by Bhadrayu Vachhrajani | Apr 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

દોઢ વર્ષ સુધી બાળક અન્ય પર આધારિત છે પણ તરુણ થતાં સુધીમાં તો તે પોતાની ઓળખ સ્પષ્ટ કરવા મથે છે.
આપણે આપણા આંગંણે ભર્યું ભર્યું કરવા પધારનાર દેવદૂત સમાન સંતાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મમ્મી અને પપ્પા બંનેનું આ સંતાન અનેક વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે તેની ટૂંકમાં પણ મુદ્દાસર વિગતો મેળવવા માટે આહોનો અને હવેના બે લેખો ખુબ ઉપયોગી સિદ્ધ થનાર છે, એટલે આપણે સ્વસ્થ ચિત્તે તેનું ગ્રહણ કરીએ તેવી અપેક્ષા છે.
આવો, આપણે વિકાસના તબક્કાઓ તરફ વળીએ..
આંતરક્રિયાથી આગળનું જીવન)
બાળકના જન્મના સમયથી ૧૮ માસ સુધી એટલે કે બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝુલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે.
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ )
બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે.
પ્રોત્સાહન અને શિસ્તપાલનનું સાતત્ય )
વિકાસનો બીજો તબક્કો એ અઢાર માસથી ત્રણ વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે દોઢ વર્ષનું બાળક ત્રણ વર્ષનું થાય એ દરમિયાન બાળક ચાલતા, બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્તપાલનના આગ્રહમાં સાતત્ય બાળકના સ્વાયતતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
સ્વાયતતા વિરુદ્ધ શરમ )
પણ હા, આ દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયતતા વિરુદ્ધ શરમનો ગાળો છે તે જરા મનમાં રાખી લઈએ.
પ્રોત્સાહનની અપેક્ષા)
બાળકના વિકાસનો ત્રીજો તબક્કો ત્રણ વર્ષથી છ વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું વિરુદ્ધ અપરાધભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે.
પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ)
ત્રીજા તબક્કામાં જો મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતાપિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જયારે જયારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે ત્યારે પહેલા અપરાધભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઈન્ટ્રોવર્ટ બનતું જાય છે.
ઉદ્યમની ભાવનાનો વિકાસ)
બાળવિકાસનો ચોથો તબક્કો એ છ થી બાર વર્ષ વચ્ચેનો છે. છ થી બાર વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે, સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે.
પરિશ્રમ વિરુદ્ધ લઘુતા)
છ થી બાર વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમ અને પરિશ્રમનું મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્વિપકો બાળક આ સમયે શોધતું હોય છે જો એમ ન થાય તો તેનામાં લઘુતાગ્રંથિ , નિષ્ફ્ળતા અને બિનકાર્યક્ષમતા વિકસતી જાય છે.
તારણ બાંધવા તરફ..)
આ પાંચમા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. એમને અગાઉ થયેલા અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માંગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે. એ પ્રશ્નો નથી પૂછતાં પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે, એમાંથી તારણ બંધાય છે.
મળેલા ઈનપુટ નું ટેસ્ટિંગ)
બાર તેર વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાની કેટલીક પ્રવૃતિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે એમાંથી તેને ઘણા inputs મળ્યા છે. એમણે મમ્મી પપ્પાને કશુંક કરતા, કશુંક ન કરતા, ક્યારેક સાચું બોલતા, ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે. હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે.
એક માંથી અનેક રોલ )
હવે જો તરુણ કે તરુણી પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત નહીં કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવશે એટલે કે અત્યાર સુધી એણે પોતાનો એક રોલ ભજવ્યો છે પણ હવે એને અનેક roles ભજવવાના છે અને એ રોલ માટે એ પૂર્વાનુભવ past experience નો ઉપયોગ કરે છે.
ઓળખ વિરુદ્ધ ભૂમિકા )
આપણે જે વિકાસના તબક્કાઓની વાત કરી રહ્યા છીએ તેમાં પાંચમો તબક્કો એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અથવા તો મૂંઝવણનો તબક્કો છે. એમને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી છે અને એની સામે છે પોતે અત્યાર સુધી ભજવેલી ભૂમિકા. આ બંનેની વચ્ચે એની મૂંઝવણ વધવાની છે અને એ મૂંઝવણ વધવામાંથી એણે પોતે એક નિર્ણય ઉપર પહોંચવાનું છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Mar 29, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

બાળકના જન્મથી લઈને પુખ્તતા સુધીના વિકાસના તબક્કાઓ ટૂંકમાં જાણીએ
મમ્મી અને પપ્પાએ એક મત ઉપર પહોંચ્યા પછી નક્કી કર્યું છે કે અમારે કુટુંબમાં બાળક જોઈએ છીએ. બંનેએ નક્કી કર્યું કે હવે ચાલો “આપણે આપણું કુટુંબ બનાવીએ”. એટલે આજ પછી પૂરા જીવનમાં આ સંતાન મારું કે તારું નથી આપણું છે, બંનેનું છે, સહિયારું છે તેથી સ્વાગત છે.
બાળક અવતરશે મમ્મીના ગર્ભમાંથી પણ એ વાત ન ભુલાય કે મમ્મી અને પપ્પાનો બંનેનો મનોરથ હતો કે આપણે આંગણે કલબલાટને આમંત્રણ આપીએ અને એટલા માટે બાળક મમ્મી દ્વારા જન્મવાનું છે પણ છે તો બંનેનું ! મમ્મી અને પપ્પા સહિયારી જવાબદારી નિભાવવાની આજથી શરૂઆત કરશે.
આ બાળક આપણાં આંગણે અવતરશે એ કોઈ અકસ્માત નથી. અસ્તિત્વનું બહુ મોટું આયોજન છે, પ્રકૃતિની બહુ મોટી વ્યવસ્થા છે, નિયતિની બધી ગોઠવણ છે એટલે આ સંતાન અવતરી રહ્યું છે, આજે આખું અસ્તિત્વ, પૂરી પ્રકૃતિ અને સમગ્ર નિયતિ આવી રહી છે.
એ દેવનો દૂત છે. બાળક દેવની હાજરી છે. ઈશ્વરની આપણા ઘરની અંદર સતત સતત હાજરી બાળક પૂરાવે છે. મેં અને તમે આપણું બાળપણ કેવી રીતે વિતાવ્યું તે ખબર નથી એ બાળપણને આપણી સમક્ષ રજૂ કરવા માટે બાળક અવતરી રહ્યું છે.
પૂજ્યશ્રી ડોંગરે મહારાજ તો બહુ વ્હાલથી કહે છે કે “લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો.” લાલો કશુંક પણ કરે તો ઉત્સવ ઉજવવાનો હોય કારણ કે લાલો અમારે આંગણે છે એ જ બહુ મોટો ઉત્સવ છે. આપણા આંગણે આ લાલો એ ભગવાનનું પ્રતીક છે. એ રીતે એનું સ્વાગત કરીએ, એ રીતે એનો આદર કરીએ, એ રીતે એના પર પ્રેમ વરસાવીએ.
આધુનિક મનોવિજ્ઞાન એવું નોંધે છે કે બાળક જન્મ્યા પહેલાથી બધા જ પ્રકારના vibrations વાઈબ્રેશન્સ અનુભવતું હોય છે. હા, બાળકમાં જ્યારથી જીવ અને અંગ ઉપાંગનો વિકાસ થવા લાગે છે ત્યારથી તે બહારની દુનિયાનો અનુભવ અંદર ધીમે ધીમે લેતું રહે છે. બહાર મમ્મી રાજી થાય તો અંદર બાળક પણ રાજી થાય, બહાર મજાનું સંગીત વાગતું હોય તો અંદર બાળક પણ રાજી રાજી થઈને પ્રસન્ન હોય.
આપણી ઈતિહાસકથાઓમાં કહેવામાં આવ્યું હતું કે, જીજાબાઈએ શિવાજી માટે હાલરડું ગાયું એમાંથી એમને શૌર્યના પાઠ મળ્યા, આ વાત ખોટી નથી. આજના વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે, મા જે કાંઈ ખાય છે, પીવે છે, વાંચે છે, લખે છે, જીવે છે તેના બધાનો પ્રતિઘોષ બાળકમાં જાય છે અને એ પ્રતિઘોષ લઈને બાળક અવતરે છે.
પ્રતિઘોષ લઈને બાળક આવ્યું છે એનો અર્થ એવો છે કે બાળક મમ્મી પપ્પા બંનેને ઓળખે છે. મમ્મી પપ્પા સાથેનો એનો પરિચય છે, ગયા ભવનો પરિચય અને છેલ્લા નવ મહિનાનો ગાઢ પરિચય છે. પણ હા, હવે કાળજી પણ લેવી પડશે. જો બાળક ગર્ભમાં હતું ત્યારે બધું સમજતું હતું અને બધા vibration વાઈબ્રેશન્સ પકડી રહ્યું હતું તો એ બાળક હવે તો અવતરી ગયું છે અને બહાર અવતરીને આપણી સમક્ષ આવેલું બાળક તો અંદર રહેલા બાળક કરતા વધુ ઝડપથી vibrations વાઈબ્રેશન્સ પકડી લેવાનું છે એટલે આપણો કોઈપણ પ્રકારનો નેગેટિવ પ્રતિભાવ એ પકડી જ લેશે.
માતાપિતા બનવું એ થોડું હવે અઘરું બની ગયું છે. પણ આ અઘરું જે છે એને સહેલું બનાવવું હોય તો બે મુદ્દા બરાબર યાદ રાખજો.
૧) બાળક મારું છે અને બાળકમાં ઈશ્વર છે એ સદા યાદ રાખજો.
૨) હું જે કાંઈ કરીશ, હું જે કાંઈ બોલીશ, હું જે કાંઈ વર્તન કરીશ તેની અસર બાળક ઉપર થશે, થશે ને થશે.
તમે બંને ગઈ કાલ સુધી husband and wife હતા, પતિ અને પત્ની હતા. બાળકના અવતરવાથી તમે upgraded થયા છો. તમારો દરજ્જો મોટો થયો છે. તમે મમ્મી – પપ્પા બન્યા છો. Happy moments છે આ તમારી.. કારણ કે તમારા પોતાના અરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે…
સંતાનના જન્મ પછી તરત જ તબીબો માતા સાથેનો નાળ સબંધ કાપી નાખે છે. જ્યારથી નાળ સબંધ કપાય છે ત્યારથી બાળકનો માતા સાથે પાળ સબંધ શરૂ થાય છે. એટલે કે પાલન માતા કરશે અને પિતા સાથે ભાળ સબંધ શરૂ થાય છે એટલે કે એની ભાળ – સંભાળનું કામ પિતાનું રહેશે.
આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછી આપશે, એ જ લાગણી એ આપણને પરત કરશે, એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે.
મનોવૈજ્ઞાનિક સત્ય યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટીકાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા એટલે કે self image ઉપર થતી હોય છે અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આવો આપણે બાળકના વિકાસના તબક્કાઓને ટૂંકમાં જાણીએ.
(ચિલ્ડ્રેન્સ યુનિ. ખાતે શ્રી નરેન્દ્ર મોદી ઈન્સ્પિરેશનલ લેક્ચર સિરીઝનું પ્રથમ વક્તવ્ય આપતી વખતે કરેલું ગૃહ કાર્ય )
by Bhadrayu Vachhrajani | Mar 22, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી.”
કન્યાકુમારીના એ દિવ્ય રોક પરની સાધનાના ફળરૂપે સ્ફુરેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા ચિત્ત ઝડપથી ક્રિયાશીલ બન્યું અને સ્વામીશ્રી વિવેકાનંદજીએ શ્રી મઠ અને મિશનના ગઠનને આખરી ઓપ આપ્યો. છેવટે એ શુભ ઘડી આવી પહોંચી.
તારીખ પહેલી મે 1897 ના રોજ શ્રી રામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતાં ગંભીરાનંદજી લખે છે: એ દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું. “જુદા-જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી. એ પશ્ચિમના દેશોના સ્ત્રી પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવા ઈર્ષાળું નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓ ને હું તો એક સામાન્ય માણસ છું તો પણ એ લોકોએ મારો કેટલો બધો આદર સત્કાર કર્યો !! આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સુહૃદયી બની જશે, જ્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શીખશે, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સરમુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે. અમે લોકો જેમના નામ પર સન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમરૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેના દેહાવસનના 12 વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમના પવિત્ર નામ અને અદભુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો આ કાર્યમાં સહાયક બનો.” ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.
પાંચમી મેના રોજ ભરાયેલી દ્વિતીય સભામાં આ વિષયની કાર્ય પદ્ધતિ ઉપર ચર્ચા વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું રામકૃષ્ણ પ્રચાર સમિતિ અથવા તો રામકૃષ્ણ મિશન એસોસિએશન તે સમયે નક્કી કરવામાં આવ્યું. કાર્યપદ્ધતિ પ્રમાણે ઉદ્દેશ હતો: મનુષ્ય માત્રના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણે જે સત્યનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા તેનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યની શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો એ આ મિશનનો ઉદ્દેશ રહેશે. વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એવું જાણીને બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રી રામકૃષ્ણદેવે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય રહેશે. કાર્ય પદ્ધતિ લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું, કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા, શ્રી રામકૃષ્ણજીના જીવનના દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મના વિચારોનો સમાજમાં પ્રસાર કરવો. ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂર સુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે. ભારતની બહાર દીક્ષિતોને મોકલવા, જે એ દેશોમાં સ્થપાયેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવા તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી.
સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકત્તા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાંચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે નિયમ પણ બનાવવામાં આવ્યો કે, દર રવિવારે સાંજે ચાર વાગ્યે બલરામ બાબુના એ જ 57 નંબરના રમાકાંત બાસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી. સ્વામીજી જ્યારે પણ કોલકત્તામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા. એ પછી ઘણા સમય બાદ 1909 ના એપ્રિલમાં, 1860 એક્ટના 21 પ્રમાણે કાયદાકીય રીતે રામકૃષ્ણ મિશનના નામે રજિસ્ટ્રેશન કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયિત્વ આપવામાં આવ્યું (સંદર્ભ: આ વિગત “યુગનાયક” ના 277 થી 281 પાન ઉપર આપવામાં આવેલ બાબતોનો સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 15, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સ્વામીશ્રી વિવેકાનંદજીના ચિંતનનો વિષય હતો:: “ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ છે.”
શ્રી રામકૃષ્ણદેવ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ જોડાયેલું છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદજી ના જીવનમાં પણ એવું જ બન્યું છે. બધાના જીવનમાં વત્તા ઓછા પ્રમાણમાં જ્ઞાન,ભક્તિ, સત્કર્મની ઈચ્છા અને નિરવ ધ્યાનની અભિપસા હોય છે. સ્વામીજીએ આપેલા કર્મ માર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં કારણ કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે, પરંતુ સ્વામીજીના વ્યવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી કેમ કે, તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે. ફળ ઉત્પન્ન થયા પહેલા પણ તે ભગવાનનું છે. મધ્યાવસ્થામાં પણ એ ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવજ્ઞાનથી જીવ સેવાની મૂળ વાત જ આ છે એમાં સ્વાર્થને કોઈ જ સ્થાન નથી.
સ્વામીજીની સંકલ્પના મુજબનો નવસન્યાસી સંઘ વેદાંત અને શ્રી રામકૃષ્ણજીની વાણીનો પ્રચાર તો અવશ્ય કરતો રહે, પણ સાથે જ નરેન્દ્રના અંતરમનમાંથી એક અસ્ફૂટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો કે, શ્રી રામકૃષ્ણદેવ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રસારિત કરશે. “શું હતો આ સંદેશ ?” જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં આ પ્રજ્વલિત અગ્નિવહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે ઉત્તર ભારતથી શરૂ કરી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું. તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા. રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો. ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના સોપાનો સર કર્યા અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે ભારતના અંતિમ કિનારે સમગ્ર ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
“યુગનાયક”માં લખાયું છે કે, કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે. એના પછી તરત ત્રણે દિશાઓમાં મોજા ઉછાળતો દરિયો, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં બેઠેલા છે, એ મૂર્તિ અત્યંત સુંદર દર્શન કરતાની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાના દર્શન કાજે બાળ ની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. દર્શન અને પૂજા પૂરા થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા. એમના ચિંતનનો વિષય હતો ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ.
ભારતનો ગૌરવભર્યા અધ્યાત્મ મહિમાથી ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ દારિદ્રમાં ડૂબાડૂબ, વીર્ય વિનાનો, ગૌરવ ગુમાવી બેઠેલો, અધ્યાત્મ સંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય !! ભારતના અલુપ્ત ગૌરવને શું ફરી એકવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે ?? જો સંભવિત હોય તો તેનો ઉપાય શું?
સ્વામીજીએ ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેકવિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તા રૂપે દીઠું. એમને સમજાઈ ગયું કે, ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનો મેરુદંડ છે. એમના શાંત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં દિવ્ય વાણી ગુંજી ઉઠી, જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારત વર્ષમાં એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલન ક્ષેત્ર બની ઉઠેલું. એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનો પુનરુત્થાન અને પુનઃ પ્રતિષ્ઠા સંભવિત છે. ધર્મને પૂરેપૂરો અનુસરીને અને જીવનમાં એને ઉતારીને કોઈપણ જાતિ ક્યારેય અનદહ પતિત થાય નહીં, ઉલટાનું ઇતિહાસની સાક્ષી લેતાં જણાય છે કે, જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નીવડે છે એ બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. એ દિવસે તેઓએ એક પત્રમાં લખ્યું, આ બધું જોઈને અને તેમાં ય ખાસ કરીને દ્રારિદ્ર અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી.
એક વિચાર પાકો કર્યો કે, કુમારિકા ભુશિર ઉપર મા કુમારિકાના મંદિરમાં બેસીને ભારતવર્ષની છેક છેવાડા ની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે, આ જે આપણે આટલા બધા સન્યાસીઓ છીએ તે બધા રજળપાટ કરતાં અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શીખવાડીએ છીએ એ બધું પાગલપણું છે. ખાલી પેટે ધર્મ ન થાય ગુરુદેવ કહેતા હતા: આ બધા ગરીબ ગુરબાં જાનવરની જેમ જીવે રાખે છે, એનું કારણ મૂર્ખતા છે. પાજી પુરોહિત બેટાઓ ચાર ચાર યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચડી રહેલા છે. આપણી જાતિ પોતાનું હીર હારીને બેઠી છે. નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સૌએ એમને પગતળે કચડેલા છે અને એમની ઉઠીને ઊભા થવાની તાકાત આ પોતાની અંદરથી જ આણવી રહેશે. કટ્ટર હિન્દુઓએ જ આ કામ કરવું પડશે. (સંદર્ભ :: “યુગનાયક” પુસ્તકના પહેલા ભાગમાં 429 થી 431 ઉપરની વિગતનો આ સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 14, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ભાવસમાધિમાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું : “નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન… જે નામ તે જ ઈશ્વર.. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.”
“સ્વામી શ્રી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 410 ઉપર એક વિગત છે.
શ્રી રામકૃષ્ણદેવ કેટલીક વાર કહેતા, “ઈશ્વર પર આધાર રાખજો, પવનની દયા પર રહેતા સુકા પાંદડાની જેમ રહેજો, તેની કૃપાનો પવન તો સતત ફૂકાય જ રહ્યો છે, જરૂર છે માત્ર તમારા સઢને ચઢાવવાની.”
“સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 407 ઉપર થી એક અવતરણ આપણે વાંચીએ.
વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયું દળાય તેટલું માણસ ઉભરાતું હતું ત્યારે જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો, તેનું કારણ શું? કારણ તેમની એટલે કે શ્રી રામકૃષ્ણદેવની કૃપા અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો છે, આવું સ્વામી શ્રી વિવેકાનંદજીનું કહેવાનું છે.
“આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિ મંત્રે દીક્ષિત યુવા સન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે, જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે. આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ.. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે, કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા” નો મંત્ર મેળવ્યો. 1884 ની સાલમાં એકવાર ક્યારેક સંઘના એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ પોતાના ખંડમાં ભક્તોથી વિટળાઈને બેઠેલા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે. અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત મજાકની વાતચીત પણ ચાલી રહી છે. વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા :: ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે. નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન. જે નામ તે જ ઈશ્વર નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું. ભક્ત અને ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા તેમની પૂજા અને વંદના કરવી અને શ્રીકૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો ઉપર દયા દાખવવી. સર્વજીવો પર દયા એમ કહેતા જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા. કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા, જીવ ઉપર દયા, જીવ ઉપર દયા, હટ સાલા મગતરામાં મગતરૂ તું કે જીવ પર દયા કરવાનો?? દયા કરનારો તું વળી કોણ ?? ના ના જીવ ઉપર દયા નહીં, “શિવજ્ઞાને જીવની સેવા” ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણદેવના એ વચનો ભલે બધાએ સાંભળ્યા, પરંતુ એનો ગુઢ મર્મ ત્યારે કોઈ ન સમજી શક્યા કે ન તો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ સમી ગયા પછી બહાર આવીને કહેલું: શું અદભુત પ્રકાશ આજે ઠાકુરના વચનોમાં હું જોવા પામ્યો છું. શુષ્ક કઠોર અને નિર્મમ રીતે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગ સાથે ભેળવી દઈને કેવા તો સહજ રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે, વનના વેદાંતને ઘરમાં લાવી શકાય. સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી. માત્ર સૌથી પહેલા આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું અને તે એ કે, ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળેપળ એ જેના સંપર્કમાં આવી રહ્યો છે, જે જે બધાને પ્રેમ કરી રહ્યો છે, જેમના પ્રત્યે શ્રદ્ધા સન્માન અથવા દયા દાખવી રહ્યો છે તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે “શિવ જ્ઞાને જીવોની સેવા” કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળા તરીકે નક્કી જાણી શકશે.
ઠાકુરની એ વાત વડે ભક્તિ પથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશ કુસુમવત રહે છે. શિવ અને નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે, એ વાત કહેવાની જરૂર નથી. જે હોય તે પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ. પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાળ સૌને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ.”
શ્રી ગંભીરાનંદજી લખે છે કે, સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું. આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી. આ સન્યાસીઓ નવા યુગના સંદેશ વાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેવો મન મુખ એક કરીને સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ, દરિદ્ર નારાયણ, દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ સરળ અને સુગમ બનશે. આથી તે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે એટલે કે “આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” જીવન જીવશે.