કહે છે કે, ક્રોધમાં તેર સ્નાયુનો વ્યય થાય છે, હસવામાં નવનો વ્યય થાય છે

ભદ્રાયુ વછરાજાની                    (58)             bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભાગવત ગીતાનો સોળ મો અધ્યાય આપણને એવું કહે છે કે, જીવનની ચડતી કળા એ દૈવી સંપત્તિનું નામ છે અને એના વિરુદ્ધની જે કોઈ અવસ્થા તે અસુરી સંપત્તિ કહેવાય છે. ખરેખર સોળ  માં અધ્યાયમાં દૈવી અને આસુરી શક્તિનો ઝઘડો બરાબર સ્પષ્ટ કરવામાં આવ્યો છે. પહેલા અધ્યાયમાં એક બાજુ કૌરવોને અને બીજી બાજુ પાંડવોને સામ-સામા ખડા કર્યા છે, તે પ્રમાણે સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સોળ માં અધ્યાયમાં એકબીજાની સામે ઊભા કરી દીધા છે. 

માનવીના મનમાં સત્ત  પ્રવૃત્તિઓનો અને અસત્ત  પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલ્યા કરે છે તેનું રૂપકાત્મક વર્ણન કરવાનો ઘણા પ્રાચીન કાળથી રિવાજ પડ્યો છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનો, પુરાણમાં દેવ અને દાનવનો, તે જ રીતે રામ અને રાવણનો, પારસીઓના ધર્મગ્રંથમાં અહૂરમઝદને અહરી માનનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રભુ અને શૈતાનનો, ઇસ્લામમાં અલ્લાહ અને ઇબ્લિસનો, આવા કેટલા ઝગડા ધર્મમાં દર્શાવેલા છે. ધર્મગ્રંથોમાં સૂક્ષ્મ મનોભાવોને નક્કર સ્થૂળ રૂપ આપીને વર્ણવવામાં આવે છે. જાણવાનો મુદ્દો એ છે કે,સોળ માં અધ્યાયના પહેલા લગભગ ચાર શ્લોકોમાં જ આપણને એક યાદી ભગવાન આપી દે છે અને એ યાદીમાં કયા ગુણો  દૈવી છે, અને કયા ગુણો  આસુરી છે, તે આપણને સમજાવી દે છે. અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન, અને યોગને વિશે નિષ્ઠા, દાન, દમ, ઈન્દ્રીય નિગ્રહ, યજ્ઞ, સ્વાધ્યાય, તક,સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપયશુન (કોઈની ચાડી ન ખાવી), ભૂત દયા, અલોપલુપ્તા (લાલસાનો ત્યાગ), મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરાભિમાન… આટલા ગુણો તે દૈવી સંપત્તિનું  પ્રતિનિધિત્વ કરે છે, એટલે જે આ ગુણો લઈને જન્મ્યો હોય છે, તે દૈવી ગુણ તરફ આગળ ધપે છે. સત્વ સંશુદ્ધિ ( આત્મશુદ્ધિ અથવા તો આપણે જેને અંતઃકરણની શુદ્ધિ કહીએ છીએ), જ્ઞાનયોગ વ્યવસ્થિતિ એટલે કે સ્થિર જ્ઞાનની વ્યવસ્થિતિ, બધા કાળ માટે અનુભવ જ્ઞાનએ જ્ઞાન વ્યવસ્થિતિ. યોગ વ્યવસ્થિતિ એટલે સદાય ઈશ્વર જ્ઞાન અને ઈશ્વરનું તાદાત્મ. અહિંસામાં જ્ઞાનપૂર્વક દયાભાવથી કરેલી હિંસા પણ આવી જાય છે. 

મહાત્મા ગાંધી પોતાના ગીતા શિક્ષણના પાઠમાં સુંદર રીતે નોંધે છે કે, ડોક્ટર નાનજી ઓપરેશન કરવાનું હોય તેને આગલે દિવસે ઉપવાસ કરતા. એ હેતુથી કે પોતાના ક્રોધ વગેરે વિકારોની દર્દી ઉપર કોઈ અસર ન થાય. ક્રોધ વિના મારનારો માસ્તર તો આંખમાંથી આંસુ પાડતો પાડતો મારશે. યુધિષ્ઠિરની ક્ષમા કેવી ? વિરાટ રાજાને ત્યાં વિરાટે તેને માર્યો ત્યારે તેણે  નાકમાંથી ભૂમિ ઉપર લોહી ન પડવા દીધું. ક્ષમા એટલે અપકાર ઉપર ઉપકાર !! ક્ષમા આટલી તીવ્ર છે.. આ બધા દૈવી ગુણોનું વિસ્તૃત વર્ણન છે. તો દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન એ આસુરી સંપત્તિ લઈને જન્મેલા હોય છે. અહીંયા સમજવાની જરૂર છે કે, દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો તે, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી તે, અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાકો રાખવો તે.. નારદજી એ કામદેવને હરાવ્યો ત્યારે તેણે અભિમાન કર્યું, અને એ અભિમાન થી તે પડ્યા. પારુષ્ય એટલે કઠોરતા.. દૈવી સંપત્તિ વાળો માણસ મોક્ષ તરફ ગતિ કરે છે, અને  આસૂરી સંપત્તિ બંધનમાં નાખે છે. ભગવાન કહે છે,  તારે શોક કરવાની જરૂર નથી. તું તો દૈવી સંપત્તિ લઈને જન્મ્યો છે. આ જગતની અંદર લોકોના સ્વભાવ બે જાતના હોય, દૈવી અને આસુરી. દૈવી સ્વભાવ તો વિસ્તાર પૂર્વક આપણે  જાણ્યો.હવે આપણે આસૂરી સ્વભાવ ની વિગત મેળવીએ. 

પ્રવૃત્તિ અને નિવૃત્તિ કોને કહેવી એ આસુરી સંપત્તિ વાળા લોકો જાણતા નથી. તેઓ નથી જાણતા શૌચ, નથી જાણતા આચાર કે નથી જાણતા સત્ય, જેનામાં શૌચ નથી, સત્ય નથી, આચાર નથી, એ માંદા લોકો છે એવું ગાંધીજી કહે છે. માનસિક અને શારીરિક દોષ વિના માંદગી આવતી નથી. ચોવીસે કલાક જેનો આત્મા જાગ્રત રહે છે, તે તો નિરંતર પોતાનામાં તેજનો સંચાર માગે છે. કહેવાય છે કે લાધા મહારાજ કોઢ થી મુક્ત થયા. કેવી રીતે મુક્ત થયા? એ પોતાના કોઢ ઉપર બીલીપત્ર લગાડતા હતા ત્યારે તે પોતાનામાં તેજનો સંચાર માંગતા હતા. આપણે આપણા શરીરને વિકારવશ  થતું ત્યારે જ અટકાવી શકીએ કે આપણે તેજનો સંચાર રોજ માગ્યા કરીએ. ગાંધીજી કહેતા કે, હું તો દરેક માંદા ને પૂછીશ કે તમારામાં રાગ-દ્વેષ છે કે નહીં? બહારથી આપણામાં શૌચ અને આચાર હોય પણ સત્ય ન હોય તો તે બહાર ઢોલ અને માહે પોલ જેવું છે. આપણે એ સત્ય કેળવવા માટે ગીતાનું પઠન કરી શકીએ છીએ. આવી આસૂરી પ્રકૃતિવાળા લોકો જગતને અસત્ય, આધાર વિનાનું, અને ઈશ્વર વિનાનું કહે છે. સ્ત્રી-પુરુષના મૈથુનથી જ ઉત્પન્ન થયેલું કહે છે. એમાં વિષયભોગ સિવાય બીજો શો હેતુ હોય એવી પણ બડાશ મારે છે. આ દૃષ્ટિનો આશ્રય લઈને એ નષ્ટાત્માઓ મંદમતી અને ઉપગ્રહ કર્મ કરવાવાળા, જગતનું અહિત અને નાશ કરનારા બને છે. કોઈ દિવસ તૃપ્ત ન થાય એવા કામનો આશ્રય લઈને દંભ, માન  અને મદવાળા, મોહથી ખરાબ નિશ્ચય  કરીને, અશુચિ વ્રતો એટલે કે પાપી બુદ્ધિ વાળા આ જગતમાં કેટલાય લોકો પડ્યા છે. જેનું માપ ન થઈ શકે એવી અને પ્રલય સુધી પહોંચવા વાળી ચિંતા નો આશ્રય લેવાવાળા, કામ અને ઉપભોગમાં ચોંટી રહેલા, ભોગ એ જ સર્વસ્વ છે એવા નિશ્ચયવાળા, સેંકડો આશા-પાસ થી બંધાયેલા, કામ અને ક્રોધ કરવાવાળા, કામ ભોગ માટે અન્યાય વડે અર્થ સંચય કરવા ઈચ્છે છે. ક્રોધ થી જેટલી શક્તિઓનો વ્યય થાય છે તે  આનંદથી જેટલી શક્તિનો વ્યય થાય તેના કરતાં અનેક ઘણો વધારે છે. ગજા ઉપરાંતની શક્તિનો વ્યય થાય છે, એટલે જગતમાં અન્યાય અને અત્યાચાર પ્રવર્તે છે. કહેવાય છે કે ક્રોધમાં તેર સ્નાયુ નો વ્યય થાય છે. હસવામાં નવ નો વ્યય થાય છે. ભોગમાં મૃત્યુ છે, બ્રહ્મચર્યમાં અમરત્વ છે. એકવાર રાયચંદભાઈ (શ્રીમદ ) નું માથું દુખતું હતું, ત્યારે ગાંધીજીએ  એમને પૂછ્યું, તમે ક્યાં નાટક જોવા ગયા હતા? રાયચંદભાઈ એ કહ્યું, હું રાત્રે ઘરમાં પડયો-પડ્યો નાટક જોતો હતો. મારું દુખતું માથું મટાડવા મારે મારી શક્તિ નથી વાપરવી. સારું છે એવું જુઓ છો,  તેવો જ તમે મને જુઓ છો. ઈશ્વરના કાયદા કરતાં હું ઉતરતો છું. વિષય ઉપભોગ નું પરિણામ મૃત્યુ છે. વિષય ઉપભોગ કર્યા જ કરીએ તો જગતમાં ઈશ્વરનું રાજ્ય ન રહે પણ શૈતાન નું રાજ્ય આવીને ઊભું રહે.