by Bhadrayu Vachhrajani | Apr 28, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
વિશ્વભરના અનેક ઘર અને મંદિરોમાં પાવનકારી સંધ્યાની વેળાએ શ્રી રામકૃષ્ણ દેવની આરતીનો પ્રારંભ થાય છે. સૌ તેમાં તલ્લીન થઈને ગાય છે. જેને શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન કહેવામાં આવે છે.
આ અમર સ્તવનના રચયિતા બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદજી પોતે હતા. એમાં પારંપરિક સંગીતની ધ્રુવ શૈલી છે. અને પરિણામે આ સ્તવન લયબદ્ધ, અને તાલબદ્ધ બન્યું છે. વાત એવી છે કે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષે સ્વામીજીને રામકૃષ્ણ દેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. આ વાત સાંભળીને સ્વામીજી થોડા મુશ્કેલીમાં મુકાયા હોય એવી રીતે કંપિત સ્વરે કહેવા માંડ્યા કે, “ એ વાત મારાથી શક્ય નથી. તમે આગ્રહ કરો તો હું સાગરને સુકવી નાખવાનું પસંદ કરું, તમે આગ્રહ કરો તો પર્વતોના ચુરે ચુરા કરી શકું, પણ શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. અરે, ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ કેટલો?” એમણે તો ત્યાં સુધી કહ્યું કે, “તમે શું એવું ઈચ્છો છો કે શિવની મૂર્તિ ઘડવાનું મને કહેવામાં આવે અને હું વાનરની મૂર્તિ ઘડી બેસું? ના ના.. મારાથી તો એ નહીં બને.” થોડો સમય સન્નાટો છવાઈ ગયો. આપણે એમ માનીએ કે રામકૃષ્ણ દેવને સૌથી વધુ ઓળખનાર કોઈ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદ હોઈ શકે. અને એ વાત ખોટી ન હતી, એ વાત સાચી હતી.
અને ખરેખર સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પણ એમના મનની અંદર એવું રહેતું હશે કે, મારા ગુરુના જીવનને વર્ણવવાને બદલે ગુરુની શીર્ષસ્થ પ્રતિભા અને બહુ મોટી દૈવી આભાને વર્ણન કરતું હોય તેવું કશુંક હું રચું. એમ વિચારીને તેમણે હકીકતમાં વિશ્વને જે પ્રદાન કર્યું તે શ્રી રામકૃષ્ણ મિશન ને મઠમાં સાંધ્ય કાળે ગવાતી આ આરતી છે.
શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન માં સ્વામી શ્રી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવ વિષે લગભગ-લગભગ બધું કહી દીધું. આ સ્તવન અવતારવરિષ્ઠ શ્રી રામકૃષ્ણ દેવના સર્વ શ્રેષ્ઠ ભક્ત, શિષ્ય, સ્વામી વિવેકાનંદજીની તેમના પ્રત્યેની સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. આ સ્તવન શ્રી રામકૃષ્ણદેવના અનંત ભાવો ને અનંત ગુણોને, અનંત લીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે. અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. આ સ્તવનમાં ભાવ, સંગીત, લય, તાલ, બધું અનન્ય છે. સ્વામી શ્રી નિખીલેશ્વરનંદજી મહારાજ તો એવું કહે છે કે, “શ્રી રામકૃષ્ણ દેવનાં દિવ્ય ચરિત્રને તત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં છે. શ્રી રામકૃષ્ણ દેવના જીવન દર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.”
સમજવાનું એ છે કે, સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા અને સંપ્રદાયિકતાના વિરોધી હતા. રામકૃષ્ણ દેવ વિશે લખાયેલ હોવા છતાં આ સ્તવનમાં કોઈપણ જગ્યાએ રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી. આમ જાણે કે, આપણને એમ લાગે કે આ એક પરમ તત્વ માટેની સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે. કારણ કે એમણે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો એક અવતારને, ઈશ્વરના કોઈપણ રૂપને, આપણી સમક્ષ ખડું કરે છે. આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
કહેવાય છે કે આ સ્તવન જયારે પહેલી વાર ગવાયું ત્યારે એ સ્થળ હતું નીલાંબર મુખર્જીનું મકાન કે જ્યાં મઠની સ્થાપના થયેલી. ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલ બેલુર મઠની પાસે એટલે કહો કે તે પછી બેલુર મઠનો એક ભાગ બની ગઈ. અને પ્રસંગ હતો 22 ફેબ્રુઆરી 1898નો શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિનો. એ ભોગ આરતીનાં સમયે જયારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા હતા ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે એ બધું કલ્પનાતીત લાગે છે.
આજે તો સંધ્યા આરતી ટાણે રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં અને દેવના પ્રભાવ હેઠળ ચાલી રહેલ અનેક અનૌપચારિક કેન્દ્રોમાં, તો ક્યારેક ભક્તોના ઘરમાં સમૂહ સ્તવન ગવાય છે. ક્યાંક હાર્મોનિયમનો ઉપયોગ થાય છે, ક્યાંક ઓરગનનો ઉપયોગ થાય છે, તો ક્યાંક વળી પ્રિ-રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ માટેના આ આરતી સ્તવનમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ એક પછી એક પંક્તિમાં રામકૃષ્ણ દેવની કેવી પ્રતિષ્ઠા કરી છે !!
દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે એ રીતે એમાં ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન છે તેથી આપણે તેની એક એક પંક્તિને સદૃષ્ટાંત સમજીશું. એ બહાને આપણે ઈશ ગુણોનું ચિંતન કરી શકીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

તક આપો, ટક ટક નહીં; જો રોકટોક તો સામે મળશે ધૂત્કાર….;જેવો ધ્વનિ તેવો પડઘો; અને પરિણામે જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન !!
હવે એવા તબક્કાઓની વાત કરવાની છે કે જેમાં કેવળ માતા પિતાના વર્તન વ્યવહારો જ બાળકને ઘડશે અને ફલત: મમ્મી પપ્પાને એવું જ સંતાન મળશે જેવા તેઓ બંને હશે. જરા વધુ ગંભીરતાથી વિકાસમાં ઊંડા ઉતરીએ.
સમવયસ્કો તરફ ઝોક)
એને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે પણ એ માતા પિતા ને વડીલ ગણીને પૂછતો નથી. શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી, એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલેકે Peer Group તરફ વળે છે. અનફોર્ચ્યુનેટલી સમવયસ્કો પણ એના જેટલું જ ઓછું જાણે છે.
આપણી જવાબદારી ત્રણ ગણી )
તારુણ્યવસ્થાનો આ ગાળો જે બાર થી ઓગણીસ વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીનું બિહેવિયર થોડું વિચિત્ર લાગે છે. હવે તે સામા પ્રશ્નો વ્યક્ત કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે. તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો અને તેથી આ સમયમાં આપણી જવાબદારી ત્રણ ગણી વધે છે
અહીં સાચવવું જ પડશે)
એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ છઠ્ઠો, સાતમો અને આઠમો તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે. જેની અંદર પૂર્વપુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્યપુખ્તાવસ્થા આવે છે. એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહન ઉપર છો. બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે.
તક આપો, ટક ટક નહીં)
આપણને પ્રશ્ન થાય કે આ વિકાસના આઠ તબક્કા તો જાણ્યા પણ એ દરમ્યાન માતા પિતા તરીકે અમારે વિશેષ કઈ કાળજી રાખવી ? ઉદાહરણ તરીકે વાત કરું, બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો. તમારું ધ્યેય એની ઉપર થોપી ન બેસાડો. નાના નાના task થી શરૂઆત કરો અને ત્યારબાદ લાંબા task માં આગળ વધો.
આપણે જ રોપનાર…)
આપણા બાળકમાં કેટલાક ગુણો અથવા કેટલાક દોષ આપણે પોતે રોપી રહ્યા છીએ. યાદ રાખવા જેવું છે કે આપણું જીવન, આપણા જીવનવ્યવ્હારો, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિઓ અને જીવનને હકારાત્મક કે નકારાત્મક લેવાની આપણી રીત આપણે આપણા બાળકને આપી રહ્યા છીએ.
જો રોકટોક તો ધૂત્કાર….)
જો આપણું બાળક રોકટોકમાં જીવશે તો તે સૌને ધૂત્કારતા શીખશે.
જો વિરોધ કે અવગણના તો લડાઈ કે ઝઘડા..)
જો આપણું બાળક સતત વિરોધ અને અવગણનાની વચ્ચે જીવશે તો તે સૌની સાથે, દરેક પ્રસંગે લડતા ઝઘડતા શીખવાનું છે.
…મેણાંટોણાં શંકાશીલતા…)
જો બાળક મેણાં ટોણાંમાં જીવશે તો સદા શંકાશીલ બનશે. કોઈના માટે કશું બોલવું એ બાળકમાં એક પ્રકારની શંકાને જન્મ આપતું હોય છે.
શરમજનકની અસર દોષિતની લાગણી)
આપણે ઘરના લોકો એકબીજાને વારંવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકવા ટેવાયેલા હોઈએ તો આપણને જોઈને આપણું બાળક પોતાની જાતને દોષિત માનવા લાગશે.
સહનશીલતા આપે ધીરજ)
જો બાળક સતત સહનશીલતાના વાતાવરણમાં ઉછરશે તો બાળક ધીમે ધીમે ધીરજ એટલે કે ધૈર્યવાન બનવા તરફ અવશ્ય પ્રયાણ કરશે.
પ્રોત્સાહન + પ્રેરણા = આપશે આત્મવિશ્વાસ)
જો મમ્મી અને પપ્પા બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહે તો બાળકમાં આત્મવિશ્વાસ ખુબ વધશે.
પ્રોત્સાહક ટેકો કરવાથી તે કદર સુધી…)
બાળક જો ઉત્તેજન વચ્ચે જીવશે તો તે પોતે પણ અન્યની કદર કરતા શીખશે.
પ્રામાણિક વ્યવહારથી ન્યાય)
બાળક પ્રામાણિક વ્યવહારની વચ્ચે જીવશે તો તે પોતે પણ ધીમે ધીમે ન્યાય તરફ વળશે
સપોર્ટ અને કદરથી ભરોસો )
જો સંતાન સતત અનુમોદન/સપોર્ટ/કદર/અપ્રીશિએશનની વચ્ચે જીવતું હોય તો તે પોતાના ઉપર ભરોસો કરતા શીખી જશે.
મૈત્રી ને આવકાર..તો .. પ્રેમ )
સંતાન મૈત્રી અને આવકારના વાતાવરણમાં સતત જીવતું રહે તો જગતને પ્રેમ કરતા શીખશે
જેવો ધ્વનિ તેવો પડઘો)
તમે જેમ જીવવાના છો, તમે જે ધ્વનિ આપવાના છો એનો જ પડઘો તમારું સંતાન કે વદ્યાર્થી તમને પાછો પાડી આપવાનો છે.
જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન)
મારું સંતાન કેવું થશે એ હું નક્કી કરીશ.
મારું સંતાન ભવિષ્યમાં કેમ વર્તન કરશે તે મારા વર્તન ઉપરથી નક્કી થશે.
ઈશ્વરના અંશનું હૃદયના પુરા ઉમળકાથી સ્વાગત–સ્વીકાર–સત્કાર…
by Bhadrayu Vachhrajani | Apr 19, 2026 | શબ્દ સૃષ્ટિ |

જીવન એટલે વિરોધાભાસ. તનાવ પણ અને સંતુલન પણ પ્રકાશ અને અપકાર પણ. જન્મ છે તો મૃત્યુનો અનુભવ પણ છે. પણ આને વિરોધાભાસ ગણવો કે સહયોગ? તનાવનું વિરોધી છે સંતુલન, પણ તનાવને દૂર કરવામાં સહયોગી બને છે સંતુલન! પ્રકાશ તો અંધકારથી સાવ વિપરીત, પણ પ્રકાશ વગર અંધકારનું હટવું શક્ય છે ખરું? બસ, આવો જ અનુભવ છે જીવન અને મૃત્યુનો. મૃત્યુની ભૂમિમાંથી તો જીવનનું ફૂલ ખીલે છે. પૃથ્વીમાં છોડ ઊગે, ખીલે, વૃક્ષ બને અને એક દિવસ એ જ પૃથ્વી તેની કબર બને. મૃત્યુમાંથી જીવન પ્રગટે છે અને મૃત્યુમાં જીવન લીન થઈ જાય છે.
તિબેટમાં એક ફકીર હતો. મારપા એનું નામ. તેની પાસે આવીને કોઈએ પૂછ્યું : જીવન અને મૃત્યુ વિશે કંઈક કહો. મારપા તો અટ્ટહાસ્ય કરવા લાગ્યો. મારપાએ કહ્યું: “તમારે જીવન વિશે જાણવું હોય તો કહું, કારણ મને તો જીવનનો પરિચય છે! મૃત્યુની વાતમાં હું કંઈ ન જાણું, કારણ મૃત્યુ સાથે આજ સુધી મારો ભેટો નથી થયો. મૃત્યુ સાથે મારો કોઈ પરિચય નથી. મૃત્યુ વિશે જાણવું હોય તો એને પૂછો જે મરી ગયા છે અથવા મરી રહ્યા છે. હું તો જીવન છું, મૃત્યુની ઓળખાણ થવાની હજી બાકી છે.’
પણ તો પછી દુ:ખ કેમ થાય છે સ્વજનના મૃત્યુથી? કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે?…
આપણે કોઈકના મૃત્યુર્થી કદી દુઃખી થતા જ નથી ! સ્વજન ગયાનું એ દુઃખ નથી. આપણો ભ્રમ ભાંગ્યાનું દુઃખ છે. મારો અહમ્ તૂટ્યાનાં આંસુ છે. મારી ધારણા ખોટી પડયાનો વસવસો છે. ક્યો ભ્રમ? કેવો અહમ્ ? કઈ ધારણા …
મારા પ્રિયજન કે મારા આપ્તજન કદી મારાથી વિખૂટાં પડી જ ન શકે, ‘તે ભ્રમ, જે મા-બાપ-ભાઈ-બહેન-પતિ-ધની મર્યાં તે મરી જ કેમ શકે?’ તે અહમ્, ‘હજુ હમણાં તો હતાં, હવે નથી?’ તે ધારણા.
રડવું આવે છે તે ગયેલા માટે નહીં, ગયા તે જઈ જ કેમ શકે?” તેનું રડવું આવે છે. મેં માની લીધું હતું કે તેઓ તો રહેશે જ, કાયમ ! મારી આ ધારણા તૂટી તેનો વસવસો, તેનો વલોપાત, તેનું આકંદ. How can I be wrong: That too, death can make me fool? मृत्युनो १२ આપણને સતાવે છે. આપણને રડાવે છે. આપણે ક્યારે રડીએ છીએ? જયારે આપણે ડરીએ છીએ! કોઈને મરતા જોઈને, તેમની સાથે જીવતા હતા ત્યારે કરેલો અવિવેક, અન્યાય, અકર્મ આપણા માનસપટલ પર દૃશ્યમાન થાય છે, તેના પસ્તાવારૂપે આપણે રડી પડીએ છીએ. સ્વજનનું મૃત્યુ જોઈ મનમાં સરવૈયું મંડાય છે, Swot Analysis શરૂ થાય છે,… Analysisમાં સારપ ઝાઝી તો હર્ષનાં આંસુ અને ખારપ ઝાઝી તો દુ:ખનાં – વસવસાનાં આંસુ. કોઈકનું, બે સત્યો પ્રતિપાદિત કરતું મૃત્યુ. અશ્રુને આમંત્રે છે : (૧) ઓહો, આ આમ જતા રહ્યા? (૨) અરેરે,… હું પણ આમ જ જતો રહીશ… મૃત્યુનો આ અણદીઠ્યો ભય છે. મૃત્યુના ભયનો એક જ અર્થ છે : જીવનનો અપરિચય. મૃત્યુ જીવનનો વિરોધાભાસ નથી. મૃત્યુ જીવનનો સહયોગ છે. કાકાસાહેબ કાલેલકર સરસ વાત કરે છે : થાકેલો મજૂર વિસામો નથી લેતો? દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઊંઘની સોડમાં નથી ભરાઈ જતું? પાકેલું ફળ પોતે જ નીચે નથી પડી જતું? થાક્યો પાક્યો માણસ ઊંઘી જવાની ઇચ્છા કરે તો આપણે દેકારો કરીએ છીએ? આંસુ સારીએ છીએ? કે તેને ઊંઘવા માટે વ્યવસ્થા કરી આપીએ છીએ!’ મૃત્યુની ભૂમિમાં જીવનનું એક ફૂલ ઊગી રહ્યું છે; આ દિવ્યપળનું સ્વાગત કરો, કારણ જીવનની યાત્રાનું પહેલું ડગલું જ મૃત્યુના માઈલસ્ટોન તરફ છે.
by Bhadrayu Vachhrajani | Apr 13, 2026 | અખંડ આનંદ |


“અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ?” પેરિસમાં વસેલ એક દંપતી !!
પાંચેક વર્ષ પહેલાં પેરિસમાં શ્રી રામકથા નિમિત્તે નિરાંતે રોકાવાનું થયું ત્યારે અનુભવ્યું કે, અહીં કોઈ અંગ્રેજી બોલવા કે સાંભળવા માંગતા જ નથી. તમને યુરોપિયન લોકો કટ્ટર માતૃભાષાપ્રેમીઓ જ ભાસે. ફ્રેંચ એટલે ફ્રેંચ જ, એના સિવાય બીજું કંઈ જ નહીં, ફ્રાંસમાં ! આપણા બારડોલીમાં ઉછરીને અહીં આવી વસેલ મહેન્દ્ર અને ધર્મિષ્ઠા ચૌધરી પાક્કા ગુજરાતી છે ને સાચા ઈન્ડીયન છે. ૨૦૦૨ માં લગ્ન પછી મહેન્દ્ર ફ્રાંસ આવી વસ્યા તો પહેલાં બે વર્ષ તો તેમને ક્યાંય જોબ કે વર્ક ન મળ્યું, કારણ શું જાણો છો ? મહેન્દ્રને અંગ્રેજી આવડતું હતું, પણ ફ્રેંચ આવડતું ન હતું. એમણે બે વર્ષ ફ્રેંચ બોલતાં – લખતાં – વાંચતાં શીખવું પડયું પછી તેનું કંઈક થાળે પડયું ! જો કે, ખુબ જ ઉત્સાહી મહેન્દ્ર કહે છે કે, હજુ મને સડસડાટ ફ્રેંચ બોલતાં નથી ફાવતું એટલે મારો એટલો સ્વીકાર નથી થયો. આપણી ફ્રેંચ બોલી પરથી અહીંના યુરોપિયન તમારી સાથે કેમ વ્યવહાર કરવો તે નક્કી કરે છે ! તમને સ્વીકારે જ નહીં અને પોતાની સાથે વ્યવહારને લાયક ગણે જ નહીં ને !
પેરિસમાં ઈન્ડીયન ગુજરાતી કલચરલ એસોસિએશનના પાયાના કાર્યકર એવા મહેન્દ્ર ચૌધરીએ પોતીકા ગણીને આ વ્યથા વહેંચી ત્યારે સમજાયું કે, આ ભારતીય ગુજરાતીઓ પોતાનું એક સંવાદ કેન્દ્ર અહીં કેમ બનાવવા ઈચ્છે છે ? એમને લોકો દિલથી સ્વીકારતા નથી ને તેથી તેઓએ ક્યાંક પોતાનાઓને હળવું છે, મળવું છે, દિલ ખોલી અભિવ્યક્ત થવું છે ને પોતાનો ખાલીપો વહેંચો છે. વારે તહેવારે પ્રસંગે મળતા રહે તો પોતીકું લાગે ને !
એક યુવાન ટુર ઓર્ગેનાઈઝર સ્વિત્ઝર્લેન્ડથી અહીં આવેલા. પૂજ્યશ્રી મોરારિબાપુના પ્રેમી એટલે કથામાં સેવા આપવા અહીં રોકાયા ને પોતાની ગાડીમાં મહેમાનોને લાવવા લઈ જવાની સહજ ફરજ બજાવતા હતાં. એમણે પણ એ જ વાત દોહરાવી. હા, એ હવે ફ્લુઅન્ટ ફ્રેંચ બોલે છે ને વાને પણ ગોરા લાગે છે. પણ એણે જે વાત કરી તે પ્રત્યેક ગુજરાતીએ ગાંઠે બાંધવા જેવી છે. સ્પષ્ટ ને મીઠું ગુજરાતી બોલતાં એમણે કહ્યું કે : અમને જયારે બાળક થવાનું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે મારો જન્મદિન હતો. અમે માન્યું કે ઈશ્વરે અમને મારા જન્મદિનની ભેટ આપી તો આપણે ઈશ્વરને કશુંક વચન દેવું જોઈએ. અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ? પણ અમે દંપતીએ નક્કી કર્યું કે આપણે સાચી ને શુદ્ધ ગુજરાતી ભાષા ઘરમાં ને આપણાં વ્યવહારમાં બોલીશું તો જ આપણું બાળક માતૃભાષા ઉત્તમ જાળવશે – શીખશે. એટલે અમે શુદ્ધ ઉચ્ચારથી ગુજરાતી બોલીએ છીએ ને વ્યવસાય તથા જ્યાં ખુબ જરૂર પડે ત્યાં જ ફ્રેંચ કે અંગ્રેજી કે જર્મન ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જાણીને મને થયું કે વાત ખુબ પ્રશંસનીય છે, જો ફ્રાંસના લોકો પોતાની માતૃભાષા માટે અતિઆગ્રહી હોય તો પછી આપણે શા માટે અંગ્રેજી માટે ઘેલા થયા છીએ ? એ મિત્ર કલ્પિત ઝાલાને અમે શબ્દવર્ષાથી અભિનંદન આપ્યા. મનમાં થયું કે મારા ગુજરાતમાં ભલે બધાં અંગ્રેજીનાં રવાડે ચડ્યા હોય પણ અહીં ફ્રાંસમાં એક ગુજરાતીપ્રેમી નીકળ્યો ખરો ! ગુજરાતનો કલ્પિત સ્ટુડન્ટ વિઝા પર અહીં આવી બિઝનેશ માટે રોકાય ગયેલ છે.
માતૃભાષાનો આગ્રહ છેક કટ્ટરતા સુધી પહોંચે તેવી વાત પણ જાણી. જર્મની અને ફ્રાંસના વડાઓ અંગ્રેજી + ફ્રેંચ + જર્મન ભાષા જાણે છે. બંનેને ત્રણેય ભાષા ફ્લુઅન્ટ આવડતી હોવા છતાં તેઓ જયારે મળે ને વાતચીત કે વાટાઘાટ કરે ત્યારે ફ્રાંસના વડા ફ્રેંચમાં જ બોલે ને જમર્નીના વડા જર્મનમાં જ બોલે !! માતૃભાષા સિવાય કશું નહીં એટલે નહીં જ. બંને નેતાઓ યાદ રાખે કે, પોતાને આવડતી બીજી કોઈ ભાષા ન બોલાય જાય અને પોતાની માતૃભાષા જ બોલવામાં જીભે રહે ! ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખાલી ખાલી પાટલીઓની દશામાં છે ત્યારે અહીં કહેવાતા ગોરાઓનાં દેશમાં માતૃભાષાના ઘોડાપુર છે. હા, રામકથાનાં આયોજકો સુરતી કે મહેસાણી કે કાઠિયાવાડી લ્હેકામાં સતત ગુજરાતી જ બોલતા હતા. અમેરિકી ગુજરાતીઓની જેમ વારંવાર અંગ્રેજી છંટાતું ન હતું, તે પણ રાજીપા સાથે નોંધ્યું. આપણાં મલકના માનવી માતૃભાષા બોલે તો કેવા માયાળુ લાગે. !
by Bhadrayu Vachhrajani | Apr 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સંતાનના તારુણ્યને જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
આપણે આપણા બાળકના સંવેદનશીલ પૂર્વ પુખ્તાવસ્થા થી લઈને તેના તારૂણ્ય ની તાસીરની આજે વાત કરવાના છીએ.
સબંધો માટે લાગણી)
સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે. એટલે પ્રિ મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સબંધો કેળવી શકું તેમ છું.
જેવો ઈનપુટ તેવો જ આઉટપુટ )
એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે input તરીકે આપીશું તેવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો એમાં નિષ્ફ્ળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે, પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે.
એકલતાનો અહેસાસ એકલતા જ )
આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની અને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને જોઈને અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા શીખશે. મને જો એકલતા સાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું.
સર્જનશીલતા અથવા સ્થગિતતા)
વિકાસનો સાતમો તબક્કો એ મધ્યપુખ્તવાસ્થાનો છે. એટલે કે મેચ્યોરિટી મધ્યાહન ઉપર પહોંચી છે આ બહુ disturbing તબક્કો છે. એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગનેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે, અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર થાય છે.
જવાબદારી સ્વીકારે તો પ્રોડક્ટિવ બને )
સાતમા તબક્કામાં જે મધ્યપુખ્તાવસ્થાનો સમય છે જેમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને જે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફ્ળ જાય છે એ સંતાન self-centered એટલે કે સ્વ કેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે.
પરિપૂર્ણતાનું ટાણું )
વિકાસનો આઠમો તબક્કો એ ઉત્તરપુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કળી છે. અહીં પરિપૂર્ણતા છે, ફુલફિલમેન્ટ છે પણ એની સામે જો ફુલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજી લેવાની જરૂર છે.
જીવન સંતોષપ્રદ તો આનંદ આનંદ)
Post maturity એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફ્ળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે.
તારુણ્યની તાસીર)
આ તબક્કો બહુ મહત્વનો છે કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારૂણ્ય એ શારીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે. અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
તારૂણ્ય Teen age )
તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે એને અંગ્રેજીમાં Teen age કહેવાય છે કે જયારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. થર્ટીન, ફોર્ટીન, ફિફટિન, સિક્સટીન, સેવન્ટિન, એઈટીન, નાઈન્ટીન. આ ટીન એ સંવેગોની ઘંટડી છે.
જાતીય પરિપક્વતાનો આરંભ)
તરુણાવસ્થા એટલે બાર વર્ષથી અઢાર, ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો એટલે કે તારૂણ્ય એટલે Teen age આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.
અભિવ્યક્તિની ગૂંગળામણ)
તારૂણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે બાર વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે. ધીમે ધીમે ઈન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે.
કોમ્યુનિકેશન ક્યારેય બંધ ન જ કરશો.)
પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રો – એક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ. એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ પરંતુ એને ‘હાય હેલો’ કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ.
પૂછવું કે કહેવું કોને ?)
હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે કે અવાજ તીણો થઈ રહ્યો છે. મારા ખભ્ભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે પણ આ બધું એ પૂછે અથવા કહે કોને ? (ક્રમશ:)