આપણા વિદ્યાર્થીઓ કે એના મા બાપ કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપણો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

ગુજરાતમાં ખુબ પ્રયાસો થતા હોવા છતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ રહેતા નથી. આ કોઈનું મ્હેણું નથી, પરંતુ હકીકત છે અને એ હકીકત ચિંતાજનક છે.

મેં અનુભવેલા ત્રણ મુખ્ય કારણો ગુજરાતીઓ માટે બહુ મોટા સ્પીડ બ્રેકર છે.
(૧) આપણા વિદ્યાર્થીઓ બારમું ધોરણ થાય અથવા તો ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી IAS IPS કે કોઈ પ્રકારની નેશનલ લેવલની જગ્યાઓ વિશે કશું જાણવાનો પ્રયત્ન કરતા નથી. એસ્પિરન્ટ હોય છે એ પણ આપણે ત્યાં ગ્રેજ્યુએશન પછી એની તૈયારી શરૂ કરે છે. જયારે બીજા રાજ્યોમાં અને ખાસ કરીને બિહાર બાજુ વિદ્યાર્થીઓ આઠમા, નવમામાં હોય ત્યારથી એ ક્લિયર વિઝન હોય છે કે મારે UPSC ક્રેક કરવાનું છે, મારે IAS, IPS થવું છે અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં ટોપ કરવું છે. પરિણામે આઠમા નવમા ધોરણથી જ એમની પાસે સદિશ વાંચન હોય છે. જેમાં જવું છે એના માટેના થોથાઓ એ લોકો ઉથલાવતા હોય છે.

2) ગુજરાતની પ્રજાના વિદ્યાર્થીઓને દોષ ન આપીએ પણ આપણા માતાપિતાઓ અને આપણા શાળાના સંચાલકો પણ બારમા ધોરણ સુધી એક જ વાત કરે છે કે કાં તમે ડોક્ટર થાઓ અને કાં તમે ઈજનેર થાઓ. NEET આપો,અથવા JEE આપો.
અરે, ઘણી ખરી સ્કૂલોની અંદર B ગ્રુપ અને A ગ્રુપ એ બે જ ગ્રુપ રાખવાની છુટ હોય છે. AB ગ્રુપ રાખવાની છુટ નથી. ખરેખર A, B અને AB એવા ત્રણ ગ્રુપ તમે રાખી શકો છો. પણ AB ગ્રુપ રાખવા દેતા નથી. હવે ઘણા બધા નેશનલ કક્ષાના ઇન્સ્ટિટ્યૂટમાં ફિઝિક્સ
અને બાયોલોજી બંનેના પ્રશ્નો પૂછતાં હોય છે. આપણા વિદ્યાર્થીઓને આ ખબર જ નથી કે
બારમા પછી શું કરવું છે ? એટલે પહેલેથી જ આપણા વિદ્યાર્થીઓનું કે વિદ્યાર્થીઓના મા બાપનું કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપનો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

3) સરકાર તરફથી જે પ્રયાસો થવા જોઈએ એવા કોઈ પ્રયાસો થતા નથી. હા, જુદી જુદી
જ્ઞાતિ તરફથી એના વર્ગો ચાલે છે, ઘણા સારા વર્ગો ચાલે છે. અને એ લોકોના ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ ક્રેક કરી શકે છે. પણ સરકાર તરફથી એક માહોલ ઉભો કરવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ એ કોઈ થતી નથી. દા.ત સ્પીપા છે, તે સારું
કામ કરે છે. પણ ખાલી અમદાવાદમાં… રાજકોટ, સુરત, વડોદરામા નહીં, આ મોટામાં મોટી મુશ્કેલીઓ મને લાગે છે.

એક રસપ્રદ અનુભવ કહું તો વધુ ખ્યાલ આવશે. લગભગ આઠેક વર્ષ પહેલાની વાત છે. હું NCTE ની એક મિટિંગ માટે ભોપાલ જતો હતો અને એ વખતે જબલપુર ટ્રેનમાં હું બેઠો હતો અને રાત્રે મેં જોયું કે ઉપરની બર્થ ઉપર લાઈટ ચાલે છે. હું નેચરલી બાયો બ્રેક માટે ઉઠયો તો મેં જોયું કે ઉપર એક નાનો છોકરો વાંચે છે. મોટી બધી જાડી ચોપડી લઈને વાંચે છે. એટલે મેં બાયોબ્રેકમાંથી પાછા આવીને પૂછ્યું કે, ‘આપ સો જાના નહીં ચાહતે ? ઇતની દેર ક્યોં પઢ રહે હૈ ?’ એટલે એ બેઠો થઇ ગયો અને બહુ શાંતિથી જવાબ આપ્યો. “નહીં નહીં.. મેં દેર રાત તક પઢતા હું…ક્યોંકિ મૈં વો UPSC કી તૈયારી કરતા હું…” મેં પૂછ્યું: ‘વેરી ગુડ… કૌનસી કક્ષામેં હો ?’ “મૈં ને 9th પુરા કર લિયા હૈ ઓર અભી મૈં હમારે ગાંવ વાપિસ જા રહા હું, વેકેશન કરને…” ‘અભી સે UPSC કે લિયે પ્રયાસ કરતે હો ?’ “હા, અબ સે કરના હી પડતા હૈ. વરના કૈસે હોતા હૈ ?” એવો જવાબ મને એક આઠમા નવમા ધોરણના છોકરાએ આપ્યો. આ પ્રકારની ધગશ તમે ક્યારેય કોઈ ગુજરાતીમાં ભાળી શકો ખરા ? .

આપણું શિક્ષણનું આખું તંત્ર એટલું બધું અવ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ચાલે છે કે તમે કોઈપણને પૂછો ‘તમારે BBA કેમ કરવું છે ?’ તો કહે, ‘પછી MBA થાય ને એટલે .’ ‘MBA તો કોઈપણ ગ્રેજ્યુએશન પછી થાય.’ તો કહે, ‘ના, BBA છે ને પહેલા બધું શીખવી દે .. એટલે MBA સહેલું પડે.’ ‘એવું તને કોણે કીધું ?’ તો કહે, ‘મારા બધા
મિત્રો કરે છેને એણે મને કહ્યું’. હવે જુઓ જેણે બારમું ધોરણ પૂરું કર્યું હોય એને આટલી જ સામાન્ય સમજ હોય તો એના માટે આપણે સૌ જવાબદાર ખરા કે નહીં ??