શરીરમાં આપણું મન ક્યાં આવેલું છે  શરીરમાં  દિલ ક્યાં આવેલું છે ?

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

ખરેખર તો વિચારનું શિક્ષણ હોય નહીં. કેમ ન હોય ? વિચાર તો ગમ્મે  ત્યારે આવે, ગમે તેવા આવે, ન ગમે તેવા પણ આવે. ભૂખનું કે તરસનું  કે રુધિરાભિસરણનું શિક્ષણ હોય ? જો એ બધાનું હોય તો વિચારનું શિક્ષણ હોય. કારણ કે વિચાર ઈનટેન્જીબલ છે. ઈનટેન્જીબલ એટલે શું ? જેને તમે જોઈ શકતા નથી, જેને તમે સ્પર્શી શકતા નથી, જે ક્યાંથી આવ્યું, ક્યાં ગયું ખબર નથી પડતી. આમ જુઓ તો, વિચારનું  તો કોરોના વાયરસ જેવું છે. ક્યાંથી આવ્યું એ ખબર ન પડે, એનો ઈલાજ શું એ ખબર ન પડે. જે અજ્ઞાત છે તે વિચારનું શિક્ષણ શક્ય નથી.

 

તો શું વિચારને બે-લગામ અવરજવર કરવા દેવી ?? ના સાવ એવું નથી. હા, વિચારની કેળવણી શક્ય છે. આ શિક્ષણ અને કેળવણીમાં શું ફેર ? ખાસ્સો ભેદ.  આપણને  દિલમાં ઉગે અને કોઈ કામ માટે ભેગા થઇએ તો એ કેળવણીના ભાગરૂપે ભેગા થયા કહેવાય.  કેળવણી છે શું ?  કેળવવું – To educate.  ખરેખર Educate નો અર્થ જ એ છે ‘અંદર પડયું છે તે બહાર લઇ આવો.’  પણ કેવી રીતે બહાર લઈ  આવવું ? બે રીતે લાવી શકાય. ૧) બધું મગજમાં ભરો અને ટાણું  આવે ત્યારે માણસ પોપટની જેમ બોલે એ બહાર લઇ આવવાની એક રીત. અને ૨) હાથ, પગ અને બધાં  જ કૌશલ્યો શીખો, કેળવો, ખુદ અમલમાં મુકો કે  જેથી કરીને તેના દ્વારા જે સર્જન થાય એ પ્રક્રિયાને   કેળવણી કહેવાય.

 

આપણે  બોલીએ છીએ કે  વિચાર આવ્યો. એનો અર્થ એવો કે કોઈક આવે તો એને આવ્યું કહેવાય ને ! તો વિચાર પણ આવતો હશે ને.??. પણ ના એ વાત સાચી નથી, એનું કારણ કે આપણને આવા ભ્રામક વાક્યો બોલવાની ટેવ છે. ટ્રેનમાં જતા હોઈએ તો આપણે કહીએ કે પાલનપુર આવ્યું. પાલનપુર નથી આવ્યું, આપણે પાલનપુર આવ્યા છીએ. આપણે બોલીએ છીએ કે નળ આવ્યો !!  નળ આવ્યો નો અર્થ એવો કે પ્લમ્બર આવશે ને નળ નાખશે. પણ  ના એવું કહેવા માંગતા નથી.  નળ આવ્યો એનો અર્થ એવો છે કે નળ હતો એમાં પાણી આવ્યું. આપણે કહીએ છીએ કે અમે ઘઉં વીણીએ છીએ. ખરેખર તમે કાંકરા વીણો છો. એવી રીતે ‘વિચાર આવ્યો’ ને આપણે ‘આવ્યો’ કહીએ છીએ પણ હકીકતમાં એ આવતો નથી.

વિચારનું ક્રિએટિંગ  હાઉસ તો બહાર છે. પણ તેને લઈને અંદર જે કંઈ થાય છે, એમાંથી જે આવે છે એ વિચાર છે. એટલે આવ્યો ખરો  પણ અંદરથી બહાર આવ્યો. અંદર તો ઢગલો પડ્યો જ  રહે છે. હવે વિચારની કેળવણી શક્ય છે તો વિચારોને કેળવવા શું કરવું ?? વિચાર એટલે શું ? શાસ્ત્રમાં કહ્યું  છે કે  વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ – ‘વિચારોનો પ્રવાહ એ જ મન છે.’ પણ  મન ક્યાં છે ? મન કોઈએ જોયું છે ? વિજ્ઞાન શિક્ષક તરીકે મેં દસમા ધોરણના વિદ્યાર્થીઓને પૂછ્યું કે, ‘તમારામાંથી મૂત્રપિંડ કેટલાએ જોયું છે?’ લગભગ પોણા ક્લાસે હાથ ઉંચો કર્યો. એક ટીચર્સ ટ્રેનિંગમાં મેં પૂછ્યું કે,  મગફળીના ઝાડ  કોણે જોયાં  છે ??  તો લગભગ સાઠ ટકા મિત્રોએ હાથ ઉંચા કર્યા !! જેણે મગફળીનું ઝાડ  જોયું  હોય એણે મૂત્રપિંડ જોયો હોય !! આયી બાત સમઝમેં ??

મન શું છે ?ક્યાં બેઠું છે ? શાસ્ત્રએ સમજાવ્યું કે વિચારોનો પ્રવાહ ચાલતો ચાલતો જાય એને મન કહેવાય. એનો મતલબ એવો  કે વિચારો તો છે જ,  આવતા તો હોવા જ જોઈએ,  તો જ મન કામ કરે. પણ કોઈ કહી શકે મન છે ક્યાં ? હવે એ મનમાંથી જે વિચાર આવતો હોય, એ  મનને આપણે ઓળખ્યું નથી, જોઈ શકતા નથી, હું કે તમે નહીં, પણ  ડોક્ટર્સ પણ કહે છે કે સર્જરી કરીને મગજ બહાર કાઢી શકાય,  મન ન નીકળે. આપણી લગભગ ગડમથલ ન જોયેલા અને ધારી  લીધેલા બે શબ્દો માટે છે, મન અને દિલ.  ‘મારું દિલ દુભાણુ.’ ‘એણે મારા દિલ ઉપર ઘાવ પાડયો.’  ક્યાં છે દિલ ? છે ક્યાંય ? આ સં-કલ્પના છે.  મન ક્યાં છે અને દિલ ક્યાં છે. જેને આપણે જોયા નથી એની કેળવણી ની વાત રસપ્રદ હશે પણ થોડા ઊંડા ઉતરવું પડશે.