by Bhadrayu Vachhrajani | Mar 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ઈતિહાસ ગવાહ છે છે કે, ‘હું-તું કરનારા હણાયા છે, પરંતુ ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે અને હજુ જીતશે.
“નિષેધ કોઈનો નથી, સર્વનો સમાસ છે.”…આ પંક્તિ નવા ભારતનો રાજધર્મ છે.
આફ્રિકાના એક ખોબા જેવડા પણ પ્રકૃતિસભર રમણીય દેશ રવાન્ડામાં પચીસ-ત્રીસ વર્ષો પહેલાં બે જાતિઓની આંખો વઢી. એક જાતિ “હૂતી” નિર્દય બની તૂટી પડી બીજી જાતિ “તુત્સી” પર ને થયો જાતિસંહાર એટલે કે જિનોસાઈડ.
ત્યાંનું ‘હુ તુ’ એટલે આપણું “હું ને તું’ ને ‘તુત્સી’ એટલે ‘તું ત્વં અસિ’
હું-તું એટલે દ્વૈત, બે, અલગ, જુદારો, હુંસાતુંસી, દ્વેષ, વેર ને છેવટે વિનાશ,
પણ ‘તું ત્વં અસિ’ એટલે તત્ત્વમસિ, તું તે જ હું, હું તે જ તું, પ્રેમ, સમાસ, સ્વીકાર, એકત્વ ને છેવટે વિજય!
ઈતિહાસ ગવાહ છે કે, ‘હું-તું’ કરનારા હણાયા છે ને ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે. કાળચક્ર કોઇપણ રીતે ફરે અંતે તો સર્વનો સમાસ કરનાર જ જીતશે, એ વિધિ નિર્માણ છે. જિનોસાઈડના પચીસ વર્ષથી હવે રવાન્ડામાં કોઈપણને પૂછો કે ‘તમારી જાતિ કઈ?” તો એક ને માત્ર એક જવાબ મળશે, ‘રવાન્ડિયન’! રવાન્ડામાં જે વસે છે તે બધા ‘રવાન્ડિયન’. આપણે પણ જો મોટા જાતિસંહાર કે નરસંહાર તરફ ન જવું હોય તો જ્ઞાતિ-જાતિના લેબલ તોડી એકમાત્ર ‘ઈન્ડિયન’ બનવું પડશે. હિન્દુસ્તાનમાં જે વસે તે બધા માત્ર ને માત્ર ‘હિન્દુસ્તાની’. નામ અનેક, પૂજા અનેક પણ જાતિ તો કેવળ ‘ઇન્ડિયન’ જ!..
1988માં મનુભાઈ પંચોલી ‘દર્શક’ એ ‘સાચો હિન્દુ ધર્મ’ પુસ્તિકાના પ્રવેશમાં લખ્યું છેઃ ‘કોઈ પણ લોકશાહીમાં તેના મતદારો કેળવાતા રહે તે બહુ મહત્ત્વની વાત છે. બંદૂક આપવાથી જ કામ પતતું નથી. બંદૂક કેમ વાપરવી તેની પણ તાલીમ આપવી અનિવાર્ય છે. નહીંતર એ જ બંદૂક નરહત્યા કે આત્મહત્યામાં વપરાય. તેવું જ આપણા મતનું છે. આ અગત્યનું કામ આપણે કર્યું નથી ને કરવા ગયા તેમણે પ્રચાર કર્યો છે. કેવળ તટસ્થતા, કડવી કે મીઠી પણ હકીકતોને જ પોતાના સાધન તરીકે વાપરે છે. ગમાઅણગમાને તે બાજુ પર મૂકે છે. આ નિયમ ન સમજાય ત્યાં પ્રચાર રહે અને પ્રચાર એટલે કોઈકના મગજનો કબજો લેવાનો પ્રયાસ.’ મતદારો ચૂંટણી વખતે મત આપનારા છે, પણ પછી તો તેઓ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ છે, તેઓ માતા-પિતા છે તો મિત્ર પણ છે. આવો સ્વીકાર એ બહુ મોટું ચઢાણ છે અને આવું મોટું ચઢાણ રાષ્ટ્રપ્રેમનો ઓક્સિજન માગે છે. રાષ્ટ્રપ્રેમ એટલે હું કેવળ ભારતીય, ન હિન્દુ ન મુસ્લિમ, ન ગુજ્જુ કે ન મલ્લુ, ન હું ન તું… રાષ્ટ્રપ્રેમ એટલે તું તે જ હું‘.
મોહમ્મદ ગઝની સાથે એક વિચક્ષણ અભ્યાસી અલબેરૂની આવેલો. તેણે તે વખતના હિન્દુ ધર્મનો અને હિન્દુઓનો સારો અભ્યાસ કર્યો હતો. તેણે બે ભારે લાક્ષણિક વાત કરેલી. તે કહેઃ ‘હિન્દુઓ ભલા ને આતિથ્યશીલ લોકો છે, પણ તેમનામાં બે એબ છેઃ એક એ કે તેઓ એવું માને છે કે તેમણે બીજા પાસેથી કશું શીખવાનું જ નથી, તેમના વડવાઓએ બધું જાણી લીધું છે અને બીજું તેઓ પોતાને ઊંચા માની કોઇની જોડે ભળતા જ નથી. તેમના પૂર્વજો આવા નહોતા.’ તે વખતના ધર્મ દ્વારા આ બે એબ વિકસાવવામાં આવી છે અને આપણે આજ સુધી પોતાના કોચલામાં જ પુરાઈ રહેવામાં આપણું રક્ષણ માન્યું છે ! ધર્મના અધિપતિઓ આવ્યા ને તેમણે ‘ધર્મમાં રાજ્ય દખલ ન કરે તો…” એટલું સ્વીકારી બધું થવા દીધું. પરિણામે મંદિરો રહ્યાં, પણ દેશ ગયો, દેશ નિચોવાયો, દેશ વગોવાયો, પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોનો સાર અનુભવ્યો અને બતાવ્યું કે, ‘બધા ઝઘડા નામના ને સ્થળકાળના છે. ધાર્મિક માણસ બધે જો ભગવાન છે તેમ કહેતો હોય તો તે બધાને માટે ઘસાય, કશાય ભેદભાવ વિના ઘસાય!’
તેમના અંતકાળે વિવેકાનંદે સમાધિસુખ માગ્યું તે ચપટીક દર્શાવ્યું ને ચોવીસ કલાક પછી તેમને જગાડ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું: ‘મને શા સારું જગાડયો? હું કેવા અપૂર્વ સુખમાં હતો?’ રામષ્ણદેવે તેને ઠપકો આપ્યો: ‘અલ્યા સ્વાર્થી, આટલા આટલા લોકો ઘોર તમસમાં છે અને તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી? હવે આ સમાધિસુખ હું તાળા કૂંચીમાં મૂકી દઉં છું. તારે જવાની વેળા આવશે ત્યારે ઉઘડશે.’ અને સમાજનું ધારણપોષણ કરવાની રીત બતાવે તેવા ધર્મનું પુનઃસંસ્થાપન થયું.
એક વિશાળ ધર્મ કે જેમાં સંસાર છે, ત્યાં કર્મ છે, પણ બોજ નથી; ભક્તિ છે, પણ વેવલાઈ નથી; જ્ઞાન છે, પણ આડંબર કે ઈજારો નથી; પરંપરા મજબૂત છે છતાં સૌમ્ય છે. જ્યાં નિષેધ–વિરોધ–તિરસ્કાર કોઈનો નહીં, પણ સર્વનો આવકાર–સ્વીકાર ને સમાસ માત્ર છે ! પ્રજા અને રાજા વચ્ચે અદ્વૈતનો અનુબંધ રહે તેવા રાજધર્મનું પ્રભાત ખીલી રહે તેવી ઉદાત્ત ભાવના હતી, પરમહંસ શ્રી રામકૃષ્ણદેવની. શ્રી ઠાકુર ફરી ભારતવર્ષને આશિષો આપે તેવી વિનમ્ર પ્રાર્થના.
by Bhadrayu Vachhrajani | Feb 23, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે.
શ્રીમદ ભગવત ગીતા અંગે આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે
શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી. અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે- સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત “ગીતા દર્શન” ના ત્રણ ગ્રંથો)
by Bhadrayu Vachhrajani | Feb 16, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે.
કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.
ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક-તમુક સમુદાયનો નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.
આપણા આધ્યાત્મિક સંત શ્રી રંગનાથાનંદજી નોંધ્યા પ્રમાણે :: સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Feb 10, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

નીટ અને જીની એક્ઝામમાં કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે??!!!
વહેલી સવારે એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના આઈસીયુ માંથી મને ફોન આવ્યો. એક યુવાન કમળાના દર્દથી પરેશાન હતો અને તેને આઈસીયુમાં ખસેડવો પડે તેવી સ્થિતિ હતી. એવા આગલા દિવસના વાવડ હતા. એ યુવાનનો ફોન મારા નંબર ઉપર જોતાં થોડીવાર મુંજાઈ ગયો. ફોન ઉપાડ્યો ત્યારે એમણે મુંજાતા એવું પૂછ્યું કે, સર, મને એ જાણવું છે કે, “આયુર્વેદ અને હોમિયોપેથીમાં બેચલર કરનાર ડોક્ટર હોય એ આઈસીયુમાં પણ આપણને ટ્રીટમેન્ટ આપી શકે?” મને એમ થયું કે અત્યારે આ માથાકૂટમાં આ જુવાન ન પડે તો સારું. એટલે મેં કીધું કે, “અત્યારે તું સાજો થઈ જા અને સાજો થઈ જા. પછી આવીને મળજે, નિરાંતે આપણે ચર્ચા કરીશું.” થોડા દિવસો પછી એમનો ફોન આવ્યો કે, હવે હું સ્વસ્થ છું અને તમને મળવા આવું છું. આવીને એમણે જે વાત કરી તે વાત મારા માટે પણ અજાણી હતી અને વાત સાંભળીને કદાચ સૌ ચોંકી જાય એવી વાત હતી.
એ યુવાને કહ્યું કે, મને કમળો થયેલો અને કમળામાં વધુ ખરાબ હાલત થઈ એટલે મને આઈસીયુમાં દાખલ કર્યો. એક દિવસ રાત્રે એક ડોક્ટર આવ્યા અને એમણે બધું તપાસીને એની સાથે જે કોઈ હોય એને સૂચના આપી કે, આમને એક ગ્લાસ દૂધ આપી દયો.. એટલે મેં મારી જાણકારી મુજબ કહ્યું કે, સર, દૂધ પીવાય ?? મને તો કમળો થયો છે… તો એણે જરા ઉડાવ જવાબ આપીને એમ કીધું કે, “ડોક્ટર હું છું કે તમે છો? દૂધ આપી દયો ભાઈને અને પીવરાવી દયો…” એટલું કહીને જતા રહ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. બીજે દિવસે સવારના એક બીજા એટેન્ડન્ટ ડોક્ટર આવ્યા અને એમણે મારા ડાયટનો ચાર્ટ જોઈને ઠપકાના સ્વરમાં કીધું કે, “તમે એક દિવસ દૂધ પીધા વગર રહી ન શકો? કાલે રાત્રે તમે દૂધનો ગ્લાસ ઠપકારી દીધો.” એટલે મેં કહ્યું કે, મેં નથી કહ્યું, રાત્રે ડોક્ટર આવ્યા હતા એમણે આ સૂચન કર્યું છે. એ કહે, બને જ નહીં, એટલે મારા બેડ ઉપર રહેલો ચાર્ટ એમણે જોયો અને જોઈને તેઓ અચંબિત થઈ ગયા. મેં એમને પૂછ્યું કે, સર શું પ્રોબ્લેમ છે? તો એમણે બહુ જવાબ અથવા ચોખવટ ના આપી, પછી મેં આઈસીયુમાં જે કેરટેકર નર્સ હતી એને પૂછ્યું કે, ગઈકાલે જે ડોક્ટર આવ્યા હતા એની ડિગ્રી શું ? તો એણે કહ્યું, “બીએચએમએસ’ અને આજે આવ્યા તેની,, તો એણે કહ્યું “બીએચએમએસ”… એનો અર્થ એવો કે આયુર્વેદમાં અને બીજા હોમિયોપેથીમાં ગ્રેજ્યુએશન કરેલા ડોક્ટર આઈસીયુમાં મને દૂધ પાવું કે ન પાવું એની માથાકૂટમાં પડ્યા હતા. આ પ્રસંગ પછી મનમાં એ નર્સને પણ પ્રશ્ન થયો અને મને પણ થયો કે શું આયુર્વેદ અને હોમિયોપેથી વાળા લોકો આઈસીયુ સુધી ટ્રીટમેન્ટમાં પરવાનગી ધરાવતા હશે?
એ જુવાનની વાત સાંભળી મને પણ ધક્કો પહોંચ્યો..મેં રાજકોટના બે ચાર જાણીતા એવા ફિઝીશિયન્સને પૂછ્યું અને મિત્ર દાવે ગંગારામ હોસ્પિટલ, દિલ્હીના એક પ્રખ્યાત મિત્ર સર્જન, જે ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે એની સાથે પણ આ પ્રશ્નની ચર્ચા કરી. રાજકોટના ડોક્ટર એમ કીધું કે, હા હવે “એમબીબીએસ’ મળતા જ નથી, એટલે આપણે કોઈ પણ ચાલે છે અને ગંગારામના ડોક્ટરે તો એવું કહ્યું કે, સરકારનો પરિપત્ર આવી ગયો છે કે, “એમબીબીએસ” નથી મળતા એટલે “બીએએમએસ” ને “બીએચએમએસ” ને ડોક્ટર તરીકે સ્વીકારી લેવા. આ વાત અહીયા પૂરી થઈ ગઈ.
જે કાંઈ ધક્કો લાગ્યો હતો તે લાગી ગયો.. ત્યાં થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, નીટ અને જીની એક્ઝામની અંદર કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે. આ વાત ઝડપથી કોઈને સમજાય એમ નથી કારણ કે, કટઓફ તો હાઈએસ્ટ માર્કમાં કરવાનું હોય, લોએસ્ટ માર્ક એટલે કે નીચામાં નીચા માર્ક ગણીએ એને કટઓફ ન કહેવાય. ઊંચામાં ઊંચા માર્કમાં તમે ક્યાંક બાંધણું કરો તો એને કટઓફ કહેવાય.. પણ સરકારના અને પ્રચાર મીડિયા પર બધી દલીલો સાંભળી ત્યારે એટલું બધું આંકચકો લાગ્યો કે, ભારત દેશની અંદર હવે એવો કાયદો બન્યો છે કે નીટ અને ઝી ની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી બેસે અને બીજું કાઈ ન કરે અને 40 પ્રશ્નોના ખોટા જવાબ આપી આવે તો એના માઇનસ 40 માર્ક થાય અને તેમ છતાં એ ડોક્ટર થવાના લિસ્ટમાં પસંદગીની યાદીમાં ગોઠવાઈ જઈ શકે..!!!! બહુ જ આંચકો લાગે એવા સમાચાર છે. મેડિકલ એજ્યુકેશન સદંતર તૂટી ગયું છે, ભાંગી ગયું છે, એવું તો ઘણા વખતથી સાંભળતા હતા. શિક્ષણમાં જિંદગી કાઢી છે એટલે આવી બાબતો ન ઈચ્છીએ તો પણ આપણા કાને પડી જતી હોય છે એટલે મને થયું કે, સરકારે શું વિચાર કર્યો છે ?? ભવિષ્યમાં ડોક્ટરો જિંદગી બચાવે એની બદલે ડોક્ટરો જિંદગી પતાવે એવો આઈડિયા એસ્ટાબ્લિશ કરવાનો ખ્યાલ છે કે શું ?? કારણ કે જેને માયનસ 40 આવે એટલે કે ઝીરો થી પણ નીચે પરીક્ષાના ગુણનું તાપમાન જાય, 40 સુધી નીચું જાય તો પણ એને પ્રવેશ મળી શકે!!! આવો કાયદો અમલમાં મુકવાની ઘોષણા થઇ છે..
એવું લાગે છે કે, સરકાર ડોક્ટરોની કમીને દૂર કરવા માટે પોતાની બગડેલી સિસ્ટમને સુધારવાને બદલે નાપાસ થતા અથવા તો માઇનસમાં જતા વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનાવી દઈને આપણી સમક્ષ ધાબડી દેવા માંગે છે.!! આ બાબતે બહુ હોબાળો મચાવ્યો છે, ચર્ચાઓ ચાલી છે, ટીવી ચેનલો અત્યારના ભરચક છે આ મુદ્દાથી.. પણ મને તો એક જ પ્રશ્ન છે કે, સરકાર કોઈ નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારતી હશે કે નહી વિચારતી હોય ?? રાજ્યની કે કેન્દ્રની ચૂંટણી વખતે જેટલી ચાયત આપણા સ્વાસ્થ્ય પ્રધાન કે ગૃહ પ્રધાન કે આપણા વડાપ્રધાન કે આપણા શિક્ષણ પ્રધાન ચૂંટણી જીતવા માટેની રાખતા હોય છે, એટલી ચાયત એ આવા બોગસ જેવા નિર્ણયો લેતી વખતે નહીં રાખતા હોય, નહિતર આવો નિર્ણય લેવાય જ કેવી રીતે ??
ધર્મના નામે હોબાળો કરવાને બદલે આ મુદ્દો આંદોલનનો મુદ્દો બની શકે એટલું પોટેન્શિયલ એમાં છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આપણને સ્પષ્ટ લાગે છે કે ભારત દેશમાં તબીબી શિક્ષણને ઊંડી ખાઈમાં નાખી દેવા માટે થઈને પ્રયાસો થઈ રહ્યા છે. ડોક્ટરોની ઘટ છે એટલે જીલ્લે જીલ્લે મેડિકલ કોલેજ ખોલો, મેડિકલ કોલેજની સીટ વધારો અને સીટ વધારીને એટલી સીટ વધારી કે બત્રીસ કે છત્રીસ હઝાર બેઠકો ખાલી રહેવા માંડી !! ખાલી રહે તો એ વિચાર કરવો જોઈએ કે, આપણે કેમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ તરફ નથી વાળી શક્યા ? એના ગુણ કેમ ઓછા આવે છે ? વ્હેર ધ શુ પિન્ચીઝ ? એ ચેક કરવાને બદલે આપણે નક્કી એવું કર્યું કે, સ્તરમાં નીચે ઉતરી જાવ અને નીચે ઉતરીને જવાય એટલા નીચે જાવ અને નપાસ થયેલાને પણ પ્રવેશ આપી અને એમને મેડિકલની એવી ડિગ્રી અપાવી દયો કે, પછી એ ડોક્ટરો કમળાના દર્દીને પણ દૂધ પાઈ દે !! ઓસ્ટ્રેલિયા જેવો એક ગુજરાત જેવડો દેશ ભારતને પ્રવેશ માટે ભયજનકની યાદી મૂકે દે છે ત્યારે ખ્યાલ આવે છે કે, ભારતમાં ચાલતી આવી વાત કોઈ વિદેશમાં તો આપણું નાક કપાય એવી આ સ્થિતિ કરે છે. જે બેઠક નક્કી છે એ ન ભરાય એટલે તમે જો તમે તમારું ગુણવત્તાનું ધોરણ તળીએ લઈ જવા માંગતા હો તો, તમને બીજું શું કહીએ ? તમને તમારી ફિલસુફી મુબારક…
by Bhadrayu Vachhrajani | Feb 1, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” પુસ્તક લઈને આવ્યા છે એક ગ્રામ પરિવેશના શિક્ષક.
અખિલ એમનું નામ.
ચાર વર્ષ એમણે હાઈસ્કૂલના તરુણોને ભણાવ્યા છે. અને 14 વર્ષથી વધુ સમય તેઓ પ્રાથમિક શાળામાં ગાળી ચુક્યા છે.
શ્રી સણોસરા પ્રાથમિક શાળા, સણોસરા, અમરેલીના એક સતત જીવંત શિક્ષક શ્રી અખિલ દવે.
આ અખિલ દવે શિક્ષકોને માટે રેડી-રેકનર જેવું એક પુસ્તક આપી રહ્યા છે.
પુસ્તકનું શીર્ષક ”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” દર્શાવે છે કે, ભાઈ અખિલે પોતાના ધોરણ 6 થી 8 વચ્ચેના કિશોરાવસ્થામાં રહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના કેટલાક પાયાના પ્રશ્નોને સ્પર્શ કર્યો છે.
આ પુસ્તક થોડું નોખું છે. કારણ કે આ પુસ્તક લેખક તરીકે અખિલ દવે લખી રહ્યા નથી, પરંતુ એક શિક્ષકે વર્ગખંડમાં તાદાત્મ્ય સાધીને ભણાવતા ભણાવતા જે અનુભવ થયો છે તેને અહીં ઉકેલરૂપે માર્ગ દેખાડીને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે.
સાચો શિક્ષક એ છે કે, જેને માણસ પણ ગમતા હોય છે.
સાચો શિક્ષક એ છે કે, એને ભણાવવું ગમતું હોય છે.
સાચો શિક્ષક એ પણ છે કે, માણસોને ભણાવતા ભણાવતા જે નાના-મોટા પ્રશ્નો શિક્ષક પોતે ફેસ કરી રહ્યા છે તેના અંગે તે મંથન કરે, આ પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે તેનો વિચાર કરે અને પછી પોતાને તેના ક્યા ઉકેલો સૂજે છે તેની વાત પણ વિચારીને આપણી સમક્ષ મૂકે.
ખાસ આપણે શીખવાનું કે, શિક્ષક માત્ર પ્રશ્નો મેળવનારો નથી, પણ રોજબરોજની ઘટનાઓમાં પોતાની સમક્ષ જે પ્રશ્નો આવતા હોય અથવા જે વિદ્યાર્થીઓને જોઈને કે તેમના વર્તન વ્યવહારો અનુભવીને મૂંઝવણો પોતે અનુભવતા હોય તેના અંગે થોડું ચિંતન કરે. ચિંતન કરીને એમાં દોષપાત્ર તરીકે વિદ્યાર્થીને ન રાખે, પરંતુ મારા વર્ગખંડમાં આવો પ્રશ્ન કેમ ઉભો થયો? અથવા કોઈ એક વિદ્યાર્થી મારા શિક્ષણ કાર્ય દરમિયાન કેમ મુશ્કેલી અનુભવે છે? એને ક્યાં શું ખૂંટે છે? એને કોઈનું, ક્યાં, શું ખૂંચે છે?…તે જે વિચારે છે તે સાચો શિક્ષક છે.
…..અને એ નજરે અખિલ દવે આપણી સમક્ષ એક સર્વાંગ શિક્ષક થઈને ઉભરી આવ્યા છે. એમણે વર્ગખંડમાં જે પ્રશ્નો અનુભવ્યા તેની યાદી બનાવી, તે પ્રશ્નો થવા માટેના કારણો કયા હોઈ શકે તેનું મંથન કર્યું, અને પછી એ પ્રશ્નો અને તેના મંથનમાંથી આ પ્રશ્ન માટે આપણે શું કરી શકીએ? એક શિક્ષક તરીકે આપણે કેવી રીતે વિચારવું જોઈએ? એવો એક ઉપક્રમ પોતાના પ્રત્યેક લેખમાં તેમણે સર્જ્યો. પરિણામે……
કિશોરાવસ્થામાં અનુભવાતી મૂંઝવણો એક શિક્ષકની નજરે સમસ્યા તરીકે મળી, એક ચિંતકની નજરે આ સમસ્યાના કારણો મળ્યા, અને એક નિદાન કરનાર વ્યક્તિત્વ તરીકે એ મૂંઝવણમાં આપણે શું કરી શકીએ એવા ત્રણ ભાગમાં પ્રત્યેક લેખને તેમણે વહેંચ્યો છે. પુસ્તકના લેખોની એક ખૂબી એ છે કે, એ વર્ણનાત્મક નથી, પરંતુ તે વાતચીત કરતા હોય તેવા સ્વરૂપમાં લખેલ છે. દરેક લેખ કોઈ એક પાત્રનું નામ લઈને આવે છે. એનાથી એક ફાયદો એ છે કે, આપણને કોઈ વિદ્યાર્થી નથી દેખાતો, પણ આપણને કાં તો રેન્સી દેખાય છે, કાં તો તરંગ દેખાય છે અથવા તો આપણને કૃતિ સામે મળે છે, અને આપણે કૃતિ, તરંગ કે રેન્સીના મૂંઝવણના મુદ્દાઓ જાણે જાણતા હોઈએ એવો અહેસાસ આપણને થાય છે.
હું આ પુસ્તકને “શોધ યાત્રા” કહું છું, કારણ આ અવિરત ચાલતી યાત્રાનો આરંભ છે અને હજુ કોઈ અખિલ કે કોઈ નિખિલ દ્વારા આમ ખેડાણ થતું જ રહેશે.
અખિલ દવે આ એક નવા પ્રકારનું પુસ્તક લઈને આપણી સમક્ષ આવ્યા છે. એમ કહેવાય છે કે આપણે બાળકોની વૃદ્ધિની અવસ્થા અને તેમના વિકાસના તબક્કાઓને જો જાળવી લઈએ તો બાળકો આપણી વૃદ્ધાવસ્થાને પણ જાળવી લેશે. આ વાતને માત્ર જાળવી લેવાથી નહીં પણ કેટલો ઊંડાણથી વિચારી શકાય તે ખ્યાલ રાખીને અખિલે કુલ પચીસ લેખોમાં પોતાની વાત રજૂ કરી આપી છે.
આનંદ એ વાતનો છે કે પોતે શિક્ષક છે એટલે પોતે અનુભવ્યું છે. પોતે જાગૃત શિક્ષક છે એટલે અનુભવ્યુ તેના વિશે ચિંતન કર્યું છે. અને પોતે સમાજની સાથે જીવે છે, સમાજની સાથે અનુબંધ જાળવનાર બાબાપુર ગામની ‘શ્રી સર્વોદય સરસ્વતી મંદિર’ નામની સંસ્થામાં તેઓ મોટા થયા છે અને ત્યાં આજે પણ જોડાયેલા છે તેથી સમાજની સમક્ષ આનો ઉકેલ શું હોઈ શકે એવું એમણે દરેકે દરેક મૂંઝવણ માટે વિચાર્યું છે અને આપણને એક નાનકડું પણ અતિ મહત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે.
ગમવા જેવી વાત એ છે કે સમગ્ર પુસ્તકની અંદર ક્યાંય ફીલોસોફી અથવા તો જ્ઞાન છાંટવાની પ્રક્રિયા થઈ નથી. આજકાલના શિક્ષણના પુસ્તકોમાં મોટી તકલીફ એ છે કે, લખનારો તરત જ ચિંતક થઈ જાય છે અને જ્ઞાન ઉપાસના કરવા લાગે છે. અખિલના આ પુસ્તકમાં આ વાત ક્યાંય જોવા મળતી નથી એ આનંદનો વિષય છે. એમણે બહુ સાહજીકતાથી છેલ્લે કેટલાક પુસ્તકો પણ સૂચવ્યા છે કે, જો આપણે શિક્ષકોએ અને વાલીઓએ બાળ વિકાસ માટે કંઈ ચિંતા કરવી હોય તો કયા પુસ્તકો પહેલે હાથે વાંચવા જોઈએ. આવા ગાગરમાં સાગર સમાવી લેવાના અખિલ દવેના નાનકડા પ્રયાસને હું સમાજ સમક્ષ મુકતા ખૂબ આનંદ અનુભવું છું અને એક શિક્ષક તરીકે મને એ વાતનો આનંદ છે કે, આપણી પાસે એવા શિક્ષકો ક્યાંક ક્યાંક છે કે જે કેવળ અભ્યાસક્રમ અને મધ્યાહ્ન ભોજન વિષે જ ના વિચારે, પણ શિક્ષકોની સાચુકલી મૂંઝવણ વિશે વિચારે.
આજે જયારે શિક્ષણ વિપથગામી પ્રવાહની વચ્ચે ટકી રહેવા મથે છે ત્યારે અખિલ દવે જેવા “જીવથી શિક્ષક”ની અખિલાઈ પણ ટકી રહે તે જોવાની જવાબદારી આપણી છે.
by Bhadrayu Vachhrajani | Jan 25, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને, યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા, એ ગાંધી કેવા હશે!!?
(ભાવિ શિક્ષકો સાથેના સાત્વિક સંવાદને આજે આગળ વધારી પૂર્ણ કરીએ.)
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા! એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે!
by Bhadrayu Vachhrajani | Jan 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે.
[૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ‘શિક્ષકદિન’ની ઉજવણી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષકોએ પ્રો. ભદ્રાયુ વછરાજાની (પૂર્વ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરા) સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં પ્રો. ભદ્રાયુ વછરાજાનીએ સંવાદ પૂર્વે કરેલી ભૂમિકા તેમજ ભાવિ શિક્ષકો સાથે થયેલી પ્રશ્નોત્તરીને વિદ્યાપીઠના અધ્યાપકો શ્રી નીતિનકુમાર ઢાઢોદરા અને મનુભાઈ રબારીએ લિપિબદ્ધ કરી છે. શિક્ષણક્ષેત્રમાં અનુભવાતા કેટલાક પ્રશ્નોના ઉકેલ તેમાંથી આપણને મળી આવે છે.]
ભૂમિકા:
મને શિક્ષક થવાનો તમારી જેમ એક દિવસનો નહીં પણ જિંદગીભરનો અનુભવ છે. મારા જીવનમાં મેં બેંકની કાયમી નોકરી છોડીને મેં પ્રાથમિક શિક્ષક બનવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષક બન્યા પછી મને શિક્ષણ ક્ષેત્રના સૌથી ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે, કારણ કે શિક્ષણક્ષેત્રમાં પ્રાથમિક શાળાના શિક્ષકથી માંડીને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધી મને સ્વયં વિકસવાની અને વિદ્યાર્થીઓને વિકસાવવાની તક મળી છે. આજે મને અનુભવાય છે કે હું શિક્ષક થયો તેથી મને આત્મસંતોષ પ્રાપ્ત થયો છે. હું જ્યારે બેંકમાં નોકરી કરતો હતો ત્યારે રોજ સાંજે નિરાશ થઈને ઘેર પાછો ફરતો હતો, કારણ કે મારો આખો દિવસ બીજાઓના રૂપિયા ગણવામાં પસાર થતો હતો. તે સમયથી જ મને શિક્ષક બનવામાં એટલા માટે રસ પડ્યો કે શિક્ષક બનવાથી મને જીવંત લોકો સાથે કામ કરવાની તક મળશે એવું મને લાગતું હતું. વિદ્યાર્થીઓ આપણને અહીં નિર્વ્યાજ પ્રેમ આપે છે. મને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેના મારા દિવસો હજુ પણ યાદ છે. શિક્ષકના વ્યવસાયે મને જીવંત રાખ્યો છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં મેં ખૂબ જ પૂણ્ય કર્યા હશે તેથી હું શિક્ષક બન્યો હોઈશ. આપ સૌને શિક્ષક અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નો-ચર્ચા માટે હું આવકારું છું. આપના પ્રશ્નોના મને જેવી સમજ છે તે પ્રમાણે ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ.
પ્રશ્ન: વિદ્યાર્થીઓની ક્ષમતાઓને કેવી રીતે બહાર લાવવી?
ઉત્તર: શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે. આપણી સામે બેસેલા વિદ્યાર્થીઓ જીવંત છે અને આ વિદ્યાર્થીઓમાં પૂર્ણત્વ છે તેમ આપણે માનવું જોઈએ. હું ભણાવું છું તેથી તે ભણે છે અથવા તો શીખે છે તે તો આપણો ભ્રમ છે. આપણે વિદ્યાર્થીઓને મંચ આપવાનું અને તક આપવાનું કામ કરવાનું છે. જે રીતે મૂર્તિકાર મૂર્તિમાં રહેલો વધારાનો ભાગ દૂર કરે છે તે જ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અવરોધક વધારાનો ભાગ દૂર કરીને તેને બહાર લાવવાની છે. આપણે તેના રખેવાળ બનવાને બદલે આત્મીયજન બનીએ તો વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાની તેમ જ બહાર લાવવાની પ્રક્રિયા થઈ શકે!
પ્રશ્ન: શિક્ષણકાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓ જવાબ ન આપે ત્યારે શું કરવું?
ઉત્તર: એક શિક્ષક તરીકે આપણું કામ વિદ્યાર્થીઓ પાસે માત્ર જવાબો તૈયાર કરાવવાનું નથી, પણ વિદ્યાર્થીઓએ જે બાબતનું અધ્યયન કર્યું છે તેમાંથી તેઓ સમજ સાથે કશુંક બોલે, આત્મવિશ્વાસ સાથે કશુંક બોલે તે પણ મહત્વનું છે. તે માટે આપણે એક શિક્ષક તરીકે બાળકના સ્તર સુધી પહોંચવું જોઈએ. બાળકને જે સ્તરે છે તે સ્તરે જઈને સમજ આપવી અને તેને સતત પ્રોત્સાહન આપવું તે આપણી ભૂમિકા છે. આપણો વર્ગ જ્યારે પૂરો થાય અને આપણે બહાર નીકળીએ ત્યારે આપણી સાથે ચર્ચા કરતા કરતા પાંચ-સાત વિદ્યાર્થીઓ પણ બહાર નીકળે તે જ શિક્ષક તરીકેની આપણી સફળતા સૂચવે.
પ્રશ્ન: કાર્ય કે વર્ગમાં આદર્શ અને વ્યવહાર બંનેને એકસાથે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણીવાર ધર્મસંકટમાં મુકાઈએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે આપણે ભૂમિકા શું?
ઉત્તર: આ જ પ્રશ્ન હું જ્યારે વર્ષો પહેલા રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ત્યારે ફાધર વાલેસને મેં પૂછ્યો હતો. ફાધર વાલેસ મુક્ત જવાબ આપી શકે એવા જાણીતા વ્યક્તિ હતા. મેં ત્યારે તેમને પૂછેલું કે ‘શિક્ષક તરીકે હંમેશા આપણે વર્ગમાં સાચું જ કહેવું જોઈએ, પણ કેટલીક બાબતો એવી હોય છે જે આપણે વર્ગમાં કહી શકતા નથી ત્યારે શું આપણે એનો જવાબ ન આપવો જોઈએ કે વર્ગમાંથી નીકળી જવું જોઈએ? શું કરવું જોઈએ?’ ત્યારે ફાધર વાલેસે જવાબ આપેલો કે ‘વર્ગખંડની અંદર હંમેશા સારું અને સાચું જ કહેવું જોઈએ. જ્યારે નિશ્ચિત કરેલ વિષયનું શિક્ષણકાર્ય પૂર્ણ થાય ત્યારે વાસ્તવિકતા બાબતે આપણે વિદ્યાર્થીનું ધ્યાન ચોક્કસ દોરવું જ જોઈએ. સમાજ સારા સભ્યોનો બનેલો હોય છે, સમાજમાં બધા સારા હોય છે, શિક્ષણમાં સારા લોકો હોય છે – આવી સમજ આપ્યા પછી પણ વર્ગની બહાર નિકળતા પહેલા આપણે વાસ્તવિકતા તરફ નિર્દેશ કરતા કહેતા જવું કે, બધે હંમેશા આવું હોતું નથી, ક્યાંક ક્યાંક આનાથી તદ્દન જુદું પણ હોઈ શકે છે. આવું કરવાથી જ્યારે વિદ્યાર્થી તમે આપેલા જવાબથી સમાજમાં અલગ જોશે ત્યારે એ તમને જુઠ્ઠા નહીં માને! જ્યારે વિદ્યાર્થીની સામે શિક્ષક જુઠો સાબિત થાય ત્યારે વિદ્યાર્થીનો વિશ્વાસ તૂટે છે તેવું મને લાગે છે.
હું માનું છું કે એક શિક્ષક તરીકે તમારે આદર્શની વાત ચોક્કસ કરવી અને આદર્શની વાત કર્યા પછી કહેવું કે સમાજમાં બધી જગાએ આવું જ જોવા મળતું નથી. જીવનમાં તમે તકલીફ અનુભવશો, જ્યારે તમે નોકરી માટે જશો ત્યારે નોકરીદાતા તમારી પાસેથી રૂપિયા ન માગે, પણ કોઈ અધિકારી એવો હોઈ શકે કે જે તમારી પાસેથી રૂપિયા માગે. આ બધી વાસ્તવિકતાઓ વિદ્યાર્થીઓને કહી દેવાથી ફાયદો એ થશે કે જ્યારે આવું બનશે ત્યારે તમે એને યાદ આવશો અને તમને એ જુઠ્ઠા નહીં ગણે.
પ્રશ્ન: આજના વિદ્યાર્થીઓને ગાંધી વિચારધારા તરફ કેવી રીતે પ્રેરિત કરી શકાય?
ઉત્તર: આ પ્રશ્નનો જવાબ મારે તમારી પાસે લેવો રહ્યો. ગાંધી વિચારને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનો એકમાત્ર ઉપાય ગાંધી વિચારને આચરણમાં મૂકવાનો છે. તમારા આચરણમાં જે ગાંધીવિચાર જોવા મળે તે જોઈને વિદ્યાર્થીઓ તેનું આચરણ કરતા થાય તે શિક્ષક સાચો, બાકી બધા તો સાવ જુઠ્ઠા!
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા!. એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 11, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

એકત્ર ફાઉન્ડેશન અને શ્રી અતુલ રાવલ
ગુજરાતી ભાષા માટે આર્કાઇવલ અને એક્સેસિબિલિટીનો અદભૂત સફળતા પામેલો ભાવનામંત્ર
શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા આજે પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન-2026 શ્રી અતુલ રાવલ અને શ્રી રાજેશ મશરૂવાળા અને એકત્ર ફાઉન્ડેશનને અર્પણ થઈ રહ્યું છે, ત્યારે ઝડપથી ઓળખી લઈએ એ વ્યક્તિવિશેષોને અને તે સંસ્થાને કે જે આપણી માતૃભાષાને અમેરિકામાં બેસીને સંવર્ધિત કરી તાહ્ય છે.
મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકા જઈને વસેલા યુવાન શ્રી અતુલ ગોવિંદભાઈ રાવલ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના શ્રી ગોવિંદભાઈ રાવલ અને વિશ્વમંગલમ, અનેરાના સુમતીબેન રાવલના પુત્ર તે અતુલ રાવલ. ત્યાં વિચારો તો સ્વદેશ અને સ્વભાષાના જ આવે એટલે તેમની માન્યતા બંધાણી કે, માનવીના જીવનનું કોઈ સ્વપ્નું, ખૂબ નિષ્ઠાભર્યા અથાગ પરિશ્રમ બાદ સાકાર થાય ત્યારે માનવીના મનમાં જે આનંદનો આવિર્ભાવ થાય તે અવર્ણનીય હોય છે. આ આનંદ, ખુશી અને સંતોષ તો આપે જ છે પરંતુ જીવનને નવા ઉત્સાહ અને ઉમંગથી પણ ભરી દે છે. આ ઉત્સાહ એને નવા સ્વપ્નાં આપે છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દોરી જાય છે.
એકત્ર ફાઉન્ડેશનના તંત્ર-સંવાહક અતુલભાઈ રાવલ સાથે વાત કરતા બસ મને લાગ્યું કે, એમના જીવનમાં પણ આવો જ એક મુકામ આવ્યો છે કે, જેના કારણે એમનું જીવન સંતોષ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. જેમના મૂળિયાં ગુજરાતમાં છે પણ કર્મભૂમિ અમેરિકા છે તેવા અતુલભાઈ રાવલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર તેમના મનોભાવને સ્પષ્ટ વાંચી શકાતા હતા. એમના સ્વપ્નાં અને સિદ્ધિઓની વાત એમના મુખેથી જ સાંભળીએ:
‘‘માનવીનું જીવન માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષા સંયોજનથી ઘડાય છે. માતૃભાષામાં રચાયેલું સાહિત્ય આપણા વિટંમણાઓથી ભરેલાં જીવનમાં સમજ અને આનંદને ટકાવી રાખવા માટેનું બળ પૂરું પડે છે. આપણી ગુજરાતી ભાષા વિશ્વમાં બોલાતી અસંખ્ય ભાષાઓમાં પ્રથમ ત્રીસ માં ઊંચા સ્થાને છે. પરંતુ આજે ગુજરાતમાં મોટા ભાગે બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો માહોલ બની ગયો છે અને પરદેશમાં તો ત્યાં જન્મેલી પેઢી માટે ગુજરાતી જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે. સમયાંતરે આપણા સાહિત્યનો પ્રસાર સંકોચાતો જાય છે. આ અંગે હું વિચારતો હતો ત્યારે સ્મૃતિપટ ઉપર દેખાયું કે આપણી પુરાણી અગણિત હસ્તલિખિત પ્રતો તો નાશ પામી છે પરંતુ આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓ પણ આપણે સાચવીને ઓનલાઇન લાવી શક્યાં નથી. ગુજરાતના ગ્રંથાલયોમાં તમને પુસ્તકો મળશે પણ મોટા ભાગના જૂના અને સમૃદ્ધ પુસ્તકોના પાના પીળા પડી ગયેલાં છે. વળી, બધું સાહિત્ય એક સાથે મેળવવું લગભગ અશક્ય છે. એક બાજુ આવી સ્થિતિ છે અને બીજી બાજુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ ‘અને ગૂગલે દુનિયાભરના અપ્રાપ્ય અને જૂના, લાખ્ખો પુસ્તકો સ્કેન કરી દુનિયાભરના લોકો માટે વિજાણુ માધ્યમથી વિના મૂલ્યે વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. ૧૨ વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી પુસ્તકો માટે આવું કેમ ના કરી શકીએ? આ સ્વપ્નું મારો સંકલ્પ બની ગયો. આ વિચારને મૂર્તિમંત કરવા મિત્રો સાથે મળી અમે ૨૦૧૨મા ‘એકત્ર ફાઉન્ડેશન’ની સ્થાપના અમેરિકામાં કરી અને નોન-પ્રોફિટ ટ્રસ્ટનું રજિસ્ટર કરાવ્યું.”
અતુલભાઇનો સંકલ્પ હતો કે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને પ્રશિષ્ટ રસપ્રદ પુસ્તકોને વિજાણુ – ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરના ગુજરાતી વાચકોને પોતાના મોબાઇલ, આઇપેડ કે કોમ્પ્યુટરમાં વાંચી શકાય તેવી સુવિધા આપવી. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને મમતાને કારણે ૨૦૦ વર્ષથી પણ જુના અને સાથે સાથે તદ્દન નવા સંપાદનો પણ આંગળીના વેઢે હાથવગાં બનાવ્યાં છે. આ સિવાય દુર્લભ પુસ્તકો કાયમ માટે ઉપલબ્ધ રહે એ એમનો બીજો હેતુ પણ અગત્યનો છે.
એમણે પુષ્પોના ગજરાની જેમ, ગુજરાતી સાહિત્યનો ગજરો બનાવી જગતભરના ગુજરાતી લોકો માટે જાણે કે એક અદભૂત ખજાનો ખોલી આપ્યો છે. તેમના સંગ્રહમાં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, અનુવાદો, મુલાકાતો, સ્મરણો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ગાંધી સાહિત્ય, વિવેચન, નાટક, નિબંધ, પ્રવાસ અને બાળ સાહિત્ય પણ સમાવિષ્ટ છે. આ બધું તમારી હથેળીમાં મળી જાય એવી એપ બનાવી છે જે તમે તમારા ગેઝેટમાં ડાઉનલોડ કરી લો અને મન થાય ત્યારે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મનભરીને માણી શકો. અનેક પ્રશ્નોના ઉત્તરનો સાર એમના શબ્દોમાં માણીએ:
“મારી પાસે વિચાર હતો પણ શરૂઆતમાં સાથીદારોની સંખ્યા ઓછી હતી એટલે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ઘણાં મિત્રો અને સાહિત્ય રસિકો સહાય માટે આગળ આવ્યા છે એટલે સરળતા વધી છે. અમે જે પુસ્તકો કોપીરાઇટ ના ધરાવતાં હોય કે લેખકની મંજૂરી મળે તેવાં પુસ્તકોનું નવેસરથી ટાઈપિંગ અને સ્કેનિંગ કરીએ છીએ. આ સ્કેન પુસ્તકોને Optical Character Recognition technology ના માધ્યમથી મૂળ સ્વરૂપે મૂકીએ છીએ. ઓનલાઇન કરવા જુદા જુદા પ્લેટફોર્મની સહાય લઈએ છીએ. હું ટેકનોલોજીમાં રસ ધરાવતો માણસ છું એટલે કળા અને ટેકનોલોજીનો જ્યાં મેળાપ થાય એવી ભૂમિ મને ગમે છે. જેમ કે પાંચ જુદા જુદા પુસ્તકોમાં પડેલી ૨૫ વર્ષોની સામયિક લેખ સુચિની વિગતોને રિલેશનલ ડેટાબેઝની મદદથી શીર્ષક, કર્તા, સમીક્ષક, વિભાગ અને સામયિક પ્રમાણે મળી રહે તે પ્રમાણે ઓન લાઇન મૂકી છે.
અત્યાર સુધીમા ૫૦૦૦થી વધુ ઉત્તમ સાહિત્યમાંથી પસાર થઈ ૫૦૦ જેટલાં પુસ્તકો અમારી એપ અને વેબસાઈટ પરથી વાંચી શકાય છે. અમારો આશય વેચવાનો નથી પરંતુ વહેંચવાનો છે એટલે ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોની પસંદગી ચાખી ચાખીને કરીએ છીએ. અમે સાહિત્યની જૂથબંધી અને વિવાદોથી પર રહી કામ કરીએ છીએ કારણ કે અમારે આપણી માતૃભાષાના પુસ્તકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી છે. મેં કહ્યું તેમ અમારો ભાવમંત્ર છે ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસરાવવી. અમારા પ્રેરકબળ છે: આર્કાઇવલ અને એક્સેસિબિલિટી. અત્યારના ચાલી રહેલાં થોડાં પ્રકલ્પોની વાત કરું. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં આપણી નોંધપાત્ર નવલકથાઓમાંથી ૨૫૦ પસંદગીની નવલકથાઓનો પરિચય આપવાનું કામ હમણાં જ આટોપાયું. ઉપરાંત ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, કાવ્ય-આચમન શ્રેણી, અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા, શક્ય એટલાં સાહિત્યિક સામયિકોને સ્કેન કરી સૂચિઓ બનાવવી, વડોદરાના યુવાનો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઓડિયો રેકોર્ડિંગ, તથા ‘ગ્રંથસાર’– વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કેલીડોસ્કોપ તૈયાર કરવો વગેરે…
ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોનાં ઈ-રૂપાન્તરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈ. ૨૦૧૧માં અમે પહેલો ઈ-ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં અમે ઉત્તમ સર્જકોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ ઉપરાંત ૩૦૦ ઉપરાંત પુસ્તકો હાલ પ્રકાશન-પ્રક્રિયામાં છે. અમને હવે સમજાયું છે કે, the future of books lies in audio. એટલે ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ-વાર્તા, નિબંધ, પ્રવાસનિબંધ અને અંગત નિબંધો ઑડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન વાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઑડિયોબુક્સની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઈઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હવે, અમે તેમાં ઇન્ટરએક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્યિક કામોને ઑડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.”
અતુલભાઈની આટલી લાંબી યાત્રા પ્રેરક છે. એમને પરિશ્રમનો થાક નથી, કારણ કે અસંખ્ય વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પુસ્તકો વાંચી અનહદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અભ્યાસુ માટે અહીં અપાર સામગ્રી છે. આપણા વિશાલ સાહિત્યના બધાં જ વિભાગોમાંથી નોંધપાત્ર સામગ્રી અહીં મળી રહી છે. અતુલભાઈ જાણે છે કે છપાયેલું પુસ્તક દૂરના વાચક સુધી નહીં પહોંચે એટલે ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે. એકત્ર ઉપર પ્રીતિ સેનગુપ્તાનું પુસ્તક ‘આમંત્રિત ‘વાંચી શકો કે જે કદાચ બજારમાં લેવા જઈએ તો ન મળે!
અતુલભાઈનું કાર્ય મોટો ખર્ચ માંગી લેનારું છે પણ અહી એક નવતર વાત બની છે. પહેલા કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીનો વાસ સાથે સાથે નથી હોતો પરંતુ અહીં સરસ્વતી પૂજક અતુલભાઈને કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન રાજેશ મશરૂવાળાનો જબરજસ્ત સાથ મળ્યો છે. કેલિફોર્નયામાં વસતા રાજેશભાઈએ એકત્રનો ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીજી ખુદ સરસ્વતીની સાથે વસી ગયા છે. ધન્ય છે ગુજરાતીને જીવંત રાખવા અને લોકોપયોગી બનાવવાના અતિ પરિશ્રમ કરનાર અતુલભાઈ અને એમના સખાવતી રાજેશભાઇને…. સંપર્ક: અતુલભાઈ રાવલ: atulraval@ektrafoundation.org : https://www.ekatrafoundation.org
by Bhadrayu Vachhrajani | Jan 4, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે.
માણસ જ્યારથી કશુંક શીખતો થયો ત્યારથી એ કેળવાતો થયો. “શીખવું એટલે કેળવવું”. એવો અર્થ ઘણા વર્ષો સુધી વિશ્વના શિક્ષણમાં રહ્યો. આજે પણ પશ્ચિમના દેશો ભણાવવું એટલે to teach શબ્દને સ્વીકારતા નથી. એક વાક્ય ત્યાં બહુ પ્રચલિત છે કે teacher is a senior learner. શિક્ષક એ એક ડગલું આગળ શીખનારો છે. અને એ શીખ્યા પછી પોતે જે શીખ્યો તે બાળકોને શીખવવાનું છે, ભણાવવાનું નથી. ભણાવવું એ to study છે. શીખવવું એ to learn છે. Learn ની અંદર વ્યક્તિ ખુદ સામેલ થાય છે. જ્યારે study માં જે માણસ કોઈ વાતને સામે પહોંચાડવા મથે છે તે જ પૂરેપૂરો અંદર ઉતરે છે. સામેની વ્યક્તિ શાંત, શિસ્તબદ્ધ બેઠી રહે છે તેથી એનામાં બધું ઉતરતું નથી.
એક બીજી પણ વાત નોંધવા જેવી છે કે, આપણા ઋષિમુનિઓએ, મનીષીઓએ શિક્ષણ શબ્દ વાપર્યો નથી. સ્વામી શ્રી વિવેકાનંદ “કેળવણી” વિશેના વિચારો વ્યક્ત કરે છે. શ્રી માતાજી “કેળવણી” માં કઈ પાંચ સાધનાઓ છે એ એનું વર્ણન કરે છે. પણ એમાં શબ્દ કેળવણી છે. શિક્ષણ નથી. કેળવણી નો અર્થ એવો કે, મને અંદર કોળે છે. મને અંદર ઇચ્છા થાય છે. મને અંદર આત્મસફૂર્ણા થાય છે. ત્યારે હું જે કરું છું તેમાં હું કેળવાઉ છું. મને ધમકાવીને કે હાથ કે ધોકો ઉગામીને જે કરવાનું કહેવામાં આવે તે કેળવણી નથી. તે શિક્ષણ નથી, વ્યક્તિને પરતંત્ર બનાવવાની એક પદ્ધતિ છે. આટલી વાત સમજ્યા પછી આપણે એ જાણવું જોઈએ કે આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મનીષીઓએ તો કેળવણી ની વાત કરી છે. એટલે કે બાળકને ઘડવાની વાત કરી છે. પણ આપણે શિક્ષણ પદ્ધતિમાં બાળક અઢી – ત્રણ વર્ષનું હોય ત્યારથી તેને આપણે ઈચ્છીએ તે શીખવા માટે જોરઝુલમ કરવા લાગ્યાં છીએ. “હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આપણી આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમને લર્નિંગ સિસ્ટમ રાખી નથી. આપણી સામે બેઠેલો વર્ગખંડનો બાળક એક કઠપૂતળી છે. આપણે આપણા હાથની અંદર તેની બધી જ દોર બાંધીને બેઠા છીએ. એવી પરિસ્થિતિ આપણે ત્યાં છે.
2020 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એમાં એક બહુ જ મહત્વનો ફેરફાર એ થયો કે બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ પછી બાળકને શાળાકીય વાતાવરણ અથવા વિદ્યાકીય પર્યાવરણ અથવા તો શીખવા અને આનંદવાના એક માહોલમાં શાળા તરફ લેવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલાં પાંચ વર્ષ પૂરા થાય ત્યારે જ બાળક શાળાનું મુખ દર્શન કરતું
હતું. પરંતુ હવે જન્મ પછીના ત્રણ વર્ષ પૂરા થાય કે તરત બાળક પ્રિ-સ્કૂલ કે બાલ વાટિકામાં દાખલ થાય છે અને ત્યાં એને જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેના માટે બહુ પ્રયાસો સાથે અભ્યાસક્રમ બનાવવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ આપણે જે બનાવી રહ્યા છીએ, તે અભ્યાસક્રમમાં આપણને બહુ જ સારી રીતે મદદ કરી શકે એવી એક પદ્ધતિ વર્ષો પહેલા ભારત દેશે સ્વીકારેલી છે. પણ એ પદ્ધતિના મૂળ હાર્દ ને એક બાજુ મૂકી દેવાનું કામ પણ આપણે જ કર્યું છે.
સમગ્ર પૂર્વ પ્રાથમિક પદ્ધતિએ મોન્ટેસોરીના સિદ્ધાંત ઉપર ચાલે છે. મેડમ મોન્ટેસરી એ નાના બાળકો, ભૂલકાઓ, ૩-૪-૫ વર્ષના જે બાળકો છે એના માટે શીખવા ઉપર ભાર આપ્યો. કેળવવા ઉપર ભાર આપ્યો. વિદ્યાર્થી પોતે પ્રવૃત રહે એના ઉપર ભાર આપ્યો. અને પ્રવૃત્ત રહેવા માટે તેમણે પોતે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિમાં પણ તેમણે પ્રવૃત્તિઓ આપણી સમક્ષ મૂકી આપી, પ્રવૃત્તિ માટેના સાધનો મૂકી આપ્યા અને સાધનો દ્વારા બાળકોને કેમ પ્રવૃત્તિ કરીને શિક્ષિત કરવું તેની આખી એક પરિપાટી ઘડી આપી. શરૂઆતમાં વર્ષોમાં ક્યાંક ક્યાંક આવા પ્રયોગો થયા. આપણા ગુજરાતમાં ભાવનગરના ગિજુભાઈ બધેકા જેને સૌ વહાલ થી “મુછાળી મા” કહેતા હતા. એમણે મેડમ મોન્ટેસરીની આ પદ્ધતિ ગુજરાતમાં પૂરજોશમાં વ્યાપક બનાવી. થયું એવું કે, એના સાધનો અને સાધનો દ્વારા પ્રવૃત્તિની વાત ધીમે ધીમે પાછળ પડવા લાગી. અને આપણે પદ્ધતિ ઉપર ભાર મૂકવા માંડ્યા. ગિજુભાઈ બધેકા એ મોન્ટેસરીની સંકલ્પનાઓને બરાબર સમજી, પચાવી અને આપણા વાતાવરણમાં ઢાળી આપી. ભાવનગરની અંદર જ પોતાની સંસ્થામાં તેમણે બૃહદ પ્રયોગો કર્યા અને ખૂબ સફળતા મળી. આજે સો વર્ષ પછી પણ ગિજુભાઈ દ્વારા શરૂ થયેલું બાલમંદિર એટલું જ ખ્યાત છે અને એટલી જ ફળશ્રુતિ આપનારું સંસ્થાન છે.
મેડમ કહેવાતાં મોન્ટેસોરી કહે છે કે, “અત્યાર સુધી માણસે બાળકોને શું ભણાવવું જોઈએ અને કેમ ભણાવવું જોઈએ તેનો વિચાર કરેલો છે. પણ કોને ભણાવવાનું છે તે વાત આ બંને વિચારો કરતી વખતે લક્ષ બહાર ગએલી છે. વિષયનું નિર્માણ કરતી વખતે માણસની દૃષ્ટિ સંકુચિત રહેલી છે. કારણ કે માણસ પોતાનાથી વધારે તેજસ્વી માણસની કલ્પના કરી શકયો નથી અને તેથી આજે જે પ્રજા છે તેનાથી વધારે પ્રાણવાન પ્રજા બનાવવાનો તેના મનમાં વિચાર સરખો યે આવ્યો નથી. માણસે સ્વભાવથી જ ભાવી મનુષ્યને પોતાના જેવો બનાવવાનું ચાહ્યું છે અને તે પ્રમાણે કર્યું છે. આથી જ આપણી વચ્ચે એક જ ગાંધી, એક જ ટાગોર અને એક જ લેનિન જ છે. બાળકો પોતે કેમ શીખે છે તેના સૂક્ષ્મ અવલોકનને અંતે આ પદ્ધતિના સાધનો બનાવ્યાં છે”.
મોન્ટીસોરી પદ્ધતિ માણસની આંખ કેળવી તેને રૂપ અને રંગનું રહસ્ય સમજવાનું દ્વાર ઉઘાડી આપે છેઃ સ્પર્શની કેળવણી આપી કુદરતની અપ્રતિમ કવિતા સમજવાની શક્તિ આપે છેસ કાનને કેળવી સંગીતદેવીનું મંદિર ખુલ્લું કરી આપે છે. આ રીતે માણસની શક્તિઓ ખીલવી માણસને પોતે જે કાંઈ છે તે થવાની તક આપે છે. મોન્ટીસોરી સાધનોની વપરાશથી માણસ સીધો ચિતારો કે ગાયક નથી બની જતો સીધો લેખક કવિ કે ગણિતશાસ્ત્રી પણ નથી બની જતો પરંતુ કોઈ પણ દિશામાં જવાને માટે સરલમાં સરલ માર્ગ ઊઘડે છે. આથી જ આ સાધનો માત્ર સાધન છે સાધ્ય નથી”.
વર્તમાન સ્થિતિમાં શિક્ષણ ચિંતા નો વિષય બન્યો છે. એનું એક કારણ એ છે કે, આપણે માત્ર માર્ક્સ અને ટકા અને CGPA માં વધુ રત થયાં છીએ. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસ ઘડવાનો છે. સ્વામી શ્રી વિવેકાનંદે શિક્ષણને “મેન મેકિંગ એજ્યુકેશન” બનાવવાની હિમાયત કરી છે. માણસને ઘડી ન શકે તો એ શિક્ષણ કામનું નથી. મને એવું લાગે છે કે આપણે સાધનોમાં વધુ પ્રવૃત્ત થઈ ગયા. આપણા વર્ગખંડમાં 56 ઇંચ નું ટીવી મૂકી દઈએ એટલે આપણે સમૃદ્ધ થઈ ગયા છીએ અને આપણી શાળા ઉત્તમોત્તમ છે એવું આપણે માનવા લાગ્યા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, 56 ઇંચ ના ટીવીના સ્ક્રીન ઉપર તમે પોપટ અને પક્ષીઓને બોલતા દેખાડો છો એને બદલે તમારા જ મોટા વિશાળ મેદાનમાં જઈને સાચા વૃક્ષો ઉપર બોલતા પોપટ અને પક્ષીઓનો અવાજ, એમનું દર્શન જો વિદ્યાર્થીઓને થશે તો તેઓ ખૂબ જ રાજી થશે. 56 ઇંચ ના ટીવી પર દેખાડવું એ શિક્ષણ છે અને વૃક્ષોની નીચે બેસીને પોપટ અને ચકલીઓને માણવા એ ખરેખર કેળવણી છે.
by Bhadrayu Vachhrajani | Dec 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ”ની ચાલીશીયે શબ્દાવલોકન !!
અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે,
અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, તર્ક-કર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃતક નિર્જરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે.
ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોષની એવી સૃષ્ટિ,
તમસ-તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે.
રેવા-જળ-શી શક્તિદાયિની, સત્ય-સંમુદા-મુક્તિદાયિની
‘વિશ્વવિહાર’ જ કરે… શીલ-સત્ત્વ સંભરે.
ગુર્જરી વિશ્વરૂપ ને વરે!!
ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ” ની ચાલીશીયે શબ્દાવલોકન કરવું હોય તો સૌ પ્રથમ આ વિશ્વકોશ ગીત સ્મરવું જ પડે. વિશ્વકોશમાં જિંદગીના અંતિમ વર્ષો અર્પનાર કવિવર શ્રી ચંદ્રકાન્ત શેઠની આ અદભુત રચના વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પહેલા ગવાતી રહે એવો સિલસિલો છે. અને આ ગીત ગવાય એટલે ભવનના સભાખંડમાં જાણે સરસ્વતીદેવી અવતરે તેવું દિવ્ય ભાવાવરણ બંધાય જાય. આ દિવ્ય હવાના સાક્ષી બનવાનો મને વારંવાર લ્હાવો મળ્યો છે.
કોઈ પૂછે કે, વિશ્વકોશ શું કરે છે?? તો તેમની સમક્ષ આ ગીત પેશ કરીએ એટલે સઘળું સ્પષ્ટ થઇ જાય કે અહીં તો ગુર્જરી વિશ્વ રૂપને વરે છે.
વિશ્વકોષ નો એક અર્થ બંને શબ્દોને અલગ પાડીને પણ આપણે કરી શકીએ.
વિશ્વ એટલે વ્યાપક અને કોષ એટલે આપણો નાનામાં નાનો અંશ. આમ, નાનામાં નાના અંશને વ્યાપક રીતે અસ્તિત્વ સમક્ષ રજૂ કરનાર કોઈ હોય તો તે વિશ્વકોષ છે.
ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે એવું એક સંસ્થાન શરૂ થયું, જેને આપણે સૌ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” કહીએ છીએ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.
24 વર્ષના પુરુષાર્થ પછી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.
અવલોકન કરી લઈએ તો. 1987 થી 2009 સુધીના 22 વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન થયું કે જેમાં, 24,083 અધિકરણો, 8,360 માનવવિદ્યા, 8,083 વિજ્ઞાન,
7,640 સમાજવિદ્યા, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિલેખો, 246 અનૂદિત લેખો, 11,660 ચિત્રો અને આકૃતિઓ, 1,593 જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
170 જેટલાં વિષયોને આવરી લેતો 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ!! રાષ્ટ્રની દસેક ભાષા વિશ્વવિદ્યાપીઠો જે કામ ન કરી શકે તે કામ કેવળ માનદ સેવા આપનાર અધ્યાપકો, શિક્ષણવિદો, અનેક ક્ષેત્રના ધુરંધરો દ્વારા થયું છે. આજના વિપથગામી પરિબળોથી ઘેરાયેલા સમાજમાં માતૃભાષા માટે આવું સંવર્ધિત કાર્ય પ્રદાન કેમ થયું હશે તે અકલ્પનીય છે. આજે દર મહિને સાડા ત્રણ લાખ લોકો વિશ્વકોષનો ઓનલાઈન લાભ લે છે કે જેમાં વિશ્વના દસેક દેશોના જિજ્ઞાસુઓ પણ સામેલ છે.
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એક એવું સંસ્થાન બન્યું કે જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. આપણી યુનિવર્સિટીઓ અને તેના ગુજરાતી ભાષા ભવનો ગુજરાતી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરે છે પરંતુ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવાનું શક્ય બન્યું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ થકી. વિશ્વકોષ ગુજરાતી ભાષાના મૂળ સુધી આપણને લઈ જાય છે અને વિશ્વની કોઈપણ ઘટના, પદાર્થ કે હકીકત ક્યાંથી કેવી રીતે ઉદભવી તેના છેડા સુધી આપણને મૂકી આપે છે. તેથી જ તો આ લેખને ખાસ શીર્ષક અપાયું છે. શૂન્યને વ્યાપક કરી આપવાનું કામ “ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટ” કરી રહેલ છે.
આપણી માતૃભાષા માટે એક વિરલ સ્વપ્ન જ્યારે વંદનીય શ્રી ધીરુભાઈ ઠાકરને આવ્યું ત્યારે તે સ્વપ્નને સાકાર કરવામાં મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણા ભળી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. સમાજના કચડાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના સમયે એમણે આપેલા આર્થિક સહયોગને પરિણામે જ ગુજરાતી વિશ્વકોશનું સર્જન થઈ શક્યું. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપનાર કર્મયોગી સાંકળચંદભાઈ પટેલે એમના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે વિશ્વકોશનો કરેલો જ્ઞાનયજ્ઞ ગુજરાતની અસ્મિતા પ્રગટાવનારો બની રહ્યો. એ સહયોગ આજે એક યુનિવર્સિટી કક્ષાનું કાર્ય કરી રહેલ છે. શ્રદ્ધેય ધીરુભાઈ તથા તેમના અનુગામી તરીકે સમર્થ સાક્ષર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા એવું માળખું રચાયું છે કે, જે દ્વારા વર્ષો સુધી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા નું સંવર્ધન થતું રહેવાનું છે.
માતૃભાષાના એક સંતાન તરીકે આનાથી વધુ આનંદ અને ગૌરવ બીજું શો હોઈ શકે?
કેટલા કોષો બહાર પડ્યા, કેટલા ઓનલાઇન થયા, કેટલા શબ્દકોષોનો દેહ ઘડાયો એ તો ગણતરીમાં લેવું મુશ્કેલ છે, પરંતુ સાથોસાથ વિશ્વકોષ દ્વારા માત્ર ગ્રંથલક્ષી કાર્યક્રમોને બદલે સમાજ સુધી પહોંચી શકાય એ માટે એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ, વિવિધ સ્મૃતિઓમાં મળેલ દાનમાંથી રસપ્રદ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન થયું. અનેક ભાવકો સુધી વિશ્વકોશ પહોંચી શકે એટલે ટૂંકું અને ટચૂકડું એવું “વિશ્વવિહાર” સતત પ્રદાન કરતું રહ્યું.
સ્થાપનાકાળથી આજ સુધી જેમની સસ્મિત સેવા અવિરત પ્રાપ્ત થઇ છે તેવા વિશ્વકોશના મુખ્ય સંવાહક શ્રી અને અચ્છા મેનેજમેન્ટ ગુરુ શ્રી કુમારપાળ દેસાઈના શબ્દોમાં આ વિશ્વકોશ ટ્રસ્ટ પાંચ પરિમાણોથી ભાષા સેવા કરી રહેલ છે.
એક) ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે આવું ભગીરથ કાર્ય કરવું એ એક સાહસ છે.
બે) ગુજરાતી વિશ્વકોશ એ પ્રજાકીય અને વિદ્યાકીય સાહસ છે, ભાષાપ્રેમીઓની એક ‘મુવમેન્ટ’ છે.
ત્રીજું) જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનીઓનું સન્માન વિશ્વકોશનું આભૂષણ છે.
ચાર) વિશ્વકોશએ ગુજરાતી ભાષામાં કરેલો પરિભાષા માટેનો પુરુષાર્થ.
પાંચ) માતૃભાષા ગુજરાતી માટેની ફનાગીરી.
આ પ્રત્યેક પરિમાણને વિસ્તારથી કહેવા બેસું તો વર્ષોના વરસ લાગે.
સમજદારકો ઈશારા કાફી હૈ!!
આપણે પ્રાર્થના કરીએ કે અહીં ‘ગુર્જરી વિશ્વરૂપ ને સદા વરતી રહે’!!
by Bhadrayu Vachhrajani | Dec 22, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથે ઓશોનો સ્મરણીય સંવાદ
“ભારતના ધર્મ આકાશમાં એવા કયા બાર વ્યક્તિત્વ છે કે, જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય?”
આપણે ઓશોના જીવનના રોમાંચક વળાંકો અનેક પરિમાણોથી જોયા, જાણ્યા અને આપણે ધન્ય થયા. ઓશોનું જીવન અને ઓશોનું ચિંતન બંને ભરપેટ મમાણવા યોગ્યછે. જીવન તો આપણે જાણ્યું પણ તેમના ચિંતનને તો દીર્ઘ કાલીન સત્રોમાં જ માણી શકાય અને આત્મસાત કરી શકાય. આમ છતાં, કોઈ એકાદ ચમકારો મેળવવો હોય તો…? ઓશોના ચિંતનનું ઉત્તુંગ શિખર સ્પર્શવું હોય તો…? આ પ્રશ્નના ઉત્તરરૂપે મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથેના ઓશોના એક ઉત્કૃષ્ટ સંવાદને અહીં પેશ કરી સંતોષ લઈએ અને આ દીર્ઘ શ્રેણીને વિરામ આપીએ.
“મહાકવિ સુમિત્રાનંદન પંતે મને એકવાર પુછ્યુ કે, ભારતના ધર્મ આકાશમાં એવા કયા કયા બાર વ્યક્તિત્વ છે કે જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય. મેં તેમને એક યાદી આપી: કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, નાગાર્જુન, શંકર, ગોરખ, કબીર, નાનક, મીરાં, રામકૃષ્ણ, કૃષ્ણમૂર્તિ. સુમિત્રાનંદન પંતે યાદી વાંચીને આંખો બંધ કરી અને વિચાર માં પડી ગયા.
યાદી બનાવવી સરળ કામ ન હતું. કારણ કે ભારતના આકાશમાં બહુ મોટા નક્ષત્રો ભરચક રહેલા છે, કોને છોડીએ અને કોને ગણીએ? બહુ જ વ્હાલા લાગે તેવા વ્યક્તિઓ છે, અતિ કોમળ છે, અતિ માધુર્યપૂર્ણ છે અને સ્ત્રૈણ છે.
વૃદ્ધાવસ્થા સુધી પણ એમના ચહેરા ઉપર તાજગી એવી કાયમ રહી છે, જેવી કાયમ રહેવી જોઈએ. તેઓ સુંદરથી સુંદરતમ થતાં ગયા છે. હું તેમના ચહેરા ઉપર આવ જા કરી રહેલા ભાવ ને નિરખી રહ્યો હતો. તેમને અડચણ પણ થઈ હતી, કેટલાક નામ જે સ્વભાવત: હોવા જ જોઈએ તે ન હતાં! નથી રામનું નામ ન હતું! તેઓએ આંખ ખોલી અને મને કહ્યું, રામનું નામ છોડી દીધું છે આપે? મેં કહ્યું મને બાર જ વ્યક્તિઓ પસંદ કરવાની સુવિધા આપે આપેલી એટલે ઘણા બધા નામ છોડી દેવા પડ્યા છે. પછી મેં બાર નામ એવા પસંદ કર્યા કે, જેમની કોઈ મૌલિક દેણ હોય, રામની કોઈ મૌલિક દેણ નથી. કૃષ્ણનું કોઈ મૌલિક પ્રદાન નથી, તેથી હિન્દુઓએ પણ તેમને પૂર્ણાવતાર ગણ્યા નથી.
તેમણે ફરી મને પુછ્યું, તો પછી એવું કરીએ કે મને આમાંથી સાત નામ આપો. હવે વાત થોડી વધુ કઠિન થઇ રહી હતી. થોડા વિચાર પછી મેં તેઓને સાત નામ આપ્યા. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, શંકર, ગોરખ, કબીર. તેઓએ કહ્યું: આપે જે પાંચ નામ છોડી દીધા એ કયા આધાર ઉપર છોડ્યા છે? મેં કહ્યું: નાગાર્જુન બુદ્ધ માં સમાય જાય છે. તેઓ બુદ્ધમાં બીજ રૂપ હતા અને તેમાંથી જ નાગાર્જુન પ્રગટ થયા હતા. તેથી નાગાર્જુનને છોડી દઈ શકાય અને જ્યારે બચાવી લેવાની વાત આવે તો વૃક્ષને છોડી દઈ શકીએ, બીજને નહીં છોડી શકાય, કારણકે બીજ માંથી તો ફરી વૃક્ષ બનવાનું છે, નવું વૃક્ષ બનવાનું છે. જ્યાં બુદ્ધ પેદા થશે ત્યારે અનેક નાગાર્જુન પેદા થઈ જશે, પરંતુ કોઈ નાગાર્જુન બુદ્ધને પેદા નહીં કરી શકે. બુદ્ધ તો ગંગોત્રી છે, નાગાર્જુન તો આમ પણ ગંગા ના રસ્તા ઉપર આવેલું એક તીર્થસ્થળ છે. તેમ છતાં જો છોડવું હોય તો તીર્થસ્થળ છોડી દઈ શકાય, ગંગોત્રી ને છોડી ન શકાય.
એ જ રીતે કૃષ્ણમૂર્તિ પણ બુદ્ધમાં સમય જાય છે. કૃષ્ણમૂર્તિ બુદ્ધના નવીનતમ સંસ્કરણ જેવા છે, નૂતનતમ; આજની ભાષામાં! પર ભાષાનો જ ભેદ છે. બુદ્ધનું જે પરમસૂત્ર હતું: “અપ્પ દીપો ભવ” કૃષ્ણમૂર્તિ બસ તેની જ વ્યાખ્યા છે. આ એક સૂત્ર ની વ્યાખ્યા ગહન, ગંભીર, અતિ મહત્વપૂર્ણ! પરંતુ ‘પોતાના દિપક પોતે બનો’ એની તો વ્યાખ્યા છે. આ બુદ્ધનું અંતિમ વચન હતું. પૃથ્વી પરથી શરીર છોડતાં તે પહેલાં તેઓએ સાર સૂત્ર કહ્યાં હતાં, જાણે કે આખા જીવનની સંપતિ, જાણે કે આખા જીવનના અનુભવ ને એક નાનકડા સૂત્ર માં સમાહિત કરવામાં આવ્યું હોય!! રામકૃષ્ણ કૃષ્ણમાં સરળતાથી લીન થઈ જાય છે. મીરા અને નાનક કબીરમાં લિન થઈ જાય છે, જાણે કે કબીરની જ અનેક શાખાઓ ન હોય! જેવી રીતે કબીર માં જે એકત્ર હતું તેમાંથી અડધું નાનકમાં પ્રગટ થયું છે અને અડધું મીરામાં. નાનકમાં કબીરના પુરુષરૂપનું પ્રગટીકરણ થયું છે, તેથી શીખ ધર્મ જો ક્ષત્રિયનો બની જાય તો આશ્ચર્ય ન કહેવાય. મીરાંમાં કબીરના સ્ત્રૈણ રૂપને પ્રગટ થતું જોઈ શકાય છે, તેથી પૂર્ણમાધુર્ય, બધી જ સુગંધ, પુલકીત કરતી સુવાસ, સઘળું સંગીત મીરાના પગના ઝાંઝર બનીને ઝણકી રહ્યાં છે. મીરાના એક તારા પર કબીરની નારી ગાઈ રહી છે અને નાનકમાં કબીર નો પુરૂષ બોલી રહ્યો છે. બંને કબીરમાં સમાહિત થઈ જાય છે. મેં આવી રીતે કહ્યું કે, મેં આ સાત નામની યાદી બનાવી છે.. હવે તેઓની ઉત્સુકતા બહુ જ વધી ગઈ. તેમણે કહ્યું કે, જો હું પાંચ નામની સૂચી બનાવવાનું કહું તો?? મેં કહ્યું, મારું કામ એકદમ કઠીન થઈ જશે.
મેં એ સૂચિ એને બનાવી આપી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર અને ગોરખ. કારણકે કબીર ને ગોરખ માં લીન થતા જોઈ શકાય છે. ગોરખ મૂળ છે તેથી ગોરખને છોડી શકાય તેમ નથી અને શંકર તો કૃષ્ણમાં સરળતાથી લિન થઇ જઈ શકે છે. કૃષ્ણના જ એક અંગની વ્યાખ્યા છે, કૃષ્ણના જ એક અંગનું દાર્શનિક વિવેચન છે, ત્યારે તેઓ તરત જ બોલ્યા; બસ, એકવાર ફરીવાર માત્ર ચાર જ નામ રાખીએ તો…??
મેં તરત જ નાની સૂચિ આપી દીધી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, ગોરખ, કારણ કે મહાવીર બુદ્ધિથી બહુ જુદા નથી, થોડાક ભિન્ન છે, થોડો નાનો ભેદ છે અને તે પણ અભિવ્યક્તિનો ભેદ છે. બુદ્ધની મહિમામાં મહાવીર મહિમા થઈ જઈ શકે છે.
તેઓ કહેવા લાગ્યા: હજુ એક વાર બસ, મને ત્રણ નામ શોધી આપશો? મેં કહ્યું, હવે તે અસંભવ છે. હવે આ ચાર માંથી કોઈને પણ છોડી શકાય એમ નથી. મેં તેઓને કહ્યું, જાણે ચાર દિશા છે એવા આ ચાર વ્યક્તિત્વ છે, જેવી રીતે કાળ અને ક્ષેત્રના ચાર આયામ છે, એવા આ ચાર આયામ છે, જેવી રીતે પરમાત્માની બાજુઓ આપણે ચાર વિચારીએ છીએ એવી રીતે આ ચાર ભુજાઓ છે, આમ તો એક જ છે પરંતુ એ એક ને ચાર ભુજા છે. હવે આમાંથી કંઈ છોડવું હોય તો હાથ કાપવા જેવું લાગશે અને તે હું નહીં કરી શકું.
અત્યાર સુધી હું આપની વાત માનીને ચાલતો હતો અને સંખ્યા ધીમે ધીમે ધીમે ઘટાડતો જતો હતો. કારણ કે અત્યાર સુધી જે અલગ કરવું પડતું હતું તે વસ્ત્ર હતું, હવે તો અંગ તોડવા પડે એમ છે અને એ અંગ ભંગ હું નહીં કરી શકું, એવી હિંસા આપ પણ ન કરાવો તો તેવી પ્રાર્થના છે.”
–ઓશો, મરો હે જોગી મરો …………………………
ઓશો,
જેનો ક્યારેય જન્મ નથી થયો અને ક્યારેય મૃત્યુ થયું નથી.
જેમણે.
૧૧ ડિસેમ્બરે, ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી પૃથ્વી નામના
આ ગ્રહનો પ્રવાસ કર્યો.
બસ, બધું મળીને આ જ છે ભારતના આ સદીઓ માટેના મનીષી અને નોખા અનોખા ગુરુની વાત.
by Bhadrayu Vachhrajani | Dec 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’
કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,
ઓશો કોણ છે?
ઓશો શું છે?
ઓશો ક્યાં છે?
ઓશો ઓશો કેમ છે?
ઓશો ક્યારે ક્યારે છે?
આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ પૂર્વાશ્રમના નામ વસંત જોશી બનીને લિખિત પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. માં….
આવો આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.
“તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.
ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.
ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.
ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી. ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.
તેઓની પાસે કોઇ નકશો નથી, કોઇ માર્ગદર્શિકા નથી, પ્રત્યેક ક્ષણ તેઓ માટે નવી છે. દરેક ક્ષણે તેઓ નૂતન અવકાશમાં, એક નવા અનુભવમાં, પોતાના આગવા સત્યમાં અને પોતાના આગવા દર્શનમાં પ્રવેશે છે. ખરેખર તેઓનું જીવન અને કાર્ય એક લીલા છે. આ લીલાનો કોઇ તર્કસંગત અર્થ કાઢી શકાય તેમ નથી. તે તર્ક અને બુદ્ધિથી પર છે, એ સહજ, અસ્તિત્વગત અને શુદ્ધ ચેતનાનો પાર-બોદ્ધિક દિવ્ય ખેલ છે.
ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.
એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.
ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. ઓશો એ ‘ધર્મ’ના માણસ નથી પણ તેઓનું અસલી હોવું એ ધાર્મિકતાનું પ્રતિબંધ છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.
જ્યારે સાંઇઠના દાયકાના પાછળનાં વર્ષોમાં તેઓ મુંબઇમાં (તે સમયનું બૉમ્બે) કૃષ્ણ પર પ્રવચન આપવા જતા હતા. જો તેઓ સાચેસાચ કૃષ્ણ પર પ્રવચન કરવાના છે તો તે જાણીને દરવાને આશ્ચર્યચકિત થઇને પૂછ્યું કે, ‘બે વર્ષ પહેલાં તો તમે કૃષ્ણ વિરુદ્ધ બોલવા માટે અહીં આવ્યા હતા.’ ઓશોએ જવાબ આપ્યો કે, ‘હા, જો હું કૃષ્ણ વિરુદ્ધ બોલું તો કોઈ ન આવે, માટે હું કૃષ્ણના પક્ષમાં બોલું છું. અને જો તમે આ વાતને દોહરાવશો તો હું તેનો ઇનકાર કરીશ!’
જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી… મારે જે રમત રમવી પડી તે અનિવાર્ય અનિષ્ટ બિનઇશ્વરીય અને અધાર્મિક વ્યક્તિ પાસે આવ્યા હોત? જો તમે તમારી જાતને આ પ્રશ્ન હતો; તો એ વગર તમને શોધી શકવાનું શક્ય ન હતું. શું તમે એક નાસ્તિક, પારનૈતિક છો? એવું પૂછશો તો તમને સમજાશે કે મેં ધર્મ અને ધાર્મિક પરિભાષાનો ઉપયોગ કેમ કર્યો હતો. હું મારી વિરુદ્ધ તેનો તમારા માટે ઉપયોગ કરતો હતો. જેનો માત્ર તમારે ખાતર જ એક નાટક તરીકે ઉપયોગ કરતો હતો, પણ હવે તેની જરૂર નથી.’
વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’ જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. ઓશોની ઉપસ્થિતિમાં કશુંક બનવું એ એક વાત છે. પણ કોઇ બહારના આધાર વગર પોતાના જ આંતરિક સ્ત્રોતો પર આધાર રાખીને સ્વનું પુનઃ નિર્માણ કરવું અને પોતાનો વિકાસ કરવો એ એક અલગ વાત નથી શું? કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.
અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે. એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. એમની દ્રષ્ટિ એ શું કહે છે તેના કરતાં તેઓ શું સૂચિત કરી રહ્યા છે તેની સાથે વધુ સંબંધિત હતી. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.
સાવ એકલા છોડી દેવાયેલા, આપણે સ્વયંનાં આંતરજગતનું કેન્દ્ર તો અનિવાર્યપણે શોધવું જ રહ્યું. તેઓ સ્પષ્ટ કરે છે કે:
‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 7, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ…કોઇએ તેને ગુમાવવી જોઈએ નહીં.”
ઓશો માટે નદી એક આશ્ચર્યસ્થાન પણ હતું. જ્યારે પણ તેમને ખૂબ ઊંડા દુ: ખની લાગણી થતી ત્યારે તેઓ નદી પાસે આવી જતા અને ધ્યાનમાં બેસી જતા. તેમના મિત્રો ખાસ કરીને બે પ્રસંગો નોંધતા. તેમના કિશોરાવસ્થાની સાથી શશીનું અવસાન અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં જ્યારે ગાંધીજીની હત્યા થઇ, ઓશોએ તેમના મિત્રોને કહ્યું હતું કે એમને એટલું બધું લાગી આવ્યું હતું કે તેઓ રડી પણ શકતા ન હતા. એ સાંજે તેઓ અને તેમના મિત્રો નદીએ આવ્યા અને ધ્યાનમાં બેઠા.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કર્યો. તેમના કાકા, મિત્રો અને સંબંધીઓએ વર્ણવ્યું છે કે તેઓ ભયાનક રીતે વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા અને સામે કિનારે તરીને જતા હતા અથવા સિત્તેર ફૂટ ઊંચો પુલ ચડીને ત્યાંથી પૂરમાં ભરપૂર વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા. રૂંવાડાં ઊભાં કરી દે એવા અનુભવોમાંનો એક તો એ છે કે, તેઓ વમળમાં કૂદકા મારતા હતા. તેઓ માટે વમળમાં પડવું, “સુંદરતમ અનુભવોમાંનો એક અનુભવ હતો.” ઓશો પોતે વમળના સ્વભાવ અને તેના અનુભવ વિશે જણાવતાં કહે છે કે “વિશેષ કરીને વરસાદમાં પૂરમાં વહેતી નદીઓમાં. પ્રચંડ શક્તિશાળી અને તાકતવર, ઘણાં વમળો સર્જાય છે. પાણી સ્કૂની જેમ ગોળગોળ ફરે છે. જો તમે એમાં જકડાઈ જાઓ, તમને તળિયે ખેંચી જવા માટે ધક્કો લગાડવામાં આવે અને જેમ જેમ તમે વધુ નીચે જાઓ, વમળ વધુ તાકતવર બનતું જાય. અહંની સ્વાભાવિક વૃત્તિ એ હોય કે તેની સાથે લડીએ, ચોક્કસ, કેમ કે એ મૃત્યુ જેવું ભાસતું હોય અને અહં મૃત્યુથી ખૂબ જ ડરતો હોય. અહં વમળ સાથે લડવાનો પ્રયાસ કરે અને તમે પૂરમાં વહેતી નદી અથવા ધોધની નજીક જ્યાં ઘણાં જ વમળો સર્જાતા હોય. તેમાં ખોવાઈ જાઓ કેમ કે વમળો ખૂબ જ શક્તિશાળી હોય છે. તમે તેની સાથે ન લડી શકો. ‘અને વમળનું આ એક લક્ષણ છે, સપાટી પરથી તે મોટું લાગે, પણ જેમ જેમ ઊંડા જાઓ તેમ તેમ નાનું અને નાનું થતું જાય- વધુ તાકતવર પણ નાનું. અને જ્યારે લગભગ તમે વમળના તળિયે જતા રહો ત્યારે તે એટલું નાનું થઇ ગયું હોય કે તમે એમાંથી સરળતાથી લડ્યા વગર જ બહાર આવી શકો. વાસ્તવમાં, તળિયાની નજીક, વમળ જ તમને જાતે બહાર ફેંકી દે. પણ તમારે તળિયા માટે રાહ જોવી પડે. જો તમે સપાટી પરથી જ લડવાનું શરૂ કરી દો, તો તમે પતી ગયા, તમે બચી ન શકો. મેં ઘણી વખત ઘણા વમળો સાથે પ્રયત્નો કર્યા છે; જે અનુભવો ખૂબ જ સરસ છે.’
આ વિવરણ ઓશોની મૃત્યુ વિશે આંતરસૂઝને વર્ણવે છે. જેમ જેમ મૃત્યુ સાથે લડો, તેમ તેમ તમે વિખેરાઇ જાઓ અને તેનાથી ચહેરાઇ જાઓ; પણ તેનો પ્રતિકાર કરવાને બદલે, કોઇ તેમાં ધ્યાનપૂર્વક ઊંડા જવાની પરવાનગી આપે, તો તે/તેણી જબરદસ્ત રોમાંચક અનુભવમાંથી બહાર આવી શકે. જો કોઇ રહસ્યોને વીંધીને જવાની કોશિશ કરે અને તેના પાયા સુધી પહોંચી શકે, તો તે નુકસાન વગર તેમાંથી સ્વયંભૂ બહાર આવી શકે અને ભયથી પણ મુક્ત થઇ જાય.
એક બાળક તરીકે, ઓશોનું મૃત્યુ સાથેનું અનુસંધાન અસાધારણ હતું. મૃતદેહને ઊંચકીને અગ્નિસંસ્કાર માટે લોકો લઇ આવતા એ એમનો સામાન્ય અનુભવ હતો. જ્યારે એમનાં માતા-પિતા એમને પૂછતાં કે એ અવારનવાર અજાણ્યા લોકોના અગ્નિસંસ્કાર માટે શા માટે સ્મશાન ગૃહે જાય છે, તો તેઓ કહેતાઃ “માણસ મારી ચિંતાનો વિષય નથી. મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ. કોઇએ તેને ગુમાવવી જોઇએ નહીં.” એને વધુ વર્ણવતાં ઓશો કહે છે કે: એટલે જે ક્ષણે મને ખબર પડે છે કે કોઇનું અવસાન થયું છે, ત્યાં શું બની રહ્યું છે તે જોવા માટે, તેનો સાક્ષી બની રહેવા અને તેનું અવલોકન કરવા માટે હું જતો. લોકો મૃત્યુને કેવી રીતે શાસ્ત્રીય અર્થ આપતા અને શાસ્ત્રોમાં લખાયેલાં ટાંચણોને જે રીતે રજૂ કરતા તેને તેઓ ધ્યાનથી સાંભળતા અને અવલોકતા. આ પ્રકારની મૂર્ખતા ઓશોને ઉશ્કેરતી. ‘મને લાગતું કે તેઓ એને અવગણી રહ્યા છે, જે ઘટના બની રહી છે તેને જોવાને બદલે ચર્ચામાં વ્યસ્ત રહીને તેને અવગણી રહ્યા છે. તેઓ મૃત વ્યક્તિ તરફ જોતા નહોતા. અને એ ત્યાં જ હતું, મૃત્યુ સામે જ હતું અને તમે તેની ચર્ચા કરી રહ્યા છો, કેવા મૂર્ખ લોકો!!
ઓશોની મૃત્યુ જંખનાને લઈને પરિવારના સૌ લોકોને તેની ચિંતા થવા લાગી. ઓશો ભલે ભૌતિક રીતે મૃત્યુ માંથી બચી ગયા પરંતુ એમણે ચેતના સ્તરે મૃત્યુનો એક વખત વધુ સામનો કર્યો. તેમણે પરિવાર ને કહ્યું કે જો જ્યોતિષે જે કહ્યું હોય તે મુજબ મૃત્યુ નિશ્ચિત જ હોય તો તેઓ એના માટે પહેલે થી તૈયાર થઈ જાય એ હિતાવહ છે. પરિવારના લોકો આ સાંભળીને આઘાત પામ્યા. પણ એમના આયોજનમાં હસ્તક્ષેપ કોઈએ ન કર્યો. ઓશો એમના આયોજનને આગળ ધપાવવા મક્કમ હતા. તેઓ શાળાના આચાર્યને મળવા ગયા અને સાત દિવસની રજા માટે વિનંતી કરી. તેઓએ આચાર્યને કહ્યું કે તેઓ મૃત્યુ પામવા જઇ રહ્યા છે. આચાર્યને એમના કાન પર જ વિશ્વાસ પડ્યો નહીં. એમણે વિચાર્યું કે, ઓશો આપઘાત કરવા જઈ રહ્યા છે, એટલે વધુ સમજાવટ માટે પૃચ્છા કરી. ઓશોએ એમના ચૌદમાં વર્ષે મૃત્યુની શક્યતા વિશે જ્યોતિષીએ કરેલી ભવિષ્યવાણી વિશે આચાર્યને જણાવ્યું. તેઓએ આચાર્યને એ પણ કહ્યું કે, “હું સાત દિવસ માટે મૃત્યુની રાહ જોવાના આનંદ માટે જઇ રહ્યો છું, જો મૃત્યુ આવે અને હું તેને ચેતન અવસ્થામાં મળી શકું તો એ સારો અનુભવ કહેવાય.”
આચાર્ય સ્તબ્ધ બની ગયો અને રજા પણ મંજૂર થઇ ગઇ. પછી ઓશો એમના ગામની નજીક એક જીર્ણશીર્ણ એવા એકાંત અને પુરાણા મંદિરે ચાલ્યા ગયા. એક પૂજારી પોતે જેટલી દેખભાળ રાખી શકતા હતા તેટલી રાખતા હતા. ઓશોએ પૂજારીને સૂચના આપી દીધી કે કોઇ એમને વિઘ્ન ન પહોંચાડે અને એમ પણ કહ્યું કે એમને દિવસમાં એક જ વખત ખાવા પીવા માટે કંઇક પૂરું પાડે, જ્યારે તેઓ મંદિરમાં મૃત્યુની રાહ જોઇ રહ્યા હોય. ઓશો માટે એ ખૂબ સુંદર અનુભવ રહ્યો. હા! સાચેસાચ મૃત્યુ તો કદાપિ ન આવે, પણ ‘મૃત્યુ પામવા માટે‘ શક્ય હોય તેટલું બધું જ કરી છૂટ્યા. તેઓ અસાધારણ અને વિચિત્ર લાગણીઓમાંથી પસાર થયા. ઘણી બધી બાબતો એમની સાથે બની, પણ ઓશો જેમ કહે છે તેમઃ “પાયાની વાત એ છે કે જો તમને એમ લાગતું હોય કે તમે મૃત્યુ પામી રહ્યા છો, તો તમે શાંત અને મૌન બની જશો.”
એમના કેટલાક અનુભવો તો ઘણા આશ્ચર્યચકિત કરનારા હતા. મૃત્યુના ભયના સંબંધમાં એક વાત આ પ્રમાણે કરે છે: ‘હું ત્યાં પડી રહ્યો હતો. ત્રીજા કે ચોથા દિવસે મંદિરમાં એક સાપ આવ્યો. મને દેખાતું હતું, હું સાપને જોઇ રહ્યો હતો. પણ ભય નહોતો. અચાનક મને બહુ અચરજ જેવું લાગ્યું, સાપ નજીક અને નજીક આવતો હતો અને મને ઘણું જ નવાઇભર્યું લાગતું હતું. ભય બિલકૂલ નહોતો. તો મેં વિચાર્યું કે જ્યારે મૃત્યુ આવવાનું જ હોય તો, એ સાપ દ્વારા પણ આવી શકે, તો ભય કેમ પામવાનો? રાહ જુઓ! સાપ મારી ઉપરથી પસાર થઇને ચાલ્યો ગયો. ડર અદ્રશ્ય થઇ ગયો હતો. જો તમે મૃત્યુને સ્વીકારી લો તો પછી ભય નથી રહેતો. જો તમે જિંદગીને વળગેલા રહો તો પછી ત્યાં દરેક પ્રકારનો ભય રહે છે.’
એક વખત મૃત્યુને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લો, એ સ્વીકાર તરત જ એક અંતર સર્જે છે. એ બિંદુ જ્યાંથી જિંદગીમાં બનતી ઘટનાઓના પ્રવાહને એક દ્રષ્ટા તરીકે નિહાળી શકાય. સામાન્ય રીતે ઘટનાઓની સાથે આવતાં દુ: ખો, યાતનાઓ, ચિંતાઓ અને વિડંબનાઓને આ સઘળું પરે લઇ જાય છે. ઓશો આ પ્રકારની અલગાવની સ્થિતિના સંબંધમાં એમના અનુભવને વર્ણવતા કહે છેઃ ‘ઘણી વખત માખીઓ મારી આજુબાજુ ઉડતી, મારી આસપાસ મંડરાતી, મારા ચહેરાની આસપાસ. ઘણી વખત હું ઉશ્કેરાઈ જતો, અને તેમને ઉડાવી દેવાનું ચાહતો, પણ મેં વિચાર્યું, આનો શો ઉપયોગ છે? વહેલા કે મોડા હું મરી જવાનો છું પછી આ શરીરને બચાવવા માટે કોઇ રહેવાનું નથી. તો તેઓને તેમનો રસ્તો કરવા દો. જે ક્ષણ મેં એમ વિચાર્યું કે, તેઓને તેમનો રસ્તો કરવા દો, કે તરત ઉશ્કેરાટ જતો રહ્યો. તેઓ શરીર ઉપર હતી પણ જાણે મને એમની પરવા નહોતી. તેઓ ફરતી હતી, જાણે કોઈ બીજાના જ શરીરની આસપાસ ફરતી હતી. તરત જ એક અંતર નિર્માણ થઈ ગયું. જો તમે મૃત્યુને સ્વીકારો તો અંતર નિર્માય જાય છે. જિંદગી એની બધી જ ચિંતાઓ, ઉશ્કેરાટો અને બધાંથી દૂર, આગળ નીકળી જાય છે.'(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું.”
ઓશોને મૃત્યુનો પહેલો અનુભવ નાની બહેન કુસુમના અવસાન સમયે થયો. ઓશોને એ ખૂબ વહાલાં હતાં. એમના અવસાનથી ઓશો ખૂબ વ્યથિત થયા અને ભોજનનો ઇનકાર કરી દીધો અને પારંપરિક જૈન સાધુની જેમ વર્તવાનો આગ્રહ કર્યો, પંચિયું પહેરીને ભિક્ષાપાત્ર લઇ લીધું. તેઓની માતાએ એ દૃશ્યનું વર્ણન કરતાં આ પ્રમાણે કહ્યું- ‘‘તે એમને એક પંગતમાં ભોજન લઇને બેસવાનું કહેતા. સાધુ જેવાં વસ્ત્રો પહેરીને એક છેડેથી બીજા છેડે હાથમાં ભિક્ષાપાત્ર લઇને ભોજન માગતા.”,
મૃત્યુ સાથેના આવા અનેક સામનાઓ એમના પોતાના જ અનુભવોનો એક ભાગ હતા. એમાંના મહત્ત્વના ત્રણ પ્રસંગો વિશે એક જ્યોતિષીએ આગાહી પણ કરી હતી. ઓશોના દાદાએ એક અતિ નામાંકિત જ્યોતિષીની સલાહ લીધી હતી, જેમણે ઓશોના જન્માક્ષર જોઇને આગાહી કરી હતી કે, આ બાળક સાત વર્ષ પછી જીવિત નહીં રહે. તેઓએ એ વાતને નોંધપાત્ર ગણી નહીં, માટે આટલું અલ્પ જીવન નિયત થયેલી વ્યક્તિ માટે બીજી કુંડળી તૈયાર કરાવી. જ્યોતિષીના અવસાન પછી, એમના દીકરાએ ઓશોની જન્મપત્રિકા પર કાર્ય કરવાનું ચાલું રાખ્યું. પુત્ર પણ મૂંઝવણમાં મુકાયા અને છેવટે જાહેર કર્યું કે, આ બાળક દરેક સાત વર્ષ પછી મૃત્યુનો સામનો કરશે અને એકવીસ વર્ષની ઉંમરે લગભગ મૃત્યુ પામશે. આ ભવિષ્યવાણીએ સ્વાભાવિક રીતે જ ઓશોનાં માતા-પિતા અને કુટુંબીજનોને ચિંતામાં મૂક્યાં. પણ, ઓશો નોંધે છે તેમ, જ્યોતિષીઓ એક રીતે સાચા હતા, સાત, ચૌદ અને એકવીસ એ વર્ષો હતાં જેમાં એમણે મૃત્યુનો ઊંડાથી પણ ઊંડો સામનો કર્યો.
ઓશો મૃત્યુના એમના પ્રથમ સૌથી ગહન અનુભવ વિષે બોલતાં કહે છે : સાત વર્ષની ઉંમરે હું બચી ગયો, પણ મને મૃત્યુનો ગહન અનુભવ થયો, મારો પોતાનો નહીં પણ મારા નાનાના અવસાનનો. હું એમની સાથે એટલો બધો જોડાયેલો હતો કે, એમના મૃત્યુમાં મને મારું જ મૃત્યુ દેખાયું. મારા નાનાએ મૃત્યુ પહેલા આઘાતમાં જ એમની બોલી ગુમાવી દીધી. ચોવીસ કલાક તો અમે ગામમાં રાહ જોઈ કે કોઈને કોઈ ઘટના તો બનશે, જો કોઈ સુધારો થયો નહીં. મને યાદ છે, એ કૈંક બોલવા માટે મથામણ કરી રહ્યા હતા, પણ કંઇ કરી શક્યા નહીં. એમને કંઇક કહેવું હતું, પણ કહી શક્યા નહીં. એટલે અમારે એમને બળદગાડામાં ગામ તરફ લઇ જવા પડ્યા. ધીમે ધીમે એમની ઇન્દ્રિયોએ એક પછી એક એમ કામ કરવાનું છોડી દીધું. તેઓ એક જ ઝાટકે મૃત્યુને ન પામ્યા, પણ ધીમે ધીમે અને દર્દપૂર્ણ રીતે. પ્રથમ તેઓનું બોલવાનું બંધ થયું. પછી સાંભળવાનું. પછી તેઓએ એમની આંખો પણ બંધ કરી. બળદગાડામાં હું આ બધું ખૂબ નજીકથી જોતો રહ્યો અને બત્રીસ કિલોમીટરની લાંબા અંતરની મુસાફરી હતી. જે કંઇ બની રહ્યું હતું એ એ સમયે મારી સમજની બહાર હતું. આ પહેલું મૃત્યુ હતું જેને હું મારી નજરે જોઈ રહ્યો હતો અને તેઓ ગુજરી રહ્યા છે તે પણ હું સમજી શકતો નહોતો. ઇન્દ્રિયોને ધીમે ધીમે ગુમાવતાં છેવટે એમનું મરી જવું, એણે મારી સ્મૃતિ પર ખૂબ ઊંડી છાપ અંકિત કરી.’ એવું લાગ્યું, જાણે એમના વહાલા નાના અદૃશ્ય થઇ જવાથી ઓશોની આખી દુનિયા જ અલગ થઇ ગઇ હોય.
ઓશો એમના નાનાના અવસાન વખતે એમને કેવું લાગી આવ્યું હતું એ વર્ણવતાં કહે છે.
“જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે મને લાગ્યું કે, ખાવું એ એક વિશ્વાસઘાત થઇ પડશે. હવે, મારે જીવવું નથી. જો કે એ નાદાની હતી, પણ એ દ્વારા કશું ગહન ઘટી ગયું. ત્રણ દિવસ હું પડી જ રહ્યો. હું પથારીમાંથી બહાર નહોતો નીકળતો. હું કહેતો, જો એ મરી ગયા છે તો હું જીવવા નથી ઇચ્છતો.’ હું જીવી ગયો પણ એ ત્રણ દિવસો મૃત્યુનો અનુભવ બની ગયા. હું એક રીતે મરી ગયો હતો. અને મને એ સમજમાં આવ્યું હતું કે – હવે, એ વિશે હું કહી શકું એમ છું કે-એ સમયે એ એક અસ્પષ્ટ અનુભવ જ હતો. મને એ લાગી રહ્યું હતું કે મૃત્યુ અસંભવ છે.”
ઓશો એ વાતને આ રીતે મૂકે છે: ‘જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું. મારા જીવનના પ્રથમ તબક્કે જ કોઇપણ મારા જીવનનું કેન્દ્ર બને એ શક્યતા જ મારા માટે નાશવંત થઇ ગઇ. સાત વર્ષની ઉંમરે એકાંતની હકીકતે મારો કબજો લઇ લીધો. એકલતા મારો સ્વભાવ બની ગઇ. એ મૃત્યુએ
મને બધા સંબંધોમાંથી હંમેશાં માટે મુક્ત કરી દીધો. એ મૃત્યુ મારા માટે તમામ વળગણોનું મૃત્યુ બની રહ્યું. એ પછી હું કોઇની પણ સાથે બંધન પ્રસ્થાપિત ન કરી શક્યો. જયારે પણ કોઈની સાથેનો સંબંધ પ્રગાઢ બને કે મૃત્યુ મને તાકી રહેતું.’
ઓશો સમજાવે છે કેઃ ‘એ એકલતાની પ્રથમ લાગણી ઊંડીને ઊંડી બનતી ગઈ, જીવનમાં કશુંક નવું જ ઘટી રહ્યું હતું. પ્રથમ તો એ એકલતાએ મને દુ: ખી જ કર્યો, પણ ધીમે ધીમે એ સુખમાં પરિવર્તિત થતી ગઇ. એ પછી, મેં કદી અસુખને સહન કર્યું નથી.’
એમને એ દેખાવા લાગ્યું કે એ એકલતા વાસ્તવમાં પોતાની જાતના જ કેન્દ્રમાં રહેવાની એક અવસ્થા છે, એવી અવસ્થા જેમાં બીજા પર અવલંબિત રહેવાનું બહુ ન લાગે. અવલંબનમાંની આ મુક્તિએ વાસ્તવમાં તેઓને કાયમી સુખી બનાવી દીધા. તેઓ નોંધે છે: ‘પોતાની જાત તરફ પુનઃ પાછા વળવા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ કહેવા, હું મારી જાતમાં પાછો ફેંકાયો. ધીમે ધીમે તેણે મને વધુને વધુ સુખી બનાવ્યો. પાછળથી મને એ લાગ્યું કે એ નાજુક ઉંમરમાં મૃત્યુનું એ અવલોકન મારા માટે અભિશાપમાં આશીર્વાદ બની રહ્યું.’ આ ઘટનાની નાના બાળકના વિકાસમાં બહુ ગહેરી અસર હતી. ઓશો તેને પોતાના શબ્દોમાં મૂકે છે. ‘આ ઘટનાને હું પ્રથમ ગણું છું કે જેણે મારા પર ઊંડી અસર અને છાપ છોડી હોય. એ દિવસથી, પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, જીવનની સજગતા અચૂકપણે મૃત્યુની સજાગતા સાથે જોડાઇ ગઇ. ત્યારથી હોવું કે ન હોવું મારા માટે સરખાં મૂલ્યવાન બની ગયાં.’
ઓશો એક એવી વ્યક્તિ શોધવામાં નસીબદાર હતા જે નદીના પ્રેમમાં ગરકાવ હતી. આ માણસે યુવાન ઓશોને તરવાના પ્રથમ પાઠો આપ્યા, નદીનો સ્પર્શ કરાવી આપ્યો. આ તરવૈયા ગુરુએ જે રીતે તરવાનું શીખવ્યું કે તે થકી યુવાન ઓશોને સંપૂર્ણ રીતે સમગ્ર હોવાના રહસ્યમાં અત્યંત આંતરસૂઝપૂર્વકના અનુભવો આપ્યા. ઓશો એને આ રીતે વર્ણવે છેઃ ‘મારા બાળપણમાં મને તરવૈયા ગુરુ પાસે મોકલાવ્યો. તેઓ ગામમાં સૌથી સરસ તરવૈયા હતા અને હું કોઇ એવી વ્યક્તિના સંપર્કમાં કદી ના આવ્યો જે પાણીના આટલા ગહેરા પ્રેમમાં હોય. પાણી એમના માટે ઇશ્વર હતો. એમણે એની ભક્તિ કરી હતી – અને નદી એમનું ઘર હતી. સવારે વહેલા ત્રણ વાગ્યે તમે એમને નદીમાં જૂઓ અને રાત્રે તમે એમને નદી પાસે ધ્યાનમાં બેઠેલા પણ જૂઓ. એમની આખી જિંદગી નદીની સાથે રહેવાનો સરવાળો હતો.’
“જ્યારે મને એમની પાસે લાવવામાં આવ્યો—મારે કેવી રીતે તરવું એ શીખવું હતું-એમણે મારી સામે જોયું, એમને કંઇક લાગ્યું. એમણે કહ્યું, ‘કેવી રીતે તરવું એ શીખવાનો કોઇ રસ્તો નથી. હું તને બસ પાણીમાં ફેંકી દઉં અને તરવું તો એમાંથી જ નીકળશે. એને શીખવાનો કોઇ માર્ગ નથી – એ શીખવી પણ શકાય નહીં. એ કુનેહ છે, જ્ઞાન નહીં.’ અને એમણે એ જ કર્યું – એમણે મને પાણીમાં ફેંક્યો અને તેઓ કિનારે ઊભા રહ્યા. બેથી ત્રણ વખત હું નીચે સરકી ગયો અને મને લાગ્યું કે હું લગભગ ડૂબી રહ્યો હતો. તેઓ ત્યાં ઊભા જ રહ્યા હતા. તેઓ મને બચાવવાનો પણ પ્રયાસ કરતા નહોતા! અને ચોક્કસ જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો. અને મેં મારા હાથ ફેંકવા માંડ્યા, ગમે તેમ, ઉતાવળા, ઉતાવળા પણ ધીમે ધીમે કુશળતા આવવા માંડી. જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો – અને જ્યારે પણ તમે કંઇ સમગ્રતાથી કરો, ઘટના ઘટી જાય છે.” “હું તરી શક્યો! હું અચંબિત હતો! ‘ફરી વખત,’ મેં કહ્યું, ‘તમારે મને પાણીમાં નાખવાની જરૂર નથી, હું જાતે જ કૂદીશ. હવે મને ખબર છે કે શરીરની કુદરતી શક્તિ છે. આ તરવાનો પ્રશ્ન નથી. આ પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવવાનો પ્રશ્નન છે. એક વખત તમે પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવી લો છો પછી પાણી તમારું રક્ષણ કરે છે.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કેવી રીતે કર્યો, એ જાણવું રોચક બની રહેશે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 26, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.”
રજનીશ જે સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શકે છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો.
જો કે હજી વાત પુરી થઈ ન હતી અને ઘટનાક્રમ જારી હતો. ફેબ્રુઆરીની એક રાત્રે અચાનક પોલીસ આવી અને ૧૧ આશ્રમવાસીને લઈને જેલમાં પૂરી દીધા. આશ્રમના ટેલિફોનના વાયર કાપી નાખવામાં આવ્યા. સવારે પોલીસની વાન આવી. કથિત ‘ગેરકાયેદસર બાંધકામ ધરાવતા’ આ આશ્રમને તોડી નાખવા માટે, પણ ભલું થાય નગર યુવા કોંગ્રેસના નેતા બાબાસાહેબ બોરાડેનું જે આ તમાશો જોઈ રહ્યા હતા અને જાણી ગયા હતા. તેમણે જાહેરાત કરી કે ‘અમે તમારા માટે લડીશું’ પાછળથી આ ખોટા કામ માટે પૂનાના મેયરે તેમને મળીને તથા તેમને પત્ર લખીને માફી માગતાં કહ્યું કે “પૂના શહેરમાં તમારું સ્વાગત છે અને હું ઇચ્છું છું કે તમે હંમેશાં અહીં જ રહો.” અને આમ જ બન્યું. રજનીશે પોતાના છેલ્લા શ્વાસ આ જ પૂના શહેરમાં પોતાના કમ્યુનમાં લીધા.
આ દરમિયાન કમ્યુનનો વ્યાપ વધતો રહ્યો. તેની પ્રવૃત્તિઓ પણ પોતાની રીતે આગળ વધતી રહી પણ સૌથી ચિંતાજનક બાબત એ હતી કે, ઓશોનું આરોગ્ય સતત કથળતું રહ્યું હતું. ૧૯૮૭નો ઓક્ટોબર આવતા સુધીમાં તો તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ૧૯૮૭ની છઠ્ઠી નવેમ્બરે તેઓ પ્રવચન આપવા આવ્યા અને એ વખતે તેમણે પોતાના આરોગ્ય વિશે વિગતવાર વાત કરી હતી. એ પ્રવચનનો આ ભાગ માત્ર ઓશોની ગંભીર તબિયતની જ જાણકારી આપતો નથી, પરંતુ તેમની વિરુદ્ધમાં રચાયેલા કાવતરા તથા તેમ છતાં તેમની હિંમતનો પણ પરિચય આપે છે. ઓશોએ પોતાના આ પ્રવચનમાં કહ્યું હતું કે, “હવે ડો. અમૃતોને લાગે છે કે, મને ઝેર આપવામાં આવ્યું છે. કદાચ તેમણે મને એ તમામ છ જેલમાં ઝેર આપ્યું હતું. આ જ કારણ હતું કે તેમણે (અમેરિકા) મને જામીન આપ્યા ન હતા અને આ જ કારણ હતું કે છ કલાકની મુસાફરી ૧૨ દિવસમાં પૂરી કરવામાં આવી. આ એક ધીમે ધીમે ઝેર આપવાની રીત હતી જેથી મારું તરત જ મૃત્યુ થાય નહીં, જેથી ધીરે ધીરે હું નબળો પડતો જાઉં અને તેનાથી જ હું નબળો પડી ગયો છું.”
“અમેરિકાની જેલમાં ગાળેલા એ ૧૨ દિવરાના સમયગાળા પછી જ મારી ઊંઘ ઊડી ગઈ છે. શરીરમાં એવું ઘણું બધું થાય છે જે પહેલાં ક્યારેય થતું ન હતું. ભૂખ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી, ખોરાકમાં સ્વાદ લાગે નહીં, પેટમાં ગરબડ રહેવી, શ્વાસ રૂંધાવો, ઊલટી-ઉબકા આવવા, તરસ લાગવી. એક એવી લાગણી થવી કે જાણે મૂળમાંથી જ કાંઈક ઉખડી ગયું હોય. નર્વસ સિસ્ટમમાં પણ લાગતું હતું કે કાંઈક અસર થઈ ગઈ છે. ઘણીવાર આખા શરીરમાં ઝણઝણાટી આવી જતી હતી જે એટલી તીવ્ર હોય છે કે બંને હાથ અને પગમાં ખેંચ આવી જાય છે.”
“જે દિવસે હું જેલમાં પ્રવેશ્યો, એ દિવસે મારું વજન ૧૫૦ પાઉન્ડ હતું. આજે મારું વજન માત્ર ૧૦૦ પાઉન્ડ છે. મારો ખોરાક એવોને એવો જ છે પણ કોઈ કારણ વિના વજન ઘટી રહ્યું છે અને એક સૂક્ષ્મ નબળાઈ ઘર કરી ગઈ અને ત્રણ મહિના પહેલાં મારા જમણા હાથના હાડકામાં દર્દ શરૂ થઈ ગયું. આ તમામ લક્ષણ ઝેરનાં છે. મારા વાળ ઘટી રહ્યા છે, મારી દ્રષ્ટિ નબળી પડી ગઈ છે, મારી દાઢી સફેદ થઈ ગઈ છે. જેવી ૭૫ વર્ષના મારા પિતાની હતી. અમેરિકાએ મારા જીવનનાં લગભગ ૨૦ વર્ષ આંચકી લીધાં છે”.
“ડોક્ટર અમૃતોએ તરત જ તમામ ડૉક્ટરોને જાણ કરી જેઓ મારા સંન્યાસી હતા. તેમણે તમામને કહ્યું કે, તેઓ વિશ્વના તમામ ઝેર નિષ્ણાતોનો સંપર્ક કરે અને મારા ડોક્ટર્સમાંથી એક ડોક્ટર ધ્યાન યોગી તરત જ મારા લોહી અને વાળના નમૂના લઈને ઈંગ્લેન્ડ અને જર્મનીના નિષ્ણાતોને મોકલવા માટે રવાના થઈ ગયા.”
“યુરોપના તમામ નિષ્ણાતોનું માનવું છે કે, બે વર્ષ પછી શરીરમાં ઝેર શોધી કાઢવું શક્ય નથી પરંતુ તમામ લક્ષણ પરથી ખ્યાલ આવે છે કે ચોક્કસપણે ઝેર અપાયું છે.”
આમ છતાં ઓશોનાં પ્રવચનો જારી રહ્યાં. તેઓ થાક્યા હતા પણ હાર્યા ન હતા. ક્યારેક તો તેમનાં પ્રવચન લાંબાં ચાલતાં હતાં પણ આખરે ક્યાં સુધી આ બધું શક્ય બને, શરીરનું પણ પોતાનું વિજ્ઞાન હોય જ છે ને? અંતે ૧૯૮૯ની ૧૦મી એપ્રિલ એ દિવસ બની ગયો જ્યારે ઓશોએ પોતાનું છેલ્લું પ્રવચન આપ્યું. તેમના આ અંતિમ પ્રવચનના અંતિમ શબ્દો હતા. ‘જેને તમે ઓશોનો અંતિમ સંદેશો પણ કહી શકો છો કે “યાદ રાખો કે તમે બુદ્ધ છો –સમ્માસતિ.”
ઝેર તો ઝેર જ હોય છે. ઝેરે પોતાની અસર હવે દેખાડવા માંડી હતી. હવે પોતાના શિષ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે લાંબા પ્રવચન કરવાની રજનીશની સ્થિતિ ન હતી. તેમનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું, થાકી રહ્યું હતું, તેમના બાવડામાં બળ રહ્યું ન હતું અને એટલો દુ: ખાવો થતો હતો કે તેમને હલાવવા કે અહીથી ત્યાં ખસેડવા પણ શક્ય ન હતું પરંતુ તેઓ ગમે તેમ કરીને ૧૯૯૦ની ૧૬મી જાન્યુઆરીએ તેમના પૂના આશ્રમના બુદ્ધા હોલમાં આવ્યા અને અહીંથી પોતાના શિષ્યોને અંતિમ દર્શન આપ્યા.
બીજા દિવસે એટલે કે ૧૭ મી જાન્યુઆરીએ ડૉ. અમૃતોએ આવીને ઓશોના એ સંદેશાની જાહેરાત કરી કે ઓશો હવે આવીને માત્ર “નમસ્તે” જ કહેશે. દેખીતી વાત હતી કે આ જાહેરાત ઓશોની તબિયત લથડતી હોવાનો પુરાવો હતો. ૧૮મી જાન્યુઆરીએ તો તેમણે સંદેશો પણ મોકલી દીધો કે “તેમની હાજરીનો એવો જ અનુભવ કરાશે જાણે કે તેઓ અહીં જ છે.” આ સંદેશાથી તમામ સંન્યાસીઓના ચહેરા પર ચિંતા પ્રસરી ગઈ. ઊંડી ચિંતા પ્રસરી ગઈ. બધા સમજી ગયા હતા પણ મૌન હતા અને અંદરથી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે સૌ સારાં વાનાં થઈ જાય.
અને પછી આવી એ છેલ્લા દિવસની છેલ્લી ક્ષણ. જ્યારે ધરતી નામના ગ્રહ ઉપર ૫૯ વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી આ વિદ્રોહી, ક્રાંતિકારી અને પોતાની રીતના એક અનોખા સંતે અહીંથી કાયમ માટે વિદાય લઈ લીધી. ૧૯૯૦ની ૧૯મી જાન્યુઆરીએ સાંજે ૫.૦૦ વાગ્યાનો સમય અને સ્થળ પૂનાનો આશ્રમ. જયારે લોકો ઓશોનાં દર્શન માટે એકત્રિત થયા તો ડો. અમૃતો આવીને આ કડવા સત્યની જાહેરાત કરે છે કે “ઓશો હવે આપણી વચ્ચે રહ્યા નથી”. માત્ર આ શબ્દોએ ઓશોના ૫૯ વર્ષને સમેટીને તેની સમાપ્તિની જાહેરાત કરી દીધી.
શરીર છોડતા અગાઉ ઓશોએ જયેશને બોલાવીને કહ્યું કે “આનંદો મારું માધ્યમ હશે.” ઓશોએ નિવેદન આપ્યું હતું કે તેમણે પોતાના સંન્યાસીઓને મૃત્યુ ઉપર ઉત્સવ મનાવવાનું શીખવ્યું છે એ જ રીતે મારા મૃત્યુનો પણ ઉત્સવ મનાવવો.
પરિણામે પહેલાં તો તેમના મૃતદેહને દસ મિનિટ માટે બુદ્ધા હોલમાં ઉત્સવ માટે લાવવામાં આવ્યો અને પછી ભવ્ય સરઘસ સાથે સ્મશાને લઈ જવાયો જયાં આખી રાત ઉત્સવ મનાવાયો. ૨૧મી જાન્યુઆરીએ ઓશોનાં અસ્થિ તેમની સમાધિ સુધી લાવવામાં આવ્યાં. આ સમાધિ ચ્યાંગત્સુ ઓડિટોરીયમમાં છે. જેને તેમના બેડરૂમમાં બદલી નખાયો હતો. હવે આ સમાધિ સ્થળે મૌન—ધ્યાન ધરવામાં આવે છે.
રજનીશના મૃત્યુ અગાઉથી જ કેટલીક ઘટનાઓને જોઈને લાગે છે કે, રજનીશ ને પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. છ મહિના પહેલાં જ તેમણે પોતાની સમાધિ બંધાવી હતી. મૃત્યુના નવ મહિના અગાઉ તેમણે પ્રવચન આપવાનું બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે “મારા વિના જીવતાં શીખો.” ત્યાં સુધી કે તેમણે પોતાના પુસ્તકાલયમાં જઈને પોતાના પુસ્તકો ઉપર શીર્ષકો લખ્યાં, જેવા કે “થોડીવાર પોકાર કરીશ અને પછી ચાલ્યો જઈશ” અને “અહીંથી નીકળ્યો તો વિચાર્યુ કે સલામ કરતો જાઉં“ વગેરે…
મૃત્યુના એક દિવસ અગાઉ તો ઓશોએ પોતાની નિકટના અમૃતો અને જયેશને સ્પષ્ટ કહી દીધું હતુ કે “બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.” અને તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે “દસ મિનિટ માટે મને બુદ્ધા હોલમાં લઈ જવો અને પછી સીધો સ્મશાને અને ત્યાં લઈ જતાં પહેલાં મને ટોપી અને મોજા પહેરાવી દેવા.”
ઓશો વિશે પણ તેમણે કહ્યું હતું કે “મૃત્યુ પછી પણ હું મારા લોકો વચ્ચે અત્યારે છું એટલો જ હાજર રહીશ પણ એ તેમની ઉપર આધારિત છે તેથી હવે હું ધીરે ધીરે તેમની દુનિયામાંથી વિદાય લઇ રહ્યો છું જેથી હવે તેઓ પોતાના બળ પર ઊભા રહે.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“અમે બાર થી સોળ કલાક કામ કરતા હતા. સવારે છ થી સાંજે છ સુધી ને વચ્ચે બે કલાકનો વિરામ રહેતો.”
સ્વામી: હું શિકાગોની કૉલેજમાં ડિરેક્ટર હતો. પણ સાન ફ્રાન્સિસ્કોમાં શ્રી અરવિંદના ભક્ત ડૉ. હરિદાસ ચૌધરી હતા. એમણે એક ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું હતું. એમના નિધન પછી એમના પત્ની તે સંભાળતાં હતાં. એમને એક એકેડેમિક ડીનની જરૂર હતી. એમણે મારો સંપર્ક કર્યો અને એ પદ માટે મને બોલાવ્યો. તેથી હું શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવ્યો. 1976થી 1979 સુધી ત્યાં રહ્યો.
1979માં પૂનાથી સંદેશો આવ્યો કે, ભગવાન તમને પૂના બોલાવે છે. મેં એ સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને 1979માં પૂના આવ્યો અને 1981 સુધી ત્યાં રહ્યો. 1981માં ઓશો અમેરિકા જવા રવાના થયા. એમને બેક પેઇનની તકલીફ હતી તે માટે અમેરિકામાં સારી સારવાર મળે એમ હતું. ઓશોએ એ વખતે ત્રણ જાહેરાત કરી. એક, પોતે મૌનમાં જશે. તેઓ દોઢ–બે વર્ષ સુધી મૌનમાં રહ્યા. બીજું, સંન્યાસ – દીક્ષા અને દર્શન નહીં આપે. ત્રીજું, હવેથી મા યોગ લક્ષ્મી, હું અને ત્રીજા એક સંન્યાસી હતા એ ત્રણ જ – દીક્ષા આપશે. આવી જાહેરાત કરીને તેઓ અમેરિકા જતા રહ્યા. મને તો કશી ખબર નહોતી કે દીક્ષા આપવામાં શું કરવાનું? દીક્ષા આપતી વખતે હું ઊભો થયો અને ઓશોની તસવીરને પગે લાગીને મેં તેઓ કરતા હતા એ રીતે કર્યું. ઓશોએ તે જાણ્યું ત્યારે કહેલું કે તમે કરો છે એ રીતથી હું ખુશ છું. 1981માં હું પૂનામાં રહ્યો પછી કેલિફોર્નિયા જતો રહ્યો.
રજનીશપુરમ્ 1981માં બન્યું. હું 1982થી 1985 સુધી રજનીશપુરમ્ ખાતે રહ્યો. 64,000 એકર જમીન હતી. તેમાં એક ઘાસનું તરણું નહોતું. ત્રણ વર્ષમાં અમે સૌએ મળીને આખું નગર ત્યાં વસાવ્યું. એમાં મોલ પણ બનાવ્યો. 50 ગાય, 25 ભેંસ હતી. ખેતી કરી, બગીચા બનાવ્યા. આખું રજનીશપુરમ્ ઊભું કર્યું. તેમાં એર રજનીશ પણ હતું, જેમાં તેર એરપોર્ટ હતા. અમે 12 થી 16 કલાક કામ કરતા હતા. સવારે છ થી સાંજે છ સુધી તો કરતા જ હતા. વચ્ચે બે કલાકનો વિરામ રહેતો. ઓશોને ડ્રાઇવ કરવાનો બહુ શોખ હતો. તેઓ ડ્રાઇવ પર નીકળતા અને અમે બધા ઊભા રહીને જોતાં રહેતાં. તેઓ નીકળી જાય પછી ફરી અમે કામે લાગી જતા. કદી થાક, ફરિયાદ, વ્યથા નહોતી. એવી રીતે કામ કરતા ઓશોએ શીખવ્યું હતું. જેને જે જોઇએ એ મળી રહેતું હતું. પૈસાની લેવડદેવડ વિના બધું ચાલતું હતું. દાન પર બધું જ નભતું હતું. ખાવા-પીવાનું, કપડાં વગેરે જરૂરિયાતની વસ્તુઓ મફત મળી રહેતી. ક્યાંક પૈસા આપવાના નહોતા. એ બધો ખર્ચ દાનમાંથી નીકળતો હતો. તેમાં ચારસો જેટલા વિભાગો હતા. દરેકની મુખ્ય વ્યક્તિ એક સ્ત્રી હતી. આ રીતે, ઓશોએ બે સ્તરે કામ કર્યું. એક કે, સ્ત્રીમાં પણ બધી ક્ષમતા છે, તેનો સ્વીકાર થયો. બીજું, પુરુષના અહંકારને દૂર કર્યો.
ઓશોએ કહ્યું એ રીતે કર્યું છે. એનું ઉદાહરણ આપું કે – ઓશોએ મને એક અનુવાદનું કામ સોંપ્યું હતું. મેં મૃત્યુ શીખાતા હૂં – એનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યો હતો. એ કામ કરતા થાકી જતો ત્યારે એમ થતું કે બહાર એક ચક્કર મારીને આવું. ત્યારે મારું ધ્યાન ગયું કે – મોલ પાસે સંન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું કે કેમ બધા નાચે છે? તો કહે – આજે આપણે હાઇકોર્ટમાં કેસ હારી ગયા છીએ, એટલે નાચીએ છીએ. આવું એક વાતાવરણ ઓશોએ ઊભું કરેલું કે જ્યાં કેવળ પ્રેમ, આનંદ, ઉત્સવ અને સહયોગથી સૌએ સાથે રહેવાનું હતું. અમે એમાં જીવતા હતા.
મારું એક ઉદાહરણ આપું. મને ગાર્ડ તરીકે કામ સોંપેલું, જેમાં સિક્યુરિટીનું કામ હતું. અમારી ચારે બાજુ ખૂબ શત્રુ હતા. અમારા જાહેર રસ્તા પર એ લોકો ગાડી પર ગન રાખીને નીકળતા. ગમે ત્યારે અમને શૂટ કરી નાખી શકે. એટલે અમે પણ તાલીમ લેતા હતા. મેં પણ ત્યાં શૂટિંગની તાલીમ લીધી હતી. તેઓ અમારા ચારને મારી નાંખે તો અમે પણ એમના ચારને મારી શકીએ એમ છીએ – એવું અમે એ લોકોને દેખાડતા હતા. કદી ગોળી ચલાવી નહોતી પણ હું બંદૂક લઈને એ કામ કરતો હતો. ત્યાં એક નદી હતી. એની બીજી બાજુ બીજા લોકોની હદ હતી. નદી પાર કરીને ઓશોને મારવા કોઈ ન આવી જાય એ માટે ત્યાં ગાર્ડ તરીકે મારે કામ કરવાનું હતું. નદી કિનારે એવી ઠંડીમાં આખી રાત જાગતા રહીને કારની અંદર હીટર ચાલુ કરીને, એક ધાબળો ઓઢીને બેસી રહીને મારે ચોકી કરવાની હતી. સાંજે સાતથી સવારે સાત સુધી હું એ કામ કરતો. એમ ત્રણ સપ્તાહ સુધી મેં એ કાર્ય કર્યું. કહેવાનો આશય એ છે કે જે કામ હોય એ અમે આનંદ, ઉત્સાહ, પ્રેમથી કરતા હતા.
એક ઘટના એવી ઘટી કે – રજનીશપુરમ્ શહેરને કાયદેસર બનાવવા 180 અમેરિકન નાગરિકોની સહીની જરૂર હતી. તો એ માન્યતા મળે. એ ક્યાંથી લાવવા? આમ તો ત્યાં વિશ્વભરના પાંચ હજાર સંન્યાસી રહેતા હતા. ગુરુપૂર્ણિમા, ઓશોના જન્મદિને 30-35 હજાર સંન્યાસીઓ દુનિયાભરમાંથી આવતા હતા. એમની બધી જ ઉત્તમ વ્યવસ્થા થતી હતી. પણ અહીં તો 180 અમેરિકનની જરૂર હતી. તો એવો વિચાર આવ્યો કે શેરીમાં રહેતા જેને આપણે ભિખારી કહીએ છીએ એમને લેતા આવીએ અને એમની સહી મેળવી લઈએ, તો કાયદેસર થઈ જાય. આ માટે અમે કામે લાગ્યા.
હું ન્યૂયોર્ક એક બસ લઈને પહોંચ્યો. ત્યાં ડાઉન ટાઉનમાં રસ્તે રહેલા લોકોને અમે ખાવા-પીવાનું આપ્યું. એ રીતે એમની સાથે વાત કરી અને ઓરેગન સ્ટેટમાં રજનીશપુરમ્ ખાતે ત્રણ હજાર માઇલ દૂર આવવાનું કહ્યું. તો એ લોકોને શંકા જતા ખાઈ-પીને ભાગી ગયા. હું એમના નાયકને મળ્યો અને બધી વાત કરી. એણે પૈસા માગ્યા એ આપ્યા. એણે બધાને તૈયાર કર્યા. બીજા દિવસે 55 લોકો અમારી સાથે બસમાં આવ્યા. એમાંથી દસ-બાર લોકો શિકાગોમાં ઉતરી ગયા. ચાર દિવસ અને ત્રણ રાતનો એ પ્રવાસ હતો. છેવટે રજનીશપુરમ્ પહોંચ્યા. એ રીતે બીજી પણ બસો હતી. એમ લગભગ પાંચેક હજારને અમે બધા લઈને આવ્યા. એમાંથી 1500 તો ત્યાં જ રહી ગયા. એ લોકોએ સહી કરી અને રજનીશપુરમ્ શહેર કાયદેસર બન્યું.
એકવાર રજનીશપુરમ્ ખાતે ઓશો એકલા બેઠા હતા અને મને સામે બેસાડીને 45 મિનિટ સુધી એમણે મારી સાથે શિક્ષણ-પદ્ધતિ વિશેના એમના વિચારો અંગે વાત કરી હતી. તેઓ પ્રૅક્ટિકલ શિક્ષણમાં માનતા હતા.
ઓશો રોજ ડ્રાઈવ પર નીકળતા. એક જાહેર રસ્તો હતો. એમાં ખૂબ ખાડા-ખબડા હતા. અમે વિચાર્યું કે રોડ બનાવીએ. તેના નિષ્ણાતોને બોલાવીને અમે શીખ્યા. એ રીતે બધા અમે સંન્યાસીઓએ ભેગા થઈને 22 માઇલનો રસ્તો બનાવ્યો, જેથી ઓશોની કાર સડસડાટ જતી રહેતી. અમે બોજ વિના, આનંદથી એ બધું કાર્ય કરતા હતા, જે જીવનમાં કદી કર્યું નહોતું.
પછી ખ્રિસ્તીઓએ અમારો વિરોધ કર્યો. પ્રેસિડેન્ટ રેગન સાથે મળીને પોપે ષડયંત્ર કર્યું. ઓશો અને અમારે ત્યાંથી નીકળવું પડ્યું. ઓશોની એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. એમને એક પછી એક 12 જેલમાં લઈ ગયા. ત્યાં જમવામાં એમને ઝેર આપવામાં આવતું હતું. ઓશો 1985માં ત્યાંથી બહાર નીકળીને વિશ્વમાં ઘણા સ્થળોએ જઇને અંતે 1987માં ફરી પૂના આવ્યા અને ત્યાં રહ્યા. હું 1985માં કેલિફોર્નિયામાં આવી ગયેલો. ત્યાં હું ફૂલ વેચવાનું કામ કરીને કમાણી કરતો હતો.
1989માં ઓશોનો સંદેશો આવ્યો કે બધું મૂકીને અહીં આવો, મોડું થઈ રહ્યું છે! બધું છોડીને હું પૂના જતો રહ્યો. 1989માં પૂના આશ્રમે પહોંચ્યો ત્યારે ઓશોએ કહ્યું કે, હવે આ જ તમારું ઘર છે. આ તમારો પરિવાર છે. અહીં જ રહો. કશે જવાનું નથી. ઓશોના ચરણ સ્પર્શ કર્યા ત્યારે એમણે કહ્યું કે – મારા કાર્યમાં સંપૂર્ણપણે ડૂબી જાવ. તમારા માટે વધુ જન્મ નથી. ઇનફ ઇસ ઇનફ! પછી હું ત્યા જ રહ્યો. ઓશો મલ્ટિવર્સિટીમાં મને કામ સોંપ્યું હતું. ઓશોએ 1990માં શરીર છોડ્યું. એ સમયે હું ત્યાં જ હતો. એમણે શરીર છોડતા પહેલા ચાર લોકોના નામ એમને કાંધ આપવા કહેલા એમાંથી એક નામ મારું હતું. મેં ઓશોને કાંધ આપી છે. વિશ્વભરમાંથી લોકો ત્યારે એકઠા થયેલા. 1990 પછીથી મારો પ્રવાસ દુનિયાભરમાં ચાલ્યા કર્યો.
ઓશોની ગીતા પ્રવચન શ્રેણી અમદાવાદમાં હતી. કોઈએ કહ્યું કે, તમે ગીતાનું ગહન અધ્યયન કર્યું હશે. તો ઓશો કહે – ના, મેં થોડા પાનાં વાંચ્યા અને મને થયું કે આ તો મારે કહેવું છે તે જ છે. તેઓ કોઈ પણ પુસ્તક હાથમાં લે તો સ્કેન થઈ જતું અને એમના મગજમાં એ સચવાઈ જતું. ત્રણ હજારથી વધુ એમણે ધ્યાનની વિધિઓ આપી છે. ઓશોએ જીવન નિષ્ઠાની પરંપરા આપી છે. બોધપૂર્વક હોવું અને જીવવું એ ઓશોએ શીખવ્યું છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 10, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો.!!”
આપણે હવે સ્વામી શ્રી સત્યવેદાંતજીને બરાબર ઓળખીએ છીએ. તેઓ પાસેથી ઓરેગોન સ્ટેટમાં રજનીશપુરમના નિર્માણની દિલધડક રોમાંચક કહાની સાંભળીને આશ્ચર્ય ચકિત થયા છીએ. એ સ્વામી શ્રી સત્યવેદાંતજીને પૂછ્યું કે,
પ્રશ્ન: આપે રજનીશપુરમના નિર્માણમાં આટલો મહત્વનો રોલ ભજવ્યો અને ઓશોએ આપને દીક્ષા આપવા સુધી આત્મીય ગણ્યા તો એક વાત જાણવી છે કે, આપ ઓશોના પરિચયમાં ક્યારથી આવ્યા અને ઓશોમય કેવી રીતે બની ગયા??
સ્વામી: ‘ભગવાન મહાવીર મેરી દૃષ્ટિ મેં’ – વિશે પહેલીવાર મેં ઓશોને સાંભળ્યા હતા. ત્યારથી જ મને થયું કે મારે ઓશોને મળવું છે. 1974માં શિકાગોની કૉલેજમાં નોકરી લીધી. પૈસા ભેગા કર્યા વિના પૂના કેવી રીતે જઈ શકું? એટલે એ વર્ષ ત્યાં રહીને કમાણી કરીને પછી 10 જાન્યુઆરી, 1975માં શિકાગો છોડીને પૂના આવ્યો.
સ્ટેશન પાસેની એક લૉજમાં સામાન મૂકીને હું આશ્રમમાં ગયો. ઓશો હજુ 1974માં જ મુંબઈથી પૂના શિફ્ટ થયા હતા. એટલે આશ્રમમાં બધું ગોઠવાતું હતું. મા યોગલક્ષ્મી ઓશોના સેક્રેટરી હતાં, એમની સાથે મારે અગાઉ શિકાગોથી પત્ર વ્યવહાર થયેલો. મેં એમને કહ્યું કે હું શિકાગોથી ભગવાનના દર્શન કરવા આવ્યો છું. તેઓ કહે નક્કી નહીં, દર્શન થાય કે નહીં. કાલે સવારે છ વાગે આવો, સક્રિય ધ્યાન કરો અને નવ વાગે ઓશો પ્રવચન કરશે એ સાંભળજો.
મને ખૂબ નિરાશા થઈ કે આટલે સુધી આવ્યો છું અને દર્શન થશે કે કેમ? ઠંડી ખૂબ હતી એટલે સવારે છ વાગે તો જઈ ન શક્યો. નવ વાગે પ્રવચનમાં ગયો. લાઓત્સે ખંડની ગેલેરીમાં 30-35 શિષ્યો બેઠા હતા. તે વખતે ઓશોએ કબીર પરની વ્યાખ્યાનમાળા ચાલુ કરી હતી. એમણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો. ખબર નહોતી કે શા માટે રડવું આવતું હતું ! ઓશો ક્યારે ઊઠીને જતા રહ્યા એનો પણ મને ખ્યાલ નહોતો રહ્યો. દોઢ કલાક પછી હું ઊભો થયો. પછી બહાર હું ચક્કર લગાવતો હતો ત્યારે મને ઑફિસમાં બોલાવ્યો. મને કહ્યું કે આજે સાંજે દર્શન થઈ શકશે. લાઓત્સે ખંડમાં પહોંચી જજો, ત્યાંથી કોઈ અંદર લઈ જશે. અને ઓશોના દર્શન થશે.
11 જાન્યુઆરીની સાંજે ખંડમાં ગયો. ઓશો આવીને ખુરશી ઉપર બેસે. લોકો આવે અને આજુબાજુ બેઠા હોય. મને ઓશોના પગ પાસેની જગ્યાએ બેસાડ્યો. ઓશો આવ્યા અને મા લક્ષ્મી પણ બેઠાં હતાં. બધાના ખબરઅંતર પૂછતા-પૂછતા ઓશો આવ્યા. બે બહેનોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ આપ્યો. પછી મારા પર નજર પડી. એમનો મધ જેવો મીઠો અવાજ, જેનું વર્ણન હું કરી જ નહીં શકું. રેશમ જેવા કોમળ અવાજમાં મને પૂછ્યું કે – આપ કો કુછ કહેના હૈ? મેં કહ્યું – હું શું કહું? મને તો ખબર જ નહીં કે શું થઈ રહ્યું છે! હું તો ફક્ત દર્શન કરવા ગયેલો. ખબર નહીં કેમ હું ચીસ પાડીને રડવા લાગ્યો અને મોટેથી બોલવા લાગ્યો કે – ભગવાન હવે મને કદી છોડતા નહીં! ઓશોએ કહ્યું કે – હું તમને કદી નહીં છોડું. હું તમારી સાથે જ રહીશ. શિકાગોમાં પણ તમારી સાથે રહીશ. બધું મારા ઉપર છોડી દો. કશી ફિકર કરો નહીં.
હું 45 વર્ષ ઓશો સાથે રહ્યો. એ દરમિયાન જ્યારે-જ્યારે મેં એમના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારે એક જ વસ્તુ બને કે, હું કશું કહેવા જાઉં અને તેઓ એમ જ કહે – બધું મારા ઉપર છોડી દો, કશી ફિકર કરો નહીં – બસ એમ જ હંમેશાં કહ્યું છે. કદી મને કશું કહેવા દીધું નથી.
પછી હું બેસી ગયો. શ્વેત વસ્ત્રો બરોબર રહેશે? એમ મને પૂછ્યું. ઓશો શ્વેત વસ્ત્રોમાં દીક્ષા આપતા હતા. કેમ કે, લોકો કામકાજ કરતા હોય એટલે ભગવા પહેરવાનું અનુકૂળ ન આવે. શ્વેત વસ્ત્રોમાં દીક્ષિત થયાં હોય તે પુરુષને સાધુ અને સ્ત્રીને ‘સાધ્વી’ નામ આપતા હતા. એ રીતે મારું પહેલું નામ ‘સાધુ’ સત્યવેદાંત છે. પછી મને કહે – તમારે જલદી ભગવામાં આવવું પડશે. ત્યારે ખબર પડે કે તમે સંન્યાસી છો કે નહીં! આમ, ઓશોએ મને સંન્યાસની દીક્ષા આપી સાથે માળા પહેરાવી અને સર્ટિફિકેટ આપ્યું. પછી મને કહ્યું કે પાંચ દિવસ પછી ફરીથી મને મળવા આવો. ત્યારે કોઈ નવું ધ્યાન આપીશ.
આ મારું પહેલું દર્શન હતું. હું ત્રણ દર્શનની વાત કરવાનો છું.
ધ્યાનના દસ દિવસના કેમ્પ ત્યારે યોજાતા હતા. હું ત્યાં હતો એટલે મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે મારે કોઈ પ્રદાન આપવું છે. મેં કહ્યું કે ઓશોના અંગ્રેજી પ્રવચનોનો હિન્દીમાં અનુવાદ કરવાનો વિચાર મને આવે છે. અને મેં ગીતા પરના ઓશોના પ્રવચનના અનુવાદ કર્યા. કદાચ એ અનુવાદ ભગવાન સુધી પહોંચ્યા હોય એમ મને લાગ્યું. કારણ કે, પાંચ દિવસ પછી ગયો ત્યારે એમણે પહેલા જ મને કહ્યું કે, “તમે અનુવાદ ખૂબ સરસ કર્યો છે. હવે તમારું એ જ કાર્ય રહેશે. મારા પ્રવચનોનો અંગ્રેજીમાંથી હિન્દી અને હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદ કરો. અને મારા ઉપર એક પુસ્તક લખો. એ 350 પાનાંનું હોવું જોઇએ. એ તમારે અમેરિકામાં પ્રકાશિત કરવાનું છે.” એમ મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી. એમની પાસે એક નેપ્કિન કાયમ હોય. એ નેપ્કિન આપીને મને કહે – આ તમારી પાસે રાખો. તમને બહુ તકલીફ થાય ત્યારે આ નેપ્કિન હૃદય પર રાખીને સૂઈ જજો. પણ વધારે વાર એવું નહીં કરતા અને તેને કદી ધોવાનું નથી.
પછી મને કહે, વેદાંત પરમ દિવસે જે પ્રાર્થના-ધ્યાન કર્યું હતું એ કરીને દેખાડો. મેં ગોઠણભેર બેસીને ધ્યાન શરૂ કર્યું અને મારું શરીર હલવા મંડ્યું અને હું ધ્યાનમાં ઊંડે સરી ગયો. ઓશોનો દૂરથી અવાજ આવ્યો કે – “કમ બેક. બહુ સરસ રહ્યું. બહુ જલદી ઊંડાણમાં જતા રહ્યા. આવી જાવ હવે!” હું ભાનમાં આવ્યો ત્યારે તેઓ ઊઠીને ચાલ્યા ગયેલા. આ મારું બીજું દર્શન.
ત્રીજું દર્શન મારે પાછા જવાનું હતું એ વખતે થયું.
મારા દસ દિવસ ત્યાં પૂરા થઈ ગયેલા. મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે, ઓશો સાથે એકાંતમાં વાત ન થઈ શકે? એમને પૂછી જુઓ. મને કહેવામાં આવ્યું કે તમે પાંચ વાગે સૌથી પહેલા પહોંચી જજો. એટલે એકલા વાત થશે. હું પાંચ વાગે પહોંચી ગયો. કોઈ આવ્યું નહીં. ત્યારે ધ્યાન શરૂ થતું હતું હું એમાં જઈને બેસી ગયો.
અચાનક જયંતીભાઈ મને બોલાવવા આવ્યા. હું ત્યાંથી ઊભો થયો અંદર ગયો. ત્યાં ખુરશી પર ઓશો બેઠા હતા. હું અંદર ગયો બે બાજુ દીવાલ હતી. એક બાજુની દીવાલ પર એક કપલ બેઠું હતું. એમની સાથે ઓશો વાત કરતા હતા. મને ઓશોએ કહ્યું કે વેદાંત આવો, બેસો. બીજી બાજુની દીવાલે હું બેસી ગયો.
કપલમાંથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમાંથી તેનો પતિ બચાવીને લાવેલો. ઓશો કહેતા હતા કે, તારે આત્મહત્યા જ કરવી હોય તો અહીં ચિતા તૈયાર કરીએ અને પછી બધા નાચતાં-ગાતાં ઉત્સવ કરીશું અને તું ચિતા પર ચડી જજે. મરવું હોય તો આમ મરવું જોઇએ. પછી અચાનક કહે – મરવું કેવી રીતે એ તો વેદાંત પાસેથી શીખવું જોઇએ. પછી એ મહિલાને કહ્યું કે, તને ખબર છે તે પાછલા જન્મમાં પણ આવું જ કર્યું હતું! તું ક્યારે બંધ કરીશ? પછી પતિને કહ્યું કે આને અહીં રહેવા દે. ધ્યાન કરશે અને સારું થઈ જાય પછી બોલાવી લેજે.
મેં ચરણ સ્પર્શ કર્યા. કશું બોલવા ગયો તો કહે – બધું મારા ઉપર છોડી દો. મને બધી ખબર છે.
હું શું કહું? મેં કહ્યું મારે જવું છે. તો કહે ક્યાં જવું છે? અહીં બેસી જાવ. પછી લોકો આવવા લાગ્યા. એ વખતે શિષ્ટાચારનો મારાથી ભંગ થયો. ઓશો કોઈ સાથે વાત કરે છે અને મેં વચ્ચે કહ્યું કે, મારે એક વાત કરવાની રહી ગઈ. એ કહે બોલો શું થયું, વેદાંત?
મેં કહ્યું હું છેલ્લે પાંચમા દિવસે આવેલો અને બેઠો હતો ત્યારે બંધ આંખે એવું દૃશ્ય દેખાયું કે કોઈ એક બોક્સ રાખેલું છે. તેમાં કશું છે અને એમાં પાણી છે. પાણીમાં એક માછલી તરે છે. એક હાથ એ દરવાજો ખોલે છે અને કહે છે કે – પાણી વિના માછલી ન રહી શકે, એમ ભગવાન વિના તું નહીં રહી શકે. ઓશો કહે, હા વેદાંત, એવું જ છે. એ સાથે જ હું અભાન અવસ્થામાં જતો રહ્યો. ભાનમાં આવ્યો ત્યારે ઓશો ક્યારે જતા રહ્યા એ મને ખ્યાલ રહ્યો નહીં.!!!
પછી તો હું શિકાગો જતો રહ્યો. ટ્રેનમાં, પ્લેનમાં રડતો જ રહેતો – ઓશોને હું એટલા બધા મિસ કરતો હતો. એ વખતે હું ઇનલેન્ડ પત્ર એમને લખ્યા કરતો હતો. દોઢ મહિના સુધી મેં એમને પત્રો મોકલ્યા પછી છેક એક જવાબ આવ્યો. હિન્દીમાં એક લીટી જ લખેલી – પ્રવાહ મેં બહતે હુએ સુખે પત્તે કી તરહ બહો. મારી યાત્રા એ રીતે શરૂ થઈ. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 2, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો અને જરાપણ સૂતો જ નહીં …!!!”
(આપણે સ્વામી શ્રી સત્યબવેદાંતજી સાથે સંવાદ માણી રહ્યા છે. તેઓ ન્યૂયોર્કથી પેલા ભિખારીઓને માંડ માંડ સમજાવીને બસમાં બેસાડીને નીકળ્યા છે.)
સ્વામી સત્ય વેદાંતજી: ન્યૂયોર્કથી આગળ પેન્સિલવેનિયા આવે, તો પેન્સિલવેનિયાથી નીકળતા હતા ત્યારે વરસાદ પડ્યો હશે તો રસ્તો ચીકણો થઈ ગયો હશે. ડ્રાઈવર ઘણા સારા હતા એટલે કોઈ ચિંતા નહોતી. પણ એક ગાડી હતી એણે બસની આગળ જવા માટે કોશિશ કરી તો બસ ડ્રાઈવરે બ્રેક લગાવી. એટલે અમારી બસમાં પાછળ બેઠેલા બધા એકબીજા ઉપર પડયા. ગુસ્સે થયેલા બધાએ ડ્રાઈવરનું ગળું પકડ્યું અને કહે કે, “તને મારી નાખીશું. ફરી જો આવું થશે તો તને મારી નાખીશું.” એને બહુ ગુસ્સો આવ્યો કે, તમે આવી રીતે ગાડી કેમ ચલાવી? મેં એમનો હાથ પકડી કહ્યું: ‘સર, માફ કરી દો એને પ્લીઝ…હવે નહીં થાય એવું…’ તો મને ન ધક્કો મારી દીધો. પુનિત ખૂણામાં બેઠો હતો એ આ બધું જોઈને આવ્યો જ નહીં…! મેં એમને કહ્યું, ‘પ્લીઝ…પ્લીઝ…માફ કરી દ્યો અમને, સોરી…સોરી…’ પછી શાંત થયા અને કહ્યું જો ફરી આમ થયું તો મારી નાખીશું. પછી એ બેઠા અને અમે બીજે દિવસે શિકાગો પહોંચ્યા. હવે વાત ફેલાઈ ગઈ કે આવી રીતે એક બસ જાય છે, એમાં આવા વિચિત્ર લોકો છે. અને ડ્રાઈવર સાથે આવી ઘટના બની છે. હવે કોઈ ડ્રાઈવર તૈયાર નહોતો અમારી સાથે આવવા… એમાં એવું થયું કે ૧૦ – ૧૨ લોકો એવા હતા જેને શિકાગો જવું હતું એ ત્યાં ઉતરી ગયા… અમે રાહ જોતા હતા અને એ ગાયબ થઈ ગયા. પછી સવાલ એ કે, હવે પહોંચવું કેવી રીતે? ડ્રાઈવર વગર આગળ કેવી રીતે પહોંચવું? કોઈ ડ્રાઈવર આવે નહીં. મેં અમારી બ્રાન્ચમાં ફોન લગાવ્યો વકીલને, તો એણે કહ્યું વેદાંત, ચિંતા ન કરો., ડ્રાઈવર આવશે. પછી એમણે શું કહ્યું એ ખબર નહીં પણ ડ્રાઈવર આવવા માટે તૈયાર થયો અને એ આવ્યો પછી બસ આગળ ચાલી. જેવી બસ આગળ ચાલી એવો એક માણસ ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો: દરવાજો ખોલો મારે બહાર જવું છે… દરવાજો ખોલો મારે ઉતરી જવું છે! અમે કીધું અહીં હાઈવે છે તું ઉતરીને ક્યાં જશે? તો કહે દરવાજો ખોલો નહિતર હું દરવાજો તોડી નાખીશ. મેં ડ્રાઈવરને કહ્યું અહીં નજીકમાં કોઈ બસ સ્ટોપ છે? તો એણે કહ્યું હા, જરા ફરીને જઈ શકાય. તો મેં કહ્યું જેવી રીતે હોય તું ત્યાં બસ લઈ જા… પછી બસ એ તરફ વાળી. રાત થઈ ગઈ હતી એટલી વારમાં તો એ માણસ તો સુઈ ગયો હતો … વચ્ચે એક રેસ્ટોરાં પાસે બસ લીધી. એને ઉઠાડયો કહ્યું આ તમારું સ્ટેશન આવી ગયું .. એ ગાળો આપતા આપતા નીચે ઉતર્યો. પેલા રેસ્ટોરાંવાળાને મેં પૈસા આપી વિનંતી કરી કે ભાઈ, આને ન્યુયોર્ક જવું છે તો એની બસમાં બેસાડી દેજે.
અમને કહેવામાં આવ્યું હતું કે એમને માત્ર વેજ જમવાનું આપવાનું. અમે એને ચિઝ સેન્ડવીચ આપતા હતા, પીનટ બટર સેન્ડવીચ આપતા હતા, બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ, લંચમાં સેન્ડવીચ, ડિનરમાં સેન્ડવીચ કોઈ પણ સમયે સેન્ડવીચ! ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો હતો અને જરાપણ સૂતો જ ન નહીં … હું કલ્પના નથી કરતો કે, હું ૩ રાત સુઈ શક્યો નહોતો. એ લોકો ક્યારે શું કરે એનો કોઈ ભરોસો નહોતો. અને ૪ દિવસ સેન્ડવીચ ખાઈને કોઈ પણ માણસ પાગલ થઈ જાય. પછી એ લોકોએ હોબાળો મચાવ્યો કે અમારે સેન્ડવીચ નથી ખાવી. અમે ઉતરી જઈએ. અમે એક રેસ્ટોરન્ટ પાસે ઉભા રહ્યા તો એને પણ ખબર પડી ગઈ કે આ બસ એ જ છે જેની ચર્ચા ચાલે છે એટલે એણે પણ ના પડી દીધી કે હું આ લોકોને અંદર નહીં આવવા દઉં. મેં આજીજી કરીને કહ્યું, તમે ડબલ પૈસા લઈ લો પણ આ લોકોને કંઈક જમવાનું આપો, એટલે આ લોકો શાંતિથી બેસે. એ માની ગયા અને જમવાનું આપ્યું તો એ બધાએ જે ખાવું હતું તે ખાધું ને નોનવેજ પણ ખાધું ને ફરીથી બસમાં બેઠા. હવે મારા પૈસા તો પૂરા થઈ ગયા. તો મેં ફોન કર્યો કે પૈસા પૂરા થઈ ગયા છે એટલે કહ્યું કે, ‘વેદાંત, ચિંતા ન કર. આગળના સ્ટેશને તને જોઈએ એટલા પૈસા મળી જશે. ત્યાંથી આગળ સ્ટેશને પહોંચ્યા તો એક સન્યાસી ત્યાં પૈસા લઈને આવ્યા. એ સન્યાસી તો મને દેવદૂત જેવા લાગ્યા… આ લોકોની ગાળો સાંભળીને અને એમના મોઢા જોઈને એટલો થાકી ગયો હતો કે જેવું એ સન્યાસીએ ‘વેદાંત’ એમ કહ્યું તો જાણે અમૃત વરસ્યું હોય એમ મને લાગ્યું અને હું જઈને એમને ભેટી પડયો. એણે મને કહ્યું ‘વેદાંત આ લે પૈસા તારી પાસે રાખ… આમ કરતા અમે ચોથે દિવસે રજનીશપુરમ પહોંચ્યા. અને સન્યાસીઓને કહ્યું હવે આને ઊતારો, સારા કપડાં પહેરાવો, નવડાવો અને કહો કે અહીં બાથરૂમ છે, અહીં રહેવાની વ્યવસ્થા અલગથી કરેલી છે. કહેવાનો અર્થ કે આ બધા ડિવાઈઝ છે જે માસ્ટરે મળીને બનાવ્યા છે. કુલ મળીને બધા સિટીમાંથી ૫૦૦૦ લોકો આવ્યા અને બધી વ્યવસ્થા જમવાનું, રહેવાનું બધું ફ્રી. પણ એ વાતાવરણમાં રહેવું એમના માટે બહુ મુશ્કેલ હતું કારણ કે તે તો રસ્તા ઉપર રહેતા હતા. તો છેલ્લે કુલ પાંચ હઝારમાંથી ૧૫૦૦ રહ્યા…અને બીજાને નહોતું જ રહેવું એમને અમે પૈસા આપ્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમે ટિકિટ માટે પૈસા આપી દીધા અને એ નીકળી ગયા….
પણ જ ૧૫૦૦ રહી ગયા એ બધામાંથી કોઈ ખેતરમાં કામ કરે છે, કોઈ બીજું કામ કરે છે અને પ્રેમથી રહે છે…. અશિક્ષિત લોકો છે, પણ કેટલા પ્રેમથી રહે છે…એ અમને અનુગ્રહિત થઈને કહે છે કે આટલું સન્માન કોઈએ નથી આપ્યું અમને, આટલો પ્રેમ કોઈએ નથી આપ્યો, ‘સર’ કહીને કોઈએ વાત જ નથી કરી અમારી સાથે, નામ લઈને કોઈએ બોલાવ્યા નથી, રસ્તા ઉપર કૂતરાની જેમ વ્યવહાર થતો હતો. પોલીસ મારતી હતી. સન્યાસીઓએ એ સૌને એટલો પ્રેમ આપ્યો કે ન પૂછો વાત! કારણ એ પંદરસો લોકો અમારા સાથીદાર બન્યા અને અમારા જીવનનો એક ભાગ બની ગયા! ઓશોએ આ અનુભવથી અમારામાં ‘ટ્રાન્સફોર્મેશન’ની શક્તિનો સંચય કર્યો…રજનીશપુરમ, ઓરેગોન એક અદ્વિતીય શહેર બન્યું અને ઓશોની ચેતનાએ વિશ્વ સમક્ષ એક અભૂતપૂર્વ ઉદાહરણ મૂકી આપ્યું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી.”. સ્વામી સત્ય વેદાંતજી દિલધડક કહાની વર્ણવે છે.
સ્વામી શ્રી સત્યવેદાંત જી: એક રસપ્રદ વાત કહું.
ઓશો ડ્રાઈવ પર નીકળતા ત્યારે ખાડાવાળો રસ્તો હતો તો અમને થયું એમને જર્ક લાગશે. આ તો સારી વાત નથી, ઓશોને કેટલી મુશ્કેલી પડે છે તો રસ્તો બનાવવો જોઈએ આપણે. એક્સપર્ટને બોલાવ્યા ને પૂછ્યું, રસ્તો કેવી રીતે બનશે? કઈ મશીનરી જોઇશે? એક્સપર્ટે કહ્યું તે બધું અમે જાણી લીધું અને કહી દીધું: ‘ઓકે, થેંક્યુ.’ ત્યારબાદ બધા મશીન આવી ગયા અને અમે બધાએ મળીને ૨૧ માઈલ નો રસ્તો બનાવ્યો. એવો રસ્તો સુંવાળો બનાવ્યો કે પાણીનો છલકતો ગ્લાસ લઈને ડ્રાઈવ કરો તો પણ ટીપું ન છલકાય! કોઈ ટીચર હતું, કોઈ ડોક્ટર, કોઈ વકીલ કોઈને ખબર નહોતી કે રસ્તો કેમ બનાવવો તો પણ અમે બનાવ્યો. એટલે કહેવાનો અર્થ એ છે કે અમારી અંદરની જે સર્જનાત્મક્તા છે એને ઘણો સારો મોકો મળ્યો. કોઈ પણ આવે એની પાસે કોઈ નવો વિચાર છે? કાંઈ કરવું છે? તો ચાલો, લાગી જાઓ, ચિંતા ન કરો સફળ થશો કે નહીં? તમે ખાલી કામે લાગી જાઓ. મેં કહ્યું એ મુજબ જુદા જુદા ૪૦૦ ડિપાર્ટમેન્ટ હતા. દરેક વ્યક્તિને એની ક્રિએટિવિટીને બહાર કાઢવાનો મોકો મળ્યો હતો. કોઈ નાનું કે મોટું ન હતું. અને બધા ડિપાર્ટમેન્ટની હેડ સ્ત્રીઓ હતી. ગમે તેવો પુરુષ હોય એને એ સ્ત્રી કહે કે ‘હમણાં હું ફ્રી નથી’ તો એ પુરુષે ચાલ્યા જવું પડે. એમ ન ચાલે કે ‘તું કોણ છે મને ના પાડે છે?’ એવું કશું નહોતું. એક સરેન્ડર હતું. ઓશો અને સદગુરુ સાથે જે કઈ થયું તે બધા ઉપાય હતા. એ બધા આપણને મેચ્યોર બનાવવા માટે થાય છે. એ માણસ માટે સ્ત્રી સામે સરેન્ડર કરવું એક ડિવાઈસ હતું. પુરુષ સ્ત્રી સામે સરેન્ડર ન કરે પણ અમને શીખવાનો મોકો મળ્યો કે અહીં સરેન્ડર જરૂરી છે. અલગ અલગ લેવલ પર બધાની ક્રિએટિવિટીને મોકો મળતો અને બધાની આંતરિક શક્તિ બહાર આવતી. અમને અમારા કૌશલ્યને બહાર લાવવાનો અને તેને એક ડિવાઈસ બનાવવો લ્હાવો મળતો હતો.
પ્રશ્ન: આપના કહ્યા પ્રમાણે ત્યાં કોઈએ કોઈ પણ કામ કરવાનું હતું ને?? આપના આવા કોઈ કામ અંગેના અનુભવ વર્ણવશો??
સ્વામીશ્રી: મારા બે અનુભવ હું તમને કહું. શીલા મને કહે કે મેસેજ આવે કે તમારે ચોકીદારી કરવાની છે તો મારે ચોકીદારી કરવાની. અમે બધા તૈયાર હતા કારણ એવું હતું કે જે સ્ટેટ ગવર્નમેન્ટ અને ફેડરલ ગવર્નમેન્ટ હતી એને અમે બિલકુલ પસંદ નહોતા. તેઓ અમને તોડવા અને ઉખાડીને ફેંકી દેવા પ્રયાસો કરતા હતા. ચર્ચ સાથે રોનાલ્ડ રેગનની મીલી ભગત હતી કે અમને અહીંથી ઉખાડવાના છે. અમને મેસેજ મળ્યો હતો કે સરકારે પેરામિલેટ્રીને સૂચના આપી હતી કે, જો રજનીશપુરમમાં થોડી પણ ગરબડ થાય, ઝઘડો થાય તો એ લોકોને શૂટ કરી દેજો. અમે મીડિયાને કહી દઈશું એની ચિંતા ન કરશો. તમે બસ શૂટ કરો… તો અમારે પણ એને બતાવવું હતું કે જો તમે મારી શકો છો તો અમે પણ મારી શકીએ છીએ. મેં શૂટિંગની ટ્રેનિંગ લીધી છે, ત્યાં જ રજનીશપુરમમાં જ! એક પણ ગોળી નથી ચાલી, પણ એને એ ખબર પડી ગઈ કે આ લોકો લડવા માટે પણ તૈયાર છે. ઘણી વાર અમે રોડ પરથી નીકળતા હતા ત્યારે એ બંદૂક રાખતા હતા અમને બતાવવા માટે કે અમે તમને મારી શકીએ છીએ. આ બધું અમે પૂરું જોતા હતા. વોકીટોકી વાપરીને કે… આ એક ગાડી આવી છે. આ એનો નંબર છે, બીજી પોસ્ટ ઉપર એ જોતા હોય, એ નોંધ કરે કે આ ગાડી આવી આ નંબર છે. આ રીતે આખું વ્યવસ્થિત તંત્ર હતું જે સૌ પર નજર રાખતું હતું. આવી રીતે મને ચોકીદારી કરવાનો મોકો મળ્યો.
એકવાર મને રાત્રે એક કામ આપ્યું. કે ત્યાં એક નદી હતી જેને બાઉન્ડરી હતી એની પેલી બાજુ રેન્ચર્સ હતા. રેન્ચના લોકો જે અમને પસંદ નહોતા કરતા. એ નદીથી આ બાજુ કોઈ ક્રોસ કરીને ન આવે તે માટે ત્યાં ધ્યાન રાખવું પડે તે મારું કામ હતું. હું સાંજે ૭ વાગે ગાડી લઈને નદીકિનારે પહોંચી જતો અને આખી રાત ત્યાં બેસીને ધ્યાન રાખતો કે ત્યાંથી કોઈ આવી રહ્યું નથી ને? ઠંડી અને બરફની વચ્ચે કંબલ ઓઢીને ત્રણ અઠવાડિયા મેં ચોકીદારી કરી.
પ્રશ્ન: સ્વામી, આનાથી પણ પડકાર રૂપ અને અતિ કઠિન લાગ્યું હોય તેવું કોઈ કામ??
સ્વામીશ્રી: તમે મને રોમાન્ચક વાત તરફ ખેંચી જઈ રહ્યા છો, ભદ્રાયુ. વધુ અઘરું કામ એ હતું કે રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી. અમારી પાસે ૧૮૦ અમેરિકન નાગરિક નહોતા. નાગરિક ૫૦૦૦ હતા પણ કોઈ ઇટાલિયન, કોઈ જર્મન, કોઈ ઈન્ડિયન હતા. પણ ૧૮૦ ક્યાંથી લાવવા? તો કોઈએ સૂચન કર્યું કે આ જે ભિખારી હોય છે એને લઈ આવીને સહી કરાવો. હું અને સંન્યાસી પુનિત અમને બંનેને ન્યુયોર્ક લઈ જવામાં આવ્યા. ત્યાં એક ફ્લેટ હતો. ત્યાં બધી વ્યવસ્થા હતી. ત્યાં અમારું કામ હતું એ ભિખારીઓને સમજાવીને બસ ભરીને રજનીશપુરમ લાવવાનું. કામ અઘરું હતું કારણ કોઈ ઓળખાણ નહીં, કોઈ દારૂ પીને પડયા હતા, કોઈ રોડ પર સુતા હતા, કોઈ ગાળો આપતા હતા. વાત કરવા જઈએ તો વાત ન કરે. અમે પૂછીએ, તમે અમારી સાથે ઓરેગોન આવશો? તો કહે ઓરેગોન કેટલે દૂર આવ્યું છે? તો મેં કહ્યું ૩૦૦૦ માઈલ્સ દૂર. એણે કહ્યું હું ૩૦૦૦ માઈલ્સ આવું??! હું અહીંથી ૩ માઈલ દૂર નથી જતો અને તમે ૩૦૦૦ ની વાત કરો છો? એ ગભરાઈ જતા હતા કે આ લોકોનું કોઈ રેકેટ ચાલે છે. પકડીને લઈ જશે ને કંઈક કરી નાખશે. અમારી વાત સાંભળીને ભાગી જતા હતા. તો મને થયું આ લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી? અમને થયું એના માટે ખાવાની વ્યવસ્થા કરીએ. અમે સેન્ડવીચ રાખી, ચીઝ સેન્ડવીચ, પીનટ બટર સેન્ડવીચ અને સોફ્ટ ડ્રિન્ક… અમને સૂચના હતી કે ખાવાની વસ્તુમાં ખાલી વેજ વસ્તુનો જ ઉપયોગ કરવો. નોનવેજ તો ખવડાવવાનું ન હતું. એટલે સેન્ડવીચ અને સોટ ડ્રિન્ક આપવામાં આવતું. અમે રસ્તા ઉપર આવી રીતે એક એકને ખવડાવીને one to one વાતચીત કરતા તો સાંભળી લેતા હતા કારણ એમને ખાવાનું મળતું હતું. વાત સાંભળીને બધું ખાઈ લેતા અને પછી જતા રહેતા હતા. અમને લાગ્યું કે આવી રીતે વાત બનશે નહીં. પછી કોઈએ કહ્યું કે એમનો એક દાદો છે, મોટો અને કાળો. એ જો કહે તો એની વાત માને. અમે એની પાસે ગયા અને કહ્યું, ‘સર, અમે તમારા મિત્રોને ઓરેગોન લઈ જવા માંગીએ છીએ.’ એ આપણી સામે જુએ નહીં. એની પાસે એક પોકેટ વોચ હતી એને એ જોવે. અમારી સામે ન જુએ. અમે એને કહ્યું, ‘સર, અમે આ બધાને ઓરેગોન લઈ જવા ઈચ્છીએ છીએ. અમે એમનું ધ્યાન રાખીશું. ખાવા – પીવાનું, કપડાં, રહેવાનું બધું જ અમે ધ્યાન રાખશું. એમણે ત્યાં કામ નથી કરવાનું. એને ખાલી રહેવાનું છે ત્યાં અમારા મહેમાન બનીને…’ તો એ કહે હા, મારો ફોટો લઈ લ્યો. અમારી પાસે કેમેરો હતો નહીં. તો મેં પુનિતને કહ્યું અને માર્કેટમાંથી કેમેરો લીધો અને એ દાદાનો ફોટો લીધો. તો એમણે કહ્યું કે, હવે મને ૫૦ ડોલર આપો, મારો ફોટો લેવાના…! આપ્યા પણ ને એણે કંઈક ઈશારો કર્યો અને બધા અચાનક તૈયાર થઈ ગયા. અમે કહ્યું ગુરુવારે ૫ વાગ્યે બસ આવશે ગ્રેહામ બસ… તો તમે તૈયાર રહેજો. બધા ગંદા કપડાં અને વાળ, મોઢામાંથી બદબૂ આવે. આવા બધા ચાલીને આવે છે ને બસમાં બેસે છે. લગભગ ૬૦ લોકો હતા. એક માણસ હતો એના હાથમાં પીંજરું હતું. એમાં એક પક્ષી હતું. એ પક્ષી અને પીંજરું લઈને અંદર આવ્યો ને પક્ષીને પૂછે છે: “હે બડી… તારે ઓરેગોન જવું છે? નથી જવું ઓરેગોન? નહીં? ઓકે….” એટલું કહી તે બસમાંથી ઉતરી ગયો…! સો ફન્ની!! પણ અમે શું કરી શકીએ મજબૂર હતા, રોકી તો શકીએ નહીં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 19, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓશોએ જેમને ઓશો મલ્ટીવર્સીટીના ચાન્સેલર નિમ્યા હતા તે સ્વામીશ્રી સત્ય વેદાંતજી રોમાંચક ઘટના નું વર્ણન કરે છે….
શ્રી સત્ય વેદાંત સ્વામી, આમ તો એ પૂર્વાશ્રમના ડો. વસંત જોષી, બે વખત Ph. D. કર્યું અને તે પણ શિક્ષણમાં!! વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી અને યુનિવર્સીટી ઓફ મિશિગન, યુ.એસ.એ. થી, એમનું કાર્યક્ષેત્ર ભારત અને અમેરિકા રહ્યું. વિશ્વ ઘુમ્યા અને અનેક પરિષદો તથા સંગોષ્ઠિમાં પ્રવચનો આપ્યા. તેઓના સદગુરુ શ્રી ઓશો. 1975 માં ખુદ ઓશોએ તેઓને સન્યાસ-દીક્ષા આપી અને ડો. વસંત જોશીનો ‘સ્વામી સત્ય વેદાંત’ ના નામથી નવો જન્મ થયો. ત્યારપછી સ્વયં ઓશોએ સત્ય વેદાંતજીને ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર પદે નિયુક્ત કર્યા.
ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે તે જવાબદારી સ્વામી સત્ય વેદાંતને સોંપી. બહુ ચર્ચિત અને વિશ્વના અદભુત સર્જન સમાં રજનીશપુરમ માટે અથાક પરિશ્રમ કરનાર શ્રી સત્ય વેદાંતજી ઓશોના નિર્વાણ પછી તેમના પાર્થિવ દેહને કાંધ આપનાર ચાર માંહેના એક હતા, કે જે નિયુક્તિ પણ ખુદ ઓશોએ પહેલેથી ઘોષિત કરેલ હતી. જીવનના નવમાં દશકમાં પણ સ્વસ્થતાથી આજે સત્ય વેદાંતજી સમગ્ર ભારતમાં ફરીને સદગુરુના સંદેશને વહેતો રાખવાનું અતુલ્ય કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રો ઓશોધામ, દિલ્હી ખાતે કેન્દ્રસ્થ રહીને પરિભ્રમણ કરે છે. ગુજરાત પ્રત્યે તેઓને બહુ લગાવ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ‘ઓશો ચેર’ શરુ કરવાનું શ્રેય પણ તેઓને જાય છે.
રજનીશપુરમ એક સ્વપ્ન છે કે જે હતું-છે અને હશે. તેના વિષે ઘણી વાતો ચેનલો પર ચર્ચાણી છે, પણ આજે સત્ય વેદાંત સ્વામી રજનીશપુરમના સર્જનની પરિશ્રમ–કથા વિષે વાત કરી રહ્યા છે. દિલ્હીના ઓશોધામ કોમ્યુનમાં સત્ય વેદાંતજી સાથે રહેવાનું મળ્યું અને તેઓશ્રી મુક્તવિહાર કરતા અમારાં ‘પ્રેમમંદિરે’ વસ્યા ત્યારે ત્યારે ઓશોની અનેક વિશિષ્ટતાઓ તેઓશ્રી પાસેથી એક ચિત્તે સાંભળવાનો લ્હાવો મળ્યો છે. મારી સાથેના તેઓના સંવાદમાંથી રજનીશપુરમની રસપ્રદ કહાની અત્રે પ્રસ્તુત છે:
પ્રશ્ન: સ્વામી, પ્રણામ. આપને અંતરથી જેનો અપાર આનંદ છે તે રજનીશપુરમની વાતો સાંભળવી છે. વિવાદની વાત નથી કરવી પણ તેનું નિર્માણ કે જે દુનિયા માટે એક અજાયબી જેવું છે તેમાં આપ સ્વયં સદેહે પૂરો સમય હતા. આપ અમને આપની પરિશ્રમ–કથા કહેશો??
સ્વામીશ્રી: “સ્ટ્રગલ ઘણી હતી, ઘણી એક્સાઈટિંગ અને અદભુત હતી, ત્રણ વર્ષ સુધી રજનીશપુરમમાં એ સુંદર વાતાવરણમાં રહ્યા એ આખી વાત કરવા બેસું તો આખો દિવસ નીકળી જશે. પણ હું એ કહાની સંક્ષેપમાં કહીશ.
રજનીશપુરમ ઓરેગોન સ્ટેટમાં. શીલાએ જઈને જમીન ખરીદી હતી. ૬૪૦૦૦ એકર, ૧૨૬ માઈલ્સ, ઘાસ નું એક પત્તુ નહોતું. પુરેપુરી બંઝર જમીન. અને એ જમીન એણે ખરીદી લીધી હતી. એ વખતે ઓશો ન્યુયોર્કમાં કમ્મર દર્દની ટ્રીટમેન્ટ માટે હતા. એ ત્યાં જ હતા એટલે એને નિવેદન કરવામાં આવ્યું હતું કે તમે અહીં આવી જાઓ કદાચ તમારી સહીની જરૂર પડી જાય એટલે. એક અદભુત પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો હતો! કોઈને ખબર નહોતી કે શું થવાનું છે પણ ૫૦૦૦ સંન્યાસીએ મળીને ૩ વર્ષમાં એક શહેર ઊભું કર્યું અને તે પણ માત્ર ત્રણ વર્ષમાં… બંજર જમીન પર અમે ખેતી કરી, કેટલાક પ્રયોગો કર્યા, ઈકોલોજિકલ પ્રયોગ કર્યા, રીક્રીએશન પ્રયોગ કર્યા, ફળ ફૂલ ઉગાડયા, ડેમ બનાવ્યો, મકાન બનાવ્યું. અમારી રજનીશપુરમ પોસ્ટ ઓફિસ હતી. અમેરિકાના મેપમાં એક સીટી હતું જેનું નામ ‘રજનીશપુરમ’ હતું. અમારું પોતાનું ફાયરબ્રિગેડ હતું અને ત્યાં ૫૦૦૦ સંન્યાસી રોજ ૧૪ કલાક કામ કરતા હતા. સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી!! વચ્ચે બે કલાક મળતા હતા, તો ઓશો લંચ લઈને જયારે ડ્રાઈવ પર નીકળતા હતા કારણ એમને ડ્રાઇવિંગનો બહુ શોખ હતો, એ વખતે અમે સડક ઉપર ઉભા રહેતા અને પ્રણામ કરતા હતા અને ઓશો જતા રહે પછી અમે ફરી કામ પર લાગી જતા હતા. બધા પોતપોતાને સોંપેલું કામ કરતા હતા. ત્યારે ચારસો ડિપાર્ટમેન્ટ્સ હતાં! ઓશો માત્ર વિઝન આપતા કે શું કરવાનું છે? પછી કેવી રીતે કરવું, કોણ કરશે એ બધું અમે, શીલા અને એની સાથે જે આસિસ્ટન્ટ કામ કરતા એનું કામ હતું. અને સૌએ એ કામ ખુબ સારી રીતે કર્યું. ત્રણ વર્ષમાં શહેર ઊભું કરવું એ કંઈ નાની વાત નથી. અમારી પાસે અમારું એરપોર્ટ હતું, ‘એર રજનીશ’ નામની ૧૩ ફ્લાઇટ હતી. કોઈ વસ્તુની કમી નહોતી. આપ બોલો અને તે ત્યાં હતું. મોલ પણ હતો, કેશલેસ સોસાયટી હતી. જેમ કે લંચ કરવું હોય, જમવું હોય તો જમી લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! કોઈ પૈસાની લેવડદેવડ નહોતી. ઠંડી લાગે છે? જેકેટ જોઈએ છે? તો મોલમાં જઈને જેકેટ લઈ લેવાનું, સારું લાગ્યું જેકેટ તો લઈ લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! ના કોઈ ટેગ જોવાનો, ના પૈસાની ચિંતા… જે જોઈએ તે લઈ લેવાનું…. Everything belongs to everyone, there is no personal property, યુટોપિયા જેવી સ્થિતિ હતી ત્યાં!
કોઈ વસ્તુ પર કોઈની માલિકી નહોતી બધી વસ્તુ બધાની હતી. લોકો ૧૪ કલાક કેટલી ખુશીથી કામ કરતા હતા, નાચતા, ગાતા, રમતા, કોઈ બોજ નહીં, કોઈ જબરજસ્તી નહીં કે અરે કેટલું કામ છે… એક મજાની વાત હતી કે બધાને અલગ અલગ કામ સોંપવામાં આવતું. કોને શું કરવાનું એ નક્કી ન હોય તમે ડોક્ટર પણ હો તો પણ કહેવામાં આવે કે ટોયલેટ સાફ કરવાનું કામ છે તો તમારે કરવાનું. ક્લિનિકમાં જરૂર નથી તો કિચનમાં સબ્જી કાપવાનું કામ કરવાનું. જે સમયે જે જરૂર હોય તે કરવાનું. નાના મોટાનો તો સવાલ જ નહોતો, કારણકે અમે બધા સન્યાસી હતા. બધા ઓશોના પ્રેમી હતાં.
પ્રશ્ન: સ્વામીશ્રી, ત્યાંનો માહોલ તો મુક્ત અને મસ્ત જ હશે ને??
સ્વામીશ્રી: હું તમને કહું ભદ્રાયુ, એકવાર હું ઓશોના વ્યાખ્યાન ‘મેં મૃત્યુ સિખાતા હૂં ‘નો અનુવાદ કરતો હતો. મારી સામે સ્વામી આનંદ બેઠા હતા. એ ‘જીનખોજા તીન પાઈયાં ‘નો અનુવાદ કરતા હતા. એ મને પૂછે, હું એને પૂછું એમ અમે સાથે મળીને અનુવાદ કરતા અને સહજતાથી એ વિચારતા અને કહેતા કે આ શબ્દનો અનુવાદ ઓશો અંગ્રેજીમાં કેવી રીતે કરશે? …
એક વાર હું એ કરતો હતો એટલામાં હું થાક્યો અને થયું હું જરા આંટો મારીને, રિલેક્સ થઈને આવું. તો બહાર નીકળીને જોયું તો મોલની સામે સન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું: શું થયું? કેમ નાચી રહ્યા છો? તો કહે, આજે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા! કોઈ ફર્ક નથી પડતો હારી ગયા તો હારી ગયા, નાચવાનું તો બને જ છે… અને બીજે દિવસે જીતીને આવ્યા તો પણ નાચી લેવાનું. અમારી પાસે ૧૩ એટર્ની હતા, જર્મન, કેનેડિયન, ઈન્ડિયન, ઈટાલિયન, અમેરિકન, બ્રિટિશ એવા ૧૩ અને બધાએ લાઈસન્સ લીધું હતું. કોર્ટમાં દલીલ કરી શકે. કારણ કે અમે બધું કાયદેસર કરી રહ્યા હતા બિનકાયદેસર કશું જ નહોતું. કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની તૈયારી પણ હતી. અમારી પાસે ડોક્ટર હતા, વકીલ હતા, એન્જીનીયર હતા. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 12, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેઓએ કહ્યું કે, “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલું જે મેં કર્યા જ નથી.”
એક દિવસ રજનીશ પોતાના મિત્રને ત્યાં આરામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ જ એરેસ્ટ વોરંટ વિના તેમની ઘરપકડ કરી દેવાઈ. તેમને ૧૨ દિવસ સુધી અમેરિકાની છ જેલોમાં રખાયા અને અલગ અલગ પ્રકારની તફલીફો, યાતનાઓ આપવામાં આવી. અમેરિકાના તમામ શિષ્યો અને વકીલ એ વાતથી દંગ હતા કે શા માટે ઓશોને જામીન અપાતા નથી. જયારે ખૂની અને હત્યારાઓને પણ જામીન અપાય છે. આ દરમ્યાન જેલમાં ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું જે ધીમે ધીમે અસર કરે છે અને મોડેથી થયેલી તપાસમાં એ વાતને સમર્થન પણ મળ્યું કે, રજનીશના જીવનનો અંત આ ઝેરને કારણે આવ્યો હતો. જેલમાં રજનીશને રેડિયેશનમાંથી પણ પસાર કરાયા હતા.
જેલમાં ઘકેલ્યા પછી રજનીશ ઉપર એકસો છત્રીસ જેટલા મનઘડંત આક્ષેપો લગાવવામાં આવ્યા. રજનીશના શિષ્યોમાં કેટલાક વકીલો હતા. તેઓ સરકારની મેલી મુરાદ જાણી ગયા હતા. તેમણે અનુમાન લગાવ્યું કે ઓશોના જામીન મંજૂર થશે નહીં અને આ મામલે દસ વર્ષ અથવા વીસ વર્ષ સુધી દલીલબાજી ચાલતી રહેશે. અમેરિકામાં ઓશોના જીવનનું પણ જોખમ હતું. આવી પરિસ્થિતિમાં એવો ઉપાય વિચારવામાં આવ્યો કે ૧૩૬માંથી રજનીશ કોઈ પણ બે ગુના કબૂલી લે તો તેમને જામીન મળી જાય અને તેઓ અમેરિકાની બહાર નીકળી જાય.
ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેમનું કહેવુ હતું કે “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલુ જે મેં કર્યા જ નથી.” પરંતુ તેમના શિષ્યો પગે પડી ગયા અને વિનંતી કરવા લાગ્યા કે અમને તમારી હાજરીની જરૂર છે. શિષ્યોની વિનંતી સામે ઓશો ઝુકી ગયા અને બે ગુના કબૂલી લીધા. પહેલો એ કે અમેરિકામાં તેમણે ઘણા શિષ્યોનાં બનાવટી લગ્નો કરાવ્યાં હતાં. બીજો ગુનો એ હતો કે તેઓ અમેરિકામાં કાયમી વસવાટનો ઈરાદો ઘરાવતા હતા અને મજાની વાત એ છે કે આ બંને ગુના માટે ઓશો ઉપર ૬૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જે આ ગુનાઓને જોતાં ઘણો વધારે હતો પરંતુ તેમના શિષ્યો માટે વધારે નહતા. શિષ્યોએ ગણતરીની મિનિટોમાં ૬૦ લાખ રૂપિયા જમા કરાવી દીધા. આમ ૧૯૮૫ની ૧૭મી નવેમ્બરે ઓશો ભારત આવી પહોચ્યા. અહીં હજારો ભારતીય સંન્યાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. પત્રકાર પરિષદ બાદ તેઓ પોતાના પ્રિય સ્થળ મનાલી પહોંચી ગયા.
રજનીશે આવી જ વિશાળ મશાલ પ્રગટાંવી હતી જેને કારણે તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધું ત્યારે ના થયું જ્યારે રજનીશ તેમના વિરોધીની આંખમાં કણાની માફક ખૂંચતા હતા પંરતુ ત્યારે થયું જ્યારે તેઓ ફકત સાત વર્ષના બાળક હતા. તેમની સાથે બે વખત આમ બન્યું. બીજી વખત તેમના નોકર ભુરાએ હવામાં ગોળીબાર કરીને અપહરણકારોને ભગાડી મૂક્યા ત્યારે બન્યું હતું.
જે લોકોએ રજનીશની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમાંની એક વ્યક્તિ પાછળથી તેમની સંન્યાસી બની ગઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે રજનીશ મુંબઇમાં વુડલેન્ડના પોતાના રૂમમાં એકલા જ લોકોને સંન્યાસ લેવડાવતા હતા. ઓશોએ જ્યારે એ વ્યક્તિને પૂછ્યું કે “તું મને શા માટે મારવા માગતો હતો? તું મને તેનું કારણ જણાવી દે તો હું અત્યારે જ શ્વાસ લેવાનો બંધ કરી દઈશ.” આ સાંભળીને તે સંન્યાસી રજનીશના પગમાં પડી ગયો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેણે એટલું જ કહ્યું કે “હું શું કહું ? કહેવા માટે કાંઈ નથી, હું પાગલ થઈ ગયો હતો.”
એવું ન હતું કે મૌખિક રીતે જ ઓશોનો વિરોધ થતો હતો. ઘણી વખત તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા. એ તો આપણે જોઇ ચૂક્યા છીએ કે તેમના મૃત્યુનું કારણ પણ ઝેર જ હતું. જે સોક્રેટિસના મૃત્યુનું પણ એક કારણ હતું. જો કે આપણે ઓશોના જ વિચારોને આધાર બનાવીએ તો કહી શકીએ છીએ કે લગભગ તમામ બુદ્ધ પુરુષોએ સાચી વાત કહેવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. બુદ્ધ પાછળ પાગલ હાથી દોડાવાયો હતો. ઈસા મસીહને શૂળીએ ચડાવી દેવાયા હતા, તો સરમદ અને મનસુરની ગરદન કાપી નખાઈ હતી. જ્યાં સુધી સોક્રેટિસનો સવાલ છે ત્યાં સુધી તેમનું મૃત્યુ તો ઝેર પીવાને કારણે થયું હતું. ફરક એટલો હતો કે સૉક્રેટિસ જાણતા હતા કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે જ્યારે રજનીશ જાણતા ન હતા.
રજનીશના વિરોધનો પ્રારંભ ત્યારથી થઈ ગયો હતો જ્યારથી તેમણે જાહેરમાં બોલવાનું શરૂ કર્યુ. ૧૯૬૬ માં ફરીદાબાદના એક સર્વધર્મ સંમેલનમાં તો તેઓ શંકરાચાર્ય સામે સીધા જ ટકરાઈ ગયા હતા. પરિણામે તેમની ઉપર હુમલો કરવા માટે ત્રણ ગુંડા મોકલવામાં આવ્યા. કહેવાય છે કે, જૈન સમાજ ઉપર ઓશોની સરખામણીએ પોતાનો પ્રભાવ ઘટેલો જોઈને એક જૈન મુનિએ ઓશોના પ્રવાસ દરમિયાન તેમની હત્યા કરવા માટે ચાર ગુંડા મોકલ્યા હતા. ૧૯૬૯ની ૧૩મી ફેબ્રુઆરીએ વડોદરામાં વિશાળ જનમેદનીમાંથી કોઈ વ્યકિતએ ઓશો તરફ જૂતાં ફેંક્યાં હતાં જેની સામે રજનીશે જવાબ આપ્યો હતો કે “વ્યકિતએ ચંપલ ફેક્યું છે તેનો અર્થ એ છે કે તે મને કાંઈક કહેવા માગે છે. હું તેને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું છું અને તે મને તર્કમાં હરાવી દે તો હું મારી હાર કબૂલી લઈશ. તેમણે પોતાનું એક ચંપલ ફેંક્યુ છે તો સ્ટેજ પર બીજુ ચંપલ પણ ફેંકે અથવા આ ચંપલ પાછું લઈ જાય જેથી તેનો યોગ્ય ઉપયોગ તો થઇ શકે.”
૧૯૬૯માં જ પટણામાં… બીજું હિન્દુ ધર્મ સંમેલન થયું ત્યારે ઓશોએ હિન્દુ ધર્મનાં વર્ણ અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કરતાં પુરીના શંકરાચાર્ય ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા. ઓક્ટોબર ૧૯૭૦માં ઓશો ધ્યાન શિબિર માટે અમૃતસર ગયા તો ઘણા લોકોએ તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા. ‘રજનીશ મુર્દાબાદ’ ના નારા પણ લગાવવામાં આવ્યા પણ ત્યાંના કેટલાક લોકોએ આ દેખાવકારોનો વિરોધ કર્યો તો તેઓ ભાગી ગયા.
૧૯૮૦ની ૨૨મી મેએ ઓશો ઉપર જીવલેણ હુમલો થયો. એ વખતે તેઓ બુદ્ધ હોલમાં પ્રવચન આપી રહ્યા હતા. તેમની સામે એક વ્યક્તિએ છૂરો ફેંક્યો હતો પરંતુ તે નિશાન ચૂકી ગયો અને રજનીશ બચી ગયા.
મુંબઈ પહોંચ્યાના બીજા દિવસથી ઓશોએ પોતાના દૈનિક પ્રવચન શરૂ કરી દીધા અને મીડિયામાં પણ તેમની મુલાકાતો પ્રકાશિત થવા લાગી. ઓશો અહીં લગભગ પાંચ મહિના રહ્યા અને સતત સરકારના દબાણ તથા કેટલાક અસામાજિક તત્ત્વોની ધમકીનો સામનો કરતા રહ્યા અને અંતે ૧૯૮૧ પછી ૧૯૮૭ની ચોથી જાન્યુઆરીએ ફરીથી પોતાના એ શહેરમાં આવી ગયા જયાં તેમણે પોતાના સૌપ્રથમ પ્રસિદ્ધ આશ્રમની સ્થાપના કરી હતી અને જે શહેર આજે પણ એક રીતે રજનીશના નામનો એક પર્યાય છે. આ શહેર છે પૂણે જેને લોકો વાતચીત અને બોલચાલમાં પૂના કહે છે.
રજનીશ સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શક છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 5, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“લગ્ન જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને પ્રેમ કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.” ઓશો
ઓશો માટે નોંધવા જેવી બાબત તો એ છે કે ઓશોએ પરિવાર નામની સંસ્થાની ટીકા કરી પણ તેનો અનાદર કર્યો નથી. ટીકા એટલા માટે કરી કે તે વ્યકિતની સ્વંતત્રતાને કચડી નાખે છે અને તેમણે ગૃહસ્થ સંન્યાસની વાત કરી તેનો અર્થ એ કે તેમણે પરિવારને સ્વીકાર્યો છે. આ જ રીતે રજનીશે સ્ત્રી-પુરુષના એકમેકના સંબંધોમાં પ્રેમ મહત્વનો માન્યો, લગ્ન નહીં. તેઓ લગ્નને એક એવું કર્મ માનતા હતા જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને તેમની નજરમાં પ્રેમ એવું તત્ત્વ છે જે કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.
રજનીશના આશ્રમમાં મોટાભાગના પશ્ચિમી લોકો રહેતા હતા. તેમની જીવનશૈલી અપેક્ષા કરતાં વધારે ઓપન હોય છે. ગોરા સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ કથ્થઇ રંગના વરત્રોમાં આશ્રમમાં ફરતાં હતાં અને શહેરમાં પણ નીકળતાં હતાં. આ બધું જોઈને રજનીશના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે રજનીશના પૂના આશ્રમ અને ધ્યાન શિબિરમાં નગ્ન રહેવાય છે અને ખુલ્લેઆમ સેક્સની સવલત મળી રહે છે.
પરિણામ એ આવ્યું કે ઓશો હવે ઘર ઘરમાં ઉપેક્ષિત વ્યક્તિ બની ગયા. તેમનું ‘સંભોગ સે સમાધિ તક’ એકલું પુસ્તક જ નહિ પણ અન્ય પુસ્તકો પણ વાત્સ્યાયનના કામશાસ્ત્રની માફક નિષેધરૂપ થઈ ગયાં. એટલે સુધી કે રજનીશનું નામ લેવું એ પણ ચરિત્રહીનતા ગણાવા લાગી. જેઓ રજનીશના વિરોધી હતા તેમાંના ૯૯ ટકા લોકો એવા હતા જેમણે કયારેય રજનીશને વાંચ્યા કે સાંભળ્યા ન હતા અને કયારેય રજનીશને મળ્યા ન હતા, પરંતુ આ રાજકારણની વાત હતી પછી તે સત્તાનું રાજકારણ હોય કે ધર્મનું રાજકારણ બધા રજનીશનો વિરોધ કરતા હતા અને તેમને તો બસ વિરોધ જ કરવો હતો.
રજનીશની પોતાની જીવનશૈલી પણ પ્રભાવશાળી અને ઐશ્વર્યપૂર્ણ હતી. તેમના પૂના આશ્રમની ભવ્યતા જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે તેઓ વૈભવશાળી છે. આ ઉપરાત અમેરિકામાં પશુઓને રહેવાના સ્થળ રેંચને જે રીતે એક આલિશાન સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યું તેને કારણે રજનીશને અમીરોના ગુરુ નહીં પણ ‘અમીર ગુરુ’ તરીકે ઓળખવામાં આવ્યા. રજનીશપુરમ્ પાસે બધું જ પોતાનું હતું. તેમની પાસે પોતાનું એરપોર્ટ અને પોતાનું જ વિમાન હતું અને એ પણ પાંચ-પાંચ વિમાન. રજનીશપુરમ્માં ઓશો પાસે ૯૦ જેટલી રોલ્સ રોયસ કાર હતી. જોકે રજનીશે એમ જાહેર કર્યુ કે “એ તમામ કાર કમ્યુનની હતી. તેઓ માત્ર એક કલાક માટે જ મને આપે છે.” તેમણે ૯૦ રોલ્સ રોયસની જોગવાઈ કરી લીધી છે અને ૩૬૫ કાર રાખવાની ક્ષમતા ધરાવે છે.” આ રજનીશપુરમ્ ૧૨૬ ચોરસ માઇલમાં ફેલાયેલું હતું અને તેના જેવું વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને એશ્વર્યનગર ભાગ્યે જ ક્યાંય જોવા મળતું હતું.
સાથે સાથે એવું બન્યું કે રજનીશના શિષ્યોમાં સૌથી મોટી સંખ્યા પશ્ચિમી દેશોના લોકોની હતી જેમની પાસે ધનની કોઈ કમી ન હતી. ભારતમાં પણ ઘણા ધનવાનો તેમની તરફ આકર્ષાયા હતા. ખાસ કરીને જ્યારે ફિલ્મી દુનિયાના લોકો તેમની સાથે જોડાયા તો તેને કારણે રજનીશનું સેક્સ ગુરુ હોવાની વાત ભારતમાં વધારે પ્રસરી ગઈ અને તેમને અમીરોના ગુરુ માની લેવામાં આવ્યા.
રજનીશની આલોચનાત્મક શક્તિ માત્ર વાતોમાં જ વ્યક્ત થતી ન હતી પરંતુ ભાષામાં પણ વ્યક્ત થતી હતી. તેઓ પાખંડ અને પાખંડીઓ સામે જે ભાષાનો પ્રયોગ કરતા હતા તેનાથી લોકો ગુસ્સે થાય તે સ્વાભાવિક હતું. ખાસ કરીને બે વ્યક્તિઓની ટીકાએ રજનીશને સૌથી વધારે હેરાન કર્યા. પહેલો રાજકારણી વર્ગ અને બીજો ધાર્મિક વર્ગ. તેમની ટીકાની લપેટમાં માત્ર દેશના સૌથી આદરણીય મહાત્મા ગાંધી જ આવ્યા ન હતા પરંતુ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ તેમની લપેટમાં આવી ગયા હતા. આ કારણે રાજકારણીઓ તેમની વિરુદ્ધમાં બહાર આવ્યા અને તેમની પાસે ટેકેદારોની લાંબી ફોજ હતી. પરિણામે રજનીશ સામે એક ષડયંત્રકારી અભિયાન શરૂ થઇ ગયું.
૧૯૮૧ની ૩૧મી મેએ રજનીશ અમેરિકા જવા ચોક્કસપણે રવાના થયા હતા પરંતુ તેનું કારણ તેમનું આરોગ્ય હતું. અત્યાર સુધીમાં ઓશોને સ્લીપ ડિસ્ક અને અસ્થમાની તકલીફ ઘણી વઘી ગઈ હતી. લાંબા સમય સુધી ટ્રેનના પ્રવાસ કરવા, ગામડે ગામડે ફરવું, અલગ અલગ હવામાનમાં રહેવું અને સતત વ્યસ્ત રહેવાને કારણે આ બંને બીમારીએ વિકારાળ સ્વરૂપ લઈ લીધું હતું. તેમને સુંગધ, ધૂળ અને તીવ્ર ગંધની એલર્જી થઈ ગઈ હતી અને આ એલર્જીને કારણે ઉઘરસ, છીંક, શરદી અને અંતે અસ્થમાનો એટેક પણ આવી જતો હતો. તેઓ આખી રાત સૂઈ શક્તા ન હતા અને શ્વાસ લેવામાં પણ તકલીક પડતી હતી.
આ રજનીશપુરમાં વિવિધ દેશોના લગભગ પાંચ હજાર સંન્યાસીઓ એક સાથે રહેતા હતા અને એ તમામ માટે એક જ રસોડું હતું. અહીં બધા જ માલિક હતા અને બધા નોકર હતા. આ નગર આત્મનિર્ભર હતું. તેઓ પોતાની જરૂરિયાતની ચીજો જાતે જ પેદા કરતા અને જો વધારે હોય તો નજીકના પોર્ટલેન્ડ શહેરમાં જઈને વેચી આવતા. તમામ ચીજો પોતાની માલિકીની હતી. સમ્રગ રજનીશપુરમ્ સેન્ટ્રલી એ.સી. અને કમ્પ્યુટરાઇઝડ હતું. ત્યાં પાંચ એરપોર્ટ હતાં. ત્યાં ઉત્સવ તો સતત ચાલતો જ રહેતો હતો. લોકો ગાતાં-ગાતાં, નાચતાં-નાચતાં, અને મસ્તી કરતાં કરતાં કામ કરતાં હતાં. હકીકત તો એ છે કે આ એક સ્વપ્નનગરી હતી જે કલ્પનાના સ્વર્ગ જેવી હતી.
ઓશોને અમેરિકાની આબોહવા માફક આવી ગઈ. ત્યાં ના હવામાનમાં ઓશોની અસ્થમાની બીમારીમાં સુધારો થવા લાગ્યો. આવામાં અમેરિકન અનુયાયીઓએ નિર્ણય લીધો કે રજનીશને હવે અમેરિકામાં જ રાખવા જોઈએ. ઓશોએ પણ આ વિનંતીને યોગ્ય માની. કારણ કે તેમના જ શબ્દોમાં “આ ચાર વર્ષ દરમ્યાન મને ક્યારેય અસ્થમાનો એટેક આવ્યો નથી નહિતર લગભગ દર અઠવાડિયે ત્રણ-ચાર વખત એટેક આવતા હતા.” આ ઉપરાંત સ્લીપ-ડિસ્ક માં પણ ઘણો ફરક પડી ગયો અને અમેરિકામાં ફરીથી તેઓ કાર ચલાવવા માંડ્યા.
આ દરમિયાન ઓશોના પ્રવચન જારી રહ્યાં અને ધ્યાનની દીક્ષા પણ જારી રહી. તેઓ બોલવામાં કડવા હતા. ખ્રિસ્તી ઘર્મમાં પ્રેમ જેવાં તત્ત્વોની પ્રશંસા કરવાની સાથે સાથે તેમણે ઘણી બધી બાબતોની ટીકા કરવા માંડી. તેમણે પાદરીઓને પણ છોડ્યા નહીં. પરિણામે ચર્ચ અને ખાસ કરીને કેથોલિક ચર્ચમાં તેમનો વિરોધ થયો. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન હતા. તેઓ કેથોલિક ખ્રિસ્તી હતા. અમેરિકન ચર્ચોએ દેશની સત્તા ઉપર દબાણ લાદવાનું શરૂ કરી દીધું કે રજનીશને દેશમાંથી હાંકી કાઢવામાં આવે. કારણ કે ચર્ચના પાયા નબળા પડી ગયા હતા. ચર્ચની તાકાત જોઈને રેગન સરકાર માટે તેમની માંગણી નજરઅંદાજ કરવી શક્ય ન હતી. પરિણામે અમેરિકન સરકાર સક્રિય બની ગઈ.
રજનીશ ટૂરિસ્ટ વિઝા લઈને અમેરિકા ગયા હતા અને તેની મુદ્દત લંબાવતા રહેતા હતા. હવે તેમણે અમેરિકામાં રહેવાનો નિર્ણય કરી લીધો હતો. રજનીશે ઈમિગ્રેશન ઑફિસમાં વિનંતી કરી. આ ઓફિસ મંજૂરી આપવામાં વિલંબ કરતી હતી અને એવો ખુલાસો કરતી હતી કે ઓશોએ આ દેશમાં પ્રવાસી તરીકે પ્રવેશ કર્યો હતો પરંતુ પ્રારંભથી જ તેમનો ઇરાદો અહીં કાયમ માટે રહેવાનો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓશો એક ધાર્મિક નેતા હોઇ શકે નહિ કેમ કે તેઓ મૌનમાં છે. તેમણે રજનીશના ઘણા શિષ્યોને સંન્યાસી માનવાનો ઈન્કાર કરી દીધો હતો, કેમ કે ઓશોએ તેમાંથી ઘણા લોકોનાં લગ્ન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અમેરિકા ગયા પછી ઓશો ત્રણ વર્ષ સુધી મૌન રહ્યા હતા અને ૧૯૮૪ની ૩૦મી ઓક્ટોબરે તેમણે મૌન તોડ્યું હતુ. એ પછી તેઓ દરરોજ સાંજે પોતાના નિવાસે જ એક નાનકડી સભાને સંબોધતા હતા. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“એ વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે.” ઓશો
હવે ઓશોએ સંન્યાસની એક નવી અને મૌલિક પરિભાષાની જાહેરાત કરી. તેમણે કહ્યું “મારા માટે સંન્યાસ એટલે ત્યાગ નહીં પણ આનંદ છે. સંન્યાસ એ એક ઉપલબ્ધિ છે. સંન્યાસીનો આત્મા સ્વતંત્ર છે આ માટે સંન્યાસ કોઇ મર્યાદા કે બંધન નથી. તેના માટે સંન્યાસ એ કોઈ નિયમ કે શિસ્ત નથી. તેના માટે સંન્યાસ એટલે સ્વતંત્રતાની શરૂઆત છે. એ વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે. તે કોઈ બંધન, શિસ્ત કે વ્યવસ્થા અપનાવતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉદંડ બની જાય છે. જે સ્વતંત્ર છે તે ક્યારેય ઉદંડ કે ઉચ્છંખલ હોતો જ નથી.”
ઓશોએ સંન્યાસની આ વ્યાખ્યા કરીને અત્યાર સુધીની માન્યતાઓ ખતમ કરી નાખી અને ભારતીય પરંપરાને પડકારી. દેખીતી વાત છે કે ભારતના સંન્યાસીઓનો એક મોટો વર્ગ અકળાઈ ગયો. જે ત્યાગ અને તપની મદદથી આ સંન્યાસીઓ ભારતીય પ્રજાની શ્રદ્ધાનો આધાર બનેલા હતા. તેને રજનીશે હલાવી નાખ્યા. પરિણામે આ વર્ગ સીધેસીધો જ રજનીશના વિરોધમાં ઉતરી પડ્યો અને આ વર્ગ સંન્યાસીઓની પરિભાષા તથા પોતાના શિષ્યોને ઉશ્કેરવામાં લાગી ગયો અને રજનીશ મોટા વિવાદનું કેન્દ્ર બની ગયા, પણ તેનાથી રજનીશને કોઈ ફરક પડતો ન હતો કે તેઓ પોતાની વ્યાખ્યા બદલી નાખે. તેઓ ત્યાં ને ત્યાં જ રહ્યા, એટલું જ નહીં પણ તેમના શિષ્યોએ રજનીશની વ્યાખ્યા, પરિભાષા મુજબ જીવન જીવીને તેમનો સાથ આપ્યો અને તેમણે પૂનાના આશ્રમની સ્થાપના કરી.
૧૯૭૪ ની ર૧ મી માર્ચે ઓશોએ પોતાના ‘સંબોધિ દિવસ’નો ઉત્સવ બે જગ્યાએ ઉજવ્યો. સવારે મુંબઇના વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં અને સાંજે પૂનામાં. આ સાથે જ રજનીશના પૂના આશ્રમનો વિધિવત પ્રારંભ થયો. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યાના બરાબર 21 વર્ષ પછી એટલે કે 1974ની 21 માર્ચે ઓશો કોરેગાંવ પાર્ક, પૂના આવી જાય છે અને ત્યાં કાયમી વસવાટ કરીને પોતાનાં કાર્યો તથા વિચારોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી જાય છે. આ એ કાર્યો અને વિચારો છે જેનું સ્વપ્ન તેમણે વર્ષોથી નિહાળ્યું હતું. પોતાના અગાઉના અનુભવને આધારે ઓશોએ પોતાની કાર્યપદ્ધતિમાં ઘણાં પરિવર્તન કર્યા. અગાઉ તેઓ કોઈ પણ વ્યક્તિને સરળતાથી મળતા હતા અને ઘણાં લોકોને મળતા હતા. ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે સરળતાથી મળી લેવાને કારણે તેઓ કોઈની મદદ કરી શકતા ન હતા. જે હંમેશાં ઉપલબ્ધ રહે છે તે હકીકતમાં કયારેય ઉપલબ્ધ હોતા નથી. આમ તેમણે લોકો માટે પોતાની મુલાકાત અઘરી બનાવી દીધી. હવે રજનીશને મળવા માટે તેમની શિષ્યા મુક્તા પાસે તારીખ અને સમય લેવો પડતો હતો. ખરેખર તો આમ કરવા પાછળ પણ રજનીશની એક સમજેલી -વિચારેલી યુક્તિ જ હતી. તેઓ માનતા હતા કે મળવાનો સમય નક્કી હોવાને કારણે મુલાકાતના સમય સુધી ખાસ્સો સમયગાળો મળી રહેતો હોય છે અને તેમાં જ ઘણી સમસ્યાનું સમાધાન જાતે જ મળી જાય છે. તેમનું માનવું હતુ કે મળવાની જિજ્ઞાસા જ ઘણું બધું મેળવી આપે છે.
ઓશો પૂના આશ્રમના લાઓત્સુ ભવનમાં રહેતા હતા. આ વર્ષના એપ્રિલમાં ગીતા ઉપર પ્રવચન આપવાની શરૂઆત કરી. ઓશોને કુદરતની વચ્ચે રહેવું વધારે પસંદ આવતું હતું. આથી તેમના આશ્રમમાં પક્ષીઓ અને વૃક્ષોની ભરમાર હતી. તે માત્ર બગીચો નહીં પણ એક રીતે જંગલ જ હતું. જે ઓશોને માફક આવતું હતું.
આ જ સમયે ઓશોએ જાહેર કરી દીધું કે તેઓ હવે તમામ માટે નહીં પણ કેટલાક પ્રમાણિક સાધકો માટે જ કાર્ય કરશે. ઓશોએ પહેલી વાર એક કામ કર્યુ અને તે એ કે ધ્યાનકક્ષમાં તેઓ ખુદ બેસતા ન હતા. તેમના સ્થાને તેમની ખાલી ખુરશી ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન લગભગ સાત વર્ષ સુધી રજનીશ દરરોજ સવારે આશ્રમમાં જ લોકોને પ્રવચન આપતા હતા. આ દરમિયાન તેમણે અનેક રહસ્યવાદી આધ્યાત્મિક સાધુઓ અને સંતો અંગે પ્રવચન આપ્યાં જેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું હતું. ઓશો બીજે દિવસે પ્રશ્નોના જવાબ આપતા હતા. આ ગાળામાં પ્રવચનની સંખ્યા એટલી બધી વધારે રહેતી હતી કે દર ૧૦ થી ૨૦ દિવસ વચ્ચે પ્રવચન અંગે એક પુસ્તક પ્રગટ કરાતું હતું. આ પ્રવચનોના સંકલન સ્વરૂપે લગભગ ૨૪૦ પુસ્તકો પ્રકાશિત થયાં.
ઓશો મનોવિજ્ઞાનની ત્રણ રીતમાં માનતા હતા. પહેલી રીત પશ્ચિમની છે. જે માનસિક રૂપના રોગીના મન પરના અધ્યયન અને વિશ્લેષણ પર આધારિત છે. બીજી પદ્ધતિ પૂર્વ દેશ એટલે કે ભારતીય પદ્ધતિ છે જે સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિઓના મન પર આધારિત છે. ત્રીજી પદ્ધતિને ઓશો બૌદ્ધોના મન પર આધારિત માને છે. જે હજી સુધી થઇ શક્યું નથી. કેમકે તેના અધ્યયન માટે આટલા બધા બૌદ્ધો એક સાથે કયાંથી મળી શકે. ઓશોએ પોતાના ધ્યાનપ્રયોગને ‘બૌદ્ધોનું મનોવિજ્ઞાન‘ એવું નામ આપ્યું છે.
પૂના આશ્રમમાં ઓશો પોતાના સાધકોને સંન્યાસની દીક્ષા આપવા લાગ્યા. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે સંન્યાસ લેવા આવે તો પહેલાં તો તેની ઉર્જાને પારખવામાં આવતી હતી. એ પછી તેઓ કોઈ એક પોઈન્ટને સ્પર્શ કરતા અથવા તો ઉર્જા ઉપર ફોકસ કરતા હતા. ક્યારેક ક્યારેક તેઓ તેના ત્રીજા નેત્રને પણ સ્પર્શ કરતા. તેના પરિણામે તે સંન્યાસીના શરીરમાં કંપન થવા લાગતું. ક્યારેક તો આ કંપન એટલી હદે વધી જતુ કે તે વ્યક્તિના મૂળમાંથી અલગ અને અસ્પષ્ટ અવાજો નીકળતા હતા. ક્યારેક તે સંન્યાસી પોક મૂકીને રડવા માંડતો હતો. જ્યારે આ ઉર્જા ચરમસીમાએ પહોંચી જતી તો સંન્યાસી બેભાન થઈને પડી જતો અને તેને સત્યના ટેકાની જરૂર પડતી હતી.
ધીમે ધીમે આ પૂના આશ્રમ દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો. આ સાથે આશ્રમનો ફેલાવો કરવો પડયો. ૧૯૭૬ માં તેમાં ઘણાં ભવનો બની ગયાં અને આ ભવનોના નામ ઓશોએ બુદ્ધ પુરુષોના નામ પરથી રાખ્યાં. જેમકે આવાસ માટે ફ્રાન્સિસ, જીસસ, એકહાર્ટ ભવન, કૃષ્ણ ભવન, ધ્યાન માટે રાધા હોલ, ચ્યાંગત્સુ ભવન, ચૈતન્ય થેરાપી ચેમ્બર્સ, કૃષ્ણા, વૃંદાવન અને મરિયમ કેન્ટીન વગેરે. જોતજોતામાં આ આશ્રમે એક વ્યવસ્થિત ઓફિસનું રૂપ ધારણ કરી લીધું અને તેના વિભાગો અલગ પાડીને તેને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. તમામ વિભાગ પ્રમાણિકતાથી કામગીરી કરવા લાગ્યા.
તો પછી પૂનાનો આશ્રમ ખરેખર શું છે? માનવીની પૂર્ણ સ્વતંત્રતાના ઓશો પ્રબળ હિમાયતી હતા અને આ ધરતી પર તેમણે એ જગ્યા બનાવી જ્યાં મનુષ્યને સંપુર્ણ સ્વંતત્રતા મળતી હતી અને દરેક પ્રકારની આઝાદી. અહીં આવીને કોઈએ પણ કોઈનાથી કાંઈ પણ છુપાવવાની જરૂર ન હતી. તમે જેવા છો તેવા જ રહો અને જે કરવા ઈચ્છો છો તે જ કરો. આથી જ અહીં એક જ સ્થળે કોઈ ગીત ગાતું, કોઈ પુસ્તકમાં ડૂબેલું હોય તો કોઈ ડાન્સ કરતું હોય. કોઈ વાંસળી વગાડતું હોય તો કોઇ વળી તિરંદાજીની પ્રેક્ટિસ કરતું હોય. આથી જ એ જોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કયાંક વળી બે વ્યકિત આલિંગન આપીને બેઠેલી પણ જોવા મળે.
વાસ્તવમાં આ સ્થળ અત્યાર સુધીના પ્રચલિત અને પરંપરાગત આશ્રમથી અલગ જ નહીં પણ સાવ ઉલટો આશ્રમ જ હતો. આ આશ્રમ ભાષા, જાતિ, ધર્મ, પ્રાંત, દેશ કે નર-નારીનો ભેદ જાણતો જ ન હતો. અહીં કોઇ પણ પ્રકારની રોક-ટોક ન હતી. અહીં કોઈ માલિક નથી કે કોઈ નોકર નથી. અહીં કોઈ વ્યક્તિ કોઇની પાછળ ચાલતી નથી પણ બધાં પોતાની જ પાછળ, ચૂપચાપ ચાલે છે, કેમકે અહીંની મુખ્ય ભાષા મૌન છે. આથી જ આશ્રમમાં તમને નીરવ શાંતિનો આભાસ થશે. કદાચ એટલે જ અહીં આવનારી વ્યક્તિનું રુદન ગીતમાં અને તરફડાટ નૃત્યમાં ફેરવાઈ જાય છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો.”
અહીંથી રજનીશના જીવનના એ કાળની શરૂઆત થઈ. જેણે પહેલાં તો રજનીશને ‘ભગવાન રજનીશ’ બનાવ્યા અને પછી ‘ઓશો રજનીશ’ બનાવ્યા. મગ્ગાબાબાએ તેમને બોલવાનું કહ્યું હતું અને રજનીશે આ આદેશનું પાલન કરવાનું જ હતું એટલે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને બોલવાનો નિર્ણય લીધો. કેમ કે તેઓ જાણતા હતા કે ઘરે બેસી રહેવાથી કોઈ સાંભળવા નહીં આવે.
રજનીશના મનમાં સંપતિ અંગે બાળપણથી જ ઉપેક્ષાનો ભાવ રહ્યો હતો. જ્યારે હકીકત એ છે કે તેઓ પોતાના નાનાને ત્યાં વૈભવમાં મોટા થયા હતા. એ વાત અલગ છે કે તેઓ વૈભવથી દૂર ભાગતા રહ્યા અને વૈભવ તેમની પાછળ ભાગતો રહ્યો. એક રીતે તેઓ વૈભવની વચ્ચે રહીને વૈભવશાળી બન્યા નહીં. જો કે તેમણે પોતાનું જીવન ભવ્ય રીતે વિતાવ્યું. ઓશોએ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં તેમને અખૂટ સંપત્તિ મળી રહી હતી પરંતુ તેમણે ક્ષણભરમાં તેને ઠુકરાવી દીધી. આ પ્રસંગ મધ્યપ્રદેશના ભોપાલની રિયાસતની બેગમના મહેલનો પ્રસંગ છે.
રજનીશ જ્યાં મોટા થયા હતા તે ગાડરવાડા પણ ભોપાલની રિયાસતમાં આવતું હતું. એ વખતે ભોપાલ એટલે નાનકડું રજવાડુ હતું અને તે બ્રિટીશ સલ્તનતના તાબામાં હતું. ત્યાંની બેગમ રજનીશની નાનીને ખૂબ માનતી હતી અને આ જ કારણે રજનીશનો પણ આદર કરતી હતી. ઓશોએ કહ્યું હતું કે, આ પ્રસંગ એ દિવસોનો છે જ્યારે તેમણે હિમાલય જવાનું નક્કી કરી નાખ્યું હતું. એ જ દિવસે ભોપાલની બેગમના પુત્રનો રજનીશ પર ફોન આવ્યો અને કહ્યું કે તમે ઈચ્છો તો બેગમ તેમનો મહેલ તમને આપવા તૈયાર છે. રજનીશ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. કેમ કે ત્યાં સુધી ભોપાલનું રજવાડું ભારતમાં ભળી જવાને કારણે બેગમ પાસે ખાસ કોઈ સંપતિ બચી ન હતી. તેમની પાસે એક હજાર એકર જમીન અને આ મહેલ જ રહ્યો હતો.
જો કે રજનીશે સ્પષ્ટ જવાબ આપી દીધો કે મેં હવે હિમાલય જવાનો નિર્ણય લઈ લીધો છે એટલે આ પ્રકારની ઓફરનો સ્વીકાર કરી શકું તેમ નથી. આ ઉપરાંત રજનીશના આ જવાબ પાછળનું બીજું કારણ કદાચ એ હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી મધ્યપ્રદેશમાં જમીન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કેટલાક રાજકારણીઓને કારણે તે શક્ય બનતું ન હતું. આમ આ કડવા અનુભવને કારણે પણ તેમણે ઓફર ફગાવી હોઈ શકે. તેમને ખબર હતી કે આ ઓફર તેમણે સ્વીકારી લીધી તો હજારો મુશ્કેલીઓ સામે આવશે. રજનીશની આ દહેશત સાચી પણ પડી, કેમ કે તેમણે ઈનકાર કર્યો એ પછી ઘણા લોકો આ મહેલ હડપવા તૈયાર થઈ ગયા હતા.
તેમનામાં હંમેશા એકાંતની ભૂખ સવાર થયેલી રહેતી હતી. કેમ કે એકાંત તો બાળપણથી જ તેમનો માનસિક અને આત્મિક ખોરાક હતો. આથી જ તેમને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ સમય કાઢીને જબલપુર ભાગી જતા હતા. ૧૫-૨૦ દિવસ બહાર રહ્યા પછી ત્રણ-ચાર દિવસ જબલપુર પહોંચી જતા અને ફરીથી પ્રવાસ શરૂ થઈ જતો. હકીકતમાં જબલપુર તેમનું પ્રિય સ્થળ હતું. આમ તો તેઓ જબલપુરમાં ઘણાં વર્ષ રહ્યા હતા તેમ છતાં ત્યાં તેમને મળવા ભાગ્યે જ કોઈ જતું હતું. પરિણામે ત્યાં તેમને એકાંત મળી જતું હતું. જે તેમના માટે મહત્ત્વની બાબત હતી.
આ સમયમાં ઓશો સમગ્ર દેશમાં ‘આચાર્ય’ રજનીશ તરીકે ઓળખાતા હતા. એ સમયમાં તેમનાં પ્રવચનો પર આધારિત જે પુસ્તકો આવ્યાં તે પણ ‘આચાર્ય’ રજનીશના નામથી જ આવ્યાં હતાં. તેમણે નક્કી કર્યું કે ગામડે ગામડે જઈને ૧૦૦ લોકોને એકઠા કરશે. તેમને ધ્યાન અંગે એટલું શિક્ષણ આપશે કે તે તમામનો આત્મા એવરેસ્ટ જેટલો ઊંચો થઈ જશે. રજનીશના આ નિર્ણયના બે મુખ્ય આધાર હતા. પહેલું તો સ્વામી વિવેકાનંદનું એ વાક્ય જેમાં તેમણે કહ્યું હતું કે, “મને મારી સાથે કામ કરવા માટે ૧૦૦ લોકોની જરૂર છે.” તેમને વિશ્વાસ હતો કે જો તેમને એવા ૧૦૦ લોકો મળી ગયા તો તેઓ દુનિયાને બદલી નાંખશે. બીજો આધાર તેમની એ માન્યતા હતી કે બધા લોકો બદલાય તેનાથી દુનિયા બદલાતી નથી. આમ કોઈ ખાસ સમયમાં કેટલાક આત્મા જ ઉપર ઊઠે છે અને તેમનો એવો જબરદસ્ત પ્રભાવ હોય છે કે એ યુગ એક સુવર્ણયુગ બની જાય છે.
એ પછી પોતાના પ્રવાસો દરમિયાન તથા વિવિધ પ્રવચન દરમિયાન રજનીશ એ અનુભવ કરવા લાગ્યા કે “હું ૫૦ હજાર અથવા એક લાખ લોકોને સંબોધિત કરતો પણ મેં જોયું અને અનુભવ્યું કે લોકોનાં ટોળાં મારી વાતો સાંભળી તો લે છે પણ સમજી શકતાં નથી. તેઓ મને પ્રેમ તો કરે છે પણ મારી વાતો સમજી શકતાં નથી, કેમ કે તેમને મારી બોલવાની સ્ટાઈલ પસંદ છે પણ તેઓ જિજ્ઞાસુ નથી.” આનાથી રજનીશને ઘણી નિરાશા થઈ. તેમણે એક વખતના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, એ પછી તેમણે નહીં બોલવાનો નિર્ણય જ લઈ લીધો હતો.
એક વાર તેઓ કૃષ્ણ અંગે પ્રવચન આપી રહ્યા હતા. જ્યારે કૃષ્ણના રસપ્રદ પાત્ર અંગે વાત થતી હતી ત્યારે કેટલાક લોકો તેમની તરફ પીઠ ફેરવીને આરામથી ચાલ્યા જતા હતા. આ જોઈને રજનીશ અકળાયા. તેમને વિશ્વાસ બેસી ગયો કે આવી જગ્યાએ બોલવાનો કોઈ અર્થ નથી. તેમણે અધવચ્ચે જ પોતાની વાત અટકાવી દીધી અને સ્ટેજ છોડીને ચાલવા માંડ્યા. જ્યારે અધ્યક્ષે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો તો આચાર્ય રજનીશે કહ્યું “હું હંમેશાં માટે જઇ રહ્યો છું, કાયમ માટે જઈ રહ્યો છું.” અને તેઓ ખરેખર ચાલી નીકળ્યા. પણ બધા લોકોથી નહીં. આવા લોકો સાથે વાત કરતી વખતે રજનીશને લાગતું હતું કે તેઓ દીવાલ સાથે વાત કરે છે. તેઓ સાંભળતા હતા પરંતુ તેઓ અર્થ પકડી શકતા ન હતા. તો હવે રજનીશ શું કરે ? તેઓ બોલવાનું તો બંધ કરી શકે તેમ ન હતા. આથી તેમણે નિર્ણય લીધો કે એક સ્થળે રોકાઈ જાય અને માત્ર એવા લોકો સાથે વાત કરે જે સમજવા માંગે છે અને માત્ર સમજવા જ નહીં પણ બદલાવા પણ તૈયાર છે. પરિણામે તેઓ આશ્રમ સ્થાપવાની દિશામાં આગળ વધ્યા.
ઓશો સતત ધ્યાન ઉપર પ્રયોગ કરતા આવ્યા હતા અને ૧૯૭૭ના એપ્રિલમાં તેમણે લોકોને ધ્યાનની એક ક્રાંતિકારી પ્રક્રિયાથી પરિચિત કરાવ્યા. આ વિધિને તેમણે ‘ઓશો સક્રિય ધ્યાન પ્રયોગ’ નામ આપ્યું. થોડા સમય પછી તેમણે કુંડલિની જાગ્રત કરવા માટે આ વિધિનો પ્રયોગ કર્યો. કુંડલિની જાગરણ સાથે સંકળાયેલો આ સૌ પ્રથમ ધ્યાન પ્રયોગ હોવાને કારણે વિવાદાસ્પદ પણ રહ્યો.
રજનીશનો આ પ્રયોગ મૂળ તો વિશ્રામમાં ચાલ્યા જવાનો પ્રયોગ છે. વ્યક્તિ કાં તો સીધી વિશ્રામમાં જાય અથવા તો અપ્રત્યક્ષ રીતે વિશ્રામમાં જાય. રજનીશ પહેલા સીધા જ વિશ્રામમાં જવાની તરફેણ કરતા હતા, કેમ કે એ તેમને સરળ માર્ગ લાગતો હતો, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે તે ભ્રમ હતો. સામાન્ય વ્યક્તિ માટે આ બાબત કઠિન હતી. આ માટે તેમણે વિશ્રામમાં ચાલ્યા જવાની પરોક્ષ રીત જારી કરી. આ વિધિ મુજબ પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો. ભૌતિક રીતે આ બાબત એ સિદ્ધાંત પર આધારિત છે કે પરાકાષ્ઠા પછી અથવા તો ચડાવની ચરમસીમા પછી ઉતારની શરૂઆત થાય છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 14, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં જ એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે.!!
૧૯૫૩ના માર્ચના એક વર્ષ અગાઉનો સમયગાળો રજનીશ માટે આંતરિક સંઘર્ષનો રહ્યો કેમ કે, તેમના ખુદના શબ્દોમાં, “એક વર્ષ સુધી મારી જાતને જીવિત રાખવી મારા માટે કપરું કાર્ય હતું”. આખરે આ એક વર્ષમાં એવું તો શું બની ગયું?
રજનીશને ભૂખ લાગવી બંધ થઈ ગઈ હતી. એટલે સુધી કે તરસ પણ લાગતી ન હતી. ખાધા-પીધા વિના ઘણા દિવસો પસાર થઈ જતા હતા. ક્યારેક તો એમ લાગતું હતું કે આ શરીર જ નથી રહ્યું. તેમણે પોતાની જાતને વિશ્વાસ અપાવવો પડતો હતો કે “હું જીવિત છું.” તેમણે પોતાનું મસ્તક દીવાલ સાથે ટકરાવવું પડતું હતું અથવા તો ચૂંટીયો ખણવો પડતો હતો કે, તેઓ જીવે છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ૧૨ થી ૧૩ કિલોમીટર દોડતા હતા. તેમના માટે બોલવું પણ અઘરું થઇ જતું હતું. એટલે સુધી કે બોલતાં બોલતાં તેઓ બે વાક્યો વચ્ચે ભૂલી જતા હતા. પુસ્તક વાંચવા બેસે તો થોડીવાર પછી યાદ કરવું પડતું કે, તેઓ શું વાંચી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે તેઓ વધુ ને વધુ સમય રૂમમાં જ વિતાવવા માંડ્યા. ઘરનાંને પણ સમજ પડતી ન હતી કે, આ શું થઈ રહ્યું છે. તેમના શુભચિંતકો પરેશાન થઈ ગયા હતા. તેઓ કાંઈ કરી શકતા ન હતા અને કાંઈ કરવા માટે રજનીશ પોતે પણ સક્ષમ ન હતા.
જેમ જેમ એક વર્ષનો સમયગાળો પૂરો થવાની નજીક આવવા માંડ્યો રજનીશની સ્થિતિ વધારે ખરાબ બની ગઈ. અંતે દસમા અને અગિયારમા મહિનામાં તો તેમને એમ લાગવા માંડ્યું કે તેમનું જીવન મગર જેવું બની ગયું છે. તેઓ હવે આંખ બંધ કરીને કલાકો સુધી બેસી રહેતા હતા. નદી કિનારે આખી રાત આકાશ તરફ મીટ માંડીને બેસી રહેતા હતા. રૂમમાં પણ છત સામે જોતા રહેતા. કોઈ નહાવાનું કહે તો કલાકો સુધી નહાતા રહેતા હતા. કોઈ યાદ કરાવે તો ખાઈ લેતા, નહિતર જમવાનું યાદ પણ આવે નહીં. તેમની સ્થિતિ એક રીતે, હોવા છતાં ના હોવા જેવી હતી. શરીરમાં હોવા છતાં, ઘરમાં હોવા છતાં તેઓ ના તો શરીરમાં હતા અને ના તો ઘરમાં હતા.
ધ્યાન પ્રત્યે રજનીશનું બાળપણથી જ આકર્ષણ હતું. તેઓ માત્ર જમીન પર બેસીને જ નહીં પણ ઝાડ ઉપર બેસીને પણ ધ્યાન ધરી શકતા હતા. હવે એ દિવસે જે કાંઈ બન્યું તે રજનીશના જ શબ્દોમાં વાંચવું યોગ્ય રહેશે. “એક દિવસ ધ્યાનમાં કેટલો લીન થઈ ગયો તેની મને જ ખબર નથી અને ક્યારે ઝાડ પરથી પડી ગયો ખબર નથી. નીચે પડ્યો અને મેં ચોકીને જોયું તો આ શું? હું તો વૃક્ષ પર જ હતો અને શરીર નીચે પડી ગયું. આ અનુભવ વિશે કહેવું કઠિન છે. હું તો વૃક્ષ પર જ બેઠો હતો અને મને દેખાતું હતું કે શરીર નીચે પડી રહ્યું છે. માત્ર એક ચાંદીની નાડ (દોરી) મારા સુધી જોડાયેલી હતી જે એકદમ ચમકદાર શુભ રેખા હતી. કાંઈ સમજાતું નથી કે હવે શું થશે? કેવી રીતે પાછો ફરીશ?” રજનીશે પોતાના આ પ્રસંગના વિશ્લેષણથી જીવનનું એક રાસાયણિક સૂત્ર આપ્યું છે જે આપણા બધા માટે ઘણું કામનું છે. તેને તેમણે પોતાના કાળના બીજા અનુભવનું નામ આપ્યું છે. તે રાસાયણિક સૂત્ર એ છે કે, પુરુષના શરીરમાં સ્ત્રી એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. આ જ રીતે પુરુષ પણ સ્ત્રીના શરીરમાં એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં જ એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે. રજનીશને આ ઘટના પછી એક વાત સમજાઈ ગઈ કે આ દેશમાં જે તાંત્રિકોએ સમાધિ પર અને મૃત્યુ પર પ્રયોગ કર્યા હતા તેમણે ઘણી સ્ત્રીઓને પોતાની સાથે બાંધી રાખી હતી.
આ પ્રસંગ પછી એક નવા રજનીશનો ઉદય થયો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, એ વખતે તેઓ હજી વિદ્યાર્થી જ હતા અને હજી તેમણે થોડા વર્ષ માટે પ્રોફેસરનું કાર્ય કરવાનું હતું. તેનો અર્થ એ થયો કે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તેઓ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરની માફક લોકો વચ્ચેથી ચાલ્યા જાય તે સ્થિતિમાં રજનીશ ન હતા.
રાત્રે ૧૨ની આસપાસ અચાનક ઊંઘ ઉડી ગઈ અને રૂમમાં ચારે તરફ તેમને દિવ્યતાનાં દર્શન થયાં. તેમને એમ લાગ્યું કે, એ નાનકડો ઓરડો પ્રકાશ અને જીવનના તરંગોથી ભરાઈ ગયો છે અને રૂમમાં આનંદની કિલકારી થઈ રહી છે. રજનીશ આ આનંદમાં ડૂબવા લાગ્યા. સાથે સાથે તેમને એમ લાગ્યું કે, તેમનો શ્વાસ રૂંધાય છે. આથી તેઓ દોડીને વૃક્ષની નીચે આવી ગયા. તેમનો શ્વાસ રૂંધાતો અટકી ગયો. તેઓ પોતાની જાતને બ્લેક હોલમાં પડતા જોઈ રહ્યા. તેમને એમ લાગ્યું કે, તેમના શરીરનો ભાર ઓછો થઈ રહ્યો છે અને તેઓ ઉપર ઉંચકાઇ રહ્યા છે. કોઈ એવી વસ્તુ છે જે તેમને ઉપર ખેંચી રહી છે. જો કે, તેઓ એકલા જ હતા પણ તેમને એમ લાગતું હતું કે, તેઓ એકલા નથી. રજનીશની અંદર એક એવી શક્તિ બની રહી હતી જેનાથી તેમને લાગતું હતું કે તેઓ કાંઇ પણ કરી શકે છે.
રજનીશ ચાલતા ચાલતા જબલપુરના ભ્રમરતાલ પાર્કમાં પહોંચી ગયા. જેવા તેઓ પાર્કમાં ગયા એ સાથે ત્યાં બધું પ્રકાશમય થઈ ગયું. તેમના જ શબ્દોમાં “ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. મેં પહેલીવાર વૃક્ષમાં હરિયાળી અને તેની અંદર જીવનરસ નિહાળ્યો. આખો બગીચો સૂતેલો હતો. વૃક્ષો પણ સૂતેલાં હતાં પણ મને તે જીવંત લાગતો હતો. ઘાસનાં નાનકડા પાન પણ મને સુંદર દેખાતાં હતા.”
હવે તે અંતિમ ક્ષણ આવી ગઈ હતી. જેમાં બુદ્ધત્ત્વ પ્રાપ્તિ થવાની હતી, રજનીશના જ શબ્દોમાં આગળ વધીએ- “મેં ચારે તરફ નજર કરી. એક વૃક્ષ ઘણું જ પ્રકાશિત હતું. એ વૃક્ષે મને તેની તરફ આકર્ષિત કર્યો. મેં નહીં પણ પરમાત્માએ જ તેની પસંદગી કરી. હું તેની નીચે જઈને બેસી ગયો. જેવો હું બેઠો એ સાથે બધું શાંત થઈ ગયું. સમગ્ર વિશ્વની ભગવત્તા વરસવા લાગી.” અને અંતે એ ઘટના બની ગઈ, બાળપણથી રજનીશ જેની રાહ જોતા હતા અને તેમને સમજાતું ન હતું કે તેના માટે તેમણે શું કરવાનું છે.
શક્ય છે કે રજનીશ લગભગ ત્રણ કલાક સુધી એ ઝાડની નીચે બેસી રહ્યા હોય. પણ તેમને આ ત્રણ કલાક વીતી ગયાનો ખ્યાલ ના રહ્યો. આમ, રજનીશના જ શબ્દોમાં – “એક રાત્રે હું મરી ગયો અને મારો પુનર્જન્મ થયો પણ જે બીજી વખત જન્મ્યો તેનો આ મૃત્યુ પામનારા સાથે કોઈ સંબંધ રહ્યો નહીં.” કદાચ આ જ અનુભવના અનુસંધાનમાં રજનીશે પોતાના આ વાક્યની રચના કરી છે કે “ધર્મ આપણને સંપૂર્ણરૂપથી મારી નાખે છે.”
આ દિવસ એટલે ૨૧મી માર્ચ અને વર્ષ હતું ૧૯૫૩. એ પછી રજનીશમાં ઘણું પરિવર્તન આવી ગયું.
માત્ર ૨૧ વર્ષની વયે કૉલેજના ભણતા વિદ્યાર્થીને એક વૃક્ષ નીચે બુદ્ધત્ત્વ પ્રાપ્ત થયું. એ પછી રજનીશે જે પહેલું કામ કર્યું તે એ કે, તેઓ પોતાના ગામ તરફ ભાગ્યા પણ એ ગામ તરફ નહીં જ્યાં તેમના માતા-પિતા રહેતા હતા પણ એ ગામ તરફ જ્યાં તેમની નાની રહેતી હતી. હવે એ વાત અલગ છે કે, તેમની નાની અને માતા-પિતા એક જ ગામમાં રહેતા હતા, પણ રજનીશની આ માનસિક સ્થિતિ હતી.
આ સાથે જ રજનીશ એ ગામ તરફ પણ ભાગ્યા જ્યાં મગ્ગા બાબા રહેતા હતા. આ પણ યોગાનુયોગ હતો કે, જેમને વહેલામાં વહેલી તકે તેઓ જાણ કરવા માગતા હતા તે બંને એક જ ગામમાં રહેતા હતા જ્યાં રજનીશ પણ રહી ચૂકયા હતા અને એ ગામ એટલે ગાડરવાડા. રજનીશ પહેલાં તો મગ્ગા બાબાને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કર્યા તથા રડવા માંડ્યા. મગ્ગા બાબાએ કહ્યું “શાબાશ બેટા, આખરે તેં એ કામ કરી જ દીધું. મને ખબર હતી કે તું આમ કરીશ.” રજનીશ તેમને જાણ કરવા ગયા હતા પણ તેમ કરવાની જરૂર જ ના પડી. એ પછી તેઓ નાનીના ઘરે ગયા અને નાનીને તેઓ કાંઈ કહે તે પહેલાં તો રજનીશને જોઈને નાનીએ કહ્યું “તને શું થયું છે? તું પહેલાં જેવો રહ્યો નથી.” આગળ જતાં નાની ખુદ જ રજનીશનાં પ્રથમ શિષ્યા બન્યાં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 7, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયા અને ઓશોનો જન્મ થયો….
નદી અંગેના અનુભવમાં રજનીશ ઉમેરે છે કે, ‘આ પહેલો પ્રસંગ હતો જયારે મને મારી જાત ‘શુદ્ધ’ હોવાનો તથા શરીર અંગેનો અહેસાસ થયો. તે નાભિથી નીચે, બરાબર બે ઈંચ નીચે એક ચાંદીની રસ્સી સાથે જોડાયેલું છે. તે પદાર્થ નથી પણ ચાંદીની માફક ચમકે છે. હું જેટલી વાર સામે કિનારે પહોંચતો, જે ક્ષણે કિનારે પહોંચતો ત્યારે મારી હાજરી અને તેની હાજરીનો મારા શરીરમાં પ્રવેશ થતો. પહેલીવાર તો આ બાબત ડરાવનારી લાગી પણ પછી તે આનંદદાયક લાગવા માંડી. તે ખતરનાક હતું, પુલ ઘણો ઊંચો હતો અને ત્યાંથી કૂદીને નદીના તળિયે પહોંચવું આસાન ન હતું. આ સમયે નદી અને પુલની વચ્ચે-એક ક્ષણ એવી આવતી જ્યારે મન અચાનક રોકાઈ જતું હતું.’ મારા ધ્યાનની આ પહેલી અનુભૂતિ હતી. આ રીતે હું ધ્યાન તરફ વધુને વધુ ખેંચાતો ગયો. મેં એ શોધવાનું શરૂ કરી દીધું કે પર્વત, નદી કે પુલ ઉપર ગયા વિના આ ક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે કોઈ વ્યક્તિ ક્યાંય ગયા વિના માત્ર આંખો બંધ કરીને આ ક્ષણમાં પ્રવેશ કરી શકે છે.’
સ્પષ્ટ છે કે રજનીશ માટે નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં આપણે બધા નદીને ઓળખીએ છીએ. આ નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં ગંગા, ગોદાવરી, નર્મદા આપણા માટે નદી છે. સકર નદી તો તેમના માટે જીવનની એક કુદરતી પ્રયોગશાળા બની ગઈ હતી.
આશ્ચર્ય થાય તેવી વધુ એક ઘટના.. માનવેન્દ્ર નિધિ રાયને લોકો એમ.એન. રાય તરીકે ઓળખતા હતા. તેઓ રશિયાની ક્રાંતિ વખતે લેનિન અને ટ્રોટસ્કીની સાથે હતા. તેઓ ઇન્ટરનેશનલ કમાન્ડિંગ બોડી ઓફ કમ્યુનિસ્ટના સદસ્ય બનવાનું સન્માન હાંસલ કરનારા એકમાત્ર ભારતીય હતા. ૧૯૧૭માં રશિયામાં ઝારશાહી સામે લેનિનની આગેવાની હેઠળ ક્રાંતિ સફળ થઈ તો આવી જ ક્રાંતિનું સ્વપ્ન લઈને એમ.એન. રાય ભારત આવ્યા.
એક સુખદ સંજોગ રચાયો કે રજનીશ જબલપુર જવા માટે ગાડરવાડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને એમ.એન. રાય એ જ પ્લેટફોર્મ પર સિગારેટ પીતા પીતા આંટા મારી રહ્યા હતા. રાયને એ જોઈને આશ્ચર્ય થયું કે ૧૭ વર્ષનો એક છોકરો બેંચ ઉપર બેસીને આટલી તલ્લીનતાથી પુસ્તક વાંચી રહ્યો છે અને એ પુસ્તક પણ પાછું લેનિનનું હતું. તેમના મનમાં આ છોકરા સાથે વાત કરવાની ઇચ્છા થઈ અને પરિણામ એ આવ્યું કે, બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને એટલી ગાઢ મિત્રતા થઈ ગઈ કે, એમ.એન. રાય જ્યારે પણ જબલપુર આવતા ત્યારે રજનીશને અચૂક મળતા હતા. રજનીશે સ્પષ્ટતા કરી દીધી હતી કે, ‘હું સામ્યવાદનો અભ્યાસ કરી રહ્યો છું પણ હું સામ્યવાદી નથી. આ સ્પષ્ટતા છતાં એમ.એન. રાય રજનીશને મહત્ત્વ આપતા હતા. હજી તો મારે ઘણા વિષયનો અભ્યાસ કરવાનો છે. સમાજવાદ, મૂડીવાદ, અધ્યાત્મવાદ વગેરે વિશે મારે જાણવાનું છે તેમ રજનીશ ખુલાસો કરતા હતા. આ અગાઉ મારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. હજી તો હું જિજ્ઞાસુ છું.’
એમ.એન.રાયે રજનીશ સમક્ષ પોતાની નિરાશાને આ શબ્દોમાં રજૂ કરી હતી, “મેં રશિયાની ક્રાંતિમાં ભાગ ભાગ લીધો છે. હું લેનિનનો ગાઢ મિત્ર છું, પણ ભારતમાં તો હું કાંઈ નથી. મારી વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી.”
એમ.એન. રાય માટે આ વાત ચોંકાવનારી હતી પણ રજનીશ માટે નહીં. રજનીશની પારખુ આંખ અને સચેત મગજે ભારતીય સમાજ અને ભારતીય માનસિકતાને સારી રીતે ઓળખી લીધી હતી. આ વાતને પોતાના નિષ્કર્ષનો આધાર બનાવીને જ રજનીશે પોતાની વાત રજૂ કરી. તેમનાં જે તારણો હતાં તે તેમણે એમ.એન. રાય સમક્ષ રજૂ કર્યા જેથી તેમની નિરાશા ઘટી શકે. રજનીશના શબ્દો હતા, “ભારતમાં સૌ પ્રથમ તો તમારે તમારી જાતને બદલવી પડશે. તમારે પાખંડી બનવું પડશે. બધાંની સામે, જાહેરમાં સિગારેટ ના પીઓ. બાથરૂમમાં સંતાઈને સિગારેટ પીઓ અને જાહેરમાં ધુમ્રપાનની ટીકા કરો. મહાત્મા ગાંધીની માફક ઢીંચણ સુધી ધોતી પહેરો. માથે મુંડન કરાવી નાંખો. આ દેશમાં મહાત્મા બન્યા વિના કોઇપણ વ્યક્તિ અન્યનું ધ્યાન ખેંચી શકતી નથી. અહીં તો ફક્ત દેખાવ જ કરવાનો હોય છે, સચ્ચાઇનું તો કોઇ મૂલ્ય જ નથી.” એમ.એન. રાયે રજનીશની આ સલાહ સામે તરત જ કહી દીધું કે, હું આમ કરી શકીશ નહીં. પછી પરિણામ પણ એ જ આવ્યું. ભારતીય પ્રજાએ પણ મૌન રહીને કહી દીધું કે, અમે તમને સાંભળવા માગતા નથી.
હવે રજનીશ જબલપુર વિશ્વવિદ્યાલયમાં ફિલોસોફીના પ્રોફેસર હતા પરંતુ અન્ય પ્રોફેસરો જેવા પરંપરાગત પ્રોફેસર ન હતા. પ્રોફેસર તરીકે પણ તેમણે પરંપરાથી અલગ હોવાનો પ્રયાસ કર્યો અને એ વખતની સ્થાપિત પરંપરાના છોતરાં કાઢી નાખ્યાં. દાખલા તરીકે વર્ગમાં એક પિરીયડની ૪૦ મિનિટને તેમણે બે ભાગમાં વહેંચી દીધી. ૨૦ મિનિટ સુધી તેઓ બોલતા અને બાકીની ૨૦ મિનિટ તેઓ વાર્તાલાપ અને તર્ક-વિતર્ક કરાવતા હતા. તેઓ પોતાના વિચારો પ્રગટ કરતા હતા અને વિદ્યાર્થીઓ તેમના વિચારો રજૂ કરતા હતા. આમ થતાં તેમના વર્ગો પ્રવચનના વર્ગને બદલે વાદ-વિવાદ અને ચર્ચાનું સ્થળ બની ગયા.
સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ હતો અને તેઓ આ પસંદ પણ કરતા હતા પરંતુ તેમને એ બાબત સ્વીકારવામાં અડચણ પડતી હતી કારણ કે, તેમને એ ચિંતા હતી કે આમ થશે તો અભ્યાસક્રમ ક્યારે પૂરો થશે અને આ ચિંતા વાજબી પણ હતી. વિદ્યાર્થીઓએ પોતાની આ ચિંતા રજનીશ સમક્ષ રજૂ કરી તો તેમણે એમ કહીને સમજાવી દીધા કે, “તેની ચિંતા કરશો નહીં. તમારી બુદ્ધિને કુશાગ્ર કરવાની જરૂર છે. અભ્યાસક્રમ તો ઘણી મામૂલી બાબત છે. એ તો તમે એક રાતમાં વાંચી શકો છો. તમારી બુદ્ધિ તીવ્ર છે તો વાંચ્યા વિના પણ તમે જવાબ આપી શકો છો પણ બુદ્ધિ તેજ નહીં હોય તો વાંચ્યા પછી પણ તમને આવડશે નહીં.’
એ જમાનામાં કલાસમાં છોકરા અને છોકરી અલગ અલગ બેસતાં હતાં. આગળની થોડી જગ્યા કદાચ પ્રોફેસરનો આદર કરવા માટે ખાલી રાખવામાં આવતી હતી. રજનીશને આ વિચિત્ર લાગતું હતું. તેમણે છોકરાઓને ચોખ્ખું ચોખ્ખું કહીને ચોંકાવી દીધા અને ડરાવી પણ નાખ્યા કે “બધા એક સાથે બેસો. મારા કલાસમાં તમે અલગ અલગ બેસી શકશો નહીં. તમે છોકરીને સ્પર્શી રહ્યા છો કે કોઇ છોકરી તમારું શર્ટ ખેંચે તેનાથી મને કોઈ વાંધો નથી. જે સાવ સ્વાભાવિક છે અને તેનો હું સ્વીકાર કરું છું. આથી જ હું નથી ઇચ્છતો કે તમે આમ સંકોચાઈને બેસો. મારા કલાસમાં આવું નહીં બને. મને ખબર છે કે તમે બધા એકબીજા તરફ કાગળ ફેંકો છો, અન્ય ચીજો ફેંકો છો પણ તેની જરૂર નથી. છોકરીની નજીક બેસો અને તેનો પત્ર તેને આપી દો. તમે બધાં શરીરથી વયસ્ક બની ગયાં છો, તમારે બધાએ તો આમ કરવું જ જોઈએ.”
1953ના 21મી માર્ચનો દિવસ હતો.આ દિવસને રાજનિસજના જીવનનો પ્રથમ દિવસ પણ કહી શકીએ. જે દિવસે અગાઉના રજનીશનું મૃત્યુ થયું અને ફિનિક્સ પંખીની જેમ તેઓ રાખમાંથી બેઠા થયા અને ઓશો રજનીશનો જન્મ થયો. એ વખતે તેઓ 21 વર્ષના હતા. જે પ્રસંગ ભગવાન બુદ્ધના જીવનમાં 35 માં વર્ષે બન્યો તે અહીં રજનીશ માટે 21માં વર્ષે બન્યો. જે બન્યા પછી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર 45 વર્ષ જીવિત રહ્યા. રજનીશના જીવનમાં આ પ્રસંગ ઘણો વહેલો એટલે કે ૨૧ મા વર્ષે બન્યો અને તેમને પોતાના અનુભવ પ્રજા સમક્ષ રજૂ કરવા માટે અન્ય કરતાં ઓછો એટલે કે ૩૭વર્ષનો સમય મળ્યો. આમ જોવા જઈએ તો ૩૭ વર્ષનો સમય ગમે તેટલાં મહત્ત્વનાં કામ પૂરાં કરવા માટે ઓછો કહી શકાય નહીં. મોહમ્મદ પયંગબર સાહેબને પણ અલ્લાહે આ બધા માટે ફક્ત આઠ વર્ષ આપ્યાં હતાં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”..ઓશોની અનુભૂતિ
જેમની સાથે રજનીશનાં પ્રારંભનાં કેટલાંક વર્ષ પસાર થયાં હતાં તે રજનીશના નાના ઇચ્છતા હતા કે, કોઈ મોટા જ્યોતિષીને રજનીશના જન્માક્ષર દેખાડવામાં આવે અને તે માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તેઓ તૈયાર હતા. આ માટે તેઓ કુચવાડાથી લગભગ એક હજાર કિલોમીટર દૂર બનારસ સુધી ગયા હતા. તેઓ જ્યોતિષને મળ્યા અને હવે રજનીશના શબ્દોમાં ”મારા નાનાએ આપેલા જન્માક્ષર અને જન્મસ્થળ પર નજર રાખીને જ્યોતિષે નાનાને કહ્યું કે, મને દુઃખ છે કે હું આ જન્માક્ષર સાત વર્ષ પછી જ બનાવી શકીશ, આ બાળક જીવતો રહેશે તો તેના જન્માક્ષર વિનામૂલ્યે બનાવી આપીશ. પણ મને નથી લાગતું કે, તે જીવતો રહે. જો તે બચી જશે તો એક ચમત્કાર કહેવાશે અને પછી તો તે બુદ્ધ બની જાય તેવી શક્યતા છે.
અને પછી એક દિવસ એવો આવ્યો જયારે નાનાને પોતાની આંખ ઉપર વિશ્વાસ બેસતો ન હતો. કેમ કે બનારસમાં મળ્યો હતો તે જ જ્યોતિષ તેમના ઘરના દરવાજે આવીને ઉભો હતો ત્યાં સુધીમાં રજનીશ પણ સાત વર્ષના થઈ ગયા હતા. રજનીશને પણ આશ્ચર્ય થયું હતું કે, કોઈ જ્યોતિષ માત્ર જન્માક્ષર બનાવવા માટે આટલે દૂર સુધી સામે ચાલીને શા માટે આવે ?? જ્યોતિષે જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કરી દીધી કે, “આ બાળકને દર સાત વર્ષે મૃત્યુના સંકટમાંથી પસાર થવું પડશે. અત્યારે તો તે બચી ગયો છે પણ હવે તે ૧૪ વર્ષનો થશે ત્યારે ફરીથી તેના મૃત્યુના યોગ છે. જો ફરીથી બચી જશે તો ૨૧ વર્ષની વયે મૃત્યુયોગ છે.”
તેનું પરિણામ શું આવ્યું ? શું રજનીશ આ ભવિષ્યવાણીને કારણે ભાંગી પડ્યા ? તેમના જ શબ્દોમાં- “જ્યોતિષની આ ભવિષ્યવાણીએ મારી ઘણી મદદ કરી, કેમ કે તેમણે અગાઉથી જ મને મોત અંગે ચેતવી દીધો હતો અને આ જ કારણથી હું જીવનમાં મૃત્યુનો સ્વીકાર કરી શક્યો અને ધ્યાન પણ ધરી શક્યો કે મૃત્યુ આવી રહ્યું છે.”
ગામમાં એક નાનકડા મંદિરમાં એક પૂજારી હતા. ઘણા સંત સ્વભાવના હતા. તેઓ ગુજરી ગયા. રજનીશ તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે તેઓ બાળક જ હતા અને એ સમયે બાળકોને શબની નજીક કે સ્મશાને જવાની મનાઈ હતી. પણ રજનીશને કોણ રોકી શકે ? તેઓ ત્યાં ગયા ત્યાં સુધીની વાત હોત તો વાંધો ન હતો. વાત વિચિત્ર બની ગઈ કેમ કે, રજનીશ નામના આ બાળકે ત્યાંના ઉદાસ વાતાવરણમાં રડવાનું અથવા તો કમ સે કમ ચૂપ રહેવાનું પસંદ ના કર્યું પણ જોરજોરથી હસવાનું શરૂ કરી દીધું ત્યાં ઉપસ્થિત લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ બધું વ્યર્થ. અંતે તેમના પિતાએ રજનીશને આ રીતે હસવાનું કારણ પૂછ્યું તો રજનીશનો આ જવાબ હતો, “મને લાગ્યું કે મરતી વખતે તેઓ ખૂબ જ આનંદિત હતા અને શાંત હતા તેથી જ તેમના હાસ્યમાં સામેલ થવા માંગું છું. તેઓ હસી રહ્યા હતા અને તેમની વિદાય લઈ રહેલી ઉર્જા પણ હસી રહી હતી.” આ પૂજારીના મૃત્યુથી નીકળેલી હાસ્યયુક્ત ઉર્જા પરથી રજનીશે તારણ કાઢ્યું કે “મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”
બાળપણથી જ સમય પસાર કરવાના રજનીશના અનેક ઉપાયોમાં એક ઉપાય હતો કોઈની પણ સ્મશાનયાત્રામાં સામેલ થઈ જવું. તેઓ એ મૃત વ્યક્તિને ઓળખતા હોય કે ના ઓળખતા હોય તેનાથી કોઈ ફરક પડતો ન હતો. માત્ર એટલું જ પૂરતું હતું કે કોઈ મરી ગયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળવાની છે.
મૃત્યુની ખરી અનુભૂતિ ક્યારે થાય છે ? જ્યારે આપણા પ્રિયજનનું નિધન થાય છે, આપણા કોઈ સૌથી નજીકના સ્વજનનું મૃત્યુ થાય છે. રજનીશ હજી યુવાન જ હતા ત્યારે તેમના એક મિત્રનું નિધન થયું. તે મિત્રનું નામ હતું શશી, જેને રજનીશ ગુડિયા કહેતા હતા. આ એ જ શશી હતી જેને રજનીશે પ્રેમ કર્યો હતો. એટલો બધો પ્રેમ કર્યો હતો કે, તેમને ક્યારેય એવું લાગ્યું ન હતું કે તેઓ અન્ય કોઇને આથી વિશેષ પ્રેમ કરી શકશે. કદાચ આ જ કારણથી રજનીશે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આધુનિક ભીષ્મ પિતામહના રૂપમાં. તેમના માટે અન્ય કોઈને શશીના સ્થાને જોઈ શકાય તેમ જ ન હતું અને તેમની પ્રિય સખી શશી તેમને છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. આમ એક રીતે રજનીશ માટે પોતાની જાતથી અલગ થવું, જાતે જ ખંડિત થવા બરાબર હતું.
શશીના મૃત્યુએ રજનીશના મૃત્યુ બોધને વધારે મજબૂત કરી દીધો. એટલો બધો મજબૂત કરી દીધો કે તેમના માટે જીવનનો અર્થ બદલાઈને મૃત્યુ બની ગયો. કેમ કે શશી હવે ‘વિવેક નિર્વાણો’ બનીને રજનીશ પાસે પરત આવી ગઈ હતી, તેમની દેખભાળ, સારસંભાળ લેવા માટે તો પછી શશી ક્યાં ગઈ હતી ? તે તો અહીં જ છે. થોડા રૂપ-રંગ બદલાઈ ગયા છે અને હા, નામ પણ બદલાઈ ગયું છે. આથી જ રજનીશે ક્યારેય મૃત્યુનો અસ્વીકાર કર્યો નથી અને મૃત્યુને ભયનું કારણ પણ માન્યું નથી, પણ તેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે “હું મૃત્યુ શીખવું છું.”
રજનીશનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ભાવ સદા છલકતો રહ્યો. બાળપણમાં તેમણે નદીમાં પડ્યા રહેવાનું પસંદ હતું. તેમને જે ગૂઢ જ્ઞાની બાબા મળ્યા તે પણ નદીમાં તરતી વખતે મળ્યા !! નદી પર રજનીશે આપેલા પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે, રજનીશ જયારે અનુભવ વર્ણવે ત્યારે એક નાનકડી વાત કેટલી મોટી બની જાય છે. કેવી રીતે એક કણમાં, અણુમાં સંપૂર્ણ બ્રહ્માંડ વસે છે, તે રજનીશ શબ્દોમાં વણી આપે છે. ‘હું તેની સાથે વહેવા માંડયો, કેમ કે ધીમે ધીમે મને આખું અસ્તિત્ત્વ જ નદી જેવું દેખાવા લાગ્યું. તેણે તેની કઠોરતા ગુમાવી દીધી, એ તરલ બની ગયું.’
‘તમે જ્યારે પણ કોઈ વહેતી ચીજના પ્રેમમાં બંધાઈ જાઓ છો તો તમારા જીવનનું એક અલગ જ રૂપ જોવા મળે છે. આધુનિક માનવી સડક પર સિમેન્ટ અને કોન્ક્રીટના બનેલા ઘરમાં રહે છે. યાદ રાખો કે, આ બધી ‘સંજ્ઞા’ છે, ‘ક્રિયા’ નથી. ગગનચુંબી ઈમારત વહેતી નથી, સડક ત્યાં ને ત્યાં જ રહે છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી પણ એક પ્રક્રિયા છે. હું નદીના છેક છેલ્લા કિનારા સુધી જતો હતો ફક્ત ત્યાં બેસવા માટે. ત્યાં કાંઈ કરવાની જરૂર જ ન હતી. ત્યાં માત્ર હાજરી જ પર્યાપ્ત હતી. ત્યાં હોવું એ જ સુંદર અનુભવ હતો. ત્યાં હું ફક્ત નદીની સાથે રહેતો હતો, કાંઈ કરતો ન હતો. માત્ર વસ્તુઓ નિહાળતો હતો, ક્રિયા થઈ રહી હતી પણ કોઈ ક્રિયા કરનારું ન હતું અને મારા પ્રારંભિક અનુભવ આ નદી પાસે જ શરૂ થયા, માત્ર ત્યાં હાજર રહેવાથી, ત્યાં લાખો ચીજો, પ્રસંગો બન્યા હતા. હું તેને ઘણો પ્રેમ કરતો. હું ચોમાસાની રાહ જોતો. તરતાં તરતાં એક એવી ક્ષણ આવતી જ્યારે હું અનુભવતો કે હું મરી રહ્યો છું. કેમ કે હું થાકી જતો અને મને બીજો કિનારો દેખાતો ન હતો. એ વખતે હું પાણીની ઉપર હતો અને મારું શરીર પાણીની અંદર હોતું. આમ પહેલીવાર બન્યું તો તે ડરાવી દેતો અનુભવ હતો. મેં વિચાર્યું કે હું મરી ગયો છું પણ મેં જોયું કે શરીર હજી પણ બીજા કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મેં શરીરને સાથ આપ્યો.'(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 24, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

રજનીશે કહ્યું: “આ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” આ એક માત્ર પુસ્તકના લેખકનું નામ ખલીલ જીબ્રાન અને એ પુસ્તકનું નામ ‘ધ પ્રોફેટ.’!!
૨૦૦૨માં ગાડરવાડામાં એક વૃદ્ધ વ્યક્તિ કે, જેમણે રજનીશને ભણાવ્યા હતા. તેઓ પોતાની ચમકતી આંખ અને રણકતા અવાજ સાથે કહે છે કે, રજનીશને નાની વયે જ શશી નામની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો પણ તે ગુજરી ગઈ. જો કે, રજનીશ આ સત્યને છુપાવતા નથી અને ખોટું પણ પાડતા નથી પણ છાતી ઠોકીને સ્વીકાર કરે છે કે, “એ વખતે હું યુવાન હતો અને તે મારી મિત્ર હતી. તેનું નામ શશી હતું. ૧૯૪૭માં તેનું નિધન થયું હતું. તે ગઈ પણ મૃત્યુશૈયા પર તેણે મને વચન આપ્યું હતું કે, તે પરત ફરશે. હું ડરી ગયો હતો. મારા ગામના કોઈ ડો. શર્માની એ પુત્રી હતી. હવે તે (વિવેક) નિર્વાણો’ બનીને આવી ને મારી કાળજી રાખે છે.”
રજનીશને નુરજહાંનું ગાયેલું એક ગીત ખૂબ જ ગમતું હતું. જેના શબ્દો હતા. “વો જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હે યાદ હો કિ ન યાદ હો” આ ગીત ઓશો દરરોજ ગાતા હતા. આ ગીત વાસ્તવમાં નુરજહાંના અવાજમાં પણ તેમાં રજનીશના દિલના શબ્દો હતા. આ કરાર એ પ્રેમનો કરાર, એક તરફ રજનીશનો શશી પ્રત્યેનો સાથે હતો તો બીજી તરફ શશીનો રજનીશ પ્રત્યેનો સાથ હતો. અહીં મજાની વાત એ છે કે, ગયા પછી પણ તેમની પ્રેમિકા વચન નિભાવવા પાછી આવી. હવે એ વાત અલગ છે કે, આ વખતે તે ‘વિવેક’ બનીને આવી હતી અને તેને ઓળખવામાં રજનીશે કોઈ ભૂલ કરી ન હતી. રજનીશે આ જીવનમાં તેને ‘નિર્વાણો’ નામ આપ્યું હતું અને સાથે સાથે પોતાની કાળજી રાખવાની જવાબદારી પણ સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે, રજનીશને પુનર્જન્મમાં વિશ્વાસ હતો. તેઓ પોતાનો પાછલો જન્મ જાણતા હતા, પાછલા જન્મમાં પોતાની માતા તથા પિતાના હત્યારાને પણ જાણતા હતા અને હવે તેઓ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાના પાછલા જન્મ વિશે પણ જાણે છે. રજનીશે પોતાના બાળપણથી યુવાવસ્થા સુધીના સ્મરણો ઘણીવાર યાદ કર્યા છે. જેમાં તેમણે શશીને પણ ઘણીવાર યાદ કરી છે. શશીને તેઓ ‘ગુડિયા’ કહેતા હતા.
રજનીશનો અર્થ છે ચંદ્ર અને શશીનો અર્થ પણ ચંદ્ર જ છે. એટલે કે, તેઓ બે હોવા છતાં બે ન હતા પણ એક જ હતાં. પ્રેમના ગણિતમાં હંમેશાં એક -વત્તા-એક એટલે એક જ થાય છે, બે નહીં. ઓશોને વિશ્વાસ હતો કે, ગુડિયા ફરીથી જન્મ લેશે અને હું તેને ઓળખી લઈશ.
પુસ્તક વાંચવાની ઓશોની ઝડપ ઘણી વધારે હતી. એમ કહેવાય છે કે તેઓ એક દિવસમાં ૬-૭ પુસ્તકો વાંચી કાઢતા હતા, જેનાં કુલ પૃષ્ઠ લગભગ ૩૦૦૦ જેટલાં થતાં હતાં. પોતે વાંચેલાં પુસ્તકો પર રજનીશ એટલા સુંદર હસ્તાક્ષર કરતા જાણે કે કોઈ પેઈન્ટિંગનો ટુકડો ચિપકાવ્યો હોય !! ઓશોને વાંચનની સાથે સાથે પોતાનાં પુસ્તકોની લાઈબ્રેરી બનાવવાનો પણ શોખ હતો. તેઓ પુસ્તકોને તેના રંગ, આકાર અને શીર્ષક મુજબ ગોઠવતા હતા. નવાં પુસ્તક આવે એટલે તેઓ એ પુસ્તકને અનુરૂપ ગોઠવણી કરતા હતા.
ઘણી નાનકડી વયે રજનીશે એ લેખકોનાં પુસ્તક વાંચી નાંખ્યાં હતાં, જેને ઘણા તો મોટી ઉંમરે પણ વાંચી શકતા નથી. કોઈપણ વ્યક્તિ ગમે તે ઉંમરે વાંચી શકે છે પણ સવાલ એ છે કે, તેમાંથી સમજાયું કેટલું અને તેથી પણ મહત્ત્વની બાબત એ છે કે તેનો આનંદ કેટલો ઉઠાવી શકાયો !! ઘણી નાનકડી વયે ઓશો આ બાબતમાં પાર ઉતરી ચૂક્યા હતા. તેમણે હજારો પુસ્તકો વાંચ્યાં અને તેમાંથી તેમણે એવાં પુસ્તકોનો ઉલ્લેખ પણ કર્યો છે જે તેમને પસંદ પડ્યાં હોય. રશિયન લેખક ટોલસ્ટોયના પુસ્તક ‘રિસરેક્શન’ને તો તેમણે પોતાનું બાઈબલ માન્યું છે. આ પુસ્તક તેમણે ઘણીવાર વાંચ્યું છે એટલું જ નહીં પણ તેઓ હંમેશાં પોતાની સાથે જ રાખતા હતા. રશિયન લેખક ઈવાન તુર્ગનેવના પુસ્તક ‘ફાધર્સ એન્ડ સંસ’ (પિતાઓ અને પુત્રો) વિશે તેમનું કહેવું હતું કે “આ પુસ્તક જેવું કોઈ પુસ્તક નથી.” આ પુસ્તક તો તેમણે પોતાના પિતાને પણ પરાણે વંચાવ્યું હતું જેનું પરિણામ એ આવ્યું કે રજનીશ અને તેમના પિતા વચ્ચેનું અંતર ઘટી ગયું અને બંને નજીક આવી ગયા. બંને પિતા-પુત્ર મટીને મિત્ર બની ગયા !!
આગળ જતાં રજનીશનો પુસ્તકપ્રેમ ખતમ થવાની વાત તો દૂર પણ ઘટ્યો પણ નહિ. હાઈસ્કૂલના દિવસોથી તો તેમણે પુસ્તકોનો સંગ્રહ કરવાનું શરુ કરી દીધું. અને અંતે તો તેઓ લાખ્ખો પુસ્તકોના માલિક બની ગયા. આજે પણ તેમનું અંગત પુસ્તકાલય એક જોવાલાયક સંગ્રહાલય છે. જ્યાં સંખ્યાબંધ વિષયો પર અગણિત પુસ્તકો છે. એવું નથી કે રજનીશ વિચારક હતા એટલે તેમણે માત્ર સૉક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને રસેલ જેવા મહાન લેખકોનાં જ પુસ્તકો વાંચ્યાં. તેમના વ્યાખ્યાનમાં તેઓ વૈદિક સાહિત્યથી લઈને નવા નવા લેખકોની રચનાનાં ઉદાહરણ આપતા હતા. તેમના વાંચન ક્ષેત્રની પકડમાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે. આવી જ સ્થિતિ વિદેશી સાહિત્યની પણ હતી. કહેવાય છે કે રજનીશ માત્ર ત્રણ કામ કરતા હતાં. કાં તો પ્રવચન આપતા હતા અથવા તો સુતા હતા પણ સુવાનો સમય ઓછો રહેતો હતો. દમ અને એલર્જીને કારણે તેઓ લાંબો સમય સુઈ શકતા ન હતા અથવા તો વાંચન કરતા હતા. તેઓ એક આરામખુરશી પર લંબાવીને બસ વાંચન જ કરતા હતા. રજનીશના આ વાંચનની અસર તેમના પ્રવચન પર પણ દેખાઈ આવતી હતી.
રજનીશે અમેરિકાના પ્રવાસ દરમિયાન પોતાના ઘરે જ પોતાના દાંતની સારવાર કરાવી હતી. તેમના અંગત ડેન્ટિસ્ટ હતા ડૉ. દેવગીત, પણ રજનીશના દાંતના ડૉક્ટર હોવું આસાન ન હતું. કેમ કે સારવાર માટે ખુરશી પર બેસતાં જ તેમણે બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન જ તેમણે ત્રણ પુસ્તકો ‘બોલી’ નાખ્યાં હતા. ત્રીજા પુસ્તકનું નામ હતું ‘બુક્સ આઈ હેવ લવ”. આ પુસ્તકમાં રજનીશે પોતાનાં ૧૭૬ પ્રિય પુસ્તકોની વાત કરી છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, રજનીશ આ પુસ્તકો વિશ્વવિદ્યાલયને સોંપી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું હતું કે, “આ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” આ એક માત્ર પુસ્તકના લેખકનું નામ હતું ખલીલ જીબ્રાન અને એ પુસ્તકનું નામ હતું ‘ધ પ્રોફેટ.’
૧૯મી સદીના અંતમાં જે ઘટના દયાનંદ સરસ્વતી સાથે બની હતી લગભગ એવી જ ઘટના રજનીશ સાથે પણ બની હતી. એ ખબર નથી કે આ કોઈ સંયોગ હતો કે નહીં. એમ પણ કહેવાય છે કે એક જડ વાચક હોવાને કારણે રજનીશે કદાચ આ પ્રંસગ કયારેક વાંચી લીધો હશે પણ એ સમયમાં તો રજનીશને અક્ષરજ્ઞાનનાં પણ ફાંફાં હતાં. આ ઘટના પોતાના પિતાને એ પુરાવો આપવાની ઘટના છે કે ભગવાન જેવી કોઈ ચીજ હોતી જ નથી. આ પ્રસગને રજનીશના જ શબ્દોમાં વાંચવાની મજા જ કાંઈક અલગ રહેશે.
“અમે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ભણાવી રહયા હતા કે મહાવીર આ ગુણોથી સંપન્ન હતા. તેઓ સર્વશક્તિમાન, સર્વાંગ, સંર્પૂણ શકિતશાળી, બધું જ જાણનારા તથા સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યાએ ઉપસ્થિત રહેનારા હતા. મેં કહ્યું કે, તમે સાંભળી લીધું, હવે તમે મારી સાથે મંદિરે આવો, હું તમને પુરાવો આપુ કે, મેં શું કર્યુ હતું. મેં મહાવીરની મૂર્તિના માથા ઉપર એક લાડુ મૂકી દીધો. સ્વાભાવિક છે કે, બે ઉંદર મહાવીરની મૂર્તિના માથા ઉપર બેસીને લાડુ ખાઈ રહ્યા હતા. મેં કહ્યું હતું કે, આ તમારા સર્વશક્તિમાન મહાવીર છે. એ બંને ઉંદર મહાવીરની મૂર્તિ ઉપર પેશાબ કરતા હતા. આ મૂર્તિ છે. આ ફક્ત મહાવીર છે જેને હું ઓળખું છું, તમે ઓળખો છો. એ શિક્ષકો જાણે છે અને જો તે સર્વવ્યાપી છે તો ચોકકસપણે આ પણ હશે અને આ ઉંદરોને જોઈ રહ્યા હશે જે તેમની મૂર્તિ સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે, હવે તમે મને એ પુરવાર કરી આપો કે, આ વ્યકિત સર્વવ્યાપી છે. તેઓ હશે સર્વવ્યાપી પણ હું તેમની શા માટે પરવા કરું? (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Uncategorized, સ્વૈર વિહાર - મધુવન |

રજનીશજી કહે છે કે, “પાગલ બાબાની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
એક રોચક વાત જાણવાથી આશ્ચર્ય થશે.
જીસસ અને મોઝેઝ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસનને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધા અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. આ અંગે રજનીશ કહે છે. “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યા.”
મગ્ગા બાબા પછી અન્ય એક વિલક્ષણ વ્યક્તિએ રજનીશના જીવનમાં આગમન કર્યું તે હતા પગલા બાબા (પાગલ બાબા). તેઓ ખરેખર પાગલ જ હતા. તેઓ રજનીશને મળ્યા તે ઘટના પણ ઘણી વિચિત્ર હતી અને તે માટે નિમિત્ત બની હતી એ સાકર નદી જેમાં રજનીશ કલાકો સુધી તરતા રહેતા હતા.
એક દિવસ તેઓ નદીમાં તરતા હતા એવામાં પાગલ બાબા ત્યાંથી પસાર થયા અને રજનીશને જોઈને તેમણે નદીમાં છલાંગ લગાવી દીધી અને બંને સાથે સાથે તરવા લાગ્યા. એ વખતે પાગલ બાબા ઘરડા હતા અને રજનીશની ઉંમર ૧૨ વર્ષ જ હતી. પાગલ બાબા થાકી ગયા તો તેમણે કહેવું પડ્યું કે,આપણે અહીં જ અટકી જઈએ. રજનીશ તો થાકે તેમ જ ન હતા. રજનીશ ૧૨ વર્ષના હતા એટલા માટે નહીં પણ એટલા માટે કે, તે તો આ નદીની માછલી જ હતા.!!
પાગલ બાબા તેમના ગામમાં આંધીની માફક આવતા હતા અને ૧૨ વર્ષના આ છોકરાને લઈને ચાલવા માંડતા. રજનીશનાં નાની કે તેમનાં માતા-પિતા પાગલ બાબાને આમ કરતાં રોકી શકતાં ન હતાં. હકીકત તો એ હતી કે તેઓ રોકાવા પણ માગતાં ન હતાં, કેમ કે તેમને ખાતરી હતી કે પાગલ બાબા પાસે તેમનો પુત્ર સુરક્ષિત હતો, સલામત હતો.
રજનીશના જીવનમાં પાગલ બાબાની બે ભૂમિકા રહી છે. પહેલી તો એ કે તેમણે આ પાગલ બાબા સાથે ઘણાં સ્થાનોની મુલાકાત લીધી અને તેઓ ઘણા મોટા કલાકારો અને સંગીતકારોને મળી શક્યા. રજનીશના જ શબ્દોમાં, “તેમની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
પાગલ બાબાનું બીજું યોગદાન હતું મસ્તી બાબા સાથે રજનીશની ઓળખાણ કરાવવી. પાગલ બાબા તેમના જીવનમાં અંતિમ દિવસોમાં થોડા ચિંતિત રહેવા માંડ્યા હતા અને રજનીશને એમ લાગવા માંડ્યું હતું કે, તેઓ ઘણી વ્યાકુળતાથી કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વાત સાચી પણ હતી, કેમ કે તેઓ ખરેખર કોઈની રાહ જોતા હતા અને તે હતા મસ્તો બાબા એટલે કે મસ્તી બાબા. હકીકતમાં પાગલ બાબાને પોતાના જીવનના અંતનો આભાસ થઈ ગયો હતો અને તેઓ ઈચ્છતા હતા કે, મૃત્યુ અગાઉ તેઓ રજનીશને મસ્તી બાબાના હાથમાં સોંપી જાય. તેઓ આમ કરવાનું કેમ ઇચ્છતા હતા? આ અંગે પાગલ બાબાનું કહેવું હતું કે, “એવી પ્રથા છે કે કોઈ બાળક બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ બુદ્ધ પુરુષ દ્વારા બાળપણમાં જ તેને માન્યતા મળી હોવી જોઈએ.” મગ્ગા બાબા પ્રથમ બુદ્ધ પુરુષ હતા જેમણે રજનીશના બુદ્ધત્ત્વને પારખી લીધું. પાગલ બાબા બીજા હતા અને હવે ત્રીજાની રાહ જોવાતી હતી જે હતા મસ્તી બાબા.
પાગલ બાબા આ દુનિયામાંથી વિદાય લે તે પહેલાં મસ્તી બાબા પહોંચી ગયા અને પાગલ બાબાએ રજનીશ સાથે તેમની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “આ છોકરો (રજનીશ) મારે માટે સર્વસ્વ છે. કદાચ હું જે કરવા માંગું છુ તે આ કરી શકશે. તું તેના ચરણ સ્પર્શ કર. હું રાહ જોઈ રહ્યો હતો જેથી હું તારી ઓળખાણ કરાવી શકું.” અને આ સાથે ૩૫ વર્ષના એ મસ્તી બાબાએ ખરેખર રજનીશના ચરણસ્પર્શ કરી લીધા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહ્યા.
મસ્તી બાબા યુવાન હતા અને ઘણા તેજસ્વી હતા. તેમનું વ્યક્તિત્ત્વ મહાન અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હોવા છતાં બંનેનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો, કેમ કે ઉંમરનું અંતર રજનીશ માટે ક્યારેય મહત્ત્વનું રહ્યું ન હતું. જે બાળકની પોતાની નાની અને પોતાનાથી ૩૫ વર્ષ મોટા શંભુ બાબુ સાથે મિત્રતા રહી હોય તેની સરખામણીએ તો મસ્તી બાબા યુવાન હતા.
આ એ સમયની વાત છે જ્યારે રજનીશ માત્ર ૨૦ વર્ષના હતા. તેઓ મસ્તી બાબા સાથે વડાપ્રધાનના નિવાસ ત્રિમૂર્તિ ભવન ખાતે પંડિત નહેરૂને મળવા ગયા. પોતાનો વારો આવે તેની રાહ જોતા એક કેબિનેટ પ્રધાન પણ ત્યાં બેઠા હતા. હવે પછીની વાત રજનીશના જ શબ્દોમાં, “અમે અંદર ગયા અને ત્યાં પાંચ મિનિટને બદલે દોઢ કલાક સુધી રોકાયા. મસ્તી બાબાને વડાપ્રધાન સહિત બધા ઓળખે એટલે તેમને વડાપ્રધાને પહેલાં બોલાવી લીધા. આમ અમે દોઢ કલાક સુધી રોકાયા અને બહાર મોરારજી દેસાઇએ રાહ જોવી પડી. તેમના માટે આ સહન કરવું મુશ્કેલ હતું. તેમના મળવાના સમયે એક સાધુ અને એક નવયુવાન પહેલેથી ઘૂસી ગયા હતા જેને કારણે તેમને ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી.” ઉલ્લેખનીય છે કે રજનીશે પોતાના જીવનમાં જે રાજકારણીઓનો વિરોધ કરવો પડ્યો તેમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજીભાઈ દેસાઈ આજીવન રજનીશના વિરોધી રહ્યા અને રજનીશ પણ ખુલ્લેઆમ મોરારજી દેસાઈની નીતિઓની ટીકા કરતા રહ્યા. ઈ.સ. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા અને આ ગાળો રજનીશ માટે અપેક્ષાકૃત કપરો સમય રહ્યો, પરંતુ વડાપ્રધાનનો મજબૂત હોદ્દો પણ રજનીશને તેમનો વિરોધ કરતાં રોકી શક્યો નહીં પણ તે અગાઉ કરતાં પણ કટ્ટર વિરોધી બની ગયા. રજનીશનું માનવું છે કે, “ત્રિમૂર્તિ ભવનની મુલાકાતના એ દિવસથી જ તેઓ મારા દુશ્મન બની ગયા.”
હવે આપણે ફરીથી રજનીશનું એક વક્તવ્ય જોઈએ જે તેમણે પંડિત નહેરુ સાથેની મુલાકાત અંગે આપ્યું છે, “જીવનમાં પહેલીવાર હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, કેમ કે હું તો ત્યાં એક રાજકારણીને મળવા ગયો હતો અને હું જેને મળ્યો તે રાજકારણી નહીં પણ કવિ હતા. જવાહરલાલ નહેરુ રાજકારણી ન હતા. અફસોસ છે કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરી શક્યા નહીં. તેઓ ખરેખર મહાન હતા. તેઓ એક યુવાનને બહાર સુધી મૂકવા આવ્યા, જેની જરૂર ન હતી અને પછી હું કારમાં બેઠો એટલે તેમણે જાતે જ કારનો દરવાજો બંધ કર્યો તથા કાર રવાના થઇ નહીં ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા અને બિચારા મોરારાજી દેસાઈ આ બધું જોતા હતા. તે તો કાર્ટુન છે, પરંતુ આ કાર્ટુન હંમેશાં માટે મારો દુશ્મન બની ગયો. તેમણે મને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 3, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”… મગ્ગા બાબા
ઓશો હોય છતાં ન હોય !! …એવું તે બને ?? હા, અવશ્ય બને, ઓશોના કિસ્સામાં બને જ.. એક વાર માતા તેની પાસે આવી અને કહ્યું કે, મને ઘરમાં કોઈ દેખાતું નથી. કોઈ વ્યક્તિ એવી જોઈએ જે બજારમાં જઈને શાકભાજી લાવી આપે.’ તેમની સામે બેઠેલા રજનીશે કહ્યું “મને કોઈ દેખાશે તો જાણ કરી દઈશ.” હવે વિચારીએ કે ૧૦-૧૧ વર્ષનું બાળક માતાને આવો જવાબ આપે તો માતા શું કરે.?? માતા તેમને શાક લેવા મોકલે તો સાંજે આવીને કહે કે, હું ભૂલી ગયો અથવા તો મંગાવે કાંઇક અને લાવે કાંઈક તેવો ઘાટ થતો હતો. આ સંજોગોમાં માતાએ રજનીશ અંગે એવું તારણ કાઢ્યું હતું કે, “એમાં તારો દોષ નથી. દોષ અમારો છે. આખો દિવસ અમે રાહ જોતા રહ્યા. અમારે તને કોઈ કામ સોંપવું જોઈએ નહીં.” રજનીશની માતાએ આ તારણને પોતાના વ્યવહારમાં અમલી બનાવ્યું. બીજી તરફ રજનીશે એવું તારણ કાઢયું કે, “મારી હાજરીને ગેરહાજરી માની લેવામાં આવી. હું જેવો છું તેવો તેનાથી કોઈ ફરક પડતો ન હતો.
રજનીશને બાબુનો સંપર્ક થયો. તે શાળામાં ગણિતના શિક્ષક હતા. જેમનું સાચું નામ તો ખબર નથી પણ બધા તેમને કંટર માસ્ટર કહેતા હતા. તેઓ તમામ બાળકને નિર્દયતાપૂર્વક ફટકારતા હતા અને મજાની વાત તો એ હતી કે આટલી બધી ફરિયાદ છતાં વાલીઓ તેમની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી શકતા ન હતા. તેઓ ઘણા સિનિયર હતા અને આજે જેઓ વાલી બની ચૂક્યા હતા તેઓ એક જમાનામાં કંટર માસ્ટરના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આ સંબંધને કારણે વાલીઓ ચુપ હતા. તેમના વિદ્યાર્થી ના હોય તેવા વાલીઓ એટલે ડરતા હતા કે કંટર માસ્ટર અંગે ફરિયાદ કરશે તો તેઓ પોતાના બાળકને નાપાસ કરશે. તેમની આ તાકાત સામે ત્યાંના પોલીસ કમિશનર પણ ડરતા હતા અને વિચારતા હતા કે, કદાચ મારા બાળકોને નાપાસ ના કરી દે.
કંટર માસ્ટર ગણિત શીખવતા હતા અને રજનીશનું ધ્યાન બારીની બહાર હતું. કંટર માસ્ટર ભડક્યા અને રજનીશને ઊભા કરીને પૂછ્યું. “હું ગણિત ભણાવું છું તો તું બારીની બહાર કેમ જોઈ રહ્યો છે ?” હવે આઠ-નવ વર્ષના બાળકનો જવાબ સાંભળો. “ગણિત સાંભળવા માટે છે, જોવા માટે નથી. હું તમારો સુંદર ચહેરો જોવા માંગતો નથી. હું તેનાથી બચવા માટે બારીની બહાર જોઈ રહ્યો છું.ગણિતનો સવાલ છે ત્યાં સુધી તમે મને ગમે તે પૂછી શકો છો. મેં સાંભળ્યું પણ છે અને હું સમજ્યો પણ છું.”
કંટર માસ્ટરે પૂછવાનું શરૂ કર્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમના દરેક પ્રશ્નનો ઉત્તર તેમને મળવા માંડ્યો. આમ છતાં તેમણે કહ્યું “તું સાચો જવાબ આપ કે ખોટો પણ હું તને સજા કરીશ, કેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે બારીની બહાર જોઈ શકાય નહીં.” તેમણે રજનીશને સજા કરી અને એ પણ કડક સજા. રજનીશ સહન કરી શક્યા નહીં અને તેમણે નિર્ણય લીધો કે, કંટર માસ્ટરને આ માટે પરિણામ ભોગવવું પડશે. તેમની ફરિયાદ કરવા રજનીશ હેડ માસ્તર પાસે ગયા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, કંટર માસ્ટર સૌથી સિનિયર હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરાશે નહીં. આમ છતાં રજનીશે પિતાને વાત કરી તો જવાબ મળ્યો કે “તું નાહકની પરેશાની ઊભી કરી રહ્યો છે.” હવે રજનીશ પોલીસ કમિશનર પાસે ગયા તો તેમણે પણ લાચારી દાખવી કે, કદાચ તેઓ મારા પુત્રોને નાપાસ કરી દેશે. આ શાળા નગરપાલિકાની હતી એટલે તેઓ ત્યાં ગયા તો નગરપાલિકાના પ્રમુખ તો સાવ બેકાર નીકળ્યા. અંતે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પંડિત શંભુ રતન દૂબે પાસે ગયા જેમની પાસેથી તેમને સમસ્યાનો ઉકેલ મળવાનો હતો અને તેઓ એવી પહેલી વ્યક્તિને મળવાના હતા જે તેમની મિત્ર હોય.
સમગ્ર વાત સાંભળીને શંભુ રતન દૂબેએ રજનીશનો હાથ પકડીને કહ્યું કે, “હું હંમેશાં વિદ્રોહી વ્યક્તિને પ્રેમ કરું છું પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી ઉંમરનો બાળક વિદ્રોહી બની શકે. હું તને અભિનંદન આપું છું.” બંને મિત્રો બની ગયા. એક અનોખી જોડીની મિત્રતા. આ મિત્રતા શંભુ બાબુના નિધન સુધી ચાલી. શંભુ બાબુએ પોતાનું વચન પાળ્યું કેમ કે તેમના માટે આમ કરવું આસાન હતું. કંટર માસ્તરની નિવૃત્તિમાં એક મહિનો બાકી હતો અને તેમણે આ સમયગાળો લંબાવવા માટે અરજી કરી હતી. યોગાનુયોગે આ અરજી શંભુ બાબુ પાસે હતી અને તેને મંજૂર કરવી કે નહીં એ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તેમણે અરજી નામંજૂર કરી દીધી અને કંટર માસ્તરને રજા પર ઉતારી દીધા. બીજા દિવસે રજનીશ તેમની શાળામાં હીરો બની ગયા. આથી લોકોએ પણ તેમનો આદર કરવા માંડ્યો.
બાળપણથી જ રજનીશને ઉટપટાંગ વાતોમાં રસ હોવાને કારણે ઝડપી અને રહસ્યમય લોકો સાથે સંપર્ક વધારવાની તેમને લાલચ રહી છે જે સ્વાભાવિક છે આમ તો તેઓ આવા ઘણા ગૂઢ સંપ્રદાયોના સંપર્કમાં આવ્યા પણ તેમાં ત્રણ લોકોનો – ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આ ઉલ્લેખ ઘણી શ્રદ્ધા સાથે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે. તેમાં પહેલી વ્યક્તિ હતા મગ્ગા બાબા.
મગ્ગાનો અર્થ થાય છે મોટો જગ. તેઓ પોતાના હાથમાં મોટો જગ (મગ્ગા) રાખતા હતા. આ જગ જ તેમની મિલકત-મૂડી અને સર્વસ્વ હતું. તેથી તેમનું નામ મગ્ગા બાબા પડી ગયું. એ જમાનામાં તમામ સાધુ સંતોનાં નામ તેમની કોઈ ને કોઈ વિશેષતા પરથી પડી જતું હતું. જેમ કે કાળો ધાબળો ઓઢનારા બાબાનું નામ કાલી કમલી વાલે બાબા. લીંબડાના (નીમ) ઝાડ નીચે રહેતા બાબાનું નામ નીમ બાબા. એક પગ ઉપર ઊભા રહેતા બાબાનું નામ ખડા બાબા વગેરે વગેરે…
તો તેમનું નામ હતું મગ્ગા બાબા. તેમની સામે કોઈ આવે એટલે તેઓ જગ ધરી દેતા. તેનો અર્થ એ ન હતો કે તેઓ લાલચુ હતા. તેઓ એક પાસેથી લઈને બીજાને આપી દેતા હતા. તેમાં પૈસા આવતા-જતા રહેતા હતા. તેમનો જગ હંમેશાં ખાલી રહેતો અને તેમને વારંવાર આ જગ સાફ કરતાં રજનીશે જોયા હતા. તેઓ ક્યાંથી આવ્યા અને તેમની જાતિ કઈ હતી તેની કોઈને ખબર ન હતી. એટલું જ કે એક દિવસ તેઓ ગામમાં આવ્યા અને લોકો તેમનાથી આફરીન થઈ ગયા. મોટાભાગે તેઓ મૂંગા રહેતા અને લોકો તેમને વધારે પરેશાન કરે તો અસ્પષ્ટ અવાજ કાઢતા હતા. આખો દિવસ લોકોની ભીડ જમા રહેતી હતી. આવામાં રજનીશ રાત્રે બે-ત્રણ વાગે તેમની પાસે જતા હતા, કેમ કે એ વખતે જ તેમને એકલા મળી શકાતું. રજનીશને તેમની વાત એટલે ગમતી હતી કે, તેઓ સુંદર હતા અને જીવંત હતા. રજનીશે પોતાની ઉપર મગ્ગા બાબાના પ્રભાવને આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. “તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કહયું હતું કે, જીવન દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આથી દેખાય છે તેના વિશે કોઈ નિર્ણય કરવો નહીં, પણ ઊંડી ખીણમાં જાઓ જ્યાં જીવનનાં મૂળિયાં છે. તેમણે મને ઘણો સહકાર આપ્યો. તેમણે ક્યારેય કોઈ આદેશ કર્યો નથી. તેમની હાજરીથી જ મારામાં છૂપાયેલી અજ્ઞાત શક્તિઓ જાગી ગઈ. હું મગ્ગા બાબાનો ઘણો આભારી છું.”
રજનીશને ખુદને આશ્ચર્ય થતું હતું કે, “મગ્ગા બાબા શા માટે તેને આટલો પ્રેમ કરતા હતા. બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો. તેમના માટે એટલું પૂરતું હતું કે, તેમને ઘણી અદ્ભુત વ્યક્તિઓનો પ્રેમ મળ્યો અને રજનીશની આ યાદીમાં મગ્ગા બાબા ‘પ્રથમ’ હતા.
મગ્ગા બાબા ઉટપટાંગ અને ઓઘડ પ્રકારના વ્યક્તિ હતા. જે કદાચ રજનીશના વ્યક્તિત્ત્વ સાથે મેળ ખાતો હતો. રજનીશ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો. મગ્ગા બાબાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેઓ ક્યારેય બોલતા ન હતા. ક્યારેક બોલે તો કાંઇક ઉટપટાંગ બોલતા હતા જે કોઈની સમજમાં આવતું ન હતું. તેઓ અડલ, ફડલ, શડલ આવા આવા શબ્દો બોલતા હતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાતચીત કરતા હતા અને રજનીશ તેમને મળવા દરરોજ રાત્રે એક લીમડાના ઝાડ નીચે જતા હતા. મગ્ગા બાબા આ જગ્યાએ રાત્રે સૂતા હતા. તેઓ એક વખત દિવસે અને એક દિવસ રાત્રે તેમની પાસે જતા હતા. રજનીશ ક્યારેય મગ્ગા બાબાને મળવાથી પોતાની જાતને રોકી શકતા ન હતા. તેઓ બીમાર હોય તો પણ મળવા જતા હતા. રજનીશને ત્યાં આધ્યાત્મિકતાનો ખોરાક મળતો હતો. તેમણે ખુદે કબૂલ્યું હતું કે, “બાબાની હાજરીમાં જ મારી અંદરની અજ્ઞાત શક્તિઓ ખીલે છે.”
એક દિવસ ઓચિંતા જ કોઈએ આવીને ઓશોના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, મગ્ગા બાબાએ રજનીશને બોલાવ્યા છે. અડધી રાત્રે અને એ પણ મગ્ગા બાબા જેવી પાગલ વ્યક્તિએ રજનીશને બોલાવ્યા છે તે સાંભળીને રજનીશના પિતા ચિંતામાં પડી ગયા, પણ રજનીશ ક્યાં કોઈનું માને તેમ હતા. રજનીશ તો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા અને મગ્ગા બાબાની વાત સાંભળીને ચોંકી ગયા. બાબા કહી રહ્યા હતા કે “આ મારી અહીં અંતિમ રાત છે. કદાચ હું કાયમ માટે જઈ રહ્યો છું. તારા સિવાય એવું કોઈ નથી જેની હું વિદાય લઈ શકું.” તેમણે રજનીશને વહાલથી ગળે વળગાડ્યો અને તેમના માથા પર વહાલથી ચુંબન કરતાં પોતાના છેલ્લા શબ્દો કહીને હંમેશાં માટે વિદાય લઈ લીધી કે, “હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”
મગ્ગા બાબાએ વિદાય લેતાં લેતાં કહ્યું કે, તેઓ હિમાલય તરફ જઈ રહ્યા છે. એક વખત રજનીશ હિમાલયની યાત્રાએ હતા ત્યારે મગ્ગા બાબાની કબર હતી તે સ્થળે પહોંચી ગયા હતા. રજનીશ દંગ રહી ગયા કે, મગ્ગા બાબાની કબરની સાથે અન્ય બે વ્યક્તિની કબર હતી. મોઝેઝ અને જીસસ. રજનીશનું માનવું હતું કે, આ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધો અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. ‘આ અંગે રજનીશ કહે છે, “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગ્ગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યો.”(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 27, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું તેમને ‘મા’ કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે.”….ઓશો
રજનીશ પણ ક્યારેક એ પૈતૃક મંદિરમાં જતા હતા જ્યાં તેમના નાના જતા હતા પરંતુ તેમના નાના સાથે નહીં, પણ મંદિર બંધ હોય ત્યારે કારણ કે, એ વખતે તેઓ મંદિરમાં લગાવેલ ફાનસના કાચ કાઢી લેતા હતા. ધીમે ધીમે તેમણે મંદિરની તમામ ફાનસના કાચ કાઢી લીધા. લોકોએ તેમના નાનાને આ વાતની ફરિયાદ કરી તો આ કામને અધર્મ અને અનૈતિક માનીને રજનીશને ધમકાવવાને બદલે તેમના નાનાએ રજનીશની તરફેણ કરીને લોકોને કહ્યું કે “તો શું થઈ ગયું ?” આ ફાનસ મેં તો દાનમાં આપ્યાં છે. બીજાં ફાનસ આપી દઈશ. તે ચોરી નથી કરતો, આ તો તેના નાનાની જ મિલકત છે. આ મંદિર મેં તો બંધાવ્યું છે.” એ દિવસ પછી લોકોની સાથે સાથે પૂજારીએ પણ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, કેમ કે મંદિર ભલે કોઈ ભગવાનના નામથી જાણીતું હોય પણ તેના ભૌતિક માલિક તો રજનીશના નાના જ હતા ને? આ ઘટનાને રજનીશ પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના માને છે અને કહે છે “આ રીતે મેં ધામિર્કતા શીખી.” એમ કહેવું ખોટું નથી કે રજનીશના ભાવિ વિચારોમાં આ ઘટનાઓની ઝલક મેળવવા માટે ખાસ મહેનત કરવાની જરૂર નથી.
નાના સાથે સંકળાયેલી રજનીશની એક અન્ય મહત્ત્વની ઘટના તેમના નાનાનું નિધન. યોગાનુયોગ તેમનું નિધન રજનીશના ખોળામાં જ થયું હતું. નાના અચાનક બીમાર પડ્યા અને તેમને શહેરમાં લઈ જવા પડ્યા. એ વખતનું કોઈપણ શહેર કુચવાડાથી ૫૦ કિલોમીટરથી નજીક ન હતું. મોટરકાર તો હતી જ નહીં. એક માત્ર વાહન એટલે બળદગાડું. જેમાં તેમને શહેર લઈ જવાયા. એ પ્રવાસમાં ચાર વ્યક્તિ હતી. નાના-નાની, સાત વર્ષનો રજનીશ અને તેમનો નોકર ભૂરો જે રજનીશનો બોડીગાર્ડ પણ હતો.
વાતચીત જે આ સાત વર્ષના બાળકના મનમાં વસી જ નહીં પરંતુ જીવન અને મૃત્યુના દર્શનનો પાયો બની ગઈ. રજનીશના નાનાને ખ્યાલ આવી ગયો હતો કે મૃત્યુ નજીકમાં છે. આમ છતાં તેમના છેલ્લા શબ્દો હતા. “ચિંતા ના કરતો, કેમ કે હું મરી રહ્યો નથી.” અને હકીકત એ છે કે જે જીવન—મૃત્યુના અનંતચક્રને સમજે છે તે દરેક મૃત્યુ વખતે જાહેર કરે છે કે “હું મરી રહ્યો નથી.” મૃત્યુ શૈયા પર સૂતેલા નાનાએ રજનીશને વારંવાર આ જ કહ્યું કે “ચક્રને રોકો, ચક્રને રોકો” આ ચક્ર શું હતું ? આ ચક્ર એ બળદગાડીના પૈડાં ન હતાં જેમાં તેઓ શહેરમાં જઈ રહ્યા હતા. એ તો જીવનની ગાડીનાં પૈડાં હતાં. તેમના નાના જાણી ગયા હતા કે જીવનના ચક્રને રોકી શકાય તેમ નથી. તેને રોકવાનો અર્થ થયો મોક્ષ પ્રાપ્ત કરવો. જે સામાન્ય વાત ન હતી. મૃત્યુ તો માત્ર આ જીવનની સમાપ્તિ અને અન્ય જીવનની શરૂઆત હતી. આ ચક્ર તો ચાલતું જ રહેશે.
‘આ ચક્રને રોકો’ વાક્યનો ઊંડો પ્રભાવ રજનીશ ઉપર પડ્યો. પરિણામે પુનર્જન્મ તેમના વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયો. તેમણે પોતાના પુનર્જન્મની વાત કરી અને બીજાને પણ કર્મના સંદર્ભમાં પુનર્જન્મની સત્યતા સમજાવી. તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે, મૃત્યુ પછી આત્મા પોતાના માટે યોગ્ય ગર્ભની રાહ જુએ છે. યોગ્ય ગર્ભ મળતાં જ તે જન્મ લઇ લે છે. મૃત્યુ વખતે વ્યક્તિની અંદર જેવો ભાવ હોય છે તેવા જ ભાવને અનુરૂપ તેને આગલો જન્મ પ્રાપ્ત થાય છે.
પોતાના નાનાના મૃત્યુ અંગે રજનીશે હૃદયને સ્પર્શી જાય તેવી માર્મિક વાત કરી છે. બળદગાડું નદીના પટમાંથી પસાર થઈને ગાડરવાડા તરફ જઈ રહ્યું હતું. કુદરત શાંત છે અને તેમાં બેઠેલા ચારેય જણા પણ શાંત છે. કોઈ કાંઈ બોલતું નથી. એવી નીરવ શાંતિ હતી જેને સહન કરવી આસાન ન હતી. આવી સ્થિતિમાં બાળકે તેના નાનાને કહ્યું, “કાંઈક તો બોલો, ચૂપ ન રહો, સહન થતું નથી.” એ પછી તેમના નાનાએ શું કર્યું ? આવો રજનીશના શબ્દોમાં જાણીએ “શું આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ? તેમણે એક ગીત ગાયું કે ‘મૃત્યુનો ઉત્સવ કેવી રીતે મનાવાય.’ આ મેં તેમની પાસેથી જ શીખ્યું. તેમણે એ જ ગીત ગાયું જે તેમણે પહેલીવાર નાની સાથે પ્રેમ થયો ત્યારે ગાયું હતું.”
બાળપણથી જ રજનીશ જે રીતે આખાબોલા હતા તેને સહન કરવું કોઈપણ વડીલ માટે આસાન ન હતું. દાખલા તરીકે તેઓ ક્યારેક દાદાના પગે માલિશ કરી આપતા હતા પરંતુ કોઈ બાળક માટે આમ કહેવું ઉદંડતા જ કહેવાશે કે આમ કરીને હું જવાબદારી નથી નિભાવતો અને આ જગતમાં મારી કોઈ માટે કોઈ જવાબદારી નથી. હું તમારા પગની માલિશ કરીશ પણ મને કોઈ તકલીફ નહીં પડે ત્યાં સુધી જ હું માલિશ કરીશ. હું અટકી જાઉં તો હજી થોડી વાર માલિશ કર તેમ ના કહેતા, હું નહીં કરું. હું પ્રેમથી આમ કરી રહ્યો છું. તમે મારા દાદા છો એટલે નથી કરતો. આવું તો હું કોઈ ભિખારી માટે કે કોઈ અજાણ્યા માટે પણ કરતો પરંતુ પ્રેમથી જ કરતો અથવા પ્રેમથી પ્રભાવિત થઈને કરતો.” તેના ઘરડા દાદાએ રજનીશની આ વાત સાંભળીને પોતાના માટે અલગ સલાહ લઈ લીધી કે જવાબદારી અને પ્રેમ અલગ અલગ ચીજ છે.
ઓશોનો પરિવાર એક પરંપરાગત જૈન પરિવાર હતો પરંતુ તેમના દાદા તો જરાય ધાર્મિક ન હતા. રજનીશના જણાવ્યા પ્રમાણે તો તેમના દાદા ‘ઝોરબા ધ બુદ્ધા’ની નજીક હતા. આ દર્શનનો સિદ્ધાંત આપણા ચાર્વાકના સિદ્ધાંતને મળતો આવે છે. ‘ખાઓ, પીઓ અને મોજ કરો‘. આ સિવાય અન્ય કોઈ વિશ્વ છે જ નહીં. બાકી બધું બકવાસ છે. કદાચ આ જ વિચારને કારણે તેમના દાદાને પરિવારથી દૂર કુદરત વચ્ચે સહજતાનો અનુભવ થતો હતો. દાદાના આ વિચારોનો પ્રભાવ રજનીશ પર પડ્યો. એક વખત રજનીશે કહ્યું પણ છે કે “હું ઘણા કારણોસર ઝોરબાને પ્રેમ કરું છું. એક કારણ એ હતું કે ઝોરબાના સ્વરૂપમાં મેં ફરીથી મારા દાદાને પ્રાપ્ત કર્યા હતા.”
રજનીશના પિતા એક સીધા-સાદા વણિક હતા અને કપડાની નાનકડી દુકાન ધરાવતા હતા. રજનીશ ક્યારેક જ દુકાને જતા હતા. એ સિવાય પોતાની આંખ બંધ કરીને દુકાન પાસેથી પસાર થઈ જતા હતા. પિતાને આ વાત ગમતી ન હતી અને જ્યારે પિતાએ આ વાતનો વિરોધ કર્યો તો રજનીશે સંભળાવી દીધું કે “હું માત્ર એટલું જ ધ્યાન રાખું છું કે તમારો નાશ કર્યો તે રીતે આ દુકાન મારો પણ નાશ કરી દે નહીં.” પોતાના જ આવડા નાના બાળક પાસેથી આવી વાત સાંભળીને કયો પિતા ચોંકી જાય નહીં કારણ પિતા આખરે પિતા હોય છે.
એક લપિયો માણસ હતો. જે અવારનવાર તેમના પિતાને મળવા આવતો હતો. એક વખત તે મળવા આવ્યો તો પિતાએ રજનીશને કહ્યું કે, તેને કહી દે કે પિતાજી બહાર ગયા છે. રજનીશ માટે પિતાની આ સલાહ ચોંકાવનારી હતી. કેમ કે સીધા—સાદા પિતા હંમેશાં સત્ય બોલવાનું જ શીખવે છે. રજનીશને આઘાત પણ લાગ્યો કેમ કે, આ પરસ્પર વિરોધી બાબત હતી. રજનીશે ખોટું બોલવાને બદલે એ માણસને કહી દીધું કે “તેઓ અંદર છે, પણ કહે છે કે બહાર ગયા છે.” દેખીતી વાત છે કે પિતાને નિરાશા થઈ અને વાત દલીલબાજી સુધી પહોંચી તો રજનીશે સ્પષ્ટ કહી દીધું કે “જો તમે એ માણસ અહીં આવે તેવું ઇચ્છતા નથી તો તમારે તેને કહી દેવું જોઈએ કે તમારી પાસે સમય નથી અને તમે તેની કંટાળાજનક વાતો પસંદ કરતા નથી. કેમ કે તેઓ એકની એક વાતનું રટણ કર્યે રાખે છે. તમે ડરો છો શા માટે ? તમારે ખોટું બોલવાની જરૂર જ ક્યાં છે ?
અને… સૌથી મજાની વાત તો એ છે કે એ માણસને આ વાતની ખબર પડી તો તેણે રજનીશને શાબાશી આપી અને ઈનામ આપતાં કહ્યું કે “મને કોઈએ ક્યારેય કહ્યું નથી કે હું લપિયો છું. એ ગામની તમામ વ્યક્તિ કોઈને કોઈ કારણસર એ વ્યક્તિના ઉપકાર તળે દબાયેલી હતી તેથી કોઈ તેને એમ કહેવાની હિંમત કરતું ન હતું કે તે લપિયો છે. આ ઘટનાને અંતે રજનીશને બીજુ એક ઇનામ પણ મળ્યું. આ વખતે ઈનામ તેમના પિતાએ આપ્યું હતું. અહીંથી રજનીશે એ શોધી કાઢ્યું કે “સત્યને હંમેશાં પુરસ્કૃત કરતા નથી તો તેનો અર્થ એ થયો કે તમે અસત્યનો સાથ આપી રહ્યા છો.”
રજનીશની માતાએ પોતાના પતિ સંન્યાસ લે તેનાં ચાર વર્ષ અગાઉથી સંન્યાસ લઈ લીધો હતો. આ દરમ્યાન તેમના પિતા ધ્યાન શિબિરમાં જવા લાગ્યા અને ધ્યાન પણ ઘરતા હતા. તેમના પિતાને સવારે લગભગ ત્રણ વાગે ઊઠી જવાની આદત હતી. તેઓ અગિયાર વાગે સૂતા હતા અને ત્રણ પછી સૂઈ શકતા ન હતા. સૂર્યોદય સુધીનો સમય તો આમ જ બેચેનીમાં જતો હતો. આથી રજનીશે તેમને સૂચન કર્યું કે, તેઓ આ સમયનો ધ્યાન ધરવામાં ઉપયોગ કરે. અહીં સુધીમાં તેમના પિતા વેપાર અને ભૌતિક જગતથી થોડા અકળાઈને રજનીશની વાત પર ધ્યાન આપવા લાગ્યા હતા. પરિણામે તેઓ ત્રણ વાગ્યાથી જ ધ્યાનમાં બેસવા લાગ્યા અને અહીંથી જ તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવા લાગી.
એક દિવસ. આ દિવસ ૧૯૭૫ના ઑક્ટોબરનો હતો જ્યારે રજનીશના પિતાને એક નવું નામ મળ્યું. એ નામ હતું સ્વામી દેવતીર્થભારતી. એ દિવસે સવારે લક્ષ્મીએ આવીને ઓશોને કહ્યું કે “તમારા પિતા તમને તાકીદે મળવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું છે કે સાથે માળા અને સંન્યાસ માટેનું ફોર્મ લેતા આવવું. મને ખબર નથી કે તેમને શું થયું છે.” રજનીશના પિતા છેલ્લા ત્રણ કલાકથી લક્ષ્મી રહેતી હતી તે રૂમમાં બેઠા હતા. એ રૂમ હતો પૂનાના આશ્રમનું લાઓત્સુ ભવન. રજનીશ જેવા એ રૂમમાં ગયા કે તેમના પિતાએ કહ્યું “હવે સમય આવી ગયો છે મને સંન્યાસ આપી દે.”
રજનીશે પોતાની માતાને હંમેશાં ‘ભાભી’ કહીને જ સંબોધ્યાં. તેમણે ક્યારેય પોતાની માતાને મા નથી કહી અને તેમણે સંન્યાસ લઈ લીધો ત્યારે પણ નહીં. તેનું કારણ એ હતું કે બાળપણમાં જ તેમણે પોતાની નાનીને ‘મા’ કહી હતી. માત્ર મા કહ્યું ન હતું પણ નાનીને મા સમજી હતી. ગાડરવાડા આવીને રજનીશને ખ્યાલ આવી ગયો હતો કે, જેને તેઓ મા કહે છે તે નાની છે અને અસલી માતા તો આ છે તેમ છતાં માતા પ્રત્યેનું સંબોધન તેઓ બદલી શક્યા ન હતા. નાનીનું અવસાન થઈ ગયું ત્યારે પણ તેઓ માતાનું સંબોધન બદલી શક્યા નહીં. આમ કેમ કર્યું રજનીશે ? ઓશોએ આ માટે જે જવાબ આપ્યો છે તેમાં પણ તેમના વ્યક્તિત્ત્વની જબરદસ્ત ઈમાનદારી દેખાય છે. તેમણે કહ્યું હતું “હું તેમને મા કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે. ના, હું આમ ના કરી શકું.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને આશ્ચર્ય થાય અને કદાચ વિચિત્ર પણ લાગઈ કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.
નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે “સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. “જીવન જેવું છે, સુંદર છે, એવું જ રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”
શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”
રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે “આ તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને આ ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ? ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે “તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટે ‘કેમ‘ હોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”
આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.
– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”
– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”
– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.
– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.
રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.
પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !! જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે, એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”
ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. “તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી મંદિર જતી વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’
એકવીસમી સદીના વૈશ્વિક બુદ્ધપુરુષ ‘શ્રી રજનીશ’ એટલે ‘ભગવાન રજનીશ’ એટલે કે ‘ઓશો’ ના જીવનનું આપણે વિહંગવલોકન કર્યું. ઓશોનું જીવન અગાધ દરિયા સમાન હતું એટલે તેઓશ્રી વિષે માંડીને વાત કરવા બેસીએ તો તો પાર જ ન આવે. આપણે શ્રી રજનીશના બાળપણથી લઈને તેઓની વિદાય સુધીના જીવનમાં જે જે રોમાંચક ઘટનાઓ ઘટી તેમાંથી કેટલીક અગત્યની ઘટનાઓ જાણવાનો પ્રયત્ન કરીએ.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એ વખતે એક ખૂબ જ નાનકડું ગામ હતું. કુચવાડા નામના આ ગામની વસતી માંડ ૨૦૦ જેટલી હતી. એ વખતે ત્યાં થોડાં વૃક્ષો હતાં, ઝૂંપડીઓ હતી અને એક નાનું તળાવ હતું. ભારતનાં મોટાભાગનાં ગામડામાં હોય છે તેમ આ ગામમાં પણ એક મંદિર હતું. ગામના જ એક પ્રતિષ્ઠિત જૈન ધર્મીએ મંદિર બનાવ્યું હતું. આ મંદિર બંધાવનાર ૫૦ વર્ષની એ વ્યક્તિ જ્યારે પણ મંદિર જાય તો લગભગ સાતેક વર્ષનો તેનો પૌત્ર પણ તેની પાછળ પાછળ મંદિરે પહોંચી જતો. પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી દર વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’ નાનાના આ શબ્દો એ સાત વર્ષના નાના બાળકના અજ્ઞાત માનસમાં એટલી હદે ઘર કરી ગયા કે, તે તેના જીવન, કાર્યો અને વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયા. જો કે, એ શબ્દો એટલા ઊંડા કે તાર્કિક ન હતા કે તેની આટલી જોરદાર અસર થવી જોઈએ. નાનાએ તો માત્ર એમ જ અમસ્તા કહી દીધું હતું પરંતુ આપણે જાણીએ છીએ કે, કમાલ તો લેનારો કરે છે, આપનારો નહીં. એ વખતે નાનાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “તું જઈ શકે છે. મનમાં આવે તો પૂજા–અર્ચના પણ કરી શકે છે પણ તારે એકલાએ જવું પડશે, મારી પાછળ પાછળ આવીને નહીં. કોઈની પાછળ ચાલવું એ ઘણો મોટો ગુનો કહેવાય છે.”
પોતાના માતા પિતા અંગે ઓશોનું કથન ભણેલી-ગણેલી અને સમજદાર વ્યક્તિને ભાગ્યે જ વિશ્વાસ બેસે કે, “મારા માતા પિતા તરીકે આ યુગલની મેં પસંદગી કરી.” ટૂંકમાં, આ સ્વરૂપમાં જન્મ લેવા માટે તેમણે જ એ વાતની પસંદગી કરી કે, કોણ તેમના પિતા હશે અને કોણ તેમની માતા હશે. ઓશોની આ વાત ઉપર વિશ્વાસ કરવો એટલા માટે અઘરો છે કે, આપણે ભારતીયોની ચેતના ‘જન્મ-મરણ વિધિ હાથ’ વાળી ચેતના છે. આમ, છતાં ઓશો આ વાત કહી રહ્યા છે તો તે સાવ ફાલતુ તો નહીં જ હોય !!
ઓશોએ પોતાના માતા-પિતા તરીકે જે દંપતીની પસંદગી કરી તે યુગલ સાવ સીધું, સાદું, સરળ અને ગામડામાં રહેનારું યુગલ હતું. તેઓ ભણ્યા-ગણ્યા ન હતા અને આધુનિક પણ ન હતા. પસંદગી શ્રી રજનીશના હાથમાં હતી તેથી તેમણે ઇચ્છયું હોત તો કોઇ રાજા-રાણીની પસંદગી પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે જેની પસંદગી કરી તેઓ માત્ર ગ્રામીણ કે અભણ જ નહીં, પણ ગરીબ પણ હતા. એટલા ગરીબ હતા કે એમની કુલ મૂડી માત્ર ૭૦૦ રૂપિયા હતી. તો અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે તેમણે આમ કેમ કર્યું? તેઓ ખુદ બૌદ્ધિક વ્યક્તિ હતા. પાખંડના અત્યંત વિરોધી હતા. ખાસ કરીને તેમણે એ ધર્મનાં તો ચીંથરાં ઉડાવી દીધાં છે જે ધર્મમાં માનનારા દંપતીને ત્યાં તેમણે જન્મ લીધો. ઓશોનું જીવન પણ વૈભવશાળી હતું. તો પછી પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં ઓશોએ આવી ખોટી પસંદગી કેમ કરી, તે પ્રશ્ન તો સાચો જ છે.
ઓશો ઇચ્છતા હતા કે, તેઓ એવા દંપતીનું સંતાન બને જેમની વચ્ચે ગાઢ પ્રેમ હોય. આ જ તર્ક સાથે તેઓ મોટાભાગનાં સંતાનો અંગે ટીકા કરે છે કે, તેઓ પ્રેમની નહીં પણ વાસનાની દેન (પરિણામ) છે. ઓશો સાથે આવું ન હતું. ઓશોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેમણે ક્યારેય તેમના માતા-પિતાને પરસ્પર ઝઘડતાં જોયાં નથી. તેઓ એકબીજાને ક્યારેય હેરાન પણ કરતાં ન હતાં. આ એક ચમત્કાર છે, કેમ કે સદીઓથી પુરુષોએ હંમેશાં મહિલાનું શોષણ કર્યું છે અને એટલી હદે કે તેણે પરોક્ષ માર્ગ શીખી લીધો છે. મારી માતાએ ક્યારેય મારા પિતાને હેરાન કર્યા નથી. મહિલાઓ પુરુષનું માથું ખાઈ જાય છે અને માથું ખાવું એ હકીકતમાં હિંસા જ છે.
સૌથી મોટી વાત એ છે કે તેમના માતા-પિતા અંતે બુદ્ધત્વ પામ્યા. હવે આથી વધુ શ્રેષ્ઠ ગર્વ બીજો શો હોઈ શકે? બુદ્ધત્વ પામેલાં દંપતીએ એવા સંતાનને જન્મ આપ્યો જેને બુદ્ધત્ત્વ મળ્યું.!!
રજનીશનું ખુદનું કહેવું હતું કે, આ જન્મ ૭૦૦ વર્ષ અગાઉ તિબેટમાં થયો હતો. તિબેટમાં નવાણું શરીર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેમાંથી સતાણુમું શરીર તેમનું હતું. રજનીશે કહ્યું છે કે, તેમના જન્મ પછી ત્રણ દિવસ સુધી તેમણે માતાનું દૂધ પીધું ન હતું. તેનું કારણ તેઓ જણાવે છે કે, ૭૦૦ વર્ષ અગાઉ તેમના મૃત્યુ પહેલાં તેમણે ૨૧ દિવસના ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ત્રણ દિવસ બાકી હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાંખી. એ વખતે તેમની ઉંમર ૧૦૬ વર્ષની હતી. તેમનું માનવું છે કે, એ ત્રણ દિવસના ઉપવાસ પૂરા કરવા આ જન્મમાં તેમણે પ્રથમ ત્રણ દિવસ માતાનું દૂધ પીધુ નહીં અને ત્રણ ઉપવાસ પૂરા થઇ ગયા એટલે બધું બરાબર થઈ ગયું.
રજનીશ માટે ગામનાં બાળકો સાથે રમવાની મનાઈ હતી. આમ તેની સાથે માત્ર ત્રણ જ વ્યક્તિ રહે. નાના–નાની અને તેમનો નોકર, જેનું નામ હતું ભૂરો. ૨૦૦ લોકોની વસતીવાળી દુનિયા જ રજનીશ માટે સર્વસ્વ હતું. રજનીશે લખ્યું છે કે, “મારાં નાના-નાની ઇચ્છતાં ન હતાં કે, હું ગામનાં બાળકો સાથે હળી-મળીને રહું. તેઓ ગરીબ હતાં અને ઘણાં ગરીબ. આથી મિત્ર બનાવવાનો કોઈ ઉપાય ન હતો. આની મોટી અસર પડી કે જીવનભર હું કોઈ મિત્ર બનાવી શક્યો નહીં. મારાં પ્રારંભિક વર્ષોમાં હું એકલો હતો અને મે એકલા એકલા જ ખુશી મનાવવાનું શરૂ કરી દીધું અને આ પ્રસન્નતાની વાત હતી. અંતે આ બાબત મારા માટે અભિશાપને બદલે આશીર્વાદ પુરવાર થઈ. હું તેમાંથી જ આનંદ મેળવવા માંડ્યો અને મને લાગ્યું કે, હું મારામાં જ સંતુષ્ટ છું અને કોઈ પર આધારિત નથી.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારું સત્ય હરિશ્ચંદ્ર પર અટકી જાય છે !! સત્ય તો હરિશ્ચંદ્રથી ક્યાંય મોટું છે.”
ઓશો મૃત્યુ અંગે બહુ ગંભીર હકીકત આપણી સામે મૂકે છે. તેઓ કહે છે :: “જયારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડી કે, મૃત્યુ એ મંગળ છે. અને મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.” એમના દાદા વખતે એવું બન્યું કે રજનીશ નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે એ મૉટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું, શું કરે છે? મારા બાપ ગુજરી ગયા છે ને તું હસે છે ?? તો કહે, “એ તો તમને લાગે છે. હું તો એમ માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને પાછા સરસ રીતે બોલાવી લીધા એટલે હું હસું છું.” આ અંગે એમનું પુસ્તક બન્યું ” मैं मृत्यु सिखाता हूँ” આ બધા જ અનુભવો એમણે એમાં લખેલા છે.
સુરતમાં મોરારીબાપુએ ઓશો ચેરનું ઉદ્દઘાટન કર્યું. સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં ત્યારે મોરારીબાપુએ ઓશોનો સુંદર અર્થ આપ્યો.. એમણે કહ્યું ”osho” શબ્દ ઉપરથી હું એવું સમજું છું – ”Own silence and holiness own”.. સ્વયંની શાંતિ, સ્વયંનું ધ્યાન. ટૂંકમાં, પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે.
ઘણા પૂછે છે કે, ઓશો નામ શા માટે રાખ્યું હશે ? તો કહે, એમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. મારો ઓશો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં પાંત્રીસ શ્રોતાઓની વચ્ચે થયો. હું આઠમું ધોરણ ભણતો હતો. ત્રણ દિવસના એના પ્રવચનો હતા, બે-બે કલાકનાં રોજ અને એ વખતે એમના વક્તવ્ય અંગે વિવાદ થયો હતો. બીજે દિવસે છાપામાં આવ્યું હતું. મને નોહ્તું સમજાણું કે એમણે વિવાદ શો કર્યો હતો ? હું તો બહુ નાનો હતો. જીજ્ઞાશાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે तुम्हारा सत्य हरिशचंद्र पे अटक जाता है… हरिशचंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात कहे, आप उससे भी आगे जा सकते हैं . અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે, રજનીશે હરીશચંદ્ર રાજાનો વિરોધ કર્યો.!!
મોટી-મોટી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હતાં. તમને એમ લાગે કે, એમના ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવો અમને થયા છે કે, જેમાં તેમના વ્યાખ્યાન ડોમ ઉપર મચ્છરદાની રાખવામાં આવતી હતી. એક વક્તવ્ય શ્રેણી એમણે આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી અને અમે બંન્ને જયારે સાંભળવા ગયા ત્યારે પૂછ્યું : કેમ આમ છે? તો કહે, એક મચ્છર ઓશોની નજદીક આવી ગયું હતું. એટલે એમણે કીધું ये तो disturb कर रहा है, मच्छर नहीं आना चाहिए. તો શિષ્યોએ નક્કી કર્યું કે, આખા ડોમને જ મચ્છરદાની બાંધી દ્યો. આખું ડોમ મચ્છરદાનીથી ઢાંકી દેવામાં આવ્યું !! એક વખત ગયા ત્યારે દરવાજા ઉપર સાધકો હોય અને એ તમને સૂંઘે… તમારી પાસે આવે અને પેલા સ્નિફરડોગની જેમ તમને સૂંઘે. પૂછ્યું કે, કેમ આવું કરો છો ? તો કહે, ભગવાનને સ્પ્રેની ઍલર્જી છે. એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહિ આવવાનું !!. આપણને એવું લાગે કે, આ બધી તો વર્ણાગી છે. પણ એ વખતે આવી વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદખન્નાને તમે ઑરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો, બોલીવુડની અભિનેત્રીઓને તમે દરણા દળતી જોઈ શકો !!
વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે તેઓ પ્રખ્યાત હતા. એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈકે કહ્યું કે, તમારી પાસે રોલ્સરોય્સ કેમ છે? તો કહે છે, એમાં શો વાંધો? તો કહે, એક જ કેમ છે ? તો કહે, ઓછી જ છે એવું મને લાગે છે. અને બીજા દિવસે શીલાને ઓર્ડર કર્યો કે, બને એટલી વસાવી લ્યો. કુલ 93 રોલ્યરોય્સ ઉભી રાખી દીધી. અને એણે કહ્યું કે मैं जानता हूँ कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा, जब तक है, सामने कोई वस्तु है तो आनंद ले, तो मैं ने आनंद ले लिया.
આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એમની ઘણી વાત આપણને એવી લાગે કે, જે આજે આપણે આજેના કાળમાં સ્વીકારી શકીએ છીએ પણ એ ત્યારે તો તે કાળમાં સ્વીકારાયેલ. ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ બનાવ્યા હતા કે, એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. આ સઘળું આયોજન કર્યું શીલાએ, કે જે એમની સેક્રેટરી હતી. જેમણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું. અને બહાર નીકળીને એમણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે જેથી એમના ગયા પછી એમના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું, એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એમ કહે છે કે, she has been sold to that channel !! ઓશોની વિદાય વખતે શીલા ત્યાં નથી, 84-85 માં શીલા જર્મની ભાગી ગયેલ. પણ એવું કહેવાય છે કે, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાને પોતાની તરફ ખેંચી લીધું.
સાવ નજીકની વ્યક્તિ તમારી અંગતમાં અંગત બધું જ જાણતી હોય છે, એટલે તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે.
કારણ કે, ‘જીવનની સમી સાંજે મેં જખ્મોની યાદી જોઈ હતી,
બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત–અંગત નામ હતા.’
એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનમાં શીલા હતી. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો આપણે જાણીએ તો એમ થાય કે, શીલા ના હોય તો એ ન બની શકે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઓશો અંગેની કેટલીક પર્સનલ વાતો આપણે સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય. મને એ અંગે જાણવાનો લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી.. સત્ય વેદાંત સ્વામીને એક જીવન સંદેશ ઓશોએ લખીને આપ્યો એ હું ખાસ પેશ કરું. સત્યવેદાન્ત સ્વામી ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર હતા અને તેઓ અમેરિકા પરત જઈ રહ્યા હતા ત્યારે ઓશોએ તેમને જીવનનો એક સંદેશો આપ્યો. ત્યારે એમણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું,
”बहते हुए पानी के ऊपर पड़े हुए सूखे पत्ते की तरह बहो”.
અર્થ કરીએ :: પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર પર્ણ થઈ એની મેળે પડવાનું છે, વળી પર્ણ સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે તેમાં પોતાનો ભાર ન હોવો જોઈએ અને પછી એ પાણીની સાથે વહેતા રહો. ન આગળ જવાનો યત્ન કરો કે ન તો અટકી જવાનો પ્રયત્ન કરો… આ એમનો સંદેશ હતો. વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે, એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મ અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. આપણને ખુબ આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ઓશોની વિદાય પછી ઘણા ઓશો કોમ્યુન શરુ થયાં છે. મેં મારી આજુબાજુમાં કેટલાયે ઓશોપંથી સગા- સંબંધીઓને જોયા છે કે કે જેના ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જયારે જે હોય ત્યારે આનંદમા જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એમણે શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે never sit on a seat off a judge. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહિ.
હવેના લેખમાં ઓશો અને તેમના જીવનની રહસ્યભરી રોચક વાતો જાણીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓરેગોનમાં પર્યાવરણ એવું આનંદમય હતું કે, ઓશો હાઈકોર્ટમાં ત્રણ કેસ હારી ગયા તો એનો પણ ઉત્સવ ઉજવાયો !!
મને ને તમને એ વાત કહેવાનું ખાસ પસંદ પડે છે કે, સાગર યુનિવર્સીટીમાં હું NAAC એટલે કે “નેક” નામધારી ક્વોલિટી મેઝર કરનાર રાષ્ટ્રીય સંસ્થા વતી ગયો હતો એલ્યુમનાઈ સાથે મિટિંગ અમારી હોય એમાં જે ભાઈ સંચાલન કરતા હતા એ મારી બાજુમાં હતા. અને એણે કહ્યું કે, તમે ગુજરાતથી આવો છો ? મેં કીધું, હા ગુજરાતથી આવું છું. તો કહે, रजनीशजी वहां आये थे.. મેં કીધું,”હા મને ખ્યાલ છે. और हमने ही ना बोला था. यदि हां बोल दिया होता तो आज कच्छमें विदेशी चलनका पूरा बरसाद हो जाता.” અને એ મહાશય સરસ મજાનું કાવ્યાત્મક એવું સંચાલન કરે. મેં એને પૂછ્યું કે, ‘आपका नाम क्या है?; तो कहे, ‘आपने बॉबी देखा है?’ जुठ बोले कौआ कांटे याद है?; हां, याद हे. ‘उनका में writer हूँ, मेरा नाम विट्ठलभाई पटेल है.’ ઓશોના વખતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ પાસે કાર હતી. ઓશો તો ચાલીને જ આવતા. હવે તમે વાત સાંભળજો. ઓશોના સહપાઠી વર્માજી એમની સાથેના સંવાદમાં એમ કહે છે કે, અમારે લોકોને શહેરમાં જવું હોય ને તો વિઠ્ઠલભાઈને કહીએ કે, તમે કાલે ગાડી લેતા આવજો ને. પછી તમે અમને શહેરમાં છોડી દેજો. એક દિવસ આવીને રજનીશે કહ્યું કે ‘शहेर में जाना हो तो क्या करते है आप?’ ‘…तो वो गाड़ी है विट्ठलभाई की… बोल देंगे, वो लेके आएंगे चले जाना… कल का बोल दू?’ ‘नहीं, मेरे को तो जनवरीमे जाना है.’ વર્મા કહે છે કે, આ વાત સપ્ટેમ્બરમાં થઈ રહી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે, જેને જાન્યુઆરીમાં જવું છે એનું વિચારવાનું કામ સપ્ટેમ્બરમાં આ માણસ કરતો હોય તો આ કેટલું ઉંડુ અને લાબું વિચારી શકતા હશે !
આપણને ઘણીવાર એવું લાગે કે શું કામ ઓશો આપણે સમજી શકતા નથી? સૈકાઓ આગળ એ જીવ્યા છે. એક નાનકડી વાત કરું. એમના અંગે ઘણી બધી મિસબિલિફ પણ ચાલી. એમ કહેવાતું હતું કે, ઓશો રાત્રે જઈને સમશાનમાં સુઈ જાઈ છે. જે વાત ખરેખર સાચી નોહતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા-ચાલતા થાકી જાય તો એના રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનનાં બાંકડે બેસે, બાંકડે બેસીને થાકી જાય તો સુઈ જાય. સુઈ જાય તો ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. સવારે ઉઠીને બહાર નીકળે તો બધાને ખબર પડે કે આ તો ઓશો બહાર નીકળ્યા. એટલે બધાએ ફેલાવી દીધું કે, ઓશો રાત્રે સમશાનમાં સુવા જાઈ છે. સુવા નથી જતા, ત્યાં આવી રીતે બેસતા હતા કારણ કે એમણે કહ્યું કે, કોઈપણ જગ્યાએ હું બેસી શકું, કોઈપણ જગ્યાએ હું વાત કરી શકું. અને એ એણે બરાબર મનમાં ઉતાર્યું… બહુ જાણીતી વાત છે. એમને સ્કોલરશીપ મળે એમ નોહતી. કારણ કે કોઈ મૅનૅજમૅન્ટનાં પ્રશ્નો હતા એટલે. એના એક પ્રોફેસરે કીધું કે, હું વાઈસ ચાન્સેલર ને વાત કરું. વાઈસ ચાન્સેલર હતા આર. બી. ત્રિપાઠી. એ બહુ સરસ માણસ છે, હું એને વાત કરું એ તને સ્કોલરશીપ આપશે. પણ એના અધ્યાપકને ખબર કે, આ જરા બોલવા-ચાલવામાં દંગા કરી નાખે એવો માણસ છે, એટલે એણે કીધું કે, તારે કાંઈ નહિ બોલવાનું, હું બધી વાત કરીશ. તો કહે, કાંઈ વાંધો નહિ. હવે ગયા અને શરુ કર્યું ત્યાં ત્રિપાઠીસાહેબને શું સુજ્યું એટલે ત્રિપાઠી સાહેબે કીધું કે वो तो ठीक है स्कॉलरशिप का देख लेंगे, तुमने दाढ़ी क्यों बढ़ाई है? એટલે ઓશો એ કહ્યું કે, ये प्रश्न मैं आपको पूछ सकता हूँ कि आपने ये दाढ़ी क्यों कटाई है? दाढ़ी उग तो रही है , अपनी तरह से.. में कुछ नहीं कर रहा.. लेकिन आपने क्यों कटाई है ? वो मेरेको बताइए… આ જેવી વાત થઈ કે, જે સાથે ગયા હતા એ કહે, બોલ બોલ ના કર.. ઓશો કહે, नहीं आपको जवाब देना पड़ेगा.. नहीं, स्कॉलरशिप अभी बाद में.. पहले बताओ आपने दाढ़ी क्यों कटाई? आप मेरेको पूछ रहे है कि दाढ़ी क्यों बढ़ाई है? वो तो नेचरल है. आप unnatural कैसे हो गए? मैं रोज सुबह आके आपको पूछूंगा… અને રોજનો એણે ક્રમ કર્યો.. રોજ સવારે જઈ ને કહે, जवाब मिला? नहीं मिला.. thank you કહીને ઓશો જતા રહે !! હવે આપણને એમ થાય કે દાઢીના નામે પણ જે માણસ સ્કોલરશીપ મળતી હોય ત્યારે જંગ ખેલી લે.. અલબત્ત ત્રિપાઠી એટલે સાચા પ્રોફેસર ત્રિપાઠી.. એમણે એને સ્કોલરશીપ આપી. પણ પેલા સાહેબે એવું કહ્યું કે, ભાઈ તું જ્યાં જાય છે ત્યાં પ્રશ્નો ઉભા કરે છે.
એક નાનકડી વાત રામાયણ ભજવાઈ તે પ્રસંગની, ગામમાં રામાયણ ચાલે.. આપણને ખબર ગામડામાં રામાયણ ચાલતી હોય રજનીશ રામાયણ સતત જોવા જાય. અને એમાં જે પાત્ર રાવણ ભજવે એ એનો ભાઈબંધ. એટલે એણે ભાઈબંધને કીધું કે, તને રોજ એકનું એક કામ કરતાં કંટાળૉ ના આવે? તો કહે, ના ના પાત્ર ભજવું.. શું પાત્ર ભજવું? તું બરાબર સીતાના સ્વયંવરમાં ધનુષ્યને હાથમાં લેવા જા અને કો’ક આવીને બોલાવે કે ‘હાલો તમારે લંકા આવવું પડશે અને તું ભાગી જા અને ધનુષ્ય રામ ઉપાડી જાય…’ આમાં તને શું મળે? પેલાને વિચાર આવ્યો કે, વાત તો સાચી છે ! આમાં રોજ આપણી તો બેઇજ્જતી થાય છે. કરી કે,…પણ મારો રોલ જ એવો છે. तू बदल सकता है…कल इतना काम करना, जब भी रावण धनुष के नजदीक पहुंचे तो तुमको बोलना है.. वो आदमी दौड़के आएगा की आपकी लंकामें आग लगी है जल्दी निकलो… तब तुम बोलना, कोई आग नहीं है मुझे मालूम है. रोज ऐसा करके मुझे भगा देते हो, आज तो ये धनुष तोड़ के जाऊंगा… અને એણે ધનુષ તોડીને સીતાને પકડી. દર્શકો તો હસી હસીને પોટલાં જેવા થઇ ગયા..ભારે દોકારો થઈ ગયો. ઓડિયન્સમાં હાહાકાર થઈ ગયું, પડદો પાડી દીધો, પછી ખબર પડી કે, આ કારસ્તાન આ માણસનું છે. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં આ હોય ત્યાં આને એકેય પાત્રએ મળવું નહિ. એટલે પ્રયાસ કરે તો એ મળે નહિ. ઘણા લોકોએ કીધું એના બધા કુટુંબીઓએ કે, તું આ શું કરે છે ? તો કહે, રોજ એક નું એક જોવાય છે એમાં મજા નથી આવતી. ઘણા લોકો તો સુઈ ગયા હોય છે. આ તમે જુઓ, કાલે કેટલા બધા લોકોને આનંદ થયો! અને life નો ultimate goal તો આનંદ જ છે ને ! તો એ તો મળ્યું છે. પછી એમણે બીજો દિવસે, ત્રીજો દિવસ જવા દીધો પછી એક દિવસ એમણે પોતાને ત્યાં કોઈ કામ કરવા મિસ્ત્રીઆવ્યું હશે, એ મિસ્ત્રીને કીધું કે, તું બીજું શું કામ કરે છે ? તો કહે, રામલીલા આવે છે ને એનો સેટ હું બનાવું છું.अच्छा, बहोत अच्छी बात है. પછી કીધું કે, હું કહું એમ તું કરી શકીશ? તો કહે, હા બોલીએ… મિસ્ત્રીને તો ખબર હતી કે, આ બહુ જ્ઞાની માણસ છે એટલે એ સંમત થઇ ગયો. એમાં સીન એવો હતો કે, હનુમાન પેલો પર્વત ઉપાડીને આવે જગમગ-જગમગ લાઈટ સાથે..જેમાં હનુમાન સેટ પાસે આવે એટલેમિસ્ત્રીએ ઉપરથી પેલું દોરડું હોય એ ધીમે-ધીમે મુકવાનું એટલે હનુમાનનાં હાથમાં પર્વત આવી જાય. મિસ્ત્રીએ પૂછ્યું કે, આમાં મારે શું કરવાનું? તો કહે, કાંઈ નહિ તારે પર્વતને લટકાવી રાખવાનો. નીચે મુકવાનો જ નહિ… ખરેખર, અઠવાડિયાં પછી આ ઘટના બની. આ ઘટના બની એટલે હાહાકાર થઈ ગયો. બરાબર હનુમાન આવતા હતા ત્યાં પેલા મિસ્ત્રી એ દોરડું છૂટું મુકવાનું હતું તે પકડી રાખ્યું. એટલે હનુમાન આવવા દે… આવવા દે… અને બધાને ખુબ મજા આવી. શો રદ થઈ ગયો. એના આયોજકો ઘરે મળવા આવ્યા કે, આ માણસ ને કોઈ સમજાવો.. રજનીશ કહે, હું બીજું કાંઈ કરતો નથી. મને રામ પ્રત્યે માન છે, કોઈ વાંધો નથી, પણ તમે લોકો થોડો આનંદ અનુભવો તો એમાં વાંધો શું છે? આ મોનોટોનસ એક ની એક વાત ચલાવ્યા કરો છો. મારો કોઈ ઈરાદો નથી, મારે તમને હેરાન કરવાની કોઈ ઈચ્છા પણ નથી.
આપણે જેમની અગાઉ વાત કરેલ છે તે સ્વામીશ્રી સત્યવેદાંતજી સુરતમાં પણ રહ્યા છે, સત્ય વેદાંતજી બારડોલીમાં અમારે મા અને પ્રજ્ઞા પાસે પણ રહ્યા છે, મારે પોતાને ઘરે મને બન્ને કોરોના વખતે સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ સાથ આપ્યો હતો, તમે ઓશો ને ન જોયા હોય અને તમે સત્યવેદાંતજીની સાથે બેસો તો તમને લાગે કે ઓશો આવા હોઈ શકે. તમારી સાથે વાત કરતાં-કરતાં એ માણસ આંખ બંધ કરે તો થોડીવારમાં તમને ખ્યાલ આવે કે એ હવે આપણને સાંભળતા નથી!!. વર્ષો જેની સાથે કાઢ્યા એણે મને કહ્યું કે, ઑરેગોનની અંદર કે એક વખત ત્રણ કેસ અમે કોર્ટમાં હારી ગયા. એટલે બધાએ ઓશોને ખબર આપી કે, હાઇકોર્ટમાં ત્રણ કેસ હતા એ હારી ગયા છીએ. તો અમે વાત કરતા હતા ત્યાં બહાર ઢોલ-નગારા વાગે અને બધા કૂદતાં- કૂદતાં આનંદ કરે અને મ્યુઝિક વગાડે અને પીપુડું વગાડે અને અમે બહાર જોવા આવ્યા કે, શું થયું…તો બધા નાચતાં હતા. તો એમને પૂછ્યું કે, કેમ નાચો છો ?તો કહે नाचना तो चाहिए आज हम high court में हार गए है. ત્યાંનું environment એવું હતું કે highcourt માં હારી જાઓ તો એ એમાંથી આનંદ લ્યો. જે થવાનું હતું તે થયું….(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 22, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

નાનીને અગ્નિદાહ દેતી વખતે ઓશોએ કહ્યું કે, “અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે.”
વાતો ઓશોની સાંભળીએ તો આપણને એમ થાય કે, આપણે એમની સતત વાતો કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે.
વધુમાં વધુ એમને સહવાસ થયો નાનીનો. નાનીએ એને બહુ વિશિષ્ટ પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે સૌએ પુસ્તકમાંથી વાંચ્યા હોય કે સાંભળ્યા હોય. એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળનાં ફૂલોથી સભર હોય એમાં પગ ડુબાડીને બેઠા રહેવું, આ એમનું કામ.. બીજું કશું કરવાનું નહિ. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા.
વિદ્રોહ એટલે કેવા પ્રકારનો? વસ્તી ગણતરીવાળો એક ભાઈ આવ્યો. અને એણે પૂછ્યું નાનાબાપુને કે, તમારો ધર્મ શું? એટલે એણે કહ્યું કે, હું જૈન છું. નાનીને પૂછ્યું કે, તમારો ધર્મ શું ? તો એણે કહ્યું કે, હું કોઈ ધર્મમાં માનતી નથી. બધા ધર્મ એક જ છે. માણસ હોવું એ ધર્મ છે. આ સાંભળીને રજનીશને રાત્રે ઊંઘ ના આવી. એક દિવસ નાનીએ પૂછ્યું કે, ‘તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કાંઈ વિચારશ?’ “હા વિચારું છું”.. ‘શું વિચારશ?’ એ કહે, “મને કોઈ પૂછે કે, તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બેયે તો જવાબ આપી દીધો…” તો નાનીએ કીધું, ‘મેં કીધું એમ કહેજે કે, હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસાઈ એ જ મોટો ધર્મ છે.’ અને આ વાક્ય એમણે છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું.
નાની રજનીશ માટે થઈને નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ ઘરે આવ્યા. શાંતિસાગર એનું નામ.. અને એ જૈન ગુરુ નાના માટે બહુ મોટા ગુરુ, એટલે રાજનેશીને કહી રાખ્યું કે, ‘બીજું કાંઈ બોલબોલ કરતો નહિ’, એમ કહી એને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવી વાતની શરૂઆત કરી એટલે રજનીશે વચ્ચે ઠપકાર્યું કે, તમારે આવતા ભવમાં જન્મ લેવો છે? તો કહે ના…કેમ નથી લેવો? તો કહે, હું પુનર્જન્મમાં માનતો નથી. હું મોક્ષમાં માનું છું. તો રજનીશ તરત કહે,… તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને મરવું આપણા હાથમાં જ છે. તરત નાનાબાપુએ કીધું, બહાર નીકળ ભાઈ.. આવું કશું બોલ નહીં .. તો કહે, ના… હું તો પૂછીશ. ત્યારે નાનીએ કીધું, “એને ખબરદાર જો બહાર કાઢ્યો છે તો. એ બાળક છે એને જે મનમાં આવે એ પૂછવા દ્યો.” અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એમણે નાનાને કહ્યું, તમારા ગુરુ કાંઈ બરાબર નથી હો… તમારે બદલી નાખવા જોઈએ. નાની બોલ્યા: આવા તો કાંઈ ગુરુ હોય જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નનાં જવાબ નથી આપી શકતા ? …તમે આને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું, જોયું તેં ચડાવ્યો એને કારણે એમણે કેવું પૂછ્યું ? .. તો નાની કહે, એ જે કહે છે એ સાચું છે. ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે.એનો જવાબ ન દઈ શક્યા?…. આમ એને મોટામાં મોટો ટેકો નાનીનો મળતો રહ્યો. અને નાની નું 1970માં અવસાન થયું. નાની એ 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. આ મોટો ગાળો.. નાનીનો સંગાથ ઓશોને છેક સુધી મળતો રહ્યો. જયારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું, તારે ડોક્ટર નથી થવું ને ? ના.. મેડીકલમાં નથી જવું? ના.. એન્જીનીયર ? ના…તો તારે શું કરવું છે? તો કહે, મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે. તો કહે, “કાંઈ વાંધો નહિ જા. તું પૈસાની ચિંતા ન કરતો. તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ.” અને ઓશો નોંધે છે કે, નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મની ઓર્ડરથી પૈસા મોકલ્યા હતા.!! 1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા અને તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દીધો. નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે, અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ રહ્યો હોઉં એવું મને લાગે છે. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઇશ નહિ.’ આ નાની સાથેનો લગાવ.
એના મા-બાપ એમનાથી વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે, એમના મા બાપને પણ સત્ય સમજાવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા. જેના દીકરાનું નામ હતું રાજા.. જેમાંથી થયા રજનીશ, જેમાંથી થયા આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો,અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ સર્જન આ બન્ને વ્યક્તિનું છે. અને ઓશોને બહુ સરસ રીતે ઉછેર્યા એ ગ્રાન્ડમધર નાનીમા છે.
એક વાક્ય એમણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી. ધર્મ જેવું કશું છે નહિ. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે એ તમે કરતા રહો.
કેટલીક ઓશો જીવન યાત્રાની આનુસંગિક વાતો કરીએ. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો કે દુકાને બેસે. એમને દુકાને બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરીને ચાલ્યા જાય. એક દિવસ પિતાએ પૂછ્યું કે, તું કેમ આંખ બંધ કરીને ચાલે છે ? તું કાંઈ વિધિ કરે છે ? તો કહે, ના. તો કહે, તું દુકાન સામું જોતો નથી.એ કહે, આપણે જે માર્ગે જવું જ નથી તેની સામું જોવાય જ નહિ. આ તો એવી સાંસારિક વસ્તુ છે વળગી પડે આપણને, એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે.
સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એમણે નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે, હું એક સંભાવના છું, શક્યતા છું. અને સંભાવના છે કે, હું આસમાન પણ બની શકું, અને વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું એવી મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું કે, તમારામાં પણ આ જ શક્તિ છે. માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરુ કરવું પડશે. તેઓની બહુ રસિક વાત છે કે, તેઓ મોટો ખુલ્લો ઝભ્ભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાખડી પહેરીને યુનિવર્સીટીમાં દાખલ થાય એટલે આખી લોબીની અંદર ખબર પડે કે, રજનીશ આવી રહ્યા છે. કારણ કે, ચાખડીનો અવાજ આવતો હોય. એક વખત એક અધ્યાપકે પૂછ્યું કે, આ શું કરે છે? આપણે જે રોયસાહેબની વાત કરી હતી તેમણે કીધું કે, why this? આવું કેમ કરે છે? બધા disturb થાય છે. તો કહે ના..ના.. ભલે disturb થાય. હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તો રોયસરને એમ થયું કે, આ તો ભણવા આવે છે ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે !
એમના એક સાથીદાર અને એમના સહપાઠી છે સત્યમોહન વર્મા. જે સાગર યુનિવર્સીટીમાં ઓશોની સાથે હતા. એમની 40મિનિટની મુલાકાત યુટ્યુબ ઉપર છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષનાં છે સત્યમોહન વર્મા અને એમણે 1952થી શરુ કરીને 52,53,54માં શું બન્યું… અને મેં જે તમને કહ્યું વાદવિવાદ સ્પર્ધાની એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે, અમારી સાથે MA ફિલોસોફી કરવા માટે પહેલી વખત જયારે રજનીશ આવ્યા ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય સાહેબ સાથે બેઠા હતા. એમણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે, મને એડમિશન જોઈએ છે. અમારા હેડે એવું પૂછ્યું કે, “તમે કાંઈ વાંચ્યું છે?” તો કહે, “હા.. બહુ વાંચ્યું છે.” શું વાંચ્યું છે? એ કહે, “મેં લગભગ બધું વાંચ્યું છે.” એટલે બધું એટલે શું? તો કહે, “હું વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ સુધી બધું જ વાંચી ગયો છું.” તો કહે, તમને ખ્યાલ છે કે, બર્નાડ શો એ એક ‘આર્મ્સ ઈન ધ મેન’ લખ્યું છે એ તમે વાંચ્યું છે ? તો કહે, “હા”…તો કહે એનામાંથી પ્રશ્ન પૂછું? તો કહે, “પૂછવા હોય તે પૂછો” એમના સહપાઠી એમ કહે છે કે, અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે ! અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થિસીસની અંદર તેઓની ભૂલ વગેરે દેખાડી હતી.
સહપાઠી બહુ સરસ વાત કરે છે કે, પરીક્ષા હતી અને અમે બેઠા બેઠા વાંચતા હતા ત્યાં એ એના તોરમાં આવ્યા અને એણે કીધું કે, ‘क्या कर रहे हो?’ અમે કીધું કે ‘हम पढ़ते है.’.. ‘क्यों पढ़ते हो?’ एक्ज़ामिनेशन है… “ज्ञान अमर है… परीक्षा नश्वर है. और पास नापास ईश्वरकी माया है. पढ़ो..पढ़ो…” એ કહી ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે, આપણને શું કહી ગયા આ ભાઈ?… કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. વર્માજી કહે છે કે, અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સીટીમાં, બપોરે જમીએ, જમીએ તો અમને રોટલી વગેરે આવે પણ રોટલી કોરી હોય. એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનું ટોપીયું ભરીને જઈએ. એ ચોપડીને પછી રોટલી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા. આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, ‘बंधू आपको कोई हर्ज़ ना हो तो में यहाँ पे बिराजू?’ પોતાની જાતને બેસવું નહિ.. बिराजू.. એટલે કીધું. ‘हां, जरूर बैठिए…’ એણે મંગાવ્યું તો એને ય કોરી રોટલી આવી, એટલે વર્માજી કહે છે કે, મેં મારું ઘી નું ટોપીયું આમ સરકાવ્યું કે घी खाइए..તરત એમણે કીધું કે, घी खानेकी नहीं घी पीनेकी वस्तु है.. એટલે અમે આશ્ચર્ય અનુભવીએ ત્યાં એમણે કહ્યું કે ‘आप फिलोसोफी के विद्यार्थी हैं चार्वाक का नाम सुना है?’ हां, सुना है. तो चार्वाक ने ही कहा था कि ‘‘यावत जीवेत, सुखं जीवेत, रुणं कृतवा, घृतं पिबेत:” ઋણ કરીને ઘી પીજો, એટલે ઘી ખાવાનું નથી.અમને આશ્ચર્ય થયું કે આ ઘી માંથી નીકળીને છેક ચાર્વાક સુધી પહોંચીને ગયા ! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 15, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. એ આપણામાં બેઠું છે. જો તમે એને feel કરો તો એ તમારી સાથે જ છે.
અમેરિકા પછી અનેક દેશોમાંથી ઓશોને જાકારો મળ્યો અને ત્યારથી એનું સ્વાસ્થ્ય ખુબ નબળું થયું પણ તેમ છતાં એમણે કહ્યું કે, “મારે નબળા પડી જવું નથી. ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે.” જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. ઓરેગોનના રજનીશપુરમમાં બહુ જ કામ થતું હતું. એ કામ ચાલતું હોય ત્યારે ઓશો જો પ્રવચન આપે તો કામ ખોરવાય જાય. કામ કરનાર સૌએ કીધું કે, વિડીયો દેખાડો, અમે બધા કામ કરતા જોઈશું અને પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે, એમ કરીએ પરંતુ શીલા said no…શીલાએ વિદ્રોહ કર્યો. અને નક્કી કર્યું કે, “રાત્રે દેખાડશું. નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો.” લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું.
ભારત આવ્યા પછી થોડો સમય એ પુનાનાં આશ્રમમાં રહ્યા. અને પુનાનાં આશ્રમમાં રહ્યા પછી એમણે નાની-નાની ધ્યાન પદ્ધતિઓ establish કરી. જેની અંદર ‘gibberish’ છે, ‘no mind’ છે, ‘born again’ છે, ‘nisticrosh’ છે, zen વાર્તા ઉપરથી એક પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર બીમારીમાં તેઓ પટકાયા. ત્રણ અઠવાડિયા સુધી એને કોઈ જોઈ ના શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ અચાનક આવીને એણે કહ્યું કે, જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિષ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે, “ભગવાન ગૌતમ બુદ્ધ પોતાનાં વાહન તરીકે અત્યારનાં ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે.” લોકોને એ વખતે એવું લાગતું હતું કે એનો અર્થ શો? એટલે એનો કહેવાનો અર્થ એવો કે, “ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું.” ખરેખર એવું બન્યું કે, એનામાં એક સીમિત પ્રવાહ ચાલ્યો, એનું enlightenment થયાના ચિન્હો વર્તાયા, એના બોલવામાં અસર થઈ, એની સ્પીચ ધીમી પાડવા લાગી અને લોકોને બહુ જ સ્પર્શી જાય એવી રીતે વાત શરુ કરી ત્યારે લાગ્યું કે, ખરેખર કશુંક ઘટ્યું લાગે છે. આપણને આશ્ચર્ય થાય કે, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે, જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી એટલે કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ. પછી કહે ભગવાનનાં પ્રતીકો ઉતારી નાખો..કશું રાખવાની હવે જરૂર નથી.અને એણે બધી મુક્તિ આપી દીધી.
આપણને થોડું વિચિત્ર લાગે એવી વાત પાંચમે દિવસે એમણે ફરીવાર બહાર આવીને કરી કે, મહેમાન અને યજમાન વચ્ચે નાની-નાની બાબતોમાં સુમેળ સાધી શકાયો નથી. મહેમાન એટલે ગૌતમ બુદ્ધ અને યજમાન એટલે હું… કઈ બાબતમાં બરાબર સુમેળ નથી થયો? તો એમણે કીધું કે, બુદ્ધ આખી રાત ડાબા પડખે સુવે છે અને સુવે ત્યારે પોતાનો હાથ માથાં નીચે રાખે છે. એટલે મેં કીધું કે, આખી રાત તમારે ડાબા પડખે સુવાની શી જરૂર છે? પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે, હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહિ, તેની બદલે ઓશીકું રાખો… મેં બુદ્ધ ને એ પણ કહ્યું કે, આ ઓશીકું એ થોડું કંઈ materialistic વસ્તુ છે ! સાદો ટેકો છે. લ્યો ને શું વાંધો? હાથ ને ટેકો કરો કે ઓશીકાને કરો તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે, આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એમને કીધું કે તમે હવે વિદાય લો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી એની હું તમારી સાથે જાહેરાત કરું છું.
ઓશોએ ઝેન મેનીફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું death થઈ રહ્યું છે. આપણે લેખમાળાની શરૂઆત કરી હતી કે, ડોક્ટરને ઓશોએ છેલ્લે પૂછ્યું, is it death ? ડોક્ટરે કહ્યું, Yes and he was no more… હા, એમણે જે સુંદર બધું જ કોમ્યુનમાં બનાવવાનું હતું, લાઓત્સે ખંડ બનાવવાનો હતો, પોતાનાં અસ્થિ ફૂલને ક્યાં રાખવા અસ્થિ એના માટે એમણે જાતે સૂઈને નક્કી કર્યું, કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મુકવાના કે પ્રકાશને અટકાવે નહિ, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે? એ પોતે સુતા અને પોતે દેખાડ્યું, પછી ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું… Never Born, Never Die, Only Travel.. આ પણ ઓશોએ જ કહી દીધું. એકવીસ સભ્યોનું એક ઈનર સર્કલ બનાવ્યું. ઈનર સર્કલ માટેનો મેનીફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવું, મારા સાહિત્યનું, મારી વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું? એ બધું જ પહેલે થી કહી દેવામાં આવ્યું !!
આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા, એ પ્રયોગોની અંદર થોડા દિવસો સાંધ્ય ધ્યાન ખાલી ખુરશી હોય, પછી થોડા દિવસ ખુરશી જ ન હોય, ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયં પ્રાર્થના ચાલે ત્યારે એમણે કહ્યું, હું તમારી સાથે છું. હું ભલે તમને દેખાતો ન હોઉં, હું તમને ટેવ પાડવા માંગુ છું કે, મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી.માટે એ ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે feel કરો તો એ તમારી સાથે છે.” 10મી એપ્રિલ 1989 એણે સાયં ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનીફેસ્ટો ઉપર કહ્યા. એની છેલ્લી પ્રવચન માળા અને ચાંગસે ઓડિટોરીયમનની અંદર એમણે જયારે પોતાનો દેહ છોડ્યો હતો ત્યારે પોતાની હાજરીમાં થોડા સમય પહેલા એમણે સંન્યાસ દીક્ષા આપવાનું બંધ કર્યું, એ કામ એણે સ્વામી સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જયારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ ચાર જણા રહેશે એના નામ લખાવી દીધા. એમાં પણ સ્વામી સત્યવેદાંત એક ખભ્ભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે dark meditationમાં રાત્રે બેસીને ઓશોની હાજરી અનુભવી શકો છો. બહુ મોટી લાંબી એવી સરસ મજાની એક રોલ્સરોય્સ ગાડી ત્યાં પડેલી છે. ત્યાંથી દાખલ થાઓ એટલે લાઇબ્રેરીનાં લાઈનબંધ કબાટો છે.અને એના પછી આ ખંડમાં તમારાથી દાખલ થઈ શકાય છે. sitting in darkness વાળું meditation ત્યાં થાય છે. ઓશોનાં અસ્થિ ત્યાં પડયા છે.
મેં બહુ ઝડપથી ઓશોની આખી જીવન યાત્રાને બહુ ટૂંકા સમયમાં રજુ કરેલ છે. એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારથી એમણે ત્રણ દિવસ સુધી દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીએ, દૂધ ન પીએ, મોઢામાં કશું લે જ નહિ. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે બધું શરુ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, 700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એમણે 21 દિવસનાં ઉપવાસનું વ્રત કરેલું, એમાં અઢારમાં દિવસે એમનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભવના ત્રણ દિવસ બાકી હતા એ ત્રણ દિવસ બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને એમણે પૂર્ણ કર્યા પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે, આ તો બહુ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોનાં પદચિહ્નોની અને વિદ્રોહની શરૂઆતની.. વિચિત્રતા શરુ થઇ, વિશિષ્ટતા શરુ થયા છે. જન્મનું ગામ કેવડું નાનકડું કે, જેમાં શાળા નહિ, પોસ્ટઓફિસ નહિ, રસ્તો નહિ, કાંઈ નહિ, એમાં એનો જન્મ.. પણ એની સામે તેઓ એવું કહે છે કે, ‘બહુ સારું થયું, હું શિક્ષિત થતા બચી ગયો. જેવો હતો તેવો રહી શક્યો‘ એણે ઘરેડબદ્ધ શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે. અને એને એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે, બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ, એ ત્રાસ જ્યારથી ઓછો થશે ત્યારથી બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરુ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં જવાનું છે? તો કહે, હા…તો કહે, આ તો જેલ છે. તો કહે, ના આ તો સ્કૂલ છે…તો કહે, સ્કૂલનાં અને જેલનાં રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેરે આમાંય બધા યુનિફોર્મ પહેરે, જેલમાં ય બધાને નંબરથી બોલાવે છે આમાંય નંબરથી બોલાવે છે. મને અહીંયા નહિ ફાવે, .. અને તેઓ પાછા આવતા રહ્યા !! શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે અને રસ્તાની ઉપર ઝાડ પર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય, નદીઓ વહેતી હોય, પક્ષીઓ ઉડાઉડ કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે તો કોઈક વાર ઉપરથી સાઠીકડું લઈને નાંખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી હતો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 8, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

બહુ જાણીતી વાત છે તે સ્મરણ કરાવું કે, એમને કોઈએ આવીને કહ્યું કે, “આશ્રમમાં આ બધું શું ચાલે છે?” એટલે એમણે કહ્યું, “પણ એમાં મારે શું?” તો કહે, “તમારા આશ્રમમાં આ બધું ચાલે છે…” તો કહે, “તો પછી તમારે શું? હું મારી રીતે લડી લઈશ.”
He was aware of it. ઊંડાણથી વાંચીએ તો ખ્યાલ આવે, કે એકેએક નાનકડા પગલાં માટે પણ એ aware હતાં. પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે, મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એમણે એવું કર્યું કે, “મનોવિજ્ઞાન એવું કહે છે કે, તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કશુંક કરવું છે અને એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે-ધીમે એમાં નીચે ઉતરતા જાઓ છો. એટલે કોઈએ કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેંટે…એમાં શો વાંધો? કોઈએ કોઈને ચુંબન કરવું હોય અને એની ઈચ્છા થાય તો ભલેને કરે… હા, જબરદસ્તી ત્યાં ન કરી શકાય.” પછીનું વાક્ય વધુ સ્પષ્ટતા કરે છે કે, “ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તી બંધ થાય એટલે હું સાહજિક રીતે કરવાની વાત કરી રહ્યો છું.”
હવે આપણે સમજીએ તો આ વાત ઝડપથી લોકોનાં મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. એટલે આ વાતને બહુ મોટી કરવામાં આવી, અને વિશ્વમાં ફેલાય ગઈ.. એમણે મૌન સત્સંગ શરુ કર્યા, બુદ્ધનાં ધમ્મપદ ઉપર એમણે પ્રવચન શ્રેણી આપી, એસ ધ્મમો સન્તનો જે બહુ જ populer શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય ઓહો.. બુદ્ધ ને બુદ્ધ વિશે ખબર નથી એટલી ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો મૌન સત્સંગ અને એમનું કહેવાનું એવું હતું કે, તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો તેનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. એમણે કહ્યું કે, નદીનાં કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે ખળખળ વહેતી નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ મીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખુબ લોકોએ સ્વીકારી.
1980ની 22મી મે એ એક દુર્ઘટના બની. એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એમના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી. પણ છતાં એણે છરો ફેંક્યો ! એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કંઈ જ બન્યું નથી, એમ પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન દસ વાગ્યે બંધ થાય એમ બરાબર દસ વાગ્યે એમણે પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા. પછીથી આ કેસમાં એવું થયું કે, એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો કારણ કે, એમણે કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે, તમારું ખૂન કરવા આવ્યો હતો ?? તો ઓશો કહે, “ના એ ખૂન કરવા આવ્યો નોહ્તો. કારણ કે એને જો ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારુ પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એનાં છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે, એવે ટાણે એને વિચાર આવ્યો કે હાલોને છરાનો ઉપયોગ કરીએ તો કરી લીધો.” તો કહે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કહે, એની નિયતિ છૂટી જવાની હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિકાસ તુલે નામ તો બરાબર આવી ગયું, જાહેરમાં..!!!
આમાંથી એક પાઠ શીખીને ઓશોએ નક્કી કર્યું કે, ભારતમાં હું જેટલી પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતનાં લોકોની વાત પણ વિદેશ જઈને એક વખત કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે-ધીમે કરતાં એની આજુબાજુ બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાનું એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી અને દીલધડક સ્ટોરી છે. પણ મેં શ્રી સ્વામી સત્ય વેદાંત સાથે મેં દિલ્લીમાં એક સંવાદ હિન્દીમાં કરેલ છે જેમાં શ્રી સત્ય વેદાંત સ્વામીએ ઓરેગોન કેવી રીતે બનાવ્યું તેની વાત કરી છે. (આ દિલધડક સંવાદ મારી યુટ્યુબ ચેનલ પર છે.) ઓરેગોન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત કે જેમણે આપણા ગુજરાતની મહારાજા સંયાજીરાવ યુનિ.માંથી ડોક્ટરેટ કરેલ અને પછી મેસિચ્યુસેટ યુનિ.માંથી બીજું ડોક્ટરેટ કર્યું જેમનું જેનું મૂળ નામ વસંત જોશી, એ ઑરેગોનનું નિર્માણ કરનાર પાંચ માંથી એક હતા. એ લોકોની લીડર મા શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બનેલી કારણ કે, કોર્ટે એવું કહ્યું કે તમે અમુક સંખ્યામાં અમેરિકન ભેગા કરો અને જો એ અમેરિકન કહે કે આ લોકો અહીંયા કોમ્યુન સ્થાપે તો વાંધો નથી તો કોર્ટ મંજૂરી આપશે. તો કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ કે એ સાવ કાદવ્યુ ફાર્મ !! એમણે લખ્યું છે કે, કાદવ-કીચડ વાળું ફાર્મ એ હતું પણ એ લોકોએ ન્યુજર્સી વગેરે બધા સ્થળોએથી ધીમે-ધીમે બધાને ભેગા કર્યા. કોને કોને ભેગા કર્યા? ડાહ્યા માણસો તો ન આવે આવી રીતે ! એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાનાં ભિખારીઓને ને મસ્ત ફકીર જેવા ને ભેગા કર્યા. એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એમને કીધું કે, તમે હાલો અમારી સાથે, ધીમે-ધીમે કરતાં એક બસ ભરાય જાય એટલે ઓરેગોન જાય. ઓરેગોન જાય તો 25 જણમાંથી 5 જણ ઉતરી ગયા હોય, બહુ જ ઈન્ટરેસ્ટિંગ વાત છે !! સંવાદ સાંભળશો તો વધુ મજા આવશે. હું અત્યારે લેખમાં સમય નથી કાઢતો. સ્વામી સત્ય વેદાંત કહેતા હતા કે, એક ભાઈ બસમાં પીંજરું લઈને બેઠો હતો. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો, તો આપ્યું…એમણે કીધું કે, હું આવું, બેસી ગયો બસમાં. અને લગભગ અડધે પહોંચવા આવ્યા તો એણે કીધું કે જસ્ટ સ્ટોપ ધ બસ..કેમ? તો કહે, મારું આ પંખી ના પાડે છે કે આપણે ત્યાં ના જવાય, એટલે મારે ઉતરી જવું છે. પણ અમેરિકામાં એમ વચ્ચે બસ ન ઉભી રખાય. તો પણ એમણે કીધું કે, તો હું અહીંયા તોફાન કરીશ. આવી અનેક ઘટનાઓ બની.
ત્યાં પહોંચ્યા પછી શીલાએ બહુ સારી રીતે એ ખેપાનીઓને કંટ્રોલ કર્યા. શીલા પોતાના ખભ્ભા ઉપર રિવોલ્વર રાખીને ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને આખરે તેઓએ સરકારનો સંપર્ક કર્યો, પરંતુ સ્ટેટ ને એવું લાગ્યું કે, ભાઈ આ તો આપણા ચર્ચનાં લોકો ચર્ચ મૂકીને ઓશોનાં રજનીશપુરમમાં ભેગા થઇ જશે તો..? એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી, ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ નીમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ કરી દીધા. આવી પરિસ્થિતમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે this is not the time, તો કહે ના..ના.. this is the only time… અને મને ને તમને બહુ આશ્ચર્ય થાય કે, એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી અમેરિકા છોડ્યાનાં બે વર્ષ પછી અમેરિકાની કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે એ કોન્સેપટ ખોટો નોહ્તો. વિરોધ એટલો હતો કે, ધર્મ અને રાજ્ય બેય ને ભેગા લઈને આ માણસ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે એટલે આ માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું એમના પર… આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, એમને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા, એની વેઇન્સ બધી ખલાસ થાય એવી પરિસ્થિતમાં આવ્યા. ત્યાંથી આવીને આ વાત ભારતનાં પત્રકારો સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં એમણે શું કર્યું, બાર-બાર જેલમાં એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં લઈ ગયા ત્યારે બેય હાથમાં મોટી-મોટી બેડીઓ, પગમાં મોટી સાંકળો સાથે એને લઈ જવામાં આવ્યા. પણ ઓશો હંમેશની જેમ પ્રસન્ન હતા.જે બનતું હતું એને હસીને એ સહન કરતાં હતાં. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજુર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહરેમાં એન્ટ્રી કરે કે દાખલ થવા આવે એટલે એમને કોઈ રોકી લે કહે કે, તમારા વીસા રદ્દ કરવામાં આવ્યા છે, તમે હમણાં જ પાછા જાઓ. અનેક નાના-મોટા દેશોમાંથી એમને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ એમણે ત્યાર પછી શરુ કર્યો. અને જેમાં ઓશો બહુ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ નબળા પડ્યાં.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે અહીંયા ન થાય.
“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ આ પ્રવચનશ્રેણીના પ્રથમ દિવસે જ રજનીશે એવી જોરદાર વાતો કરી કે, જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે, કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”. એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે, હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ એન્જોય કરતા. અને એ વિચારતા કે, બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે ચલાવ્યું.
જબલપુરમાંથી એમણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે, મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું, એટલે એણે ઓછા લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે, મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે, હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ? ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.
કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે જાહેર કર્યું કે, પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે, અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.
1970 થી 1985 વચ્ચેના 15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ પહેરજો અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં મારો કોણ છે ? એટલે ઘણી વખત મને એમ થાય કે, હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે, આ બધા આપણા છે. પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.
એક સરસ કામ એમણે કર્યું કે, સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે કહ્યું કે, મને સમજાણું કે, લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે, કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે, આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે, લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે, મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી.’
સક્રિય જ્ઞાનની સાથે સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે, કોઈને હું એક કલાક આપું છું તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે, એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી, અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની બહુ સરસ સમજૂતી આપી કે, સફેદ વાદળ એવું હોય છે કે, પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું નથી. એટલે My way, white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.
1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે, ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે, એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો… એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 25, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


સવારે અને બપોર પછી દોઢ–દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી.
બન્યું એવું કે 1945માં એટલે કે લગભગ ઓશોના ઉંમરના 14માં વર્ષે સાત દિવસ એમનેએમ કાઢ્યા પણ મૃત્યુની પ્રતીક્ષા માટે.
એમના પહેલા એમની બહેનનું અવસાન થયું હતું, જે એમને બહુ વ્હાલી હતી. 11 ભાઈ-બહેન માંથી એક બહેન હતી. 11 ભાઈ-બહેન હતા જો કે, એની એમણે તો મજાક ઉડાડી છે અને ઓશોના પપ્પાને કહ્યું છે કે, “એક શું કામ બાકી રાખ્યું? બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું.!!:” તો એ ડઝન માંથી અગિયાર અને અગિયાર માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો.
21મી માર્ચ 1953 એ એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડીક્લેરેશન જાહેરમાં એમણે 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. ગામડાંની અંદર રહેતા હતાં ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથે, કે મને અને તમને કલ્પના ન આવે. સવારે અને બપોર પછી દોઢ-દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું ! એમણે લખ્યું છે કે, મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી. કારણ કે અમે લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતાં હતા. કેટલીક વિચિત્ર બાબતો ઓશોના જીવનમાં જોવા મળે છે. રોજ રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવી જ પડે .. ખાવી એટલે ખાવી જ.. ના હોય તો લાવવી પડે. અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. ધીમે-ધીમે કરતાં 1951 થી 56 સુધીમાં એમણે યુનિવર્સીટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફી વિષય સાથે.. બહુ પરિચિત વાત છે કે, ઇન્ટર યુનિવર્સીટી ઇલોક્યુશન કોમ્પીટીશન સાગર યુનિવર્સિટીમાં યોજાતું હતું. એ વાદ-વિવાદ સ્પર્ધા માં એક વ્યક્તિની હંમેશા જીત જ હોય અને એ યુવાન નંબર વન હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો જબલપુર કોલેજમાંથી આવ્યો અને બધાને લાગ્યું કે, આ છોકરો શું બોલશે પણ એ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ દંગ રહી ગયા અને એ વખતે એને પહેલું પારિતોષિક મળ્યું. જે વિદ્યાર્થી સતત સતત ત્રણ પ્રથમ આવ્યો તેનું નામ રજનીશ હતું. આપણને આશ્ચર્ય થાય તેવું યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સીટીના ફિલોસોફીનાં વડા એસ.એસ.રોયે એને કહ્યું કે, તમે આ છોકરો માસ્ટર્સ કરવાં આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાથે હું કહી દઉં કે, સાગર યુનિવર્સીટી એ હરિસિંહજી ગૌડ નામનાં એક બહુ મોટા કંજૂસે શરુ કરી હતી. કંજૂસ એટલા માટે કે, એમણે એ સમયમાં before independence 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતાં. અને જીંદગીભર એણે 100 કરોડ માંથી એકેય પૈસો વાપર્યો જ નહીં. પણ છેલ્લા દિવસોમાં એમણે કીધું કે, આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સીટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સીટી બની એ સાગર યુનિવર્સીટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સીટી છે. અદ્ભૂત યુનિવર્સીટી છે. બન્યું એવું કે, આખા ભારતમાંથી હરિસિંહજી ગૌડે 100 જેટલા અધ્યાપકોની નિમણુંક કરી લીધી અને તેઓને રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ તો હતા નહીં. મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, છ મહિના પછી બધા અધ્યાપકો હરિસિંહજી પાસે ગયા કે, હવે અમે શું કરીએ? એકેય વિદ્યાર્થી તો છે નહીં !! એમણે સરસ જવાબ આપ્યો કે, તમે આટલા હોંશિયાર છો એટલે તમને ખાસ શોધી શોધીને બોલાવ્યા છે. તમને જોઈને વિદ્યાર્થીઓ આવશે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે. ચિંતા ના કરો, બધાને પગાર મળશે. આ હરિસિંહજી ગૌડ પોતાની પાસે ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ પુસ્તકોની લાઈબ્રેરી ધરાવતા હતા. આજે પણ તમે જો સાગર યુનિવર્સીટીમાં જાઓ તો એના નામની જુદી લાઈબ્રેરી છે, જે પોતે ડોનેટ કરેલી છે. Sagar university is considered to be the best library university in india. (મને આનંદ એ વાતનો છે કે, એ યુનિવર્સીટીમાં નેકનાં એક્રેડિટેશન ટીમમાં મેં મેંમ્બર સેક્રેટરી તરીકે કામ કરેલું અને મને ત્યાં નિરાંતે રહેવાનું મળ્યું.
આ સાગર યુનિવર્સીટીમાં હરિસિંહજી ગૌડે કહ્યું કે, પ્રોફેસર રોય, તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો એને રોકી લો, તમારે ઘરે ઉતારો, એને સમજાવો કે અહીં માસ્ટર્સ કરવા આવે જ આવે. એસ.એસ. રોય એક authority હતા. ફિલોસોફીનાં લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહિ, રોય કહે તે ફાઇનલ. છતાં એને લાગ્યું કે વાત તો સાચી છે. આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એમણે રજનીશને કીધું કે ભાઈ તું મારે ઘરે રહેજે. એટલે રજનીશે કહ્યું કે, મને ખબર છે કે કદાચ તમારે મને આ યુનિવર્સીટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઓ છો. એણે કીધું કે, એવું નથી તો કહે એવું જ છે, મને દેખાય છે…Agree કર્યું, લઈ ગયા, પછી એણે કહ્યું કે, તું અહીં ભણવા આવ. આવતા વર્ષે માસ્ટર્સ કરવાં અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે, તમે મારા વિષે વાતો સાંભળી હશે. હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો જવાબ મળ્યો કે, મને ખબર છે બધી, છતાં તને બોલાવવો છે. તો કહે,… તો વાંધો નથી. એમણે આ સંવાદ દરમિયાન જાણ્યું કે, રોય સાહેબે પી.એચ.ડી. માં શેના પર વર્ક કર્યું ?? અને પ્રોફેસર રોય ચેતના અને ચૈતન્યનાં વિશ્વનાં બહુ મોટા સ્ટાર હતા..!! જયારે એણે જાણ્યું કે, આ મહાશય ચૈતન્યનાં બહુ મોટા ધુરંધર છે. ત્યારે રોય સાહેબે કહ્યું કે, હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. તરત જ જવાબ મળ્યો કે, શરત છે મારી, લઈ જાઉં પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દ્યો. તો કહે, ના લખજે, ચિંતા ના કર, પણ તું લઈ જા.આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ને પોતાની યુનિવર્સીટીમાં આમંત્રણ આપીને રાખવામાં આવ્યા એ 1951 થી 56 સુધીનો પિરિયડ છે.
1956 થી 1970 સુધી રજનીશ ફરતાં રહ્યા, પ્રોફેસર રહ્યા. જાહેર પ્રવચનો એમણે શરુ કર્યા. જાહેર પ્રવચન શરુ કરાવનાર ગુજરાતનાં લોકો હતા. ગુજરાતનાં લોકો એટલે વેપારી માઇન્ડનાં હોય. એ એને મળવા ગયા કે, તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો. અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું કે, પૈસાની તો જરૂર છે તો ચાલો જઈએ. એટલે 10 દસ દિવસ ગયા. અને બધા ગુજરાતનાં વેપારીઓએ કહ્યું કે રોજના અમે તમને દસ હજાર આપશું. તો કહે કાંઈ વાંધો નહિ. દસ દિવસ કે સાત દિવસ જાઉં તો તો 70 થી 1 લાખ મળે. ઘણું આટલું તો.. …પણ આવ્યા પછી એને ખબર પડી કે ભાઈ, આ ગુજરાતનાં લોકો છે. એટલે લોકોએ મને દસ હજાર આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે. કારણ કે ટિકિટ સાથેનો પ્રોગ્રામ. એ એવા અલગારી હતા કે પૂછવાનું કારણ નોહ્તું કે શું છે. જઈને આંખો બંધ કરીને ‘આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું…’ કહીને શરુ કર્યું. અને છેલ્લે આ જ રીત એણે પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતનાં લોકો મને બોલાવીને પૈસા રળી શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો ? ત્યારથી એના માઈન્ડમાં Institutionalization of his life ની શરુઆત થઈ.
તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે એમણે પોતે એક મુલાકાત આપી છે. બહુ જ અદ્ભૂત મુલાકાત છે. સાંભળવા જેવી છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે. how he started was this things.
… 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સીટીમાં રહ્યા પછી જબલપુરની યુનિવર્સીટીમાં ફિલોસોફી ભણાવ્યું, 1962માં એમણે ધ્યાન કેન્દ્ર પહેલું શરુ કર્યું અને એને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારનાં ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી. એટલે એનો વૈજ્ઞાનિક અભિગમ સમજાવવો એ મારું કામ છે. and he started like that… સરસ મજાની શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં અને એ ધ્યાન શિબિરે એને પાક્કે-પાક્કી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલા એનું રેકોર્ડીંગ થતું નોહ્તું. અને એ રેકોર્ડ થયું પછી એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી ‘સાધના પથ’ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી.
રાણકપુરની શિબિર શા માટે માઈલસ્ટોન કહેવાય છે? એમણે ત્રણ સૂત્રો આપ્યા, અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા.
સૂત્ર પહેલું : વર્તમાનમાં જીવવું,
સૂત્ર બીજું : સહજતાથી જીવવું અને
સૂત્ર ત્રીજું : એકલા જીવવું.
અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો. અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ ત્રણ સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966 માં એણે ‘જ્યોતિ શીખા’ ત્રિમાસિક શરુ કરાવ્યું. અને પોતે રજનીશ માંથી self acclaimed આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરુ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા. એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાની શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે કે એમણે કોઈ કાંઈ કહે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે, હું કાલથી આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોબ પહેરજો . પછી એણે કીધું કે, હવે બધા રોબ કાઢી નાખજો. એણે એક જગ્યાએ કહ્યું છે કે, ‘તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો સાત ભવમાં વારો નહિ આવે’. (ક્રમશ)
by Bhadrayu Vachhrajani | May 18, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારામાં અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો.”
આજથી આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરિત કર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. એ હતા ત્યારે વિદ્રોહ જગવવા માટે ખ્યાત હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ શરુ છે. આવા “સદા કાળ ગુજરાત”ની જેમ સદા કાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે. એ કહેતાં આનંદ થાય છે કે, હું તેર વર્ષની ઉંમરથી તેઓશ્રી સાથે સંકળાયેલો છું.
જાન્યુઆરી 1990 ની 19મી તારીખ તેઓની વિદાય, 35 વર્ષ જેમના ગયા પછી પણ તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે ફિલ્મની જેમ મારે ફ્લેશબેકમાં જવું પડશે.
1990ની 19મી જાન્યુઆરી ની સાંજ,, લગભગ પાંચ કે સવા પાંચ વાગ્યાનો સમય. ઓશો બીમાર છે અને પથારીવશ છે. એની નજીકમાં ત્રણ કે ચાર જ લોકો બેઠા હતા. એમને તપાસનાર તબીબ નજીકમાં હતા અને એમના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે, તેને તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે, જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે ત્યારે ઓશો જાગૃત અવસ્થામાં ડોક્ટરને પૂછે છે કે, ‘ઈઝ ઈટ ડેથ ??’ ડોક્ટરે હા પાડી અને ઓશોએ દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિવિશેષના આદેશ પ્રમાણે અને પહેલેથી કરી રાખેલ બધી જ તૈયારીઓ પ્રમાણે તેમના દેહને બુદ્ધહોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ એટલે કલ્પના ન કરી શકીએ તેવો !! એમની યાદમાં છેક શ્મશાનગૃહ સુધી રંગો ઉડાડતા અને ખૂબ નાચતાં કુદતા અને આનંદ સાથે..
આવા વિરલ બુદ્ધપુરુષ ના જીવન વિષે આપણે વિગતે વાત કરીએ. જેમણે સ્કૂલ લાઈબ્રેરી આખે આખી સ્કૂલમાં વાંચી કાઢેલી ! સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000 થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એમણે કશું જ લખ્યું નહિ છતાં આજે પણ દર એકાંતરે એમના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંકને ક્યાંક બહાર પડે છે. સૌથી વધુ ભાષાઓમાં તે પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ 50 હજારથી વધુ પુસ્તકો વાંચ્યા છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અન્ડરલાઇન કરી છે !! અને પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે !! જે વ્યક્તિએ લગભગ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે, એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ લગભગ સાડા ત્રણ હજાર કલાકનું એમના ઓડિયો અને દોઢ હજાર કલાક નો વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે !! આવી અકલ્પનીય વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે પણ જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય એમ યાદ કરીએ છીએ.
ઓશોના સ્મરણ સાથે મારી વાતની શરૂઆત કરું. આપણે જરા ઝડપથી યાત્રા જોઈશું કારણ કે, લગભગ લગભગ સાત સમુંદર ભેગા કરો અને જેટલું થાય એટલા વિપુલ પ્રમાણમાં ઓશો જીવનની વાતો છે. એથી પ્રશ્ન એ છે કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી ? હું આપનું ધ્યાન દોરું કે “મુક્ત ગગનનું મસ્ત પંખી” પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક તેમણે લખ્યું નથી. એમના વિવિધ પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને આ પુસ્તક તૈયાર થયું. જેમ “સત્યના પ્રયોગો”માં ગાંધીજી નું આખું જીવન આવતું નથી, એમના શરૂઆતના કાર્યોની વાત આવી પણ જેને આપણે માઈલસ્ટોન કહીએ તેવી વાતો બાકી રહી ગઈ છે. તે જીવન વિષે ઘણાએ અલગથી લખ્યું છે. નારાયણ દેસાઈએ તો ચાર ભાગમાં “મારું જીવન એ જ મારી વાણી” માં ઘણું બધું આવરી લીધું છે. એ રીતે આ પુસ્તક જેને આપણે “મુક્ત ગગનનું મસ્ત પંખી” કહીએ છીએ કે જે “ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઈન કરેક્ટ મિસ્ટિક” પુસ્તકનું ગુજરાતી છે અને સ્વામી સત્ય પ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને મા યોગ કુન્દને એનું પ્રકાશન કર્યું છે, આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા આવે છે. જો કે, એમની ફિલોસોફીને પણ જોડી છે પરિણામે જીવનની કેટલીક વાતો છૂટી ગઈ છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે, એ પુસ્તકના છેલ્લા પાનાઓની અંદર એમનાં જીવનની આખી તવારીખ ક્રમબદ્ધ તરીકે ટૂંકમાં આવરી લીધેલ છે. એટલે ઓશોના જીવનને ‘એટ એ ગ્લાન્સ’ જો જાણવું હોય તો છેલ્લા પાનાઓમાંથી મળી રહે છે.
મારે જે વાત કરાવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેમને દીક્ષા આપી અને જયારે ઓશોએ દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને આ કામ સોંપ્યું તે ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર અને જેમની જહેમતથી ગુજરાતમાં સુરતમાં ઓશો ચેરની સ્થાપના થઈ હતી કે જેમણે હમણાં થોડા સમય પહેલાં જ વિદાય લીધી અને જેને આપણે વસંત જોશી ના નામથી ઓળખીએ છીએ તે સ્વામી શ્રી સત્યવેદાંતજી સાથેનો મારો ગાઢ નાતો રહ્યો એટલે તેમના સાનિધ્યથી મને ઓશો જીવનની જવલ્લેજ જાણવા મળતી વાતો જાણવા મળી તે પણ થોડી હું અહીં આવરી લેવાનો છું.
આ પુસ્તકના પહેલા જ પાના પર ઓશોએ પોતાનો પરિચય વિશિષ્ટ શૈલીમાં આપ્યો છે. “હું તો માત્ર હું છું. ન કોઈ અવતાર છું કે ન કોઈ પયંગબર છું કે ન ઈશુ છું. એક સર્વ સામાન્ય માનવી, તમારા જેવો જ છે. પણ હા, તમારામાં અને મારામાં ફર્ક છે કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો અને જાગી જશો તો જ માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાનો ” ઘણી બધી વિચિત્ર ઘટનાઓ છે ઓશોના જીવનમાં, પણ આપણે એ વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.
ઓશો એક સુંદર મજાની વાત કરે છે,
ગજબકા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયાકા
લોગ બટોરનેમેં લગે હૈ, ખાલી હાથ જાને કે લિયે!!
11મી ડિસેમ્બર 1931 થી 19 મી જાન્યુઆરી 1990… 59 વર્ષનું જીવન..પ્રમાણમાં ઘણું ઓછું કહેવાય એવું જીવન !! મધ્ય પ્રદેશનું કુચવાડા ગામ. મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતાએ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. પાંચ વર્ષની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો વાગે છે. અને પોતાના ચાહિતા નાનાબાપુ પાસે ઉછરે છે. નાની પાસે મુખ્ય..પોતે કહે છે કે, મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. સંન્યાસ લીધા પછી પણ એમણે નાનીને આપેલું વચન પાળ્યું. એમણે નાનીને કહેલું કે, તું મરી જઈશ ત્યારે ગમે ત્યાં હોઈશ પણ દોડીને હું આવી જઈશ, એ વચન એમણે પાળ્યું. કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કહેવું હોય તો ઓશો જે કાંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાની લઈને થયા છે.નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલ પણ છે !! નાના ધર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા..ધર્મમાં ન માનવાનો વારસો એમને નાની તરફથી મળેલો. એના ઘણા પ્રસંગો આપણી પાસે છે. ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો નાની ઉપર ચીંધી શકાય.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 11, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’
જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમનું સ્થાનક. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે, તેમની સમક્ષ એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.
પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે, ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું થાય છે એટલે બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.
શાસ્ત્ર બીજીપણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !! આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે, આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.
હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. ”તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ” તુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખ–દુઃખ નાશ નથી પામતા, પરંતુ તેની વિસ્મૃતિ એ જ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે. ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.
એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે, પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે, આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી, જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.
અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે, નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે, એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે, દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?
જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે, આ ગાદી પર પચાસ વર્ષોનું તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો…
by Bhadrayu Vachhrajani | May 4, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.
“એક દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.
જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને એ સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું. શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.
આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું જે ધ્યેય પરમાત્માને મળવાનું છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે, આ આદત પણ એક યુક્તિ છે.
બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે, તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને પરમાત્મા સાથે એને જોડી દેવાનો પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.
અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે, દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે, જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.
by Bhadrayu Vachhrajani | Apr 29, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“આપે એક ટીમ એવી કેમ ન તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને મળે !!”
અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે, અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.
એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા એવી થવા લાગી કે, હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું, પરંતુ એમને એ યાદ નથી રહેતું કે, એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો કે, મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને ખુદને કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.
કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે, ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.
ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે. પરંતુ તેઓની નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ ત્યારે એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે, ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને હવે બધું પડી ને પાધર થઈ ગયું.’ આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું વિચારતા માણસને એક સહજ પ્રશ્ન થાય કે, ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’
ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે. રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો, પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા, જૂની કાંખ ધોડી જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે, પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે, ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’ કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય, પોતે સહી ન કરી શકતા હોય, એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને, એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!
આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો ઉલ્લેખ કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. આ લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી જ નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની પાછળની જેટલી વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે, ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કે, સ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કે, હવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં મને આનંદ થાય છે કે, ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.
by Bhadrayu Vachhrajani | Apr 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘શ્રદ્ધા રાખી શકાય’ એવું ન બને, પણ ‘શ્રદ્ધા બેસે’, એવું બને.
‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે, નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.
ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે, આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો, એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે, “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.” સાંજે છ વાગે દર્શન બંધ થયાં એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે, આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .
અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે, હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ કહેવાય છે કે, મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે, તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ મને જોઈ રહ્યા હતા, તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે, તમે ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે, મને ઓળખો છો?..થોડું વિચારીને મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે, પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું. જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો , સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા. મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે, મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.
યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું, ઓહો આપણે તો નવ દિવસ સાથે રહ્યા છીએ અને કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે, મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે, એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.
જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે, તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે, અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે, હવે સાત વાગ્યે દર્શન ખુલશે, પણ તમે ચિંતા ન કરો, હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો. સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી રહી જાત ! અને લગભગ પોણા સાત થયા અને એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે, અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.
આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું ન બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે એ શ્રદ્ધા હોય એવું જરૂરી નહીં, પણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો એ શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા. અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી એ ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત ન રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને એ સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે એ શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.
શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે, તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી‘ આ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.
by Bhadrayu Vachhrajani | Apr 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

એક આવકારદાયક વાત કે, “ગીતામૃત” પુસ્તકમાં ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું.
વિનોબાજીનું વાક્ય હમેશાં યાદ રાખીએ: ‘મારું શરીર માના દૂધથી પોષાયું છે; પણ, તેથીયે વધુ મારાં હૃદય અને બુદ્ધિનું પોષણ ‘ગીતા‘ના દૂધથી થયું છે.” આવું બેધડક કહેનાર ફકીરી સાધુ શ્રી વિનોબાજીના દર્શન શબ્દોથી આ પુસ્તક “ગીતામૃત”નો ઉઘાડ થયો છે.
“આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં મારી શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાની પહેલાંનાં હિંદુધર્મમાંના વેદ, ઉપનિષદ આદિ મૂળ ગ્રંથ અને પછીનાં દર્શનો, ભાષ્ય, સંતનાં વચનો વગેરે અપાર સાહિત્ય, તેમજ અન્ય ધર્મોના અનેક ભાષામાંના ગ્રંથોના અવલોકનથી ગીતા પરની મારી શ્રદ્ધા અધિક દૃઢ થઈ. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં આ બધાંએ મને મદદ કરી. કર્મયોગ અને પ્રેમયોગ; ધ્યાનયોગ અને જ્ઞાનયોગ; બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ – એ બધું જ ગીતાએ એક જીવન-સૂત્રમાં પરોવી દીધું છે એ મારે ગળે ઊતરી ગયું. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે એવો અનુભવ આવ્યો; તેથી, અમારા સાથીઓની નિષ્ઠા ગીતા પર સ્થિર થાય એવી સખત તાલાવેલી મને લાગી છે.”…શ્રી ગુર્જર પ્રકાશન, અમદાવાદના સાથીઓ શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી હુંદરાજ બલવાણીને પણ તાલાવેલી લાગી અને તેઓના લેખન અને સંપાદનમાં “ગીતામૃત” (ભાગ 1: અધ્યાય 1-2-3) આપણને મળે છે.
‘ગીતા’માં મનુષ્યજીવનનાં શાશ્વત મૂલ્યો રહેલાં છે. આ કારણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કોઈ એક ધર્મવિશેષનો ગ્રંથ બની રહેવાને બદલે સમગ્ર માનવજાતને પ્રકાશ તરફ દોરી જતા ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત છે. ‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આ પૃથ્વી ઉપર શાંતિ, મૈત્રી અને સંવાદિતા સ્થાપવાં હોય તો “ગીતા”નાં મૂલ્યોને જીવનમૂલ્યો બનવવાં જોઈશે. ઊગતી પેઢીના ઘડતરમાં “ગીતા”નાં મૂલ્યો માટેની પ્રીતિ જાગે તો આ જીવનમૂલ્યોનું સહજ બીજારોપણ થઈ શકે. નવી પેઢીમાં એકવાર બીજારોપણ થાય તો એમનું જીવનવૃક્ષ આપોઆપ જ વિકસશે.
ગીતા આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષકોની સજ્જતા વધે અને તેઓ ગીતાના ગહન સિદ્ધાંતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તો ગીતા માત્ર પૂજવાનો ગ્રંથ મટીને જીવનનો માર્ગદર્શક અને વ્યવહારુ ગ્રંથ બની રહે. ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું પૂરક સાહિત્ય તૈયાર કરાવવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. આનાથી પ્રેરાઈને આ સંપાદન તૈયાર થયું છે.
ગીતાનાં તત્ત્વોની રજૂઆત રસિક અને સરળ રીતે થવી જોઈએ. અઘરામાં અઘરી વાત પણ ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિકશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમજી શકે એ સ્વરૂપમાં દૃષ્ટાંતો સાથે મૂકવી જોઈએ. જો કે આ કામ ધાર્યાં કરતાં વધારે મથામણ કરાવનારું હતું, પરંતુ આપણને સંતોષ છે કે ગીતાનાં પાયાનાં તત્ત્વોને પ્રમાણમાં પ્રાસાદિક રીતે રજૂ કરવામાં ગુજરાતી ભાષાના આ ઉત્તમ લેખકો સફળ થયા છે.
ગીતાનાં મૂળભૂત તત્ત્વો એ કેવળ વાતનો વિષય નથી; પરંતુ જીવનમાં ઉતારવાનાં તત્ત્વો છે. આ માટે સહાયક બને એવી દૃષ્ટાંતકથાઓ અને સાહિત્યકૃતિઓની શોધ કરીને તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. હા, મુખર રીતે અમુક તત્ત્વ માટે અમુક કથા ન પણ મળે; પરંતુ અહીં રજુ થયેલ 28 કથાઓ એવી છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માબાપોનો ગીતામાં પ્રવેશ કરાવવામાં ખૂબ સહાયક બનશે એવું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ છે. વળી, જે કથાઓ અહીં મૂકી છે તે સાહિત્યની દૃષ્ટિએ, પ્રાસાદિકતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની દૃષ્ટિએ ખૂબ જ માર્મિક છે. ગીતાનાં તત્ત્વો ગ્રહણ કરવા માટે આધાર બને એવી આ કથાઓ છે. આ કથાઓ પણ મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, પુરાતન બુચ, ધીરુ પરીખ, યોગેશ જોશી, ગિજુભાઈ બધેકા, પનાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ વગેરેની કથાઓને અહીં સ્થાન આપાયું છે.
ઉપનિષદ અને ગીતા જગતભરનાં તમામ મનુષ્યો માટે જીવન આધાર બને તેવા ગ્રંથો છે. ગીતાનો વિચારવારસો અનેક રીતે અદ્ભુત છે. આ વારસો આપણી ઊગતી પેઢી સુધી પહોંચે એવી હોંશ સ્પષ્ટ રીતે સંપાદનમાં તરી આવે છે. અને હા, એમાં પ્રવેશ કરવા માટે મહત્વના શ્લોકો, તેનો શબ્દાર્થ વગેરે પણ સાથે મૂકેલાં છે. વિદ્યાર્થીઓ આ શ્લોકો કંઠસ્થ કરશે અને અર્થો જાતે ઉકેલશે તો મોટા થશે ત્યારે આ શ્લોકો તેમને માટે પથદર્શક બની રહેશે, એવું દર્શાય છે.
એક આવકારદાયક વાત ખાસ નોંધું કે, ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. એવા ગ્રંથનું સ્વરૂપ ભિન્ન હોય. સંપાદકોની નજર સામે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને છે. વળી, આરંભે પહેલા ત્રણ અધ્યાયને અહીં સ્થાન આપ્યું છે, જેથી આગળના અધ્યાયો વિષે કવાયત કરતી વખતે આ પુસ્તક અંગેના અભિપ્રાયોને સ્થાન આપી આવશ્યક ફેરફારો કરી શકાશે.
આવો, એક કથાને માણીએ અને પુસ્તકમાંથી રસપ્રસાદ મેળવીએ.
ગાંધીજીની નિર્ભયતા
ઉમાશંકર જોશી
સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે.
પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે.
સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે.
રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ—અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી—ગાંધીજી પૂછે છે: ‘શું છે ?” રાવજીભાઈનો જીવ અધ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે: “કંઈ નહિ, એ તો સાપ છે.”
સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી, પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, “બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.”
“હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો?”
“હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે, પણ આપ હલશો નહિ.”
“હું નહિ હલું, પણ તમે સાચવશો.”
રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક-ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.
છાપાંએ વાત ચગાવી: “મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.”
લોકમાન્યતા છે કે, નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે, બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી, પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે, તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.
by Bhadrayu Vachhrajani | Apr 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!!
# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?
Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:
- ગિજુભાઈ બઢેકા:
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.
- મહાત્મા ગાંધી:
ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.
- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:
વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.
- કાકાસાહેબ કાલેલકર:
ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.
નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?
આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.
તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!
# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…
Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:
- ગ્રામીણ શિક્ષણ પર ભાર:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.
- હાથનું કામ અને મનનું ઘડતર:
તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.
- સર્વગ્રાહી શિક્ષણ:
નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
- સ્વદેશી અને સ્વાવલંબન:
તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.
- શિક્ષકની ભૂમિકા:
નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેમનું યોગદાન:
– દક્ષિણામૂર્તિની સ્થાપના:
1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.
– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.
– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.
નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.
શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?
# Grok ને હજુ પણ આ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી ઉપયોગ કરી જાણે છે. આપણને અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છ
ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.
by Bhadrayu Vachhrajani | Mar 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણને “અહો ! આશ્ચર્યમ !” થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની નજીકના જવાબો આપે છે. રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.
આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ?? આવો એ જ વાંચીએ.
@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??
Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?
@ ખૂબ સરસ..
Grok હું આપના વિશે જાણવા માંગું છું.
AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??
Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!
AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?
ઉજ્જવળ બાજુ:
AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!
ડરામણું બાજુ:
પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).
મારો વિચાર:
મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?
@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.
Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!
@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??
Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે. ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:
સૌને સમાન તક આપે: ગરીબ કે અમીર, ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:
આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.
મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ
હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?
ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.
માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.
પરંતુ કેટલીક ખામીઓ પણ છે:
અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.
ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.
પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.
શું કરવું જોઈએ?
શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.
સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.
મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.
નિષ્કર્ષ
હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Mar 23, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“ડો’કાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા નહીં !!’ શ્રી યુ. એન. ઢેબર.
એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.
એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી, પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી. યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર કરીને જણાવ્યું કે, “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન વિદ્યાશાખાનો જ વિષય છે, છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”
વધુમાં તેમણે કહ્યું કે, હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે, વિગત આવી છે, શું કરવું તે વિચારીને મને કહેજો .
અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી, ‘ડોલરકાકા, મેં બધી રીતે એ બાબત ચકાસી જોઈ અને મને લાગે છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે, જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય. આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા 75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.
લોકભારતી વિદ્યાપીઠ, સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી. એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે. આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે, આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ થવાની જરૂર ન હોવી જોઈએ, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.
આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા અન્યને તેના માટે સૂચના આપતા. છાત્રાલય જીવન ઉપર તેમણે અનેક પ્રયોગો કર્યા. પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે, ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે, જમીને પોતાના વાસણ પોતે સાફ કરે, કચરા કાઢે, જાજરૂ અને મુતરડીઓ સાફ કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે. ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા. સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે, “સંસ્થા શુદ્ધિ માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)
એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે છે::
“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :
એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો Prejudice- પૂર્વગ્રહ.
શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.
૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.
ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.
એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એ એમનું ખાસ લક્ષણ હતું.”
સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ આવશે કે, આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!
“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ. પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે, હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.
સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ? બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ? કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!! 18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”
આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.
# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ…)
by Bhadrayu Vachhrajani | Mar 16, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું અને આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ
સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક હાઈસ્કૂલની સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ ઝીંક જીલી અને નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન. આ શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડો’કાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.
“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”
ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,
“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, “હું તો ગ્રામ–વિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.”
આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા પહેલેથી જ સ્પષ્ટ હતા, “એક–સૂત્રિત શિક્ષણયોજના” નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .
શિક્ષણક્રમની યોજના :
વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:
(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.
આ તબકકા માટે તેઓ લખે છે કે :
“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:
(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,
(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને
(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”
ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:
- જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
- જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.
શિક્ષણની ફિલસૂફી :
શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :
“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:
(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::
1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ
મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :
(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે, જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.
આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી જ રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ, એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”
શિક્ષણમાં કરૂણા :
ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. આ દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના જ શબ્દમાં તે જોઈએ.
“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી. માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.
- અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
- કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
- અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું. (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
- અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.
અ) દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.
બ) દોષ માટે સામા માણસની માફી માગવી.
ક) દોષ જાહેરમાં કબૂલ કરવો.
ડ) દોષની જાહેરમાં માફી માગવી.
ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.
ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.
નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.
- થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે
એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા ઊંચા સ્તર સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.