શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

#શ્રી_સ્વામી_સમર્થ_પ્રસન્ન (૦૨)

|| મૈં ગયા નહીં, યહાઁ હું ||

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અક્કલકોટ ખાતે શ્રી સ્વામી સમર્થનું સમાધિ મંદિર નજદીકથી માણીને હવે જઈએ શ્રી સમર્થ સ્વામી વટવૃક્ષ મંદિર ના પરિસરમાં…

સ્વામીનાં અઢળક સ્વરૂપો અહીં છે, શ્રદ્ધાળુઓએ આપણા પ્રત્યેક અવતાર સાથે સ્વામીને નિહાળ્યા છે, અને તેથી તેને તે સ્વરૂપે નીરૂપ્યા છે… સાથેના ફોટાઓ પરથી તેનો ખ્યાલ આવશે.
જે વટવૃક્ષનું સાનિધ્ય જીવનભર સ્વામીશ્રી સમર્થ પામ્યા તે વટવૃક્ષ એમની જિંદગીનો milestone હતું. ત્યાં જ બેસવું, ત્યાં જ મૌન રહેવું, ત્યાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું !! એ વટવૃક્ષ એટલું જબરું વિશાળ છે કે તેને સમગ્રપણે આવરી લેતું મંદિર અતિ ભવ્ય ભાસે છે. વળી, મંદિરને સજાવ્યું છે પણ ખૂબ જ પ્રભાવક શૈલીથી. પણ જ્યાં જાઓ ત્યાં વટવૃક્ષની કોઈ શાખા તો તમારું સ્વાગત કરે જ કરે..!!
મંદિરમાં ધસારો ખાળવા ને ભક્તો નિરાંતે બેસીને ધૂન ભજન કરી શકે તેવી વિશાળ પરશાળો પણ છે.
અન્નપૂર્ણા ભવનમાં સવાર સાંજ પ્રસાદ લેવા હજારો ભક્તો કતારબદ્ધ ઊભા હોય છે…કોઈ વિશેષ દિવસ ન હોય તો પણ દોઢ થી બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે ખરું !! હા, અહીં બધેય બે પ્રકારે દર્શન થઈ શકે : મુખદર્શન અને પૂર્ણદર્શન. દૂરથી કેવળ મુખ નિહાળી શકાય અથવા ખૂબ નજદીકથી પૂર્ણ મૂર્તિના દર્શન થઈ શકે.
આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા સમર્થ સ્વામી રામદાસના પરિસરમાં પણ પોતાના મોટા ફોટા કે નામ કોતરવનારા છે !! તે દુન્યવી સમર્થીઓ પોતાની મોટી ચમકતી કાર પાર્ક પણ અહીં પરિસર માં જ કરે છે..!!
ઉતારાની, પાર્કિગની અને ભોજનની બહુ વિશાળ સગવડતા છે તે અવશ્ય આવકાર્ય છે.
સ્વામી સમર્થ રામદાસ નાં બન્ને સ્થાનકો ને પ્રેમથી નિહાળી એટલું લાગ્યું કે કોઈપણ આધ્યાત્મિક આત્માને પણ લોકો ધાર્મિક બનાવી દેવામાં પાવરધા છીએ. શ્રી મનના શ્લોકોને સમજો અને જીવનમાં ઉતારો તો ચોક્કસ સમજાય કે શ્રી સ્વામી સમર્થ આપણને આધ્યાત્મિકતા નો પથ દેખાડી ગયા છે,, આપણે આપણી અંદરની યાત્રા શરૂ કરવાની છે… બહારનાં કેવળ ધાર્મિક આભૂષણોથી જીવન સાર્થક થઈ શકે તેમ નથી. આ આધ્યાત્મિક આત્મા ખુદ કહે છે કે : #મૈં_ગયા_નહીં_યહીં_હું.
પ્રશ્ન થાય કે “શ્રી મનાંચે શ્લોક” ખરેખર શું કહે છે ?!?
થોડીક રાહ જુઓ તો ટુંકમાં સમજીશું.
ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

એક જ નાદ ગુંજે છે :: ‘#જય_જય_રઘુવીર_સમર્થ’

#શ્રી_મનાંચે” શ્લોકના ઉદ્દગાતા સમર્થ સ્વામી રામદાસની પૂણ્ય ધરતી પરથી..

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અત્યારે મહારાષ્ટ્રના અક્કલકોટ નામનાં ગામમાં છું. સર્વત્ર એક જ નાદ ગુંજે છે અને તે છે : ‘જય જય રઘુવીર સમર્થ ‘ અને હર ઍક જગ્યાએ એક જ વાત વંચાય છે : ‘ શ્રી સ્વામી સમર્થ પ્રસન્ન’. ..હું સ્વામી સમર્થનાં આ સ્થાનક પર એક દિવસ વિતાવવા આવ્યો છું.

 
મનને આપણે માંકડું કહી વખોડીએ છીએ પણ એક વિશ્વસંત સમર્થ સ્વામી રામદાસે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું ! મને આ ‘#શ્રી_મનના_શ્લોકો’નો પરિચય થયો વડોદરાના #કવિશ્રી_મકરંદ_મુસળે દ્વારા થયેલ ગુજરાતી સમશ્લોકી દ્વારા અને વિશેષ ઊંડાણથી જ્ઞાન કર્યો #શ્રી_અરુણાતાઈ એટલે કે શ્રી અરુણબા જાડેજાના પુસ્તકે.. બંનેનું અહીંથી સ્મરણ કરું છું અને પ્રણામ કરું છું.
સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘#સાવધાન‘ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘#રાષ્ટ્રગુરુ‘નું સન્માન પામ્યા.
સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની આ કૃતિને ‘સોનાની લગડી’ ગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે.
‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુ સામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોએ કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું : “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો ! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી ‘જય જય રઘુવીર સમર્થ’નો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે તો વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો !
આ રહી મનના શ્લોકોની ઝલક….
“મના ક્રોધને વ્હેંત છેટો જ રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’
“મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’
“મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે એ સંવાદ સાચો.”
અક્કલકોટમાં બે સ્થાનકોનું જબરું માહાત્યમ્ય છે : #સ્વામી_શ્રી_સમર્થનું_સમાધિ_મંદિર અને #સ્વામી_શ્રી_સમર્થ_મંદિર.
ચાલો, આજે પહેલાં તસ્વીરી ઝલકથી સ્વામી શ્રી સમર્થ સમાધિ મંદિર નિહાળીએ. અને હા, તેમાં બહુ જ આમ આદમીઓ તરફથી ભાવથી નિયમિત રોજ સાંજે ગવાતા સમર્થ ભજનો અને અભંગની ઝલક મેળવીએ.. શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી વહેતો રહ્યો અને હું ભક્તો ગવાતા અભંગી ટિપિકલ ભજનો સાથે વહેતો ગયો.. હા, ફરી મળીશું સ્વામી શ્રી સમર્થ વટવૃક્ષ મંદિરને નિહાળવા માટે …

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback