બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર  શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું. 

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે. 

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે. 

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે. 

ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા  બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય  છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.  

આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક  નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી  શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં  આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી  હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે  એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું  જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા  અને છેલ્લા લગભગ છએક મહિનાથી  આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ  લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું  ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું. 

આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું  એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની  ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું,  એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ. 

આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય  છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી  અને તેની ટીમે આ કામ બહુ  જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ  પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી  નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)