલા 30 કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. આર્નોલ્ડ ટોએલબી કહે છે કે, શ્રી રામકૃષ્ણ દેવ પૃથ્વી પર એવા સમયે અવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી.
સાર તારવતા સ્વામીજી કહે છે કે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવ જાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય છે.
આજે વૈશ્વિકીકરણ નો યુગ છે. પરંતુ આ યુગમાં માનવ-માનવ વચ્ચે અંતર વધી રહ્યું છે.. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્ક સંમત હોય, સંપ્રદાય કે નાત-જાતના ભેદભાવથી પર હોય, સર્વ પ્રત્યે સંવાદિ સુર વાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ પ્રેયસ અને શ્રેયસ સાધનારા ધર્મની આવશ્યકતા છે. આ યુગની આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર્યા છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણના જન્મ સાથે સત્યયુગ નો પ્રારંભ થયો છે. આ અનેક વિદ્વાનોના અનુભૂતિના શબ્દો આપણને એ સ્વીકારવા પ્રેરે છે કે, આ પ્રાર્થનાની પંક્તિમાં કહેવાયું તેમ તેઓ યોગના મહાસહાયક છે, અને આ યુગના અવતાર રૂપે પ્રગટેલા જગદીશ્વર છે. આપણે સૌ શ્રી રામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘ હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે પણ અમને એ અનુભવ થાય તે માટે અમારી યોગ સાધનામાં સહાયરૂપ થાઓ કે જેથી અમે સત્યયુગનો અનુભવ કરી શકીએ.(ક્રમશ:)
