કોઈપણ ગુણ ત્યારે પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે

ભદ્રાયુ વછરાજાની                     (53)                 bhadrayu2@gmail.com 

ચૌદમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ગુણત્રયવિભાગયોગ શીર્ષક આપીને આપણને આપણા જીવનના મુખ્ય ત્રણ ગુણનો પરિચય કરાવે છે. તેનાથી શું શક્ય બને અને શું ન શક્ય બને તેની ટૂંકમાં વાત કરે છે અને ત્રણેય ગુણને સાથે મેળવીને કેવી રીતે એકબીજાને દબાવીને એક બીજાને બહાર લઇ આવવાના છે એની સ્પષ્ટતા કરે છે 

હે અર્જુન, સત્વ, રજ અને તમ એ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તેઓ નિર્વિકાર જીવાત્માને દેહને સાથે બાંધે છે. કેવી રીતે બાંધે છે ? તેમાં..

1) સત્વગુણ સ્વ્ચ્છપણાને લીધે પ્રકાશક અને ઉપદ્રવથી રહિત છે. અનામય છે તે જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, સત્વગુણ છે એ જીવાત્માને સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે. સત્વગુણ સુખમાં જોડે છે. રજોગુણ અને તમોગુણને દબાવી દઈને જયારે સત્વગુણ વૃદ્ધિ પામે છે ત્યારે સત્વગુણ પોતાના કાર્ય કરે છે. અહીંયા યાદ રાખવા જેવું એ છે કે રજોગુણ અને તમોગુણને દબાવવા પડે તો જ સત્વગુણ વૃદ્ધિ પામી શકે. જયારે આ દેહમાં બધી જ ઇન્દ્રિયો વિષે જ્ઞાનરૂપી પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ માની શકાય છે. મહર્ષિઓ સાત્વિક કર્મનું ફળ સાત્વિક તથા નિર્મળ કહે છે. એટલે તમે સાત્વિક બનો તો નિર્મળ રહી શકો. સત્વગુણથી જ્ઞાન ઉત્પ્ન્ન થાય. સાત્વિક આચરણમાં રહેલા મનુષ્ય ઉંચા લોકને પામે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

2)તૃષ્ણા અને સંઘને ઉત્પન્ન કરનારા રજોગુણને રાગરૂપ જાણવાનો છે. તે રજોગુણ જીવાત્માને કર્મસંગથી બાંધે છે. યાદ રહે અહીંયા કે, રજોગુણ છે એ કર્મસંગથી બાંધે છે. રજોગુણ કર્મમાં જોડે છે. સત્વગુણને તથા તમોગુણને દબાવી દઈને જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે રજોગુણ પોતાના કાર્યને કરે છે. જયારે રજોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ તથા સ્પૃહા એવા ચિન્હો આપણને દેખાઈ આવે છે. મહર્ષિઓ રાજસ કર્મનું દુઃખનું ફળ કહે છે. એટલે તમે રાજસિક બનો તો કર્મનું દુઃખ તમને વળગી શકે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય. રાજસિક આચરણમાં રહેલા લોકો મનુષ્ય લોકમાં રહે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

3) તમોગુણને અજ્ઞાનથી ઉત્પ્ન્ન થયેલો તથા સર્વ પ્રાણીઓનો મોહ ઉપજાવનારો તમારે જાણવાનો છે. તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ તથા નિદ્રા વડે બાંધે છે. તમોગુણ જ્ઞાનને આવૃત કરી એટલે કે ઢાંકી દઈને પ્રમાદમાં આળસ વાદી બાબતોમાં જોડી દે છે. સત્વગુણ અને રજોગુણને દબાવી દઈને જયારે તમોગુણ વૃદ્ધિ પામે ત્યારે તમોગુણ પોતાનું કાર્ય કરે છે. જયારે તમોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે અપ્રકાશ તેમજ અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ એ ચિન્હો ઉત્પન્ન થયેલા જોવા મળે છે . મહર્ષિઓ તામસ ક્રમનું અજ્ઞાનરૂપ ફળ કહે છે. એટલે તમે તામસિક બનો તો કર્મનું અજ્ઞાન તમને છેતરી જઈ શકે. તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. કનિષ્ઠ એટલે કે નીચું આચરણમાં રહેલા તમોગુણીઓ પશુ વગેરે મૂઢ યોનિઓમાં ફરે છે એવો સ્પષ્ટ નિર્દેશ ભગવાન અહીં આપી રહ્યા છે.

અર્જુનને સતર્ક કરીને સતત એવું કહેવાયું એક આ ત્રણ ગુણથી તારે સાવધાન રહેવાનું છે. કોઈ પણ ગુણ ત્યારે જ પ્રભાવી  બની શકે જયારે તે અન્ય બે ગુણને બરાબર દબાણમાં મૂકી દઈ શકે અને આવૃત કરી દઈ શકે. તમારા અંતના સમયે તમારા ઉપર ક્યાં ગુણોનું આધિપત્ય છે તે પ્રમાણે તમે મૃત્યુ પછી કશીક પ્રાપ્તિ કરી રહ્યા છો. જયારે દ્રષ્ટા ગુણોથી ભિન્ન બીજા કર્તાને જોતો નથી.  તે ગુણોથી આત્માને પર જાણે છે ત્યારે તે પૂર્ણત્વને પામે છે. આ જરા સમજવા જેવું છે. જેમ હાથી ઉપર બેઠેલો પુરુષ હાથીનું ગમન જુએ છે, પોતાનું ગમન જોતો નથી તેમ જે અધિકારી પુરુષ આંખ જુએ છે, કાન સાંભળે છે, મન મનન કરે છે, બુદ્દિ નિશ્ચય કરે છે, વાણી બોલે છે, ‘હું કઈ પણ કરતો નથી કેવળ તેમનો સાક્ષીરુપ છું’ એ જુએ છે તે બ્રહ્મભાવને પામી શકે છે. 

આ ત્રણ ગુણોને ઓળંગી ગયેલો પુરુષ ક્યાં ચિન્હોથી જાણી શકાય ? એ કેવા આચરણ વાળો હોય ? ભગવાન કહે છે કે, હે પાંડવ, જ્ઞાની પુરુષ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણનું કાર્ય એવી  પ્રવૃતિઓ અને તમોગુણનું  કાર્ય એવા મોહની પરિસ્થિતિમાં પણ તેમનો દ્વેષ કરતો નથી અને વળી  નિવૃત થાય તો તેમની આકાંક્ષા રાખતો નથી, એ ગુણાતીત છે. 

ગુણાતીત  શબ્દ અતિ મહત્વનો છે, તેથી ભગવાન આપણી સમક્ષ વારંવાર તેની સ્પષ્ટતા

 કરે છે. આનો અર્થ એવો કે,  

જે ઉદાસીન સાક્ષીવત રહીને ગુણોથી વિચલિત થતો  નથી,  

ગુણો વર્તે છે એવું જાણીને જે સ્થિર રહે છે

કોઈપણ સ્થિતિથી વિચલિત થતો નથી ગુણાતીત છે

જે માન અને અપમાનમાં સમાન છે

જે મિત્રપક્ષ અને શત્રુપક્ષમાં સમાન છે 

તથા જેણે સર્વ આરંભોનો પરિત્યાગ કર્યો છે ગુણાતીત છે

ગુણાતીત પુરુષના લક્ષણો મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સંપાદન કરવા જોઈએ. ભગવાન કહે છે કે, જે મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મભાવને પામવાને યોગ્ય થાય છે. એટલે કે એની પ્રગતિ થતી થતી છેક બ્રહ્મભાવ સુધી આગળ વધી રહી છે. મારી મારી ભક્તિ વડે મારો ભક્ત મોક્ષને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે અને તે યોગ્ય છે.

ચૌદમા અધ્યાયમાં ગુણાતીત પુરુષ એટલે કે જે આ ગુણો જીતી લઇ શકે છે એવા ગુણાતીત પુરુષના લક્ષણો પણ બતાવવામાં આવ્યા છે. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સ્વરૂપમાં સ્થિત સુખદુઃખમાં સમાન રહે,  માટી, પથ્થર અને સોનુ બધું એક સરખું માને છે, એના માટે પ્રિય અને અપ્રિય બંને  સમાન છે, નિંદા અને આત્મસ્તુતિ એ પણ એના માટે કોઈ અસરકારક પરિબળો નથી. તૃષ્ણા અને આસક્તિના જગતમાંથી પોતાને અલગ રાખીને સ્વ સ્વરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે એવું કહેવનો  અહીં એક ભાવ છે. ભગવાન કહે છે કે, અનન્ય ભક્તિયોગ દ્વારા જે મારી સેવા એટલે કે ઉપાસના કરે છે તે આ ગુણોથી અતીત થઈને બ્રહ્મ બનવા માટે યોગ્ય બની જાય છે. આ અધ્યાયના  છેલ્લા શ્લોકમાં તો સ્પષ્ટ કહે છે કે,  સાધક સ્વયં બ્રહ્મ કઈ રીતે બની શકે ? જવાબ આપ્યો કે અમૃત, અવ્યય, શાશ્વત ધર્મ અને એકાંતિક અર્થાત પારમાર્થિક સુખસ્વરૂપ બ્રહ્મનો આશ્રય હું છું. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. બ્રહ્મ શબ્દથી સગુણ બ્રહ્મ કહેવામાં આવ્યું જેની પ્રતિષ્ઠા ઉપાધિરહિત બ્રહ્મ તરીકે હું કરું છું. નિર્વિકલ્પ, અમૃત, અવ્યય, અનિર્વચનીય આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. હું બ્રહ્મ છું તેથી તે સાધક બ્રહ્મ બની જાય છે એવો આપણને ઈશારો કરીને બ્રહ્મના માર્ગે વળવાનો બહુ મોટો રસ્તો અહીં બતાવવામાં આવ્યો છે. 

વિનોબાજી આ અધ્યાયમાં છેવટની વાત  સુંદર વાત લખે છે કે, તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લ્યો, ફળની આસક્તિ પણ છોડી દ્યો, છતાં જ્યાં  સુધી આ દેહ વળગેલો છે ત્યાં સુધી વચ્ચે પેલા રજ અને તમ ના હુમલા થયા વગર રહેવાના નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગે છે,  પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગૃત રહેવું પડશે. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતનું નિર્માણ થાય છે તેમ રજ અને તમના જોરદાર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતોનું નિર્માણ કરે છે તેથી જરાયે છિદ્ર ન રહેવું જોઈએ તેની કાળજી લેવી. 

વિનોબાજી તો આદેશ આપે છે કે કડક પહેરો રાખજો અને ગમે તેટલા ખબરદાર રહેશો તો પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી તો કેવી રીતે બનશે ? અભ્યાસથી બનશે ? ના, એક જ ઉપાય છે અને એ ઉપાય છે હૃદયની અત્યંત ઊંડી લાગણીથી ખુબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો. રજ, તમ ગુણોને જીતી લેશો છતાં એટલાથી કામ સરશે નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એવું નહીં બને. છેવટે તો   પરમેશ્વરની કૃપા જોઈશે. તેવી કૃપા માટે અંતરની ઊંડી લાગણી વાળા ભક્તિપાત્ર બનવું પડશે. એ વિના બીજો કોઈ ઉપાય વિનોબાજી કહે છે કે મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે ભગવાને અર્જુનને જવાબ આપ્યો કે,  અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર અને મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલી પાર જઈ શકે છે એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ લાગતું નથી. ભક્તિનો આ સહેલો ઉપાય છે અને આ એક જ માર્ગ છે.