એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya  Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ… Pujya Morari Bapu Ram Katha

એ દંપત્તિ પરણ્યું નથી પણ...

મમ્મી પપ્પાએ પોતાનાં લગ્નની કંકોતરી પોતાના દીકરાની સાથે આવીને બાપુ ચરણમાં અર્પણ કરી !!

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને માણસ જાત કરતા ઓછા સમજુ માનીને આપણે એમને આદિવાસી કહીને દૂર હડસેલી મેલ્યા છે. એમના પ્રશ્નો સામે જોવાનું આપણે પસંદ કર્યું નથી.

ધરમપુર પાસેના ખાંડા ગામમાં ચાલી રહેલી શ્રી મોરારીબાપુની શ્રી રામકથા દરમિયાન બે-ત્રણ વિચિત્ર અને વિશિષ્ટ વાતો જાણવા મળી. એમાંની એક વાત આજે આપની સાથે કરવી છે.

એક એવું કુટુંબ બાપુને કંકોત્રી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો હતા!!!. આ ત્રણેય જણા સાથે પ્રિય મોરારીબાપુને પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. બાપુના ચરણમાં કંકોત્રી મૂકી અને તેઓ પગે લાગ્યા. સૌને આશ્ચર્ય હતું કે, આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે જરા અચંબિત થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા પૂજ્ય બાપુને મળવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, બાપુના આશીર્વાદ મેળવે અને તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.

એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમનું સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. બાપુને મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે બાપુએ કહ્યું કે આ તો બહુ મોટી દિલની મોટાઈ માંગે એવો મુદ્દો છે. આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.

હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા બાપુને આપવા આવ્યા હતા. બાપુનાં મનમાં ખુબ આનંદ હતો કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર કર્યો છે.

આ વાતની ચર્ચા થતી હતી એ દરમિયાન એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યા વગર પરણી ગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે, પરણવા આવ્યા.!!

આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે પરણે છે અવશ્ય.

આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે. અને પોતાના જીવનમાં આનંદ માણે છે.

આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પ્રિય બાપૂની રામકથા દરમિયાન આવા કેટલાય પ્રસંગો જોઈ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થયો પરંતુ આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિની વચ્ચે રહેનારા આ પ્રકૃતિના પોષકો પોતાની પ્રકૃતિને આધીન થઈને રહેવાનું શીખી ગયા છે.

આપણે પ્રાર્થના કરીએ કે, ‘ હે ઈશ્વર, સદા એમની સાથે રહે.’

જય સીયારામ…

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


આ લૌટ કે આજા મેરે મિત..

આ લૌટ કે આજા મેરે મિત..

Image 2

આ લૌટ કે આજા મેરે મિત..

નરસૈંયાના મારગે ચાલ્યા બાપુ….

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

આદિ કવિ નરસિંહ મહેતાને નાત બહાર મુકવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ હરીજનવાસમાં જઈને ભજનો ગાયા હતાં. એને આ આરોપ બદલ નાગરી નાતે નાત બહાર મૂક્યા હતા. પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ.

પણ આજે છસો વર્ષ પછી ફરી એકવાર કોઈ વિભૂતિતત્ત્વએ નરસૈંયાને ગમે તેવું વર્તન કરવાનું પસંદ કર્યું છે અને સમાજને ફરી એકવાર નરસિંહ જેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ એવા લોકોની વચ્ચે જઈને બેઠા છે કે જેમને સામાન્ય સમાજ સાથે ભળવામાં અસુખ લાગે છે અથવા એમ કહો કે સામાન્ય સમાજમાં તેઓ સ્વીકૃત નથી થયા.

વાત કરી રહ્યા છીએ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારની… અને ધરમપુરથી દુર લગભગ પંદરેક કિમી થી શરૂ થતો આખો આદિવાસીઓનો પટ્ટો. અહીં આઠ દસ નાનાં ઘરોથી એક ફળિયું બને છે. અને આવા પંદરેક ફળિયામાંથી એક નાનું ગામ બને છે. ગામમાં કોઈ પ્રશ્ન નથી પણ ગામમાં એવા લોકો ચોક્કસ છે કે, જે ઉજળિયાત ગણાતા નથી. અહીંના લોકોની ઉદારતા ગણો તો એ છે કે કોઈ તમને પગે લાગવા આવે અથવા તો રામ રામ કહેવા આવે ત્યારે વાંકા વળીને જમીનને સ્પર્શ કરે છે. કોઈના પગને સ્પર્શ કરતા નથી. તમારાથી દૂર રહીને જમીનને સ્પર્શે છે અને પછી માથે હાથ ચડાવીને રામ રામ બોલે છે. તમને મળે તો એ તાત્કાલિક કહેશે અમે તમને નહીં ટચ કરીએ – એમ કરીને પોતે જ પોતાની જાતને સંકોચી લે છે. આટલો ભાવ જેની અંદર ઊંડો ઉતર્યો છે, એનો અર્થ એ કે એમને આપણે કેટલા પાછળ રાખ્યા હશે એ આપણે સૌ સમાજના લોકોએ જરા વિચારવા જેવું છે.

છેલ્લા થોડા દિવસોથી ધરમપુરથી દૂર ખન્ડેવન અથવા તો ખાંડા ગામના એક સુંદર મજાના વિસ્તારમાં આપણા વૈશ્વિક કથાકાર અને ગુણીસંત શ્રી મોરારીબાપુ રામકથાનું ગાન કરી રહ્યા છે. આ કથાના પ્રારંભના દિવસે જ એમણે કહ્યું હતું કે, અમે તમારા સુધી પહોંચવામાં બહુ મોડા પડ્યા છીએ. અમે તમને મળવાનું ચૂકી ગયા છીએ, એનું પ્રાયશ્ચિત કરવા આજે હું તમારી વચ્ચે આવ્યો છું. મારે તમારી વાત સાંભળવી છે, તમારી સાથે સંવાદ કરવો છે. અમે ન આવી શક્યા એટલે તમે અન્ય તરફ વળી ગયા. અને પરિણામે તમે અમારા ધર્મને મૂકીને બીજા ધર્મને પાળવા માંડ્યા ,એમાંથી તમને સૌને હું આપણા ઘરે પાછા બોલાવવા આવ્યો છું. બાપુએ પોતાની નિજી શૈલીમાં ‘આ લૌટ કે આજા મેરે મીત તુજે મેરે ગીત બુલાતે હૈ’ – એ ફિલ્મી ગીત ગાઈને તેઓને ઈજન આપ્યું કે તમે ફરી એકવાર સનાતન ધર્મમાં પાછા આવો. તમારી ઘરવાપસી કરાવવા હું અહીંયા આવ્યો છું. તમે સૌ એવા પારેવાં છો કે તમને કોઈએ પ્રલોભનો આપ્યા, તમને કોઈએ ભૂખનો ખાડો પૂરીશું એમ કહ્યું, તમને કોઈએ પહેરવા ઓઢવા માટે વસ્ત્ર આપ્યું, હાથમાં બ્રેડ આપી અને તમારો ધર્મ છીનવી લઈ એમના ધર્મમાં ભેળવી દીધા. જે થયું તે અમારી ભૂલ હતી, અમે તમારાથી દૂર રહ્યા એમાં અમારો વાંક હતો. પણ હવે અમને સમજાયું છે અને અમે ફરી એકવાર તમારી વચ્ચે આવ્યા છીએ. આ પારેવા જેવા સૌ આપ લોકોને મારે તો એટલું કહેવાનું કે, તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

શ્રીરામ કથાનું ગાન અનેક પ્રકારના ભેદ ભાંગી રહ્યો છે, ભેદની દીવાલો ભેદવાનું કામ પૂજ્ય મોરારીબાપુ બહુ જ અસરકારક રીતે કરી રહ્યા છે, એ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે અહીંયા એક આદિમ જૂથ છે. જે આદિમ જૂથ પોતાની જાતને સામાન્ય લોકો સાથે ભેળવતું નથી. અને એ લોકો મનથી એવું માને છે કે અમે અછૂત છીએ, અસ્પૃશ્ય છીએ. પણ એમના મનમાં સંકોચ છે કે બાપુ અમને બોલાવે છે પણ અમારે બાપુ પાસે કેવી રીતે જવું. આ વાત જ્યારે બાપુના કાને પડી ત્યારે બાપુએ તાત્કાલિક પગલું ભરીને એમ કહ્યું કે, એ લોકોને કહો કે તમારા આંગણામાં આવીને હું તમને મળીશ. તમે કદાચ અહીંયા આવવામાં સંકોચ અનુભવો છો તો કોઈ ચિંતા ન કરશો. દિલ ન દુભાવશો. હું તમારી પાસે આવીને બેસવા તૈયાર છું અને ખરેખર બાપુ એ આદિમ જૂથની વચ્ચે જેની અંદર કુળચા વર્ગના લોકો છે, જે બહુ જ ગરીબ છે અને પોતાની જાતને આખા સમાજથી અલિપ્ત માનીને જીવી રહ્યા છે. કોઈની સાથે ભળવું એના સ્વભાવનો વિષય નથી રહ્યો. એની સાથે ભળવાનું કામ શ્રી મોરારીબાપુએ બહુ જ આદરપૂર્વક કર્યું છે. એ આદિમ જૂથના લોકો નીચે બેસીને બાપુની સાથે દૂર દૂરથી વાતો કરતા રહ્યા. એમના મનની અંદર એમ જ હતું કે અમે માત્ર બાપુના દર્શન કરીએ. બાપુ ત્યાં ગયા, એમની વચ્ચે જઈને બેઠા એમનો સારા શબ્દોમાં આવકાર કર્યો અને એમને કહ્યું કે, અમે તમને અમારા ગણીએ છીએ તો તમે આવીને અમારી સાથે ભળો. જો માણસ માણસ સાથે ભળવાનું ચૂકી જશે, તો ઈશ્વર આપણને મદદ ક્યાંથી કરશે? –

ફળીએ ફળીએ જઈને બાપુનું આ લોકોને મળવું અને ત્યાંથી ભિક્ષા મળે તેમાંથી વાળુ કરવું એ સૌ વિચારકોના, ચિંતકોના, શાસકોના, સમાજ સેવીઓના બંધ આંખોના દરવાજા ખોલી નાખ્યા છે. ક્યાં સુધી આપણે કોઈને અછૂત ગણ્યા કરીશું? ક્યાં સુધી આપણે કોઈને અસ્પૃશ્ય કહેશું? ક્યાં સુધી આપણે એનાથી દૂર રહ્યા કરીશું? ક્યાં સુધી આપણે એને જુદા ચોકામાં રાખીશું? એમની અંદર પરમ તત્વ વસ્યું છે એવું સિદ્ધ કરવાનું કામ આજે પ્રિય મોરારીબાપુએ કર્યું છે.

કદાચ અત્યારે આ વાતનું મૂલ્ય આપણને નહીં સમજાય પણ પેઢીઓ પછી એવું બનશે કે જેમ નરસિંહને આપણે યાદ કરીયે છીએ, એમ મોરારીબાપુને પણ લોકો યાદ કરશે અને યાદ કરીને કહેશે કે આ એક ઓલિયો ફકીર આવ્યો હતો કે જેણે સૌને સાથે જોડ્યા હતાં.

નિષેધ કોઈનો નહીં, સર્વનો સ્વીકાર આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પ્રિય બાપુ પરમ પ્રિય હો એવી પ્રાર્થના

જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


સમગ્ર કથા મંડપને લીંપણ !?! – Pujya Morari Bapu Ram Katha

સમગ્ર કથા મંડપને લીંપણ !?! – Pujya Morari Bapu Ram Katha

સમગ્ર કથા મંડપને લીંપણ !?!

ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.

ધરમપુર તાલુકાનું ખંડેવન એટલે કે ગામ ખાંડા. પ્રિય મોરારિ બાપુ અહીં કથા ગાન માટે પધાર્યા છે. કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે.

કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધું જ કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. અહીંયા ગામના લોકોમાંથી કોણે કોણે કર્યું તે ખબર નથી, પણ સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસે રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય.

છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. એક કણ પણ નીચે ન પડે તેની કાળજી રાખે છે.

આપણે અમસ્તા આ લોકોને આદિવાસી કહીએ છીએ, પણ આપણા કરતાં એ લોકો વધુ સ્વચ્છ, સુઘડ અને સાચા દિલના છે. પ્રિય બાપુએ પહેલે જ દિવસે ગામની સ્વચ્છતાની વાતે રાજીપો વ્યક્ત કર્યો.

જાણીને આશ્ચર્ય થાય તેવી એક વાત કરું. કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની અંદર ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત ડૉ. પ્રજ્ઞાબેન કલાર્થી, પરેશભાઈ ફાફડાવાળા અને અન્ય મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, આટલી બધી મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ?? પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો અને સૌના અચંબા વચ્ચે ગામ લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લિંપવાનું કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગાર થી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને તો છાણથી લીપવો જ પડે.’ આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..!!

બોલો, આ લોકોને આપણે આદિવાસી કહી ને અલગ ગણીએ છીએ,,,એટલે તો પ્રિય બાપુએ કથારંભે કહ્યું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback