લગ્નપ્રથા વારંવાર તૂટતી દેખાશે. આપણી  કુટુંબ વ્યવસ્થા રહેશે નહીં તો પરિવાર ક્યાંથી રહેશે ??

ભદ્રાયુ વછરાજાની                                                           bhadrayu2@gmail.com  

આજનો પ્રશ્ન એ પ્રશ્ન કરતાં ચિંતા વધુ છે. કમનસીબે કહેવું પડે છે કે આજની પેઢી ભવિષ્યમાં સારા પરિવારો આપી શકશે તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. આ સાંભળીને કોઈ નિરાશાવાદી ગણતું હોય તો એ એને મુબારક. કોઈપણ  ભવિષ્યવાદી એમ કહી શકે તેમ છે કે  2030 પછી ભારત દેશના લગભગ ૪૦% વિસ્તારની અંદર લગ્ન નહીં થાય, લગ્ન વ્યવસ્થા પડી ભાંગશે. અરે, અત્યારે જ પડી ભાંગી છે. તમે રોજનું છાપું ખોલીને વાંચો. રોજ બે કેસ હોય છે.  ‘પ્રેમિકાએ પ્રેમીની સાથે ભળીને પતિને ઢાળી દીધો !’  એનો અર્થ એવો છે કે જેની સાથે જીવવાની પ્રતિજ્ઞા કરી છે, હજારો લોકોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાયા એને મારી નાખવાનું  અંતિમ પગલું ભરી શકાય છે !! 

કોઈપણ બાળક આજે  ઘરની અંદર સહજ અભિવ્યક્તિ કરી શકતું નથી, પરિણામે દરેક વ્યક્તિ આઈસોલેટેડ થવા લાગી. કેટલું બધું અંગત છે,  જે મારે કહેવું તો કોને કહેવું,  એ મને પ્રશ્ન છે. જેની પાસે મોકળાશથી કહી શકાય એવું કોઈ ઠાલવવાવાળું નથી. પહેલાં  વડીલો હતા.  યાદ છે આપણે દાદી પાસે બેસીને વાત કરતા કરતા રડી પડતા તો દાદી માથે હાથ મૂકતી અને આપણને નિરાંત થઈ જતી.. અત્યારે તમે કોને કહો ? પતિ પત્નીને કહે કે પત્ની પતિને કહે, કોણ  કોને કહે ? બાળક તો બિચારો સાવ  વિક્ટિમ છે. એ  સાક્ષી બનીને જોવે છે,  એ નક્કી કરે છે કે પપ્પા બિહેવ કરે છે એ સારું કે મમ્મી કરે છે એ સારું ??. પછી એ થોડું આમાંથી લે છે અને થોડું પેલામાંથી લે છે અને એની રીતે પોતાનો રસ્તો ફોડી લે છે. કહેવાનો સેન્સ છે કે લગ્નપ્રથા વારંવાર તૂટી ભાંગતી દેખાશે. આપણે લિવ ઈન રિલેશનશિપને ખાનગીમાં સ્વીકારવા લાગ્યા છીએ, આપણે હોમોસેક્સ્યુઆલિટીનો પ્રચાર કરવા લાગ્યા છીએ , એનો મતલબ એ કે આપણે બધા જ બેરિઅર્સ ક્રોસ કરવા લાગ્યા  છીએ. એ જોતા એવું લાગે છે કે આપણી  કુટુંબ વ્યવસ્થા રહેશે નહીં તો પરિવાર ક્યાંથી રહેશે ??

પહેલાં  આપણે શબ્દ બોલતા ‘સગા વ્હાલા’, ત્યારે  સગા સગા હતા,  હવે તો વ્હાલા જ સગા થઈ ગયા છે. સગાઓ બધા આઉટ ઓફ બોક્સ જતા રહ્યા છે. પહેલાં એક મામા મહિનો હતો. હજી ગામડામાથી જે પરિવારો અહીંયા આવ્યા એમાં ક્યાંક ક્યાંક છે. મામા મહિનો એટલે  વેકેશન પડયું એટલે છોકરાઓ મામાને ઘેર. આજે તમે શહેરમાંથી આમ  મામા મહિનામાં જતા છોકરાઓ બતાવો. આપણે એને  સ્કેટિંગમાં, નૃત્યમાં, બને એટલી પ્રવૃત્તિમાં  નાખી દઈએ છીએ. શું કામ ? એમની પ્રવૃત્તિ માટે નહીં, પણ એ પ્રવૃત્તિમાં જાય તો મને સમય મળે અને હું મારી મોકળાશ શોધી લઉં એટલા માટે. ગુજરાતમાં પણ  હોલીડે પ્લેહાઉસ ચાલવા લાગ્યા. હોલીડે પ્લેહાઉસ  એટલે શું ? રેગ્યુલર પ્લેહાઉસ સોમ થી શુક્ર ચાલે તો શનિ રવિ બાળક હોલીડે પ્લેહાઉસમાં જાય. કેમ ? મમ્મી પપ્પાને હોલીડે ભોગવવો હોય તો શું કરે ? માટે બાળક આઘું  રહે તેવી વ્યવસ્થા, બીજું શું ??  આપણું બાળક આપણી ઈચ્છાથી આવ્યું છે. પણ ઈચ્છાથી આવેલા બાળકને આપણે પછી ઈચ્છાથી સાચવતા નથી. રેડ કાર્પેટ વેલકમ કરી શકતા નથી. પછી આપણે બાળકને આઘું રાખવા લાગીએ છીએ. એ દૂરી આપણે જ ઉભી કરીએ છીએ. પછી આપણે કહીએ કે સંતાનો વૃદ્ધાવસ્થાની અંદર અમને સાચવતા નથી !!  ખોટી વાત છે. થોડો વિચાર કરજો આ મુદ્દા ઉપર કે અત્યારે જેટલા લોકો વૃદ્ધાશ્રમમાં છે એમાંથી મહત્તમ  આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા વિભક્ત કુટુંબમાં વહેંચાઈને મોટાં  થયેલ જેનાં ફળરૂપે એ વૃદ્ધાશ્રમમાં છે. એટલે ૨૦૩૦ પછી આપણે પણ ઓસ્ટ્રેલિયા કે અમેરિકાની જેમ કેરહાઉસીસ શરૂ કરવા પડશે . જેમાં દાદા દાદી રહેતા હશે અને સરકારે એના માટે કેર ટેકર રાખ્યો હશે  !!, એક સમય થાય ત્યારે કો’ક સામે બેસીને વાત કરવા આવે,  વળી એક કલાક પછી કોઈ આવે ને વહીલચેરમાં તડકામાં ફરવા લઇ જાય, પાછું મૂકી જાય, સાંજે કોઈ બીજી વ્યક્તિ આવે જે  ખાવું હોય એ બનાવી દે, ખવડાવી દે ચમચી ભરીને અને ચાલ્યા  જાય. You are alone. ‘એકલા આવ્યા હતા, એકલા જવાના’ એ તત્ત્વજ્ઞાન સમજાય તે  વાત સાચી પડશે. ૨૦૩૦ સુધીમાં અવશ્ય ભારતમાં આવું થશે.  આપણે સંસ્કૃતિની વાતો  કરીએ તેથી બદલાવ નહીં આવે, સંસ્કારની ચિંતા  કરવાનું ટાણું  છે.