ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

વિશ્વભરના ગુજરાતીઓ ગૌરવભેર જેમનું સ્મરણ કરે છે તે શ્રી વિક્રમ સારાભાઈ નું આખું જ કુટુંબ ઈશના આશિષો પ્રાપ્ત કરેલું વિશેષ કુટુંબ છે. શ્રી વિક્રમભાઈની જેમ જ વિજ્ઞાન, પર્યાવરણ, શિક્ષણ માટે સતત કાર્યરત શ્રી કાર્તિકેય સારાભાઈ વિશ્વકોશના સ્ટુડીઓમાં પધાર્યા અને તેઓની સાથે સુદીર્ઘ સંવાદ થયો, તેના કેટલાક અંશો….

“એક નવું પહેલું કામ જે આવ્યું તે પ્રોટીન ફૂડ એસોસિએશનનું. પ્રોટીન ફૂડ એસોસિએશન લોકો ભાત અને દાળમાંથી  જે પ્રોટીન એબ્સોર્બ થાય છે એના માટે તેઓ પહેલા ભાતનું પ્રોટીન શોધે પછી દાળનું અને પછી સરવાળો કરે અને એ સરવાળો બીટ અને દૂધ કરતા ઘણો ઓછો આવે છે એવું પુરવાર કરે. પછી એવું સૂઝ્યું કે આ બેયને સાથે રાંધીએ તો શું થાય, સાથે ખાઓ તો શું થાય ? તો સાથે કરીને જોયું તો ભાતને લીધે જે દાળનું પ્રોટીન વધારે એબ્સોર્બ થવા માંડ્યું. કન્કલુઝન એવું હતું સાયન્ટિફિક રિસર્ચનું કે ભાત અને દાળ સાથે ખાવા જે આપણે કદાચ ૫૦૦૦ વર્ષથી કરતા આવીએ છીએ પણ એનું કારણ ખબર ન હતી , તેથી એ રીતે કરતા હોઈશું. એટલે કે ત્રણ ઈડલી સાંભાર અને ચટણી સાથે જેટલું પ્રોટીન આપે છે એ બે ગ્લાસ દૂધ જેટલું હોય છે.  આ વસ્તુની  આપણે બધાને જાણ કરવાની છે. એ બહુ રસપ્રદ પ્રોજેક્ટ હતો. 

Organisation  માં ને બિઝનેશમાં મારું કામ ત્યાં શરૂ થયું કમ્યુનિકેશનનું. એ સમય હું મુંબઈ હતો પછી તો અહીં આવ્યો અમદાવાદ. નહેરુ ફાઉન્ડેશનની નીચે એક જ સંસ્થા હતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને એમાં પણ મુશ્કેલી કે ગ્રાન્ટ હતી નહીં બીજા વર્ષમાં હવે આગળ કેવી રીતે લઇ જવું ? એ પ્રશ્ન હતો. મને યાદ છે કે  દિલ્હી સાથે જે ગ્રાન્ટ ની શરૂઆત થઇ, એ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માટેની ગ્રાન્ટ લાવવી હતી એ આપણે લાવી શક્યા એ વખતે. એટલે બીજા બે વર્ષ સુધી તો સંસ્થા ચાલશે એટલે એ મારું જે નહેરુ ફાઉન્ડેશન સાથે જે જોડાણ શરૂ થયું એ આનાથી થયું. સાયન્સ સેન્ટરનું થોડા વર્ષ પછી લગભગ ૭૭ સુધીમાં સેટલ થયું.. મને થયું કે થલતેજ ટેકરા ઉપર વૃક્ષો વાવવાનું આપણે શરૂ કરીએ. અને એ વખતે અમ્માએ પણ થોડું શરૂ કરેલું. પરંતુ  કશું પણ વાવીએ તો રહે નહીં,  કારણ કે આજુબાજુમાં બધા માલધારીઓ હતા (એ વખતે થલતેજ બહુ દૂર ગણાતું હતું આજે શહેરની વચ્ચે આવી ગયું. એટલે)  પણ થલતેજ ટેકરા ઉપર પછી નક્કી કર્યું કે કામ શરૂ કરવું અને વિક્રમભાઈના વિચાર છે એને કઈ રીતે આગળ લાવવા. એમાં એક આ પહેલો પ્રશ્ન વૃક્ષો ઉગાડવાનો હતો. એટલે ચોકીદારો રાખ્યા પણ કશું વળ્યું નહીં. મને  લાગ્યું કે એ લોકોની સાથે વાત કેમ ન કરવી. એટલે આજુબાજુના બધા માલધારીઓ હતા એને આપણે બોલાવ્યા. અમે કીધું કે, જો અમે અહીંયા એક સંસ્થા ઉભી કરવા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા વૃક્ષો અમારે વાવવા છે પણ તમારા ઢોર આવે છે તો કંઈ બચતું નથી અને અમારા જમાદાર એમ કહે કે,  તમે આવીને પાણીની ચોરી કરી જાઓ છો. મેં કીધું આપણે પડોશી છીએ એટલે  ચોરીની વાત  હોય નહીં. એટલે તમે મુખ્ય બારણેથી આવો, સવારે અને સાંજે જેટલું પાણી લેવું હોય એ ભરીને લઇ જાઓ. તમારા બાળકોને ચણી બોર ભાવતા હોય અને બોર ખાવા હોય તો એ ખાઓ અને ઘાસ ઉગ્યું હોય તો આવીને કાપીને લઇ જાઓ,  પણ ઢોર અંદર ન આવે. ..એ લોકો આમ થોડા દૂર જઈને વાત કરી આવ્યા. પછી આવીને કહે કે, તમારી આ શરત અમને મંજુર છે. બીજે દિવસેથી એકેય ઢોર આવે નહીં આપણે ત્યાં… આવી પરિસ્થિતિ આટલી વાતચીતથી જ સર્જી શકાઈ.  

એક બે મહિના પછી આવ્યા તો બધા સવારે બહાર લાઈન થઇને ઉભા હતા, મેં કીધું શું થયું ? મેં તો ગાડી ઉભી રાખી. મને કહે છે કે એવું છે કે,  આપણે ત્યાં કચ્છથી કોઈ માલધારી આવ્યા છે,  એને આપણી વાતની ખબર નહીં,  આપણી line of control ની ખબર નહીં એટલે એના ઢોર પાછળથી આવીને પેસી ગયેલા નુકસાન પણ તમારે થયું છે પણ અમારે એટલું જ કહેવું છે,  આ અમારો ભંગ નથી,  આ ભૂલ થઇ ગઈ છે અને કાલથી નહીં થાય એટલે એક અમારા કુટુંબને ત્યાં પણ રાખ્યું છે. અને શરૂ થયું બીજે દિવસથી  …અને આજે તમે જોશો તો એક નાનું ઉપવન જેવું છે. આપણી પાસે ૧૧૦ કે ૧૧૫ જેટલા જુદા જુદા વૃક્ષો છે  અને આજે કોઈ આવીને જુએ તો કહે કે,  આટલું સરસ પર્યાવરણ. પણ એક વૃક્ષ હતું અને આ જે વાતચીત થઇ એના શબ્દોએ  સોશિયલ ફેન્સીંગ એટલે લોકોની વાડ બાંધી. લોકોની સમજથી વાડ બાંધી. પણ આ જે બધા કોન્સેપટ અમારા કામમાં આવેલા એ બધા થયા છે આવા બનાવોથી. એ વખતે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં મેં કામ ચાલુ રાખેલું અને એ કામમાં રજોડા કરીને ગામ છે બોડકા પાસે તો દર ગુરુવારે અમે જઈએ,  હું ને જયશ્રીબહેન. ત્યાં ત્રીજા અને ચોથા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન શીખવાડીએ. ચોક લઈને શીખવાડવાનું.

મેં એક દાખલો આપ્યો ૨૫ ગુણ્યા ૫,  તો ઘણા ખરા વિદ્યાર્થીઓના જવાબ ખોટા પડ્યા જવાબ.  પહેલો જવાબ હતો ૩૦. એટલે ગુણાકાર અને સરવાળો વચ્ચે નો ભેદ સમજાયો નહીં, ગુણાકારનો સરવાળો થઇ ગયો. બીજો  હતો  ૪૫..એને  વદી લેતા આવડ્યું પણ ગુણાકાર ન કર્યો. ત્રીજો જવાબ હતો  અને ચોથો  હતો ૧૨૫. હવે શિક્ષક બહેન એ વખતે બધાને ઉભા કરે. ગણિતમાં ભૂલ થાય ને એટલે બધાની પાસે ફરી વાર આ બોલાવડાવે એક પણ વિદ્યાર્થીએ આંકની ભૂલ નથી કરી એ પ્રોસેસ સમજતા નહોતા પણ આંકની ભૂલ નથી કરી. પણ એ શિક્ષકને સમજણ જ ના પડી કે, આ બાળકો મૂળ ગણિતમાં જ ભૂલ કરે છે અને હું આ બધું કરાવડાવું છું ફરીથી,  તો પણ આ કેમ ભૂલ કરે છે.  હવે મેં પછી સમજાવ્યું કે ભાઈ ત્રીસ વાળા અહીંયા જાઓ,  બધા ૪૫ વાળા આ બાજુ જાઓ, ૧૦૫ વાળા પેલી બાજુ અને ૧૨૫ વાળા બીજી તરફ. ૧૨૫ જવાબ આપનાર બાળકોમાંથી એક એકને બાકીના ત્રણ જૂથમાં મોકલી કહ્યું કે હવે તમે તમારા જૂથમાં જે છે તેને શીખવો. પેલા બેન કહે કે,  આ તો ગજબનું થઇ ગયું ક્લાસમાં બાળક બાળક પાસે શીખવવાનું કરો છો અને અને બધાને individual attention  મળે છે હું તો એવું ઈચ્છું છું કે શિક્ષણમાં જે ફેરફાર કરવાના છે તે આ જ પ્રકારના કરવાના છે.  જયારે એ બાળકોને સમજણ પડી ગઈ કે શું કરવાનું છે તો બધાના  જવાબ સાચા. પછી એ સૌને એવા જ બીજા દાખલા આપ્યા  તો બધા સાચા પડયા. કારણ કે એ લોકોની  ભૂલ આંકની તો નહોતી પણ સમજની હતી.  એટલે શિક્ષિકાબેનને તો  સ્કૂલ સાથે જાદુ કરી ગયા હોય એવું લાગે ને  કહે તમે આવીને આટલું શીખવાડી ગયા જે વસ્તુ હું ફરી ફરીને શીખવાડતી એ આવડે નહીં,  પણ તમે શીખવ્યું એ આવડી ગયું એટલે એ વખતે વિશ્વાસ પડ્યો.   

બાળક કે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કરતી હોય ને તો સૌથી પહેલા એ ભૂલ છે એવું ના સમજે. એની વિચાર કરવાની શ્રેણી જુદી છે. એ વિચાર જુદી રીતે કરે છે પણ ભૂલ નથી હોતી. એક વાર અમારે ઘરે એક નાની  પૂજા છે,  તો એક મંજુબેન કરીને હતા એ ફૂલ ગોઠવે.  બહુ સરસ રીતે શણગાર થાય અને હું દીવો કરું. એ મંજુબેન આવ્યા નહોતા એટલે અમારે રામકુમારી ઉત્તરપ્રદેશના બેન છે એટલે એમણે ગોઠવ્યા બધા ફૂલ ઉત્તર દિશામાં એટલે મંજુબેન આવીને કહે કે,  જોયું આ લોકોમાં  અક્કલ જ નથી,  કશી ખબર જ નથી.. કેવી રીતે ફૂલ ગોઠવવા એ પણ નથી ખબર. મને  પેલો મારો રજોડાનો ખ્યાલ ખરોને એટલે  મને થયું કે  અક્કલ નથી એવું બોલાય નહીં. એટલે મંજુબેન માટે ફૂલ એ શણગાર છે. શણગાર હોય એટલે આપણા તરફથી આવે છે. આ રામકુમારી માટે એક અર્પણ છે ફૂલ એટલે એ પેલી બાજુ જુએ છે. એટલે એ ભૂલ નથી પણ એ બંનેનો ભાવ જુદો હતો. આમાં ફૂલ મુકવાનો ભાવ જુદો હતો !!  અને આ બે નાના ઉદાહરણ આપ્યા પણ એ હું છેક climate change ના discussion માં આ વસ્તુ વાપરૂં છું.”