અશ્વસ્થ ને પાંદડેપાંદડે વેદ લખેલા છે, એટલે પાંદડેપાંદડે રામ નામ લખેલું છે.

ભદ્રાયુ વછરાજાની                (54)             bhadrayu2@gmail.com 

આપણે પંદરમાં અધ્યાય પ્રારંભે વિનોબાજીને યાદ કરીએ. 

પંદરમાં અધ્યાયમાં બધાયે વિચારોની પરિપૂર્ણતા થયેલી છે. સોળમો અને સત્તરમો અધ્યાય પરિશિષ્ટરૂપે છે અને અધર્મો ઉપસંહાર છે. એથી આ અધ્યાયને છેડે ભગવાને આ અધ્યાયને શાસ્ત્ર નામ આપ્યું છે. ‘અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને નિષ્પાપ મેં કહ્યું,’ – એમ ભગવાન છેવટે કહે છે.’… આ અધ્યાયમાં પરમાર્થની વાત પુરી થાય છે. વેદનો બધોયે સાર એમાં આવી જાય છે. તેરમા અધ્યાયમાં આપણે દેહથી આત્માને અળગો કરવાની જરૂર શી છે તે જોયું. ચૌદમામાં તે બાબતનો થોડો પ્રયત્નવાદ આપણે તપાસ્યો. આવો આપણે બધાયે વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જતા અધ્યાય અંગે વિગતે સમજીએ. 

આ અધ્યાય નું નામ ‘પુરુષોત્તમ યોગ’ છે,  પણ અહીં અર્થ ‘પુરુષોત્તમ પ્રાપ્તિ યોગ’ એવું આપણે કરવાનું થાય છે. આ અધ્યાયમાં કુલ ૨૦ શ્લોકો છે અને આ ૨૦ શ્લોકો ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે : ‘સંસાર રૂપી અશ્વત્થવૃક્ષનું સ્વરૂપ અને ભગવત પ્રાપ્તિનો ઉપાય’. જેમાં એક થી છ શ્લોક સમાવિષ્ટ છે. બીજો વિભાગ એ : ‘ઈશ્વરાંશ  જીવ, જીવ તત્ત્વના જ્ઞાતા અને અજ્ઞાતા’, જેમાં સાતથી અગિયાર  એટલે કે કુલ પાંચ શ્લોક છે. ત્રીજો ભાગ એ : ‘પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન’.. જેમાં ચાર શ્લોક છે 12 થી 15,  અને ચોથો  અને છેલ્લો ભાગ છે : ‘ક્ષર-અક્ષર-પુરુષોત્તમનું વિશ્લેષણ’, જેમાં 16 થી 20 એમ કુલ પાંચ શ્લોકો છે. આ પંદરમાં અધ્યાય રૂપે આપણી સમક્ષ શ્રી ભગવાન બહુ મહત્વની વાત કરી રહ્યા છે  મહાત્મા ગાંધીએ ગીતા  શિક્ષણ પ્રાપ્ત કર્યું તેના આધારે શ્રી નરહરી દ્વારકાદાસ પરીખે પુસ્તક તૈયાર કર્યું. જેમાં ગાંધીજીના પ્રવચનોની સદગત મહાદેવભાઇ દેસાઈએ લીધેલી નોંધ મૂકવામાં આવી છે. જેમાં  તારીખ 24 ફેબ્રુઆરી 1926 થી તારીખ 27 નવેમ્બર 1926 સુધીની નોંધનો તેમાં સમાવેશ છે. “ગુજરાત વિદ્યાસભા અમદાવાદ” દ્વારા તે 1955 ની સાલમાં એટલે કે સંવત 2012માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત કરવામાં આવી છે. આ ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ એવું એક પુસ્તક આપણા હાથમાં છે કે જેના સારરૂપે એમની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર વાત આપણને કરવામાં આવી છે, જે જરા જોઈ-જવી જરૂરી બને છે. ‘જે રાગ-દ્વેષ રૂપી વિષ ની પીડાથી ઉપજતા મોહથી રહિત છે, પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપાથી પ્રેરાયેલો છે, અને જે સર્વગુણોથી સંસ્કારમાં છે તેને સર્વદા નમસ્કાર છે.’ બાપુએ આરંભ કરતા એવું લખ્યું કે, ગીતા- અભ્યાસની કૂંચી મને વિષ્ણુપુરાણ માંથી મળી છે. એમાં એની વિનંતી પણ છે, અને ત્રાગું  બંને પણ છે. જેનો અર્થ એવો થાય કે, ‘તું વિષ્ણુ હોય, ત્રિપુરારી શિવ હોય, ગમે તે હોય જો તું રાગ-દ્રેષાદીથી મુક્ત હોય તો તને નમસ્કાર છે.’ આ બહુ જ સિદ્ધ વાત છે કે ‘આપણા નમસ્કાર કોને થઈ શકે,?  મહાભારત ઐતિહાસિક ગ્રંથ નથી, પણ ધર્મગ્રંથ છે. બનેલી વાતને કહેવાનું સામર્થ્ય કોનું છે,? એક પાણીનું બિંદુ જોયું તેનું વર્ણન આબેહૂબ આપવાનું માણસમાં સામર્થ્ય નથી. એવો પામર ઈશ્વરે મનુષ્યને બનાવી મૂક્યો છે. ત્યાં બનેલી ઘટનાનું પુરૂ વર્ણન તો કોણ આપી શકે ? તેમાં આ યુદ્ધમાં તો લડનારા ધર્મથી, વાયુથી, ઇન્દ્રથી, અશ્વિનીકુમારથી ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો અને એક સમયે ઉત્પન્ન થયેલા 100 પુત્રો વચ્ચે છે એવી વાત ક્યાંય સંભવિત જાણી છે?’ એવો પ્રશ્ન ગાંધી પૂછે છે. 

દુર્યોધન અધર્મને રથે બેઠેલો હતો અને અર્જુન એ ધર્મને રથે ચડેલો હતો, એમ આ યુદ્ધ ધર્મ-અધર્મનું છે. સંજય ભક્ત હૃદય  છે. યુદ્ધ તો દૂર થાય છે તે જોવાની તેની શક્તિ નથી. એટલે તે જોવાને વ્યાસ તેને દિવ્ય ચક્ષુ આપે છે. પણ એનો અર્થ શું થયો? એનો અર્થ એ જ કે, જે યુદ્ધ આપણા શરીરમાં રહેલા અનેક કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહ્યું છે તેનું જ વર્ણન આમાં છે. અનેક ગુણો અને અવગુણો મૂર્તિમંત થાય છે તે ગુણ-અવગુણો નું આ યુદ્ધ છે. હિંસા-અહિંસા નો પ્રશ્ન વેગળો  રાખવો જોઈએ કારણ કે આ દ્વંદ્વ યુદ્ધમાં મનુષ્યનું કર્તવ્ય શું છે એ બતાવવા માટે આ ધર્મગ્રંથ લખવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે. પંદર  માં અધ્યાયના 20 શ્લોકના વિવરણમાં ઉતરતા પહેલા આપણે એટલું જાણી લઈએ કે કિશોરલાલ ઘ. મશરૂવાળા દ્વારા તૈયાર થયેલ ‘ગીતા ધ્વનિ’ માં સમશ્લોકી નાની પુસ્તિકા જે ગ્રંથ સમાન છે તેમાં એમનું ગુજરાતી અક્ષરસ: થયું છે, અને તે વધુ પાચ્ય બન્યું છે. 

જાણવાનું એ છે કે શ્રી ભગવાન સૌ પ્રથમ અહીં અર્જુનને કહેવા માગે છે કે, સંસારરૂપી અશ્વસ્થવૃક્ષ નું સ્વરૂપ કેવું છે? સ્વ: એટલે આવતીકાલ, તેથી અશ્વસ્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતરણ થયા કરે છે, તેથી તે અશ્વસ્થ  છે. આ સંસારનું જેને યથાર્થ જ્ઞાન છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે’, આવો પહેલા શ્લોકનો અર્થ થાય છે. પહેલા શ્લોકમાં સંસારને તરી જવાનું સાધન બતાવ્યું છે, તો બીજા શ્લોકમાં સંસારને દિવ્ય-દ્રષ્ટિ એ વર્ણવ્યો છે. અજ્ઞાની દૃષ્ટિ વાળું વર્ણન બીજા શ્લોકમાં છે. 

આ જગતમાં કર્મ કરવા છતાં અલિપ્ત તો ત્યારે જ રહેવાના છીએ જ્યારે આ જગતને ઈશ્વરની લીલા ન સમજતાં તેને ભોગભૂમિ માની અસહયોગરૂપી શસ્ત્ર વડે મૂળમાંથી છેદી નાખીશું. એના મૂળ બીજી રીતે તો છેદી શકાય તેમ નથી, કારણ એ અનાદિ છે અને અનંત છે. એટલે અસહયોગનું શસ્ત્ર વાપરવાનું અહીં કહેવામાં આવ્યું છે. અશ્વસ્થ ને પાંદડે-પાંદડે વેદ લખેલા છે. એટલે પાંદડે-પાંદડે રામ નામ લખેલું છે. જગત ઈશ્વરની પ્રસાદી છે અને જગતરૂપી ઝાડ બ્રહ્માની નાભીમાંથી થયેલું છે. બીજું જગત એવું છે કે જેનું મૂળ નીચે છે, તેના પાંદડા વગેરે વિષયાદી છે એ જગત કામનામય છે. ‘પૃથ્વીની અંદર પ્રવેશ કરીને જીવોને હું મારા તેજ વડે ધારણ કરું છું. સર્વ ઔષધિ , અન્ન, પાક માત્રને રસોનો ઉત્પન્ન કરવાવાળો સોમ થઈને હું પોષણ આપું છું.’