ગોપનીયતાના શપથ લીધા પછી કોઈ રાજકીય આગેવાન રાષ્ટ્રીય નિર્ણયો પરના દસ્તાવેજો અને અંદરની વાતો જાહેર કરી શકે

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

ઈતિહાસના સત્ય, તથ્ય અને મહત્વ વિશે વાદ વિવાદ થતા રહે છે જો કે હકીકત એ છે કે વીતેલા કાળની ઘટનાઓ ભવિષ્ય માટે માર્ગદર્શક પણ બને. ઈતિહાસ કદી ભુલાતો નથી. ભૂલવો કે ભુલાવો જોઈએ પણ નહીં. ઈતિહાસ ભૂલી જાય છે તેઓ ઈતિહાસ ઘડી શકતા નથી.

વર્તમાનમાં રાજકીય નેતાઓ અને પત્રકારોએ સાંપ્રત રાજકીય ઘટનાઓનું વિશ્લેષણ એમના સ્વાનુભવોના આધારે કર્યું છે. ભારતીય વિદેશ સેવા અને સનદી સેવાના નિવૃત અધિકારીઓએ પણ પડદા પાછળ બનેલી ઘટનાઓ ઉપર પ્રકાશ પાડયો છે. મુખ્યત્વે મહત્વના વહીવટી સરકારી નિર્ણય શા માટે અને કેવી રીતે લેવાયા તેની માહિતી મળે છે.

તાજેતરમાં ૮૧ વર્ષની ઉંમરે પહોંચેલા એક વરિષ્ઠ પત્રકાર જેઓએ છ દાયકા પત્રકારત્વમાં ગાળ્યા છે તેમની  વ્યવસાયકથામાંથી પસાર થવાનું બન્યું,  ત્યારે બે પ્રશ્નો મનમાં ઉઠયા. 

  1. ગોપનીયતાના શપથ લીધા પછી કોઈ રાજકીય આગેવાન રાષ્ટ્રીય નિર્ણયો પરના દસ્તાવેજો અને અંદરની વાતો જાહેર કરી શકે ? 
  2.   શું ઈતિહાસનું પુનરાવર્તન થાય છે ? 

નહેરુ અને ઈન્દીરા ગાંધીના પત્રવ્યવ્હારના ઢગલાબંધ દસ્તાવેજો છે. જે સંશોધકો અને ઈતિહાસ લેખકો માટે મોટી ખાણ સમાન છે. અન્ય વડાપ્રધાનોના પત્રવ્યવહાર સરળ રીતે પ્રાપ્ય નથી. નહેરુ સ્મારક સંગ્રહાલયમાં અન્ય વડાપ્રધાનોના આવા દસ્તાવેજ આવકારવામાં આવ્યા છે. ડો મનમોહનસિંહની નાની પુત્રી અને લેખક દામનસિંઘ પાસે એમના તમામ દસ્તાવેજોનો સંગ્રહ હતો. જે એમણે અશોક યુનિવર્સીટીને ડોનેટ કર્યો છે. ડિજિટલ ફોર્મમાં દસ્તાવેજો છે, તેનું કેટલોગ બનાવાયું છે અને યુનિવર્સીટીના જણાવ્યા પ્રમાણે ડો. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી તરીકે રજૂ કરેલા રિસર્ચ પેપર,  ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર અને આયોજનપંચના ઉપાધ્યક્ષ હતા ત્યારે અને પછી નાણાપ્રધાન તથા વડાપ્રધાન હતા તે દરમિયાન લેવાયેલા નિર્ણયો બાબતના પ્રાઇવેટ પેપર્સ તેમાં છે. બેંકોનું રાષ્ટ્રીયકરણ અને પછી ફરીથી ખાનગીકરણની શરૂઆત, આર્થિક સુધારા અને પછી વડાપ્રધાન હતા ત્યારે સરકારી વટહુકમ અંગેના પેપર્સ આ બધું જ તેની અંદર સમાવેશ થયેલું છે. છેલ્લા સાત આઠ દશક દરમિયાન અર્થતંત્રમાં આવેલા પરિવર્તન અને તેમાં ડો સિંઘના યોગદાન વિશે ઘટનાઓનું સંશોધન આસાનીથી થઇ શકે તે માટે અશોક યુનિવર્સીટીએ અલગ વેબસાઈટ અને સર્વરનો પ્રબંધ પણ કર્યો છે. એમ માનીએ કે આ ખૂબ સારું કામ થયું છે પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે,  હકીકતમાં સંવિધાનના આધારે ગોપનીયતાના  શપથ લીધા બાદ તમે આવી રીતે કાગળો અથવા પત્રવ્યવ્હારો બહાર આપી શકો ખરા ? પી.વી નરસિંહરાવે ‘ઈનસાઈડર’ નામની કારકિર્દીકથા લખી છે. બાબરીની વિવાદાસ્પદ ઈમારત અંગે તેઓ હંમેશા કહેતા કે, ‘મારા અવસાન પછી જ લોકો સત્ય જાણી શકશે.

આર. વેંક્ટરામને my presidential years માં અનુભવો લખ્યા છે. જેમાં ભારતીય સંવિધાન અંગે માર્ગદર્શન છે. ડો. શંકરદયાળ  શર્માએ તો કોંગ્રેસના ભવ્ય ભંગાણના ઈતિહાસમાં સક્રિય ભાગ લીધો હતો. પણ પુસ્તક પ્રકાશકો એમને મળવા જાય ત્યારે પુસ્તકને બદલે મીઠાઈ ખવડાવીને વિદાય  કરી દેતા હતા. 

જો કે શ્રી કે.આર. નારાયણે પુસ્તક પ્રકાશનનો ઈન્કાર કર્યો હતો. તો આપણા વિજ્ઞાની રાષ્ટ્રપતિ ડો કલામ કહેતા કે,  “ સંરક્ષણ વૈજ્ઞાનિક હોવાથી ગુપ્ત માહિતી જાહેર નહીં કરવાની મેં તાલીમ લીધી છે.અરુણ નહેરુએ પણ રાજીવને બાબરી અંગે અંધારામાં રાખ્યાનું કહેવાય છે. ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ દળદાર આત્મકથામાં અયોધ્યાનો વિગતવાર ઇતિહાસ અને  જનસંઘ અને આર.એસ.એસ.થી ભાજપા સુધીની યાત્રા પણ વર્ણવી છે. 

રાજકીય નેતાઓ ઘણી મહત્વની ઘટનાઓ જાહેરમાં આવે નહીં તેની કાળજી પણ રાખતા હોય છે. દરિયા જેવું પેટ એહમદભાઈ પટેલનું હતું. ગાંધી પરિવારના તેઓ ચાણક્ય હતા. કોંગ્રેસ માટે તે ટ્રબલશૂટર અને સંકટમોચન હતા, પણ તેઓ હંમેશા કહેતા કે,  ‘મારી રાજકીય કારકિર્દીની ગુપ્ત માહિતી મારી સાથે કબરમાં આવશે.આધારભૂત માહિતી કોને આપવી જોઈએ તેની સ્પષ્ટતા જોવા મળતી નથી. આ ગ્રંથ વાંચતાં એવું પણ લાગે છે કે, ઈતિહાસનું પુનરાવર્તન થતું જ હોય છે.  કારણ કે આ વરિષ્ઠ પત્રકારે પોતાની વ્યવસાયકથા લખી છે એમાં જે રોમાંચક ઘટનાઓમાંથી તેઓ પસાર થયા છે તેવી જ ઘટનાઓ આજે અને અત્યારે પણ બની રહી જ છે. આજે પણ ફરી એકવાર એવી જ રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે કે તેમાં સમગ્ર પ્રધાનમંડળ અંધારામાં હોય અથવા તો કેટલીક વખત માત્ર સનદી અધિકારીઓ દ્વારા જ નિર્ણયો લેવાઈ જતા હોય !  દેશમાં આ બાબતે કોઈ આચાસંહિતા પ્રવર્તે છે ? એ વિચારવાનો મુદ્દો છે