ગોપીઓએ ઉદ્ધવને કહ્યું કેશ્રીકૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com

પરમાત્મા વિષે સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વૈત, અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે. ઈશ્વરના મામલામાં કેટલીક વાતો આપણને મુંઝવ્યા કરતી હોય છે એટલે એમાંથી પ્રશ્ન જન્મે.

પ્રતિ વર્ષ ઈશ્વર જન્મનો ઉત્સવ આપણે મનાવીએ એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનનો જન્મ હંમેશા દિવ્ય કેમ હોય ? ઈશ્વર જે કર્મ કરે તે પણ ‘દિવ્ય કર્મ’ કેમ કહેવાય ? ભગવાન ગીતામાં કહે છે કે,  ‘હું અજન્મા, અવિનાશી તમામ ભૂત માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાધીન રાખીને મારી શક્તિથી, સ્વૈચ્છાથી સગુણ સાકારસ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું.’

ગોસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે.

बिप्र धेनु सुर संत हित

लीन्ह मनुज अवतार।

निज इच्छा निर्मित तनु माया

गुन गो पार॥

માયા, માયાના ગુણો અને ગો એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ, પોતે જ, નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું, પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી.

ભગવત ગીતામાં કહેવાયું  છે : जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत: |

 (૧) હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઊંઘે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો. 

(૨) શુભ, અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક મારા આગળના જન્મોના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈ પણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવશાત ગમે તેવું શરીર પકડાવે. 

(૩) મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈપણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ – દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું, તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। 

કેટલાક લોકો વિચારે  છે કે ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી ? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે, ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણાને પ્રશ્નો છે કે પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું ? શ્રી રામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગૌલોકનો ચાર્જ કોને આપ્યો હશે ? જેને જેનું જ્ઞાન ન હોય તેના વિષે કંઈપણ તે બકે. દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્યરૂપ અને બીજું વિશેષરૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્યરૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષરૂપ. દા.ત. અગ્નિ, વીજળી વગેરે.. અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. જે અગ્નિ પ્રગટે નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ.

ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે પરમાત્મા તો સર્વવ્યાપક છે,  તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો, ‘શ્રીકૃષ્ણ જયારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા તેથી અમે રડીએ છીએ.’ શબરી માટે  શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. ઋષિઓ યોગીઓને તપશ્ચર્યા કે ઉપાસના વગેરે ક્રિયાસાધનો કરવા પડે ત્યારે ક્રિયાસાધ્ય બને છે. ભગવાન કહે છે,  હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કાંઈ રાવણ, કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે ‘કર્મનો સિદ્ધાંત’ આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.