ત્રણેક વર્ષના બાળકના મનમાં કેટલા પ્રશ્નો ઉઠતા હશે?

પ્રેગ્નન્ટ હોય ત્યારે મા એકલી નથી જીવતી, મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. 

      ભદ્રાયુ  વછરાજાની                                               bhadrayu2@gmail.com 

લગભગ નવ  મહિના સુધી ગર્ભાશયમાં  ઊંધે માથે લટક્યો હોય છે જીવ. એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ બધું આશ્ચર્ય છે.  પરિણામે હંમેશા ‘વિસ્મય’ શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલાં  ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી એવો ભાવ. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ છે એના વિશેનો ભાવ. જિજ્ઞાસા એટલે જેને કશાંક અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. પહેલીવાર  બહાર આવીને એણે બધું જોયું એટલે એને દરેક વિષે પ્રશ્ન છે. વળી સમજ  તો હજુ વિકસી નથી એટલે જુએ છે તે શું છે, શા માટે છે એવું તો એ  વિચારી શકતું નથી એટલે વિસ્મય છે. અત્યાર સુધી ન જોયેલું બધું તેને વિચિત્ર લાગે છે એટલે  સતત ઝીણી આંખે નજર માંડીને નિહાળ્યા કરે છે. તેથી બાળકને આજુબાજુના અને પોતાના શરીરના વિશેના પ્રશ્નો હોય છે. કારણકે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે. 

બાળક માટે તો સાંભળે કે જુએ કે ખાય છે એ પણ પ્રાપ્તિ છે. એટલે બાળક સરપ્રાઈઝડ છે !  જન્મ્યા ભેગા એને જે  વિચારો આવે છે,  એ બધા વિચારો એ વ્યવસ્થિત  સમજથી બોલતો થાય એ પહેલાં કાલીઘેલી બોલીમાં અભિવ્યક્ત કરે છે. તેથી આપણે  બાલ્યાવસ્થાનાં  પાંચ વર્ષ સુધીની ઉંમરમાં એના દ્વારા  જેટલા પુછાય એટલા પ્રશ્નોના જવાબ આપીશું  તો ભવિષ્યમાં એ ક્યારેય ઉપદ્રવી નહીં થાય. કારણ કે એના વિસ્મયને આપણે સંતોષશેલ  છે. પાંચ વર્ષ સુધીના બાળકના ઉછેર દરમ્યાન  માતાપિતા, દાદા દાદી, નાનાનાની, કુટુંબના લોકો, પડોશીઓ, શેરીના લોકો જે ઈનપુટ આપતા  હોય એ અંદર જાય  છે. પાંચ વર્ષ પછી આઠ વર્ષ સુધીનું બાળક તેની સમજ વિકાસવાને લઈને આ ઈનપુટનું એનાલિસીસ કરે છે. પાંચ વર્ષની ઉમર સુધી સંતાન વિચારશે કે  પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી. હવે એ જ સંતાન આઠ વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા તો એણે એવું કેમ કીધું હશે ? દસ વર્ષે એ વિચારે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય ? તરુણાવસ્થામાં તો  એ  જજમેન્ટ  લઈ લેશે કે આ સારું કહેવાય અને આ સારું ન કહેવાય. 

 ‘હવે આ સમજતો નથી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી,’ એવું કોઈ તરુણના મા-બાપ કહે તો એનો અર્થ એવો કે તેઓ  ટ્રેઈન ચુકી ગયા છે . કારણકે એના  વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. બલકે નાનપણમાં પ્રશ્ન પૂછેલો કે, ‘આ શું છે ?’ એટલે આપણે કીધું ઝાડ,,,  પછી છોડ બતાવીને પૂછે છે અને આપણે જવાબ આપી દઈએ છીએ કે  ‘હા એ પણ ઝાડ જ છે.’  તો ત્યારથી આપણે ઝાડ અને છોડ વચ્ચેનો  ભેદ ક્લિયર ન કર્યો કે, ‘બેટા એ છોડ છે એ મોટું થશે ને,  ત્યારે એ આવું થશે.’  આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં આવી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી જશે. 

               આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઈનપુટ લઈને આવીએ છીએ.  મા ના પેટની અંદર જયારે સંતાન નવ  મહિના રહ્યું એ દરમિયાન એનું listening, એનું feeling , એનું ઉત્સર્જન, એનું પાચન ચાલુ હતું. ધીમે ધીમે બધું થતું ગયું. એ દરમિયાનના ઈનપુટ ગયા છે એ એનો પૂર્વ જન્મ બની ગયો..કન્સીવ કર્યું ત્યાંથી ગણી લ્યો તો નવ સાડા નવ મહિના તો પૂર્વજન્મ થયો જ . અને એ પૂર્વજન્મમાં  જેટલા ઈનપુટ ગયા એ ઈનપુટ તો ચોક્કસ અંદર બેઠા છે. એમાંથી જ તો જન્મતું બાળક ધીમે ધીમે ઘડાયું. એ જયારે બહાર આવે  ત્યારે એ પાસ્ટ  ડેટા લઈને આવે છે. નવ સાડા નવ મહિના તો આપણી નજર સમક્ષ ઊછર્યું છે અને એટલા માટે તો આપણે ત્યાં કહ્યું છે  કે પ્રેગ્નેન્ટ હોય  ત્યારે વધુ  કાળજી રાખો.  કારણ કે મા એકલી  નથી જીવતી,  મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. અને તમે એ ચેતનાને ફીડબેક આપો છો.  તમે ખાઓ છે તે જ  એ ખાય છે.  એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે એ તમારા દ્વારા બહાર આવે છે. તમે જે વિચારો છો તે  એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો.  એ સમય દરમિયાન દુઃખી ન થાઓ, એવું બધું થાય  તો અંદર ઈનપુટ્સ  પોઝિટિવ જશે.

 

પત્રકારોમાં સજજનોત્તમ નગીનબાપા

::વિશેષ લેખ::

એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

ભદ્રાયુ વછરાજાની                                                      bhadrayu2@gmail.com

૧૦ માર્ચ, ૧૯૨૦ થી ૧૨ જુલાઈ, ૨૦૨૦. સો વર્ષ પૂર્ણ કરીને આપણી વચ્ચેથી બે વર્ષ પહેલા વિદાય લેનાર નગીનદાસ સંઘવી આપણને આજે પણ યાદ છે અને હજુ વર્ષો સુધી આપણી યાદદાસ્તમાંથી એ ખસી નહીં શકે. એમનું કારણ એમનું નોખું-અનોખું  વ્યક્તિત્વ છે. કોઈ રાજનેતા હોય, કોઈ મોટો યોદ્ધો હોય કે કોઈ બહુ મોટો આધ્યાત્મિક અગ્રણી હોય એમના જીવનની છાપ લોકો ઉપર પડે એ સમજી શકાય તેવી વાત છે. પણ એક સાદો સીધો પ્રાધ્યાપક, પ્રાચાર્ય, પત્રકાર એવી  વ્યક્તિ પોતાની અમીટ છાપ સમાજ ઉપર છોડી જાય એ એક ઐતિહાસિક ઘટના છે. નગીનદાસ સંઘવી જેનું નામ છે એને ચપટીક શબ્દોમાં સમાવવા બહુ મુશ્કેલ છે. તેઓની સ્ફટિક શુદ્ધ લેખિની આજે પણ હજુ વાંચીએ ત્ત્યારે સ્મરણપટનો કબ્જો જમાવી બેસે છે. એમણે જે લખ્યું, જયારે લખ્યું, જેટલું લખ્યું તે ઉત્તમતાના એક પછી એક શિખરસમું લખ્યું. 

નગીનદાસ સંઘવી ભાવનગરમાં જન્મ્યા અને સુરતમાં જંપ્યા. આપણને સૌને આશ્ચર્ય થશે કે ૧૯૬૫ થી ૨૦૨૨ સુધી એટલે કે બરાબર ૫૫ વર્ષ સુધી જેણે પોતાની કલમ દ્વારા બે લાખથી વધુ પૃષ્ઠો લખ્યા છે એવા ધુરંધર પત્રકાર અને કટાર લેખક છતાં સદંતર નિસ્પૃહી એવા નગીનદાસ સંઘવી હકીકતમાં એક અચંબાનો વિષય છે. ભણવાનું પૂરું કરીને મહિનાના ૩૦ રૂપિયાના પગારથી એક એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે પહેલી નોકરી કરી, પછી નાની મોટો નોકરીઓ તરફ વળ્યા અને છેલ્લે તેઓ શિક્ષણમાં આવીને સ્થાયી થયા. એ પોલિટિકલ પ્રોફેસર હતા. ઇતિહાસના બહુ મોટા વાચક અને સાધક હતા. ૧૯૫૧ થી ૧૯૮૦ સુધી મુંબઈની ત્રણ માતબર કોલેજોમાં તેઓએ પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ ભણાવ્યું. ભવન્સ કોલેજ અંધેરી, રૂપારેલ કોલેજ માહિમ અને મીઠીબાઇ કોલેજ વિલેપાર્લેમાં તેઓએ સળંગ ત્રીસ વર્ષ સુધી એક અધ્યાપક તરીકે અને એ દરમિયાન ઊંડું વાંચન કરનારા એક સાધક તરીકે પોતાનું જીવન વિતાવ્યું. એમણે લખવાની શરૂઆત સૌ પહેલા તેઓ અધ્યાપક હતા ત્યારે  કરી. તેઓએ સૌથી પહેલી કોલમ એટલે કે કટાર સુરતના  ‘ગુજરાતમિત્ર’માં ૧૯૬૫ માં લખી. 

કાંદિવલી ની તે સમયની ત્રીસ થી ચાલીસ હજારની વસ્તીમાં કે જ્યાં આજે તો ચાર લાખ લોકો રહે છે તે કાંદિવલીના જીવા દેવશીની ચાલીમાં રહેનારા નગીનદાસ સંઘવી કાંદિવલીમાં કમલા રોડ પર આવેલા ભોંયતળિયે બેસીને રસોડાની સામે પલાંઠીવાળીને વાળુ કરતા હોય એવું આપણા બીજા સમર્થ લેખક દિનકર જોશીએ જાતે અનુભવ્યું છે. તેઓ યાદગાર અને સ્પર્શી જાય એવો પ્રસંગ વર્ણવતા કહે છે કે,  નગીનબાપા પોતાની વિદાય પહેલાના થોડા મહિનાઓ પહેલા મહાભારત વિષે એક લેખ લખવામાં વ્યસ્ત હતા. એક લેખ લખવામાં કોઈ સંદર્ભ ખૂટ્યો. બાપાએ દિનકર જોશીને મુંબઈ ફોન કરી અને પૂછ્યું.  એમણે કહ્યું કે, ‘ હા, એ પુસ્તક મારી પાસે છે’.  પુસ્તક મોકલી આપો એમ નહીં પણ સુરતથી બાપા કાંદિવલી ગયા. કાંદિવલીની દિનકરભાઇ જોશીની ઓફિસ ઉપર મળ્યા. કમનસીબે એ પુસ્તક એમની ઓફિસ પર ન હતું. પરંતુ દિનકરભાઇની સાથે બાપા મુંબઈના ટ્રાફિકમાં ઢળતી સાંજે ઘરે ગયા. પુસ્તક શોધ્યું.  બાપાએ વાંચન શરૂ કર્યું એમાંથી જરૂરી નોંધો લખતા ગયા અને નોંધ પુરી કરી પુસ્તક પરત આપી અને બાપા પાછા ફર્યા. આજે લેખિનીનો સોશિયલ મીડિયા ઉપર બેફામ ઉપયોગ કરનારા કોઈ લેખકો ક્યાંથી સમજી શકે કે એક લેખ લખવા માટે એક વાક્યનો સંદર્ભ શોધવા આટલી ચીવટ અને સતર્કતા રાખવી પડે. આજે આટલી સતર્કતાવાળો માણસ ક્યાં મળે ?

આપણને જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસ સંઘવી નામનું વ્યક્તિત્વ જેનો સાવ એકવડો  બાંધો,  પાતળો  દેહ.  પહેરવેશમાં  સાદો સફેદ લેંઘો અને પાતળો ઝભ્ભો, પગમાં સાદા ચપ્પલ, લેંઘો પણ ધરતીથી એક વેંત ઉંચો, જાડા ચશ્માની પાછળ તેજસ્વી આંખોમાંથી દરેક વ્યક્તિને ધારી ધારીને જોનારા પણ બાપા ! નગીનબાપા સત્તા માટે ભાવ રાખે, પોલિટિકલ સાયન્સના અધ્યાપક હતા ને ! પણ સત્તા માટે અહોભાવ બિલકુલ ન રાખે. અને સત્તાધીશને પછી તે ગાંધી, નહેરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની વ્યક્તિને વિષે જે કઈ કહેવું હોય તે બેધડક તડ  ને ફડ  કરી શકે. સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના બધા જ વાળા પ્રધાન સાથે જીવી જનાર નગીનદાસ સંઘવી વિષે આપણા જાણીતા કવિ શ્રી અનિલ જોશી  કહે છે કે, ‘નગીનદાસ સંઘવી એ તો અમારી મીઠીબાઈ કોલેજનો કડવો લીમડો હતો. લીમડો ક્યારેય કોઈને આંબા આમલી બતાવીને ગેરરસ્તે દોરતો નથી.’ અખબારમાં વર્ષોથી ધારદાર કોલમો લખે પણ એમનો ‘હું’ ક્યાંય દેખાય નહીં. પોતે અતિ વિદ્વાન છે એ નક્કી. પણ એ વિધ્વતાનું પ્રદર્શન બાપા ન કરે. નગીનદાસ બાપા ઉત્તમ વક્તા ખરા,  પણ પ્રવચનોની ગ્લેમરથી એ સો ગાવ દૂર રહ્યા. નગીનબાપા ‘સમકાલીન’ અખબારમાં રામ અને રામાયણ વિષે એક લેખમાળા લખી રહ્યા હતા. એમના કોઈ તડ ફડને કારણે બહુ મોટો વિવાદ થયો. કેટલાય ભક્તો નગીનદાસ સંઘવી ઉપર તૂટી પડયા. પણ આ સમયે નગીનદાસ સંઘવી અસ્વસ્થ લેશમાત્ર ન થયા. પોતાના કુટુંબમાં પણ એવી વ્યથા આવી, એવી યાતના આવી કે વેદનામાંથી સાદો માણસ બહાર ન ઉઠી શકે. પણ પોતાના સાતમા દશકમાં પોતાની ઉપર વજ્રાઘાત થયો ત્યારે પણ બાપા તેમાંથી બહાર આવ્યા. 

કેવા કેવા લોકોને નગીનબાપા શબ્દ ઉપરાંત પણ મદદરૂપ થતા તેની વાત આપણા જાણીતા સેકયુલારિસ્ટ જે.એસ.બંદૂકવાળા કરે છે. ‘૧૯૮૯ માં મેં લોકસભા માટે વડોદરાથી મારા જીવનની પહેલી અને છેલ્લી ચૂંટણી લડી. મર્યાદિત બજેટ હતું અને ઘણી બધી આશાઓ અને વિચારો સાથે મેં ચૂંટણીમાં જંપલાવ્યું હતું. જાણીને આશ્ચર્ય થશે કે નગીનદાસભાઈ મારા આ ચૂંટણી અભિયાનના મહત્વપૂર્ણ સલાહકાર બન્યા હતા. પછી  અમારો નાતો વચ્ચે જરા પાતળો થયો હતો. પણ જયારે ૨૦૦૦ ની સાલમાં મારું  કૌટુંબિક જીવન પડી ભાંગ્યું ત્યારે નગીનદાસ સંઘવી મારી પડખે ઉભા રહ્યા. મારા પત્નીનું કેન્સરથી અવસાન થયું અને ગોધરા રમખાણો થયા, હું માંડ માંડ બચ્યો. મને લોકોએ શહેર છોડી જવા સલાહ આપી. હું મારી પુત્રી સાથે સ્થળાંતર કરીને મુંબઈ ગયો પણ આગળ શું કરવું તે જાણતો ન હતો. હા મારા માટે માર્ગ હતો અમેરિકા ચાલ્યા જવાનો. પણ અમેરિકાના વિઝાની તકલીફ હતી. ખાસ તો ૨૪ વર્ષની મારી દીકરી જે અપરણિત યુવતી હતી એને વિઝા મળે એમ ન હતા. મને યાદ આવ્યા નગીનદાસ સંઘવી.  મેં એમને  ફોન કર્યો અને તેઓ મારી વ્હારે આવ્યા. નગીનદાસભાઈએ અમેરિકન કોન્સ્યુલેટમાં ફોન કર્યો. મારા સારા નસીબે તેઓએ મને બરખા દત દ્વારા લેવાયેલ ટીવી ઇન્ટરવ્યૂમાં જોયો હતો. અમને વિઝા મળી ગયા અને અમેરિકા અમે ચાલ્યા ગયા. નગીનદાસ સંઘવી મારા કરતા ૨૫ વર્ષ મોટા હતા પણ અમારી દોસ્તી સાવ સહજ હતી.”

જે ઊંડાણથી વાંચે છે તે જ વ્યાપક સંદર્ભે વિચારો વ્યક્ત કરી શકે છે. વાંચ્યું પચાવી જાણે અને તે પચાવેલું સમાજના દિલોદિમાગમાં સોંસરવું ઉતારી જાણે તેવા માનવો આજે આંગળીના વેઢે ગણાય તેટલા છે. તેમાં નગીનદાસ બાપા મોખરે હતા.

નગીનદાસ સંઘવી આજના યુવાનો માટે ત્રણ આયામો ખુલ્લા મૂકે છે. ૧) અસીમ વાંચો ૨) અપાર વિચારો અને ૩) અપૂર્વ જીવો. નગીનબાપા ગુજરાતના યુવાનો માટે જોશપૂર્વક ભરચક્ક જીવનનો આદર્શ છે. અને સિનિયર સિટીઝન્સ માટે ઢળતી સંધ્યાએ પણ એ જ ઉત્સાહથી જીવંત રહેવાનો માર્ગ છે. જીવનના વળાંકે સંતોષ ધનથી ધનપતિ બનેલા નગીનદાસ સંઘવી શ્રી મોરારિબાપુની સન્નિધીને લઈને દેશ વિદેશમાં અનેક જગ્યાએ રામકથાના વાહક  બન્યા. સાચું પૂછો તો,  શ્રી મોરારિબાપુ જે રામકથા કહે છે તે નગીનબાપા જીવીને ગયા છે. અને  ભગવદ  ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે તેને સિદ્ધ કરીને  નગીનબાપા ગયા છે.

‘મારો આ દેહ મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે.’

ગણિકા પિંગળા, કુંવારી કન્યા, કરોળિયો અને ભમરી પણ ગુરુઓ છે.

ભદ્રાયુ વછરાજાની                      bhadrayu2@gmail.com 

પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી, એનું નામ પિંગળા હતું. પિંગળા પાસેથી પણ બોધ ગ્રહણ કર્યો એની વાત આપણે જાણીએ. તે વેશ્યા સ્વૈચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ  કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખુબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજીધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા ઉપર ઉભી રહી, શ્રેષ્ઠ પુરુષને શું હતું ? ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે, તે સંકેતથી જીવનારી પિંગળા પછી જયારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે એવું માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે અને મને ખુબ પૈસા આપશે પરંતુ જયારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે તે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે અને નક્કી મને ખુબ વધારે પૈસા આપશે. પિંગળાનાં ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી તે દરવાજા પર ઘણા લાંબા સમય  સુધી  નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી.  આ રીતે મધ્ય રાત્રી વીતી ગઈ ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે.  ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું.  હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું તેમાં તેને દુઃખબુદ્ધિ થઈ ગઈ.  આ વૈરાગ્ય જ એના સુખનું કારણ બની ગયું. જયારે પિંગળાનાં ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડયું અર્થાત તેના અંતરના જે ઉદગાર નીકળ્યા તે આ પ્રમાણે હતા : ‘વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવાવાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો, અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી.’ પિંગળાએ જે ગીત ગયું એનો સાર એવો હતો કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ છું.  મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર જુઓ કે પરાયા પુરુષને કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી છું . મારો પરમ પ્રિયતમ શાશ્વતરૂપે મારી પાસે જ છે,  તે પરમાનંદ સ્વરૂપ છે,  સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું તેથી હું મૂર્ખ છું.

કુંવારી કન્યાનું ઉદાહરણ લઈને તેને ગુરુ ગણવા પાછળનું કારણ રાજન કહી રહ્યા છે. એક વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા,તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્યસત્કાર કર્યો. ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં  ડાંગર ખાંડવા લાગી.  તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખુબ અવાજ આવ્યા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે ઘર ગરીબ છે અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે છે ? અને તેણે માત્ર બે બે કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા. કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે બે કંકણ પણ ખખડવા લાગ્યા ત્યારે તેણે એક એક કંકણ કાઢી નાખ્યું.  જયારે બંને હાથમાં માત્ર એક જ કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં. એ કન્યા પાસેથી એવો બોધ મળ્યો કે જયારે ઘણા લોકો એકસાથે રહે છે ત્યારે કલહ થાય છે અને જયારે બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે. તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા વિચરવું જોઈએ.

કરોળિયો આપણને શીખવે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ અંતમાં પોતાની કાળશક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. કરોળિયો આપણને એવું શીખવે છે કે ગમે તેટલા પ્રલોભનો આપણે લઈને નિર્માણ કરીએ પણ અંતે તો પરમાત્મા એક માત્ર સર્જક છે. જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે તેમાં જ વિહાર કરે છે અને છેવટે ગળી જાય છે તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્ત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. 

ભમરી પાસેથી બોધ ગ્રહણ કરવામાં આવ્યો કે ભમરી કોઈ કીડાને લઇ જઈને દીવાલ પર બંધ કરી દે છે. બહારથી વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ પોતાનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યાં વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.

અંતમાં ગુરુ શ્રી દત્તાત્રેયજી દ્વારા કહેવાયું કે આ પ્રમાણે મેં આટલા બધા ગુરુઓ પાસેથી બોધ લીધો છે.  હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને કહું છું. મારો આ દેહ પણ મારો ગુરુ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદ્દેશ આપે છે. એ તો જન્મે છે અને મરે છે પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે પરંતુ સૌથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં ભળી જશે તેથી તે આપણું નથી પ્રકૃતિનું જ છે,  તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરતો રહું છું. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે તે અત્યંત દુર્લભ છે ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. (સમાપન)