અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’

ભદ્રાયુ વછરાજાની                     (64)                       bhadrayu2@gmail.com 

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર..આપણને  જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે. 

સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશા એમ જ કહેશે કે,  આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે  જેને જીવનનું  અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ?  મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે. 

પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.  મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે. અને મોક્ષ તને શોધતો-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, माते संगोध्व कर्मणि माहो राग अकर्ममा , અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘अहं त्वां सर्वपापेभ्यो मोक्ष ईष्यामि मा सुच:  હું તને સર્વ પાપોથી છોડાવીશ, તુ નચિંત થઈજા. મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે, અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે.’ 

નિરપેક્ષ વૃતિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે, તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છોકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે.આવી એ નીતિશૂન્ય અવસ્થા છે, આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધના ની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે. 

આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદગાર છે ને! ‘આ વિશ્વમાં જે-જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતા ની અવસ્થા છે. જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને આખા જગતના દોષ પોતાની માથે લે છે. ત્રણે ભુવનના પાપથી પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શતો નથી. 

આ ભાવાવસ્થા ની માફક જ્ઞાની પુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે,? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી, આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરાકાષ્ટાની દશામાં સંભવે છે.

આ જે અક્રિયા અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત માત્ર છું, કર્મનું કર્તુત્વ મારી પાસે નથી, એ મનન કરતા રહેવું. આ  અકર્તુત્વ  વાતની ભૂમિકા પહેલા નમ્ર પણે સ્વીકારવી. પછી પણ ય  બધું એ કર્તુત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાની ની અવસ્થા પ્રાપ્ત થશે.

એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ, તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં, બધાય કર્મોને ભસ્મસાત કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકાશે.

અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધુ બરાબર સમજ્યો હોઈશ, હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર. ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે. ભગવદ ગીતાની આ વિશેષતા છે. પણ આ વિશેષતામાં પછી લાગણી ઉમેરાઈ ગઈ, એટલે એમને આપેલું ઈચ્છા નું સ્વાતંત્ર ભગવાને પાછું ખેંચી લીધું. અને અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’ પોતાને શરણે આવવાનું કહી  આપેલું ઈચ્છા સ્વાતંત્ર ભગવાને પાછું લઈ લીધું, એનો અર્થ સમજવા જેવો છે, કે ‘તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા જ ન દઈશ,’ પોતાની ઈચ્છા ચલાવવાની જ નથી, તેની જ ચલાવવાની છે, એવું કહેવાય. 

અંતે શ્રી વિનોબાજીએ કરેલું ઉત્તમ સમાપન યાદ કરીએ : જેમ બકરું જીવતું હોય ત્યારે ‘મેં-મેં’ કરે, મરી ગયા પછી તેની તાંત પીંજણ ને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, ‘તુંહી…તુંહી…તુંહી…’ એટલે કે ‘તુંજ… તુંજ… તુંજ…’ એવું બોલે છે. અર્જુન છેલ્લે તારી અવસ્થા ‘તુંજ… તુંજ… તુંજ…’ ઉપર થાય, એવી મારી પ્રાર્થના છે. આવો, આપણે સૌ પણતું હી, તું હીનું નામ સ્મરણ કરતા કરતા જ અમર ગતિ પામીએ.