‘આદિત્ય નારાયણ’ આપણા સૌના પરમપિતા છે!?

‘આદિત્ય નારાયણ’ આપણા સૌના પરમપિતા છે!?

બ્રહ્માંડની ઉર્જાનો અખૂટ અને અફાટ ભંડાર એટલે સૂર્ય આપણા પિતાઓનો પણ પિતા છે. – Father’s Day Special

ભદ્રાયુ વછરાજાની          bhadrayu2@gmail.com 

Share PDF file

અવશ્ય યાદ કરીએ આજે આપણા જન્મદાતા પિતાશ્રીને..જરૂર પ્રણામ કરીએ આપણને અસ્તિત્વમાં લાવનાર એ દેવ સમાન પિતાને.. પણ આપણે સીમિત નથી થવું હવે. Chat GPT ના જમાનામાં આપણે આર્ટીફીસીયલ નહીં, પરંતુ રિયલ ઈન્ટેલિજન્સને ઢંઢોળીને સ્મરણ પાઠવવા છે બ્રહ્માંડની ઉર્જાનો એક માત્ર સ્ત્રોત સૂર્યને. જેને આપણા શાસ્ત્રો ‘આદિત્ય નારાયણ દેવ’ કહે છે તે સૂર્ય તો આપણી શ્વાસે શ્વાસની ઉર્જાનો દ્યોતક છે. અને એટલે આજે પહેલા પ્રણામ કરવા છે કદી ન ખૂટનાર સૌર ઉર્જાના જનકને. પ્રણામ કરવા છે પહેલાં રોજ આપણે ઉઠીએ ત્યારે આપણી બારીમાંથી આપણને ‘સુપ્રભાતમ’ કહેનાર આપણા પિતાઓના પણ પિતાશ્રી એવા સૂર્યદેવને.

ક્યારેય કલ્પ્યું છે કે સૂર્ય નારાયણ એક સપ્તાહની રજા ઉપર જાય તો આપણી હાલત શી થાય ? સ્વપ્નેય વિચાર્યું છે કે એ પ્રકૃતિ ઉર્જાનો કુબેર ભંડાર તળિયાઝાટક થઇ જાય તો આપણા જીવનનું શું થાય ?? આપણને જગાડવા સમયથી પહેલાં હાજર થઇ જનાર એ પિતાને ખ્યાલ છે કે આ મારું સંતાન થાકીને લોથપોથ થયું છે પણ હું જ્યાં સુધી પ્રકાશતો રહીશ ત્યાં સુધી તે આરામ નહીં કરે, એટલે તો એ સૂર્યદેવ પૃથ્વીની બીજી બાજુના જીવોને જગાડવાનું બહાનું કાઢીને આપણાથી દૂર ભાગી જાય છે અને આપણે અંધારું થયું એમ કહીને પથારીમાં પોઢી જઈએ છીએ. ઉગતા પહોરે હાજર  થનાર સૂર્ય દિવસ ચઢવા સાથે આપણાં માથા ઉપર આવીને ઉભા  રહે છે અને આપણે લંચ લઇ થોડીવાર વામકુક્ષી કરીએ તેની કાળજી લે છે અને પછી દિવસ વીતતા ધીમે ધીમે તે ઢળતા  જાય છે ને એક નાનાં બાળકની જેમ આપણાથી છુપાઈને આખી રાત ક્યાંક ચાલ્યા  જાય છે. !!! આપણું જીવન જેની હાજરી વગર શૂન્ય બની રહે તે સૂર્ય હકીકતમાં આપણને આપણા પાલક પિતાની જ યાદ અપાવ્યા કરે છે. પપ્પાની હાજરી જ કાફી છે. પપ્પાનો સ્પર્શ જ જાણે  ઉર્જાનો વાહક છે. પપ્પાની એક નજર જ આપણો  દિવસભરનો ઉત્સાહ બની રહે છે.

આપણા પરમપિતાની થોડી શાસ્ત્રીય ઓળખ મેળવી લઈએ. શાસ્ત્રો કહે છે કે,  આપણો  દેહ પંચ મહાભુતનો બનેલો છે. અગ્નિ-વાયુ-પૃથ્વી-આકાશ અને પાણી. અહીં અગ્નિ એટલે તેજ પથ.  અગ્નિ શબ્દ  મૂળ ધાતુ અજ ઉપરથી  આવ્યો છે અને અજ એ ગતિસૂચક છે. તેજ એટલે કે અગ્નિ એ ગતિસૂચક છે. ‘અગિ ગતૌ’  જે ઉપર તરફ જાય છે તે અગ્નિ છે. અગ્નિ  એક હિન્દુ  દેવતા છે. તે અગ્નિ અથવા આગના ભગવાન છે. ઋગ્વેદમાં ઇન્દ્ર  તથા વરુણ ની  સાથે અગ્નિને પણ મહાન દેવ ગણવામાં આવ્યા છે. તેઓ અગ્નિ લોકમાં સગુણ રૂપે રહે છે. અગ્નિ તત્વ વગર અન્ય ચારેય આપણાં મહાભૂત તત્ત્વો અધૂરા છે. કારણ પ્રત્યેકમાં તેની હાજરી તો છે જ. આમ કેમ ?? એવો પ્રશ્ન થયો  ને? અગ્નિનો જનક સૂર્ય છે અને તે આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક તારો  છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ  સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્ય લગભગ ૫ અબજ વર્ષ પહેલા રચાયો હોવાનુ મનાય છે. સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રથી ૨૫,૦૦૦-૨૮,૦૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલ છે. સૂર્યની કક્ષામાં ભ્રમણ ગતિ ૨૧૭ કી.મી/સેકન્ડ છે. ઘણી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન સંસ્કૃતિઓમાં, સૂર્યને દેવતા અથવા અન્ય અલૌકિક ઘટના માનવામાં આવતી હતી. પશ્ચિમી દુનિયાના સૌપ્રથમ લોકોમાં સૂર્ય માટે વૈજ્ઞાનિક સમજણ આપવાનું એક ગ્રીક ફિલસૂફ ઍનાક્સગોરસ હતું, જેમણે દલીલ કરી હતી કે તે પથ્થર અથવા ધાતુનો વિશાળ સળગતો ગોળો છે.

વિજ્ઞાને  એવું પણ સિદ્ધ કર્યું છે કે કોઈપણ પ્રકારની ઉર્જાનો જન્મ જ સૂર્યની સૌર ઉર્જા માંથી થાય છે અને પછી તે જળઊર્જા, ગતિઊર્જા, વાયુઉર્જા, ,,વગેરેમાં પરાવર્તિત થાય છે. સૂર્ય ન હોય તો આ એકપણ ઉર્જાનું હોવું જ શક્ય જ નથી. જરા વિચારો તો,, આપણાં જીવનની ઉર્જા કોણ છે ?? આપણા પિતા છે. આપણા જીવનની ગતિ કોણ છે ?? આપણા પિતા છે. જીવનમાં આપણા રોલમોડેલ કોણ છે ?? આપણા પપ્પાજી જ છે. અસલ એવું જ સૂર્યનું છે. વિટામિન ડી નો એકધારો પ્રવાહ સૂર્યના કિરણોમાંથી વહ્યા કરે છે અને તે કિરણો આપણને સતત સુરક્ષિત રાખે છે. સૂર્યનું આ વિટામિન ડી આપણને   duty, devotion, decision, determination અને dedication થી સભર કરે છે. એ ન હોય તો મારું  અને તમારું જીવન શૂન્ય જ હોય ને  ??