જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. 

ભદ્રાયુ વછરાજાની                   (66)            bhadrayu2@gmail.com 

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું  સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે : 

+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. +  માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન  થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. +  કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.

સત્તરમાં અધ્યાયનું  સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :  

+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને    જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું  હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.

અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર  મળે છે કે : 

+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. +  ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. +  ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી  દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. +   હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. +  હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ

                       (અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )