આપણી વાણી, વિચારો અને ભાવોમાં કેટલીયે વસ્તુઓ એકદમ ઉતરતી કક્ષાની હોય છે, એ બધી પ્રભુના ચરણે ધરી દેવાય ખરી ??

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com 

પ્રભુની સાથે રહેવાના બે તબક્કા છે અને એ જ  સમર્પણની પહેલી અને આખરી અવસ્થા છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાની વાતમાં બિલાડીના બચ્ચાનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણોમાં જે વાત છે તે ઈશ્વરને સમર્પિત  થવાની અવસ્થાઓની વાત છે. મર્કટ ન્યાય અને માર્જર  ન્યાયના બે ઉદાહરણો બહુ રસપ્રદ છે. મર્કટ ન્યાય એટલે વાંદરીના બચ્ચાનું ઉદાહરણ.  વાંદરીનું બચ્ચું એની મા ને વળગેલું જ હોય છે, એની મા ને આશરે જ હોય છે. પણ એ બંને હાથે મા ને વળગી રહેવાનો  પુરુષાર્થ તો કરતું જ હોય છે. કાળજી લે છે કે હાથ છૂટી ન જાય કારણ કે જો મા ને વળગાળેલા હાથ છૂટી જશે તો તે માથી વિખૂટું પડી જશે અને તેનું પતન થશે. પ્રભુને આપણે કરવાના સમર્પણની આ પહેલી અવસ્થા છે. જેમાં પ્રભુને વળગી રહેવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. જે કરે તે પ્રભુ કરે આપણે એને વળગી રહેવું છે.

માર્જર ન્યાય એટલે કે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ. બિલાડી પોતાના બચ્ચાને મોં માં લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. બચ્ચું શું કરે છે ? કશું જ નહીં,  પૂરો શરણાગતિભાવ.  બચ્ચું મા તેને જ્યાં લઇ જાય ત્યાં જવા તૈયાર છે. જરા પણ વિરોધ વગર માની સાથે એ પોતાની જાતને ભેળવી દે છે. માએ બચ્ચાને પકડ્યું હોય છે એટલે તેની માટે પડી જવાની કોઈ સંભાવના હોતી નથી. આ અંદર ઉભો થયેલો ભાવ એ ભરોસો છે કે માએ મોઢામાં પકડ્યું છે એટલે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે સમર્પણની આ અંતિમ અવસ્થા છે જેમાં આપણે સંપૂર્ણપણે ભગવાનને આધિન થવાનું છે. ભગવાને આપણો પુરેપુરો કબ્જો લઇ લીધો હોય તો એ અંતિમ અવસ્થા કહેવાય.  જો કે, મહર્ષિ અરવિંદ જેવા સમર્થ યોગીઓ પણ કહે છે કે આ બીજા પ્રકારનું સમર્પણ બધા એકદમ કરી શકે એવું બનતું નથી. ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગે. જયારે વિચારોનું યુદ્ધ ચિત્તબુધ્ધિમાં શમી જાય અને ત્યાં નીરવ શાંતિ થઇ જાય અને કોઈપણ ઈચ્છાના તીવ્ર કે મૃદુ બધા ભાવો નામશેષ થઇ જાય ત્યારે એ ચિત્ત સમપર્ણનો વિકાસ સૌથી વધુ થવા દે છે. 

આંતરિક સમપર્ણ અઘરું છે. સીધું તે અવસ્થાએ પ્હોંચાય તેવું નથી પરંતુ મક્ક્મતાથી જો પ્રયાસ કરવામાં આવે તો મન અને પ્રાણ એ બંને આંતરિક સમર્પણ માટે તૈયાર થઇ શકે છે. અને હા, માત્ર આંતરિક સમર્પણ જ છે એવું નથી,  બાહ્ય સમર્પણ પણ છે. બાહ્ય સમર્પણ એટલે બહાર જે વસ્તુઓ છે તેને છોડી દેવી એવો જ અર્થ થતો નથી.  પણ તમે  ભગવાનને પામવા માટેની જે સાધના કરી રહ્યા છો એનું જે હાર્દ તત્વ હોય, એની જે જરૂરિયાત હોય તેના વિરુદ્ધમાં જે કંઈ જોવા મળે તેનો ત્યાગ કરવો એ બાહ્ય સમર્પણ છે. દા.ત. પ્રભુને ધરાવવું. કશુંક પ્રભુના ચરણમાં મુકુવુ. જેને આપણે ઓફરિંગ કહીએ છીએ. આ સાધનાની જરૂરિયાત ગણાય છે. શ્રી માતાજી કહે છે Remember and offer. ગીતામાં કૃષ્ણ પણ કહે છે कुरुष्य म दर्पणम – મને અર્પણ કર. હવે રોજિંદા જીવનમાં આપણું કર્મ, આપણી વાણી, આપણા વિચારો અને આપણા ભાવોમાં કેટલીયે એવી વસ્તુઓ હોય છે કે જે એકદમ નિમ્ન હોય છે. ઉતરતી કક્ષાની હોય છે. એ બધી વાતને પ્રભુના ચરણે ધરી દેવાનું તો આપણે વિચારી જ ન શકીએ એવી એ બાબતો છે. તો આ ઓફરિંગથી વિરુદ્ધમાં આવતી વસ્તુઓ છે. અથવા અર્પણને અટકાવનારી બાબતો છે. એને બાહ્ય સમર્પણના રૂપમાં છોડવી પડે. આપણે એક કામ સતત કરવાનું છે પરમાત્મા તરફથી આવતું માર્ગદર્શન અથવા તેના આદેશનું સતત અનુસરણ કરવાનું છે. અહીંયા સાવધાન રહેવાનું કે જેથી વિરોધી શક્તિઓ તરફથી કે બીજેથી આવતા અવાજોને આપણે ઈશ્વરીય અવાજ માનીને તેનું અનુસરણ કરવા ન લાગીએ. શ્રી માધવ પંડિત સરસ વાત કહેતા : Beware of voices અવાજોથી સાવધાન રહો. આ કેમ શક્ય બને ? ખુબ પ્રયત્નથી આંતરિક શુદ્ધિ થાય તો આ બધું શક્ય છે. ટૂંકમાં, બાહ્ય સમર્પણ એટલે બહારના આડંબરો, અહંકાર એ બધાને તો છોડવાનું જ છે. અહીંયા બાહ્ય સમર્પણ એટલે ઈશ્વર તરફ જતા માર્ગમાં અવરોધક બનનાર કોઈપણ વસ્તુ, ઘટના કે વ્યક્તિને છોડી દેવી એ આપણું બાહ્ય સમર્પણ છે.