અસ્મિતા વિશેષ સંવાદ : (42) શ્રી ચિંતન પરીખ     

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

આપણાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં મલ્ટીટાસ્કીંગ શબ્દ તો થોડા વર્ષો પહેલાં આવ્યો, પણ શ્રી ચિંતન પરીખ જીવનના પ્રત્યેક તબ્બકે મલ્ટીટાસ્કર રહ્યા છે. તેઓએ વર્ષો પહેલા તેમાં માસ્ટરી મેળવી લીધી અને ફલત: તેઓશ્રી સ્ટુડીઓમાં આમંત્રિત હતા. ક્યુ ક્ષેત્ર એવું છે કે તેની ચિંતનભાઈ ખેડી ચુક્યા  હોય !! ચાલો, તેમને માણીએ

“મને વાંચનનો એવો ચસ્કો લાગ્યો અને  ફાયદો એ થયો કે (જે અત્યારે પોતાને પણ થોડું સરપ્રાઈઝિંગ લાગે છે ) પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ આ બધા પુસ્તકો મેં છઠ્ઠા ધોરણમાં વાંચી લીધેલા. કારણ કે બીજું કંઈ કામ નહીં એટલે હું બેસીને વાંચ્યા જ કરું વાંચ્યા જ કરું અને મારા ઘરમાં એક ખૂણો હતો. ઘરમાં બધાને ખબર હોય કે ચિંતન ક્યાં છે ? જમવાનો સમય થયો છે,  એવું કહે ત્યારે મારી મમ્મીને એ ખૂણામાંથી હું મળું. મારા પપ્પા મમ્મીએ મને કહેવું પડે કે,  ભાઈ તારે આટલું બધું ભણવાની જરૂર નથી,  તું આખો દિવસ કંઈક ને કંઈક કર્યા ન કર. એના ભાગરૂપે ૯ વર્ષની ઉંમરનો હતો ત્યારે મને સરદાર પટેલ સ્ટેડિયમની બાજુમાં ગુજરાત સ્ટેટ એસોસિયેશન દ્વારા  ટેનિશ કોર્ષ થયેલ એ ટેનિશ કોર્ષમાં મને મુક્યો અને મને કહ્યું કે,  રોજ સાંજે પાંચ વાગે થોડું રિલેક્સ થવા પણ તારે રમવું. એ ૯ વર્ષની ઉંમરે જે ટેનિશનું રેકેટ પકડ્યું એ હજુ આજ દિવસ સુધી છૂટ્યું નથી. ખુબ ટેનિશ રમ્યા. વેકેશનમાં તો સાડા ત્રણ વાગે પહોંચી જઈએ. ને વખતે શું ગાયના છાણના કોર્ટ્સ હતા, સિન્થેટિક કોર્ટ્સ તો હતા નહીં. મોંઘામાં મોંઘા ટેનિશ બોલ  ૮ રૂપિયાના આવે અને અમે સાડા ત્રણ રૂપિયા મહિને ભરીએ એટલે અમને ત્યાંથી ટેનિશ બોલ મળે અને અમારે રમવાનું. સાડા ત્રણ વાગ્યે તો કોર્ટ ઉપર ચાલે તો બુટની અંદરથી પગના તળિયે દઝાય. પણ એ એક ચસ્કો હતો જે  ચાલુ રહ્યો,  પછી તો  જુનિયર ચેમ્પિયનશિપ, સ્ટેટ લેવલ ચેમ્પિય થયો. ગુજરાત યુનિવર્સીટીને ચારેય વર્ષ મેં કેપ્ટન  તરીકે રિપ્રેઝન્ટ કર્યું. …આજે પણ ૩૬૫ દિવસ હું  ટેનિશ રમ્યા કરું.

મારા જીવનમાં નિરંજન ભગત સાહેબ બહુ આત્મીય સ્થાન જમાવ્યું.ભગત સાહેબને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે થોડી ઘણી વાર મળ્યો હતો. મને થયું કે સાહેબ,  તમે બધી વાતો કરો છો,  મારે લંબાણથી સાંભળવું છે તો મને કહે તમે  ઘરે આવો.  મેં કહ્યું ચોક્કસ. પછી બે ત્રણ વાર ઘરે મળ્યા પછી એમને બહુ ફાવી ગયું.. પછી લગભગ ૧૯૮૩ થી એમણે કહ્યું કે હવે મારા માટે શુક્રવાર એ શુક્રવાર નથી એ ‘ચિંતનવાર’ છે, એટલે દર શુક્રવારે અમે નક્કી કર્યું કે સાડા સાત આઠની વચ્ચે મારી ગાડી એમને જલદર્શન ફ્લેટ પર લેવા જાય અને ભગત સાહેબ આવે.  એ વખતે અમારા ઘરનું વાતાવરણ અમે એવું રાખેલું અમે કોઈને નિમંત્રતા નહોતા પણ it was like open house બધાને ખબર કે શુક્રવારે સાહેબ ચિંતનભાઈને ત્યાં હશે અને બેઠક જામી હશે. અને સાહેબનું કેવું કે, ભગત  સાહેબ આવે પછી ખબર પડે કે એમની સાથે કોણ આવ્યું છે તો કોઈ દિવસ બોદલેર આવ્યા હોય, કોઈ દિવસ સાફો આવ્યા હોય અને કોઈ દિવસ મીરા સાહેબની વાણીમાં બેસીને આવે.  મીરા આવ્યા હોય એ પછી જે બોલે તો તમારે ૧૨ વાગ્યા સુધીની તૈયારી રાખવાની. પછી જેમ જેમ આત્મીયતા વધતી ગઈ પછી તો સાહિત્ય ઉપરાંત જાત જાતની વાતો ચાલે. એજ્યુકેશનની વાત નીકળે. કંઈક પોલિટિક્સની વાત નીકળે. કંઈક જુદો બનાવ બન્યો હોય કોન્ટ્રોવર્શિયલ છાપામાં આવ્યું હોય એની વાત નીકળે અને અમારે ત્યાં જે બે ચાર નિયમિત આવતા હોય મિત્રો સાહેબને પણ એમની સાથે બહુ ફાવતું હોય. અને જોરદાર દલીલો થાય અને સાહેબ તો ગુસ્સે થઇ જાય છેલ્લે હસી રમીને છુટા પડવાનું પણ એ અદભુત સમય હતો અને દર શુક્રવારે બધા રાહ જોતા હોય કે હવે સાહેબ આવશે અને પછી શું ટોપિક નીકળે છે જોઈએ.

અમારા બાળકોને પણ મજા આવે.  સાહેબ પેરિસ ગયેલા મહિનો ફરેલા બધે. પછી મેં કહ્યું કે,  સાહેબ અમારે જવું છે તો અમને જરા ગાઈડ કરો,  શેફાલી કહે :  સાહેબ ચાલો તમે જ ચાલો ને અમારી સાથે.. તો સાહેબ કહે,  ચાલો ચોક્કસ આવી જાઉં. એટલે સાહેબ અમારી સાથે ફોરેન પણ આવે અને ફરે અને આખું પેરિસ પગે ચાલતા ખૂંદી વળીએ. અને સાહેબના આંગળીના વેઢે  હોય કે અહીંયા આગળ તો જો પિકાસોનું પ્રાઇવેટ કલેક્શન મ્યુઝિયમ છે,  અહીંયા આગળ રેસ્ટ્રોરેન્ટ છે ત્યાં આગળ ફલાણા ફલાણા ચિત્રકારો ભેગા થતા હતા,  ત્યાં આવા બનાવો બનેલા.. વિદેશમાં ફર્યા, અહીંયા રહ્યા અને જાતજાતના સાહિત્યના સાહેબના અવલોકનો, સાહેબની અન્ડરસ્ટેન્ડિંગ મને લાગે છે કે મીરા વિશેના ભારતના સૌથી મોટા સ્કોલર નિરંજન ભગત હતા. અને નરસિંહ મહેતાનું પણ એટલું જ એમનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે એ એમનો વ્યાપ હતો કે મીરા અને નરસિંહ મહેતાથી શરૂ કરી અને સુન્દરમ, ઉમાશંકરથી રાજેન્દ્રશાહ સુધી અને પેલી બાજુ બોદલર સુધી, કાફ્કાથી માંડીને સાફો સુધી એ આખી એની રેન્જ હતી.

છેલ્લા થોડા વર્ષોમાં સાહેબને મેં એક ચસ્કો લગાડેલો. મને  ચલચિત્રોનો બહુ શોખ પણ ચલચિત્રોનો શોખ એટલે વર્લ્ડના જે મોસ્ટ રિનાઉન્ડ ડાયરેકટર્સ હોય એના ચલચિત્રો લાવવા જ પડે.  મારે અને એની રેન્જ ૧૯૨૬ થી શરૂ કરીને ૨૦૨૩ સુધીની હોય એટલે એ વખતે જે હોય એ એમ,, કન્ટેમ્પરરી પણ હોય. એટલે કોરોસોવાથી  શરૂ કરીને અત્યારે મોર્ડન માઈકલ હેનીકે સુધીના એવોર્ડ વિનિંગ લગભગ ૨૪ – ૨૫ ભાષાના ચલચિત્રો હું ભેગો કરતો ગયો અને અત્યારે એ આંકડો લગભગ ૪૦૦૦ એ પહોંચ્યો છે. મારું પ્રાઇવેટ કલેક્શન અને દરેક ચલચિત્ર ઈંગ્લીશ હોય તો પણ નીચે સબટાઈટ્લ હોય. અને સાહેબને મજા આવે. મેં કહ્યું સાહેબ આપણે અઠવાડિયે એક પિક્ચર જોવું. એટલે હું અને સાહેબ ત્યાં આવીએ. બધા ભેગા થઈને એક સિલેક્ટ કર્યું હોય કે સાહેબ આજે આ સરસ છે અને સાહેબ આજે આ સ્વીડિશ મુવી છે, આજે જાપાનીશ મુવી છે, સ્પેનિશ મુવી, ફ્રેન્ચ છે.. એટલે સાહેબની યાદમાં અમે, નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું. જેમાં એક આઈડિયા એવો આવ્યો કે અમે એક ‘નિરંજન કાફે’ શરૂ કરીએ, બધા ભેગા થયા હોય. અને બીજી પ્રવૃત્તિમાં  આ ચલચિત્રોનું આપણે ચાલુ રાખવું જોઈએ. એટલે અત્યારે અમદાવાદ યુનિવર્સીટીના ઓડિટોરિયમમાં અમે દર બીજા અને ચોથા શુક્રવારે આ ચિત્રો અમે બતાવી છે. આ ચલચિત્રોના  બહુ જ રસિકો છે એમને ખબર જ  હોય કારણ વર્ષનું કેલેન્ડર બની જાય અને  દર વખતે એક નવું ચલચિત્ર હોય.”