અજવાળું એટલે... જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

ફૂલછાબ : દીપોત્સવી અંક : 2023

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધના.

II ૐ શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II

અમારા નિવાસ ‘પ્રેમમંદિર’ ના પડોશમાં એક બુઝુર્ગ નારી રોજ સવારે બહાર ડોકાયા કરે અને જમણી દિશામાં કશુંક શોધ્યા કરે. મારી સવાર હિંચકે વીતે અને હું રોજનો પેલી ઘટનાનો સાક્ષી. શરુ શરૂમાં મને વિસ્મય હતું કે એ સન્નારી કોને શોધે છે ?? પરંતુ એક દિવસ હું તેમની શોધ પૂર્ણ થયાના આનંદનો પણ સાક્ષી બન્યો અને મારું  વિસ્મય વ્યક્તિગત ન રહેતા શાશ્વત બની ગયું.!!

જમણી દિશામાં જરાક સુરજ ડોકાયો ને તે સન્નારી અંદર ઉતાવળા પગલે દોડયાં અને પાણી ભરેલો ત્રામ્બાનો કળશયો (લોટો) લઈને બહાર બાલ્કનીમાં આવ્યાં, એમણે  જમણી દિશામાં હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી પેલા લોટામાંથી ધીમી ધારે પાણી રેડતા ગયાં અને બોલતા ગયાં ‘II શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II’ !! બસ પછી મુખ પર સંતોષનું સ્મિત ફરકાવતા અંદર જઈ  કામે લાગી ગયાં.

મારા મનને ઘડીક શાંતિ થઇ પણ પેલું વિસ્મય વ્યાપક બનીને જિજ્ઞાસામાં ફેરવાયું કે, આખો દિવસ તપતા આ સૂરજદેવ સામે પાણી રેડવાથી શો લાભ થાય ?? જિજ્ઞાસા ઝાલી ન રહી એટલે સાંજે એ સન્નારી ફળિયે બેસી સમવયસ્કો સાથે ગોઠડી કરતા હતા ત્યાં જઈને પૂછી નાખ્યું : ‘હેં, બા, તમે સવાર સવારમાં સૂર્યને શોધો ને જેવો દેખાય એટલે તરત તેની સામે પાણી રેડીને શ્લોક જેવું બોલો છો, તે આનો શો અર્થ ?’  તેઓ તો

                                                          (2)

અચંબામાં પડ્યા કે આ પાડોશી આવું શા સાટું પૂછવા આવ્યા હશે, પણ તરત તેઓએ ઠાવકાઈથી કહ્યું, ‘ભાઈ, એવું વિચારો તો કે સુરજ ઉગવાનું જ ભૂલી જાય તો,,, આપણું શું થાય ?  મને કયો તમે કે આપણો દિવસ શરુ થયો ક્યારે કહેવાય ? ઘોર અંધારી રાતમાંથી પહેલા પહોરે ઉજાસ થાય જ નહિ તો આપણી સવાર પડે ખરી ?? ભાઈ, જે આપણને સવારે ઉજાસ પાથરી ધીમેકથી કહે કે, ઉઠો વ્હાલા, એક નવો દિવસ તમારી ઝીંદગીને  ભેટ મળ્યો છે તે આનંદ કરી લ્યો !!! કહો જોઈએ, આવું કોઈ કહે તો  આપણે એનો આભાર માનવો જોઈએ કે નહીં  ?? તમે વાતે વાતે Thank You નથી કહેતા એકબીજાને ?? બસ, એમ જ, હું સવારમાં સુરજદેવને હાથ જોડી પ્રણામ કરું છું અને થોડું પાણી તેને અર્ઘ્ય  રૂપે ચડાવી  તેને ટાઢક વળે એવો ભાવ કરું છું, એને આપણા માટે આખો દિવસ તપવું સહેલું પડે ને ભાઈ..!! મારું વિસ્મય  હવે શાશ્વત બની ગયું અને મને સમજાયું કે, સૂર્ય બહાર પ્રકાશ પાથરે છે પણ કોઈ સજગ સન્નારીના હૃદયમાં અજવાળું અજવાળું કરી દે છે.

મને સ્વામી બ્રહ્મવેદાંતજીનું એક વિધાન યાદ આવ્યું : જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધનામને સમજાયું કે મારા પડોશી સન્નારી તો જાણ્યે અજાણ્યે સાધના કરી રહ્યા છે અને તેમણે મને કેવળ વાત નથી કરી પરંતુ મને સાધનાના માર્ગ તરફ આંગળી ચીંધી  છે.

ચીન નિવાસી અને વિશ્વના આધ્યાત્મ જગતના વિરલ પથદર્શી લાઓ ત્સુ  ત્રણ ખજાનાની વાત કરે છે:

મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત.

પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા,

ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ.

પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર,

અતિરેક હોય એટલે રહી શકે ભરપૂર

દુનિયાની આગળ થઈ જવાનો અભરખો હોય

                                                             (3)

એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર

પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી,

અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા,

તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ અને 

બધું લઈ જાય માત્ર મૃત્યુ તરફ.”

અને આમ જુઓ તો મૃત્યુ એ આખરી અજવાળું જ છે ને !! બહારનો  દીપ બુઝાય ત્યારે અંદરના દીપનું પ્રાગટ્ય થાય..બહાર પ્રકાશ ગયો અને અન્તઃકરણમાં અજવાસ થયો.

ગુરુ નાનક નિરંતર ઈશ્વરમાં મગ્ન રહેનાર સંત હતા. તેમને બાલ્યાવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ અવસર ઉપર દૂરના નજીકના સબંધીજન આવ્યા અને સૌ ભેગા થયા અને છેલ્લા તબક્કે એક વિસ્ફોટ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે નાનકડા નાનકજીએ કહ્યું કે, ‘હું યજ્ઞોપવિત પહેરીશ નહીં.’ કુટુંબના સૌ વડીલો એને સમજાવવા લાગ્યા અને પૂછ્યું કે, ‘એવું કેમ ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘જે જનોઈ મેલું થઇ જાય, તૂટી જઈ શકે, બળી જઈ શકે અને જે મનુષ્યના સાથે જીવનની સીમા પછી પણ આવે નહીં એવું જનોઈ પહેરવાનો અર્થ શું છે ?’ બધા વિમાસણમાં પડી ગયા ત્યારે કોઈ એક બુઝૂર્ગે પૂછ્યું કે, ‘બરાબર છે એ નહીં  તો, તારે કેવું જનોઈ જોઈએ છીએ કે જે આલોક અને પરલોકમાં પણ તારું સાથીદાર બને ?’  આ લોકોની જિજ્ઞાસા હતી. બધા પ્રતીક્ષા કરતાં હતા કે, શું જવાબ મળે છે ત્યારે નાનકદેવજીએ કહ્યું, ‘જેમાં જ્ઞાનની કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ અને સત્યનો અર્ક હોય એ જનોઈ હું પહેરીશ કે જે આત્મા માટે આદર્શ હોય.’  એક નાનકડાં બાળકની આટલી  ઊંડાણભરી વાત ત્યારે જ બહાર આવે કે જયારે  અંદર અજવાળું અજવાળું હોય.

પ્રશ્ન થાય કે, આવું ક્યારે શક્ય બને ?? જવાબ તાઓ ઉપનિષદમાંથી મળે છે :

તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે,

ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે.

                                                     (4)

પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે,

ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિવિધાન આવે,

વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે,

ધૂંધળાને નહીં, સજ્જન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે.

વર્ધાથી બહાર પડતા સામાયિક ‘મૈત્રી’નાં ઓગસ્ટ-2023ના અંકમાં એક કોલમમાં કહેવાયેલી વાત કાલિંદીના શબ્દોમાં જાણીએ:

સર્વ શક્તિદાયિની પદયાત્રાનો એ ચોથો ભાગ છે. એમાં એક સરસ પ્રસંગ ચિત્ર મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી હવે જઈશું પૂર્વ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. અહીં બે જિલ્લાઓમાં કુલ સોળ  દિવસ સુધી પદયાત્રા થઈ. અહીંની સભાઓ એક આશ્ચર્ય પમાડે તેવી થઈ. નાના નાના ગામોમાં હજારોની સભા થતી હતી. કોણ કહેતું હશે લોકોને આ સભા અંગે કે આટલા બધા ઉમટી પડતા હશે ! ત્યારે કાર્યકર્તાઓની ફોજ નહોતી, પ્રચારની કોઈ યોજના નહોતી પરંતુ કોણ પહોંચાડી રહ્યું હતું આ વાત લોકો સુધી ? કોણ હતો તેનો સંદેશાવાહક ? કાનમાં કોઈ હળવો અવાજ બોલતો  હતો.  ચારો ઓર સે હવા આઈ, લોગો કે કાનોમેં બોલી,, આયા હે ફકીર ભારતકા લેકર પૈગામ મહોબ્બતકા. હવામાંથી સંદેશ મેળવીને લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ હતી, પણ શાંતિથી, એકાગ્રતાથી તેઓ વિનોબાજીને સાંભળતા હતા. આશાવાદી આર્ય નાયકમ પણ સાથે હતા. તેઓ કહેતા :  બાબા ભૂમિ તપ્ત છે, એને વરસાદનું પાણી મળી રહ્યું છે. વાત પણ સાચી હતી. પૂર્વ પાકિસ્તાનની હાલત એવી હતી કે, ત્યાં આવી જાહેર સભાઓ ક્યારેય થતી ન હતી. સંત ફકીરોની આહલેક  સાંભળીને ત્યાં ભેગા થવાનો મોકો પણ મળતો ન હતો. ખરેખર એ ભૂમિ પ્યાસી હતી, તપ્ત હતી. એવી શાંત એકાગ્ર શ્રોતાઓની આટલી વિશાળ પણ સભા ભારતમાં ક્યાંય થઇ ન હતી, પણ તેના ઉપર ફકીર વિનોબાજીનો મહોબ્બતનો પૈગામ જાણે મીઠો વરસાદ વરસાવી રહ્યો હતો.

                                                        (5)

વિનોબાજીની ભૂદાન પદયાત્રા ચાલી રહી હતી એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો હતો કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી તેઓને ઈચ્છા હતી કે તેઓ સંત ઋષિ વિનોબાજીને મળે અને તેના આશીર્વાદ લે. વિનોબાજીની યાત્રા એ સમયે વર્ધા જિલ્લામાં ચાલી રહી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કહેવડાવ્યું કે, ‘વિનોબાજીની ભૂદાન યાત્રા પૂર્વ નિયોજિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલે. મારા કારણે તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. હું તેઓ જે સ્થાન ઉપર હશે તે સ્થાન ઉપર જઈને તેમને મળીશ.’ એ દિવસે વિનોબાજીનો  મુકામ એક બહુ નાનકડા ગામમાં હતો. એ ગામમાં સ્કૂલ નહોતી, પંચાયત નહોતી. એનો કોઈ રૂમ ન હતો  કે કોઈ એવી વ્યક્તિનું મોટું મકાન પણ નહોતું. પ્રશાસન અધિકારીઓ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે આ બંને મળી શકે એવું સ્થાન કયું ? વિનોબાજીની વાત તો ઠીક છે પરંતુ તેમને ચિંતા હતી પ્રધાનમંત્રીની. આખરે એક ઘર પસંદ કરવામાં આવ્યું. ઘર એટલે માટીવાળી દિવાલોનો એક ઓરડો અને એના આગળના ભાગમાં ઉપર છાપરા મૂકેલ એક ઓસરી કહી શકીએ એવું. ઘરનો માલિક બહુ ખુશ હતો કે, એક સંત આજે આખો દિવસ આ ઘરમાં રહેવાના હતા. અને એમણે ૨૪ કલાક માટે પોતાના પરિવાર અને બળદને લઈને ખસી જવાનું પસંદ કર્યું. પ્રશાસનના  અધિકારીઓએ ઘરની સફાઈ કરી. વિનોબાજીના સાથીઓ પણ એ રૂમને સજાવવા લાગ્યા. ચાદર પાથરી, ચટાઈ પાથરી, ઓરડાના એક ખૂણામાં ચૂલો હતો એને સારા કપડાથી ઢાંકી દઈને એની ઉપર ફાનસ મૂકી દીધું. કારણ કે બહાર વાદળો હતા અને ઓરડામાં અંધારું. નક્કી થયેલા સમય ઉપર પ્રધાનમંત્રી આવ્યા. તેઓ પોતાની ગાડી અડધો માઈલ દૂર રાખીને ચાલીને આવ્યા. વિનોબાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સ્વાગત માટે રસ્તા ઉપર ઉભા રહ્યા. તેઓ શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના રૂમ માં લઇ ગયા. એક દોઢ કલાક સુધી બંનેએ એકાંતમાં વાતો કરી. વિદાય માટે જેવા તેઓ ઉભા થયા કે  એકદમ ચારે તરફથી આંધી શરૂ થઈ.  હવાનું એક બહુ મોટું વહેણ એ ઓરડામાં પણ ઘુસ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ગરીબ ઘરની આસપાસ જે સારું ઐશ્વર્ય હતું એ આ બંને મહાનુભવો પર પડયું  અને બંનેનું સન્માન કર્યું. ઐશ્વર્ય એટલે શું ? એ સમયે લાલ મરચું અને ડુંગળીના

                                                    (6)

છાલકાઓની વર્ષા  બંને ઉપર થઇ !  એમ કહેવાય કે ગરીબ ઘરની વિદાય લેતી વખતે ગરીબોની  સર્વોત્તમ ચીજથી બંનેનું સન્માન થયું. સામાન્ય રીતે તો પ્રધાન મંત્રીનું સન્માન કરવા માટે તો ફૂલ હોય, ગુચ્છા હોય, ફૂલમાળા હોય, નોટોની માળા હોય પણ આજે એવું નહોતું. પ્રધાનમંત્રી અને વિનોબાજી રૂમની બહાર આવ્યા ત્યારે બંને ઉપર કચરાના અંશો પડ્યા હતા. પ્રધાનમંત્રીની ટોપી ઉપર અને ખભા ઉપર પડેલો કચરો પ્રશાસકીય લોકો દૂર કરવા લાગ્યા,  પણ પ્રધાનમંત્રીએ આસ્તેથી તેઓનો હાથ દૂર કર્યો અને જઈને કારમાં બેસી ગયા. પ્રધાનમંત્રીનું આ પ્રકારનું સ્વાગત કે વિદાય બીજે ક્યાંય  હોય શકે ? સંભવ જ નથી લાગતું. કોઈ ઉત્તમ લેખકની  કલ્પના શક્તિ ન ચાલે એવી રીતે આ બનાવ બન્યો હતો. તેમ છતાં તે ચક્ષુ રેવ સત્યમ હતું. અદ્વિતીય હતું. આવું તો પદયાત્રામાં જ થઇ શકે. પરમભાગ્ય પદયાત્રીઓના કે આ બધું જોયું અને ચોતરફ ભૂદાનયાત્રાનું અજવાળું અજવાળું થઈ  રહ્યું.

સંત ફઝીલ એક દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા. ત્યારે એક નિર્દોષ બાળકે પૂછ્યું, તમે મને દોસ્ત માનો છો ? ફઝીલે કહ્યું, હા. બાળકે ફરી પૂછ્યું,.. ‘અને ખુદને પણ દોસ્ત માનો છો ? બંનેની દોસ્તી એક દિલમાં રહી શકે નહીં હો !’ ફઝીલ સમજી ગયા.  આ ચેતવણી કદાચ ખુદા જ આપી રહ્યા હતા. એમણે તરત જ બાળકને ખોળામાંથી ઉતાર્યો અને પલાંઠી મારીને આરાધનામાં લીન થઇ ગયા. સંત સાફિયાન એક રાત્રે ફઝીલ પાસે આવ્યા અને પ્રેમ પૂર્વક અધ્યાત્મ ચર્ચા કરવા લાગ્યા. વિદાય લેતી સમયે સંતુષ્ટ સ્વરમાં તેઓએ કહ્યું કે, આજની રાત બધી રાતોથી વધુ સારી રહી છે અને આજનો જલસો બધા જલસામાં ખુબ ઉત્તમ રહ્યો છે. પ્રત્યુત્તરમાં ફઝીલે  કહ્યું : “આજ કી રાત સબ રાતો સે બુરી ઓર આજકા જલસા સબ જલસોસે બુરા રહા.’  તરત સાફિયાને પૂછ્યું,  કેમ એમ ? જવાબ મળ્યો :  આ આખી રાત તમે એ ચિંતામાં રહ્યા કે એવી વાત કહો જે મને પસંદ આવે અને હું એ ફિકરમાં રહ્યો કે એસી બાત કહું કી તુમ્હે પસંદ આયે. હમ દોનો અલ્લાહ સે કાફીર રહૈ. બંદે કે લિયે તન્હાઈ હી અચ્છી થી જહાં ઉસકા ખુદા કે સાથ સીધા વાસતા હે આ વિચારને લઈને સંત અબ્દુલ્લાએ કહ્યું

                                                          (7)

પરત જાઓ. તુમ ઇસલિયે આયે હો ના કિ  તુમ મુજસે બાતેં  કરો ઓર મેં તુમસે બાતેં  કરું. સત્સંગ ઉતના હી અચ્છા જીતને મેં રાહી કો રાહ બતાયી જાએ !!

એકનાથે કહ્યું છે: જબ તક રસનાકો જીત નહીં લિયા સમૂચિત બોલના આતા નહીં. એમાંથી પ્રશ્ન થયો કે,  કોઈ ખોટું બોલે તો પણ આપણે ચૂપ રહીને સહન કરતાં શીખવું જોઈએ,  પણ એવું થતું નથી. માનો કે,  આપણે એને વળતો જવાબ ન દઈએ, પરંતુ મનમાં તો પ્રતિવાદ રહેતો જ હોય છે. સૂફીનો જવાબ મળ્યો :  ચુપચાપ સહન કરવું પર્યાપ્ત નથી દોસ્ત,  કટુ બોલનારને આશીર્વાદ આપો,  એમનું શુભ ચિંતન કરો,  એમના ઉપર ઈશ્વરની કૃપા હો, એવું પણ વિચારવા લાગો ત્યારે વાત પુરી થશે. ફરી પ્રશ્ન થયો કે, ‘શૂન્ય બનવાની વાત સૌ કરે છે તો આ શૂન્ય બનવું એટલે શું ?’  જવાબ મળ્યો: શૂન્ય બનવું સહેલું છે. તમારા ચિત્તમાં ન કોઈ વિકાર હોય કે ન કોઈ વિચાર હોય એ સ્થિતિ શૂન્યાવસ્થા છે. 

 આપણે જાતને પૂછવાનું છે :

તમારાથી વધુ નિકટ શું ? કીર્તિ કે તમે સ્વયં ?

તમને વધુ વહાલું શું ? તમે સ્વયં કે સંપત્તિ ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ;

ધનના સંગ્રહની પાછળ પાછળ આવી જાય મોટી લૂંટ

એટલે જે જાણે સંતોષને, તે રહેશે, ના થશે કદી માનભંગ;

જે જાણે ક્યાં અટકી જવું, તે રહેશે કદી નાશવંત

પ્રાપ્ત કરો લક્ષ્ય પ૨મ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિમાં

અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી

જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ;

                                                           (8)

પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં.

પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;

તેનો અર્થ થયો : જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

…અને એ પૂર્વસ્થિતિમાં મળી આવશે અજવાળું અને તેનું એકમાત્ર લક્ષ્ય હશે  કે પૂર્ણતાની દિશામાં  સતત ચાલતા જ રહેવાનું, સતત ચાલતા જ રહેવાનું…Just Let Go .

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com