દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. 

ભદ્રાયુ વછરાજાની                             (56)                 bhadrayu2@gmail.com 

પંદરમાં અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આપણે ત્રણ ભાગની વિગતે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ વધીએ. 

પંદર માં અધ્યાયના ચોથો વિભાગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નું વિશ્લેષણ પાંચ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ભગવાન સતત કહે છે, હે અર્જુન ,સંસારમાં બે પ્રકારના જીવો હોય છે.એક નાશવંત છે, જેને ક્ષર કહેવાય છે, એક અવિનાશી છે જેને અક્ષર કહેવાય છે. આ બધા જીવોના શરીર તો નાશવંત છે જ, અને સમસ્ત જીવોના આત્મા અવિનાશી છે.એટલે ક્ષર અને અક્ષર એ શું છે? એ બરાબર સમજવા જેવું છે. દેહ ક્ષર છે, આત્મા અક્ષર છે. પરંતુ બંને સિવાય એક શ્રેષ્ઠ પુરુષ છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ભગવાન ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરતો રહે છે. કારણ કે, એ જ ક્ષર અને અક્ષર બંનેથી પર થઈને સર્વોત્તમ છે. તેથી આ સંસારમાં અને વેદોમાં પુરુષોત્તમ રૂપ માં એ  વિખ્યાત છે. હે ભરતવંશી અર્જુન, જે મનુષ્ય આ પ્રકારે મને સંશય  રહિત થઈને એટલે કે કોઈપણ પ્રકારની શંકા રાખ્યા વગર માનશે એ ભગવાનના રૂપને પ્રાપ્ત થશે. તે મનુષ્ય મને જ બધું જ જાણીને દરેક પ્રકારથી મારી ભક્તિ કરતા રહેશે.   છેલ્લા શ્લોકમાં પરાકાષ્ઠા છે. હે ‘નિષ્પાપ  અર્જુન’, તારામાં કોઈ પાપ નથી એટલે આ ગુહ્ય-શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. એ પ્રકારે આ શાસ્ત્રોનું અતિ ગોપનીય રહસ્ય મારા દ્વારા મેં તને કહ્યું છે. હે ભરતવંશી, જો મનુષ્ય આ પરમજ્ઞાન ને આ જ રીતે સમજશે તો બુદ્ધિમાન બનતો રહેશે. અને તેના બધા જ પ્રયત્નો હંમેશા પૂર્ણ થતા રહેશે. 

શ્રી વિનોબાજીની બે ત્રણ વાતો અહીં ઉમેરવી છે. 

  1. આ વિશ્વમાં આપણને અનંત વસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓના ત્રણ ભાગ પાડવા. કોઈક ભક્ત સવારે ઊઠે છે ત્યારે ત્રણ જ ચીજ તેની નજરે પડે છે. પહેલું ધ્યાન ઈશ્વર ઉપર જાય છે. પછી તે ઈશ્વરની પૂજાની તૈયારી કરે છે. હું સેવક, ભક્ત છું; તે સેવ્ય એવો ઈશ્વર, સ્વામી છે. આ બંને વાતો તેની સામે હંમેશ હાજર હોય છે. બાકી રહેલી આખી સૃષ્ટિ તે પૂજાના સાધનો છે. ફૂલ, ચંદન,ધૂપદીપ એને માટે બધી સૃષ્ટિ છે. ત્રણ જ વસ્તુ છે. સેવક ભક્ત, સેવ્ય પરમાત્મા અને સેવાના સાધનો માટે સુષ્ટિ . આ શીખ આ અધ્યાયમાં મુખ્ય અને મહત્વની છે. જગતમાં ત્રણ ચીજ છે, જે વૈરાગ્યમય સાધન-માર્ગ ગીતા આપણા મનમાં ઠસાવવા માંગે છે તે માર્ગને ગીતા ભક્તિમય સ્વરૂપ આપે છે. તેમનું કર્મપણું તે કાઢી નાખે છે અને તેને લીધે તેમાં સુલભતા, સરળતા લાવી આપે છે. 
  2.   જીવન સેવાપરાયણ બનવું જોઈએ. સેવ્ય એવો જે પેલો પુરુષોત્તમ છે તેની સેવાને માટે હંમેશ ખડો રહેનારો હું અક્ષર પુરુષ છું. અક્ષર પુરુષ એટલે કદી પણ ન થાકનારો, ઠેઠ સૃષ્ટિના આરંભથી સેવા કરનારો, સનાતન સેવક, જાણે કે રામની સામે સદા હાથ જોડીને હનુમાન જ ઊભેલો છે. તેને આળસ શું તેની  ખબર સરખી નથી. એ હનુમાનની માફક ચિરંજીવ એવો સેવક ખડો છે. 

આવો આજન્મ સેવક તે અક્ષર પુરુષ છે. પરમાત્મા એ સંસ્થા જીવંત છે અને હું સેવક પણ કાયમનો છું. પ્રભુ કાયમનો તો હું પણ કાયમનો છું. તે સેવા લેતો થાકે તો હું સેવા કરતો થાકું છું, એ મોજ એક વાર જોઈ લેવી છે. તેણે  દસ અવતાર લીધા તો મારા પણ દસ છે જ. તે રામ થયો તો હું હનુમાન થયો જ છું. તે કૃષ્ણ થયો તો હું ઉદ્ધવ થયો જ છું. જેટલા તેના અવતાર તેટલા મારા પણ છે જ. એવી મીઠી હરીફાઈ એક વાર થવા દે. એક પછી એક એમ બધાયે યુગોમાં, પરમેશ્વરની આવી સેવા કરવાવાળો, કદીયે નાશ ન પામનારો એવો આ જીવ તે આ અક્ષર પુરુષ છે. પેલો પુરુષોત્તમ સ્વામી અને આ હરઘડી બદલાતી જતી, અનંત વેશ લેનારી જે સૃષ્ટિ છે તે બધીને પૂજાના સાધનો, સેવાના સાધનો બનાવવાના છે. એક એક ક્રિયા પુરુષોત્તમની પૂજા છે

પંદર માં અધ્યાયની સાર સ્વરૂપ આ વાતોમાં છેલ્લા ચરણમાં આપણને કહેવામાં આવ્યું છે કે, આ ગુહ્ય માં ગુહ્ય એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર ભગવાને કહ્યું છે. આપણને બુદ્ધિમાન બનાવવા, કૃતાર્થ બનાવવા, અને ઋણ મુક્ત બનાવવા માટે આ શાસ્ત્ર અતિ ઉપયોગી છે, એ દ્વંદ્વાતીત છે. આપણે માયારૂપ જગતને તરી ગયા પછી ઈશ્વરને કર્તા  રૂપે ક્યાં જાણવાનો છે તેની બહુ વિગતે વાત કરવામાં આવી છે. પંદરમો અધ્યાય કે પુરુષોત્તમ યોગ નામ કહેવામાં આવ્યું છે. જે પુરુષોમાં ઉત્તમ છે એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. અનેક શબ્દોથી આપણને આ પંદરમો અધ્યાય છેલ્લે સનાતન અંશ તરફ વાળે છે. બધાની બધી જ પ્રક્રિયાનો એક-એક અંશ અને એ પ્રક્રિયાનું મૂળ એ પુરુષોત્તમ છે. અને એમનો આપણને સાક્ષાત્કાર આ પંદર માં અધ્યાયમાં કરાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાચન સારી રીતે થાય એટલા માટે ‘अहं वेश्वा नरो भूत्वा’ એ શ્લોક બોલવામાં આવે છે. અને કોઈના દેહાવસાન સમયે  કે કોઈની  અંતિમ ક્ષણ હોય ત્યારે આ પંદરમો અધ્યાય એટલા માટે બોલવામાં આવે છે કે આમાં પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અને એના સુધી પહોંચવાના રસ્તાઓ આપણને સ્પષ્ટ કરી આપે છે.