ગુજરાતમાં પેપર ફૂટવાનું  વ્યવસ્થિત working model અમલમાં મૂક્યું હોય એવું નથી લાગતું ??

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ઓશો નપુંસકતાની વિચિત્ર વ્યાખ્યા  બાંધે છે.

“તમને જે બાબત પ્રત્યે નફરત હોય તે તમને કોઠે પડવા મંડે અને તમે તેને સરળતાથી સ્વીકારતા થઇ જાઓ તો સમજજો કે તમે નપુસંકતા તરફ સરકી રહ્યા છો.”

‘પોર્ટ પરથી ડ્રગ પકડાયું’ એવું વાંચીએ છીએ ત્યારે હવે તેની વિગતો વાંચવાની જરૂર નથી. 

‘ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયા’ એવું કોઈ કહે તો આપણને હવે ગ્લાનિ નથી થતી.

‘ભરચક્ક રસ્તા પર એક આખલાએ વૃદ્ધને ઉછાળ્યા અને તેનો ભોગ લીધો.’ બોલો, આવું વાંચતા પહેલાં જેટલી અરેરાટી થતી તેટલી હવે થાય છે ખરી ??

‘દુબઈથી આવી રહેલા પેસેન્જર પાસેથી સોનુ પકડાયું.’ આ સમાચાર તો અઠવાડિયે એકવાર આવે જ આવે છે. 

અરે, ત્યાં સુધી કે,

‘Most VVVIP ની સલામતીમાં ફરી ચૂક સામે આવી !’ આવું હવે લગભગ રોજનું થયું છે.

અરે, કોરોના પણ હવે આપણા માટે સમાચારનો વિષય નથી રહ્યો. 

બસ, એમ જ, અદ્દલ એમ જ,,પરીક્ષાના પેપર ફૂટી જવા તે હવે આપણને કોઠે પડતું જાય છે. હા, આમાં જો કે, સરકારને-તેના મુખ્યમંત્રીને અને તેના શિક્ષણમંત્રીને તો બરાબર કોઠે પડી  ગયું છે. પ્રધાનમંડળનો એક પણ મંત્રી કે પ્રભારી કે અધિકારી સામે આવીને વિવેક ખાતર પણ દિલગીરી વ્યક્ત કરે છે.? સિદ્ધિઓ ગણાવવા આખા પાનની જાહેરાત છાપનાર સરકાર ક્ષમા યાચના કરતી જાહેરાત બીજે જ દિવસે છપાવે તો પણ કોઈકને તો એવું લાગે કે સરકર છે આપણી !!  હા, છાપેલું સ્ટેટમેન્ટ છપાય જાય છે કે, “કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સખત તાપસ થશે અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે.” હવે ચમરબંધી ઉઠીને આવી ખાતરી આપતા હોય તો બીજા વળી ક્યા ચમરબંધીને પકડવાના હશે !!?? 

પેપર ફૂટી ગયું એમ કહેવું તો બિચારા કાગળનું અપમાન છે. પેપર તો અકબંધ છે, પણ તેની સાથે વ્યવહાર કરનાર કોઈ મોટું માથું ફૂટી ગયું એમ કહેવું જોઈએ. અને મોટું માથું બહારનું તો હોય જ નહીં. ચકલું ના ફરકે તેવી સિક્યોરિટી હોય ત્યાં બહારનું માથું અંદર ઘૂસે કઈ રીતે ?? એ તો હોય અંદરનું એટલે કે કોઈ વગદાર પોતીકું જ, બીજું શું ? ગુજરાતમાં પેપર ફૂટવાનું  વ્યવસ્થિત working model અમલમાં મૂક્યું હોય એવું નથી લાગતું ?? કહે છે કે બાવીસ પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે,,, કોઈમાં કોઈએ માફી માંગી નથી કે દિલગીરી વ્યક્ત કરી નથી,, બધામાં પોલીસ તાપસ “રાબેતા મુજબ” થઇ છે, આરોપીઓ પકડાયા છે, તેને રિમાન્ડ મળેલ છે અને પછી શું થયું તે કોઈને ખબર નથી  ! 

આમાં  કશીક વ્યવસ્થિત ગોઠવણ હોય એવું લાગે છે, ચોવીસ જ કલાકમાં છે દક્ષિણના રાજ્યમાંથી સૂત્રધાર પકડી લાવીએ છે એનો અર્થ એવો કે પગેરું તો પહેલેથી જ જાણીતું છે. આમાં ક્યાંક, અંદરની અસંતુષ્ટોની લડાઈ તો નથી ને ?? પક્ષ-સૂત્રધાર અને જેને લઈને ચૂંટણી જીત્યા તેવા નેતાની આટલી કુશાગ્ર બુદ્ધિ અને કડપ છતાં ચૂંટણી વખતે શાસક પક્ષમાં જો પક્ષ વિરુદ્ધ મોટાં માથાંઓએ પ્રવૃત્તિ કરી હોય તો પછી ક્યાં શું ન થઇ શકે તે વિચારવા જેવું છે.

સરકાર બધાને ઈચ્છે તો પણ નોકરી આપી શકે તેમ નથી. રાષ્ટ્રના આર્થિક ધુરંધરો એવું કહે છે કે આપણો  દેશ કુલ વસતીના એક ટકા ને  જ સરકારી નોકરી આપી શકે. આ વાત સાચી ગણીએ તો 2016ના આંકડાઓ મુજબ  કેન્દ્ર સરકારના 48 લાખ, પ્રાઇવેટ સેક્ટર યુનિટના 10 લાખ, બેન્કના 8 લાખ, રાજ્ય સરકારોના કુલ એક કરોડ બત્રીસ લાખ સરકારી કર્મચારીઓનો સરવાળો બે કરોડ જેવો થાય છે. 

ભારતની વસતી 140 કરોડ ગણીએ તો વસતીના પ્રમાણમાં દોઢ  ટકો સરકારી કર્મચારીઓ તો છે જ. આ સ્થિતિ દેશ સમક્ષ અને ખાસ કરીને યુવાનો સમક્ષ વિધિવત સ્પષ્ટ કરવાની જરૂર છે. એક વખત સોઈ ઝાટકીને સ્પષ્ટતા થાય કે, ‘હવે આત્મનિર્ભર થયા વગર નહિ ચાલે, કૌશલ્યધારી બનો અને પોતાના પગ પર ઉભા રહો.’ સરકાર નોકરીઓના વચનોની લ્હાણી કરવાનું બંધ કરે.  અન્યથા તો એક શંકા એ પણ જાય કે  પેપર નું આમ વારંવાર ફૂટવું અને તેની તપાસમાં ઢીલાશ દાખવવી એ યુવાનોમાં  સરકારી નોકરી પ્રત્યેનો  મોહ  આપમેળે ભાંગે તેવો કોઈ હિડન એજન્ડા લાગે છે ..  તમને ધીરે ધીરે કોઠે પડી જાય અને તમે આશા છોડી દો, એટલે ઓશોની વ્યાખ્યા સાચી પડે.