આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યક્તિનાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી, અત્યારે પણ નથી.

ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com

અનફોર્ચ્યુનેટલી આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યક્તિનાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી, અત્યારે પણ નથી. આપણે ‘બેટી બઢાઓ બેટી બચાઓ’ એમ બોલીએ છીએ પણ બેટીનું નિર્માણ કેમ થાય, એના માટે કોણ જવાબદાર, પતિ કે પત્ની, આ માટે XX અને XYની સમજ આપણે સ્પષ્ટ નથી કરી. મારા પરણ્યા પછી દસ બાર વર્ષે મારી પત્નીને દીકરો હું ન આપી શકું અને મારી મા જો વહુને દોષિત ઠેરવવાની હોય તો મારે કહેવું પડે કે દીકરો ન આવવા માટે મારા ક્રોમોઝોન્સ જવાબદાર છે. Don’t tell anything to my wife. આ સમજ વિકસાવવી એ સાંવેગિક ઘડતર છે.

ઘણા લોકોને એ ખબર નથી પડતી કે ક્યારે મા બાપ થઇ ગયા, તો ઘણા લોકોનો પરણવાનો એજન્ડા જ મા બાપ થવાનો હોય છે. અત્યારે એક ટ્રેન્ડ છે કે, દીકરાઓને એના ભાઈબંધોએ અને વડીલોએ કહ્યું હોય છે કે પરણ્યા પછીના છ મહિના કે એક વર્ષની અંદર તારી પત્નીને તારું સંતાન હોવું જોઈએ. આ બહુ ફેલાઈ રહેલી વાત છે. કેમ એમ ? તો કહે કે છ મહિના આઠ મહિનામાં એ ગર્ભવતી થઇ જાય એટલે એ બંધાઈ જાય અને આપણે મુક્ત થઇ જઈએ. સિતાંશુ યશ્ચન્દ્ર કહે છે કે, આપણે શું કરીએ છીએ : “ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.” જિંદગી એટલે શું ? બસ, આ છ પગથિયાં તે જિંદગી… કેટલીયે વહુઓ આજે ઘરમાં એકલી બેઠી છે ને સંતાનને એકલી ઉછેરે છે અને ભાઈ લોગ આનંદ કરે છે !!

પરિવારનું સુખ એકલી પત્નીથી નથી હોતું. પરિવારમાં સુખી થવા માટે તો ભેગા થવાનું છે, બાકી એકલા ફક્કડ ગિરધારી સારા જ છીએ, આંટા મારો ને જલસા કરો. આપણે આપણો એક સરસ મજાનો માળો બનાવવો છે અને માળામાં પંખીઓને વસવા દેવા છે અને સાંજ પડે એ પંખીઓ માળામાં આવે ત્યાં ચહલપહલ થતી હોય એનો આનંદ લેવો છે માટે આપણે પરિવાર બનવા નીકળ્યા છીએ. લગ્ન એ પરિવાર બનાવવા માટેની એક પળ છે. નાના ગામની એક દીકરી છે. MBA ફાયનાન્સમાં સૌરાષ્ટ્રમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. બાજુના એક ગામના સુંદર મજાના યુવક સાથે લગ્ન થયા. મુંબઈમાં ૩ BHK નો ફ્લેટ છે. સારામાં સારું ઉંચી જ્ઞાતિનું આ ફેમિલી. બધાની સંમતિથી એના લગ્ન થયા. લગ્નના દોઢ વર્ષે એ બહેન પાછા આવ્યા. ત્રણ મહિના પછી સમજૂતી થઈને પછી પાછા ફર્યાં. પાછા આવ્યા એ દરમિયાન બંને વચ્ચે સમજુતીથી એક સરસ મજાની બાળકી જન્મી છે. બાળકી દોઢ વર્ષની થઇ પછી બહેન ફરી વાર પાછા આવ્યા !!. ત્રીજી વાર બાળકી માટે થઈને એ પાછા ફર્યાં. અત્યારના એ એના બાપને ઘરે છે. બાળકી સાત વર્ષની છે. બંનેમાંથી કોઈને ખબર જ નથી કે અમારે શું પ્રશ્ન છે. છતાં બંને ભેગા નથી. બંનેને ચિંતા પેલી દીકરીની છે. આ દીકરી માટે થઈને ભેગા થવું છે, પણ એકબીજા માટે ભેગા નથી થવું. This is the reality of society. આવું એટલા માટે બને કે, નાનકડી સમજ નથી ડેવલપ થઇ બંનેની વચ્ચે. એ ક્યારે ડેવલપ થાય ? જો તમે કોર્ટિન્ગ પિરિયડમાં ઘણી બધી સ્પષ્ટતાઓ કરી હોય તો….કોર્ટિન્ગ પિરિયડ એટલે તમે પરણવા જાઓ એ પહેલાનો ગાળો.

અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં કોર્ટિન્ગ પિરિયડ દરમિયાન એકબીજા પાત્રો એકબીજાને વધુમાં વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, રિયાલિટીનો કોઈ પ્રયાસ નથી કરતા. અને આ પ્રભાવિત કરવાના પ્રયાસમાં એટલા બધા પ્રભાવિત થઇ જાય છે કે લગ્ન પછી ખબર પડે છે કે આગળ હતું એ બધું બનાવટીયું હતું. રોજ નવું જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરીને આવતો હતો એ તો ભાઈબંધનું હતું, પોતાનું હતું જ નહીં.. દર ત્રણ દિવસે બાઈક બદલતો હતો એ તો કોઈકના લઇ આવતો, એના તો હતા જ નહીં. ફોરેન કન્ટ્રીઝમાં લગ્નજીવન સારા નથી, પણ સ્વસ્થ છે. (1) એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવીશું. (2) એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવીશું પણ બાળક નહીં હોય. (3) એ લોકો નક્કી કરી શકે કે બાળક હશે પણ આપણે લગ્ન નહીં કરીએ… આ ત્રણેય પગલાં બહુ મોટી સમજ માંગે છે. આપણે તો મૈત્રી કરારની છૂટ આપ્યા પછી પણ એમાં નિષ્ફ્ળ ગયેલા લોકો છીએ.