બહિષ્કાર કરવા કરતાં એ વિચારવું જરૂરી છે કે ચીન કેમ બધું જ બનાવી શકે છે અને આપણે કેમ નહીં ?

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com

શું  આપણે  આજે બિનજરૂરી વાદ વિવાદ અને વાણીવિલાસ ના  રોગી બની ગયા છીએ ? શું  દેશમાં રાજકીય – સામાજિક – રાષ્ટ્રીય કે વૈચારિક ક્ષેત્રો આક્ષેપો – પ્રતિ આક્ષેપોથી ખદબદવા લાગ્યા છે ? અફડાતફડીનો  માહોલ ચોતરફ ફેલાય ગયો છે એવું  કેમ ??  કેટકેટલી દ્વિધાઓ સર્જાયેલ છે ? દેશ જાણે હરહંમેશ ચૂંટણી ચૂંટણી જ રમ્યા કરવાનો હોય તેવું જ કેમ ભાસ્યા કરે છે ? સરકાર બને તે પહેલાં વિવાદો અને સરકાર હેમખેમ બની ગયા પછી પણ પ્રશ્નાર્થો ? ચૂંટણી થાય ત્યારે આક્ષેપો અને ચૂંટાય ગયા પછી પણ ચૂંટાયા હોય તેવા પ્રતિનિધિ સામે પણ કોર્ટ કેસો ? નાના માણસને બેન્કો દ્વારા  નાના લાભો પણ મોટા માથાઓને  નાણું લઈને ભાગી છૂટવા સુધીના લાભો ? કેટલી બાબતો ગણાવવી ? યાદી કેટલી લાંબી કરવી ? આપણને એક ભારતીય તરીકે પાયાનો પ્રશ્ન  થાય કે આપણાં દેશનાં મુખ્ય પ્રશ્નો ક્યાં છે ? આપણી આજની પેઢી કોને અનુસરે ?? આજનો યુવાન કોનું કહ્યું માને : મોદીજીનું, ભાગવતજીનું, શ્સદગુરુનું,  બાબા રામદેવનું, કેજરીવાલનું, સ્મૃતિનું, ઓવૈસીનું  કે ખુદનું  ? 

દેશનાં નક્કર વિકાસ માટેની વાતો કોણ કરે છે ? દેશની આવતીકાલની ચિંતા ખરેખર કોણ કરે છે  ? શું આપણે દેશને વિવાદોમાં વ્યસ્ત રાખી મૂળ વ્યથા કે પ્રશ્નો ભૂલાવી દેવાનો માર્ગ પકડયો છે ? યાદ છે ને વર્ષો સુધી શાસન કરનાર પક્ષ પણ આ જ માર્ગે ચાલીને મૃતઃપ્રાય થઇ ગયો છે ? આપણે દેશને એ વગોવાયેલા  માર્ગે ચલાવીને  સમસ્યામુક્ત કરી શકીશું ખરા ? બકરી કાઢતાં ઊંટ પેસી જાય તેવું બનશે તો ? દેશની પ્રજા તો ઠેરની ઠેર ને ? રાષ્ટ્રને જરૂર શાની  છે : Speechless workની  કે  Workless Speech ની ??

નોબેલ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્યસેન આપણાં રાષ્ટ્ર સામેના મુખ્ય પ્રશ્નો ગણાવે છે : 

૧) શિક્ષણ માટેની ગુણવત્તાયુક્ત જાહેર સેવા 

૨) સ્વાસ્થ્ય અને આરોગ્ય માટેની નક્કર સગવડતાઓ 

અને 

૩) સર્વાંગી સામાજિક સુરક્ષા.. 

હા, અમર્ત્યસેન આ  ત્રણ બાબતોને જ ભારતના  વિકાસના આધારો ગણાવે છે. આ અમર્ત્યસેનને કોઈ એક પક્ષીય સરકારના ટેકેદાર ગણી હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ હવે કરવા જેવી નથી.  વિચારકો અને ચિંતકોની વિચારક પ્રક્રિયામાં  વ્યક્તિ નહીં; પણ રાષ્ટ્ર મોખરે હોય છે. એજ્યુકેશન, હેલ્થકેર  અને સોશિયલ સિક્યુરિટીની બાબતોમાં આપણે ક્યાં છીએ ? શું આપણે આપણી speech માં આ ત્રણ વાતો પર ગૌરવથી કંઈ બોલી શકીએ તેમ છીએ ? જો ના, તો speech ઓછી કરી, કામ વધુ કરીએ. બોલાયેલા words કરતાં થયેલું work વધુ  જવાબદેય બનશે જ.

રાષ્ટ્ર નિર્માણ કે રાષ્ટ્ર વિકાસ માટે બે બાબતોને ધ્યાનમાં લેવી જ રહે : General Labour Force અને Special Labour Force.  પણ અત્યારે તો ભારતનું મહત્તમ ધ્યાન તો સ્પેશિયલ લેબર ફોર્સ પર જ કેન્દ્રિત થયેલું છે. ઉદાહરણ તરીકે : IT , ફાર્મ અને ઓટો પાર્ટ્સનાં ક્ષેત્રો લઈએ.. અભણ કામદારો દ્વારા નવી કોમોડિટીનું સર્જન બહુ કઠિન બની ગયું છે. આવું ચીનમાં નથી. તમે ચીનની વસ્તુઓ કેમ છોડી શકશો ? આપણી ચોતરફ ચાઈના જ છે. મારી પેન, મારો ફોન, મારી ઘડિયાળ, મારાં પિતાજી જે ફ્રેમમાં તસ્વીર બની બેઠા છે તે ફોટોફ્રેમ કે મારાં આંગણે લટકતું શુકનનું તોરણ !! બધું જ બધું ચાઈના મેઇડ છે, તેનો બહિષ્કાર કરવા કરતાં એ વિચારવું જરૂરી છે કે ચીન કેમ બધું જ બનાવી શકે છે અને આપણે કેમ નહીં ? જય બોલાવવાની જોહુકમી છોડી દઈએ અને આ અંગે વિચારીએ તો જવાબ સ્પષ્ટ મળે છે : જો સરેરાશ ભારતીય વાંચી શકે + લખી શકે + ગણી શકે + સારી તબિયત અને પુરા જોશથી કામ કરી શકે તો તેને સ્પેશ્યલાઈઝડબનવું જરૂરી નથી. અને તેના માટે જરૂરિયાત છે અમર્ત્ય સેને સૂચવેલ ત્રણ બાબતોની ::  પબ્લિક સર્વસિઝ ઓફ હેલ્થકેર + એજ્યુકેશન + સોશિયલ સિક્યુરિટી. 

સશક્ત અર્થતંત્રએ સામે ત્રણ પ્રશ્નો છે: 

૧) નાગરિકો શિક્ષિત છે કે નિરક્ષર ? 

૨) નાગરિકો હેલ્ધી છે કે રોગિષ્ઠ ? 

૩) શું નાગરિકો ચિંતામુક્ત છે કે માંદા પડીશું તો કોઈ સાચવી લેશે ? વૃદ્ધ થઈશું    તો કોઈ હાથ ઝાલશે ? 

કહો જોઈએ કે આ જ મુખ્ય પ્રશ્નો છે કે નહીં, મારા – તમારા – આપણા ?