પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

બંસી આજે પણ બજે છેગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા  મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !!  આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.

અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:

સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,

લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !

તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ

હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?

હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો  આનંદ માણે છે?

બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.

જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!

આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !

ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।

બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !

બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?

હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.

સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.

અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?

હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!

મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !

તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)

આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ  લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત.  ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.

હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની  દુનિયા દિવ્ય  છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ..