સ્વામી સચ્ચિદાનંદજી હળવાશ અને સહજતાથી ભક્તના છ પ્રકારો સમજાવે છે.

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

દંતાલી આશ્રમના ક્રાંતિકારી સ્વામીશ્રી સચ્ચિદાનંદજી લાકડાની એક ખાટ  ઉપર સુતા સુતા પણ ભક્તો સાથે રસપ્રદ અને નોખી વાતો કરતા રહે છે. તેઓશ્રીને થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા “પદ્મભૂષણ”થી નવાજવામાં આવ્યા છે. સચ્ચિદાનંદજી આખા બોલા અને સહજતાથી જે ઉગે તે સચોટ રીતે પેશ કરનાર સંત છે. તાજેતરમાં સદગુરુ  શ્રી ધર્મજીવનદાસજી મહારાજના ‘ગુરુ-જીવન-ગ્રંથ’ ના છ પુસ્તકો તેમના શિષ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી દ્વારા સાત વર્ષના સતત તપમય લેખનના ફળસ્વરૂપે પ્રગટ થયા, તેના  પુરોવચનમાં શ્રી સચ્ચિદાનંદજી આપણા ભક્તોને કેટલાક પ્રકારોમાં વહેંચી બતાવે છે. અલબત્ત, આ શ્રી સચ્ચિદાનંદજીની કહેવાની એક શૈલી છે. જેમ ભોજલ ભગતના ચાબખા કે અખાભગતના છપ્પા તેમ આ પણ પ્રસ્તુતિની એક વિધા છે અને એમાં જે કહેવાયું હોય તેમાં કશું પણ લેશમાત્ર ખોટું ન હોય !! તે વાસ્તવમાં આપણને વિચારતા કરી દે છે કે આમાં આપણે ક્યાં છીએ ? અને આપણે ક્યાં હોવા જોઈએ ??

મંદિરોમાં આવનારા લોકોના છ પ્રકાર હોય છે, તે પૈકી મુખ્ય ત્રણ છે: તાલિયા, માનિયા, ખાનિયા.

તાલિયાઓને ગાવા-નાચવાનો, વગાડવાનો શોખ હોય છે. તે બીજે ક્યાંય પૂરો ન થતો હોવાથી અને મંદિરમાં પૂરો થતો હોવાથી મંદિરમાં આવતા હોય છે.

બીજા કેટલાક માન મેળવવા માટે મંદિરમાં આવતા હોય છે. તેમને માનિયા કહેવાય છે. મંદિરમાં જવાથી મહારાજશ્રી માન આપે, લોકોમાં માન મળે, ભગત કહેવાઈયે, આવી લાલસાથી મંદિરે આવતા હોય છે. આવા લોકોને આવકાર આપીને આગળ બેસાડવા પડે, ફૂલહાર કરવા પડે, ખૂબ માન આપવું પડે, જયાં સુધી માન  આપો, આવકાર આપો, આગળ બેસાડો ત્યાં સુધી તો આવે, પણ જો એમાં થોડીક કચાશ રહી જાય તો  એમનો સંબંધ ઢીલો થઈ જઈને અંતે બગડી જતો હોય છે,

એક ત્રીજા ભક્ત હોય છે એ ખાનિયો હોય છે, એ જુએ છે કે મંદિરમાં તો રોજ ચોખ્ખા ધીના લાડુ થાય છે અને મહારાજશ્રી પ્રેમથી જમાડે છે. એટલું જ નહીં, કોઈ કોઈ વાર તો પ્રસાદનાં પડીકાં પણ બાંધી આપે છે, એટલે આ જગ્યાએ તો જવા જવું છે. સમજીને આવા લોકો મંદિરમાં ખાવા માટે આવતા હોય છે. આવા ભક્તોને ખાનિયા કહેવાય છે.. જ્યારે ખાવાનું બંધ થાય કે ઓછું થાય, ત્યારે તે આપોઆપ આવવાના બંધ થઈ જતા હોય છે.

મોટા ભાગે બધા સંબંધો અપેક્ષાથી બંધાયેલા હોય છે. અપેક્ષા વિનાના સબંધો ભાગ્યે જ હોય છે અને હોય તો તે દેવદુર્લભ કેહવાય છે. એ જ રીતે ધાર્મિક જગતમાં જે સંબંધો બંધાય છે, તેમાં પણ અપેક્ષાઓ તો હોય જ છે. એ અપેક્ષાઓ ત્રણ પ્રકારની હોય છે : સાત્ત્વિક, રાજસી અને તામસી. એ અપેક્ષાઓ જ્યાં સુધી સામાન્ય અને સાત્ત્વિક હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ  જ્યારે તે રાજસી અથવા તામસી બની જાય ત્યારે ધાર્મિક સંબંધો ખૂનામરકીના પણ બની જતા હોય છે.

તામસી અપેક્ષાઓમાં આ મહારાજનું સરકારમાં બહુ ચાલે છે, તેથી પેલી જમીન મારા નામે કરાવી આપશે, પેલા દુશ્મનને ઠેકાણે પાડી દેશે વગેરે વગેરે…. આવી અપેક્ષાઓ તામસી અપેક્ષાઓ છે.

જ્યારે અપેક્ષાઓ રાજસી બને જેમ કે, આ મહારાજ પાસે હું જઈશ તો એ મને  નોકરી-ધંધે વળગાડી દેશે, મારો ધંધો સારો ચાલશે, મને પૈસાની મદદ કરશે, મને વિદેશ  લઈ જશે વગેરે વગેરે….આવી અપેક્ષાઓ રાજસી અપેક્ષાઓ છે.

સાત્ત્વિક અપેક્ષાનો અર્થ એ છે કે, આ મહારાજ પાસે હું જઈશ તો મને ભગવાનનો રસ્તો મળશે. મારું જીવન સુધરશે અને હું સુખી થઈશ. આવી સાત્ત્વિક અપેક્ષાઓ રાખવી તે કંઈ ખોટું ન કહેવાય.

આ ત્રણેય પ્રકારના માણસો જ્યાં મોટો સમૂહ હોય ત્યાં રહેતા જ હોય છે. બધા સાધુઓ દેવદૂત નથી હોતા, તેમનામાં પણ સત્ત્વ, રજસ અને તમોગુણની ધારાઓ ઓછેવત્તે અંશે વહેતી હોય છે. અંતે તો એ પણ માણસ જ છે ને !!. તો જ્યાં બહુ મોટો સમૂહ હોય ત્યાં થોડી ભેળ-સેળ તો રહેવાની જ. આપણે ક્યાં આવીએ ??

ભેળસેળ વિનાનું જીવન જોઈતું હોય તેને એકાકી રહેવું, એટલે ગીતામાં લખ્યું છે કે ” एकाकी यतविचात्मा निराशीरपरिग्रहः |” એકાકી જીવન વ્યક્તિગત રીતે તો વધુ સુરક્ષિત હોઈ શકે છે, પણ તેમાંથી બહુ મોટી પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેને બહુ મોટી પ્રવૃત્તિ કરવી હોય તેને સમૂહસંઘ બનાવો જ પડે, એટલે બુદ્ધને લખવું પડ્યું, ‘संधं शरणं गच्छामि |’