જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. વિચારો આવે છે એ શાશ્વત છે.

ભદ્રાયુ વછરાજાની   bhadrayu2@gmail.com

વિચારોનું વિજ્ઞાન બહુ સ્પષ્ટ છે અને કેટલુંક તો બહુ સ્પષ્ટ છે. મને આઘાત લાગે એવી વાત કોઈ કરે તો એ ‘ઉદીપક’ તો બહારથી જ આવ્યું અથવા મને સારું લાગે એવું કોઈ કહે તો એ પણ બહારથી જ આવ્યું. એટલે Generator of the thought may be inside but instigation or inspiration is outside. ઉદીપક તો બહારથી આવતું હોય. એના આધારે અંદર બધા ફેરફારો થાય.
આપણે સામાન્ય વસ્તુ જાણીએ છીએ કે રોટલીનો ટુકડો તમે જેમ વધુ ચાવો એમ તમને મીઠો લાગે. કેમ મીઠો લાગે ? જેમ વધુ ચાવો એમ અંદર લાળગ્રંથિમાંથી રસ ઝરે, એ રસ રોટલી સાથે ભળે. રોટલી મીઠી નથી. વધુ ને વધુ ચાવવાની પ્રક્રિયાથી એ મીઠી બને છે. સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કામ અથવા તેનું શમન કરવાનું કામ કોઈ પણ એક પ્રક્રિયા કરે છે. પછી એ બહારની હોય કે અંદરની. મેં મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે, પછી થોડીવાર મને વિચાર આવ્યો કે ‘મેં સ્વીચ ઓફ કર્યો હશે કે નહીં કર્યો હોય ?’ આવો વિચાર આવ્યો તેનો અર્થ એ કે you were not conscious while doing that action. વિચારોની કેળવણીનું પહેલું પગથિયું છે કે વિચારોને કેળવવા હોય તો જે, જયારે, જેટલું કરો એ ત્યારે એટલું એકાગ્રતાથી કરો. એકાગ્રતા એટલે ? આ શબ્દ જ બહુ સ્પષ્ટ છે. એક અગ્ર ઉપર ધ્યાન રાખીને કરવું તો એ મનમાં બેસે કે કર્યું જ. હવે આપણે શું કરતા હોઈએ છીએ કે કોઈની સાથે વાત કરતા કરતા મોબાઈલ સ્વીચ ઓફ કરીએ છીએ એટલે હું મોબાઈલ સ્વીચ ઓફ કરતી વખતે એકાગ્ર નથી. એટલે પેલો ડાઉટ અંદર ગયો.
જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. આપણા શાસ્ત્રકારે કહ્યું કે live in the moment ક્ષણમાં જીવો. પોન્ડિચેરીનાં શ્રી માતાજીએ તો આનો બહુ મહિમા કહ્યો. ઓશો પણ વારંવાર બોલે. બધા જ લોકો એક જ વાત કરે કે live in the moment… Live in the moment શેના માટે કહે છે ખબર છે ? વિશ્લેષણ કરો તો ખ્યાલ આવે કે અત્યારની ક્ષણમાં જીવશો તો અત્યારનું પામશો. અત્યારની ક્ષણમાં ન જીવી ને જે મેળવશો એને પામશો નહીં. આપણને ખબર છે કે ઘણા લોકો જમવાનું અડધું પૂરું થાય પછી પૂછે આ શેનું શાક છે ? એટલે જવાબ મળે કે ‘ટિંડોરાંનું ..’ તો કહે, ‘અચ્છા ટિંડોરાં નું છે’,, એનો મતલબ કે અત્યાર સુધી એમણે ટિંડોરા નહોતા ખાધા. … ! માની લો કે હું અહીં સૌ સાથે બેઠો છું. મને કોઈ બીજો વિચાર આવશે તો હું ડિસ્ટર્બ થઈશ, હું ડિસ્ટર્બ થઈશ એટલે મારુંઅહીં હોવું ડિસ્ટર્બ થશે એનો અર્થ એવો કે અહીં જેટલા છે તે સૌ ડિસ્ટર્બ થશે.
આપણે જયારે બોલીએ ત્યારે પણ વચ્ચે વિચારો આવનજાવન કર્યા કરે છે. એટલે જ એમ કહેવાયું છે કે જયારે બોલો ત્યારે ધીમે બોલો, સ્પીડ ઓછી કરો અને ભાર દઈને બોલો. આમ કરવાથી એક તો ચોખ્ખું બોલાશે અને વચ્ચે વચ્ચે વિચારોને પ્રવેશવાની જગ્યા રહેશે. Flow of thoughts વિચારોનો પ્રવાહ નિર્મળ ચાલ્યો જશે. આપણા રાજકારણીઓ આજે સ્ટેટમેન્ટ આપે અને કાલે કહે કે ‘આવું મેં ક્યારેય કહ્યું નહોતું.’ શું કામ ? કારણ તેઓએ કહ્યું હોય ત્યારે એ ત્યાં હોય જ નહીં. એ બીજે જ લડતા હોય અને અહીં બોલતા હોય !! સજગતા અને એકાગ્રતા વગર શબ્દો વેરીએ તો આવું જ થાય. આપણા પૂર્વ પ્રધાન મંત્રી કવિહૃદય શ્રી અટલ વિહારી વાજપાયીજી બહુ ઠંડકથી બોલવા ટેવાયેલા હતા. એક એક શબ્દને જોખીને ધીમી ગતિએ તેઓ પ્રવચન કરતા હતા. તેઓને ક્યારેય પોતાનો બચાવ કરવાનો સમય ન આવ્યો, કારણ તેઓ એકાગ્રતથી પોતાની વાત પેશ કરતા હતા.
એકાગ્રતા માટે શું જોઈશે ? આપણે કેળવણીની વાત કરીએ છીએ, વિચારોને કેળવવા કેવી રીતે ? એક વસ્તુ યાદ રાખીએ કે વિચારો અંદરથી આવે કે બહારથી આવે એ ટેક્નિકાલિટી છોડી દઈએ પણ વિચારો આવે છે એ શાશ્વત છે. સાયકોલોજી એવું કહે કે બાળકના જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર દર ત્રણ સેકન્ડે દસ સવાલ બાળકના મનની અંદર આવે છે. કેવી રીતે આવે છે એ પણ સમજવું રસપ્રદ છે.