‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ !’ (07)

 

 

 

 

 

 

શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ કહે, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’.

વિવેકાનંદજી કહે છે કે,  ‘भक्तार्जन युगलचरण  तारण भव पार’ ભક્તનાં સંપદરુપ તમારા ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનાર છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ અને વિવેકાનંદ વિચારધારાના સાધક સ્વામી  શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્તિકમ” માં ભક્ત હૃદયને સ્પર્શે તેવી વિગતો આપતા લખાયું છે કે,

1 જાન્યુઆરી 1886 શ્રી રામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થવાથી કોલકતામાં કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરનાં લગભગ  ત્રણ વાગે તેઓ ઉપરનાં ઓરડામાંથી નીચે આવી ગયાં અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યાં. ઘણા દિવસો પછી આજે કંઈક સ્વસ્થ હોવાથી નીચે ઉતાર્યા છે એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો તેમની પ્રતીક્ષામાં છે. તેઓ પણ શ્રી રામકૃષ્ણ દેવની પાછળ પાછળ ચાલ્યા કરે છે. ફાટકથી લઈને રહેવાનાં ઓરડા તરફ જતા અધવચ્ચે  એક ઝાડ તળે શ્રી રામકૃષ્ણ દેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત, વગેરે ભક્તોને બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, ‘ગિરીશ આ તું સૌને આટલી વાતો કરતો કરે છે જેમાં અવતાર તત્વની વાત હોય છે. તો તે મારામાં શું જોયું છે? તું શું સમજ્યો છો ? બોલ’. સાંભળીને જરાં ગિરીશ ઘોષ તો અચકાયા પણ એમણે જાજો વખત ન લીધો એમણે તાત્કાલિક કહ્યું, કે ગિરીશ ઘોષ તેમના ચરણોમાં જમીન પર  માથું ટેકવીને બેસી ગયા. અને મોઢું ઉંચુ કરીને હાથ પકડીને ગદગદ સ્વરે બોલી ઉઠ્યા, ‘ વ્યાસ, વાલ્મિકી જેમનો પાર પામી નથી શક્યાં એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું?’ ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકેએક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ ગયાં. અને એમની તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’. ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સુધ-બુધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતા વેત જ ભાવસમાધિમાં ચાલ્યા ગયા. આજે ગયેલા સૌ ભક્તોને લાગ્યુ જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વ્હાલથી યાદ કરી રહ્યા છે.  આવી રીતે ઘણાં ભક્તોને દિવ્ય અનુભવ થયા છે. ઘણા લોકો આવી ઘટનાઓને શ્રી રામકૃષ્ણ દેવનું કલ્પતરુ બનવું એમ કહીને વર્ણવે છે. 1 જાન્યુઆરીને ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલી થી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે અને લાખો ભક્તો જોડાય છે. 1 જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીના દર્શન કરવા લોકો સવારના ચાર વાગ્યાથી કતારમાં ઊભા રહે છે. શ્રી રામકૃષ્ણય પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજ  લખે છે કે, આ ઘટનાને  ઠાકુર ‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ’ કહીને સૌને કીધેલું અભયદાન એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે. કારણ કે કલ્પતરુ તો માંગનારને વાંછિત વસ્તુ આપે સારી હોય કે નરસી હોય. પણ શ્રી રામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવ માનવત્વનો અને સર્વજનોને વિના ભેદભાવે દીધેલા અભયઆશ્રયનો સ્પષ્ટ પરિચય આપેલો. સ્વામી શ્રી વિવેકાનંદજી દ્વારા રચિત  શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના પદમાં એક વિશેષ પ્રયોગ કરે છે ‘भक्तार्जन युगलचरण’. ભક્ત ચરણની વાત આ રીતે સાંકળી લેવમાં આવેલ છે.

શ્રી રામકૃષ્ણ દેવ કલ્પતરુ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સુવામાટે પથારી હોય તો  કેવું સારું?  તેને શું ખબર કે તે કલ્પતરુની નીચે બેઠો છે. મનમાં વિચાર આવતા જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસે વિચાર્યું હવે ભૂખ લાગી છે. કંઈક  ખાવાનું મળી જાય તો કેટલું સારું. તરત જ ભાતભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું. વિચારતા જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ જે પગ દબાવવા માંડી અને તે માણસ ઘસઘસાટ ઊંઘી ગયો.થોડીવાર પછી ઉઠીને પછી તેણે વિચાર કર્યો, ‘ લાવ નજર તો નાખું કે કઈ જગ્યાએ આવ્યો છું.’ ચારે તરફ ગાઢ જંગલ જોતા જ તેના મનમાં વિચાર આવ્યો ‘ઓહ, આવું ગાઢ જંગલ, અહીં વાઘ આવી જશે તો?’ અને આમ વિચારતાં ત્યાં એક વાઘ દેખાયો. વાઘને જોતા જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો’? આ વિચાર ઉપર વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો. આ વાર્તા સંભળાવી શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે, ભગવાનને પ્રાર્થના કરતી વખતે સાવધાન રહેવું જેથી લૌકિક કામનાઓ મનમાં ન આવે. કારણ કે ભગવાનતો કલ્પતરુ છે જે માંગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો તો તે પુરી થશે પણ સાથે-સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ તમારી પાસે આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.

એક ભક્ત પ્રાર્થના કરે છે ‘ હે પ્રભુ, તમે તો અહૈતુક દયાસિંધુ છો, વારંવાર મારા ઉપર અહૈતુક કૃપા વરસાવો છો. તમે જાણે કે મારા માટે કલ્પતરુ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરી કલ્પતરુ બનશો નહિ કારણ કે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી. અજાણતા જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ. માટે ‘ હે પ્રભુ, મારા માટે આપ કલ્પતરુ બનશો નહી.’

શ્રી રામકૃષ્ણ દેવ અહૈતુક દયાસિંધુ છે. તેમનો આ આશીર્વાદ હોય છે કે ‘ચૈતન્ય થાઓ’.  શ્રી રામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી. ‘હે જગતગુરુ, ચારે તરફથી અમને વિપતિઓ આપો કારણ કે ત્યારે જ તમારું સ્મરણ કરવાથી તમારા દર્શન થાય છે જે જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે’. બસ, એ જ રીતે અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઉભરાતા હ્રદયે મૃદુ સ્વરમાં સ્વામીજી પણ કહે છે કે , ‘જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન તેના શ્રી ચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે તે પ્રેમ પેલા શ્રી ચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય ક્યાં સ્થળે માનવીઓ શરણું લેવા જશે?

સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવની વિશિષ્ટતા ગણાવતા લખે છે કે,  શ્રેય ઠાકુર તો  ભવસાગરથી પાર  ઉતારે છે. અને એટલે છઠ્ઠી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી લખે છે ‘वक्तार जेने युगल चरणं तारण भवपार’ આપણી સામે યુગલ ચરણો છે અને એમાંથી આશીર્વાદ મેળવીને આપણે ભવપાર કરવાનો છે.(ક્રમશ:)

 

 

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત “શ્રી રામકૃષ્ણ જ્યોત” માસિક પ્રકાશનના જૂન:૨૦૨૬ ના અંકમાં પ્રકાશિત પરિચયાતમક લેખ.

શ્રદ્ધેય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીના અહોભાવ ને સાદર પ્રણામ સાથે… જય ઠાકુર

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રી રામકૃષ્ણ આશ્રમ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં એમ.એડ.; અને ૧૯૮૮માં પીએચ.ડી. કર્યું અને આ બધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યા છે. પ્રાથમિક શિક્ષણથી લઈને છત્રીસ વર્ષની સફર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાન પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા. કે.જી.થી પી.જી. સુધીની તેમની આ શિક્ષણયાત્રા બહુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે.

ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીય-શિક્ષણના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક છે. ૧૨ જેટલા સ્કોલર્સ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ચૂક્યા છે. તેઓ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી.ની ઇન્ટર યુનિ. ઇન્સ્ટિટ્યુટના પ્રૉફેસર અને ડાયરેક્ટર રહ્યા, ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામક તરીકેનો વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ વિક્રમજનક Examination Reforms કરેલ છે, જેની સમગ્ર દેશે નોંધ લીધી છે. તેમણે અદાણી ફાઉન્ડેશન, અમદાવાદના Advisor-Education તરીકે પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે. તેઓ લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, (જિલ્લો : ભાવનગર) ના પ્રથમ કુલપતિ રહ્યા છે.

ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક અને ઉત્તમ વક્તા છે. તેમનાં પાંત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. “હૈયું-મસ્તક-હાથ” પુસ્તક ૨૦૧૦નું બેસ્ટ-સેલર પુસ્તક રહ્યું છે, જયારે “મુઠ્ઠી ઊંચેરાં ૧૦૦ માનવ-રતો” ૨૦૧૫નું બેસ્ટ સેલર માઈલસ્ટોન પુસ્તક છે. તેઓ ગુજરાતી વર્તમાનપત્રો ‘દિવ્ય ભાસ્કર’, ‘ફૂલછાબ’ અને ‘કચ્છમિત્ર’ના પ્રખ્યાત કટાર લેખક છે.

છેલ્લાં ૬૦ વર્ષથી દર વર્ષે સ્વામી વિવેકાનંદ વાર્ષિક સ્પર્ધાઓ આશ્રમ દ્વારા યોજવામાં આવે છે. તેમાં તેઓ જયારે ચાર વર્ષના હતા, ત્યારે પહેલી વાર ભાગ લીધો હતો. એ સ્પર્ધા હતી મુખપાઠની. એમાં એક ફકરો આપવામાં આવતો, જે મુખસ્થ કરીને સ્પર્ધામાં બોલવાનો રહે છે. તેમને આપવામાં આવેલ ફકરો સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ-ધર્મસભામાં જે પ્રવચન આપ્યું હતું, તેમાંથી લેવામાં આવ્યો હતો. તેમાં તેઓ પ્રથમ આવ્યા અને આશ્રમના નિયમ મુજબ તેમને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં. ત્યારથી એટલી નાની ઉંમરે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાથી તેમની વાંચનની યાત્રા શરૂ થઈ. દર વર્ષે સ્પર્ધાઓમાં ભાગ લેવો અને નંબર લાવીને પુસ્તકો લાવવાં એ જાણે એમનો ક્રમ બની ગયો. તેમની આ વાંચન-યાત્રા યુવાનીમાં પણ ચાલુ રહી. શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયનો તેમણે ભરપૂર લાભ લીધો છે.

એક વખત પ્રો. જનાર્દનભાઈ વૈદ્ય, કે જેમણે કેટલાંયે વર્ષો સુધી આશ્રમના પ્રકાશન વિભાગમાં નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવાઓ આપી હતી, ઉંમરના કારણે તેમની આંખો નબળી બની જતાં ભદ્રાયુભાઈ તેમની મદદ માટે આવતા, તેમને તેમાંથી પણ પ્રેરણા મળતી. શ્રી વૈદ્યને સ્વામીજીનાં ઉદ્ધરણો મુખસ્થ હતાં. તેમનાથી ડૉ. ભદ્રાયુભાઈ પ્રભાવિત થયા. તેઓ વૈદ્ય સાહેબને પુસ્તકો વાંચી સંભળાવતા અને એ બહાને ભદ્રાયુભાઈને પણ વાંચન થઈ જતું.

આમ, સ્વામીજી વિશે વધુ ને વધુ વાંચન થતું રહ્યું. હજી પણ તેમની આ વાંચનયાત્રા ચાલુ જ છે. તેમના પર સ્વામીજીના પ્રભાવ વિશે તેઓ ચાર કારણો આપે છે.

(1) સ્વામીજીના પુસ્તકોમાંથી તેમને મળ્યો આત્મવિશ્વાસનો અસીમ પાઠ. એ કારણે જ તેમના જીવનનાં બે-ત્રણ કપરાં કાર્યો અને તેનો બોજ તેઓ વહન કરી શક્યા.

(2) વિચારોની સ્પષ્ટતા — જે કંઈ પણ કહો, ચોખ્ખું કહો, જે શ્રી ભદ્રાયુભાઈએ અપનાવ્યું છે.

(૩) ગરીબો પ્રત્યે સંવેદના – આ બાબતે તેઓ અત્યંત પ્રભાવિત થયા છે. અને

(4) સ્વામીજીએ સ્થાપેલી સંસ્થા આજે પણ એ જ આદર્શ સાથે કાર્ય કરી રહી છે, જે માટે તેઓ સ્વામી વિવેકાનંદજી પ્રત્યે અખૂટ અહોભાવ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં વ્યાવહારિક ક્ષેત્રોમાં એ જ આદર્શો મૂર્તિમંત થઈ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ અનેક કાર્યક્રમોમાં અને સેમિનારોમાં વિવિધ વિષયો પર તેમનાં પ્રવચનો પ્રભાવશાળી રહ્યાં છે.

રામકૃષ્ણ મઠ-મિશનના ગુજરાતમાં આવેલાં કેન્દ્રોમાં પણ તેમની વિનંતીને માન આપી ભદ્રાયુભાઈ આનંદપૂર્વક આવે છે અને યુવાનોને માર્ગદર્શન આપે છે અને આને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. એ જ છે તેમને આશ્રમ પ્રત્યેનો ભાવ અને સંબંધ.

ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજી તેમના પર આશીર્વાદો વરસાવતાં રહે એ જ તેઓનાં ચરણોમાં પ્રાર્થના.

 

 

મહાવીર સ્વામીનું અનુસરણ કઠિન છે!?

 

 

 

 

 

 

 

 

 

 ‘અર્હન્તઅનેજિનસુવિશેષણોનો અર્થ સમજવા જેવો છે!

જૈનદર્શનમાં ‘ભાવક્રિયા’ શબ્દનું જબરું મહાત્મ્ય છે. જો કે, કમનશીબે આપણે અવશ્ય કરવાની થતી ક્રિયાઓને પણ ભાવક્રિયાનું રૂપ આપી સંતોષ માની લીધો છે. પર્વાધિરાજ પર્યુષણ આવે ત્યારે ટાઈમ બિઈંગ ભક્તિ છલકે ને આપણે શાસ્ત્રજ્ઞાન માં નજર ફેરવીએ, પણ પછી રોજબરોજની ઘટમાળમાં બધું વિસારે પાડી દઈએ.

આપણે મહાવીર સ્વામીનું અનુકરણ નથી કરવાનું, પણ અનુસરણ કરવાનું છે. ‘જેવું કરવું તે’, ‘દેખાદેખી, ‘નકલ કરવી, એટલે અનુકરણ. જયારે અનુરૂપતા સાધવી, અનુગમન કરવું એટલે અનુસરણ. કહ્યા પ્રમાણે જીવનભર વર્તવું એ અનુસરણીય ગણાય. મહાવીર સ્વામીનું અનુસરણ શું કઠિન છે ? જરા વિગતે વિચારીએ.

જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોની માન્યતા છે. સંસ્કૃતમાં ‘તીર્થ’ એટલે નદી કે તળાવમાં ઊતરવા માટે કરેલો ઓવારો. ‘કર’ એટલે કરનાર. નદીમાં સહેલાઈથી  ઊતરવા માટે ઓવારો જોઈએ તે જ રીતે સાચો ધર્મ સમજવા માટે બુદ્ધ પુરુષની જરૂર પડે. સાચા ધર્મની સમજ આપનાર મહાપુરૂષ તે તીર્થંકર. મહાવીર સ્વામીને ચોવીસમા અને છેલ્લા તીર્થંકર માનવામાં આવે છે.

ધર્મગુરુ તો બ્રાહ્મણ જ હોય તે માન્યતા સાચી નથી. ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિયો હતા અને રાજપુત્રો હતા. ગૌતમ બુદ્ધ નેપાળની તળેટીમાં રહેતા શાક્ય નામના ક્ષત્રિયોના કુળમાં જન્મ્યા હતા અને મહાવીર પટણાથી સત્યાવીશ માઈલ ઉત્તરે વૈશાલિનગરની પાસેના પરામાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના કુળમાં જન્મેલા. આપણે મહાવીરના જીવનપ્રસંગોથી તો પરિચિત છીએ, પણ આપણે આજે એમનાં કઠિન તપ-ભિક્ષા-ધ્યાન વગેરેની વિરલ વાતો જાણવી છે.

મહાવીર એવું માનતા હતા કે, મનુષ્યોનો આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને અનંત શક્તિવાળો છે, પરંતુ વાસનાઓ અને તેનાથી પ્રેરાયને થતાં સારાં ખોટા કર્મો દ્વારા તે મલિન ને દીન બની જાય છે.

તપ બે રીતે થાય: (૧) ઉપવાસ કરવા, ટાઢ-તડકો સહન કરવાં વગેરે બાહ્ય તપ અને (2) ધ્યાન.. મનને પદાર્થો તરફ જતું રોકી એક જગ્યાએ સ્થિર કરવું તે. મહાવીર સ્વામી બન્ને તપ કર્યા અને સિદ્ધતાપૂર્વક કર્યાં!

કોઈ ગમે તેવું દુઃખ દે પણ મહાવીર તેનો વિરોધ જ ન કરે. સ્વભાવથી એટલા દયાળુ કે પોતાનું દુઃખ નિવારવા કોઈને દુઃખ આપી જ ન શકે. જીવજંતુ કરડે કે વકરેલાં કૂતરાં બચકાં ભરી માંસ કાઢી લે તો પણ તેને હરાવે નહીં. ભિક્ષા માંગવા જાય ત્યાંરે પણ બીજા યાચકને કે કાગડા-કૂતરાંને અન્ન મળવામાં અડચણ ન આવે તેની કાળજી લે! ભિક્ષા આપનારને નવું ભોજન બનાવવું પડે તેમ લાગે તો ત્યાંથી ખસી જાય. ઘરના બધાં ખાઈ રહે પછી જ વધ્યું-ઘટયું માગી લાવે ને આરોગે.. અરે સાધુ થતી વખતે એક વસ્ત્ર પહેરેલું તે ઝાડી-ઝાંખરાંમાં ભરાઈને નીકળી ગયું તો બીજું માંગીને પહેર્યું નહી. !

ધ્યાનમાં હોય ત્યારે પૂર્ણત: સ્વમાં ખોવાયેલા. એક નાદાન ભરવાડે પોતાનાં બળદ ગુમ થવા અંગે શંકા કરી ખરેખર બ્હેરા કરી નાખવા કાનમાં અણીદાર શૂળો ભોંક્યા તો પણ મહાવીર તો પ્રશાંત!. બાર બાર વર્ષોનું કઠોર છતાં સહજ તપ, બહારનું અને અંદરનું, ત્યારે એક વનમાં પરમ જ્ઞાન ઉપજ્યું અને શુદ્ધ-બુધ્ધ- મુક્ત થયા! ત્યારે ઉપનામ પામ્યા અર્હન્ત. સૌ પ્રાણીઓના પૂજય તે અર્હન્ત. મહાવીર સ્વામી મન-શરીર-વાચા-કર્મ પર વિજય મેળવ્યો તેથી ‘જિન’ કહેવાયા. તેઓના માર્ગે ગયેલા સાધુ-સન્યાસી અને તેમણે બતાવેલ ધર્મને સહેજ હળવી રીતે પાળવાનું નકકી કરનાર ગૃહસ્થો શ્રાવક કહેવાયા. ‘જિન’ એવા મહાવીરના શિષ્ય થનાર સાધુ અને શ્રાવકો જૈન કહેવાયા.

અહિંસા અને તપનું અનુસરણ શક્ય છે. કુદરતે આપણને કોરોના કાળમાં કઠોર તપની પ્રેક્ટિસ કરાવી છે. કુદરતે માર્મિક રીતે એ પણ ટકોર કરી છે કે,  જે જીવને મારે છે તેને હું વિષાણુ બનીને પાઠ ભણાવું છું. !

 

‘તારા માટે હું ઘેર-ઘેર ભીખ માંગવા તૈયાર છું.’ (06)

 

 

 

 

 

 

 

કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે,  ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.

સ્વામી શ્રી વિવેકાનંદજી સર્જિત આરાર્તિકમની પાંચમી પંક્તિમાં છેલ્લે એક શબ્દ પ્રયોગ છે ‘પ્રેમ પાથાર’. અને એનું ગુજરાતી આપણે સમજ્યા છીએ ‘પ્રેમનાં વારિધિરૂપ’. એમાં કહેવાયું છે કે,  તમે સદા ઉન્મત્ત પ્રેમનાં વારિધિરૂપ છો.  આ પ્રેમ પાથાર  એટલે કે રામકૃષ્ણ દેવનો પ્રેમ કેવા પ્રકારનો હતો  એનકવિધ પ્રસંગો  આપણને મળે છે, તેમાંથી બે-ત્રણ આપણે ટૂંકમાં જોઈએ.

16મી એપ્રિલ 1886, શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા. ગળામાં ભયાનક પીડા છે, શરીર અત્યંત ધૃષ્ટ થઇ ગયું છે, ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે, ભક્તો સાથે અતિ પરિશ્રમ પૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાના એક છે ગિરીશઘોષ. પ્રખ્યાત કવિ, નાટ્યકાર, જેઓ પોતે કહેતા કે, તેઓ અતિ પતિત હતા. પણ શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી ભક્ત બન્યા છે. ઘણા લોકો માને છે કે,  શિષ્યોમાં વિશેષરૂપે ગિરીશ ઘોષના પાપોના કર્મો પોતાના શરીર ઉપર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને આટલી પીડા  સહન કરવી પડી હતી. શ્રી મા શારદા દેવી પણ કહેતા કે, ગિરીશઘોષના પાપો પોતાના પર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને ગાળામાં કેન્સર થયું. આમ છતાં શ્રી રામકૃષ્ણ દેવનો પ્રેમ બધા પ્રત્યે અબાધિત રહેતો. કદાચ પતિતો અને દુઃખીઓ પ્રત્યે વધુ જોશથી પ્રેમ વહેતો. ગિરીશ ઘોષ ર તો ઠાકુરના પ્રેમ સાગરમાં મોટું મોજુ બનીને  આવ્યા ન હોય !?.

ગિરીશ ઘોષ સાથે સ્નેહપૂર્વક  વાતચીત કરે છે તેથી એમને સંતોષ મળે છે. અન્ય ભક્તોને તેમના માટે હુક્કો અને પાન લેવાનું કહ્યું. આથી પણ સંતોષ ન થયો તો થોડીવાર પછી અન્ય ભક્તને કહ્યું, ‘કંઇક ખાવાનું લાવી દે’. કોલકાતામાં વારા નગરમાં ફાગુની દુકાન પ્રખ્યાત. ત્યાંથી ગરમાગરમ કચોરી, પૂરી, અને બીજી મીઠાઈ આવી. શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપીને કહ્યું, ‘મજાની કચોરી છે ખા…’ ભક્તોએ તેમને જે માળાઓ પહેરાવી હતી તેમાંથી બે માળા કાઢીને ગિરીશના ગળામાં નાખી દીધી અને પ્રેમપૂર્વક ખાવાનું કહ્યું. હવે પીવાનું પાણી આપવાનું છે. શ્રી રામકૃષ્ણ દેવની પથારીને અગ્નિખૂણે કુંજામાં પાણી રહે છે. શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, તે કહે છે કે આમ મજાનું પાણી છે. હવે  ભક્તો આશ્ચર્યથી જોઈ રહ્યાં. જેઓ અતિ દુર્બળ, જેનામાં જરા ખસવાની શક્તિ નથી તેઓ બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતાં જાય છે પોતે પોતાના હાથે પાણી લેવા માટે.!!! ભક્તોનો શ્વાસ અધર થઈ ગયો. શ્રી રામકૃષ્ણ દેવે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાં  જરાક પાણી હાથમાં લઈને જોયું કે ઠંડુ છે કે નહીં. તેમણે જોયું કે, પાણી બહુ ઠંડુ નથી. પણ આખરે એથી વધુ ઠંડુ પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એમણે ગિરીશને એ પાણી પાયું.

શ્રી રામકૃષ્ણ દેવના ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવતા આવા અનેક પ્રસંગોને લઈને સ્વામી વિવેકાનંદે ‘પ્રેમ પાથાર’ એવો શબ્દ વાપર્યો છે. કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે,  ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.

દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ દેવ સાથેની પહેલી મુલાકાતનું વિસ્તૃત વર્ણન નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદે પોતે કર્યું છે. તેમના જ શબ્દોમાં અદભુત પ્રેમ પ્રસંગનું વર્ણન “શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ રસસભર કરેલ છે.  શ્રી રામકૃષ્ણ બોલ્યા કે,  ગીત તો ગાયું પણ એ પછી તરત જ તેઓ ઉભા થઈ ગયાં અને મારો હાથ પકડીને મને એમના ઓરડાની ઉત્તરે જે ઓસરી છે ત્યાં લઈ ગયા. વરંડામાં પેસતાની સાથે જ ઠાકુરે બારણું બંધ કરી દે, અમે વિચાર્યું કે લાગે છે મને એકાંતમાં કંઈક ઉપદેશ દેશૅ. પણ એમણે જે કહ્યું અને કર્યું તે તો તદ્દન જ કલ્પના બહારનું હતું. એકદમ મારો હાથ પકડીને દરદર ધારે આંસુએ રડવા લાગ્યા અને જાણે કે કેટલાય દિવસથી ઓળખતા હોય એમ મને પરમ સ્નેહથી સંબોધીને કહેવા લાગ્યા, આટલે દિવસે આવવાનું હોય? હું તારે માટે કેવી તો રાહ જોઈ રહ્યો છુ. તેનો એકવાર પણ વિચાર નહિ કરવાનો ? વિષયી માણસોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન ભૂંજાઈ જવા આવ્યા, દિલની વાત કોઈને ન કઈ શકવાથી મારું  પેટ ઢમઢોલ  થઈ ગયું, આવી આવી તો કેટલીએ વાતો કરતા જાય અને રડતા જાય. વળી બીજી જ ક્ષણે મારી સામે હાથ જોડીને ઉભા રહ્યાં. અને દેવતાની માફક મારી સામે આદર દાખવીને કહેવા લાગ્યાં, ‘જાણું છું પ્રભુ..જાણું છું હું પ્રભુ, તમે એક જ પુરાતન ઋષિ નરરૂપી નારાયણ જીવોની દુર્ગતિના નિવારણને કાજે ફરીવાર શરીર ધારણ કરેલું છે વગેરે વગેરે…’ હું તો તેમના આવા વર્તનથી એકદમ અવાચક  થઇ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે,  આ હું કોને જોઉં છું?, આ તો ઠર્યો પાગલ નહિ તો વિશ્વનાથ દત્તનો પુત્ર! મને વળી આ બધું શું કહે છે? પણ તેઓ હાથ ઝાલીને બોલ્યા, ‘તું જલ્દી મારી પાસે અહીંયા એકલો આવી જા’ એમની આગ્રહ ભરી વિનવણીને ઠેલી ન શકાતા ‘ના ઈલાજે આવીશ’ એમ હું બોલ્યો. રામકૃષ્ણ દેવ પહેલી જ મુલાકાતમાં નરેન્દ્રનાથ ને સાવ પોતીકા ગણવા લાગ્યા. કશાય  કારણ વગર એક જણ બીજા જણને એટલી હદે ચાહી શકે એની અમને આના પહેલાં  ખબર નહોતી એવું શારદ નંદજી કહે છે. નરેન્દ્રનાથ પ્રત્યે શ્રી રામકૃષ્ણના પ્રેમને જોઈને સમજી શક્યા છીએ કે, વખત જતાં દુનિયામાં એવો દિવસ ઉગશે કે, જ્યારે માણસ માણસની અંદર ઈશ્વરનો આવિષ્કાર અનુભવીને સાચેસાચ જ આવી રીતે અકારણ પ્રેમ પ્રસરાવી  કૃતકૃત્ય બનશે.

નરેન્દ્રનાથના પિતાના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ  થઈ ગઈ. ઘેર ખાવાના પણ સાંસાં  પડવા લાગ્યા. આટલા પ્રતિભાવાન નરેન્દ્રનાથને નોકરીની શોધ માટે દ્વારે-દ્વારે ભટકવું પડ્યું. શ્રી રામકૃષ્ણ દેવે એકવાર એક ભક્તને કહ્યું, ‘નરેન્દ્ર ની આ સ્થિતિમાં જો કોઈ તેની સહાયે આવી ચડે તો સારું.’ નરેન્દ્ર ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નારાજ થયા અને શ્રી રામકૃષ્ણ દેવને એમ જ ઠપકો આપ્યો. શ્રી રામકૃષ્ણ દેવે આંખમાં આંસુ લાવીને કહ્યું, ‘તારા માટે હું ઘેર-ઘેર ભીખ માંગવા તૈયાર છું.’

શ્રી રામકૃષ્ણદેવના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, તેઓ તો હતા LOVE PERSONIFIED  (પ્રેમનું મૃત સ્વરૂપ) સમસ્ત માનવ જાત માટે અને પ્રાણીઓ સુદ્ધા ઉપર પણ રામકૃષ્ણ દેવને પ્રેમ રહેતો. દક્ષિણેશ્વરમાં એક બિલાડીએ તેમના બીછાનામાં શરણ લીધું. જ્યાં સુધી તેને એક ભક્ત મહિલા લઈ ન ગયા ત્યાં સુધી તેઓ તેના વિશે ચિંતિત રહ્યા. ભક્ત મહિલાએ તેની સાર સંભાળ રાખવાનું વચન આપ્યું પછી એમને નિરાંત વળી. કામાર પુકુરમાં એકવાર તેઓ ચાલીને જતા હતા ત્યારે ક્યાંકથી એક માછલી આવીને એના પગ પાસે ફરવા લાગી. શ્રી રામકૃષ્ણદેવે તેને તરત જ તળાવમાં નાખવાનું  કહ્યું. અન્ય લોકો તો એને આરોગવાની ઈચ્છા ધરાવતા પણ શ્રી રામકૃષ્ણ દેવના પ્રેમ સામે કોનું ચાલે ? તેઓનું મન સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત રહેતું ત્યારે કોઈના ઘાસ પરથી ચાલવાથી પણ તેમને છાતીમાં પીડા  થતી.

શ્રી ઠાકુરની પ્રત્યેક અવસ્થાના લીલા સમાન પ્રસંગો બહુ જ ઝીણવટથી “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” (ભાગ એક)માં શ્રધ્ધેય શ્રી સારદાનંદજીએ વર્ણવેલ છે. આ ગ્રંથના ત્રણ ભાગોનું પ્રકાશન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૃતીય સંસ્કરણ રૂપે 2014 માં થયેલ છે. અભ્યાસુઓ માટે આ ત્રણેય ભાગ એક જ્ઞાન ભંડાર સમાન છે.

પ્રેમની પરાકાષ્ઠામાં પુષ્પોમાં પણ જીવંત ઈશ્વર દેખાતો હોવાથી તેમના માટે પુષ્પો ચૂંટવાનું કાર્ય અશક્ય બની જતું. દરરોજ સાંજે આરતીના સમયે તેઓ દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠીની અગાસી પર ચડીને રડતા રોતા પોકારીને કહેતા, ‘ક્યાં છો ભક્તો?, આવો, તમારા વગર હું રહી શકતો નથી.’ આ પ્રેમનો પોકાર વિફળ ન ગયો. એક પછી એક અનેક ભક્તો આવ્યા. નરેન, રાખાલ, યોગી, બાબુરામ, નિરંજન, તારક, શશી, કાલી, લાટુ, હરી, શારદા પ્રસંદ, ગંગાધર, સુબોધ, કેટલા નામ ગણાવી દઉં. અને તેઓના પ્રેમ પાસમાં સદાય માટે બંધાઈને કેટલા લોકો સન્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજાનંદ, શિવાનંદ, સારદાનંદ, રામકૃષ્ણાનંદ, અભેદાનંદ, અદભુતાનંદ્, સૂર્યાનંદ્દ, ત્રિગુણાતીતા નંદ, અખંડાનંદ, સુબોદાનંદ કેટલા નામ! અને કેટલા એના પ્રેમના સ્પર્શથી કૃતાર્થ થયા. પૂર્ણ ચંદ્રઘોષ, મથુરાનાથ વિશ્વાસ, શંભુ ચરણ મલિક, નાગમહાશય, બલરામ બસુ, લેખક શ્રીમ, અધરલાલ સેન, ગિરીશચંદ્ર ઘોષ, સુરેન્દ્રનાથ મિત્ર, આજે પણ શ્રી રામકૃષ્ણ દેવના આ સાદ પ્રેમનું આવાહન ચાલુ છે. આ બાબત ઉપરથી ખ્યાલ આવશે કે ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. શ્રી રામકૃષ્ણરૂપી આ પ્રેમ પાથાર એટલે કે પ્રેમ સાગર પાસે એકાદ લહેરનો સ્પર્શ પણ આપણને મળી જાય તો ધન્ય ધન્ય થઈ જવાય. (ક્રમશ:)

 

‘શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચૈતન્ય થાય?’ (05)

 

 

 

 

 

 

 

ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયા !!  કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!

‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’

‘તમે જ્ઞાનમય ભાવ સમુદ્ર છો, સદા ઉન્મત  પ્રેમનાં વારીઘી રૂપ છો.’

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની આ પાંચમી પંક્તિ છે.

ભાવ સમાધિમાં જતા રહેવું કે ભાવ અવસ્થાઓની અસર નીચે જીવવું એ શ્રી રામકૃષ્ણ દેવ માટે અતિ સહજ હતું. શ્રી રામકૃષ્ણ દેવનું જીવન એટલે અસંખ્ય ભાવાવસ્થાઓની અમર કહાની. શ્રી રામકૃષ્ણદેવ જાણે કેટકેટલીયે ભાવાવસ્થાનાં વિશાળ સાગર જોઈ લ્યો. બાળપણમાં ઈશ્વરના ભાવાવેશમાં વિભિન્ન ભવોથી મત બની જતા. પછી 12 વર્ષની સાધનાના ગાળામાં વિભિન્ન સાધનાઓમાં, વિભિન્ન દેવ દેવીઓના દર્શનોમાં, અને અનુભૂતિઓમાં જાણે નિમગ્ન બની ગયા. અને છેલ્લા 12 વર્ષ લોક કલ્યાંણર્થે દિવ્યભાવમાં આરૂઢ થયા.

શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચેતન્ય થાય?’ જ્ઞાનમય ભાવોના સમુદ્રરૂપ શ્રી રામકૃષ્ણ દેવને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજી આ પંક્તિ લખે છે કે, ‘તમે જ્ઞાનમયી ભાવસમુદ્ર છો, સદા ઉન્નત પ્રેમના વારીઘી છો.’

જેઠ કે અષાઢ મહિનાની વાત છે. ગદાધરની ઉંમર ત્યારે છ કે સાત વર્ષની. કામાર પુકુરનાં એ રમ્ય ગ્રામના ખેતરના પાળા ઉપરથી હાથની છાબડી માંથી મમરા ખાતો-ખાતો ગદાધર જઈ રહ્યો છે. આકાશમાં તેને દેખાય છે એક સુંદર જળવાળું કાળું વાદળું. ત્યાં જ હારબંધ સફેદ દૂધ જેવા બગલા ત્યાંથી પસાર થાય છે. એક અજબનું વાતાવરણ જામી ગયું. આમ જોતા જોતા અપૂર્વ ભાવમાં તન્મય થઈ જવાથી ગદાધર બેભાન થઈને ઢળી  પડ્યો. મમરા બધા વેરવિખેર થઈ ગયાં. લોકો તેને ઊંચકીને ઘરે લઈ ગયા. આ હતી શ્રી રામકૃષ્ણ દેવની પ્રથમ ભાવ સમાધિ. એમ કહેવાય છે કે પછી આ ભાવ સમાધિનો સિલસિલો સતત ચાલતો રહ્યો.

કામાર પુકુર થી  એક કોશ દૂર આનુડ ગામમાં આવેલ વિશાલાક્ષી દેવીના મંદિરના દર્શન માટે કામાર પુકુરથી કેટલીક સ્ત્રીઓ જતી હતી. આઠ વર્ષના ગદાધરે હઠ લીધી એટલે તેને સાથે લીધો. વિશાલક્ષી દેવીનું માહત્મ કીર્તન કરતા-કરતા ખેતર વટાવતા પહેલા જ ગદાધર ગાતા-ગાતા થંભી ગયો. તેના અંગ પ્રત્યાંગો અકડ થઈ ગયા, આંખોમાંથી અવિરત આંસુની ધાર વહેવા લાગી, આંખે-માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોશમાં ન આવતો જોઈને સ્ત્રીઓ તો ચિંતામાં પડી ગઈ. પ્રસન્નમયી નામની એક વિધવાની પુત્રી ગદાધરને ખુબ વ્હાલ કરતી અને તેનામાં ભગવત બુદ્ધિ રાખતી. અચાનક એના મનમાં ઝબકારો થયો કે, સરળ મનનાં શ્રદ્ધાવન બાળકમાં દેવી તો નથી આવ્યા ને ! હવે બધી સ્ત્રીઓ મળીને પ્રસન્નમયી ના કહેવાથી મા વિશાલાક્ષા દેવીનું  નામ સંકીર્તન કરવા લાગી. અને ગદાધરને સંબોધીને કહેવા લાગી ‘ મા વિશાલાક્ષી પ્રસન્ન થાઓ મા, રક્ષા કરો’. આમ કરતાં થોડી જ વારમાં  ગદાઘરનું મુખ મંડળ સુમધુર હાસ્યથી ખીલી ઉઠ્યું.

શિવરાત્રીની રાત કામાર પુકુરના સીતાનાથ ભાઈએ  પોતાના ઘર પાસેના ગામની મંડળીના નાટકનો બંદોબસ્ત કર્યો. જેથી ગામવાસીઓને વ્રત જાગરણનો આનંદથી પ્રાપ્ત  થાય. પણ સાંજના સમાચાર મળ્યા કે, શિવનો પાઠ ભજવવાનો હતો તે વ્યક્તિ બીમાર પડી ગયો છે તેથી નાટક નહીં થાય. લોકો નિરાશ થઈ ગયા. એમાં કેટલાકને એવો વિચાર આવ્યો કે,  ગદાઈ એટલે કે ગદાધર તો શિવ પૂજામાં મગ્ન રહે છે, શિવ સ્ત્રોત ગાય છે, તેને આ પાઠ ભજવવા આપ્યો હોય તો !!! નાટક મંડળી વાળા રાજી થઈ ગયા. સૌના આગ્રહથી ગદાઈ પણ સંમત થયો. રાત્રે નાટક શરૂ થયું. ગદાઈ  જ્યારે મંચ પર  હાજર થયો ત્યારે લોકો તેના જટાજુટ વાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયો. કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!

નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ ભાવસાગરમાં મગ્ન રહેવાનું શીખ્યા હતા. શ્રી રામકૃષ્ણ દેવમાં સ્ત્રી અને પુરુષ બંને ભાવોનો અદભુત સમાવેશ થતો. મધુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધા રાણીનું આરોપણ કરતા ત્યારે સ્ત્રીનો વેશ ધારણ કરતાં. છ માસ સુધી તેમનું હલન-ચલન, હસવું-બોલવું, કટાક્ષ, અંગમરોડ  શરીરની એકે એક ચેષ્ટા  બધું નારી સુલભ બની જતું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીના બધા લક્ષણો પ્રગટ થયેલા.

શ્રીમતી રાધા રાણીની કૃપા વગર શ્રીકૃષ્ણના દર્શન પામવા અશક્ય છે, એમ જાણીને તેઓ તેમની પ્રેમ ઘનમૂર્તિના સ્મરણ, મનન અને ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતાં. આ પછી તેમને રાધા રાણીના દર્શન થયા અને દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ શ્રી રામકૃષ્ણ દેવના દેહમાં સમાઈ ગઈ.

એમના શરીરના રુવાડાના છિદ્રોમાંથી ઘણીવાર ટીપે ટીપે લોહી ટપકતું. શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હોય તેવા ઢીલા-ઢીલા જણાતા હતા અને હૃદયની અપાર યંત્રણાને લીધે ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક-ક્યારક મડદા જેવો નિશ્ચેતન અને ભાન રહિત બની જતો. આ મહાભાવનો ઉલ્લેખ કરીને શ્રી રામકૃષ્ણે કહેલું કે,  ઓગણીશ પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય, એવી વાત ભક્તિ શાસ્ત્રમાં છે. સાધના કરીને એક-એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની પૂરેપૂરી જિંદગી વીતી જતી હોય છે. અને  પોતાના શરીર સામું જોઈને કહ્યું કે,  અહીંયા એક આધારે એક સાથે એ જાતના 19 ભાવોનો પૂર્ણ પ્રાદુર્ભાવ થયો છે. આ મહાભાવની ચરમ સીમાએ તેમને શ્રી કૃષ્ણનાં પાવન દર્શન થયા અને શ્રીકૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રી અંગમાં ભળી ગઈ !!

કાશીમાં શ્રી રામકૃષ્ણ દેવને અનેક દિવ્ય દર્શનો પ્રાપ્ત થયા. તેવી જ રીતે વૃંદાવનમાં પણ તેમને અનેક અદભુત દર્શનો થયા. બાકે બિહારીની મૂર્તિના દર્શન કરીને ત્યાં તેમને અદભૂત ભાવાવેશ થયો. સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડી ગયા. ધ્રુવ ઘાટ પર તેમને વસુદેવ જમુના પાર કરી રહ્યા છે તેવું એમને દેખાય છે. શ્રી રામકૃષ્ણ દેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેતું હતું. એકવાર કોલકાતામાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોવા ગયાં પણ સિંહ તો મા દુર્ગાનું વાહન છે એમ વિચારે ચડતાં મા ના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. સમાધિ અવસ્થામાં ચાલ્યાં ગયા. સિંહનાં દર્શન તેઓ કરી ન શક્યા.

કોલકતામાં મેદાનમાં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને એક ત્રિભંગ મુદ્રામાં જોયો. તેમને શ્રી કૃષ્ણનાં ભાવનું ઉદ્દીપન થયું અને તરત જ તેઓ સમાધિમાં ચાલ્યા ગયાં. એક વેશ્યાને નિલરંગની સાડી પહેરીને જતી જોઈ તેમને લાગ્યું જાણે સીતા રાવણનાં સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના આ ભાવથી વિહ્વળ  થઈ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે જોયું કે રમણી નામની એક વેશ્યા જઈ રહી છે તેમાં પણ તેમને જગન માતાનાં દર્શન થયા.  ‘ઓ મા આજે તું રમણીનું રૂપ ધારણ કરીને આવી છો. ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કરજે.’  આમ કહીને મા ના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા.

રામકૃષ્ણ દેવના અનુભવો આધુનિક મનોવિજ્ઞાનને શોધકાર્ય માટે ઘણી સામગ્રી આપે એમ છે. એકવાર ગંગા કાંઠે તેઓ ઉભા હતા ત્યારે દૂર ગંગા પર એક નાવમાં બે નાવિકોને તેમણે ઝઘડતા જોયા. એક નાવિકે બીજા નાવિકની પીઠ પર થપાટ મારી શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે અદ્વૈત ભાવમાં હતા. તેમણે ચીસ પાડી. તેમનો સેવક એટલે કે ભાણેજ હૃદય દોડતો-દોડતો આવ્યો. જોયું તો શ્રી રામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે. ‘મામા કોણે તમને માર્યું ? જલ્દી બતાવો તેને હું મજા ચખાડું’. શ્રી રામકૃષ્ણદેવ તો ત્યારે સમાધિ અવસ્થામાં હતા. સહજભાવમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું  તેથી તેમને દુઃખ થયું. તેમની પોતાની પીઠ લાલચોળ થઈ ગઈ. કેવી અદભુત અદ્વૈતાનૂભુતિ !!

ઇસ્લામ ધર્મની સાધના વખતે શ્રી રામકૃષ્ણદેવ અલ્લાહ મંત્રનો જાપ કરતા અને મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતા. દિવસમાં પાંચ વખત નમાજ પઢતા. આ સાધનાના અંતે તેમને લાંબી દાઢીવાળા  અશુંગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને સૂર્ય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લિન થઈ ગયું. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ શ્રી રામકૃષ્ણ દેવને આલિંગન કરી તેના શરીરમાં ભળી ગયાં.

બાહ્ય જ્ઞાન ગુમાવીને શ્રી રામકૃષ્ણ દેવનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણીવાર એકાકાર થતું રહ્યું. સ્વામી વિવેકાનંદ કહેતા કે,  મનની બહારની જડ  શક્તિઓને કોઈ ઉપાયે વશમાં  લાવીને કોઈ ચમત્કાર કરી શકે એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પીંડાની જેમ ભાંગતો, ટિપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી  નવાં બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો. એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં મારા જગતમાં જોયો નથી. આ અનેક ભાવ દશાઓ અને ભાવ સમુદ્રને જાણ્યાં પછી આપણે સંમત થઈશું કે સ્વામી વિવેકાનંદે આરતીની  પાંચમી પંક્તિમાં જે કહ્યું છે કે પરમ સત્ય છે, ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. (ક્રમશ:)