હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ, મને તમારા ચરણોમાં ભક્તિ આપો. (12)

 

 

 

 

 

‘હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ?

એકવાર શ્રી રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠાં હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામનાં એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું,  અહીં બંગાળમાં લોકો સાધુ સેવાનું મહત્વ સમજતા નથી એટલે આ મેલી ચાદર રાખેલ છે. અમારા દેશમાં તો અમે લોકો સાધુ સેવા માટે કાયમી વ્યવસ્થા કરીએ છીએ. મેં નક્કી કર્યું છે કે, આપના નામે 10,000 રૂપિયા જમા કરાવી દઈશ. આથી દર મહિને લગભગ રૂપિયા 40નું વ્યાજ આપને મળ્યા કરશે. અને આપની સેવા સારી રીતે થઈ શકે તેની કાયમી વ્યવસ્થા થઈ જશે. આ વાત સાંભળતા જ શ્રી રામકૃષ્ણ દેવ જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો હોય એમ બેશુદ્ધ થઈ ગયા. ભાનમાં આવતા ની સાથે તેણે શેઠજીને કહ્યું, ‘એવી વાત જો હવે ફરીથી બોલવી હોય તો અહીં આવશો નહીં . મારાથી રૂપિયાને અડી શકાતું નથી. તેમ પાસે રાખી શકાતો નથી. શેઠજી કુશાગ્ર બુદ્ધિવાળા હતાં. તેમણે કહ્યું, ત્યારે તો હજીયે આપને ત્યાજ્ય  ગ્રાહ્ય છે. શેઠજીએ ફરી એ રૂપિયા હૃદયરામ નામના એક રામકૃષ્ણદેવના ભાણેજ સેવક દ્વારા રાખીને મોકલ્યા અને રાખવાનું કહ્યું. શ્રી રામકૃષ્ણદેવે આ વાતનો અસ્વીકાર કરતા કહ્યું, ‘મારે એને કહેવું પડશે કે આને રહેવા દે, આને દે, પેલાને દે, એ મુજબ એ ન આપે તો મને ગુસ્સો ચડે. માટે એ બનવાનું જ નથી. રૂપિયા પાસે હોય એ ખરાબ છે. શેઠજી એ દિવસે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈ ગયા, પણ તેમણે એક નવી તરકીબ વિચારી. અન્ય એક દિવસે કોથળીમાં 10,000 રૂપિયા ભરીને રામકૃષ્ણ દેવ પાસે પહોંચ્યા અને રૂપિયા રાખી લેવા માટે વિનવણી કરી. રામકૃષ્ણ દેવે ફરી અસ્વીકાર કર્યો. ત્યારે શેઠજીએ પ્રસ્તાવ મૂક્યો કે આ રૂપિયા તેમના ધર્મ પત્ની શ્રી મા શારદા દેવીને દેવામાં આવે. શ્રી રામકૃષ્ણ દેવ મા શારદા દેવી ની પરીક્ષા લેવાના ઈરાદાથી શેઠજી સાથે નોબત ખાનામાં તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘આ શેઠજી 10,000 રૂપિયા આપવા આવ્યા છે, મેં લેવાની ના પાડી, પણ તમારે રાખવા હોય તો રાખી શકો છો. સરસ મજાના ઘરેણા કરાવી શકો.’ શ્રી મા એ અંદરથી જવાબ આપ્યો,  ‘મારે ઘરેણાં વગેરે કઈ નથી જોઈતું. હું જો આ રૂપિયા રાખીશ તો તમારી જ સેવામાં લાગશે. મારું ગ્રહણ કરવું એ તમે ગ્રહણ કર્યા બરાબર જ દેખાશે. તમે જ્યારે આ રૂપિયાનો અસ્વીકાર કર્યો તો હું કેવી રીતે સ્વીકાર કરું?’ શેઠજી વિલે મોઢે શ્રી રામકૃષ્ણ દેવના ઓરડામાં પાછા ફર્યા. સાધુને દાન કરવાના સંકલ્પ સાથે લાવેલા રૂપિયાની કોથળી પાછી લઈ જતા તેમને સંકોચ થયો એટલે તેમણે શ્રી રામકૃષ્ણદેવને કહ્યું, ‘આ રૂપિયા હું દાન કરવાના ઉદ્દેશથી લાવ્યો છું, માટે મારાથી પાછા લઈ જવાય નહીં. આ કોથળી ભલે અહીંયા રહી. આ સાંભળતા જ શ્રી રામકૃષ્ણદેવ પોક મૂકીને રડવા મંડ્યા, અને જગતમાતાને પ્રાર્થના કરવા લાગ્યા. ‘ હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ?  આ તો મારા શત્રુ છે. આટલું કહેતા-કહેતા તો તેઓ સમાધિષ્ઠ થઈ ગયા. શેઠજી તો હતપ્રભ  થઈ ગયા. શ્રી રામકૃષ્ણદેવને જ્યારે બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે શેઠ  બે હાથ જોડી વિનવવા લાગ્યા, ‘મહારાજ અપરાધ માટે ક્ષમા કરો. મારો ઉદ્દેશ આપને પ્રલોભનમાં નાખવાનો નહોતો. હવે આવું કદી નહિ કરું.’ આમ કહીને તેઓ રડ્યા. શ્રી રામકૃષ્ણદેવે આશ્વાશન આપીને તેમને શાંત કર્યા.

શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી તેમનાં સંન્યાસી શિષ્યો  સ્વામી વિવેકાનંદજી, સ્વામી અખંડાનંદજી વગેરે પરિવ્રજક  રૂપે ભ્રમણ કરવા લાગ્યા. 1889 ની વાત પોતાના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરા નંદજી કરે છે. સ્વામી અખંડાનંદજી કેદારબદ્રીના દર્શન માટે  હિમાલયના પંથે દિલ્હી પહોંચ્યા. એક સવારે ત્યાંના એક બગીચાની બેન્ચ ઉપર બેઠા હતા ત્યારે એક શેઠજીએ તેમને પ્રણામ કર્યા અને ભેટ રૂપે તેમના ચરણોમાં થોડા પૈસા મૂક્યાં. સ્વામી અખંડાનંદજીએ પૈસા નો અસ્વીકાર કરતા કહ્યું,  ‘મેં વ્રત લીધું છે, પૈસાનો સ્પર્શ કર્યા વગર જ ભ્રમણ કરીશ. મારા ગુરુદેવ પૈસાનો સ્પર્શ કે ધાતુનો સ્પર્શ કરતાં ન હતા.’  શેઠજીએ  ઉત્સુકતાથી પૂછ્યું,  ‘કોણ છે આપના ગુરુદેવ’?  સ્વામી અખંડાનંદજીએ કહ્યું, ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’. એકવાર એક મારવાડી શેઠ 10 હજાર રૂપિયા તેને દેવા આવ્યા પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. શેઠજી તો આનંદમાં આવી ગયા. અને ફરી તેમને પ્રણામ કરી કહ્યું, ‘વાહ રે વાહ… જેસા ગુરુ વૈસા ચેલા…’ હું જ એ લક્ષ્મીનારાયણ છું. ત્યારે બળજબરીથી રૂપિયા આપવા જતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. સ્વામી અખંડાનંદજી પણ  અહીં દિલ્હીમાં અજાણી જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવના ભક્તને મળીને આનંદિત થયા. શેઠજી તેમને વાતો કરતા -કરતા પોતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો. આજથી 100 વર્ષો પૂર્વે દસ હજાર રૂપિયાની કિંમત ઓછામાં ઓછી 10 લાખ હતી.  પણ આવડી મોટી રકમનો શ્રી રામકૃષ્ણ દેવે  તણખલાની જેમ ત્યાગ કર્યો. એવું નથી કે શ્રી રામકૃષ્ણદેવને આર્થિક તંગી ન હતી. કાલીમંદિરના પુજારીનાં કાર્ય માટે તેમને મહિને માત્ર સાત રૂપિયા વેતન મળતું. જો કે તેમણે ક્યારેય આ પગાર માટે હસ્તાક્ષર કર્યા ન હતાં. ક્યારેક તો દૂધના પૈસા પણ દેવાના બાકી હતા. એકવાર સિંધના મહેન્દ્ર વૈદ્ય રામલાલદાદાને પાંચ રૂપિયા આપી ગયેલા. રામલાલદાદાએ જ્યારે શ્રી રામકૃષ્ણ દેવને આ વાત કરી ત્યારે તેમને પૂછ્યું, ‘કોના માટે આપ્યા છે? તેમણે કહ્યું, ‘અહીને માટે…’  શ્રી રામકૃષ્ણદેવે પાછળથી આ વિષે કહ્યું હતું કે,  પહેલા તો મેં ધાર્યું કે દૂધના દેવાના બાકી છે તે દેવાઈ જશે. પણ હોય મા.. અઢી વાગ્યે જાગી ઉઠ્યો. છાતીમાં જાણે બિલાડી નોર મારી રહી હતી. એટલે રામલાલની પાસે જઈને મેં વળી પાછું પૂછ્યું, ‘એ પૈસા તારી કાકીને તો નથી આપી ગયો ને?, તેમણે કહ્યું ના.. ત્યારે મેં તેને કહ્યું, ‘તું અત્યારે ને અત્યારે પાછા આપી આવ.’  ત્યાર પછી રામલાલ તે રૂપિયા પાછા દઈ આવ્યો ત્યારે મનને શાંતિ થઈ.

એકવાર શ્રી મા શારદા દેવીએ શ્રી રામકૃષ્ણદેવને પૂછ્યું, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જે મા ત્યાં મંદિરમાં છે, એ જ મા ચંદ્રામણી દેવી એટલે કે તેમની ગર્ભ ધારિણી માતા નોબત ખાનામાં ઉપર રહે છે. તે જ મા હમણાં મારી સામે બેઠા છે. ખરું કહું છું, તમારામાં  અને જગત માતામાં હું કાંઈ ભેદ જોતો નથી. શ્રી રામકૃષ્ણદેવ આમ ફક્ત મોઢેથી જ બોલ્યા એટલું જ નહિ, કાલહારિણી  કાળી પૂજાની રાતે પોતાની પત્ની મા શારદા દેવીની સોળશી મહાવિદ્યાના રૂપમાં પૂજા કરી. સમસ્ત જીવન તેમની સાથે પવિત્ર સંબંધ રાખ્યો. વિશ્વના ઇતિહાસમાં ક્યાંય કાંચનકામીની નો આવો અદભુત ત્યાગ જોવા નથી મળ્યો. તેઓ ખરેખર ત્યાગીઓના બાદશાહ હતા. એટલે જ સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની 11મી અને 12મી પંક્તિમાં  वंचन कामकांचन  अति निंदित इन्द्रिय राग त्यागेश्वर हे नरवर दैहो पदे अनुराग. તમે અતિ નિંદ્રિત ઈંદ્રિયાશક્તિ તથા કામકાંચનનો ત્યાગ કર્યો છે. હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ, મને તમારા ચરણોમાં ભક્તિ આપો. 

‘કેમ રે, આટલા મોઢાથી તો તું ખાય જ છે ને ??’ (11)

 

 

 

 

 

 

 

 

 

હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.

સ્વામી વિવેકાનંદજીએ  શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં કહે  છે,

प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે,  તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.

સ્વામી શ્રી પ્રેમાનંદજી એ એક વાત નોંધી છે.

એકવાર હાજરા એ શ્રી રામકૃષ્ણ દેવને કહ્યું, “નરેન્દ્રને જોવા તમે આટલા વ્યાકુળ કેમ રહો છો? ભગવાનમાં તમારું મન લગાડો. આ બધા છોકરાઓનો વિચાર છોડી દો.”  એક નાના સરળ બાળકની જેમ શ્રી રામકૃષ્ણ દેવે હાજરા ની વાત માની લીધી અને દક્ષિણેશ્વરમાં પંચવટી તટે  ગયા. ત્યાં જગનમાતાએ દર્શન આપી તેમને કહ્યું, ‘તું કેવો મૂર્ખ છે ! શરમ નથી આવતી, તું આ જગતમાં કેવળ પોતાના સુખને માટે આવ્યો છે?’ ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું,  ‘મા, જો માનવના કલ્યાણ માટે મારે લાખો વાર દુઃખ સહન કરવા પડે તો હું ખુશીથી તેમ કરીશ.’ આ વાતને માંડ છ મહિના થયા હશે ત્યાં જ તેમને કેન્સર થઈ ગયું. તેઓ માંડ-માંડ ધીમા અવાજમાં બોલી શકતા, ભૂખ્યા હોવા છતાં કંઈ ખાઈ શકતા નહીં. બેસતી વખતે કે સુતી વખતે કોઈપણ અવસ્થામાં પીડામાંથી રાહત મળતી નહીં. દિવસ-રાત સમસ્ત દેહમા ભયંકર બળતરા થતી. આટલી ભયંકર યાતના હોવા છતાં ક્યારેય લોકો પર કૃપા વરસાવાનું અને તેઓને ઈશ્વરના પંથે અગ્રેસર કરવાનું તેમણે બંધ નહીં કર્યું. આવું લગભગ લગભગ દોઢેક વર્ષ ચાલ્યું.

સ્વામીશ્રી નિખિલેશ્વરનંદજી લખે છે કે, છેલ્લા દોઢ વર્ષ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના દેહમાં જે પીડા  ભોગવી છે તેનું તો વર્ણન અશક્ય છે. છ મહિના માટે તેમનો નિત્ય આહાર હતો જવનું પાણી. એ પણ અત્યંત કષ્ટપૂર્વક ગળાની અંદર તેઓ ઉતારી શકતા હતા. શ્રી રામકૃષ્ણદેવ પોતે ડોક્ટરને ગળાની પીડા નું વર્ણન કરતી વખતે કહેતા, ‘ઘાવ થઈ જવાથી કોઈક છુરી મારી રહ્યું હોય એવી વેદના થાય છે. રાત કાઢવી મને મુશ્કેલ પડે છે.’

અંતિમ બીમારી વખતે પ્રખ્યાત પંડિત શશીધર તુર્કચોરામણીએ શ્રી રામકૃષ્ણદેવને સલાહ આપી, ‘મહાશય, શાસ્ત્રમાં વાંચ્યુ છે કે આપના જેવા મહાપુરુષ ઈચ્છા માત્રથી શરીરના રોગ મટાડી લઈ શકે છે. મટી જાઓ એમ વિચાર કરીને એકવાર રોગને સ્થાને મનને એકાગ્ર કરીને થોડીવાર રાખવાથી બધું મટી જશે. આપ પણ એકવાર એ પ્રમાણે કરી જુઓ’.. તો શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ‘અરે,  તમે પંડિત થઈને આવી વાત શી રીતે કરો છો? જે મન સચ્ચિદાનંદજીને આપ્યું છે તેને ત્યાંથી ઉઠાવીને આ ભાંગ્યા તૂટ્યા હાડ -માસના માળખા ઉપર લગાડવાની પ્રવૃત્તિ હવે શું થઈ શકે?’  પંડિતજી તો નિરુત્તર થઈ ગયા. પણ સ્વામી વિવેકાનંદજી તથા અન્ય ભક્તોથી ચુપ રહેવાયું નહીં. તેઓએ જીદ માંડી અને કહેવા લાગ્યા, ‘અમારાથી આપનું આ  ભયંકર કષ્ટ જોવાતું નથી. છેવટે  અમારી ખાતર આપે આ રોગ મટાડવો પડશે.’  શ્રી રામકૃષ્ણ દેવે જ્યારે કહ્યું કે,  જગન માતાની ઈચ્છા પર એ આધારિત છે ત્યારે સ્વામી વિવેકાનંદજી એ તેમને જગન માતાને પ્રાર્થના કરવા કહ્યું. ઘણી આનાકાની પછી શ્રી રામકૃષ્ણદેવ જગન માતાને પ્રાર્થના કરવા માટે સંમત થયા. થોડા કલાક વીત્યા પછી સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવને ઉત્સુકતાથી પૂછ્યું,  ‘ગુરુદેવ, તમે મા ને કહ્યું, મા શું બોલ્યા?’   શ્રી રામકૃષ્ણદેવ બોલ્યા, ‘મેં મા ને ગળાનો ઘાવ દેખાડતા કહ્યું, આને લીધે કશું ખવાતું નથી. જરાતરા ખવાય એવું તો કરી દે’ તે સાંભળીને તમને લોકોને દેખાડીને મા બોલ્યા, ‘કેમ રે, આટલા મોઢાથી તો તું ખાય છે’. શરમથી ભોઠો પડી જઈને હું તો આગળ કશું બોલી ન શક્યો.

શ્રી રામકૃષ્ણ દેવનું સમસ્ત જીવન દુઃખ-કષ્ટોથી ભરપૂર હતું.  કેવી કઠોર  કઠોર એમની સાધનાઓ હતી! પરિણામે માનવજાતના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણ દેવે જે દુઃખો સહન કર્યા છે તે વર્ણનાતીત છે.  એટલે સ્વામી વિવેકાનંદજીએ  શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં લખ્યું છે, प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો. વિશ્વના ઇતિહાસમાં રામકૃષ્ણ દેવ જેવી સાધનાનું વર્ણન મળતું નથી. પછી આ સાધનાના ફળ વિતરણ કરવા માટે એવો કેવા વ્યાકુળ  થયા હતા, જગન માતાના દર્શન માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે ગંગાના તટ પર રેતી પર પછડાટ ખાઈને પડી જતા. વ્યાકુળ રુદનથી દિશાઓ ભરાઈ જતી. શ્વાસોશ્વાસ બંધ પડી જતા. પ્રાણ તડફડવા લાગતા. શરીર આખું ઉજ઼ેડાઈ  જતું અને લોહીલોહાણ થઈ જતું.

આ અવસ્થા પછી શ્રી રામકૃષ્ણ દેવને પંચવટી ખાતે એક દિવસ દર્શન થયું. તેમના શરીરમાંથી પાપ પુરૂષ બહાર નીકળ્યો અને બીજો એક સૌમ્ય પુરુષ તેના શરીરમાંથી બહાર નીકળી અને તેને મારી નાખ્યો. આમ બન્યું તે પહેલા છ મહિના સુધી તેમણે દેહની બળતરાથી બહુ પીડા ભોગવેલી. પાપ પુરુષના નાશના થોડા વખત પછી ફરી તેમના શરીરની બળતરા શરૂ થઈ. બળતરા એટલી વધી ગઈ કે માથે ભીનો ટુવાલ રાખીને ત્રણ ચાર કલાક સુધી ગંગાના પાણીમાં શરીર ડુબાડીને બેસી રહેવા છતાં પણ તેમને શાંતિ ન થઈ. છાતીની અંદર હામી ભરીને દેવતા મૂકવાથી જેવી લ્હાય ઉઠે અને પીડા  થાય એવી જાતનો અનુભવ કરીને શ્રીરામકૃષ્ણ દેવ ત્યારે તડફડી ઉઠ્યા. ઇષ્ટ કવચ ધારણ કર્યા પછી આ બળતરાનું શમન થયું.

તોતાપુરી પાસેથી અદ્વૈત જ્ઞાન મેળવ્યા બાદ શ્રી રામકૃષ્ણ દેવ છ મહિના સુધી નિરંતર નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં રહ્યા. તે દશામાં એક અજ્ઞાત સાધુએ એમને દેહત્યાગ કરતા બચાવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવના વાળ ધુળ ભરેલી ચટ્ટાઈ જેવા ઘટ્ટ થઈ ગયા. છ માસ સુધી આંતરડામાં અસહ્ય શૂળ ભોંકાયા કર્યા.  તેઓ  પોતે આ અવસ્થાનું વર્ણન કરતા કહેતા, ખૂબ બીમાર હતો, ઝાડા  બંધ થતા ન હતા, કરોડો કીડીઓ મારા મગજને કોરી ખાતી હોય એવું થતું હતું. સતત દિવ્ય આનંદમાં ડૂબેલો રહેતો અને તેથી દિવસ-રાતનું કોઈ ભાન ન રહેતું. બીજે દિવસે સખત ઝાડા  થઈ જતા અને બધો આનંદ મળ દ્વારા નીકળી જતો. શુદ્ધ હ્રદયવાળા ભક્તોને માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠી પરની અગાસીમાં ચડીને રડતાં-રડતાં પોકારવા લાગતા, ‘અરે ક્યાં છો ભક્તો, આવો આ સંસારી લોકોની વાતો સાંભળીને મારા કાન બળી ગયા છે.’ તેમના આહવાનથી શુદ્ધ હૃદયવાળા સ્કૂલ-કોલેજનાં અનેક વિદ્યાર્થીઓ આવ્યા અને તેમના સંસ્પર્શથી સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ જેવા અનેક સંન્યાસીઓ આપણને મળ્યા.

આ કળિયુગમાં પાપાચાર વધી રહ્યો છે અને લોકોના શારીરિક અને માનસિક દુઃખો પણ વધી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ, પ્રભુ તમારો અવતાર કળિયુગના પાપનો ભાર લેવા માટે થયો છે, માટે સમસ્ત જગતનું દુઃખ દૂર કરો. પ્રભુ, સમસ્ત જગતનું કલ્યાણ કરો.

 

‘જા, તારી કાશીએ મારે નથી જવું.’ (10)

 

 

 

 

 

 

મથુર,  તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની નવમી પંક્તિમાં કહ્યું છે,

”ભંજન દુઃખ ગંજન કરુણાધન કર્મ કઠોર”.

હે કરુણાધન, તમે જીવોના દુઃખો નાશ કરો છો અને એ માટે કઠોર કર્મ કરો છો.

આપણા કરુણા મૂર્તિ શ્રી રામકૃષ્ણદેવ હંમેશા વ્યાકુળ રહેતા,,,(એક) સંસારના તાપથી તપ્ત અગણિત નરનારીના દુઃખ દૂર કરવા માટે… (બે)  ફક્ત તેઓના ભવ બંધનનું દુઃખ દૂર કરવા માટે નહિ,  તેઓના લૌકિક દુઃખો દૂર કરવા માટે પણ તત્પર રહેતા… (ત્રણ) પોતાના શરણે આવેલા લોક સમુદાયના વ્યક્તિગત દુઃખ દૂર કરીને તેઓ અટકતા નહિ. પરંતુ સામુહિક રીતે પણ તેઓના દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા.

એકવાર શ્રી રામકૃષ્ણ દેવ રાણી રાસમણીના જમાઈ શ્રી માથુરનાથ વિશ્વાસની સાથે તેમની નદિયા જિલ્લામાં આવેલ જમીનદારીની જાગીર જોવા રાણીઘાટ ગયા. તે સમયે પ્રજાગણ પાસેથી વેરો વસૂલ કરવાનો સમય હતો પરંતુ સતત બે વર્ષથી પાક ન થવાથી લોકો દુર્દશાની ચરમસીમાએ પહોંચી ગયા. કોકના દુઃખે દીનદુર્બળ લોકોના જર્જરિત શરીર જોઈ શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય કરુણાથી આદ્ર બની ગયું. તેમણે મથુરબાબુને બોલાવીને તે દુર્ભાગી લોકોની મહેસુલ માફ કરવા માટે અને તેઓને પેટ ભરીને ખવડાવી વસ્ત્રદાન કરવા માટે કહ્યું. મથુરબાબુ બોલ્યા, બાપુ તમને ખબર નથી કે પૃથ્વી પર કેટલા બધા દુઃખ, કષ્ટ છે. એ કારણસર પ્રજાનો મહેસુલ માફ નહી થાય. રામકૃષ્ણદેવે આદ્ર ભાવે કહ્યું, મથુર તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ. મથુરબાબુને શ્રી રામકૃષ્ણ દેવના દુઃખીઓને સહાયરૂપ થવાના સદાગ્રહ આગળ નમતું જોખવું પડ્યું. આજ તો છે, ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટ !!  જે  શ્રી રામકૃષ્ણદેવે કેટલાય વર્ષો પહેલા મથુરબાબુના માધ્યમથી અમલમાં મુકેલ. આ કદમને આપણે અનુસર્યા હોત તો ટ્રેડ યુનિયન અને મેનેજમેન્ટની વચ્ચેના ઘર્ષણો ઓછા થવાથી દેશની ઉત્પાદકતામાં વધારો થયો હોત, એ નક્કી.

શ્રી રામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે તીર્થ ભ્રમણ કરી રહ્યા હતા. ત્યાં બિહાર રાજ્યના દેવધર વૈદ્યનાથ પાસે આવી જ એક ઘટના ઘટી. ગામના સંથાલ આદિવાસી જાતિના લોકો ભૂખના દુઃખથી પીડિત અને વસ્ત્રહીન અવસ્થામાં હતા. એ પ્રદેશમાં બે વર્ષથી દુકાળ પડ્યો હતો. ગામવાસીઓના દુઃખ-દારિદ્ર જોઈને શ્રી રામકૃષ્ણદેવનું હૃદય એકદમ કરુણાથી ભરાઈ ગયું. તેમણે મથુરબાબુને કહ્યું, તમે તો મા ના દીવાન છો. આ બધાને માથાદીઠ તેલ અને એક પહેરવાનું વસ્ત્ર આપો, અને એક દિવસ ભરપેટ જમાડી દો. મથુરબાબુ બોલ્યા, બાબા તીર્થોમાં ઘણો ય ખર્ચ થશે. આ લોકો તો આટલા બધા છે. આમ કરવા જતા પૈસા ખૂટી પડશે. આ વાત સાંભળી શ્રી રામકૃષ્ણ દેવ વ્યથિત  થયા. ગ્રામ વાસીઓની દશા જોઈને તઃફૂરની આંખમાંથી અશ્રુની ધાર ચાલવા લાગી. હૃદયની અપૂર્વ કરુણાના આવેગ સાથે તેઓ બોલી ઉઠ્યા,  ‘જા, તારી કાશીએ મારે નથી જવું,  હું તો બધાની સાથે જ રહીશ.  એમનું કોઈ નથી એમને છોડીને હું નથી જવાનો’. આવું બોલીને બાળકની જેમ રિસાઈ જઈને તેઓ કંગાળોની વચમાં જઈને બેસી ગયા. હવે શું થાય ? ન છૂટકે મથુરબાબુએ કોલકતાથી વસ્ત્રો મંગાવ્યા અને શ્રી રામકૃષ્ણ દેવની ઈચ્છા પૂર્ણ કરી. ગ્રામવાસીઓને આનંદિત જોઈને રામકૃષ્ણદેવ રાજી-રાજી થઈ ગયાં અને તીર્થયાત્રા કરવા આગળ વધ્યા.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી લખે છે  કે, આજે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સમસ્ત દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાનાં ખર્ચે અનેક રાહતકાર્યો થાય છે. પણ તેનો પ્રેરણાસ્ત્રોત શ્રી રામકૃષ્ણ દેવ પોતે હતા.

એકવાર કોઢથી પીડાતા માણસે આવી શ્રી રામકૃષ્ણદેવને અત્યંત કાલાવાલા કરીને કહ્યું કે,  તેઓ જો એકવાર હાથ ફેરવી દે તો તેના રોગમાંથી છુટકારો થઈ જાય. એના તરફ કૃપાવશ થઈને રામકૃષ્ણદેવે કહ્યું, હું તો કશું જાણતો નથી ભાઈ, પણ તમે જ્યારે એવું કહો છો તો લાવો હાથ ફેરવી દઉં. મા ની ઈચ્છા હશે તો મટી જશે. એમ બોલીને હાથ ફેરવી દીધો. એ દિવસે એમના હાથમાં આખો દિવસ એવી તો પીડા  થઈ કે આકુળ-વ્યાકુળ થઈને તેઓ જગદંબાને કહેવા લાગ્યા, ‘મા, ફરી કોઈ દિવસ આવું કામ નહીં કરું’. પેલા રોગીનો રોગ તો મટી ગયો પણ એનો ભોગ શ્રી રામકૃષ્ણદેવને પોતાના દેહમાં ભોગવવો પડ્યો. આમ છતાં કરુણામય શ્રી રામકૃષ્ણ દેવ સંસ્પર્શથી દુઃખીઓ પર કૃપા વરસાવતા રહ્યાં. પાપીઓના પાપની પીડા પોતે ભોગવતા રહ્યા. એટલું જ નહિ, અંતે ગળાના કેન્સરની પીડા ભોગવવાની પડી ત્યારે પણ વેઠ્યું. ‘सर्वजिना हताय, सर्वजिना सुखाय, सर्वजिना मोक्षाय’.

એકવાર દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ દેવે જોયું કે,  એક વૃદ્ધા નિઃશુલ્ક ભોજનાલયમાંથી પ્રસાદ મેળવવા માટેની કતારમાં ઉભી હતી. તે ધક્કા-મુક્કીમાં  નીચે પડી ગઈ અને રડવા લાગી. વૃદ્ધાની નિઃસહાય દશા વિચારતા રામકૃષ્ણ દેવ કરુણાથી વિચલિત થઈને રડવા લાગ્યા. જ્યાં સુધી એ અજાણી વૃદ્ધાને શોધીને તેને ભરપેટ ભોજન આપવામા ન આવ્યું ત્યાં સુધી રામકૃષ્ણદેવ બેચેન રહ્યા. એકવાર એક વૃદ્ધા દક્ષિણેશ્વરના ઓરડાના પગથિયાં ચડતી વખતે પડી ગઈ. રામકૃષ્ણદેવને જ્યારે ખબર પડી કે, એકાદશીનો ઉપવાસ કરવાથી અશક્તિને કારણે આમ બન્યું ત્યારે તેમણે કરુણાપૂર્ણ શબ્દોમાં વૃદ્ધાને કહ્યું, જુઓ, સ્ત્રીઓ ઉપવાસનું દુઃખ વેઠે એ હું સહન કરી શકતો નથી. તમારે ફળ વગેરે કંઈક લેવું અને સાવ નિરાહાર ન રહેવું. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, કળિયુગમાં જીવ અન્નગત છે. નિર્જળા ઉપવાસ, કઠોર તપસ્યા પાલવે નહિ. એટલે જ તો કેટલાક ભક્તો કહેતા કે,  આપણા ઠાકુર બહુ મજાનાં કઠોર તપસ્યા કરવાનું કહેતા નથી.

શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય અત્યંત કોમળ હતું. ઘોડાગાડીમાં જતી વખતે જો કોચમેન ઘોડાઓને ચાબુક મારતો હતો તો તેઓ વ્યાકુળ થઈને પોકારવા લાગતા, ‘ એ મને મારે છે… એ મને મારે છે…’ એમનો દેહ અત્યંત કોમળ હતો.  અતિ ઉચ્ચ ભાવાવસ્થામાં નિરંતર રહેવાથી દેહ એટલો કોમળ થઈ ગયો હતો કે એકવાર એમની આંગળી કપાઈ ગઈ. ચાલીને જવું એમના માટે શક્ય નોહ્તું,  તેથી ઘોડાગાડીમાં જવું પડ્યું. તેઓ રડતાં-રડતાં કહેતા હતા, નીતાઈ એટલે કે ચૈતન્ય મહાપ્રભુની જેમ હું ઘેર-ઘેર જઈ હરિ  નામ લેવડાવી શકતો નથી. ઘોડાગાડી વગર ક્યાંય  જઈ શકતો નથી. આટલા કઠોર કર્મો જીવોના કલ્યાણાર્થે કરવા છતાં તેમને સંતોષ ન હતો.

શ્રીરામ કે શ્રીકૃષ્ણની જેમ શ્રી રામકૃષ્ણ દેવે બાહ્ય શત્રુઓનો સંહાર નહોતો કર્યો પણ અંતરના શત્રુઓના વધ કરવા કેવી કઠોર સાધના બાર  વર્ષો સુધી કરી હતી. આજે વિશ્વ દુઃખની જવાળાથી બળી રહ્યું છે. ભૌતિક સુખના સાધનોમાં આશ્ચર્યજનક વધારો થવાની સાથે-સાથે માનસિક અશાંતિમાં એટલો જ વધારો થયો છે. આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, માનસિક રોગીઓનું પ્રમાણ વધ્યું છે. આ યુગના અવતાર શ્રી રામકૃષ્ણદેવને આપણે પ્રાર્થના કરીએ, ‘હે કરુણામય પ્રભુ આ યુગમાં તમારો અવિર્ભાવ જીવોના દુઃખ દૂર કરવા થયો છે. વિશ્વમાં સમસ્ત લોકોના દુઃખ દૂર કરી  તેઓના મનમાં શાંતિ અર્પણ કરો…હરિ ૐ 

 

II’ભાવ મુખે જ રહેજે’II (09)

 

 

 

 

 

 

 

 ઈસુએ  કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ.

 

શ્રીમદ ભાગવત (11.3.27)ના વચનો પ્રમાણે,

શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેરદભુતકર્મણ: I

જન્મકર્મગુણાનમ ચ  તદર્થડખિલચેષ્ટીતમ II

અસાધારણ કર્મો કરનારા શ્રી હરિ ના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવાં.

શ્રીમદ્દ ભાગવતજીના કથન  પ્રમાણે આપણે શ્રી હરિ નિમિત્તે જ શ્રી રામકૃષ્ણ દેવની પ્રશસ્તિ સમાન શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ સ્તવનનું રસપાન કરી રહ્યા છીએ.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:

जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय ની વિગતે ચર્ચા કરેલ છે.

ચોથી કડીની આઠમી પંક્તિ છે …

નિરોધન, સમાહિત મન, નિરખિ તવ કૃપાય ||….

અર્થ એવો કે,

(એક) હે પ્રભુ,  તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.

અથવા

(બે) હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.

સ્વામીશ્રી નિખિલેસ્વરાનંદજી સમજાવે છે કે, હકીકતમાં બંને અર્થ સાચા છે. આ વાતનું એમનું ઊંડાણ જાણવા માટે સ્વામીશ્રી આપણને  ગોસ્વામી તુલસીદાસજીએ રચેલ વિનયપત્રિકા નામના અદભુત ભક્તિ પૂર્ણ ગ્રંથમાંથી  એક રસપ્રદ વાત કરે છે.  એકવાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, ‘રામના પ્રેમને ખાતર મને એક હત્યારાને કંઈક ભિક્ષા આપો’. પોતાના ઇષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ એ માણસને પોતાની ધેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે, એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચૂષ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે, હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે? તુલસીદાસજી એ જવાબ આપ્યો, તમારા પોતાના શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો. બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. બ્રાહ્મણોએ તો પ્રમાણ માંગ્યું. તરત જ તુલસીદાસજી સંમત થયા કે, જો વિશ્વનાથ મંદિરના નંદી આ હત્યારાના હાથેથી ખાય તો તેઓ સૌ તુલસીદાસજી ની વાત સ્વીકારી લેશે. સૌ સંમત થયા. તે માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને હકીકતમાં નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું. આમ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે, આંતરિકતા પૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તિનો સ્વીકાર કરે છે.

ઈસુ એક સરોવરને કિનારે ચાલતા હતા. તેમના બે માછીમાર ભાઈઓ સીમપેન પીટર અને તેના ભાઈ અન્દ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈએ માણસરૂપી માછલાં પકડવામાં ઈસુની પાછળ ચાલ્યા. આ વાત બાઈબલના ‘નવો કરાર’માં મેથ્યુના નામથી  લખેલી છે.

શ્રી રામે મિથિલાવાસીના મન મોહી લીધા હતા. શ્રી કૃષ્ણ ફક્ત માખણચોર નોહતાં ચિત્ત ચોર પણ હતાં. ઉદ્ધવજી જયારે ગોપીઓને સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો ભગવાન છે તેમનું ધ્યાન ધરો, ત્યારે ગોપીઓ કહે છે ‘उद्धो मन होत ना दस विस्’, ‘હે ઉદ્ધવ, મન તો એક જ હોય છે, દસ-વિસ નથી હોતા.’ જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે. શ્રી રામકૃષ્ણ કથામૃતનાં લેખક માસ્ટર મહાશય એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને વહાલથી રોજ લોકો ‘મ’ કહેતા તેઓ  સંસારના દુઃખોથી આક્રાંત થઈને તેઓ ઘરેથી નીકળ્યા હતાં. આત્મહત્યા કરવાનો તેમનો ઈરાદો હતો. ફરતાં-ફરતાં તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં આવ્યા અને પહેલી જ વાર દર્શન કર્યા શ્રી રામકૃષ્ણ દેવના અને કુશળ માછીમારની જાળમાં સપડાઈ ગયા. નવું જીવન મળ્યું. આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો અને પછી તો કથામૃત ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા. આજે પણ તે કથામૃત અનેક લોકોને સપડાવી રહ્યું છે. કેટલાય ને આ કથામૃત ગ્રંથના વાંચન દ્વારા આત્મહત્યા રુપી મહાપાપમાંથી બચાવવાનું બન્યું છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ સ્તવન માટેના સુંદર પુસ્તકમાં અધ્યક્ષ સ્વામીશ્રી વર્ણવે છે કે, અદભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવનું દર્શન ભવસાગરના દિવ્ય માછીમારરૂપે થયું. પ્રથમ દર્શનનું વર્ણન કરતાં તેઓ કથામૃતમાં લખે છે:  ઓરડામાં શ્રી રામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે અને બારણા બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસ દેવે બેસવાનું કહ્યું એટલે માસ્ટર જમીન પર બેઠા. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, ક્યાં રહો છો?, શું કરો છો?, અહીં  શા માટે આવ્યા છો? માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે,  ઠાકુર વચ્ચે-વચ્ચે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે, એવી અવસ્થા નું નામ ભાવ. પછી તો આ દિવ્ય માછીમાર શ્રી રામકૃષ્ણ દેવની પ્રેમરૂપી જાળમાં એવા તો સપડાઈ  ગયા કે,  તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા.

જાળ નાખીને માછલાને પકડી લાવવા માટે  મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રી રામકૃષ્ણ દેવ એક માછીમારનું ઉદાહરણ આપે છે. એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલાં પકડવાની સોટી કેટલીકવાર પછી ઉપરનું બરું હાલવા લાગ્યું. વચ્ચે-વચ્ચે થોડું આડું થવા લાગ્યું,   ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે,  ભાઈ અમુક બ્રાહ્મણનું ઘર ક્યાં છે, બતાવી શકશો? કશો જવાબ નથી મળતો. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો જાય છે. આ તરફ બરુ  ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું  બહાર ખેંચી લીધું. એ પછી અંગુઠાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, શું પૂછતાં હતા તમે? એ વખતે બરુ ડુબતું હતું એ વખતે હું કાંઈ સાંભળી શક્યો નહિ….બસ,  ધ્યાનમાં આવી એકાગ્રતા થાય કે બીજું કશું દેખી ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શનું પણ જ્ઞાન ન રહે. (શ્રી રામકૃષ્ણ કથામૃતનાં ભાગ ત્રીજામાં એકાવનમાં પૃષ્ઠ પર આ પ્રસંગ લખેલો છે.) શ્રી રામકૃષ્ણ દેવ જેમનો સ્વીકાર કરતાં તે ભક્તોનાં મનમાં પણ આવી જ એકાગ્રતા લાવી દેતાં.અને તેથી સ્વામી વિવેકાનંદે તેમને નીરોહિત અને સમાહિત મન વાળા કહ્યા છે. અને પ્રાર્થના કરી  કે,  અમારું મન પણ નિરોધીત અને સમાહિત થઈ જાય  એવી આપ કૃપા કરો.

વેદાંતની સાધના પછી શ્રી રામકૃષ્ણદેવને અવારનવાર સમાધિ લાગી જતી. લગભગ નિરંતર છ મહિના સુધી તો એ સાધના પૂરી થયા પછી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા. અને આ પછી જગનમાતાનો આદેશ થયો, ‘ભાવ મુખે જ રહેજે’. આ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ દેવનું દેવજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે, એકવાર  ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરયુક્ત થઈ ગયા.

સ્વામી વિવેકાનંદજી કહેતા કે મનની બહારની જડ  શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો ટિપતો, ઘડતો, અને સ્પર્શ માત્ર થી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો તેનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય દીઠો નથી. ( શ્રી રામકૃષ્ણ લીલા ભાગ-3, પૃષ્ઠ-75)

સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ દેવને મળવા બીજીવાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવવા તત્પર થયા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું કે  તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભરમાં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ, ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુદ્ધા, ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર-ચક્કર ફરતી ક્યાંય લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે-સંગાથે મારું હું પણું જાણે કે સર્વગ્રાસી મહા શૂન્યમાં  એકાકાર થવાને ધસમસી રહ્યું છે. ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે હું પણાનો નાશ તે જ તો મૃત્યુ છે. એ જ મૃત્યુ સન્મુખે સાવ પાસે ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કરી નાખ્યું?  મારે તો મા-બાપ છે. અદભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ  કરતા કહેવા લાગ્યા, તો પછી હમણાં રહેવા દે, એકી સામટુ જરૂરી નથી. સમય આવે થશે. નવાઈ ની વાત તો એ છે કે એમણે સ્પર્શ કરીને એવું કહ્યું હતું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક આલોપ્ થઈ ગયો. અને ઓરડાની અંદરનાં અને બહારનાં બધા પદાર્થો પહેલા હતા તેમ જ રહેલા. મને દેખાવા લાગ્યા.

શ્રી મા શારદા દેવી કહેતા કે,  આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરનાં અવતારને કેમેરામાં બંધ કરી દીધા છે. તેઓ કહેતા છાયા અને કાયા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. ત્રણેય વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને રામકૃષ્ણ દેવે કહ્યું હતું, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે. પછીથી ઘેર-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રી મતિ નિસ્તારિણી ઘોષને શ્રી રામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું કે,  આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફરશે, લોકો પોતાનાં ગજવામાં ઘડિયાળની ચેઈનમાં રાખશે. ખરેખર આજે એ જ બની રહ્યું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું તેમાં સુર પુરાવીને કહીએ, ‘હે પ્રભુ તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે તમારું મન સમાહિત થયેલું છે. અમારું મન પણ કૃપા કરીને સમાહિત કરી દો’. હરિ: ૐ…

સમન્વયના મસીહા અને વિશ્વના આદર્શ શ્રી રામકૃષ્ણ દેવ (08)

 

 

 

 

 

 

શ્રી અરોબિંદોએ લખ્યું  કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:

‘ जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय’

તેનો અર્થ : ‘હે જગદીશ્વર, હે યોગના સહાયક, તમે આ યુગના અવતાર રૂપે પ્રાગટ્યા છો.

શ્રીમદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે ધરતી પર અવતરે છે. આપણી સમાજ માટે એવું યાદ રાખીએ કે, આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ સ્વરૂપે ઈશ્વર આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ છે યોગમાં સહાયરૂપ થવું.

સ્વામી શારદાનંદજી દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે તે મુજબ ગદાધરના શુભ જન્મ મુહૂર્ત સંબંધે શાસ્ત્રજ્ઞ ખુદીરામજીએ નવજાત શિશુની જન્મકુંડળી માંડવા જતાં જોયું કે, વિશેષ શુભ ક્ષણે આ બાળકે સંસારમાં પ્રવેશ કરેલો છે. બીજા વિદ્વાન જોષીઓ દ્વારા બાળકના જન્મ સમયની પરીક્ષા કરીને ખુદીરામને કહ્યું કે, બાળકે જે ઉચ્ચ લગ્નમાં જન્મ ગ્રહણ કરેલો છે તે સંબંધિત જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આવી વ્યક્તિ ધર્મજ્ઞ અને માનનીય થાય અને સર્વદા પુણ્ય કર્મના અનુષ્ઠાનમાં રત રહે. ઘણા શિષ્યોથી વીંટળાયેલ રહીને એ વ્યક્તિ દેવ મંદિરે વાસ કરે અને નવીન સંપ્રદાય પ્રવર્તાવીને નારાયણના અંશ ભુત મહાપુરુષ તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામી બધે ઠેકાણે લોકોમાં પૂજાય. શ્રીયુક્ત ખુદીરામનું મન આ હકીકત જાણવાથી એકદમ વિસ્મય પૂર્ણ બન્યું !!

આપણા પતંજલિ યોગસૂત્રમાં કહ્યા મુજબ   ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપોમાં ગુરુઓના ગુરુ છે, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં પ્રકાશિત થયો છે. તેમના અવતારની વિશિષ્ટતા એ છે કે, તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ જન્મ્યા નથી. પણ વિભિન્ન ધર્મના, પંથોના,વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના, સાધકો માટે સહાયરૂપ બનવા શ્રી ઠાકુર પધાર્યા છે. એમણે પોતાની પ્રયોગશાળામાં અનેક ધર્મોની, અનેક મતોની, અને અનેક ભાવોની સાધના કરી છે, અને પછી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાંથી નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગનમાતાના આદેશ પ્રમાણે ભાવમુખ અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું છે.

ગુરુના સંબોધનથી તેઓ નારાજ થતા, તેમ છતાં અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હશે તેનું વિશદ વર્ણન અને સાત્વિક મીમાંસા સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગોમાં કરેલી છે. શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો. આ વાતને પોન્ડિચેરીનાં મહર્ષિ અરોબિંદોએ સ્વીકારી છે. શ્રી અરોબિંદોએ એક શિષ્યને લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. આ વિગત ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટ્રલ લાઇબ્રેરી’ના વોલ્યુમ 27ના પૃષ્ઠ 435 ઉપર લખેલી છે. આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા મહર્ષિ અરવિંદ લખે છે કે, આ બધા આત્માઓમાં શ્રી રામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા, કારણ કે બીજાઓ ઈશ્વરને એના એક માર્યાદિત અંશમાં અનુભવી શક્યા હતા. ત્યારે ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે, એની અનંત એકતામાં શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરાનૂભુતિ કરી હતી.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં આધારો ટાંકીને અનેક વાતો કહે છે, શ્રી ઠાકુરના અવતારથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સુર પ્રધાન સુર બની રહ્યો ! ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો. ઇસ્લામે પણ કોશિશ કરી. મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે તે શ્રી રામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વનાં વિખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચારીઓ, શ્રી રામકૃષ્ણ દેવને સમન્વયના મસીહા વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉન એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘ગોડ ઓફ ઓલ’માં શ્રી રામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરે છે.

શ્રી રામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેન્ચ મનીષી રોમા રોલા લખે છે કે, યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખર નું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રી રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે 2000 વર્ષના ગાળા ઉપર પથરાયેલા 30 કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. આર્નોલ્ડ ટોએલબી કહે છે કે, શ્રી રામકૃષ્ણ દેવ પૃથ્વી પર એવા સમયે અવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી.

સાર તારવતા સ્વામીજી કહે છે કે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવ જાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય છે.

આજે વૈશ્વિકીકરણ નો યુગ છે. પરંતુ આ યુગમાં માનવ-માનવ વચ્ચે અંતર વધી રહ્યું છે.. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્ક સંમત હોય, સંપ્રદાય કે નાત-જાતના ભેદભાવથી પર હોય, સર્વ પ્રત્યે સંવાદિ સુર વાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ પ્રેયસ અને શ્રેયસ સાધનારા ધર્મની આવશ્યકતા છે. આ યુગની આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર્યા છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણના જન્મ સાથે સત્યયુગ નો પ્રારંભ થયો છે. આ અનેક વિદ્વાનોના અનુભૂતિના શબ્દો આપણને એ સ્વીકારવા પ્રેરે છે કે, આ પ્રાર્થનાની પંક્તિમાં કહેવાયું તેમ તેઓ યોગના મહાસહાયક છે, અને આ યુગના અવતાર રૂપે પ્રગટેલા જગદીશ્વર છે. આપણે સૌ શ્રી રામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘ હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે પણ અમને એ અનુભવ થાય તે માટે અમારી યોગ સાધનામાં સહાયરૂપ થાઓ કે જેથી અમે સત્યયુગનો અનુભવ કરી શકીએ.(ક્રમશ:)