પ્રેગ્નન્ટ હોય ત્યારે મા એકલી નથી જીવતી, મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. 

      ભદ્રાયુ  વછરાજાની                                               bhadrayu2@gmail.com 

લગભગ નવ  મહિના સુધી ગર્ભાશયમાં  ઊંધે માથે લટક્યો હોય છે જીવ. એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ બધું આશ્ચર્ય છે.  પરિણામે હંમેશા ‘વિસ્મય’ શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલાં  ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી એવો ભાવ. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ છે એના વિશેનો ભાવ. જિજ્ઞાસા એટલે જેને કશાંક અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. પહેલીવાર  બહાર આવીને એણે બધું જોયું એટલે એને દરેક વિષે પ્રશ્ન છે. વળી સમજ  તો હજુ વિકસી નથી એટલે જુએ છે તે શું છે, શા માટે છે એવું તો એ  વિચારી શકતું નથી એટલે વિસ્મય છે. અત્યાર સુધી ન જોયેલું બધું તેને વિચિત્ર લાગે છે એટલે  સતત ઝીણી આંખે નજર માંડીને નિહાળ્યા કરે છે. તેથી બાળકને આજુબાજુના અને પોતાના શરીરના વિશેના પ્રશ્નો હોય છે. કારણકે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે. 

બાળક માટે તો સાંભળે કે જુએ કે ખાય છે એ પણ પ્રાપ્તિ છે. એટલે બાળક સરપ્રાઈઝડ છે !  જન્મ્યા ભેગા એને જે  વિચારો આવે છે,  એ બધા વિચારો એ વ્યવસ્થિત  સમજથી બોલતો થાય એ પહેલાં કાલીઘેલી બોલીમાં અભિવ્યક્ત કરે છે. તેથી આપણે  બાલ્યાવસ્થાનાં  પાંચ વર્ષ સુધીની ઉંમરમાં એના દ્વારા  જેટલા પુછાય એટલા પ્રશ્નોના જવાબ આપીશું  તો ભવિષ્યમાં એ ક્યારેય ઉપદ્રવી નહીં થાય. કારણ કે એના વિસ્મયને આપણે સંતોષશેલ  છે. પાંચ વર્ષ સુધીના બાળકના ઉછેર દરમ્યાન  માતાપિતા, દાદા દાદી, નાનાનાની, કુટુંબના લોકો, પડોશીઓ, શેરીના લોકો જે ઈનપુટ આપતા  હોય એ અંદર જાય  છે. પાંચ વર્ષ પછી આઠ વર્ષ સુધીનું બાળક તેની સમજ વિકાસવાને લઈને આ ઈનપુટનું એનાલિસીસ કરે છે. પાંચ વર્ષની ઉમર સુધી સંતાન વિચારશે કે  પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી. હવે એ જ સંતાન આઠ વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા તો એણે એવું કેમ કીધું હશે ? દસ વર્ષે એ વિચારે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય ? તરુણાવસ્થામાં તો  એ  જજમેન્ટ  લઈ લેશે કે આ સારું કહેવાય અને આ સારું ન કહેવાય. 

 ‘હવે આ સમજતો નથી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી,’ એવું કોઈ તરુણના મા-બાપ કહે તો એનો અર્થ એવો કે તેઓ  ટ્રેઈન ચુકી ગયા છે . કારણકે એના  વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. બલકે નાનપણમાં પ્રશ્ન પૂછેલો કે, ‘આ શું છે ?’ એટલે આપણે કીધું ઝાડ,,,  પછી છોડ બતાવીને પૂછે છે અને આપણે જવાબ આપી દઈએ છીએ કે  ‘હા એ પણ ઝાડ જ છે.’  તો ત્યારથી આપણે ઝાડ અને છોડ વચ્ચેનો  ભેદ ક્લિયર ન કર્યો કે, ‘બેટા એ છોડ છે એ મોટું થશે ને,  ત્યારે એ આવું થશે.’  આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં આવી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી જશે. 

               આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઈનપુટ લઈને આવીએ છીએ.  મા ના પેટની અંદર જયારે સંતાન નવ  મહિના રહ્યું એ દરમિયાન એનું listening, એનું feeling , એનું ઉત્સર્જન, એનું પાચન ચાલુ હતું. ધીમે ધીમે બધું થતું ગયું. એ દરમિયાનના ઈનપુટ ગયા છે એ એનો પૂર્વ જન્મ બની ગયો..કન્સીવ કર્યું ત્યાંથી ગણી લ્યો તો નવ સાડા નવ મહિના તો પૂર્વજન્મ થયો જ . અને એ પૂર્વજન્મમાં  જેટલા ઈનપુટ ગયા એ ઈનપુટ તો ચોક્કસ અંદર બેઠા છે. એમાંથી જ તો જન્મતું બાળક ધીમે ધીમે ઘડાયું. એ જયારે બહાર આવે  ત્યારે એ પાસ્ટ  ડેટા લઈને આવે છે. નવ સાડા નવ મહિના તો આપણી નજર સમક્ષ ઊછર્યું છે અને એટલા માટે તો આપણે ત્યાં કહ્યું છે  કે પ્રેગ્નેન્ટ હોય  ત્યારે વધુ  કાળજી રાખો.  કારણ કે મા એકલી  નથી જીવતી,  મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. અને તમે એ ચેતનાને ફીડબેક આપો છો.  તમે ખાઓ છે તે જ  એ ખાય છે.  એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે એ તમારા દ્વારા બહાર આવે છે. તમે જે વિચારો છો તે  એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો.  એ સમય દરમિયાન દુઃખી ન થાઓ, એવું બધું થાય  તો અંદર ઈનપુટ્સ  પોઝિટિવ જશે.