સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.