બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

ભદ્રાયુ વછરાજાની                          (63)                bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે. 

કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કેકર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ  જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત  પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો  સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’ 

સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી  તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના  નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’  આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?

ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે

1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.

2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.

3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.

4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.

5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.

6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.

7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.

8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.

શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને  શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક  ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું  બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની  બદબો છૂટવા લાગશે.

કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે,  આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે.