પહેલી વખત કેવળ સાહિત્ય નહીં, પણ ગુજરાતી ભાષા શીખવતું  પુસ્તક તૈયાર થયું છે. 

 ભદ્રાયુ વછરાજાની 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો,
ખાસ કરીને માતૃભાષાના શિક્ષણ સાથે નિસબત  ધરાવનાર સૌ સ્વજનો,
નમસ્કાર.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ ને લઈને સમગ્ર દેશમાં ૨૦૨૦ થી છેક ૨૦૩૦ અથવા ૨૦૩૫ સુધી
બદલાવનો માહોલ બનતો રહેવાનો છે. ધીમે ધીમે કરતાં ઘણું બધું બદલાશે અને બદલાતાં
બદલાતાં આપણને જે કોઠે પડશે એ અંતે આપણી નીતિનો અમલ ગણાશે.
આ વાતને જો ધ્યાનમાં લઈએ તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૬ ના ગુજરાતી પ્રથમ
ભાષાના અજમાયશી પુસ્તક “પલાશ” અંગે હાલ અભ્યાસ થઈ રહ્યો છે, ચર્ચાઓ થઈ રહી છે
ત્યારે  કેટલાક શિક્ષક મિત્રો દ્વારા આ અંગે પ્રશ્નાર્થો ઊભા કરવામાં આવ્યા છે અને તેથી કેટલાક
નીતિ નિર્ધારકો પણ આ અંગે અવઢવમાં છે -એવી વાતો સાંભળવા મળે છે, ત્યારે કેટલાંક બહુ
સ્પષ્ટ મંતવ્યો આ સાથે હું પેશ કરું છું.
1) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નો અમલ કરવો સૌ માટે ફરજિયાત છે એટલે કે એના 

સંદર્ભમાં જે કોઈ ફેરફારો થાય તે ફેરફારો આપણે સ્વીકારવાના છે, હૃદયપૂર્વક સ્વીકારવાના છે અને એને
અમલમાં મૂકીને ધીમે ધીમે આપણી જાતને એમાં ટેવ પાડવાની છે. એ દૃષ્ટિએ આ અજમાયશી પુસ્તક
આપણે સ્વીકારવાનું છે. .
૨) અજમાયશી પુસ્તક ‘પલાશ’ એ અગાઉ કરતાં  જુદું બન્યું છે. આપણા વિદ્યાર્થીઓ તો બીજા ધોરણથી
"પલાશ" જેવી સંરચનાવાદી અધ્યયન પદ્ધતિ અનુસાર તૈયાર થયેલાં પાઠ્યપુસ્તકો: 'કલ્લોલ' 'કલશોર'

'કુહૂ', કેકારવ'થી જ  ભણી રહ્યા છે. માત્ર ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને નવાં  લાગે છે. ધોરણ ૬-૭-૮ માટે
અત્યાર સુધી આવું પુસ્તક બન્યું નથી. 
આ ગુજરાતી ભાષાનું પુસ્તક છે. અત્યાર સુધી આપણને સાહિત્યનાં પુસ્તકો મળ્યાં છે.  તેમાં કોઈની
બેઠેબેઠી કવિતા હોય, કોઈ પાઠ, કોઈ વાર્તા હોય અને આપણે એનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા
આવ્યા છીએ. એ અભ્યાસથી કૃતિઓનો, કે રચનાઓનો પરિચય અને આનુસંગિક ભાવાત્મક પાસાંઓનો
પરિચય અવશ્ય થાય છે. પણ આપણે ગુજરાતી ભાષા શીખી શકીએ એવું એમાંથી બહુ ઓછું બન્યું છે,
એવું આ પુસ્તકને ઝીણી નઝરે જોયા  પછી ચોક્કસ લાગે છે. જે શિક્ષકમિત્રોને આ મુદ્દા અંગે શંકા હોય
તે અગાઉના ગુજરાતીના પુસ્તકો ઉપાડે અને આ પુસ્તક સાથે સરખાવે તો એને ખ્યાલ આવશે. એ
પુસ્તકોની અંદર કવિતા બોલી જવાની હોય અથવા ગાવાની હોય, પાઠ વાંચી વાંચીને સમજાવવાનો હોય
અને જે સમજાય એને આનુસંગિક પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે આપણું એ પુસ્તક પૂરું થયું.
એ તો  સાહિત્ય અંગેનું પુસ્તક હતું એમાં આપણે પૂછતા હતા કે,  "કવિ શું કહેવા માંગે છે,  લેખક આમાં
ક્યાં અલગ  પડે છે" વગરે…વગેરે… અહીંયા એવું નથી કારણકે અહીંયા આપણે વિદ્યાર્થીને ગુજરાતી
નામના વિષયના માધ્યમથી એક પ્રકારની ભાષા શીખવવી છે. ગુજરાતી ભાષાથી એને અવગત કરાવવા
ભાષા સાથે વિદ્યાર્થીના સ્વને જોડીને બૌદ્ધિક અને ભાવાત્મક પ્રક્રિયા ઊભી કરવી છે. એટલે એ દૃષ્ટિએ
આ પુસ્તક અવશ્ય જુદું પડે છે એટલે ઝડપથી આપણાં મનમાં નહીં બેસે, પણ હું માનું છું કે આ બદલાવ
અતિ આવશ્યક છે અને આ બદલાવ ક્રમશઃ ધોરણ ૭,૮,૯,૧૦ માં પણ જળવાઈ રહે તે જોવાની નીતિ
નિર્ધારકોની ફરજ બને છે,

૩) આ પુસ્તક અજમાયશી પુસ્તક છે, એનો અર્થ એવો છે કે જૂન મહિનાથી તેનો અમલ થયો છે. હજુ
આપણી પાસે આખું વર્ષ છે એ દરમ્યાન આપણને જ્યાં તકલીફો પડતી 
હોય તે તકલીફો માટે આ પુસ્તકમાં લખેલા નિષ્ણાતો કે લેખકો અને અન્ય શિક્ષણશાસ્ત્રીઓ છે એની
સાથે ગોષ્ઠિઓ ગોઠવી  શકાય કે એમનો કહેવાનો ભાવાર્થ શું છે તે સમજી શકાય તેવો પૂરો અવકાશ છે.
અને એ અવકાશને યોજવાની જવાબદારી પાઠ્યપુસ્તક મંડળ કે GCERT કે સરકારનું કોઈ પણ તંત્ર કરી
શકશે એમાં મને કોઈ શંકા નથી.
૪) શિક્ષક તરીકે આપણે નવીનતાનો આવકાર કરવો જોઈએ. ઠેર ઠેર જયારે વિશ્વમાં છેક આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સ સુધીની વાતો ચાલતી હોય ત્યારે આપણ ઘરેડબદ્ધ જ પુસ્તકો ભણાવવા માટે ટેવાઈ
જઈએ અને બદલાવનો સ્વીકાર ન કરીએ તે યોગ્ય નથી. શિક્ષક તો એ છે કે જેને રોજ કંઈક બદલાવ
જોઈએ છીએ. અને બદલાવને એ પડકાર તરીકે સહન કરે છે અને સહન કર્યા પછી એ પુરા હૃદયથી એનો
સ્વીકાર કરી અને પોતે માધ્યમ બનીને વિદ્યાર્થીઓ સુધી એને પહોંચાડે છે. એ દૃષ્ટિએ આ પુસ્તક સૌએ
સ્વીકારવું જોઈએ  તેવું મને લાગે છે.

૫) ગુજરાતના વિદ્યાર્થીઓનું ગુજરાતી નબળું છે એવી વાતમાં પૂરું તથ્ય છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં
આપણાં લગભગ અઢી કે ત્રણ લાખ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. એનું કારણ કે
આપણે ગુજરાતીના પુસ્તકો ગુજરાતી સાહિત્યના પુસ્તકો તરીકે જ અમલમાં મુક્યા છે. આપણે પ્રાથમિક
કક્ષાએ ભાષા સજ્જતાના વિકાસને બદલે સાહિત્ય પ્રકારોમાં અટવાઈ ગયા છીએ. આપણે એવું માનીએ
છીએ કે નરસિંહ મહેતાનું નાનું પદ કોઈ વર્ગના પાઠ્યપુસ્તકમાં  મૂકી દઈએ એટલે બાળક તે સમજી જશે.
આપણે એને કહીએ કે આ મંદાક્રાંતા છંદ છે એટલે એ સ્વીકારી લેશે કે આ મંદાક્રાંતા છે. અત્યાર સુધીના
પુસ્તકો સારા હતા પણ એની અંદર તો કહેવાય તે સ્વીકારવું એવા  પ્રકારનું ચલણ હતું.  હવે તો જે તમે
સમજો છો એ તમે લખો, તે તમે અભિવ્યક્ત કરો અને અભિવ્યક્તિથી તમે સમજો કે મેં જે લખ્યું તે શું
છે 

એવો  એક વિશિષ્ટ અભિગમ અમલમાં આવ્યો છે. શિક્ષક ભાષા સાથે શું કરે છે તે અગત્યનું નથી; પરંતુ
બાળક ભાષા સાથે કેવી કેવી પ્રક્રિયાઓ કરીને ભાષાને અંતર્ગત કરે છે તે અગત્યનું છે. ત્યારે આ નવી
તરાહનું આપણે બહુ જ ઉમળકાથી સ્વાગત કરવું જોઈએ અને એમાં કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની
નિખાલસ સંવાદ કે ચર્ચા કરીને એના વિશેની સ્પષ્ટતા મેળવવી જોઈએ. 
મનોવિજ્ઞાન એવું નોંધે છે કે, જેમની ભાષા સમૃદ્ધ હોય તે પોતાના અનુભવો (જીવવાના, શીખવાના
અને વિચારવાના)ને સુપેરે આગળ વધારી શકે છે. કિશોરાવસ્થા સુધીમાં બાળકોનું વિકસી રહેલું મગજ
ભાષાના વાયરિંગથી શક્તિશાળી બનતું હોય છે. તેથી પ્રાથમિક શાળામાં બાળકોને ભાષા-પોષણ આપવાના
સભાન પ્રયાસો અનિવાર્ય છે. કેટલાક વિચારણીય મુદ્દાઓ અત્રે ટાંકુ છું :: 
@ મજા આવવી – એ ભાષા શીખવાની પૂર્વશરત છે.
@ જે ભાષામાં ગાતાં, લલકારતાં, વાર્તા કહેતાં, ગપ્પાં મારતાં, જાતભાતના વિષયો પર વાતચીત કરતાં
આવડે તે ભાષા પછીથી લખતાં અને વાંચતાં પણ આવડે.
 @ ભાષા શીખવા માટે બે કે તેથી વધુ માનવ ભેગા થાય  એટલે ભાષા આવડવા માંડે. તેથી આ પુસ્તકમાં
અનેક જૂથ પ્રવૃત્તિઓ તેમજ જોડી પ્રવૃત્તિઓ મૂકી છે.
@ વર્ગમાં વિદ્યાર્થીઓ ઊભાં થાય, થોડાં હાથ-પગ-જીભ હલાવે, થોડી કૂદાકૂદ કરે તે વિદ્યાર્થીઓ માટે
મજેદાર હોય છે. તેનાથી ખલેલ પહોંચે એવું લાગે  તો પણ  વિદ્યાર્થીના મગજના વિકાસ માટે સમયાંતરે
થતી શારીરિક ક્રિયાઓ ખૂબ જરૂરી છે, તેવું સ્વીકારવું .
@ માહિતી → અર્થગ્રહણ → સમજ → ઉપયોગ ——— સર્જન એવી નિસરણી દ્વારા
આપણે કલ્પનાશીલ બનીએ છીએ. આ પુસ્તકમાં કવિતાઓ, વાર્તાઓ, પ્રસંગો એવી રીતે રજૂ કર્યાં છે કે
જેથી વિદ્યાર્થીઓના અનુભવ, પૂર્વજ્ઞાન અને કલ્પનાશક્તિ અધ્યયનમાં જોતરાય. 

@ પાઠ્યપુસ્તકમાં ઇરાદાપૂર્વક પીરસવામાં આવેલી ભાષા અને વિદ્યાર્થીઓએ ઘર-કુટુંબ-શેરી-મહોલ્લા-
પાર્ટીમાંથી ગ્રહણ કરેલી ભાષાનો સંગમ કરવામાં આવ્યો છે. 
@ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુખર રીતે બહુભાષિતાને પ્રોત્સાહન આપે છે. N.C.F. (National
Curriculum Framework)  અને રા.શિ.ની. 2020ને અનુસરીને આ પાઠ્યપુસ્તકમાં અન્ય
ભારતીય ભાષાઓને ગુજરાતી ભાષા સાથે પ્રગટ રીતે સાંકળવામાં આવી છે.
@ આ પાઠ્યપુસ્તકની સંરચનામાં કેટલીક ખાસ થિયરી અને સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
તેની વિગતો પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ સ્પષ્ટ કરેલી છે. 
@ ‘પલાશ’ એવું પુસ્તક બન્યું છે કે જેમાં શિક્ષકનો રોલ એક મિત્ર બની રહેવાનો છે, કારણ બાળક
પોતાની જાતે વાંચન કરી સૂચના મુજબ પ્રવૃત્તિ કરતો રહે તેવું તેનું ફોર્મેટ છે. કદાચ એવું પણ બને કે થોડા
હોશિયાર બાળક તો શિક્ષક કરતા આગળનાં પાનાંઓમાં ગતિ કરવા લાગશે. 
@ ‘શું’ નામના પાઠ્યપુસ્તકની સફળતા ‘કેવી રીતે’ નામના વર્ગકાર્ય દ્વારા સિદ્ધ થાય છે – તે
સુવિચારના વિચારવિસ્તાર તરીકે અમે આ પુસ્તકને ‘મેનુ ડ્રિવન’ એટલે કે ‘જુઓ અને કરો’ ટાઇપનું
બનાવ્યું છે. લર્નિંગ મૅન્યુઅલ જેવા આ પુસ્તકને કોઈ પણ સજાગ શિક્ષક વિદ્યાર્થીઓની સક્રિયતામાં
પલટી શકશે.
એક સાથે સમૂહમાં કોઈ બાબતને  સોશ્યલ મીડિયા કે શિક્ષક સમૂહોમાં વખોડી કાઢવાથી આપણું ભવિષ્ય
પાછળ ઠેલાશે  એ આપણે ભૂલવું ન જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં બધું જ ચાવી ચાવીને
આપણે ગળે ઉતારવાની જે પ્રક્રિયા આવી છે ત્યારે આપણાં મગજને ભલે થોડી કસરત ચોક્કસ થાય.
‘પલાશ’ પુસ્તક આપણને થોડીક ક્ષણ માટે પ્રશ્નાર્થ બનીને ઉભું રહેલું લાગે તો પણ તેના ઊંડાણમાં
જઈને વિચારવા જેવું આ પુસ્તક છે એવું  હું સ્પષ્ટ રીતે માનું છું.

હું આ પુસ્તકના સૌ મિત્રોને, એમના લેખકોને, સલાહકારને અને સંસ્થાઓને GCERT 
અને પાઠ્યપુતકમંડળ ને અભિનંદન આપું છું અને આમાં કોઈ ટેક્નિકલ વાતો આપણને 
અજમાયશ દરમિયાન મળે તેનો સુધારો કરીને બાકીનું as it is આગળ ધપાવવા માટે વિનંતી કરું છું.

 ભદ્રાયુ વછરાજાની (PhD in Education)  
9898920333  

email : bhadrayu2@gmail.com 
YouTube: https://www.youtube.com/@bhadrayuvachhrajani 
Facebook: https://www.facebook.com/bhadrayu.vachhrajani
Blog: https://bhadrayu.wordpress.com/ 
Instagram: https://www.instagram.com/bhadrayuvachhrajani/